Tuesday, March 17, 2009

અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે


અતિ ઉચ્ચ આદર્શ પ્રજાને નબળી પાડે છે અને નીચી ઉતારે છે। બીજી બાજુ અતિશય વ્યાવહારિકપણું પણ ખોટું છે. જો તમારામાં સહેજ પણ કલ્પનાશક્તિ ન હોય, જો તમને દોરવા કોઈ આદર્શ ન હોય તો તમે કેવળ પશુ જ છો. એટલે જેમ આપણે આપણા આદર્શને નીચો ન ઉતારીએ તેમ જ વ્યાવહારિકતાને પણ નજર બહાર ન રાખીએ. બન્નેમાં અતિશયતાને છોડી દેવી જોઇએ.

આપણા દેશમાં જૂનો વિચાર ગુફામાં બેસીને ધ્યાન કરતાં કરતાં મરી જવું એ છે। મુક્તિની બાબતમાં બીજાઓને મૂકીને એકલા આગળ જવું ખોટું છે. વહેલેમોડે માણસે સમજવું જોઇએ કે પોતાના ભાઈઓની મુક્તિ માટે પ્રયાસ ન કરનારને મુક્તિ ન મળી શકે.

તમારે જીવનમાં પ્રખર આદર્શવાદ અને પ્રખર વ્યાવહારિકતા એ બન્નેનો સમન્વય સાધવો જોઇએ. એક ક્ષણે ઊંડા ધ્યાનમાં મગ્ન થવા છતાં બીજી ક્ષણે આ સામેનું મઠનું ખેતર ખેડવા જવા પણ તૈયાર થવું જોઇએ. એક ક્ષણે અત્યંત કઠિન શાસ્ત્રગ્રંથને સમજાવવા તૈયાર રહેવું જોઇએ અને બીજી જ ક્ષણે જઇને ખેતરની પેદાશ બજારમાં વેચવાને તૈયાર રહેવું જોઇએ.

No comments: