Wednesday, November 17, 2010

દોસ્તો,
આજે સવારે ‘અક્સ’ ફિલ્મ જોઈ. અમિતાભ બચ્ચન, મનોજ વાજપેયી, રવિના ટંડન અને નંદિતા દાસ મુખ્ય ભૂમિકામાં છે અને નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાનું. ફિલ્મને બોક્સઓફિસ પર જોઈએ તેવી સફળતા મળી નહોતી. પણ મારી મનપસંદ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ એક સારો સંદેશ આપે છે. જગતમાં લૌકિક અને અલૌકિક બંને પ્રકારની શક્તિનું અસ્તિત્ત્વ છે. આપણી આસપાસ શુભ અને અશુભ તત્વો હાજર છે, દૈવી અને આસુરી તત્ત્વોનું અસિતત્ત્વ છે. દૈવી અને આસુરી બંને પ્રકારના તત્ત્વોમાં આપણને પ્રભાવિત કરવાની તાકાત છે, પણ તેનાથી પણ વધારે તાકાત આપણી ઇચ્છાશક્તિમાં છે તે સંદેશ આ ફિલ્મ આપે છે.

ફિલ્મમાં મનોજ વાજપેયીએ રઘુ નામના અપરાધીની ભૂમિકા ભજવી છે. તેને વડાપ્રધાનની હત્યા કરવાની સુપારી આપવામાં આવે છે. પોલીસ અધિકારી મનુ વર્મા એટલે કે અમિતાભ બચ્ચન તેને પકડીને ફાંસીના માંચડા સુધી પહોંચાડે છે, પણ તેનો દુષ્ટ આત્મા અમિતાભને વશ કરી લે છે. તે પછી રઘુ અમિતાભના શરીરનો ઉપયોગ કરી તેને ફાંસની સજા આપનાર જસ્ટિસ ચૌધરી અને અન્ય ત્રણ લોકોની હત્યા કરે છે. નંદિતા દાસ તેના પતિ અમિતાભના વ્યવહારમાં આવેલા પરિવર્તનને અનુભવે છે અને તેને કંઈક અજુગતું લાગે છે. છેવટે તે ધર્મનું શરણ લે છે. તે એક સ્વામીની મદદ લે છે. બંને પતિપત્ની સ્વામી પાસે જાય છે અને સ્વામી શું કરે છે?

આ સ્વામી તાંત્રિક નથી. અત્યંત ધર્મપરાયણ અને વાસ્તવવાદી છે. તેમને કોઈ સ્વાર્થ નથી કે મોહ નથી. તે અમિતાભને સમજાવે છે કે મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન તેને પોતાને જ કરવું પડે છે. ઇશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણને માર્ગ ચીંધે છે, પણ તેના પર ચાલવું તો આપણે જ પડે છે. મનુષ્યની ઇચ્છાશક્તિ જ તેની સૌથી મોટી તાકાત છે અને તેને મજબૂત બનાવવા સ્વામીજી અમિતાભને સમજાવે છે. સાથેસાથે તેઓ આસુરી આત્મા વિશે સમજાવે છે કે દિવસ દિવસ ન હોય અને રાત રાત ન હોય ત્યારે આસુરી શક્તિઓ નિર્બળ બની જાય છે. આ રીતે તેઓ અમિતાભને આ પ્રકારના સંજોગો ઊભો થાય ત્યારે રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવવાનો ઉકેલ સૂચવે છે અને છેવટે અમિતાભ રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવે છે.....અને આ આત્મા અમિતાભના જૂનિયર અધિકારના શરીરમાં પ્રવેશી જાય છે....અહીં ફિલ્મનો અંત આવી જાય છે...

આ ફિલ્મ સરસ સંદેશ આપે છે. જગતમાં દૈવી તત્ત્વો અને આસુરી તત્ત્વો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. જરૂર છે તેને ઓળખવાની અને શુભ તત્ત્વોને અપનાવવાની. અમિતાભ બચ્ચન અને મનોજ વાજપેયીનો દમદાર અભિનય ફિલ્મનું હાર્દ છે....ફિલ્મના સંવાદ અદ્ભૂત છે....આ ફિલ્મ બીજી વખત જોઈ....આ ફિલ્મની એક ખાસિયત છે...બીજી વખત....ત્રીજી વખત...વધુ ને વધુ વખત આ ફિલ્મ જોશો તેમ તેમ તમને સમજાશે.....

Saturday, November 13, 2010

દોસ્તો,

અરુંધતી રૉયએ કાશ્મીર માટે કરેલું વિવાદાસ્પદ વિધાન આપણે બધા જાણીએ છીએ. તેમના કહેવા મુજબ, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ક્યારેય નહોતું....તે પછી ઘણો વિવાદ થયો....અરુંધતી રૉયને લઈને બુદ્ધિજીવીઓમાં બે ભાગલા પડી ગયા છે...એક જૂથ તેમને સ્વચ્છંદી કહે છે તો બીજું જૂથ વાણી સ્વાતંત્ર્યના અધિકારનો મુદ્દો આગળ ધરીને અરુંધતીએ કશું ખોટું કર્યું નથી તેવું માને છે.....બંને જૂથના પોતપોતાના તર્ક છે, પોતપોતાની દલીલ છે....પણ દુઃખ એ વાતનું છે કે અરુંધતી સમર્થકોનું પાગલપન તમામ મર્યાદા તોડી રહ્યું છે....

'તહેલકા' નામનું એક સામયિક અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં પ્રક્ટ થાય છે....તેમાં તાજેતરમાં અરુંધતી રૉયની પ્રશંસા કરતો એક લેખ પ્રક્ટ થયો છે....તેમાં અરુંધતીને ગરીબો, આદિવાસીઓ અને મુસલમાનો માટે લડતી કરુણાની દેવી તરીકે ચિતરવામાં આવી છે.....અરુંધતીને વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવાનો અધિકાર છે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.....અરુંધતીને 'સ્વપ્નોની રાજકુમારી' તરીકે નવાજી લોકશાહીના પ્રહરી ગણાવવામાં આવી છે.....એક વાત કબૂલ છે કે અરુંધતીને તેમના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે... પણ પ્રશ્ન એ છે કે અરુંધતી રૉયની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરવી કેટલી ઉચિત છે?

'તહેલકા' શું કહે છે કે તે પહેલાં જણાવી દઉં - 'વિડંબના એ છે કે રૉય પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હોત તો તે ઐતિહાસિક હસ્તીઓની યાદીમાં સામેલ થઈ જાત. 'યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત પોતાના વિચારોને કારણે મહાત્મા ગાંધી સામે 1922માં રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું, 'આ અદાલતમાં હું એ તથ્ય છુપાવવા માગતો નથી કે સરકારની વર્તમાન વ્યવસ્થા પ્રત્યે અસંતોષ ફેલાવવો મારા માટે લગભગ એક ઝનૂન બની ગયું છે....કાયદા મુજબ રાષ્ટ્રદ્રોહ જાણીજોઈને કરવામાં આવતો અપરાધ છે...પણ અત્યારે આ અપરાધ મને એક નાગરિકનું સૌથી મોટું કર્તવ્ય લાગે છે....કોઈ વ્યક્તિને કોઈ વ્યવસ્થા સારી ન લાગે તો તેને અસંતોષ વ્યક્ત કરવાની તક આપવી જોઈએ...'

કહેવાનો અર્થ એ છે કે મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી તેવી જ લડત અરુંધતી અત્યારે ભારત સરકાર સામે ચલાવી રહી છે....એટલે અંગ્રેજ સરકાર જે રીતે ભારતીયોનું શોષણ કરતી હતી તેવું શોષણ અત્યારે ભારત સરકાર કાશ્મીરીઓનું કરી રહી છે....(અરુંધતી રોયએ કાશ્મીરીઓના સંદર્ભમાં વાત કરી છે...) ખરેખર આ સરખામણી નરી મૂર્ખતા છે....અરુંધતીની સરખામણી ગાંધી સાથે કરીને બાપૂના આત્મા દુભાવવા જેવું આ કૃત્ય છે.....ગરીબો માટે બાપૂએ આજીવન પોતડી ધારણ કરી હતી....સાબરમતીના કિનારે આશ્રમ બનાવીને રહેતાં હતાં.....નર્મદાના કિનારે ખેડૂતોની જમીન પચાવીને ફાઇવસ્ટાર બંગલો બનાવીને નહીં.....બસ, એક જ પ્રાર્થના છે કે અરુંધતી સમર્થકોને સન્મતિ મળે....

Tuesday, November 9, 2010

ફૂટબોલ, કાર્નિવલ, એમેઝોન અને સાંબાની દેશની ગોરિલા રાષ્ટ્રપતિ


યુવાનીમાં તેમણે ગોરિલા લડાઈ લડી, પકડાઈ ગઈ અને સેનાનો ત્રાસ વેઠ્યો. ત્રણ વર્ષ જેલમાં રહી. તેમાંથી છૂટીને અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો. પી.એચડી કરવાની ઇચ્છા હતી, પણ પૂરી ન થઈ. પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પણ ન મળી. ગ્રીક થિયેટર અને ડાન્સનો શોખ હતો અને તે પણ અધૂરો રહ્યો. રાજનીતિમાં સક્રિય થઈ અને સફળતા મળી. પહેલાં ઊર્જા મંત્રી બની. પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીતી ગઈ. વાત છે બ્રાઝિલની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ડિલ્મા રૌસેફની, જે જાન્યુઆરીમાં શપથ લેશે

રૌસેફનો જન્મ 14 જાન્યુઆરી, 1947ના રોજ થયો હતો. 14 વર્ષની વયે શિક્ષક પિતાની છત્રછાયા ગુમાવી. 16 વર્ષની વયે માર્ક્સવાદી બની. 20 વર્ષની વયે પત્રકાર ક્લાડિયો ગલીનો સાથે લગ્ન કર્યા. 1981માં છૂટાછેડા લીધા અને કાર્લોસ ફ્રેન્કલિન સાથે લગ્ન કર્યા. 30 વર્ષની વયે માતા બની. બ્રાઝિલની સૈન્ય સરમુખત્યારશાહી સામે સંઘર્ષ કરવામાં યુવાની પસાર થઈ ગઈ. અનેક જુલ્મો સહન કર્યા, સંઘર્ષ કર્યો, ઘર-પરિવાર દાવ પર લાગી ગયું અને છેવટે રાજનીતિમાં શિખર સ્પર્શી કર્યું.

ફૂટબોલ, કાર્નિવલ, એમેઝોન અને સાંબાના દેશ બ્રાઝિલની પહેલી મહિલા રાષ્ટ્રપતિ રૌસેફ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે એક બાબતમાં સામ્યતા હોવાનું કહેવાય છે. રોસૈફના વિરોધીઓનું કહેવું છે કે 'સરમુખત્યારશાહી સંઘર્ષ કરનાર રૌસેફ પોતે જ સરમુખત્યાર છે. તે લોકતાંત્રિક છે, પણ તમે તેમની સાથે સંપૂર્ણપણે સહમત હો ત્યાં સુધી.' નરેન્દ્ર મોદીના વિરોધીઓ પણ તેમના વિશે આવો જ અભિપ્રાય આપે છે. રૌસેફ અત્યંત મૂડી છે. તે જે માને છે ક્યારેક તેનાથી વિપરીત આચરણ પણ કરે છે. તેમણે બ્રાઝિલમાં ગર્ભપાતના કાયદાનું સમર્થન કર્યું છે, પણ સાથેસાથે તેઓ પોતાને 'પ્રો-લાઇફ' કાર્યકર્તા માને છે. તેમણે ગે-મેરેજનો વિરોધ કર્યો છે, પણ સજાતિય અધિકારોની હિમાયત કરી છે.

રૌસેફની સામે બ્રાઝિલના અર્થતંત્રને મજબૂત બનાવવાનો મોટો પડકાર છે. બ્રાઝિલનું અર્થતંત્ર વિશ્વનું આઠમું મોટું અર્થતંત્ર છે. તેની જીડીપી દર વર્ષે પાંચ ટકાના દરે વધી રહી છે અને તેમાં વૃદ્ધિ કરવાનો પડકાર રૌસેફને ઉઠાવવાનો છે. બ્રાઝિલમાં ગરીબ અને ધનિક વર્ગ વચ્ચેનું અંતર વધી રહ્યું છે, જેને ઓછું કરવાની જવાબદારી પણ રૌસેફ પર છે. દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ થઈ રહી છે, પણ સાથેસાથે વીજળીના પુરવઠાની ખેંચ છે. તે દૂર કરવા બ્રાઝિલ સરકારે વર્ષ 2020 સુધીમાં ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેનો અમલ કરવા રૌસેફે કમર કસવી પડશે. દેશમાં ખાંડ મોંઘી છે, ઝૂંપડપટ્ટીઓ વધી રહી છે તેમજ દેશી-વિદેશી ઋણ વધારે છે. રૌસેફે ચૂંટણીમાં બેકારી, બેરોજગારી અનો મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું અને યુવાનોની તેમના પ્રત્યે અપેક્ષા વધી ગઈ છે....

Sunday, November 7, 2010

માયાળુ કે માયાવી?

છેલ્લાં કેટલાંક દિવસ માયાળુ શબ્દનો અર્થ જાણવાની ઇચ્છા હતી....માયાળુ એટલે માયા વાળું એટલો અર્થ જાણતો હતો....પણ તેનાથી મને સંતોષ નહોતો...છેવટે ભગવદ્ગોમંડલના શરણે ગયો....મારે બધા અર્થ જાણવા હતા...તેમાં માયાળુ શબ્દના અર્થ આ પ્રમાણે છેઃ

- સ્નેહાળ
- વહાલ રાખનારું
- કૃપાળું
- મમતાળું
- દયાથી પ્રેમાળ હ્રદયે વર્તનારું
- કુદરતી કારણોથી થતાં દુઃખોને નિવારવાનું તેમનામાં સામર્થ્ય છે

પ્રશ્ન એ છે કે માયાળું માનવી એટલે કેવો માનવી? એવો માનવી જેનામાં મારા અને તારાનો કોઈ ભેદભાવ નથી અને આ ભેદભાવ રાખ્યાં વિના જીવદયા પ્રત્યે પ્રેમભાવ રાખે છે....તે તમામ જીવો પ્રત્યે વહાલ રાખે છે...તેના આશીર્વાદ બધાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મળે છે....અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે માયાળુ માનવી પાસે કુદરતી કારણોથી થતાં દુઃખોને નિવારવાનું સામર્થ્ય હોય છે....પણ આ સામર્થ્ય ખરેખર માયાળુ માનવી પાસે જ હોય....

માયાળુ માનવી બનવાની પહેલી શરત છે કે મારા-તારાનો ભેદ છોડવો અને અહંકારનો ત્યાગ....અહંકાર હોય ત્યાં વૈરાગ્ય ન હોય....હું કલાકાર છું...લોકડાયરાનો બાદશાહ છું...મારા ચરણમાં ભલભલા મસ્તક નમાવે છે...મેં જગતના ઊંચા ઊંચા ટાવર પરથી ભાષણ આપ્યું છે, પ્રવચન આપ્યું છે....આહાહા....કેટલો અંહકાર....આવો ભાવ હોય અને પાછો માયાળુ માનવી!...આને માયાળુ નહીં માયાવી માણસ કહેવાય....પણ આજકાલ માયાળુ અને માયાવી માણસ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ સમાજે ગુમાવી દીધી છે....બગલા હંસ બનીને ફરે છે...ને આવા બગભગતોને સરકારી સાધુસંતો પોતાની સાથે લઈને ફરે છે....કોઈની કવિતા ગાઈ સંભળાવતો કાગ અત્યારે કલાપી કહેવાય છે....

હું આવા બગભગતને જાણું છું.....મેં તેની બધી લીલા નિહાળી છે....તે સતત માનપાન ઝંખે છે...પ્રસિદ્ધ પામવાની એક પણ તક તેણે છોડી નથી....પોતાને લોકડાયરાનો બાદશાહ ગણે છે અને લોકડાયરાના અન્ય કલાકારોની પીઠ પાછળ ટીકા કરવામાં આ માણસે કશું બાકી રાખ્યું નથી...થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરમાં રામકથાનું આયોજન થયું હતું ત્યારે તેણે આ સંત કે બાપૂ વિશે ઘસાતું બોલવામાં બાકી રાખ્યું નહોતું....તેના કામ જેટલા લોકોએ કર્યા છે તેના પર તેણે અપકાર કર્યા છે....તેનું જે લોકોએ કામ કર્યુ તેનો પાડ માનવાની જગ્યાએ તેણે ગાળો ભાંડી છે.....આવા માણસને માયાળુ કહેવાય કે માયાવી?

છેલ્લે માયાવી એટલેઃ
- મિથ્યા
- પ્રપંચી
- કપટી
- મયદાનવનો પુત્ર....

સચિન મહાન કે બ્રેડમેન?

દોસ્તો....

સચિન અને બ્રેડમેનમાંથી કોણ વધારે મહાન બેટ્સમેન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઝહીર અબ્બાસના મતે બ્રેડમેન કરતાં સચિન વધારે મહાન બેટ્સમેન છે. ઝહીર અબ્બાસ સિત્તેરના દાયકામાં 'એશિયન બ્રેડમન' અને 'રનમશીન' તરીકે જાણીતા હતા. અબ્બાસનું કહેવું છે કે સચિન બ્રેડમેન કરતાં એક કદમ આગળ નીકળી ગયો છે....સચિન છેલ્લાં 21 વર્ષથી રમતના મેદાન પર દ્રઢ છે...સચિને રનનો ઢગલો કરી નાંખ્યો છે...સચિન 'સદીઓની સદી' ફટકારવાની નજીક છે....

સચિનની સરખામણી સતત બ્રેડમેન, લારા, પોન્ટિંગ સાથે થાય છે અને મોટા ભાગના ક્રિકેટરો તથા વિવેચકોનું કહેવું છે કે સચિન સર્વકાલિન મહાન બેટ્સમેન છે. ચોક્કસ, સચિન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. પણ કોઈ પણ ક્ષેત્રમાં એક વ્યક્તિ જે કામગીરી કે દેખાવ કરે તેવો દેખાવ કે તેવી કામગીરી એ જ ક્ષેત્રમાં બીજી વ્યક્તિએ કરી દેખાડી હોય તેવું મારી જાણમાં નથી. સચિનનો સમય જુદો છે અને બ્રેડમેનનો સમય જુદો હતો...

બ્રેડમેનના સમયમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ ક્રિકેટ રમતાં હતા અને તે પણ ટેસ્ટ ક્રિકેટ....અત્યારે દુનિયાના 10 દેશ ટેસ્ટ ક્રિકેટ રમવાની માન્યતા ધરાવે છે....બ્રેડમેનનાસમયમાં ક્રિકેટ ફક્ત ક્રિકેટને ખાતર રમવામાં આવતું હતું જ્યારે અત્યારે ક્રિકેટ રમવા પાછળ ક્રિકેટની રમતનો આનંદ લૂંટવા સિવાય અન્ય હેતુઓ પણ છે..બ્રેડમેનના સમયમાં ક્રિકેટ ફક્ત રમત હતી જ્યારે અત્યારે ક્રિકેટ રમત કરતાં વ્યવસાય વધારે છે....સચિન અને બ્રેડમેનની સરખામણી થઈ જ ન થઈ શકે...શા માટે?

અનેક પ્રશ્નો જે નિરુત્તર છે.....જેમ કે, બ્રેડમેનના જમાનામાં સચિન ક્રિકેટ રમતો હોત તો બ્રેડમેન જેટલી સરેરાશ સાથે રન બનાવી શક્યો હોત? તે જ રીતે બ્રેડમેન અત્યારે ક્રિકેટ રમતા હોત તો સચિન જેટલો રનનો ઢગલો ખડકી શક્યાં હોત? સચિનની જેમ સદીસમ્રાટ બની શક્યા હોત? અને સૌથી વધુ મહત્વપૂર્ણ સચિનની જેમ ચાહકોની અપેક્ષાના દબાણ હેઠળ સચિનની જેમ 21 વર્ષ સુધી મેદાન પર દ્રઢ રહી શક્યા હોત?

હકીકતમાં આ બંને મહાન બેટ્સમેન વિશે એટલું જ કહી શકાય કે તેમની બેટિંગ શૈલીમાં સામ્યતા છે અને તેઓ તેમના યુગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે...

નૂતન વર્ષાભિનંદન....

દોસ્તો,

નૂતન વર્ષાભિનંદન.....આપ સહુના જીવનમાં સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના....સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવકારદાયક છે...વધુ એક વર્ષ વિદાય થયું અને નવા વર્ષનું આગમન થયું.....ચાલો નવા વર્ષમાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવીએ....દરેક વ્યક્તિ જીવન પ્રત્યે બે પ્રકારનો અભિગમ ધરાવે છે...હકારાત્મક (Positive) અને નકારાત્મક (Negative)....કોઈ પણ કાર્ય હાથ ધરશો તો તેમાં સફળ થશો અથવા નિષ્ફળતા મેળવશો....સફળતા મળે ત્યારે છકી ન જવું અને વધુ સારું કામ કરવા સજ્જ થવું તેનું નામ હકારાત્મક અભિગમ...અને નકારાત્મક અભિગમ એટલે? નિષ્ફળતા મળે ત્યારે નાસીપાસ થવું અને બીજા પર દોષનો ટોપલો ઢોળવો....

* * * * *

આજકાલ સફળતા શબ્દની બોલબોલા છે....પણ સફળતા એટલે શું તે સમજવાની ફુરસદ ભાગ્યે જ કોઈની પાસે છે....અભિનેતા બનવા માગતા કલાકારો માટે મહાનાયક અમિતાભ બચ્ચન સફળતાનો માપદંડ છે તો ક્રિકેટર બનવા માગતા યુવાનો માટે સચિન તેંડુલકર....રાજકારણમાં કાઠું કાઢવા માટે યુવા કાર્યકારો નરેન્દ્ર મોદી જેવા સફળ રાજકારણી બનવા માગે છે તો કોઈ મહેનતુ કોંગ્રેસી કાર્યકર સોનિયા મેડમનો દરબારી બની ધન્ય થવા માગે છે.....પોલીસ અધિકારી બનવા માગતા યુવાનો માટે કિરણ બેદી સફળતાની પારાશીશી છે તો બેડમિન્ટન સ્ટાર બનવા માગતી યુવતી માટે સાનિયા નેહવાલ...અને ગુજરાતી લેખક માટે સફળતા એટલે? ચંદ્રકાંત બક્ષીની લેખનશૈલીની નકલ કરીને તેમના જેવી લોકચાહના મેળવવી! (કોઈને ખોટું લાગે તો એક...બેને સાડા ત્રણ)

હકીકતમાં જે તે ક્ષેત્રમાં સૌથી વધુ સંપત્તિ, માનપાન અને પ્રસિદ્ધ મેળવનાર વ્યક્તિ જેટલી સંપત્તિ અને પ્રસિદ્ધિ મેળવવી એટલે સફળતા એવું અત્યારે મોટાભાગના લોકો માને છે...પણ એક વ્યક્તિને પ્રાપ્ત થયેલી સફળતા અને લોકચાહના જેટલી સફળતા અને લોકોનો પ્રેમ બીજી વ્યક્તિને મળવો અશક્ય છે...અમિતાભનું સ્થાન મેળવવા ઘાંઘા થયેલા શાહરૂખને હાંસીપાત્ર થવું પડ્યું છે તેનાથી કોણ અજાણ છે...જે તે ક્ષેત્રમાં ટોચ પર બિરાજમાન વ્યક્તિઓના કાર્યનું વિશ્લેષણ કરશો તો એક વાત ઊડીને આંખે વળગશે...આયોજનબદ્ધ આકરી મહેનત....અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી, કિરણ બેદી, સાયના નેહવાલ, ચંદ્રકાંત બક્ષી, ધીરુભાઈ અંબાણી, નારાયણ મૂર્તિ....આ બધાએ સફળતા મેળવવા આયોજન સાથે અથાક મહેનત કરી છે.....મહેનતનો કોઈ વિકલ્પ નથી..અને યોજનાપૂર્વકની મહેનત એટલે સોને પે સુહાગા...

* * * * *

હરિવંશરાય બચ્ચન મારા પ્રિય કવિઓમાંના એક કવિ છે....નવા વર્ષ પર તેમણે લખેલી ઉલ્લાસસભર કવિતા....

વર્ષ નવ
હર્ષ નવ
જીવન ઉત્કર્ષ નવ....

નવ ઉમંગ
નવ તરંગ
જીવન કા નવ પ્રસંગ...

નવલ ચાહ
નવલ રાહ
જીવન કા નવ પ્રવાહ....

ગીત નવલ
પ્રીતિ નવલ
જીવન કી રીતિ નવલ
જીવન કી નીતિ નવલ
જીવન કી જીત નવલ......