Friday, January 30, 2009

ગાંધીજીના હત્યારાઃ અલગારી ગોડસે ને રંગીન આપ્ટે

(મહાત્મા ગાંધી હત્યા કેસના આરોપીઓનો ગ્રૂપ ફોટો. તેમાં ઊભા રહેલા (ડાબેથી) શંકર કિસ્તૈયા, ગોપાલ ગોડસે, મદનલાલ પાહવા, દિગમ્બર બાગડે. બેઠેલા (ડાબેથી) નારાયણ આપ્ટે, વી ડી સાવરકર, નથુરામ ગોડસે, વિષ્ણુ કરકરે)

નમસ્તે ગાંધીજી! ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતાં આ બે પવિત્ર શબ્દો બોલી નથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીજીના નાજુક હાડપિંજર પર ત્રણ અચૂક ગોળીબાર કર્યાં હતા. ગોડસેને કેટલાંક ઇતિહાસકારો ભારતીય ઇતિહાસના સૌથી વધારે ધૃણિત ખલનાયકોમાંનો એક માને છે. પણ તે અર્ધસત્ય છે. ઇતિહાસની સાચી સમજ ધરાવતા માનવતાપ્રેમીઓએ તેને જેટલો ધિક્કાર્યો છે તેટલો જ પ્રેમ તેને વિભાજનવાદી વિકૃત માનસ ધરાવતા અને સત્તાભૂખ્યાં કોમવાદી રાજકારણીઓએ કર્યો છે. આજે પણ ગોડસેને પોતાનો આદર્શ માનતા અને ગાંધીજીની હત્યાને વાજબી ઠેરવતાં બુદ્ધિહીનોનો આ દેશમાં તૂટો નથી. ગાંધીજીની હત્યા કરવા બદલ ફાંસીની સજા પામેલા નથુરામ ગોડસે અને તેના સાથીદાર નારાયણ આપ્ટે વિપરીત સ્વભાવ ધરાવતા સાથીદારો હતા. ગોડસે ઝનૂની, જક્કી અને અલગારી હતો તો આપ્ટે તકવાદી, સૂરા અને સુંદરીઓનો શોખીન હતો. તેમનો મકસદ એક હતો-ગાંધીજીની હત્યા કરવાનો, પણ તેમની જીવન જીવવાની શૈલીમાં કોઈ જ સમાનતા નહોતી. એક પૂર્વ હતો તો બીજો પશ્ચિમ.

ગોડસે ઝનૂની અને ધુની હતો. પૂના શહેરમાં તે ત્રણ બાબતો માટે જાણીતો હતો-તેના રાજકારણ, તેની સાધુ જેવી રહેણીકરણી અને તેના કોફી તરફના લગાવ માટે. કોફી પીવા માટે તે માઇલો સુધી ચાલ્યો જતો. ગોડસેના પિતા પોસ્ટમેન હતા અને પંદર રૂપિયાના પગારમાં નોકરી કરતા હતા. તેમણે પોતાના દીકરામાં સનાતની બ્રાહ્મણના સંસ્કાર સીંચ્યા હતા. નથુરામને જનોઈ દેવામાં આવી, પછી તેમણે તેને ઋગ્વેદ અને ગીતા શીખવાની ફરજ પાડી હતી. બધા ચુસ્ત બ્રાહ્મણની જેમ તે શાકાહારી હતા. બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ સાથે ભોજન લેતા નહીં. જમતાં પહેલાં તે સ્નાન કરીને ચોખ્ખાં ધોયેલાં કપડાં પહેરતા. તે કપડાં પણ એવી જગ્યાએ સૂકવવામાં આવતાં જ્યાં કોઈ ગધેડું, ભૂંડ કે રજસ્વલા સ્ત્રી તેને સ્પર્શી ન જાય. સારા બ્રાહ્મણની માફક તે જમણા હાથની આંગળીઓથી જ ખાતા અને જમતાં પહેલાં બ્રહ્માર્પણ માટે કોળિયા જુદા મૂકતા.

ગોડસે આ સનાતની વાતાવરણમાં ઉછર્યો હતો અને તેનામાં રહસ્યવાદનો રસ જાગૃત થયો। તેના કુટુંબને પુત્ર જિંદગીમાં અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તેવું લાગતું હતું. પણ ગોડસે મોટો થયો ત્યારે તેવું કશું થયું નહીં. તે મેટ્રિકની પરીક્ષામાં અંગ્રેજીનીમાં નાપાસ થયો હતો એટલે યુનિવર્સિટીનું શિક્ષણ લઈ શક્યો નહીં. શાળા છોડ્યા પછી જુદી જુદી નોકરી કરતો રહ્યો. ફળો વેચવાથી માંડીને ટાયરો સાંધવા સુધીનાં જુદાં જુદાં કામ પર તેણે હાથ અજમાવ્યો હતો. અમેરિકન મિશનરીઓના એક જૂથે તેણે દરજીનું કામ શીખવ્યું હતું અને 1947 સુધી તે એ ધંધો જ કરતો હતો. પરંતુ તેને સાચો રસ રાજકારણમાં હતો અને સૌથી મોટી આશ્ચર્યની બાબત એ છે કે તે શરૂઆતમાં ગાંધીજીનો અનુયાયી બન્યો હતો.

તેણે સવિયન કાનૂનભંગ ચળવળમાં ભાગ લઈ પ્રથમ જેલયાત્રા કરી હતી। પણ તે પછી તેને ધીમેધીમે તેને ગાંધીજીનો વિચારોનો મોહભંગ થયો અને 1937માં તેણે ચિતપાવન બ્રાહ્મણ વીર સાવરકરને ગુરુ બનાવ્યાં હતા. તે સાવરકર સાથે આખા હિંદમાં ફર્યો હતો. તેમના આધિપત્ય હેઠળ તે ખીલી ઊઠ્યો હતો. સાવરકરના હિંદુત્વના વિચારોનો અભ્યાસ કરી ગોડસે સારો લેખક અને વક્તા બની ગયો હતો.

નારાયણ આપ્ટે તેના સાથીદાર નથુરામ ગોડસેની વિચારધારા કરતાં બિલકુલ વિપરીત હતી। આપ્ટે સામાજિક જીવડો હતો જ્યારે ગોડસે એકાકી જિંદગી પસંદ કરતો. તે પોતાની નૈતિકતામાં સહેજ પણ ચલિત થતો નહીં, જ્યારે આપ્ટે તકવાદી હતો. ગોડસે સંન્યાસી જેવો હતો. કોફી પીવા સિવાય તેને બીજી કોઈ લત નહોતી. તેન દરજીની દુકાનની સામેની એક ચાલમાં તે સાધુની જેમ રહેતો. તેમાં એક કાથીના ખાટલા સિવાય કંઈ નહોતું. જ્યારે આપ્ટે મોજથી જીવતો. તેને સુંદર વાનગીઓ અને વ્હીસ્કીના ઘૂંટ તરફ તેમજ જીવનના અન્ય વૈભવ-વિલાસમાં રસ હતો. તે ફોર્ડ ગાડીમાં જ ફરતો હતો. સાવરકરના પ્રભાવ હેઠળ ગોડસેને હિંદુ ધર્મની ધાર્મિકતામાંથી રસ ઊડી ગયો હતો, જ્યારે આપ્ટે મંદિરના દર્શને રોજ જતો. તેને જ્યોતિષ અને હસ્તરેખાઓમાં અપાર શ્રદ્ધા હતી.

આ બધાથી વિશેષ બંને વચ્ચે સ્ત્રીઓ તરફના વલણમાં મોટો ફરક હતો। આપ્ટેને કોઈ સ્ત્રીના સમાગમની તક મળી જાય તો તે છોડતો નહીં. તે પરણેલો હતો, પરંતુ તેનું પ્રથમ બાળક વિકૃત અંગોવાળું જન્મ્યું હતું એટલે તેને એવો વહેમ હતો કે તેની પત્ની પર કોઇની મેલી નજર પડી છે. પછી તેણે પત્ની સાથેના જાતીય સંબંધો બંધ કર્યા હતા, પણ તેનો બદલો તે બીજે વાળી લેતો. જ્યારે ગોડસેને સ્ત્રીઓ તરફ અણગમો હતો. પોતાની માતા સિવાય અન્ય કોઈ સ્ત્રીની હાજરી તેનાથી સહન થતી નહોતી. તે સૌથી મોટો પુત્ર હોવા છતાં લગ્ન કરવાનો ઇનકાર કરી ગૃહત્યાગ કરી દીધો હતો. 28 વર્ષે ગોડસેએ બ્રહ્મચર્યવ્રત લીધું હતું, પણ તે પહેલાં તેણે એક વખત જાતીય સંબંધ અનુભવ્યો હતો-સજાતીય સંબંધ. તેમાં ભાગીદાર તેના રાજકીય ગુરુ વીર સાવરકર થયા હતા.

ગાંધીજીને વિવિધ મહાનુભાવોએ આપેલી શ્રદ્ધાંજલી

આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. ચારે તરફ અંધકાર છવાયો છે. આપણા પ્યારા બાપુ, આપણા રાષ્ટ્રપિતા હવે આ જગતમાં રહ્યાં નથી. હું કહું છું કે, પ્રકાશ ચાલ્યો ગયો છે છતાં હું ખોટો છું, કારણ કે જે પ્રકાશ આ દેશમાં પ્રજ્જવલિત હતો, તે કોઈ સામાન્ય જ્યોતિ ન હતો. સદીઓ સુધી આ પ્રકાશ દુનિયાને સત્ય અને અહિંસાની રાહ ચીંધતો રહેશે. દુનિયાએ પૂંજપ્રકાશના દર્શન કરતી રહેશે; અગણિત હૈયાંને તે સાંત્વન આપતો રહેશે, કારણ કે તે પ્રકાશમાં તત્કાલીન વર્તમાનથી કંઈક અનેરું તેજસ હતું...જીવંત અને પરાપૂર્વના સત્યોનું ઓજસ હતું. સત્ય તરફનો માર્ગ દેખાડીને ભૂલો તરફથી આપણે પાછાં વાળતી તે દિવ્ય જ્યોતી હતી..આ દેશનો મુક્તિ ભણી દોરનારો એ પ્રકાશ હતો.
જવાહરલાલ નહેરુ

ઈશ્વરને ગમ્યું એ ખરું. આખું જગત તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યું છે. મુસલમાનોએ પણ મરતી વખતે તેમને ઓળખ્યા અને તેમને ખાતર પ્રાણ આપ્યા એ કબૂલ કર્યું. એટલે તેમનું મરણ તો શોભ્યું. તેમના જવા માટે આ સમય તો ઉત્તમ જ હતો. સંભવે છે કે લોકો હવે તેમને વધારે સારી રીતે ઓળખે. આપણે માથે તો વીજળી પડી છે. આપણે માથેથી છત્ર ઊડી ગયું. તેમનું કામ પૂરું થયું. હવે જે રહ્યું તે પાછળ રહેલાઓને ઉપાડવું રહ્યું. એમણે તો જીવી જાણ્યું અને મરી પણ જાણ્યું. મરવાનો સમય પણ સરસ ગણાય. આપણે તો જેટલું બને તેટલું એમને પગલે ચાલવા પ્રયત્ન કરી છૂટવું જોઇએ.
સરદાર વલ્લભભાઈ પટેલ
(સંદર્ભઃ સરદારશ્રીના પત્રો-4, બાપુ, સરદાર અને મહાદેવભાઈ, જન્મશતાબ્દી ગ્રંથ-4)

ગાંધી હિંદુ કોમે પેદા કરેલા મહાન માણસોમાંના એક હતા. તે મહાન હિંદુ હતા
મહંમદઅલી ઝીણા

મહાત્મા ગાંધીનું નામ ઈતિહાસમાં બુદ્ધ અને જિસસ ક્રાઇસ્ટની હરોળમાં મૂકાશે
લોર્ડ માઉન્ટબેટન

ગાંધીજીની હત્યા તે બતાવે છે કે દુનિયામાં સારા બનવું કેટલું ખતરનાક છે
જ્યોર્જ બર્નાડ શો

માનવતા અને બંધુત્વમાં માનતા સૌ લોકો માટે ગાંધીજીનું મૃત્યુ એક વિલાબ બની રહેશે
જયોર્જ દ્વિદોલ, ફ્રાંસના તત્કાલીન વડાપ્રધાન

ભારતની સાથે સાથે આજે સમગ્ર દુનિયા શોકના સાગરમાં ડૂબી ગઈ છે
ટ્રુમેન, અમેરિકાના તત્કાલીન વડાપ્રધાન

જેમની મુક્તિ માટે ગાંધી જીવ્યા હતા તે જ લોકોએ તેમની હત્યા કરી છે. દુનિયાના ઇતિહાસમાં આ બીજો ઇસુ-વધ છે. આવા જ એક શુક્રવારે એક હજાર નવસો અને પંદર વર્ષ પહેલાં જિસસને વધસ્તંભ પર લટકાવી દેવાયા હતા. ઓહ, વિશ્વપિતા અમને માફ કરો.
હિંદુસ્તાન સ્ટાન્ડર્ડ (તેનું તંત્રીલેખવાળું પાનું કોરું રખાયું હતું. કાળી પટ્ટીથી શોક દર્શાવતા પાનાની વચ્ચે આ ઉપરોક્ત વાક્યા લખેલાં હતા)

Thursday, January 29, 2009

સનથ જયસૂર્યા - શ્રીલંકાનો બુઢ્ઢો શેર


હિપ હિપ હુરે! ભારતીય ક્રિકેટ ટીમે નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી. નસીબવાન અને ચહેરા પરથી જ પહેલવાન લાગતા ધોનીની ટીમે પહેલી વન-ડેમાં યજમાન શ્રીલંકા સામે છ વિકેટે વિજય મેળવી પાંચ વન-ડેની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. થોડા દિવસોના બ્રેક પછી મેચ જોવાનો વધુ આનંદ આવ્યો. ખાસ કરીને સનથ જયસૂર્યાની બેટિંગ જોવાની વધુ મજા પડી. પોતાના પુનરાગમન માટે ઝઝૂમતા એક ઘરડા સિંહના સંઘર્ષને જોવાનો લ્હાવો મળ્યો.
39 વર્ષ અને 212 દિવસની ઉંમરે વન-ડે ક્રિકેટમાં સદી મારનાર તે સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો. આ પહેલાં આ વિક્રમ જ્યોફ બોયકોટના નામે હતો. તેણે 39 વર્ષ અને 51 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે વર્ષ 1979માં 105 રન ફટકાર્યા હતા. ભારતમાં સૌથી મોટી ઉંમરે વન-ડે ક્રિકેટમાં સદી ફટકારવાનો વિક્રમ સુનિલ ગાવસ્કરના નામે છે.
'લિટલ માસ્ટર' તરીકે જાણીતા સુનિલે 38 વર્ષ અને 113 દિવસની ઉંમરે ન્યુઝીલેન્ડ સામે 103 રન ફટકાર્યા હતા. તે તેની વન-ડે ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી હતી. પોતાની કારકિર્દીની અંતિમ ચરણમાં પહોંચેલા સુનિલ ગાવસ્કરને એક જ ઇચ્છા હતી કે સંન્યાસ લે તે પહેલાં વન-ડે ક્રિકેટમાં એક સદી ફટકારવી અને તે ઇચ્છા ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પૂરી થઈ ગઈ. 1987ના રીલાયન્સ વિશ્વકપની તે મેચ હતી જેનું આયોજન ભારત અને પાકિસ્તાને સંયુક્તપણે કર્યું હતું. આ મેચમાં સુનિલની પહેલી વન-ડે સદી અને ચેતન શર્માની હેટ્રિકના કારણે યાદગાર બની ગઈ છે. તેમાં ચેતન શર્માએ ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા હતા.
ખેર, આપણે જયસૂર્યાની વાત કરીએ. તેણે આ વન-ડેમાં 13,000 રન પણ પૂર્ણ કર્યાં. આવી સિદ્ધ મેળવનાર વિશ્વનો માત્ર બીજો બેટ્સમેન છે. તેની પહેલાં આ સિદ્ધિ સચિને મેળવી છે. જયસૂર્યા ફિનિક્સ પંખી જેવો છે. 1989થી ક્રિકેટમાં પા પા પગલી માંડનાર આ ક્રિકેટરને સફળતાના શિખરો સર કરવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. 1996થી સુધી તો ક્રિકેટની સામાન્ય જાણકારી ધરાવતા લોકો તેનું નામ પણ જાણતા નહોતા, પણ તે વર્ષે ભારત-પાકિસ્તાન-શ્રીલંકામાં સંયુક્તપણે રમાયેલા વિશ્વકપમાં તેણે પહેલી 15 ઓવર રીસ્ટ્રિક્ટેડ ફિલ્ડિંગની ગોઠવણીવાળી ઓવરમાં તેણે ધુંઆધાર બેટિંગનું પ્રદર્શન કરી અનેક સારા બોલરોને ધોળે દિવસે તારા દેખાડી દીધા.
આ બોલરોમાં આપણો મનોજ પ્રભાકર પણ સામેલ હતો. નવી દિલ્હીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વિશ્વકપની લીગ મેચ રમાઈ હતી. તેમાં જયસૂર્યાએ મનોજ પ્રભાકરની એવી ધોલાઈ કરી કે તે ફાસ્ટર બોલરમાંથી સ્પીનર થઈ ગયો હતો. આ રીતે પ્રભાકરની કારકિર્દી પૂરી કરવાની શરૂઆત જયસૂર્યાએ કરી હતી.
જયસૂર્યાના વળતા પાણી વર્ષ 2004 પછી શરૂ થયા હતા. બધાને એમ લાગતું હતું કે તેની કારકિર્દી પૂર્ણ થવા તરફ આગળ વધી રહી છે. વર્ષ 2006માં તેણે સંન્યાસ પણ લઈ લીધો હતો. જોકે તેણે પોતાનો નિર્ણય ફેરવી ફરી ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તે પછી ફરી તેણે સારો દેખાવ કર્યો છે.
દંબુલાના દંગલમાં તેણે 28મી વન-ડે સદી ફટકારી છે. આ પહેલાં 27મી સદી તેણે ગયા વર્ષે ભારત સામે જ ફટકારી હતી. ભારત સામે રમવાનો તેણે કાયમ આનંદ ઉઠાવ્યો છે. તેણે વન-ડે કિક્રેટમાં સૌથી વધુ સદી અને સૌથી વધારે રન ભારત સામે જ બનાવ્યાં છે. તેની કારકિર્દીનો સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને અસ્ત થતો સૂર્ય હંમેશા વધુ ખીલે છે.
જયસૂર્યાએ ગઇકાલે 13,000 રન પૂર્ણ કર્યાં તો મુરલીએ વન-ડે ક્રિકેટમાં 500 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી. તેણે વન-ડે કિક્રેટ કારકિર્દીમાં કુલ 501 વિકેટ ઝડપી છે અને હવે તે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનવાથી માત્ર બે પગલાં દૂર છે. આ વિક્રમ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસિમ અક્રમના નામે છે જેણે કુલ 502 વિકેટ ઝડપી છે. મુરલી બાકીની ચાર વન-ડેમાં આ સિદ્ધિ મેળવી લેશે તે નક્કી છે.

दर्द की दवा क्या है


दिल-ए-नादां तुझे हुआ क्या है
आखिर इस दर्द की दवा क्या है

हम हैं मुश्ताक और वह बेजार
या-इलाही, यह माजरा क्या है

मैं भी मुंह में जबान रखता हूं
काश, पूछो कि मुद्आ क्या है

जबकि तुझ बिन नहीं कोई मौजूद
फिर यह हंगामा, ए खुदा क्या है

यह परी-चेहरा लोग कैसे हैं
गमजा-ओ-इशवा-ओ-अदा क्या है

शिकन-ए-जुल्फ-ए-अंबारी क्यों है
निगहे-चश्म-ए-सुरमा सा क्या है

सब्जा-ओ-गुल कहां से आए हैं
अब्र क्या चीज है, हवा क्या है

हमको उनसे, वफा की है उम्मीद
जो नहीं जानते, वफा क्या है

हां भला कर, तेरा भला होगा
और दरवेश की सदा क्या है

जान तुम पर निसार करता हूं
मैं नहीं जानता, दुआ क्या है

मैंने माना कि कुछ नहीं 'गालिब'
मुफ्त हाथ आए तो बुरा क्या है

मिर्जा गालिब

Wednesday, January 28, 2009

મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે



પુસ્તકઃ સ્ત્રી-પુરુષ સહજીવન
લેખકઃ દાદા ધર્માધિકારી
કિંમતઃ રૂ. 30
પ્રકાશકઃ યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા


સ્ત્રી-પુરુષનું સહજીવન ઉપભોગ સારું નહીં, પણ આનંદ સારુ હોય એ એક સાધના છે. બંને એકમેકની સાથે રહે અને એકમેકના જીવનને પવિત્ર અને સુંદર માને, એકમેકના જીવનને અધિક સુંદર બનાવવાની કોશિશ કરે, તેઓ બંને અથવા જેટલા સાથે રહેતા હોય તેઓ એકમેકના જીવનને સંપન્ન કરે. बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च - એકમેકને મારો બોધ આપે છે, મારું વર્ણન કરે છે અને તેમાં સંતોષ પામે છે, આનંદ આપે છે, परस्परं भावयन्तः श्रेयः परं अवाप्यस्थ - એકમેકના રક્ષણની, સંવર્ધનની, વિકાસની, કલ્યાણની ભાવના રાખીને પરમ શ્રેય પ્રાપ્ત કરે છે. એકમેકને સંભાળીશું, એકમેકને શીખવીશું, એકમેકને પ્રકાશ આપીશું.
તેથી મેં કહ્યું કે સહજીવન સારું ભૂમિકા સમાન હોવી જોઇએ. જ્યાં બરાબરીની ભૂમિકા નહીં હોય ત્યાં સહજીવન નહીં સંભવે. એટલે સૌ પ્રથમ સ્ત્રી-પુરુષની ભૂમિકા સમાન જોઇએ. તેમાં મુશ્કેલી ક્યાં નડે છે?
સૌથી પહેલી મુશ્કેલી એ છે કે સ્ત્રી અને પુરુષ એકમેકના સંપર્કથી ડરે છે અને તેમાંયે પુરુષના સંપર્કથી સ્ત્રી વધુ ડરે છે. પોતાની નૈસર્ગિક શરીરરચનાના કારણે સ્ત્રી પુરુષના સંપર્કથી વધારે ડરે છે. સ્ત્રીને માટે પુરુષ આક્રમણકારી હોય છે અને પુરુષ માટે સ્ત્રી કામિની છે, કામવાસનાનું પ્રતિક છે!
ફ્રોઈડ નામે એક માનસશાસ્ત્રી યુરોપમાં થઈ ગયો, સ્વપ્નમીમાંસા એ એનો મુખ્ય સિદ્ધાંત છે. આપણે જે સ્વપ્ન જોઇએ છીએ તે ક્યાંથી આવે છે? તેનું કહેવું છે કે કેટલીક અતૃપ્ત વાસનાઓ, કલ્પનાઓ, આકાંક્ષાઓ આપણા મનની અંદર છુપાયેલી પડી હોય છે. જેમ ચોરો છુપાઈ જાય છે; કે આંદોલનના નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા જાય છે તેવી રીતે કેટલીક ચીજો આપણા અંદરના મનમાં છુપાયેલી હોય છે. અસલમાં મન તો એક જ છે. પરંતુ જેમ ઉનાળામાં ગંગાજીમાં નહાવા જાઓ તો ઉપરનું પાણી સહેજ ગરમ હોય છે અને નીચેનું પાણી ઠંડું હોય છે, એવી રીતે આ અંદરનું મન કહેવાય છે. તે મનમાં કેટલીક વાસનાઓ છુપાયેલી રહે છે. તે બધી આપણાં સ્વપ્નોમાં દેખા દે છે. તેમાં મુખ્ય વાસના કઈ છે? ફ્રોઈડે કહે છે કે કામવાસના મુખ્ય છે. તે સૌથી વધુ પ્રબળ છે અને તેનો રંગ બીજા પર ચઢે છે.
પણ તમે જોયું હશે કે સ્ત્રી-પુરુષ આખી જિંદગી સાથે રહે છે, તેઓ કેવળ શરીરનિષ્ઠ નથી રહી શકતાં. કેવળ શરીરનિષ્ઠ રહેશે તો તેમનું સહજીવન અસંભવ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં શારીરિકતા જેટલી ઓછી હશે અને પ્રેમ-સંબંધ અને હાર્દિકતા જેટલી વધારે હશે એટલો એમનો સંબંધ સ્થાયી અને પાકો થશે, પવિત્ર થશે. તે ખરું છે કે એ બંને કાંઈ અશરીર તો નથી. માત્ર એમના આત્મા સાથે સાથે નથી રહેતા પણ એમનાં શરીર એકમેકની સાથે રહેતાં હોય છે. પરંતુ એટલું ખ્યાલમાં રહેવું જોઇએ કે કેવળ શારીરિકતા હોય તો એ શબની સાથે રહેવા જેવું થઈ જાય છે. ત્યાં પછી એ જીવન નથી, એ તો મૃત્યુ છે. એટલે શરીરની સાથેસાથે મન અને હ્રદય પણ સાથે રહેવાં જોઇએ. એમ થશે તો શારીરિકતા ક્ષીણ થતી જશે.
મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં સ્વાર્થ કે મતલબનું પ્રમાણ જેટલું વધારે તેટલું તેમનું સહજીવન મુશ્કેલ બને છે.

Tuesday, January 27, 2009

હૂં ગિરફતારે ઉલફતે સૈયાદ, વર્ના બાકી હૈ તાકતે પરવાઝ...


પ્રેમ એક એવું સુંદર દર્દ છે જેની પીડા સહેવાની પણ એક મજા છે. દુનિયાનો તે એકમાત્ર એવો રોગ છે જેની દવા દર્દ પોતે છે. પ્રેમમાં પડેલ પંખીને કાં તો દિલબરનો સાથ જોઇએ કાં પછી તેની યાદ જોઇએ. દિલબરની યાદ પીડા પણ આપે છે અને સાથેસાથે તેનું શમન પણ કરે છે. પીડા અને વિયોગ જ જેની દવા છે તેવા રોગનું નામ જ પ્રેમરોગ છે. પ્રેમની જાળ જ એવી છે જેમાંથી પ્રેમીઓ બહાર નીકળવાનું પસંદ કરતાં નથી. એટલે તો સમી સાંજે જ્યારે ફૂલ બીડાય છે ત્યારે મધુકર તેમાંથી બહાર નીકળવાને બદલે તેની બાહોમાં જ સમાઈ જઈ અંતિમ શ્વાસ લેવાનું પસંદ કરે છે. પ્રેમી સ્વૈચ્છિક બંદી છે જેને પ્રેમરૂપી કારાવાસમાં રહેવાનું ગમે છે. એટલે તો ગાલિબે કહ્યું છે કેઃ

હૂં ગિરફતારે ઉલફતે સૈયાદ,
વર્ના બાકી હૈ તાકતે પરવાઝ.
સૈયાદના માધ્યમ વડે ગાલિબે પ્રેમીઓની સ્વૈચ્છિક કારાવાસની માનસિકતા રજૂ કરી છે. તેઓ કહે છે કે, જેણે મને બંદી બનાવ્યો છે, જેણે મને ક્યારેય ન ભૂલાય તેવું દર્દ આપ્યું છે, યા ખુદા આ તો કેવી કસોટી છે કે અમે તેના જ પ્રેમમાં પાગલ થઈ ગયા છીએ, તેની જ નશીલી આંખોમાં ખોવાઈ ગયા છીએ. નહીંતર હજુ પણ મારામાં ઊડવાની શક્તિ બાકી છે. ગુલામીની જંજીરોમાં જકડાઈ રહેવું કોઇને ન ગમે, પણ પ્રેમ એક એવી અવસ્થા છે જેની જંજીરોને ફેંકવી કોઇને ન ગમે. પ્રેમીઓ ખુદાને આ બેડીઓ વધુને વધુ મજબૂત કરવાની બંદગી કરે છે, પ્રેમરસ વધુ ઘોળવાની ઇબાદત કરે છે.
સામાન્ય રીતે તમને જે બંદી બનાવે કે ગુલામ બનાવવા માગે તેના પ્રત્યે તમને ગુસ્સો ચઢે છે. તમને કોઈ રોગ થાય તો તમે તેને ધિક્કારો છો, તેમાંથી ઝડપથી છૂટકારો મેળવવા પ્રયાસ કરો છો, પણ પ્રેમ એવું પાગલપન છે જેમાં તમને બંદી બનાવનાર દિલબરનો સાથ ઝંખો છો. તેના દીદાર થાય તે માટે ખુદાને બંદગી કરો છો. મનોવિજ્ઞાન 'સ્ટોકહોમ સિન્ડ્રોમ' નામ ધરાવતી એક માનસિક અવસ્થા છે જેમાં મુક્ત થયેલી વ્યક્તિ અપહરણ કરનારની પ્રશંસા કરવા લાગે છે. પ્રેમીઓ પણ કદાચ આ જ માનસિક અવસ્થામાં આવી જતા હોય છે.
તેઓ તેમને પોતાની ઝુલ્ફોમાં કેદ કરનાર દિલબરના જ વખાણ કરવા લાગે છે. એવું નથી કે તેઓ તેમાંથી છૂટવા સમર્થ નથી. હકીકતમાં તેઓ પોતાની તમામ ક્ષમતાનો ઉપયોગ તેમાં જકડાઈ રહેવા જ કરે છે. તાકતે પરવાઝ (ઊડવાની કે બંદીગૃહમાંથી છૂટવાની શક્તિ)નો ઉપયોગ કર્યા વિના જ પ્રેમી પોતાના દિલબરને તાબે થઈ જાય છે.


Thursday, January 22, 2009

શૈલેશ ગાંધીઃ ગાંધીવાદીઓના ધોતિયા ઢીલા કરતો ગાંધીવાદી


સિદ્ધાંતોની વાત કરવી બહુ સરળ છે, પણ તેને જીવનમાં ઉતારવા બહુ અઘરાં છે. ગાંધીજીના સિદ્ધાંતો વિશે જાહેરમાં પ્રવચનો કરી કે અખબારોમાં ન સમજાય તેવી ગાંધીજી પરના લેખો લખી વાહ વાહ લૂંટનારા તો તમને અનેક મળી જશે પણ ખરેખર તેને જીવનમાં ઉતારનારા કેટલાં? જે લોકો ગાંધીજીના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતાર્યા હોવાનું એલાન કરતાં હતા તેઓ પણ હવે સમજી ગયા છે કે બાપૂના નીતિ-નિયમોને જીવનમાં ઉતારવા છપ્પનની છાતી જોઇએ, નહીં કે મુન્નાભાઈ જેવા મગતરાઓની.
પોતાના હંમેશા ગાંધીજીના પરમ ભક્ત તરીકે ઓળખાવતા શૈલેશ ગાંધી કેન્દ્રીય સૂચના પંચના કમિશનર નહોતાં બન્યાં તે પહેલાં તેમણે ગાડી, બંગલો જેવી કોઈ સરકારી સુવિધા નહીં લેવાનું અને પગાર પેટે માત્ર એક રૂપિયો ટોકન લેવાના બણગા ફૂંક્યા હતા. પણ આ મહાશય કમિશનર બન્યાં પછી તેમની જીવનશૈલી ગાંધીને બદલે નહેરું જેવું થઈ ગઈ છે. તેમના આ બદલાયેલા સ્વરૂપને જોઇને તેમના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરનારા અણ્ણા હજારે જેવા સામાજિક કાર્યકર્તાઓના તો ધોતિયા ઢીલા થઈ ગયા છે.
વાત એમ છે કે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં કેન્દ્રીય સૂચના પંચમાં સરકાર ચાર નવા કમિશનરોની નિમણૂંક કરવાની હતી. આ બાબતની જાણકારી પ્રાપ્ત થતાં સૂચના અધિકારના ક્ષેત્રમાં કાર્યરત લોકો સક્રિય થઈ ગયા. તેમનું માનવું હતું કે, સૂચના કમિશનરોનું વલણ સરકારના ટટ્ટુઓ જેવું હોવાથી રાઇટ ટૂ ઇન્ફોર્મેશન (માહિતીના અધિકાર)નો જોઇએ તેવો લાભ જનતા જનાર્દનને મળતો નથી. એટલે આ બધા સમાજના પહેરેદારોએ કેન્દ્ર સરકારને એક ચિઠ્ઠી લખી અને ચાર નામની ભલામણ કરી તેમાંથી કોઈ એકની કેન્દ્રીય સૂચના પંચના કમિશનર તરીકે નિમણૂંક કરવા વિનંતી કરી. આ ચારેમાંથી જેની નિમણૂંક થશે તેઓ એક પણ સરકારી લાભ નહીં લે અને દર મહિને માત્ર એક રૂપિયો ટોકન પગાર લેશે તેવું વચન પણ સમાજના રખેવાળોએ સરકારને આપ્યું હતું.
આ પત્ર અણ્ણા હજારે, અરવિંદ કેજરીવાલ અને સંદીપ પાંડે વગેરે સામાજિક કાર્યકરોએ વડાપ્રધાન મનમોહન સિંઘ, કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી, વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી (આમ તો આડવાણી) અને રાજ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણને મોકવ્યો હતો. આ પત્ર વાંચીને વડાપ્રધાન સહિત બધા નેતાઓ તો રાજીના રેડ થઈ ગયા હતા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે આપણે બાપૂના નિયમોનું પાલન કરીએ કે ના કરીએ પણ આ દેશમાં ગાંધીસિદ્ધાંતોને વરેલા લોકો હજુ પણ છે.
સરકારે સામાજિક કાર્યકતાઓએ સૂચવેલા ચાર નામમાંથી શૈલષ ગાંધીની ગયા વર્ષે 18મી સપ્ટેમ્બરે નિમણૂંક કરી દીધી. 62 વર્ષીય શૈલેષ બાબુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મુંબઈના સ્નાતક છે. થોડો સમયે તેમણે પોતાનો ઉદ્યોગ-ધંધો ચલાવ્યો, પણ પછી તેમને ગાંધીજીના જીવનકવનમાંથી સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના જાગી. ધંધાને રામરામ કરી દીધા અને માહિતી અધિકારના કાયદાની લડતમાં જોડાઈ ગયા. આ લડત દરમિયાન તેમની વાતોથી હજાર અને સંદીપ પાંડે અંજાઈ ગયા અને તેમણે સરકારને કેન્દ્રીય સૂચના પંચના કમિશનર બનાવવાની ભલામણ કરી. પણ અત્યારે શૈલેષ બાબુને સૂટબૂટમાં સરકારી ગાડીમાં ફરતાં જોઈ આ બધા મોંમા આંગળા નાંખી ગયા છે.
શૈલેષ બાબુ અત્યારે સરકારી બંગલામાં જ રહે છે. સરકારી ગાડીમાં જ શૈલુની ગાડી પોમ પોમ ચાલે છે. હા, તેમની પ્રામાણિકતા પર તો આપણને બધાને માન થવું જોઇએ. શૈલુએ પોતાના ગાંધીવાદી મિત્રોને ચિટ્ઠી લખીને જણાવ્યું છે કે, ''મિત્રો, મને માફ કરજો. મેં સરકારી બંગલા, પગાર જેવા કોઈ ફાયદા નહીં લેવાનું વચન આપ્યું હતું. હવે તેને જતું નહીં કરવાનો નિર્ણય લીધો છે. હું જાણું છું કે મારા આ કદમથી મારા કેટલાંક મિત્રો નિરાશ થશે, પણ વચન આપીને મેં મોટી ભૂલ કરી હતી અને હવે સરકારી ભાડા-ભથ્થાં લઇને તેને સુધારી રહ્યો છું.''
તેમના આ એકરારથી અણ્ણા હજારે તો સ્તબ્ધ થઈ ગયા છે. તેમને કદાચ થતું હશે કે,
હમકો અપનોને ભી લૂંટા, ગૈરો મેં કહાં દમ થા,
હમારી કિશ્તી ડૂબી વહાં જહાં પાની હી કમ થા.


હજારે પોતાની નિરાશા વ્યક્ત કરતાં કહે છે કે, ''તેમની પાસેથી બહુ આશા હતી. પણ તેમણે અમારા બધાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. સવાલ એ છે કે, હવે લોકો ભરોસો કોના પર કરે?''

સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે


સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.

તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.

ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જોઈએ,
જો આપ હશો તો સાથે ફરવામાં મજા મળશે.

દુનિયાના દુઃખો તારો આઘાત ભૂલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.

માનવને ય મળવામાં ગભરાટ થતો રે'છે,
શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.

થોડાક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.

હું યત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તકદીર વિના મળશે.

સમજી લ્યો 'મરીઝ' એની સૌ વાત નિરાળી છે,
'હા'માં કદી 'ના' મળશે, 'ના'માં કદી 'હા' મળશે.

મરીઝ

Monday, January 12, 2009

ક્યાં સ્વામી વિવેકાનંદ અને ક્યાં ચોખ્ખા ઘી ખાઈને ખાઇબદેલા આજના ભગવા વસ્ત્રધારી દલાલો ?


આજે રાષ્ટ્રવીર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે એટલે સવારે નવ વાગે ટાઉનહોલની સામે સ્થિત તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ હતો. એક તરફ બાળકો ગુલાબના ગોટા સ્વામીજીને અર્પણ કરતાં હતા તો બીજી તરફ તેમના જેટલી જ વયના અને કેટલાંક તેમનાં કરતાં કદાચ નાની વયનાં ભૂલકાં ભીખ માગતા હતા. તેમને તો કદાચ ખબર પણ નહોતી કે આ પ્રતિમા કયા મહાનુભવની છે. શાળાએ જવાને બદલે ભીખ માગવાની મજબૂરી !

દરરોજ રોડ પર ભીખ માગતા, વગર પૂછ્યે ગાડીના કાચ લૂછી તેના માલિકોની રહેમનજર મેળવવા માગતા, બૂટપોલિશની થેલી હાથમાં લઈ ઠેરઠેર ફરતાં સેંકડો બાળકો નજરે પડે છે। તેમને જોઈને તરત જ વિવેકાનંદના વચનામૃત યાદ આવે છે. તે કહેતાં કે, ''હિંદમાં હજારો માણસો ભૂખથી મરી રહ્યાં છે; લાખો ભૂખ્યા હિંદીઓ રોટી માટે પોકાર પાડી રહ્યાં છીએ. તેઓ આપણી પાસે રોટલો માગે છે, જ્યારે આપણે પાણાં આપીએ છીએ.''

હા, આપણે પાણાં આપીએ છીએ। લાચાર અને નિઃસહાય બાળકો એક રૂપિયાની આશાએ કારનો કાચ લૂછી આપે છે અને તેમાં ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરી બેઠેલો કારનો માલિક તેને ન સંભળાય તેવી ગાળ આપે છે. તેને એક રૂપિયો ના દે તો કાંઈ નહીં પણ કમ-સે-કમ ગાળ ન સંભળાવે તો ન ચાલે? મજબૂરીનો શિકાર બનેલા આ બાળકો સુસભ્ય અને સંસ્કારી દેખાતા સ્વાર્થી સમાજની ગાળો ખાવા ટેવાઈ ગયા છે. તે તો આગળ જઈને બીજી કારનો કાચ લૂછવાં લાગે છે. તે એમ માનતો હશે કે ધનિકો અને સુખીસંપન્ન પરિવારોની આ જ સભ્યતા છે અને મોટેભાગે તે જ વાસ્તવિકતા છે.

હિંદુસ્તાનમાં ધાર્મિક નિર્દયોની કોઈ કમી નથી। ગુજરાત તેમાં પણ કદાચ નંબર વન છે. અહીં જેટલાં સંપ્રદાયો ફૂલ્યાં-ફાલ્યાં છે તેટલાં કદાચ કોઈ બીજા રાજ્યમાં જોવા નહીં મળે. છાશવારે કોઈ બાવો કે અમ્મા ગુજરાતમાં ધામા નાંખે છે અને તેમની પાછળ ઘેટાં દોડાદોડ કરે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ગુજરાતીઓ ધાર્મિક છે. પણ તે મહદ્ અંશે અધકચરી છે. ગુજરાતીઓ સ્વાર્થી ધાર્મિકો છે. તેમનો ધર્મ તો અર્થ અને રાજકારણ સાથે જોડાયેલો છે. મોટાભાગના ધાર્મિક ગુજરાતીઓ ધર્મને ખાતર ધર્મ કે માનવતા એ જ ધર્મને માનતા નથી, પણ પ્રસિદ્ધિ અને પોઝિશન અપાવે તે ધર્મ તેવી માન્યતા સાથે જ કોઈ સંપ્રદાયમાં ધામા નાંખે છે.

સ્વામી વિવેકાનંદના ધર્મનાં મૂળમાં રાષ્ટ્રનું ચિંતન હતું। તેઓ દેશમાંથી ગરીબી દૂર કરવા ધર્મને સાધન બનાવવા માગતા હતા. તેના બદલે આપણે ધર્મને સમાજમાં આપણી પહોંચ વધારવાનું માધ્યમ બનાવી દીધું. આપણા નેતાઓ ધર્મનો ઉપયોગ પોતાની ખુરશી ટકાવવા કરી રહ્યાં છે અને દિવસે ચોખ્ખાં ઘીની લાડુડી ખાતાં સાધુ-સંતો રાતે એર-કન્ડિશન્ડ ઓરડામાં રંગરેલિયા મનાવી રહ્યાં છે. રાજકારણીઓ અને ધાર્મિક આગેવાનો ધર્મના નામે બુદ્ધિહીન અને સ્વાર્થી પ્રજાને ઘેનમાં રાખી શોષણ કરી રહ્યાં છે.

વિવેકાનંદ કહેતાં કે, ''હિંદમાં જે પૂજારી પૈસા માટે ઉપદેશ કરે છે તે પોતાની જ્ઞાતિ ગુમાવે છે અને લોકો એના પર થૂંક છે।'' અત્યારે કદાચ વિવેકાનંદનો આત્મ રડતો હશે. તેમને થતું હશે કે તે કેટલાં ખોટા હતા. અત્યારે તો સાધુ-સંતો નિર્લજ્જ થઇને ઉઘરાણું કરી રહ્યાં છે, કુબેરની જેમ તેમના ભંડારો છલકાઈ રહ્યાં છે અને તેના પર થૂંકવાને બદલે લોકો તેમની ઘેરઘેર પધરામણી કરી રહ્યાં છે.

ક્યાં સ્વામી વિવેકાનંદનું તત્વચિંતન અને ક્યાં આજનાં ચોખ્ખી ઘી ખાઈને ખાઇબદેલા ભગવા વસ્ત્રોધારી દલાલોનો ધર્મ?

આપો તો આટલું આપો રે !


રવીન્દ્રનાથ સાથે વાચનયાત્રા
સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી
કિંમતઃ રૂ. 30

મહેન્દ્ર મેઘાણી સંપાદિત પુસ્તકો એટલે સાહિત્યરસિકો માટે લગડી. ગુજરાતી વાચકોને રવીન્દ્રનાથના પદ્ય અને ગદ્યનો પરિચય મળી રહે તે માટે ઝવેરચંદ મેઘાણી, નગીનદાસ પારેખ, સુરેશ જોષી, જુગતરામ દવે, મહાદેવ દેસાઈ, કુન્દનિકા કાપડિયા જેવા વિવિધ લેખકોએ કરેલા એંશીએક અનુવાદો આ પુસ્તકોમાં રજૂ કરવામાં આવ્યાં છે. આ પુસ્તકનું આચમન કરનારને ગુજરાતીમાં પ્રાપ્ય રવીન્દ્રનાથનાં પુસ્તકોનું પાન કરવાની હોંશ થશે. નમૂના માટે રવીન્દ્રનાથની એક કવિતા અને એક લેખનો અનુવાદ રજૂ કર્યો છે.

આપો તો આટલું આપો રે !
ભીડું મારી ભાંગો એવી કંઈ
કે હું તો જાચના જાચું નહિ !
આપો તો આટલું આપો રે, (2)
કદી હું ભીડથી બીઉં નહિ !

દુઃખોની લાયમાં ટાઢક દઈ
દિલાસો ના દો તો કંઈ નહિ;
આપો તો આટલું આપો રે, (2)
દુઃખોને જીતું સહી લઈ.

તમે મને તારજો તારણહાર !
કે એવી જાચના જાચું નહિ;
આપો તો આટલું આપો રે, (2)
તરું પણ થાકે ના મારી દેહી !

ભાર મારો હળવો કરી દઈ,
દિલાસો ના દો તો કંઈ નહિ;
આપો તો આટલું આપો રે, (2)
બધોયે ભાર શકું હું વહી.

હશે જ્યારે સુખનો ઉજ્જવળ દિન,
લળી લળી નીરખીશ તારું વદન;
દુઃખની જ્યારે રાત થશે ને
ભૂલશે સકળ મહી;
તે વારે આટલું આપો રે,
આપો તો આટલું આપો રે,
તમો પર આસ્થા તૂટે નહિ !

અનુ. જુગતરામ દવે

* * * * *
કોઈ આપણા પ્રત્યે કશો અન્યાય ન કરે એવો નિયમ નથી

આપણા ઉપાસનાના મંત્રમાં આવે છે : સુખકરને નમસ્કાર, કલ્યાણકરને નમસ્કાર. પણ આપણે સુખકરને જ નમસ્કાર કરીએ છીએ, કલ્યાણકરને હંમેશા નમસ્કાર કરી શકતા નથી. કલ્યાણકર કંઈ કેવળ સુખકર જ નથી, તે દુઃખકર પણ છે. એટલે દુઃખભીરુ વેદનાકાતર આપણે દુઃખથી પોતાને બચાવવા માટે જાતજાતનાં આવરણ રચીએ છીએ. તેથી શું થાય છે? સત્યના પૂર્ણ સંસ્પર્શથી આપણે વંચિત રહીએ છીએ.

ધની વિલાસી લોકો બધી મહેનતથી પોતાને બચાવીને કેવળ આરામમાં મગ્ન રહે છે. એથી તેઓ પોતાને પાંગળા બનાવી દે છે, પોતાના હાથ-પગ ઉપર તેઓનો અધિકાર રહેતો નથી. જે બધી શક્તિઓ લઈને તેઓ પૃથ્વીમાં જન્મ્યા હતા, તે બધી કામના અભાવે પૂરો વિકાસ પામી શકતી નથી, ચીમળાઈ જાય છે, વિકૃત થઈ જાય છે.

પૃથ્વીમાં આવીને જે વ્યક્તિએ દુઃખ ન જોયું તેને ઈશ્વર તરફથી તેનો પૂરો હિસ્સો ન મળ્યો, તેનું ભાથું ઊણું રહી ગયું સમજવું.

જે માણસ મિત્રની પાસેથી કદી આઘાત પામતો નથી, માત્ર સ્નેહ-સન્માન જ પામે છે તે હતભાગી મિત્રતાના પૂરા આસ્વાદથી વંચિત રહે છે - મિત્રો તેના સંબંધમાં પૂરેપૂરા મિત્રો બની શકતા નથી.

જગતમાં આપણો આ દુઃખનો હિસ્સો સંપૂર્ણ ન્યાયસંગત હોય જ એમ બનતું નથી. જેને આપણે અન્યાય કહીએ છીએ, અનુચિત કહીએ છીએ, તેનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. અન્યાય અને અનુચિતનો પણ આપણે યોગ્ય રીતે સ્વીકાર કરી શકીએ, એવું આપણામાં સામર્થ્ય હોવું જોઈએ.

પૃથ્વીમાં આપણે ભાગે જે સુખ આવે છે તે પણ શું એકદમ બરાબર હિસાબસર આવે છે ? ઘણી વાર આપણે ગાંઠથી જે દામ ચૂકવીએ છીએ તેના કરતાં વધારે ખરીદ કરી બેસતા નથી ? પણ ત્યારે આપણે કદી એવો વિચાર નથી કરતા કે આપણે એને લાયક નથી। બધું જ ખાસ્સા અસંકોચપૂર્વક બથાવી પાડીએ છીએ ! શું દુઃખની વખતે જ માત્ર ન્યાય-અન્યાયનો હિસાબ મેળવવાનો ? બરાબર હિસાબસર આપણને કોઈ જ વસ્તુ મળતી નથી.

તેનું એક કારણ છે. ગ્રહણ અને વર્જનની મારફતે જ આપણા પ્રાણની ક્રિયા ચાલતી હોય છે. આપણા પ્રાણનો, આપણી બુદ્ધિનો, આપણા સૌંદર્યબોધનો, આપણી મંગલ પ્રવૃત્તિનો, ખરું જોતાં આપણી સમસ્તા શ્રેષ્ઠતાનો મૂળ ધર્મ જ એ છે કે તે માત્ર લેશે નહિ, ત્યાગ પણ કરશે.

સંસારમાં આપણને કેવળ ન્યાય હોય તો જ મળે, કોઈ આપણા પ્રત્યે કશો અન્યાય ન કરે એવો નિયમ નથી. સંસારમાં ન્યાયની સાથે અન્યાય ભળેલો હોય એ આપણા ચારિત્ર્યને માટે અત્યંત આવશ્યક છે. નિઃશ્વાસ-પ્રશ્વાસની ક્રિયાની પેઠે આપણા ચારિત્ર્યમાં એવી એક સ્વાભાવિક શક્તિ હોવી જોઈએ જેથી આપણે જે આપણું પ્રાપ્ય હોય તેટલું અનાયાસે ગ્રહણ કરીએ અને જે ત્યાજ્ય હોય તેટલું વિના ક્ષોભે ત્યાગી શકીએ.

આથી સમગ્ર મન-પ્રાણથી તૈયાર થાઓ - જેઓ સુખકર છે તેમને પ્રણામ કરો અને જેઓ દુઃખકર છે તેમને પણ પ્રણામ કરો - તો જે સ્વાસ્થ્ય મળશે, શક્તિ મળશે - જેઓ શિવ છે, જેઓ શિવતર છે તેમને જ પ્રણામ કર્યા ગણાશે.

અનુ. નગીનદાસ પારેખ

Thursday, January 8, 2009

''માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની?''



ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.
આ પંચશીલ સૂત્રોના પ્રણેતા વિપુલ કલ્યાણી એટલે ગુજરાતી માતૃભાષાના જતન માટે જીવતા અને જીવવાની પ્રેરણા આપતા વિદેશમાં વસતા સવાયા ગુજરાતી. વિલાયતની 'ગુજરાત સાહિત્ય અકાદમી'ના મહામંત્રી વિપુલ કલ્યાણી બ્રિટનમાં ગુજરાતી માસિક સામયિક 'ઓપિનિયન'ના તંત્રી છે. 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી પ્રકાશ ન શાહના ઘરે તેમની સાથે ગુજરાતી ભાષા અને સાહિત્ય પર થયેલી વાતચીતઃ

પંચશીલ સૂત્ર...
પાકિસ્તાનમાં 1980ના દાયકામાં મોહમ્મદ પીલાણી ગુજરાતી સામયિક 'મેમણ ન્યૂઝ' ચલાવતા હતા। તેઓ આર્થિક રીતે સદ્ધર હતા. સામયિકનું સંપાદકીય કામકાજ અન્ય કોઈ વ્યક્તિ સંભાળે પણ પીલાણને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ પ્રેમ. તેઓ ક્યારેક-ક્યારેક સામયિકમાં લેખ પણ લખતા. એક વખત તેમણે તેમના લેખમાં 'ગુજરાતી વાંચીએ', 'ગુજરાતી સાંભળીએ' અને 'ગુજરાતી લખીએ' આ ત્રણ સૂત્રો આપ્યાં. મને તે ખૂબ પસંદ પડી ગયા. પણ તેમાં અમે થોડો સુધારો કર્યો. પીલાણી સાહેબના સૂત્રોમાં બીજા લોકોને ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ રાખવાનું કહેવામાં આવતું પણ તેમાં વ્યક્તિએ પોતે ગુજરાતી ભાષા માટે કશું કરવાનું નહોતું. એટલે અમે તેમાં 'ગુજરાતી બોલીએ', 'ગુજરાતી જીવીએ'-એમ બે સૂત્ર જોડી દીધા. આ રીતે આ પંચશીલ સૂત્રનો જન્મ થયો.

મળી મળી મને માતૃભાષા ગુજરાતી...
ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે, આપણા વારસાની ભાષા છે। મારા બાપદાદાનું વતન જામનગર પણ મારો પ્રાથમિક અભ્યાસ જામખંભાળિયામાં. તે સમયે મારા શિક્ષક કાંતિભાઈ અને હેડમાસ્ટર એમ પી ભટ્ટે ગુજરાતી ભાષા પ્રત્યે મારી પ્રીત બાંધી. તમને કયા વિષયમાં રસ પડશે તેનો સૌથી મોટો આધાર તમારા પ્રાથમિક શિક્ષકો પર છે અને મને શિક્ષકો હંમેશા ઉત્તમ મળ્યાં છે. મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો અભ્યાસ પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં મેરુ પર્વતની તળેટીમાં અરુસામાં કર્યો. ત્યાં મને રણજીત દેસાઈ અને બાલકૃષ્ણ દેસાઈ જેવા શિક્ષકો મળ્યાં જેમણે ગુજરાતી ભાષા પ્રત્યેના મારા પ્રેમમાં વૃદ્ધિ કરી. અત્યારે હું ગુજરાતી ભાષા પ્રત્યે જે કાંઈ ફરજ અદા કરું છું તે આ શિક્ષકોની દેણગી છે.

માતૃભાષા એટલે આત્મવિશ્વાસ...
કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત અભ્યાસો પરથી સાબિત પણ થઈ છે.
ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાના માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપીયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે.
વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા સાક્ષર મહામાનવ ગાંધી, મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્તા ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.
મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે। માતૃભાષા આપણો વારસો છે અને તે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.

ગુજરાતી ભાષાનું ભવિષ્ય...
ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે। આપણે આપણી જ મા (માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુદ્ધાં અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઉતારવો જોઇએઃ 'માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી'

ગુજરાત સરકારઃ ન દિશા, ન દૃષ્ટિ.....
ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.

વૈશ્વિકરણ અને પ્રાદેશિક ભાષાઓ.....
વૈશ્વિકરણે છેવાડાના માણસનો દાટ વાળ દીધો છે. તેમાં સામાન્ય માણસની કોઈ ચિંતા નથી. ચિંતા છે ધનિકો અને ઉદ્યોગપતિઓની. આપણે વાત ભાષાની કરીએ તો વૈશ્વિકરણે પ્રાદેશિક ભાષાના મૂળિયા હચમચાવી દીધા છે. કોઈ પણ ભાષાના મૂળમાં રોજગારી અને અર્થતંત્ર હોય છે. વૈશ્વિકરણમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધતું જાય છે. રોજગારી અને અર્થતંત્ર અંગ્રેજી આધારિત છે. એટલે સ્વાભાવિક રીતે લોકોનો ઝુકાવ તેની તરફ વધી રહ્યો છે. પણ તેનો ભાગ માતૃભાષાઓ બની રહી છે. અધૂરામાં પૂરું આ માતૃભાષાઓને સરકાર અને અર્થતંત્રનું પીઠબળ રહ્યું નથી એટલે પડતાં પર પાટું. ગુજરાતની યુનિવર્સિટીઓ પણ અમેરિકન યુનિવર્સિટીઓનું આંધળું અનુકરણ કરી રહી છે અને ધનિકો તથા બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ)ના સંતાનોની બની ગઈ છે.

બ્રિટનમાં ગુજરાતી ભાષા.....
કેન્દ્ર સબળ હશે તો પરિઘે કામ થશે। ગુજરાતમાં વસતા ગુજરાતીઓ પોતાની માતૃભાષાનું કેવું જતન કરે છે તેને આધારે વિદેશમાં ગુજરાતી ભાષાની દશા અને દિશા નક્કી થશે. બ્રિટનમાં પહેલી ગુજરાતી પ્રાથમિક શાળાની શરૂઆત વર્ષ 1964માં થઈ હતી. તે પછી 1990ના દાયકા સુધી ગુજરાતી શાળાઓની સંખ્યા વધતી જતી હતી. ત્યાં સુધી આ શાળાઓમાં એકાદ લાખ ગુજરાતીઓએ ગુજરાતી ભાષામાં જ શિક્ષણ લીધું હતું. પણ ધીમેધીમે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ત્યાં વસતા ગુજરાતીઓ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે.

બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી.....
બ્રિટનમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની શરૂઆત 12મી ફેબ્રુઆરી, 1977ના દિવસે થઈ હતી। તેને હવે ત્રણ દાયકા પૂરાં થઈ ગયા છે. અકાદમી અંતર્ગત ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નિયમિતપણે કાર્યક્રમો યોજે છે. અમારી પાસે 60થી 70 કવિ-લેખકો છે જેમાં દીપક બારડોલીકર, અદમ ટંકારવી, યોગેશ પટેલ, બળવંત નાયક અત્યંત પ્રતિભાશાળી છે.

વર્તમાન ગુજરાતી સાહિત્ય.....
સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ બંનેમાં વાંચન ઘટ્યું હોય તેવું મને લાગે છે। સર્જકોમાં જોઇએ તેવી સજ્જતા વર્તાતી નથી। તેની પાછળ શિક્ષણનું કથળતું જતું સ્તર જવાબદાર છે. એક સમયે લોકશિક્ષકો અને મહાજનો ગુજરાતી ભાષા અને સાહિત્યને પ્રોત્સાહન આપતાં હતા. લોકો સુધી ગુજરાતી સાહિત્યને પહોંચાડવાનું એક મિશન હતું, એક દૃષ્ટિ હતી, સમજણ હતી. આજે ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પડકાર વધી રહ્યો છે. ગુજરાતી ભાષા માટે મિશનની ભાવના સાથે ગણ્યાં-ગાંઠ્યાં માણસો કામ કરે છે અને જે લોકો કમિશનથી કામ કરે છે તે પણ પોતાના કાર્ય પ્રત્યે વફાદાર નથી.

મહેન્દ્ર મેઘાણીઃ આશાનો દીપ.....
ગુજરાતી ભાષાના અંધકારમય ભવિષ્યમાં મહેન્દ્ર મેઘાણી આશાનો દીપ છે। તે ઠેરઠેર અત્યંત સફળ પુસ્તકમેળા યોજી ગુજરાતી ભાષાનો દીપ પ્રજ્જવલિત રાખવાનો ઉત્તમ પ્રયાસ કરી રહ્યાં છે. તેમના પુસ્તકમેળામાં ગુજરાતી ભાષામાં જ પ્રસિદ્ધ થયેલા પુસ્તકોનું વેચાણ થતું જોઇએ ત્યારે ગુજરાતી સાહિત્યની ચિંતા થોડી હળવી થઈ જાય છે.

મનપસંદ ગુજરાતી સાહિત્યકારો.....
ગાંધીજી, મનુભાઈ પંચોળી, ર। વ. દેસાઈ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ઉમાશંકર જોશી, ન્હાનાલાલ. મનુભાઈ પંચોળીની તમામ કૃતિઓ અને ઉમાશંકર જોશીની કવિતા બહુ ગમે. કવિતામાં ઊંડો રસ છે. દુઃખ છે કે અત્યારે કવિતા બનતી જ નથી.

સમકાલીન મનપસંદ ગુજરાતી સર્જકો.....
ગુજરાતી ડાયસ્પોરાના વલ્લભી નાઢા, દીપક બારડોલીકર, કૃષ્ણ આદિત્ય વગેરે। ઉપરાંત પન્ના નાયક અને રાજેન્દ્ર પટેલના સર્જનો પણ વાંચવા ગમે છે. મનોજ જોશીના સર્જનો મીઠા લાગે છે.

ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિનો વિરોધ કરનારા.....
ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટીએ ઉમાશંકર જોશી અને ઝવેરચંદ મેઘાણીની કૃતિઓમાં દલિતવર્ગ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ થયો હોવાથી તેને અભ્યાસક્રમમાંથી દૂર કરી છે તેવું સાંભળ્યું ત્યારે ખરેખર દુઃખ થાય છે। આ મહાન સાહિત્યકારોનું સાહિત્ય તત્કાલિન સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. સાહિત્યકારો સમાજની સુંદરતા અને તેના બિભત્સ ચિત્રની સાચા સ્વરૂપે રજૂઆત કરી છે. મને તો આ વિવાદની ફિલસૂફી સમજાતી નથી. મને એવું લાગે છે કે આ વિરોધ નબળા કેળવણીકારોની ખોટી કૂદાકૂદ છે. હકીકતમાં આ કૃતિઓને અભ્યાસક્રમમાંથી દૂર કરવાને બદલે તેમાંથી સારું કે નરસું શું ગ્રહણ કરવું તેનો નિર્ણય યુવાન વિદ્યાર્થીઓ પર છોડી દેવો જોઇએ.

ગાંધીજીના લખાણોના કોપીરાઈટ અને તેની સાથે ચેડાં થવાની શક્યતા...
'ગાંધીકથા'નો દીપ પ્રજ્જવલિત કરતાં નારાયણ દેસાઈએ ગાંધીજીના લખાણોનો વ્યાવસાયિક ઉદ્દેશ માટે જ ઉપયોગ થવાના જોખમ પર એક-બે દિવસ પહેલાં જ ચિંતા વ્યક્ત કરી છે। થોડા દિવસ પહેલાં જાણીતા ઇતિહાસકાર રીઝવાન કાદરીએ ગાંધીજીની આત્મકથામાં નવજીવન પ્રકાશને ફેરફાર કર્યા હોવાની ફરિયાદ કરી છે। ગાંધીજીના કોપીરાઇટ હવે પૂર્ણ થઈ ગયા છે અને કોઈ પણ પ્રકાશક તેને પ્રકાશિત કરવા સ્વતંત્ર હોવાથી 'ગાંધીજીના અક્ષરદેહ' સાથે ચેડાં થવાની ચિંતા વધારે છે। થોડા વર્ષ પહેલાં તેની સાથે ચેડાં પણ થયા છે। કેન્દ્ર સરકારે ગાંધીજીના અક્ષરદેહનું હિંદી અને અંગ્રેજીમાં પુનર્મુદ્રણ કર્યું ત્યારે તેમાંથી અમુક ભાગ દૂર કરવાની ફરિયાદો થઈ હતી. તે સમયે સરકારે નારાયણ દેસાઈ સહિત અગ્રણી ગાંધીજનોની એક સમિતિ રચી હતી. પણ તે પછી કંઈ થયું નહોતું. ખરેખર સરકારે આ અક્ષરદેહને મૂળ સ્વરૂપે ફરી પ્રકાશિત કરી પોતાની ભૂલ સુધારી લેવી જોઇએ.

સાહિત્ય સમાજનું દર્પણ.....
સાહિત્ય સમાજનું દર્પણ છે. સાહિત્યકારો સમાજની વર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે. સાહિત્ય અને સમાજ વચ્ચે બહુ મોટો અને ગાઢ સંબંધ છે. સમાજને સુસંગત રાખવાની જવાબદારી સાહિત્યકારોની છે અને તેમાંથી રામાયણ અને મહાભારત જેવા આદિગ્રંથોનું સર્જન થયું છે.


Sunday, January 4, 2009

''જનસત્તાને નરેન્દ્ર મોદી સામે વાંધો નહોતો, મોદી સરકારની નીતિ સામે હતો''


''પત્રકારત્વની લડાઈ સૈદ્ધાંતિક હોવી જોઇએ, વ્યક્તિગત નહીં, અખબારો અંગત હિસાબ સરભર કરવાનું માધ્યમ ન બનવા જોઇએ।'' પત્રકારત્વના આત્મા સમાન આ શબ્દો છે છેલ્લાં 30 કરતાં વધારે વર્ષનો અનુભવ ધરાવતા જાણીતા સંપાદક વિવેક દવેના. તેમણે જનસત્તામાં બહુ લાંબી ઇનિંગ્સ રમી છે અને અનુવાદકથી લઇને રેસિડેન્ટ એડિટર સુધીના તમામ હોદ્દા ભોગવી ચૂક્યાં છે. તેઓ 2006માં 'સંદેશ'ના સંપાદક બન્યાં હતા. એવું કહેવાય છે કે, 'સંદેશ'ની ઓફિસ વસ્ત્રાપુરમાં ખસેડાઈ પછી ત્યાં એડિટર તરીકે સૌથી વધારે કામ વિવક દવેએ કર્યું છે, બાકી કોઈ પણ એડિટર માટે ત્રણથી ચાર મહિના તો બહુ થઈ ગયા. વિવેકભાઈ સાથે તેમની પત્રકારત્વની કારકિર્દી, જનસત્તામાં થયેલી ઊથલપાથલો અને ગુજરાતી પત્રકારત્વમાં ભાસ્કરના આગમનના પગલે થયેલા પરિવર્તન વિશે બીજી જાન્યુઆરીને શનિવારે થયેલી વાતચીત રજૂ કરી છે.

પૃષ્ઠભૂમિ...
હું મૂળે વતની દાહોદનો. પિતા વિનયચંદ્ર ચંદ્ર ઉર્ફે વી જે દવે. તેમની ગણતરી દાહોદના ગણિતના ઉત્તમ શિક્ષક તરીકે થતી. તેમનું કામ આંકડાઓ સાથે પણ હ્રદય સાહિત્યમાં. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યના ઉમદા જાણકાર. તે સમયે તેમના મિત્રો એવું કહેતા કે, અમદાવાદની એમ જે લાઇબ્રેરીના મોટાભાગના પુસ્તકો 'વીજે'ની આંખ નીચેથી પસાર થયા છે.

શિક્ષણ...
કોલેજ સુધીનું પ્રાથમિક શિક્ષણ દાહોદમાં લીધુ। સાયન્સ વિષય સાથે ઓલ્ડ એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત સાથે બી. એસસી કર્યું.

પિતાજીના સંસ્કારો જાગૃત થયા...
બી. એસસીમાં અભ્યાસ દરમિયાન બી.એ કરતાં વિદ્યાર્થીઓ મારા રૂમપાર્ટનર હતા. જેવો સંગ તેવો રંગ અને પિતાજીના સંસ્કારો કદાચ જાગૃત થયા હશે. સાહિત્યમાં રસ જાગ્યો. અંગ્રેજી સાથે બી. એ કરતાં વિદ્યાર્થીઓને અંગ્રેજીનું ગુજરાતી કરી આપતો. સરવાળે બંનેને ફાયદો થતો. તેને તેના વિષયની જાણકારી ઝડપથી અને સહેલાઈથી મળી જતી ને મારો રસ સંતોષાતો. અખબારમાં ડેસ્ક પર કામ કરવાનો પાયો આ રીતે કોલેજકાળ દરમિયાન જ નંખાયો હતો.

પત્રકારત્વમાં પા પા પગલી...
ગ્રેજ્યુએટ થયાં પછી પોસ્ટલ અભ્યાસક્રમોની તપાસ કરવા અને નોકરીની શોધમાં મુંબઈ ગયો। ત્યારે 1976માં સૌપ્રથમ 'યુવદર્શન' સામાયિકમાં (વર્તમાન પ્રવાહોને વાચા આપતું આ સામાયિકનું અત્યારે પ્રકાશન થતું નથી) સબ એડિટર તરીકે જોડાયો. તે સમયે તેના તંત્રી સુરેશ સોમપુરા હતા. તેમના હાથ નીચે મેં એકથી દોઢ વર્ષ કામ કર્યું. તેમની પાસેથી મને પત્રકારત્વને લગતું ઉત્તમ માર્ગદર્શન મળ્યું. મને જો કોઈ ગુજરાતના ટોચના ચાર પત્રકારોના નામ લેવાના કોઈ કહે તો હું તેમાં સુરેશ સોમપુરાનું નામ લઉં.

યુવદર્શન પછી...
તે સમયે જનસત્તામાં કામ કરવું મોટાભાગના ગુજરાતી પત્રકારોનું સ્વપ્ન હતું. જનસત્તા ઉપર તે વખતે ગોએન્કા ગ્રૂપ એટલે 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની માલિકી હતી. તેનું સંચાલન પત્રકારોની સ્વતંત્ર્તાના પ્રખર હિમાયતી રામનાથ ગોએન્કા કરતાં. જનસત્તા તે સમયે ખરા દિલથી પત્રકારત્વને ચાહતાં હોય તેવા ગુજરાતી પત્રકારોનો અડ્ડો ગણાતું. યુવદર્શનમાં કામ કરતો તે દરમિયાન મારે તેના તત્કાલિન તંત્રી વાસુદેવ મહેતા સાથે વાતચીત થઈ અને તેમણે મને જોઇન્ટ થવાનું કહી દીધું. પણ નસીબ એવા વાંકા કે હું જોઇન્ટ થવા આવ્યો તે જ દિવસે વાસુદેવ મહેતાએ રાજીનામું આપી દીધું. ઓ તારી! હું તો લબડી પડ્યો.
તે સમયે કિર્તી ખત્રીએ મદદ કરી। (કિર્તી ખત્રી અત્યારે જન્મભૂમિ ગ્રૂપના અખબાર 'કચ્છમિત્ર'માં સંપાદક છે) તેમણે મારી ઓળખાણ શિવ પંડયા સાથે કરાવી. શિવ પંડ્યા એટલે ગુજરાતના ઉત્તમ કાર્ટૂનિસ્ટોમાંના એક. વાસુદેવ મહેતા, શ્રીકાંત ત્રિવેદી (બંગાળી નવલકથાઓના ઉત્તમ અનુવાદક) અને શિવ પંડ્યાએ સાથે મળીને 'ઇમેજ' નામનું સામાયિક ચાલું કર્યું હતું. પછી તેમાં જોડાયો. તેમાં વાસુદેવ મહેતાના હાથ નીચે કામ કરવાનો લાભ મળ્યો. તે ઉત્તમ રાજકીય વિશ્લેષક હતા.

છેવટે જનસત્તામાં...
આ રીતે ગાડી આગળ વધતી હતી। તે દરમિયાન 1979માં જનસત્તામાંથી ઓફર થતાં હું જોડાઈ ગયો. ત્યાંથી લઇને ડીસેમ્બર, 2006 સુધી એડિટોરિયલ ડીપાર્ટમેન્ટના તમામ હોદ્દા મેળવ્યો. છૂટો થયો ત્યારે રેસિડેન્ટ એડિટર હતો.

જનસત્તા એટલે...
જનસત્તા ખરેખર ઉત્તમ માહિતી અને વૈચારિક દ્રષ્ટિકોણ રજૂ કરતું સારામાં સારું ગુજરાતી અખબાર હતું। કોઈ પણ અખબારની ગુણવત્તા શું લખવું અને શું ન લખવું, ક્યારે લખવું અને ક્યારે ન લખવું તેની વિવેકબુદ્ધિ પરથી નક્કી થાય છે. જનસત્તામાં આ વિવેકબુદ્ધિ હતી. કઈ બાબતને ક્યારે કેટલું મહત્વ આપવું તેની સમજણ પત્રકારમાં હોવી જોઇએ અને જનસત્તામાં કામ કરતાં પત્રકારને તેમાં કહેવું જ ન પડે.

જનસત્તાના વળતા પાણી...
જનસત્તા નેવુંના દાયકાના અંતિમ વર્ષો સુધી ગુજરાતમાં અત્યંત લોકપ્રિય અને સૌથી વધુ વંચાતું અખબાર હતું. પણ અનામત આંદોલન પછી ગુજરાતના શહેરોમાં 'ગુજરાત સમાચાર'ની પકડ વધતી ગઈ. આ પડકારને પહોંચી વળવા જરૂરી ફેરફાર એક્સપ્રેસનું મેનેજમેન્ટ કરી શક્યું નહીં. મને એવું લાગે છે કે, ગોએન્કા ગ્રૂપને કદાચ પ્રાદેશિક અખબારોમાં બહુ રસ રહ્યો નહોતો. તેણે કદાચ પ્રાદેશિક અખબારોમાંથી નીકળી જવાનો નિર્ણય લઈ લીધો હતો. આ કારણે મેનેજમેન્ટે નકલો ઘટાડી વધુમાં વધુ નફો રળવાનો નિર્ણય લીધો હતો. લોકો કહે છે કે જનસત્તાના સર્કયુલેશનમાં ઘટાડો થયો હતો તે વાત બહુ સાચી નથી. હકીકતમાં તેની નકલો ઘટાડવામાં આવી હતી.
શરૂઆતમાં નકલ ઓછી કરી એટલે ઉત્પાદન ખર્ચમાં બચત થઈ અને જાહેરાતમાંથી થતી આવકનો પ્રવાહ જળવાઈ રહેતા નફો વધ્યો। તેને તમે ઓછા વેચાણે વધુ નફો રળવાની વ્યૂહરચના કહી શકો. નકલો ધીમેધીમે ઘટાડવામાં આવી પણ નફો વધતો ગયો. પણ પછી જેમ જેમ બજારમાંથી જનસત્તાનો હિસ્સો ઓછો થતો ગયો તેમ તેમ જાહેરાતમાંથી આવકનો પ્રવાહ પણ ઘટતો ગયો. છેવટે ઇન્ડિયન એક્સપ્રેસે 1999-2000માં જનસત્તા સમભાવ ગ્રૂપને સોંપી દીધું.

જનસત્તાને બેઠું કરવાના પ્રયાસ...
સમભાવ ગ્રૂપે તેને બેઠું કરવાના પ્રયાસ કર્યા। રૂ. 45માં એક મહિનામાં લવાજમવાળી યોજના શરૂ કરી હતી. મને યાદ છે ત્યાં સુધી 2002-03માં. પણ ત્યાં તો ભાસ્કર ('દિવ્ય ભાસ્કર')ની સવારી આવી ગઈ. અબજો રૂપિયાની માર્કેટિંગ વ્યૂહરચના સાથે ભાસ્કર આવ્યું એટલે જનસત્તાને બેઠું કરવાના પ્રયાસને મરણતોલ ફટકો પડ્યો.

ભાસ્કરના આગમનનો ફાયદો...
સૌથી મોટો ફાયદો ગુજરાતને થયો છે। ભાસ્કરે માર્કેટિંગ પાછળ જે ખર્ચ કર્યો તેના કારણે લોકોમાં અખબાર પ્રત્યે જાગૃતિ વધી છે. લોકોને અખબારોમાં રસ વધ્યો છે અને વાચકોની સંખ્યા (રીડરશિપ)માં વધારો થયો છે. સાથેસાથે પત્રકારત્વમાં રોજગારી વધી છે અને પત્રકારોના પગારધોરણ સારા થયાં છે.

અખબાર નહીં વાચક નંબર વન...
દરેક ક્ષેત્રમાં અત્યારે નંબર વનનાં દાવેદારો વધી રહ્યાં છે। આજકાલ નંબર વન હોવાનો દાવો કોણ નથી કરતું? ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર વચ્ચે સ્પર્ધા વધી છે પણ હકીકત એ છે કે આ ત્રણેય અખબારોનું સર્કયુલેશન વધી રહ્યું છે. છાપાની રીડરશિપ વધી રહી છે તેનો ફાયદો સરવાળે ત્રણેયને મળી રહ્યો છે. એટલે નંબર વન તો વાચક જ છે.

દરેક ક્ષેત્રમાં જગ્યા હોય છે, તમને તેમાં સ્થાન મેળવતાં આવડવું જોઇએ...
ભાસ્કરના આગમનને પાંચથી વધારે વર્ષ થઈ ગયા છે। તેના આગમન પછી પત્રકારો દરરોજ કોઈ ને કોઈ અંગ્રેજી કે હિન્દી અખબારમાં ગુજરાતીમાં શરૂ થઈ રહ્યું છે તેવી વાતો જોરશોરથી કરતાં હતા. તે વાતો હવામાં જ રહી ગઈ પણ તેનો મતલબ એ નથી કે હવે કોઈ નવું અખબાર ગુજરાતમાં શરૂ નહીં થાય. દરેક ક્ષેત્રમાં જગ્યા હોય છે, તમને તેમાં સ્થાન મેળવતાં આવડવું જોઇએ. ભાસ્કર આવ્યું તે પહેલાં આપણે બે મોટા અખબાર સિવાય ત્રીજા કોઈ અખબારની કલ્પના જ કરી શકતાં નહોતા. પણ ભાસ્કરે બતાવી દીધું છે કે હકીકતમાં આપણે ત્યાં લોકોને એક નવા અખબારની જરૂર હતી. તેણે કોઇનો વાચકવર્ગ તોડ્યાં વિના પોતાનો નવો વાચકવર્ગ ઊભો કર્યો છે તે સૌથી સારામાં સારી બાબત છે.

મનપસંદ એડિટર...
પત્રકારત્વ ક્ષેત્રમાં આટલી લાંબી કારકિર્દી દરમિયાન મને એડિટર તરીકે સૌથી વધુ ઇશ્વરભાઈ પંચોલી ગમે। જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપે 1971-72માં રમણલાલ શેઠ પાસેથી જનસત્તા ખરીદી લીધું ત્યારે ઇશ્વરભાઈ પંચોલી તેના એડિટર હતા. એક્સપ્રેસ ગ્રૂપે તેમને એડિટર તરીકે ચાલુ રાખ્યાં હતા. પંચોલીસાહેબની સૌથી મોટી ખાસિયત હતી લીડરશિપ ક્વોલિટી. ગજબની નેતૃત્વક્ષમતા. સ્ટાફને સાથે લઇને ચાલવાની જબરદસ્ત ક્ષમતા. સમાચાર ક્યારે, કેવી રીતે લખાય અને ક્યારે, કેમ ન લખાય તેની ગજબની સેન્સ.

દિલોદિમાગ પર છવાઈ જાય તેવા બનાવો...
અનેક બનાવો એવા છે જેમાં તમારું લોહી ઉકળી ઉઠે. પણ દિલોદિમાગ પર સવાર થઈ લાંબો સમય સુધી સવાર થઈ જાય તેવી ઘટનાઓમાં બે-પાંચ છે. જેમ કે, 1985માં ગુજરાતમાં અનામત આંદોલન થયું હતું. તે સમયે અમારા એડિટર જયંતિ શુક્લ હતા અને અમારું હેડક્વાર્ટર મુંબઈ હતું. આંદોલનમાંથી તોફાન ફાટી નીકળ્યું અને તોફાનના પહેલાં જ બનાવમાં ડબગરવાડમાં પાંચ લોકોને જીવતાં સળગાવી દીધા. જનસત્તાએ આ સમાચાર નામ સાથે છાપ્યાં. તેનો આશય તોફાનો વધુ ભડકાવવાનો બિલકુલ નહોતો. પણ માધવસિંહ સોલંકી સરકારે જનસત્તાની નકલો જપ્ત કરી. આ બાબતની જાણ રામનાથ ગોએન્કાને થઈ. તેમણે તો કટોકટી વખતે ઇન્દિરા ગાંધી સામે પણ મોરચો માંડ્યો હતો. રામનાથજીએ બીજા દિવસે જનસત્તામાં તંત્રીલેખ લખ્યો અને તેમાં મૃતકોના નામ ફરીથી પ્રકાશિત કર્યા. સાથેસાથે પત્રકારત્વ પર થયેલા હુમલા વિશે લખ્યું.
તે પછી સોમનાથથી બાબરી મસ્જિદના પતન અને ત્યાંથી મુંબઇના શેરબજારમાં થયેલા બોમ્બવિસ્ફોટો સુધી જનસત્તાએ સંપૂર્ણ કવરેજ આપ્યું હતું। તેણે તમામ પ્રકારની માહિતી આપી હતી પણ તેમાં સમાજનું પોત નબળું પડ્યું નહોતું. સમાજનું હિત સચવાય તે રીતે સાચી વાત કહેવી એ અખબારની સૌથી મોટી કળા છે. ત્યારબાદ સુરતમાં પ્લેગ અને ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા તોફાનો જેવી ઘટનાઓ લાંબો સમય સુધી મનમસ્તિષ્ક પર છવાયેલી રહી.

પત્રકારત્વની લડાઈ...
પત્રકાત્વની લડાઈ સૈદ્ધાંતિક હોવી જોઇએ, વ્યક્તિગત નહીં. આપણે ત્યાં તો મોટેભાગે તંત્રીને જે તે વ્યક્તિ સાથે કેવા સંબંધ છે તેના આધારે તે વ્યક્તિ વિશે કેવું લખાશે તે નક્કી થાય છે. જનસત્તામાં અમને સૈદ્ધાંતિક લડાઈ લડવાની તાલીમ મળી હતી, વ્યક્તિગત દ્વૈષને કોઈ સ્થાન જ નહોતું. ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા તોફાનમાં જનસત્તાનો વિરોધ ગુજરાત સરકારની નીતિ સામે હતો નહીં કે નરેન્દ્ર મોદી સામે. તે જ રીતે અનામત આંદોલન દરમિયાન પણ જનસત્તા સરકારની નીતિ સામે લડતું હતું, નહીં કે માધવસિંહ સોલંકી સામે. વ્યક્તિગત લડાઈથી પત્રકારત્વને ક્યારેય કોઈ ફાયદો થતો નથી. અખબાર અંગત હિસાબ સરભર કરવાનું માધ્યમ ન બનવું જોઇએ.



''જનસત્તાને નરેન્દ્ર મોદી સામે વાંધો નહોતો, મોદી સરકારની નીતિ સામે હતો''

Friday, January 2, 2009

કરી જ્યારે જ્યારે આ દુનિયાથી નેકી



રાજેશ વ્યાસ 'મિસ્કીન'

કરી જ્યારે જ્યારે આ દુનિયાથી નેકી,
અમે પણ પછી એને દરિયામાં ફેંકી.

ખરા મશ્કરા છે આ મિત્રો વિવેકી,
ખરા ટાંકણે નામ કાઢે છે ચેકી.

હજુ બાળપણનું એ તોફાની સપનું,
મને ચોરવા આવતું વાડ ઠેકી.

નથી કોઈ હોતું આ રણમાં છતાંયે,
પછી જોઉં તો જાઉં છું હુંય મહેકી.

અહીં માત્ર છે એક મૃત્યુ નિશ્ચિત,
છતાંયે રમે શ્વાસ એકી ને બેકી.

સ્મરણ બાળપણના સખાનું સહજ કૈં,
સુદામાની જેમ જ છે મિસ્કીન ટેકી.

Thursday, January 1, 2009

મેં કોઈ RESOLUTION નહીં લેવાનું RESOLUTION લીધું


RESOLUTION એટલે શું કરવું અને શું ન કરવું તેનો મક્કમ નિર્ધાર. ગ્રેગેરિયન કેલેન્ડરના નવા વર્ષની શરૂઆતમાં તમે શું ન કરવાનું નક્કી કર્યું તેવો પ્રશ્ન ગુજરાતી આવડતું હોવા છતાં પારકી મા અંગ્રેજીનું ધાવણ ધાવતા એક વ્યક્તિએ (મિત્ર નથી) મને પૂછ્યો. એટલે મેં તેને દરેક વ્યક્તિએ ગમે ત્યારે લેવા જેવું એક RESOLUTION સંભળાવી દીધું. આ RESOLUTION ગુજરાતી અને ઉર્દૂના એક ઉમદા શાયર આદિલ મન્સૂરીની એક સુંદર રચના છેઃ

ગર્વ ગૌરવ ગુમાન છોડી દે
તારા હોવાનું ભાન છોડી દે

ક્યાં કહું છું સ્વામાન છોડી દે
પણ અહંકારભાન છોડી દે

માન મોભે ને સ્થાન છોડી દે
દિલનું કહેવાનું માન છોડી દે

ધરતી ને આસ્માન છોડી દે
આ જગત છે સ્મશાન છોડી દે

તીર સાથે કમાન છોડી દે
તેં જે તાક્યાં નિશાન છોડી દે

દેહ સાથે જહાન છોડી દે
જીર્ણ જૂનાં મકાન છોડી દે

સર્વ વિધિવિધાન છોડી દે
કર્મથી સાવધાન છોડી દે

કેમ રાખે છે બાન છોડી દે
આખ્ખી દુનિયાના જાન છોડી દે

છુટ્ટી છોડી દે તારી નૌકાને
સઢ હલેસાં સુકાન છોડી દે

સાત આકાશ રહી ગયાં પાછળ
બસ હવે તો ઉડાન છોડી દે

મૌન મંજિલ પહોંચતાં પહેલાં
શબ્દ સૌ દરમિયાન છોડી દે

આ સુંદર રચના તેને સંભળાવી ત્યારે તે પોપટ હવામાં માથું ધુણાવતો હતો. પછી મેં તેને કહ્યું કે, આજ પછી કોઈ દિવસ મને RESOLUTIONનું પૂછતો નહીં, કારણ કે મેં કોઈ RESOLUTION નહીં લેવાનું RESOLUTION લીધું છે.

મહેફિલ જામશે ને જામ છલકાશે...


થોડા દિવસ પહેલાં મારા 'દિલના નેક' (દિલના નેક બંદા બહુ ઓછા હોય છે, હા તેવા હોવાનો દેખાડો કરનારા તમને હજારો મળશે) મિત્ર દિવ્યેશ નાગરે એક સરપ્રાઇઝ આપી। તેણે મને કહ્યું કે 'મરીઝ'ની ગઝલો મને ગમે છે. તેની પાસેથી મને આ પ્રકારની અપેક્ષા નહોતી, પણ તેની પસંદગી જાણી મને ખૂબ જ આનંદ થયો. પછી તેણે મને મરીઝનો ગઝલો બ્લોગ પર મૂકવાનું કહ્યું, એટલે મારો આનંદ બેવડાયો. થયું, હાશ મારા બ્લોકની તે મુલાકાત તો લેશે. હુ..ર..રે..હા..હા..હા..હા ! તેના સૂચનથી નવા વર્ષની શરૂઆતથી 'મહેફિલ' શરૂ કરીએ છીએ જેમાં ક્યારેક આંખોમાં ખુશીના તો ક્યારેક ગમના આંસૂડા લાવી દેતી જુદી જુદી સુંદર ગઝલ રજૂ થશે. શરૂઆત દિવ્યેશના મનપસંદ શાયર મરીઝની એક સુંદર ગઝલથી કરીએ. હા, મને આવી સુંદર પ્રેરણા આપવા બદલ થેન્ક યુ દિવ્યેશ.........

વ્યસન હોવું જોઈએ...

મરીઝ

જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અધૂરું એનું જીવન હોવું જોઈએ.

ફૂલોમાં કેમ શ્રેષ્ઠ છે ફૂલો કપાસના!
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ.

મોઘમ હશે જો પ્રેમ તો તે પણ નહીં રહે,
ના માગજે કે સ્પષ્ટ સૂચન હોવું જોઈએ.

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ.

જીવનમાં લાખ ઘટના બને છે ભલે બને,
એમાંથી એક બેનું મનન હોવું જોઈએ.

કોઈ અગમ્ય ડરથી ઊપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ.

આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈને સાથ તારું મિલન હોવું જોઈએ।

પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ.

આંસુ ઢળીને હોઠ પર આવી ગયા 'મરીઝ',
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ.


જુઓ, બગલાં હંસ થઈને ફરે છે


ગર્વ ને ગુમાનમાં મદમસ્ત થઈને ફરે છે,
જુઓ, બગલાં હંસ થઈને ફરે છે.

ચાપલૂસીની ચાંચિયાગિરી કરતાં ફરે છે,
ભૂખ્યાં વરુઓ સિંહ થઈને ફરે છે.

સાધુ-સંતોની પોતડી હાથમાં લઇને ફરે છે,
જુઓ, લુખ્ખાં દાનવીરો થઈને ફરે છે.

ધર્મની માળાં જપતાં ફરે છે,
અબળાનો લાભ લેતાં ફરે છે.
રાજાની પાછળ વાજાં વગાડતાં ફરે છે,
રોજ રાતે પાયજામાં પલાળતાં ફરે છે.

સિંહોને સસલાં કહેતાં ફરે છે,
નંપુસકો મર્દ થઈને ફરે છે.

ચમચાઓની જમાત લઇને ફરે છે,
જુઓ, કાંચિડા રંગ બદલતાં ફરે છે.

સૂચનાઃ આ અગાઉ મેં એક લખ્યો હતો તેમાં મારા મિત્ર પરાગ દવેએ થોડાં હળવા શબ્દો રાખવાનું સૂચના કર્યું હતું। તેનું અહીં મેં પાલન કર્યું છે. થેન્ક યુ પરાગ.....થેન્ક યુ પરાગ.....થેન્ક યુ પરાગ..... !