Wednesday, February 22, 2012

હૃદયપૂર્વક અને ખંતથી કાર્ય કરવું એ જ જીવનનો સાચો આનંદ

જે આર ડી ટાટા (૧૯૦૪-૧૯૯૩)
૧૫ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ ભારતની પહેલી એરલાઇન કંપનીના વિમાને ઉડાન ભરી હતી. આ કંપની હતી ટાટા એરલાઇન જેનું વર્ષ ૧૯૫૩માં એર ઇન્ડિયા સ્વરૂપે રાષ્ટ્રીયકરણ થયું હતું અને તેના પાયલોટ હતા મહાન અને દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ જે આર ડી ટાટા ‘પુશ મોથ’ નામનું એ સિંગલ એન્જિન ધરાવતા વિમાન કરાંચીથી એર મેઇલ લઈને રવાના થયું હતું અને વાયા અમદાવાદ થઈને મુંબઈ પહોંચ્યું હતું. કરાંચીમાં વિમાને ઉડાન ભરી ત્યારે જે આર ડીએ કહ્યું હતું કે, ‘‘આ સાથે ભારતની પ્રથમ એરલાઇન-ટાટા એરલાઇન-નો જન્મ થઈ ગયો છે અને મારું સ્વપ્ન સાકાર થયું છે.’’ જે આર ડીએ ઓક્ટોબર, ૧૯૬૨માં કરાંચી અને મુંબઈ વચ્ચે ફરી ઉડાન ખેડી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૮૨માં કરાંચીથી મુંબઈ ઉડાનની સુવર્ણજયંતિ ઉજવવામાં આવી અને તેના ભાગરૂપે જે આર ડીએ એ જ ‘પુશ મોથ’ વિમાનમાં ૭૮ વર્ષની ઉંમરે પણ કરાંચીથી મુંબઈ વચ્ચે ઉડાન ભરીને યુવાનોને આત્મવિશ્વાસ કેળવવાનો સંદેશો આપ્યો હતો. તેમનું વિમાન મુંબઈના જુહૂ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમનું સ્વાગત કરવા અનેક લોકો એકત્ર થયા હતા. તેમની સામે ટાટાએ એક ભાષણ આપ્યું હતું અને યુવાનોને પડકારો ઝીલવાની અને કાર્ય પ્રત્યે નિષ્ઠા દાખવવાની સલાહ આપી હતી.

આજે સાંજે ભાષણ સાંભળીને હું જેટલી શરમ અનુભવુ છું તેટલી ક્યારેય અનુભવી નથી. હું વિનમ્ર વ્યક્તિ છું તેવું કહીને મહામહિમ રાજયપાલે તેમની સજજનતા દાખવી છે. સામાન્ય રીતે મેં અનુભવ્યું છે કે મારી પાસે ઘણું બધું છે, જેના પગલે મારી નમ્રતા જળવાઈ રહી છે. આજે પણ કરાંચી સુધી ઉડાન ભરવાની અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાછું લઈને આવવામાં મેં કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય કે મહાન કામ કર્યું હોય તેવું હું માનતો નથી. આ માટે વિશેષ કૌશલ્ય, સાહસ કે યોગ્યતાની જરૂર પણ નથી. મારે આ ઉડાનમાં ઊંચા પર્વતોને પાર કરવાની કપરી કામગીરી કરવી પડી નહોતી, ન બરફીલા તોફાનો કે ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો.
ખરેખર ૫૦ વર્ષ અગાઉ વિમાનનું ઉડ્ડયન પ્રમાણમાં સરળ હતું. તેમાં હવામાં સંતુલન જાળવી રાખવા અને સરેરાશ ચોકસાઈ સાથે વિમાન ઉડાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. તે વખતે વિમાનના ઉડ્ડયન માટે મારી પાસે એક જ સાધન હતું-નકશા. મેં નકશાની મદદ લીધી હતી અને કમ્પાસની સહાયથી વિમાનની નીચે પસાર થતી જમીન પર નજર રાખી હતી. પછી મારા ગંતવ્ય સુધી પહોંચી જવાય તેવી આશા સાથે ઉડાન ભરી હતી. હકીકતમાં મારી કામગીરીની વધારે પડતી પ્રશંસા થઈ રહી છે અને મને વધુ પડતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે તેવું મારું માનવું છે, પરંતુ તેને સાંભળીને મને જરૂર આનંદ થયો છે એનો હું નિખાલસપણે સ્વીકાર કરું છું.
મને બાળપણથી વિમાન પ્રત્યે આકર્ષણ હતું. વિમાનને જોઈને હું રોમાંચિત થઈ જતો હતો. વિમાન ઉડાવવાનું સ્વપ્ન સેવતો હતો. મને ક્યારે વિમાન ઉડાવવાની તક મળશે તેની હું આતુરતાપૂર્વક રાહ જોતો હતો. ઉડ્ડયન શરૂ કર્યું તે અગાઉ મેં મારા જમાનના જાણીતા પાયલોટ વિશે માહિતી મેળવી હતી અને તેના કારનામા પર મુગ્ધ થતો હતો. વર્ષ ૧૯૨૭માં લિન્ડબર્ગે સિંગલ એન્જિન વિમાન વડે ૩૩ કલાકમાં એટલાન્ટિક પાર કર્યો હતો, જે ખરેખર એક સિદ્ધિ હતી અને આજે પણ એ પ્રશંસાની હકદાર છે.
મેં અનુભવ્યું હતું કે વર્ષ ૧૯૩૨ની પ્રથમ ઉડાનના સ્મરણોત્સવ (સુવર્ણજયંતિ) માટે મારે કંઈક કરવું જોઈએ. હું એકમાત્ર કાર્ય જાણતો હતો અને એ વિમાનની ઉડાન ભરવાનું મેં કર્યું. આ માટે મારી પાસે અન્ય બે કારણો પણ હતાં. પ્રથમ કારણ તો એ છે કે ૪૬ વર્ષના આ ગાળામાં એર ઇન્ડિયા અને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને પગભર કરવામાં મારી સહાયતા કરનાર હજારો સાથીદારોને હું સંદેશ આપવા ઇચ્છતો હતો. હું તેમનો આભાર માનવા માંગું છું અને ભેટ સ્વરૂપે તેમને કશું આપવા ઇચ્છતો હતો. આ ઉડાનને પ્રાયોજિત કરનાર એર ઇન્ડિયા અને મારાં જૂનાં વિમાનનું સમારકામ કરીને ફરી ઉડાન ભરવાને લાયક બનાવવનાર અને છેલ્લાં ૫૦ વર્ષમાં મારી સાથે ઘણી વખત ખુશી અને કેટલીક વખત દુઃખ વહેંચનાર મારા સાથીદારોનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું.
મને પ્રેરિત કરવા માટે જવાબદાર બીજું કારણ એ છે કે હું મારા જીવનમાં પસાર થયેલી એ અવિસ્મરણીય ક્ષણો ફરી જીવવા ઇચ્છતો હતો. આપણે બધા આપણા જીવનની યાદગાર ક્ષણોને ફરી જીવવા માંગીએ છીએ એ સ્વાભાવિક છે. અનેક વ્યક્તિઓ પોતાની સગાઈ કે વિવાહની યાદને તાજી કરવા ઇચ્છે છે. આ માટે ઘણાં બીજી વખત પરણે છે. જોકે અત્યારે કરવેરાઓનો બોજ એટલો બધો છે કે બહુ ઓછા લોકો એકથી વધુ પત્નીઓનો ભાર ઉઠાવી શકે છે. ખૈર, આ ઉડાન ભરવાનું મારી પાસે અન્ય એક કારણ પણ હતું.
જેમ જેમ મારી ઉંમર વધી તેમ તેમ મેં અનુભવ્યંુ છે કે અત્યારે દેશવાસીઓના મનમાં મોહભંગની ભાવના પેસી ગઈ છે. જે આશા, આકાંક્ષા, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આપણે સ્વતંત્ર્તાનું સ્વાગત કર્યું હતું એ બધી ધૂંધળી પડી ગઈ છે. આપણું મનોબળ નબળું પડ્યું છે અને આત્મવિશ્વાસ ચાલ્યો ગયો છે.
અત્યારના યુવાનોને મુખ્ય ચિંતા નોકરી અને રોજગારીની હોય છે. હું તેમને દોષ પણ દેતો નથી. રોજગારીની ચિંતા થવી સ્વાભાવિક છે અને બેરોજગારી વાસ્તવિકતા છે. પણ આપણે બીજા લોકોની સરખામણીમાં સારી કામગીરી કરી શકીએ છીએ કે બીજા કોઈએ ન મેળવી હોય તેવી સિદ્ધિ મેળવી શકીએ છીએ તેવી ભાવના દેખાતી નથી. એટલે મેં વિચાર્યું કે આ ઉડાન તેમનામાં ઉત્સાહની નવી ચિંગારી જન્માવશે, દેશના અને પોતાના સમ્માન માટે કંઈક કરવાનો જુસ્સો પેદા કરશે અને અત્યારે પણ કંઈક કરી દેખાડવાનો સમય વીતી ગયો નથી તેવું દર્શાવશે. અન્ય અનેક કાર્ય છે, જે કરી શકાય છે. આ દેશ માટે યુવાનો અનેક કાર્યો કરી શકે છે અને આ માટે તેમણે કમર કસવી જોઈએ. કાર્ય ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય અને પરિસ્થિતિઓ ગમે તેટલી વિકટ કેમ ન હોય, મજબૂત મનોબળ અને સખત પરિશ્રમ વડે તેને પાર પાડી શકાય છે.
મારી આજની ઉડાન આપણા દેશના યુવાનોમાં આશા અને ઉત્સાહ જન્માવવાનો પ્રયાસ હતો. હું ઇચ્છું છું કે આજના યુવાનો ૭૮ વર્ષના થશે ત્યારે મારી જેવો જ આત્મવિશ્વાસ ધરાવતા હશે. મારી જેમ ૭૮ વર્ષની ઉંમરે તેઓ પણ અનુભવી શકશે કે તમામ મુશ્કેલીઓ અને વિકટ સંજોગો વચ્ચે પણ તમે તમારા ધ્યેય તરફ નિરંતર આગળ વધતા રહો તો લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. તમે તમારા કાર્યને વફાદાર હોવ તો બીજા લોકોની સરખામણીમાં વધુ સારું કામ કરી શકો છો. ખરેખર હૃદયપૂર્વક અને ખંતથી કાર્ય કરવું એ જ જીવનનો સાચો આનંદ છે.