Friday, March 6, 2009

આમીન-ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નનઃ પાદરીઓના યૌન શોષણનો ઘટસ્ફોટ


'આમીન' પ્રાર્થનાનો અંતિમ શબ્દ હોય છે. તેનો એક અન્ય અર્થ થાય છે-'જે છે, તે છે.' આ અર્થે કદાચ કેરળ ચર્ચની નન સિસ્ટર જેસ્મીને વિવાદાસ્પદ આત્મકથા 'આમીન' પ્રકાશિત કરવાની પ્રેરણા આપી. આ પુસ્તકે કેરળમાં સુનામી જેવો ખળભળાટ મચાવી દીધો છે. તેમાં જેસ્મીએ પાદરીઓ અને સાથી નનોએ કરેલા યૌન શોષણનો ઘટસ્ફોટ કર્યો છે.

આ પુસ્તક પ્રકાશિત થયા પછી કેરળમાં વિવાદ ઊભો થયો છે, કારણ કે આ યૌન વિવાદમાં રાજ્યનું શક્તિશાળી કેથોલિક ચર્ચ સામેલ છે। કેરળમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ છે. દેશમાં 60 ટકા નન અને પાદરીઓ આ રાજ્યના જ છે. જેસ્મીની ઉંમર 53 વર્ષ છે અને તેમણે ચર્ચમાં ચાલતી કાળી કરતૂતોનો પર્દાફાશ કર્યો છે.

જેસ્મીએ પુસ્તકમાં યૌન શોષણના કિસ્સા, સમલૈંગિકતા, ક્ષુદ્ર હરિફાઈ અને પુરુષ વર્ચસ્વના ખુલાસા કર્યાં છે। આ પહેલાં ચર્ચનો આટલો વિકૃત ચહેરો સામે આવ્યો નહોતો. મલયાલમ પુસ્તક 'આમીનઃ ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નન' બેસ્ટ સેલર સાબિત થઈ છે. એક જ મહિનામાં તેની ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે. તેનો અનુવાદ પ્રકાશિત કરવા વિવિધ ભાષાના પ્રકાશકોએ દોટ મૂકી છે તો ફિલ્મી કંપનીઓએ કોઝિકોડમાં જેસ્મીએ ભાડે લીધેલા નાના ફ્લેટની બહાર લાઇન લગાવી દીધી છે. 33 વર્ષ સુધી કંગ્રીગ્રેશન ઓફ મધર ઓફ કાર્મેલ (સીએમસી)માં નોકરી કર્યા પછી રાજીનામું આપીને તે અહીં રહેવા આવી ગઈ છે.

જેસ્મીને ચર્ચમાં અનેક વરિષ્ઠ નન સાથે સમલૈંગિક સંબંધો બાંધવા મજબૂર કરવામાં આવી હતી અને પાદરીઓએ તેનું યૌન શોષણ કર્યું હતું। તે પોતે આ વિશે કહે છે કે, ''નન વચ્ચે સમલૈંગિક સંબંધો સામાન્ય છે. નનના ચર્ચના પાદરીઓ સાથે કે ચર્ચની બહાર અન્ય કોઈ વ્યક્તિ સાથે યૌન સંબંધ હોવાના કિસ્સા પણ ઓછા નથી.''

જેસ્મીએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે। તેમણે અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કર્યું છે અને કવિતાઓની ત્રણ પુસ્તક લખી છે. તે 35 લાખ સભ્યો ધરાવતા સાઇરો-માલબાર ચર્ચ (એસએમસી) સંચાલિત ત્રિશૂરની પ્રતિષ્ઠિત વિમલા કોલેજની પ્રિન્સિપલ રહી ચૂકી છે. દેશનું આ સૌથી મોટું કેથોલિક ચર્ચ છે. તેમણે આત્મકથા લખવા નોકરી છોડી દીધી. પુસ્તકમાં તેમના જીવનની દાસ્તાન છે. નન બનવાથી લઇને દુઃખ અને હતાશા સાથે કંગ્રીગેશન છોડ્યું ત્યાં સુધીની આશ્ચર્યજનક અને આંચકાજનક સફર.

આ પુસ્તકનું સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રકરણ છે-જેસ્મીનું એક પાદરી સાથે યૌન પ્રકરણ। જ્યારે તે 30 વર્ષની હતી ત્યારે એક પાદરી બળજબરીપૂર્વક તેને ભેટી પડ્યાં અને તેના સ્તન દબાવ્યા। જેસ્મી કહે છે કે, ''તે પછી તેમણે મને શારીરિક પ્રેમની જરૂરત પર ઉપદેશ આપ્યો..... તે અચાનક મને જોશપૂર્વક ભેટી પડ્યાં...મને સ્તન દેખાડવા કહ્યું...મને ધક્કો મારી પલંગ પર સુવડાવી દીધી અને પૂછ્યું કે શું મેં ક્યારેય કોઈ પુરુષનું શરીર જોયું છે...તેમણે એક પછી એક પોતાના વસ્ત્રો ઉતારવાનું શરૂ કરી દીધું.....થોડા સમય પછી તેમણે મને દૂધ જેવું પ્રવાહી દેખાડ્યું અને કેવી રીતે તેમાં લાખો જીવનનો વાસ હોય છે તેના પર પ્રવચન આપ્યું.''

જેસ્મી એકરાર કરે છે કે, ''હું યુવાન હોવાથી મને પણ પુરુષનું શરીર જોવાની ઇચ્છા હતી....તે પહેલાં મેં પુરુષનું શરીર ક્યારેય જોયું નહોતું...'' તેમણે ચર્ચના વધતાં જતાં પ્રભાવ વિશે પણ લખ્યું છે અને ચર્ચના ગરીબી વિરોધી દ્રષ્ટિકોણ અને શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવાઓના વ્યવસાયીકરણ વિશે પણ.

પોતાના સમલૈંગિક અનુભવ વિશે જેસ્મી લખે છે કે, ''સિસ્ટર વિમી મને લાંબા લાંબા પ્રેમપત્રો લખતી હતી॥જ્યારે મેં કોઈ જવાબ ન આપ્યો તો તે મારી વિરૂદ્ધ થઈ ગઈ...તે બહુ પ્રભાવશાળી હોવાથી તેને વશ થવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો...હું થોડો સમય તેનો શિકાર બનતી રહી...રાત્રે બધા સૂઈ જતાં ત્યારે વિમી મારી પાસે આવીને અભદ્ર ચેષ્ટાઓ કરતી...હું તેને રોકી શકતી નહોતી..તેણે મને કહ્યું કે તે આ વાતને લઇને બહુ સાવધાન રહે છે અને આ પ્રકારના સંબંધો મહિલાઓ સાથે જ બાંધે છે...''

જેસ્મીએ શક્તિશાળી ચર્ચ સામે બળવો પોકાર્યા પછી અનેક પ્રેરણા મળી છે. સીએમસીની વિવિધ નનના એક જૂથે એક સ્કૂલ મેનેજમેન્ટ સામે લડત આદરી છે. અસંતુષ્ટ નનો હવે સીએમસીમાંથી અલગ હોવાની યોજના બનાવી રહી છે.

No comments: