Saturday, April 28, 2012

અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં કોણે સંડોવ્યા?


તમને સૌથી વધુ નફરત કોણ કરે છે? 
તમને સૌથી વધુ કોણ ધિક્કારે છે? 
તમારી સૌથી વધુ અવગણના કોણ કરે છે?
તમારા સારા કામની પ્રશંસા થતી હોય ત્યાંથી ચૂપચાપ સરકી કોણ જાય છે?
તમારું કામ સારું ન દેખાય પણ ભૂલો ઊડીને આંખે વળગે એવી તક તરત જ કોણ ઝડપી લે છે?

આ પાંચેય પ્રશ્રોનો જવાબ એક જ છેઃતમારા પ્રતિભાથી અસુરક્ષિતતા અનુભવતી વ્યક્તિ, તમારા કરતાં ઊંચો હોદ્દો ધરાવતી, પણ ઓછી કાબેલિયત ધરાવતી વ્યક્તિ. અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં કોણે સંડોવ્યા? અમિતાભના સંદર્ભમાં ઉપરોક્ત પ્રશ્રોનો વિચાર કરીએ. 1990ના દાયકામાં અમિતાભ બચ્ચને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની અસીમ લોકપ્રિયતાથી કોણ ડરતું હતું? તેમને સૌથી વધુ નફરત કોણ કરતું હતું? તેમની કાર્યનિષ્ઠાની ઇર્ષા કોને હતી? તેમની રાજીવ ગાંધી સાથેની નિકટતા કોની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી? તેમના સારાં કામ કોણ સાંખી શકતું નહોતું? તેમની અવગણના કોણ કરતું હતું? આ તમામ જવાબો પણ તમને એક જ વ્યક્તિ તરફ દોરી જાય છે અને એ વ્યક્તિથી છેઃવી પી સિંહ.

1990નો એ દાયકાના એ અંતિમ વર્ષો હતાં. એ વખતે હું પાંચમા ધોરણમાં ભણતો હતો અને પહેલી વખત 'કાળો અંગ્રેજ'  શબ્દ કાને પડ્યો હતો. દિવ્યાની ટીચર ગુજરાતી વિષયનો પીરિયડ લેતાં હતાં અને અચાનક એક પત્થર અમારા ક્લાસમાં પડ્યો.  તેના પર કાગળ વીંટાળેલું હતું અને વિદ્યાર્થીઓને છોડી દેવાની ધમકી આપી હતી. સવારે સાડાઆઠ વાગે જ સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા અને બહાર આવીને જોયું તો કોલેજિયનો વી પી સિંહની નનામી બાળતાં હતાં. તેઓ વી પી સિંહને કાળો અંગ્રેજ કહેતા હતા. તેમની  આંખોમાં આક્રોશ હતો. અનામત આંદોલનની આગ આખા દેશમાં ભભૂકી ઉઠી હતી. દેશને અનામતની આગમાં હોમી દેનાર આ જ વી પી સિંહે અમિતાભ બચ્ચનનું નામ જાણીજોઈને બોફોર્સ પ્રકરણમાં સંડોવ્યું હતું. અમિતાભ બચ્ચને જે રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો એ જોઈને જ વી પી સિંહ ધ્રુજી ગયા હતા. અમિતાભને 1982માં 'કૂલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન પેટમાં ઇજા થઈ ત્યારે અમિતાભની લોકપ્રિયતા વિશે વી પી સિંહે સાંભળ્યું હતું. પણ અમિતાભે અલ્હાબાદમાં લોકસભાની ચૂંટણીમાં જે રીતે વિજય મેળવ્યો તેને જોઈને વી પી સિંહની આંખો ફાટી ગઈ હતી.

ઇન્દિરા ગાંધીની હત્યા થઈ પછી રાજીવ ગાંધી વડાપ્રધાન થયા હતા અને તે તેમના જિગરજાન મિત્ર અમિતાભ બચ્ચનને પણ રાજકારણમાં ખેંચી લાવ્યા હતા. 1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે રાજીવ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની જવાબદારી સંભાળતા વી પી સિંહને અલ્હાબાદની બેઠક પરથી ટિકિટ આપવા આદેશ કર્યો હતો. પણ વી પી સિંહ કોઈ પણ સંજોગોમાં અમિતાભને ટિકિટ આપવા તૈયાર નહોતા. વાત એમ હતી કે અલ્હાબાદમાં એ બેઠક પરથી ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારતીય લોકદળના ઉમેદવાર હેમવંતી નંદન બહુગુણાએ ઉમેદવારી નોંધાવી હતી. વી પીએ કમને અમિતાભને ટિકિટ આપી, પણ તેમને એમ હતું કે બહુગુણા સામે અમિતાભ હારી જશે. પણ પરિણામ આવ્યું તો તેઓ ચકિત થઈ ગયા. હેમવંતી નંદન બહુગુણાની ડીપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ઉત્તરપ્રદેશના રાજકારણમાં સોપો પડી ગયો હતો. બહુગુણા ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને તેમની સામે અમિતાભને 68 ટકા મત મળ્યાં હતાં. ઉત્તરપ્રદેશમા રાજા તરીકે જાણીતા વી પીને પણ આટલી જંગી સરસાઈ સાથે વિજય મળ્યો નહોતો. અમિતાભના વિજયની ઉજવણી આખા ઉત્તરપ્રદેશે કરી હતી. અલ્હાબાદમાં અમિતાભનું વિજય સરઘર જોઈને અને રાજીવ ગાંધીના અમિતાભ પ્રત્યેના પ્રેમને જોઈને વી પી સમસમી ગયા હતા. તેમણે રાજીવને અમિતાભથી દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. તેનું એક ઉદાહરણ જોઈએ.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ પછી રાજીવ ગાંધી દેશમાં વિવિધ સ્થળે જતાં હતાં અને સભાઓ સંબોધતા હતા. આવી જ એક સભામાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ હતા. સભામાં મંચ પર રાજીવ ગાંધી બોલવા ઊભા થયા ત્યારે જનતાએ તેમને બોલવા ન દીધા અને અમિતાભને સાંભળવાનો આગ્રહ કર્યો. રાજીવ ગાંધીએ પ્રેમથી માઇક અમિતાભના હાથમાં આપી દીધું અને રેલી પૂર્ણ થયા પછી અમિતાભને કહ્યું હતું કે, તને તારી લોકપ્રિયતાનો અંદાજ નથી, મને છે! રાજીવ ગાંધી અને અમિતાભના સંબંધોમાં અહંકાર ક્યારેય આડખીલીરૂપ બન્યો નહોતો, વી પી સિંહે પ્રયાસો કર્યા હોવા છતાં. એ રેલીની જાણકારી મળ્યાં પછી વી પી સિંહે તેમના ચમચાઓ વતી રાજીવ ગાંધીની કાનભંભેરણી કરી હતી. તેમણે રાજીવ ગાંધીને પરોક્ષ રીતે ચેતવ્યા હતાં કે, તેઓ આ રીતે અમિતાભને આગળ વધારશે તો ભવિષ્યમાં રાજીવને હાંસિયામાં ધકેલીને અમિતાભ દેશના વડાપ્રધાન બની જશે. આ વાત સાંભળીને રાજીવ ગાંધી હસી પડ્યાં હતાં અને કહ્યું હતું કે, તો વી પી સિંહ રાજકારણ છોડી દેશે! વી પી સિંહ સહિત કોંગ્રેસના કેટલાંક નેતાઓને અમિતાભ પ્રત્યે ખુન્નસ છે તે રાજીવ જાણતા હતા.

રાજીવ ગાંધીના વડાપ્રધાન પદના કાર્યકાળ હેઠળ વી પી સિંહ નાણાં પ્રધાન હતા અને તેમણે તેમના મંત્રાલયનો દૂરપયોગ રાજીવ ગાંધીના જ મિત્રો પર દરોડા પડાવવા કર્યો હતો. તેમાં ધીરુભાઈ અંબાણી પણ હડફેટે ચડી ગયા હતા. હકીકતમાં વી પી સિંહ અંદરખાને રાજીવ ગાંધીને વડાપ્રધાન પદને લાયક ગણતા જ નહોતા (વી પી સિંહ એવું માનતા હતા કે તેઓ એકમાત્ર દેશના વડાપ્રધાન બનવાને લાયક છે, બાકી બધા નાલાયક!)  તેઓ રાજીવ ગાંધીને ધિક્કારતાં હતાં, પણ સત્તામાં રહેવા રાજીવ ગાંધીના હાથ નીચે કામ કરવા કમને તૈયાર થયા હતા. આ દરમિયાન અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ અને કોંગ્રેસમાં અમિતાભની લોકપ્રિયતા વધી રહી હતી. રાજીવ ગાંધી પણ અમિતાભથી ખુશ હતા. અમિતાભ અલ્હાબાદના સાંસદ તરીકે સારું કામ કરતાં હતાં એટલે વી પી અને ઉત્તરપ્રદેશમાં તેમના માણસોના પેટમાં તેલ રેડાયું હતું. વી પી અઠંગ રાજકારણી હતા. તેઓ જાણતા હતા કે ઉગતા રાજકારણીને નાથવો હોય તો એ જ્યાંથી ચૂંટણી લડ્યો હોય એ જ વિસ્તારમાં તેને ધૂળ ચટાડવી. તેમણે અલ્હાબાદમાં જ અમિતાભની સાંસદ તરીકેની છબી ખરડાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા અને સાંસદ તરીકે અમિતાભને મળતું ભંડોળ લગભગ સ્થગિત કરાવી દીધું હતું. અલ્હાબાદમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન સુપરસ્ટારે હોસ્પિટલો, શાળા, કોલેજે વગેરે લોકોપયોગી સંસ્થાઓ સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. પણ કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર પાસેથી ભંડોળ ન મળતાં અમિતાભ બચ્ચન અલ્હાબાદમાં જનોપયોગી કાર્યો આગળ ધપાવી શકતા નહોતા. બીજી તરફ વી પીના જ માણસોએ અમિતાભ વિરૂદ્ધ અલ્હાબાદમાં પ્રચાર શરૂ કરી દીધો હતો. તેઓ અમિતાભની રાજકીય યાત્રાને અલ્હાબાદમાં જ અટકાવી દેવા ઇચ્છતા હતા.

અમિતાભને આ વાતની જાણકારી મળી હતી તેમ છતાં તેમણે રાજીવ ગાંધીને વી પી સિંહ વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરી નહોતી. પણ રાજીવ ગાંધીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વી પીને આકરી ભાષામાં તેમની ઔકાત દેખાડી દીધી હતી. એ વખતે વી પી સમસમી ગયા હતા, પણ ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ ગાળામાં હોવિત્ઝર તોપ ખરીદવા માટે ભારત સરકારે બોફોર્સ એબી કંપની સાથે સોદો કર્યો હતો. તેમાં રાજીવ ગાંધી સહિત બીજા કેટલાંકે રૂ.64 કરોડની કટકી કરી હોવાના આરોપ મૂકાયા. એ સમયે રાજીવ ગાંધી સંરક્ષણ પ્રધાન હતા અને વી પી સિંહને તેમની મહત્વાકાંક્ષા સંતોષવાની તક મળી ગઈ. તેમણે દેશની જનતા સામે સારું દેખાડવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીને બદનામ કરવાની એક પણ તક ન છોડી. બોફોર્સ મામલો આખા દેશમાં ગજાવ્યો અને 1984માં વિક્રમી બહુમતી સાથે ચૂંટાઈ આવેલી કોંગ્રેસને 1989માં વિરોધ પક્ષની પાટલી પર બેસવાની ફરજ પડી. અત્યારે બોફોર્સ મામલે અમિતાભ બચ્ચનને કોણે સંડોવ્યા તેવો પ્રશ્ન પૂછી સંસદમાં ધમલ મચાવે છે એ જ ભાજપે વી પી સિંહને બહારથી ટેકો આપીને વડાપ્રધાન બનાવ્યા.

વડાપ્રધાન આવ્યા પછી તેમણે પહેલું કામ રાજીવ ગાંધી અને તેમના સાથીદારોને હેરાન-પરેશાન કરવાનું કર્યું. તેઓ જાણતા હતા કે તેમના મજબૂત હરિફ રાજીવ ગાંધી જ છે. તેમણે અમિતાભ બચ્ચનું નામ જાણીજોઈને આ મામલમાં સામેલ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. તેઓ એક તીર વડે બે નિશાન તાકવા માગતા હતા. એક, આખો મામલો અખબારો છવાયેલો રહે અને બે, અમિતાભ ફરી અલ્હાબાદથી સાંસદની ચૂંટણી લડે તો તેમને હરાવવા એક મજબૂત બહાનું મળી જાય. પણ અમિતાભ તેમની આ રાજરમત સમજી ગયા હતા. તેમણે સાંસદ તરીકે રાજીનામું આપી દીધું...


ચલતે-ચલતેઃ હું રાજકારણમાં ઝીરો છું - અમિતાભ બચ્ચન

બાબા રામદેવઃ ગુરુ નહીં ગુરુઘંટાલ...


કાળાં નાણું કેવી રીતે બને છે? સામાન્ય રીતે કરવેરામાં ચોરી કરીને ઊભી કરવામાં આવેલી રકમ અને ટ્રસ્ટને દાનપેટે મળેલા રૂપિયામાંથી કાળું નાણું બને છે. આ ધનનું રોકાણ ઉદ્યોગોમાં કરવામાં આવે છે અને તેમાંથી ઊભી થનારી રકમને દેશની જમીન અને હીરા-ઝવેરાતમાં રોકવામાં આવે છે. તેમ છતાં કાળું નાણું વધે તો તેને ચોરીછૂપી વિદેશોમાં મોકલી દેવામાં આવે છે. બાબા રામદેવે તેમના કાળાં નાણાંમાંથી મોટા પાયે જમીનની ખરીદી કરી છે. હકીકતમાં બાબા રામદેવ ભગવા વસ્ત્રોની આડમાં જમીનદાર જ છે, જેમણે પોતાના આડતિયાઓ, ટ્રસ્ટો અને સંસ્થાઓના નામે અબજો રૂપિયાની જમીન પર કબજો કરી લીધો છે.

રામદેવે આચાર્ય બાલકૃષ્ણ, દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટના નામે દિલ્હી-માણા નેશનલ હાઈવે પર હરિદ્વાર અને રુડકી વચ્ચે શાંતરશાહ નગર, બઢેડી, રાજપૂતાના અને બોંગલામાં મોટા પાયે જમીન ખરીદી છે. અહીં 23.798 હેક્ટર જમીન પર પતંજિલ ફેઝ-1, ફેઝ-2 અને પતંજલિ વિશ્વવિદ્યાલય બની છે.

શાંતરશાહ નગર અને તેની આસપાસ રામદેવની 1000 વીઘાથી વધારે જમીન છે. પણ આ ગુરુઘંટાલ રામદેવના આડતિયાઓ અને ટ્રસ્ટોના નામે ફક્ત 30 વીઘા જમીન નોંધાયેલી છે. આ જમીનની ખરીદી કાળાં નાણામાંથી જ થઈ છે. બાબાના ચાટુકરશિરોમણી આચાર્ય બાલકૃષ્ણના પીએનું નામ ગગનકુમાર છે. તેમનો પગાર મહિને રૂ.8,000 છે અને તેમણે 15 જાન્યુઆરી, 2011ના રોજ શાંતરશાહ નગરમાં 1.446 હેક્ટર જમીન ખરીદી છે. આ જમીનની ખરીદી રૂ.35 લાખમાં કરવામાં આવી છે જ્યારે તેનો બજારભાવ ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા છે. આ અગાઉ ગગને રુડકી તાલુકાના બાબલી-કલન્જરી ગામમાં રૂ.1.37 કરોડની જમીન ખરીદી હતી જ્યારે તેના સાચા બજારભાવ રૂ.15 કરોડથી વધારે છે. આ રીતે રામદેવે હરિદ્વારની આસપાસ અબજો રૂપિયાની જમીન ખરીદી છે. મહિને રૂ.8,000નો પગાર ધરાવતા ગગન પાસે જમીન ખરીદવા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા?

શાંતરશાહ નગર, બઢેડી, રાજપૂતાના અને બોંગલામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યા પછી રામદેવની નજર હરિદ્વારની ઔરંગાબાદ ન્યાય પંચાયત પર પડી. આ પંચાયતમાં રાજાજી રાષ્ટ્રીય પાર્કની સરહદ પર સ્થિત ઔરંગાબાદ અને શિવદાસપુર ઉર્ફે તેલીવાલા ગામ સામેલ છે. ઉત્તરાખંડના જમીન સંબંધિત કાયદા અનુસાર રાજ્યની બહારનો કોઈ પણ વ્યક્તિ કે ટ્રસ્ટ રાજ્યમાં 250 ચોરસ મીટરથી વધારે કૃષિલક્ષી જમીન ખરીદી ન શકે. જ્યારે જુલાઈ, 2008માં ઉત્તરાખંડની ભાજપ સરકારે રામદેવે નિયમોમાં તમામ છીંડાનો ઉપયોગ કરીને ઔરંગાબાદ, શિવદાસપુર વગેરે ગામમાં રામદેવને 75 હેક્ટર જમીન ખરીદવાની મંજૂરી આપી હતી. એ પછી તો એકલા ઔરંગાબાદ ગામમાં જ બાબાના ટ્રસ્ટ અને તેમની ચમચામંડળીએ સામ,દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને 2,000 વીઘા જમીન પર કબ્જો કરી લીધો છે. એ જ રીતે શિવદાસપુર ગામમાં રામદેવના પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટે 2,325 વીઘા જમીન પર કબ્જો કરી લીધો છે.

હરિદ્વારમાં રામદેવના સામ્રાજ્યનું ત્રીજું કેન્દ્ર પદાર્થા-ઘનપુરા ગ્રામસભાની આસપાસ છે. અહીં રામદેવે મુસ્તફાબાદ, ઘનપુર, ઘિસ્સુપુરા, રાનીમાજરા અને ફેરુપુરા મૌજામાં જમીનોની મોટા પાયે ખરીદી કરી છે. આ જમીન પતંજલિ આયુર્વેદ લિમિટેડના નામે ખરીદવામાં આવી છે. સરકારે આ જમીન પર ઔષધિ નિર્માણ અને આયુર્વેદિક સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવાના આશય સાથે મંજૂરી આપી હતી. પણ પાછળથી અહીં ફૂડ પાર્ક લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. આ પાર્ક 700 વીઘા જમીન પર કાર્યરત છે. ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના રાજ્યોમાં રામદેવની છાપ સંત કે યોગગુરુ જેવી છે જ નહીં. તેને ઉત્તર ભારતીયો ગુરુઘંટાલ, દલાલ કે જમીનદાર તરીકે જ કહે છે. કેટલાંક લોકો તો તેને રાજકારણીઓના કાળાં નાણાંને સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખાવે છે. એટલે જ તેમને ભ્રષ્ટાચાર સામેની લડતમાં જોઈએ તેવું સમર્થન મળતું નથી અને નહીં જ મળે.

Monday, April 23, 2012

કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા ઊપજે


સંતાનવૃદ્ધિને મર્યાદામાં મૂકવાની જરૂર છે એ બાબતમાં તો બે અભિપ્રાય હોઈ જ ન શકે. પણ તેનો એકમાત્ર માર્ગ જમાનાઓ થયા આપણને વારસામાં અપાયેલો સંયમ - બ્રહ્મચર્ચ - છે. એ એક રામબાણ ઉપાય છે અને તેના પાલન કરનારનું તે કલ્યાણ કરે છે. દાક્તરી વિદ્યાવાળા જનનમર્યાદા માટે કૃત્રિમ સાધનોની શોધો કરવાને બદલે જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો સદાના માટે મનુષ્યજાતિના સદા માટે આશીર્વાદ મેળવશે.

કૃત્રિમ સાધનો એ દુરાચારને ઉત્તેજન આપવા જેવું છે. પુરુષને તેમ જ સ્ત્રીને તે આંધળાંભીંત કરી મૂકે છે. અને આ ઉપાયોને જે પ્રતિષ્ઠા અપાઈ રહી છે તેથી સામાજિક માન્યતાઓને જે કંઈ દાબ માણસ ઉપર રહે છે તેને પણ ઊડતાં વાર નથી લાગવાની. કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા જ ઊપજે. રોગ કરતાં ઇલાજ જ વધુ ઘાતક નીવડવાનો.

પોતાના કર્મના ફળમાંથી બચી જવાની કોશિશ કરવી એ ખોટું છે, અનીતિમય છે. જે અકરાંતિયો થઈ વધુ ખાઈ લે તેને પેટમાં ચૂંક આવે અને પછી ઉપવાસ કરવો પડે એ જ સારું છે. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકી દઈ ભૂખ ઉપરાંત ઠાંસીને ખાઈ લીધા પછી તેના કુદરતી પરિણામમાંથી બચવા ખાતર પાચક ઓસડ લેવાં એ ખોટું છે. પણ માણસ પોતાની પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના પરિણામમાંથી બચી જાય એ તેથીયે જુદું છે. કુદરત કોઈની દયા ખાતી નથી અને પોતાના નિયમોના ઉલ્લંઘનનું પૂરેપૂરું ભાડું લે છે. સાત્વિક અને શુભ પરિણામ તો વાસનાઓના નિગ્રહથી જ મેળવી શકાય. બીજા બધા ઉપાયોનાં પરિણામ વિષમ જ આવે.

ગાંધીગંગાઃ કૂતરાંબિલાડાંની પેઠે થતી પ્રજાવૃદ્ધિ બેશક અટકાવવી જોઈએ

Saturday, April 21, 2012

બાબા રામદેવઃ કરચોર નંબર વન...


ગુરુ અને ગુરુ ઘંટાલમાં ફરક છે, પણ બાબા રામદેવના ચેલાઓ અને ચેલીઓ તેમજ તેમના આંદોલનને સમર્થન આપતી આ દેશની 'ઇમોશનલ ફૂલ' જનતા આ ભેદને સમજતી નથી. આપણો દેશ લાગણીપ્રધાન છે. ભારતીયોને લાગણીના પ્રવાહમાં વહીને છેતરાઈ જવાની અને તેના પર પાછો ગર્વ અનુભવવાની ટેવ પડી ગઈ છે. રાજકીય આંદોલનોમાં સક્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તમારી પાસે રાજકારણ સંબંધિત માહિતી અને સમજણ હોવા જોઈએ. તેમાં લાગણીને કોઈ અવકાશ નથી. પણ ભારતમાં આ બાબતે ઊલટી ગંગા વહે છે. અહીં માહિતી મેળવવા અને સતત માહિતગાર રહેવાની કોઈને દરકાર નથી તેમજ સમજણ મેળવવાની ક્ષમતા નથી. રાજકીય મૂર્ખતા ભારતીયોનો આનુવંશિક ગુણ છે. આ સંજોગોમાં બાબા રામદેવ જેવા ગુરુ ઘંટાલ રામલીલા મેદાનમાં તાયફો કરી શકે છે, ભીંસમાં આવે તો મંચ પરથી માંકડછાપ ઠેકડો મારી શકે છે, પોલીસના ડંડાથી બચવા પોતાની અનુયાયી મહિલાનો ડ્રેસ મેદાનના એક ખૂણામાં ઉતરાવી શકે છે અને સ્ત્રીના લિબાસમાં ઊભી પૂછડીએ નાસી શકે છે. આ કળિયુગના રણ-છોડે ફરી દિલ્હીમાં ધામા નાંખ્યા છે અને કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંદોલન કરવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે કહ્યું કે, ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓનો પર્દાફાશ થયા પછી સરકાર સત્તાસ્થાને રહે એવું ફક્ત ભારતમાં જ શક્ય છે. પણ આ દેશમાં કાળાં નાણાંના ઢગલાં ખડકીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરનાર બાબાઓ, કાબાઓ અને ગુરુ ઘંટાલો સરકાર સામે આંદોલન કરી શકે એ પણ શક્ય નથી? 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભ્રષ્ટાચારી જ છે. આ દેશમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે. પણ સવાલ નૈતિકતાનો છે. આપણા પોતાના ઘર કાચના બનેલા હોય ત્યારે બીજાના ઘર પર પત્થર ફેંકવાનું કેટલું યોગ્ય છે? બીજા લોકોને પ્રામાણિકતાના પાઠ ભણાવતા પહેલા આપણે પોતે ઇમાનદાર હોવા જોઈએ અને બાબા રામદેવ ભ્રષ્ટાચારનો ઘુઘવાતો દરિયો છે. તેમના અબજો રૂપિયાના સામ્રાજ્યના પાયામાં કાળું નાણું છે. તેમને સરકાર સામે આંદોલન કરવાનો અધિકાર જ નથી. તેઓ પોતે કાણાં નાણાંનો અસ્ખલિત સ્રોત છે. ચાલો, તેમની કેટલીક કરતૂતો વિશે જાણકારી મેળવીએ. 

યોગગુરુ નહીં કરચોર નંબર વન

સરકારને ભ્રષ્ટાચારી કહેનાર રામદેવ દેશના સૌથી મોટા કરચોરોમાં સામેલ છે. ડેવિડ ધવન કરચોર નંબર વન ફિલ્મ બનાવવાનું વિચારતાં હોય તો તેમાં મુખ્ય અભિનેતા તરીકે સૌથી ઉપયુક્ત નટ બાબા રામદેવ જ છે. રામદેવની કરચોરીનો પર્દાફાશ ઉત્તરાખંડના હરિદ્વારા વેચાણવેરા વિભાગે વર્ષ 2004માં કર્યો હતો. એ સમયે બાબા રામદેવે યોગગુરુ સ્વરૂપે પ્રસિદ્ધ થઈ રહ્યાં હતા. ચારે તરફ તેમની ચર્ચા હતી. ટીવી ચેનલો તેમની પાસેથી રૂપિયા લઈને તેમની આરતી ઉતારતી હતી. દેશના અલગ-અલગ શહેરોમાં તેમની યોગ શિબિરોમાં પગ મૂકવાની જગ્યા મળતી નહોતી. તેમના ઉદ્યોગસાહસ દિવ્ય ફાર્મસીની દવાઓ પર લોકો તૂટી પડ્યા હતા. જેને જરૂર હતી એ તો ખરીદતા જ હતા, પણ કેટલાંક દોઢ ડાહ્યાંઓએ સાવેચતીના ભાગરૂપે તેનું સેવન કરવાની શરૂઆત કરી દીધી હતી. પણ તમને ખબર છે કે નાણાકીય વર્ષ 2004-05માં રામદેવની આ કંપનીએ કેટલા રૂપિયાનું વેચાણ દેખાડ્યું હતું? 

ફક્ત રૂ.6,73,000. એ સમયે રામદેવના હરિદ્વાર આશ્રમમાં રોગીઓના ટોળાં જામતાં હતાં. પોસ્ટઓફિસ મારફતે પણ લાખો રૂપિયાની દવાઓ દેશવિદેશમાં મોકલવામાં આવતી હતી. રામદેવની લીલાઓ જોઈને ઉત્તરાખંડના વેચાણવેરા વિભાગને આ આંકડો ખોટો હોવાની શંકા ગઈ એટલે હરિદ્વારની પોસ્ટઓફિસ પાસેથી માહિતી માંગવામાં આવી. તેમાંથી જે આંકડા મળ્યાં તેને જોઈને વેચાણવેરા અધિકારીઓને તો પાક્કી ખાતરી થઈ ગઈ કે બાબા રામદેવ ન તો સાધુ છે, ન સંત છે, પણ પાક્કો વેપારી છે. એ ગુરુ નથી, ગુરુ ઘંટાલ છે. પોસ્ટઓફિસના આંકડા મુજબ, એ વર્ષે રામદેવની દિવ્ય ફાર્મસીએ 3,353 પાર્સલો મારફતે 2,509.256 કિલોગ્રામ માલ બહાર મોકલ્યો હતો. આ ઉપરાંત રૂ.13,13,000 મૂલ્યના વીપીપી પાર્સલ રવાના થયા હતા. એ જ વર્ષે ફાર્મસીને રૂ.17,50,000ના મની ઓર્ડર પણ મળ્યા હતા.તમામ આંકડાઓનો આધારે વેચાણવેરા વિભાગના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સેલ (એસઆઇટી)એ દિવ્ય ફાર્મસીની વિવિધ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તેમાં વેચાણવેરાની ચોરી મોટા પાયે પકડાઈ. આ દરોડા પાડવામાં મુખ્ય ભૂમિકા જગદીશ રાણા નામના વેચાણવેરા અધિકારીએ ભજવી હતી. તેઓ એ સમયે હરિદ્વારના વેચાણવેરા વિભાગમાં ડેપ્યુટી કમિશનર હતા. તેમના કહેવા મુજબ, એ વર્ષે ગુરુ ઘંટાલ રામદેવે રૂ.પાંચ કરોડના વેચાણવેરાની ચોરી કરી હતી. તેઓ આ કરચોરી કેવી રીતે કરે છે? 

સામાન્ય રીતે કંપનીઓ કરચોરી કરવા માટે પોતાના પરિવારના સભ્યોના નામે ટ્રસ્ટ બનાવતાં હોય છે. રામદેવે પણ અનેક ટ્રસ્ટોની માયાજાળ રચી છે. તેમની દવાઓનું ઉત્પાદન કરતી કંપની દિવ્ય્ ફાર્મસી વેચાણવેરો ન ભરવો પડે એટલે દવાઓના સ્ટોકને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દે છે. વર્ષ 2004માં દિવ્ય ફા્ર્મસીએ વેચાણવેરા વિભાગને જેટલી રકમનું વેચાણ દેખાડ્યું હતું, તેના કરતાં પાંચ ગણા મૂલ્યની એટલે કે રૂ.30,17,000ની દવાઓ 'દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ'ને ટ્રાન્સફર કરી હતી. આ ટ્રસ્ટનું સંચાલન બાબા રામદેવના લાલિયા, બાલિયા અને પાલિયા જ કરે છે. આવકવેરાના રિટર્નમાં બાબા રામદેવે જણાવ્યું કે આ દવાઓ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વહેંચવામાં આવે છે. હકીકતમાં આ દવાઓનું વેચાણ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ દ્વારા થતું હતું અને એ પણ તગડા ભાવે. રામદેવ ગરીબોના નામ આ પ્રકારના જુદાં જુદાં ટ્રસ્ટ ચલાવે છે અને દિવ્ય ફાર્મસી આ ટ્રસ્ટોને દવાઓનો મોટો સ્ટોક ટ્રાન્સફર કરે છે, જેથી વેચાણવેરો ભરવો ન પડો. તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તરાખંડના વેચાણવેરા વિભાગમાં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલી યોગપીઠ ટ્રસ્ટનું હજુ સુધી રજિસ્ટ્રેશન પણ થયું નથી. નિયમ પ્રમાણે, રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કોઈ પણ ટ્રસ્ટ કોઈ ચીજવસ્તુનું વેચાણ કરી ન શકે. પણ આ ટ્રસ્ટોમાંથી દરરોજ લાખો રૂપિયાની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લાં થોડા વર્ષ દરમિયાન દિવ્ય ફાર્મસીએ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ અને અન્ય સ્થાનોમાં અબજો રૂપિયાની દવાઓનો સ્ટોક ટ્રાન્સફર કર્યો છે, જેના વેચાણ પર વેચાણવેરો ભરવો જરૂરી છે. અહીં સવાલ એ થાય છે કે, બાબા રામદેવ આ કાળાં નાણાંનું કરે છે શું? બાબા રામદેવે આ નાણાંમાંથી ઉત્તરાખંડના હરિદ્વારમાં જમીનનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. (ક્રમશઃ)

Wednesday, April 18, 2012

ચમચાગીરી, ચાટુકારિતા અને ઓમ નરેન્દ્રાય નમઃ...



વફાદારી અને ચમચાગીરીમાં ફરક છે, પણ ગુજરાતીઓ અને હિંદુસ્તાનીઓ જાણીજોઈને ચમચાગીરીને વફાદારી ગણાવે છે. વફાદારી સાથે મર્યાદા જોડાયેલી હોય છે જ્યારે ચમચાગીરી અમર્યાદ અને હાસ્યાસ્પદ હોય છે. આપણા દેશમાં ગાંધી-નહેરુ પરિવારના ચમચાઓની જમાત જાણીતી છે અને આ જમાત શાશ્વત છે. ચમચાઓની એક પેઢી પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં ચમચાઓના ચિંધ્યા માર્ગે હજૂરિયાઓની યુવા પેઢી તૈયાર થઈ જાય છે. ભાજપના રાજકારણીઓ અવારનવાર આ ચમચા સંસ્કૃતિ પર પ્રહાર કરે છે, પણ હવે કોંગ્રેસી ચમચાઓને પણ શરમાવે તેવા હજૂરિયાઓ ભાજપમાં તૈયાર થઈ ગયા છે અને તેનું નેતૃત્વ પણ ગુજરાતે જ પૂરું પાડ્યું છે! આ સિદ્ધિને બિરદાવવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અખબારોમાં આખાં પાનાંની જાહેરાત ન આપવી જોઈએ?

ધારો કે આ પ્રકારની જાહેરાત આવે તો તેમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે આ પ્રકારનો સંદેશ હોવો જોઈએઃ દેશની ચમચા સંસ્કૃતિને નવું નેતૃત્વ પૂરું પાડવામાં અને નવી દિશા આપવામાં ગુજરાત સરકાર (એટલે નરેન્દ્ર મોદી) ગૌરવ અનુભવે છે! દેશના હાલના તમામ મુખ્યમંત્રીઓમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ છે તેમાં ના નહીં, પણ તેમના સાથીદારો પણ ઓછા વાઇબ્રન્ટ નથી અને તેમની વાઇબ્રન્સીથી કદાચ મોદી પણ ધ્રુજારી અનુભવી રહ્યાં છે. થોડા સમય અગાઉ સુરતમાં પણ એક હજૂરિયાએ નરેન્દ્ર મોદીના કાર્યોને કૃષ્ણની લીલા સમાન ગણાવ્યાં હતાં. નરેન્દ્ર મોદી દિલ્હી જઈ રહ્યાં છે એ નક્કી થઈ ગયા પછી તેમના ચમચાઓ વચ્ચે સ્પર્ધા જામી છે. તેઓ બધા ટપાકાં પાડી રહ્યાં છે, મોદીને કૃષ્ણાવતાર ગણાવી રહ્યાં છે અને એકસૂરે મંત્રોચ્ચાર કરી રહ્યાં છે, ઓમ નરેન્દ્રાય નમ!

કોંગ્રેસના કેટલાંક હાડોહાડ વિરોધીઓ ચાટુકારિતા સંસ્કૃતિના મૂળિયાં નહેરયુગમાં હોવાની ડંફાસો મારે છે, પણ ખરેખર તે સાચું નથી. ભારતની મહાન ધરતીમાં ચાટુકારિતાનો ઇતિહાસ છે. અઢારમી સદીમાં અંગ્રેજ રૉબર્ટ ક્લાઇવે કહ્યું હતું કે, હિંદુસ્તાનમાં દરેક માણસની એક કિંમત છે, તેને ફેંકીને એને ખરીદી શકાય છે. અંગ્રેજીમાં હજુરિયાઓ માટે, ચમચાઓ માટે, ચાટુકરો માટે 'કુરિયર્સ' શબ્દ છે. પશ્ચિમના દેશોમાં ચમચાગીરીને જઘન્ય આદત ગણવામાં આવે છે, પણ ગુજરાત સહિત હિંદુસ્તાનમાં સફળતા મેળવવાનો સૌથી સરળ માર્ગ ચાટુકારિતા છે. તમે જે ક્ષેત્રમાં કામ કરતાં હોવ તેના વિશે માહિતી અને સમજણ ઓછી હશે તો ચાલશે, પણ તમારા ઉપરી અધિકારીને પુચકારવામાં કુશળ હશો તો તમામ પ્રતિભાશાળી અને કુશળ સાથીદારોને પાછળ મૂકી દેશો. દેશમાં બહુ ઓછા ક્ષેત્રો છે જે ચાટુકારિતાથી મુક્ત છે. ચાટુકારો ચારે દિશામાં ફેલાયેલા છે અને મોટા ભાગના જાહેર ક્ષેત્રો પ્રતિભાથી વંચિત થતાં જાય છે. જોકે આ દેશને ચમચાઓની જેટલી જરૂર છે તેટલી પ્રતિભાશાળી વ્યક્તિની જરૂર નથી એ પણ હકીકત છે...

ચલતે-ચલતેઃ નેતાને તેના હરિફો કરતાં પણ વધારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા તેના હજૂરિયાઓમાં છે

Saturday, April 14, 2012

મોમતાઃ હસવા માટે નામ જ કાફી છે


ફ્રાંસના મહાન લેખન અને દાર્શનિક વોલ્તેયરે કહ્યું છે કે, હું ઈશ્વર પાસે ક્યારેય કશુંય માગતો નથી, પણ તેને મારી એક અરજ છે. હે ઈશ્વર, તું મારા દુશ્મનોને હાસ્યાસ્પદ અને મૂર્ખ બનાવજે અને એ મારી અરજ હંમેશા કબૂલ કરે છે.

માર્ક્સવાદીઓ એટલે ડાબેરીઓને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. તેઓ ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોવાનું માને છે. પણ બંગાળની ધૂરા મમતાએ સંભાળ્યા પછી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હશે કે, જો ખરેખર તારું અસ્તિત્વ હોય તો મારા દુશ્મન (મમતા સમજવું)ને હાંસીપાત્ર બનાવજે. અને ઈશ્વરે પણ વોલ્તેયરની જેમ ડાબેરીઓની પ્રાર્થના કબૂલ કરી હોય તેવું લાગે છે. અત્યારે મમતા દેશભરમાં હાંસીપાત્ર બની ગયા છે. બંગાળમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાયા પછી તેમણે તેમની સમજણશક્તિ પર પ્રશ્ન થાય તેવા નિર્ણયો લીધા છે. જાધવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકેશ મહાપાત્રની કાર્ટૂન પ્રકરણમાં ધરપકડ થયા પછી મમતાને સમર્થન આપનાર બૌદ્ધિકો તો અવાક થઈ ગયા છે. બંગાળમાં મમતારાજ સ્થાપિત થયા પછી દીદીએ તેમની વાસ્તિવક બૌદ્ધિક ક્ષમતાના દર્શન બંગાળીઓને કરાવ્યાં છે. મમતાએ લીધેલા નિર્ણયો પર કોલકાતામાં હસગુલ્લાઓ પ્રચલિત થયા છે અને હવે ઠઠ્ઠાચિત્રો બનવાનું પણ શરૂ થઈ ગયા છે.

સત્તામાં આવ્યા પછી તરત જ મમતા પર વિજયનો નશો એ હદે સવાર થયો હતો તેમણે કોલકાતાની તમામ સરકારી બિલ્ડિંગોને વાદળી રંગથી રંગવાનું તઘલખી ફરમાન જાહેર કર્યું હતું. વાદળી રંગ મમતાના તૃણમૂલ કોંગ્રેસ પક્ષનો છે. અત્યારે કોલકાતાની અડધોઅડધ બિલ્ડિંગ વાદળી રંગને રંગ રંગાઈ ગઈ છે અને બાકીની બિલ્ડિંગનું રંગરોગાણ ચાલુ છે. તેના થોડા દિવસ પછી મોમતા દીદી પર રવિન્દ્રસંગીતનો ભૂત સવાર થયું હતું. એટલે તેમણે કોલકાતાના દરેક ટ્રાફિક સિગ્નલ પર રવિન્દ્ર સંગીત સતત વાગતું રહે તેવો આદેશ જાહેર કર્યો હતો. ટ્રાફિક કમિશનર ચકરી ખાઈ ગયા હતા. મમતાનું ગાંડપણ જોઈને પ્રસિદ્ધ લેખિકા મહાસ્વેતા દેવી હતપ્રભ થઈ ગયા છે. તેમણે બંગાળમાં ડાબેરીઓ વિરૂદ્ધ જંગ છેડનાર મમતાને મા, માટી અને માનુષના પ્રતિક ગણાવ્યા હતા. પણ સત્તામાં આવ્યા પછી મમતાના રંગ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ છે.

મહાસ્વેતા દેવીને આશા હતી કે મમતા ડાબેરીઓના ગુંડારાજમાંથી બંગાળને મુક્ત કરશે. પણ મમતા સત્તામાં આવ્યા પછી ગુંડાઓએ પાર્ટી બદલી છે. અગાઉ ડાબેરીઓ તરફથી ગુંડાગર્દી કરતાં માથાભારે અને અસામાજિક તત્વો હવે તૃણમૂલ કોંગ્રેસમાં ભળી ગયા છે. મમતાના કાર્ટૂનનો ઇન્ટરનેટ પર પ્રસાર કરનાર પ્રોફેસર મહાપાત્ર આ ગુંડાઓથી જ ડરે છે. તેમણે પોતાને અને પોતાના પરિવારજનોને મમતાના ગુંડાઓથી જીવનું જોખમ હોવાની ફરિયાદ કરી છે. આ સંપૂર્ણ પ્રકરણથી મમતાની જગહસાઈ થઈ છે અને તેમની છબી ખરડાઈ છે એ વાત નક્કી છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં મમતાનું નામ સાંભળતા જ હાસ્યાની છોળો ઉડે છે. હજુ થોડા દિવસ અગાઉ તેમણે બે ગાંડાઘેલા નિર્ણયો જાહેર કર્યા હતા. સૌપ્રથમ તેમણે બંગાળની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇતિહાસના પુસ્તકોમાં માર્ક્સ અને એન્જલ્સ સંબંધિત પ્રકરણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. એ પછી તેમણે રાજ્ય સરકાર સંચાલિત પુસ્તકાલયોમાં અંગ્રેજી અખબારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમનું આ સ્વરૂપ જોઈને બંગાળવાસીઓનો અને ખાસ કરીને ત્યાંના બૌદ્ધિકોનો મોહભંગ થઈ ગયો છે. તેમને હવે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની કિંમત સમજાય છે, જેમણે બંગાળના યુવાનોને રોજગારી મળે એ માટે રાજ્યમાં ફરી ઉદ્યોગધંધા સ્થાપિત થાય એ માટે પ્રયાસ કર્યા હતા.

ચલતે-ચલતેઃ મનુષ્ય પાસે અધિકાર હોય છે ત્યારે જ તેની બુદ્ધિની કસોટી થાય છે

Saturday, April 7, 2012

`સરદાર' અને 'મૂર્ખના સરદાર' વચ્ચે ફરક છે...


ઉન્માદ અને આવેશ અસામાન્ય મનોસ્થિતિ છે. સમાજ આવી અસાધારણ મનોસ્થિતિમાં આવી જાય ત્યારે પ્રજા ગાંડીઘેલી થઈ જાય છે. આવી પ્રજાને ભરમાવવી બહુ સહેલી છે. ક્યારેક ધર્મના નામે તો ક્યારેક જાતિના નામે પ્રજા ભરમાઈ જાય છે અને તેમને દ્રષ્ટિભ્રમમાં નાંખતા રાજકારણીઓ લાંબો સમય શાસન કરવામાં સફળ નિવડે છે. આ સંજોગોમાં પ્રજા રાજકારણ અને રાજનીતિ વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. જનતા સરદાર અને મૂર્ખના સરદાર વચ્ચેનો ફરક ભૂલી જાય છે. પણ રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે ફરક છે. રાજકારણ લોકપ્રિય શબ્દ છે જ્યારે રાજનીતિજ્ઞ સન્માનજનક શબ્દ છે. રાજકારણી લોકપ્રિય હોય છે, પણ રાજનીતિજ્ઞ તો સન્માનિય હોય છે.

અત્યારે રાજકારણ અને રાજકારણી શબ્દ અત્યંત લોકપ્રિય અને પ્રચલિત છે. સામાન્ય રીતે આપણે રાજકારણીને રાજનીતિજ્ઞ માનીએ છીએ અને રાજનીતિજ્ઞને રાજકારણી માનીએ છીએ. ઓક્સફર્ડ ડિક્શનરીમાં રાજકારણી (Politician) અને રાજનીતિજ્ઞ (Statesman)નો સ્પષ્ટ અર્થ સમજાવવામાં આવ્યો છે. આ શબ્દકોશ મુજબ, રાજકારણી એટલે એવી વ્યક્તિ જે પોતાના ફાયદા માટે કે સત્તા મેળવવા સંગઠનમાં જુદી જુદી સ્થિતિનો ઉપયોગ કરવામાં માહેર હોય (Politician = a person who is good at using different situations in an organization to try to get power or advantage for himself or herself). આ વ્યાખ્યા સ્પષ્ટપણે રાજકારણીનો અર્થ સ્પષ્ટ કરે છે. તેમાં રાજકારણીનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે તેમનો હેતુ સત્તા મેળવવાનો કે પોતાનો હિત સાધવાનો હોય છે. આ પ્રકારના વ્યક્તિઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પોતાને પક્ષ કે સંગઠનથી પર સમજતા હોય છે. વ્યક્તિગત સ્વાર્થ સાધવા આ પ્રકારની વ્યક્તિઓ દેશ અને દેશની જનતાના હિતનું બલિદાન આપવા માટે જરાય ખચકાટ અનુભવતા નથી. જ્યારે રાજનીતિજ્ઞ માટે દેશનું હિત સર્વોપરી હોય છે.

ઓક્સફર્ડ ડિક્શનરીમાં રાજનીતિજ્ઞનો અર્થ જણાવતા કહેવામાં આવ્યું છે કે, રાજનીતિજ્ઞ એવી વ્યક્તિ છે જે શાણી, અનુભવી અને સન્માનિત રાજકીય નેતા છે (Statesman = a wise, experienced and respected political leader). અહીં રાજનીતિજ્ઞના ત્રણ ગુણો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યાં છે. આ પ્રકારની વ્યક્તિ શાણી, અનુભવી અને સન્માનને પાત્ર હોય છે. તમને શાણી વ્યક્તિ અને સ્વાર્થી વ્યક્તિ વચ્ચેનો ભેદ ખબર હોય તો રાજકારણી અને રાજનીતિજ્ઞને સરળતાથી સમજી શકો. સ્વાર્થી વ્યક્તિ સફળ હોઈ શકે છે, પણ તેને શાણી વ્યક્તિ ન કહી શકાય. સ્વાર્થી રાજકારણી પોતાનો સ્વાર્થ સાધવા કાવાદાવા કરીને આગળ વધી શકે છે. એ દેશની જનતાને ભરમાવીને લાંબો સમય સુધી શાસન પણ કરી શકે છે. તમે તેને સફળ કહી શકો પણ શાણો નહીં. શાણો રાજકારણી એ છે કે જે કોઈ પણ પગલું ભરતા અગાઉ પોતાના દેશ અને સમાજનો વિચાર કરે છે. માત્ર પોતાના સ્વાર્થ ખાતર કે સત્તા મેળવવા એ ક્યારેય કોઈ કદમ ઉઠાવતો નથી. સરદાર પટેલ શાણાં રાજકારણી હતા. તેઓ રાજનીતિજ્ઞ હતા. તેમના રાજકારણમાં દેશહિત સર્વોપરી હતું. તેઓ સત્તાપિપાસુ નહોતા. ગાંધીજીએ નેહરુને વડાપ્રધાન બનાવ્યા ત્યારે તેમણે ધાર્યું હોત તો બળવો કરીને વડાપ્રધાન બની શક્યા હોત. પણ તેમણે સત્તા કરતાં દેશહિત મહત્વનું છે એવો સંદેશ આપ્યો.

રાજનીતિજ્ઞનો સૌથી મહત્વનો ગુણ છે કે દેશની જનતામાં તેના પ્રત્યે સન્માન હોવું. સન્માનિત વ્યક્તિ લોકપ્રિય હોય છે, પણ લોકપ્રિય વ્યક્તિ હંમેશા સન્માનિત હોતી નથી. ગાંધી, સરદાર અને જયપ્રકાશ લોકપ્રિય હોવાની સાથે સન્માનિત પણ હતા. તેમનું જીવન અનેક દેશવાસીઓ માટે આદર્શ સમાન છે. તેમના ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. તેમના સિદ્ધાંતો દિવાદાંડી સમાન છે. તેની સામે દેશમાં અત્યારે અનેક રાજકારણીઓ લોકપ્રિય છે, પણ તેમાંથી એક પણ સન્માનને પાત્ર નથી. તેમનું જીવન પ્રંપચોથી ખદબદે છે. ખુશામતિયાઓથી ઘેરાયેલા આ રાજકારણીઓએ પ્રત્યે જનતામાં ધૃણા છે. તેઓ પોતાની સત્તા જાળવવા પોતાના જ પક્ષ અને દેશના હિતની બલી ચડાવી રહ્યાં છે. તેઓ પોતાનું હિત જાળવવા દેશના વિવિધ વર્ગોને એકબીજા સાથે લડાવી રહ્યાં છે....પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના સબકો સન્મિત દે ભગવાન....

Wednesday, April 4, 2012

સોનેરી તક


એક આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાયું હતું. ત્યાં અનેક ચિત્રો કળારસિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પણ એક ચિત્ર પાસે અત્યંત ભીડ હતી. આ ચિત્રમાં એક એવી આકૃતિ હતી, જેનો ચહેરો વાળથી ઢંકાયેલો હતો અને માથાના પાછળનો ભાગ સપાટ એટલે કે મુંડેલો હતો. તેના પગમાં પાંખો લાગેલી હતી. આ ચિત્ર જોઈને કળારસિકો ચકિત થઈ ગયા હતા. તેમણે સમજણ પડતી નહોતી કે ચિત્રકાર આ ચિત્ર દ્વારા કહેવા શું માંગે છે. તેમણે ચિત્રકારને આ વિશે પૂછ્યું.

દર્શકોનો પ્રશ્ર સાંભળીને ચિત્રકારો બોલ્યો, ‘‘આ મનુષ્યને તેના જીવનમાં વિકાસ સાધવા માટે મળતી સોનેરી તકનું ચિત્ર છે.’’ એક દર્શક તરત જ બોલ્યો, ‘‘તકનું સ્વરૂપ આવું હોય છે તેની તમને કેવી રીતે ખબર?’’ ચિત્રકાર બોલ્યો, ‘‘તકનું આ સ્વરૂપ હું નહીં અનેક લોકો જાણે છે.’’ બીજા દર્શકની ઉત્સુકતા વધી ગઈ હતી. તેણે તરત જ પૂછ્યું, ‘‘તકનો ચહેરો ઢંકાયેલો કેમ છે?’’ ચિત્રકારે કહ્યું, ‘‘મોટા ભાગના લોકો યોગ્ય સમયે તેમને મળતી તકને ઓળખી શકતા નથી. તકને ઓળખવા અંતર્દષ્ટિ જોઈએ’’ બીજા એક દર્શકે પૂછ્યું, ‘‘તેના પગમાં પાંખો કેમ છે?’’ ચિત્રકારે જવાબ આપ્યો, ‘‘તક અત્યંત ઝડપથી આવે છે. તમારા દ્વારે ટકોરા મારે છે અને ઝડપથી સરકી જાય છે. તમે તેને ઝડપી ન લો તો એ તમારા હાથમાંથી સરકી જાય છે.’’

ચિત્રકારના જવાબ દાર્શનિક હતા. કળારસિકોને તેમના જવાબ સાંભળી અત્યંત આનંદ થયો. બીજા એક દર્શકે ઉત્સુકતા સાથે પૂછ્યું, ‘‘આ આકૃતિના માથામાં પાછળના ભાગે મુંડન કેમ કરેલું છે?’’ ચિત્રકારે સસ્મિત જવાબ આપ્યો, ‘‘તમે સરકી જતી તકને પાછળથી પકડી શકતા નથી. ચહેરો વાળથી ઢંકાયેલો છે, પણ વાળ આગળ છે. તમે વાળને પકડીને તકને ઝડપી શકો છે, તેને કાબૂમાં કરી શકો છે.પણ તક તમારા હાથમાંથી ચાલી જાય પછી તેને ઝડપવાનો પ્રયાસ કરો તો એ સરકી જાય છે.’’ તેના જવાબ સાંભળી કળારસિકો સંતુષ્ટ થયા. તેમને એક ચિત્રના બહાને જીવનના એક મોટા સત્યને સમજવાની તક મળી.

Tuesday, April 3, 2012

સેવા કરવા કોઈ કામ નાનું કે મોટું નથી


યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કર્યો. તેમણે અનેક રાજામહારાજને યજ્ઞમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું. ભારતવર્ષના અનેક રાજામહારાજ પાંડવોના યજમાન બન્યા. આટલા લોકોની દેખભાળ કરવા પાંડવો સહિત અનેક વ્યક્તિ સેવાકાર્યમાં મગ્ન થઈ ગયા. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ યજ્ઞમાં આવ્યા. તેમણે જોયું કે અનેક લોકોની ભારે ભીડ યજ્ઞમાં સામેલ થવા આતુર છે. તેઓ યુધિષ્ઠિર પાસે ગયા. શ્રીકૃષ્ણને જોઈને તુરત જ યુધિષ્ઠિર ઊભા થઈ ગયા અને તેમનું સ્વાગત કર્યું. પછી તેમણે મુરલીધરને સર્વશ્રેષ્ઠ આસન પર બિરાજવા કહ્યું.

યુધિષ્ઠિરનું આમંત્રણ સ્વીકારી શ્રીકૃષ્ણ બોલ્યા, ''તમે રાજસૂર્ય યજ્ઞ કર્યો અને તેમાં મને સેવા કરવાનો અવસર મળ્યો છે. બધા પોતપોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરી રહ્યાં છે. એટલે મારે પણ કંઈક કરવું જોઈએ.'' યુધિષ્ઠર બોલ્યા, ''ભગવાન! કામ કરવા અનેક લોકો છે. તમારે કષ્ટ ન ઉઠાવો. આમ પણ તમારે લાયક અહીં કોઈ કામ નથી.''

આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, ''સેવા કરવા સ્તર ન જોવાનું હોય? સેવા તો હૃદયપૂર્વક કરવી જોઈએ. સેવા કરવા પ્રેરણાનું ઝરણું હ્રદયમાંથી વહેવું જોઈએ. હું જાણું છે કે તમે મને કોઈ કામ નહીં બતાવો, પણ હું મને અનુરૂપ હોય તેવું કામ શોધી લઈશ.'' પછી તેઓ આજુબાજુ જોવા લાગ્યા. તેમણે જોયું કે લોકો ભોજન કરી રહ્યાં છે. તેઓ તરત જ પતરાળાં ઉપાડવા લાગ્યા. લોકો ભોજન કરીને પતરાળાં મૂકીને જતાં અને શ્રીકૃષ્ણ તેને ઉઠાવી લેતા. યુધિષ્ઠિર તેમનો સેવાભાવ જોઈને દંગ થઈ ગયા ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે, ''સેવા કરવા કોઈ કામ નાનું-મોટું નથી''

Monday, April 2, 2012

જમીન પર ચાલતા શીખો...


શ્રી રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના દક્ષિણેશ્વર મંદિરમાં પોતાના શિષ્યો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરતા હતા. એ સમયે એક ભગવા વસ્ત્રધારી સાધુ આવ્યા. તેમણે પરમહંસને સીધો પ્રશ્ન કર્યો - ‘‘તમે જીવનમાં કોઈ ચમત્કાર કર્યો છે?’’ પરમહંસ કશું બોલ્યા નહીં. તેઓ ચૂપ રહ્યાં એટલે પેલા સાધુમહારાજ થોડા ગેલમાં આવ્યાં. તેમણે કહ્યું, ‘‘મેં વીસ વર્ષ કઠોર તપ કર્યું છે અને તેના પ્રતાપથી અત્યારે હું પાણી પર ચાલી શકું છું. તમારે ચમત્કાર જોવો છે?’’

પરમહંસે કહ્યું, ‘‘જેવી તમારી ઇચ્છા. ચમત્કાર દેખાડવો હોય તો દેખાડો.’’

મહાત્મા સામેથી વહેતી ગંગાની ધારા પર ચાલવા લાગ્યા. પરમહંસના શિષ્યો ચકિત થઈ ગયા. સાધુમહાત્મા ધારાને પાર કરીને પરમહંસ પાસે આવી ગયા. પછી ગુમાન સાથે કહ્યું, ‘‘સિદ્ધિ આને કહેવાય.’’

પરમહંસ મંદમંદ હસતા હતા. તેમણે કશું કહ્યું. એવામાં તેમને ત્યાં દૂધવાળો આવ્યો. પરમહંસે પૂછ્યું, ‘‘ભાઈ, તું દૂધ આપવા ક્યાંથી આવે છે?’’

‘‘હું ગંગાની સામે પારના ગામમાંથી આવું છું,’’ દૂધવાળાએ જવાબ આપ્યો.

‘‘તું ગંગાને કેવી રીતે પાર કરે છે?’’ પરમહંસે તેને પૂછ્યું.

‘‘હોડીમાં બેસીને. કેવટ એક પૈસામાં ગંગાને પાર કરાવી દે છે.’’

દૂધવાળાનો જવાબ સાંભળી પરમહંસે સિદ્ધપુરુષ મહાત્મા સામે જોઈને કહ્યું, ‘‘મહાત્મા, જે કામ માત્ર એક પૈસામાં થઈ શકે છે, તેના માટે તમે જીવનના અમૂલ્ય વીસ વર્ષ વેડફી નાંખ્યા! પાણી પર ચાલીને શું મળે? તમે જમીન પર બરોબર ચાલવાનું શીખીએ તો વધારે ફાયદો થાય. તેના બદલે માણસ અને માનવતા સમજવામાં આટલું તપ કર્યુ હોત તો બેડો પાર થઈ જાત અને ઇશ્વર સામે ચાલીને તમને ભેટી પડત. માણસોને ચમત્કાર દેખાડવાને બદલે પ્રેમ કરો અને તેમના દુઃખદર્ઢ્ઢોને સમજો.’’

સાધુમહાત્મા શરમાઈ ગયા અને તરત જ ચાલતી પકડી.

શેર, સાધારણ શેર અને પ્રેફરન્સ શેર


કોઈ કંપનીની કુલ મૂડીને નાના-નાના અનેક ભાગમાં વહેંચવામાં ત્યારે દરેક ભાગને શેર કહેવામાં આવે છે અને આ શેર જેના નામે હોય કે જેની માલિકીનો હોય તેને શેરધારક કહેવાય છે. શેરધારક કંપનીમાં હિસ્સેદાર ગણાય છે. અત્યારે ૧૦ અને ૧૦૦ રૂપિયાના શેર પ્રચલિત છે. એક ઉદાહરણ જોઈએ. ધારો કે, કોઈ કંપનીની કુલ મૂડી રૂ. ૪૦ કરોડ છે અને તેને રૂ.૧૦ના હિસ્સામાં વિભાજીત કરવામાં આવે તો એ કંપની પાસે ચાર કરોડ શેર હશે.
સામાન્ય રીતે શેર કે સ્ટોક મુખ્યત્ત્વે બે પ્રકારના હોય છેઃ

(૧) સાધારણ શેર
(૨) પ્રેફરન્સ શેર

સૌપ્રથમ સાધારણ શેર વિશે જાણકારી મેળવી. કોઈ કંપનીના ઇક્વિટી શેરને સાધારણ શેર કહેવાય છે. આ પ્રકારના શેરધારકો કંપનીની માલિકીમાં હિસ્સો ધરાવે છે, જે તેમના પાસેના શેરના હિસ્સાને અનુરૂપ હોય છે. તેઓ પરોક્ષ રીતે મેનેજમેન્ટમાં ભાગ પણ લે છે. તેઓ કંપનીની સાધારણ ર્વાિષક સભામાં ભાગ લઈ શકે છે અને કંપનીના ર્આિથક વ્યવહારોની જાણકારી મેળવી શકે છે. તેઓ કંપનીના બોર્ડમાં ડાયરેક્ટર્સની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પણ ધરાવે છે. આ મતાધિકાર તેમના શેરના હિસ્સાને અનુરૂપ હોય છે. તેઓ કંપની પાસેથી ડિવિડન્ડ મેળવે છે. કંપની તમામ પ્રકારના ખર્ચની ચૂકવણી કર્યા પછી બાકી રહેતા નફામાંથી શેરધારકોને ડિવિડન્ડની વહેંચણી કરે છે. આવો, હવે પ્રેફરન્સ શેર વિશે જાણીએ.

પ્રેફરન્સ શેર એવા શેર છે જે જાહેર જનતાને મળતાં નથી. સામાન્ય રીતે કોઈ પણ કંપની આ પ્રકારના શેર તેના પ્રમોટર્સ કે પ્રમોટર્સના સગાસંબંધીઓ કે મિત્રોને આપે છે. આ પ્રકારના શેરની ખરીદીનો ફાયદો એ છે પ્રેફરન્સ શેરધારકોને સાધારણ શેરધારકો અગાઉ ડિવિડન્ડ મળી જાય છે. બીજું, કોઈ કંપની દેવાળું ફૂંકે ત્યારે તેની સ્થાવર અને જંગમ સંપત્તિનું વેચાણ કરીને સૌપ્રથમ ચૂકવણી તેના લેણદારોને કરવામાં આવે છે. આ ચૂકવણી પછી રકમ બાકી રહે તો પછીની ચૂકવણી પ્રેફરન્સ શેરધારકોને કરવામાં આવે છે અને તેમની મૂડી પરત કરવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિમાં સૌથી છેલ્લી ચૂકવણી સાધારણ શેરધારકોને કરવામાં આવે છે. એટલે કંપની નાદારી નોંધવે તો સૌથી છેલ્લે સાધારણ શેરધારકોને તેમની મૂડી પરત કરવામાં આવે છે. પણ સાધારણ શેરધારકોની જેમ પ્રેફરન્સ શેરધારકોને મતાધિકાર મળતો નથી.

Sunday, April 1, 2012

આઝાદી અગાઉ અને આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને જ વિકાસ થયો છે


સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ની બીજી ઇનિંગ્સ શરૂ થઈ પછી એક પછી એક કૌભાંડો પરથી પર્દાફાશ થઈ રહ્યો છે. ટુજી સ્પેકટ્રમ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ, અંતરિક્ષ-દેવાસ કૌભાંડ, કોલસા કૌભાંડ અને હવે અનાજ કૌભાંડ...ગુજરાત સરકારના ગોટાળા પણ કેગના અહેવાલમાં બહાર આવી રહ્યાં છે. પણ ભારતીયોને ભ્રષ્ટાચારની નવાઈ ન લાગવી જોઈએ. આ દેશનો ઇતિહાસ જુઓ તો તમને ખ્યાલ આવશે કે રાજકારણીઓએ સૌથી વધુ કામગીરી કરી હોય તો એ ભ્રષ્ટાચાર કરવાની છે. આપણા મોટા ભાગના શાસકો ભ્રષ્ટાચારી જ હતા અને આ દેશનો એક પણ રાજકીય પક્ષ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. સર્વસામાન્ય માન્યતા એવી છે (સામાન્ય રીતે આ પ્રકારની માન્યતાઓ ખોટી જ હોય છે) કે આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી છે. કહેવાનો અર્થ એ છે કે આઝાદી અગાઉ દેશમાં ભ્રષ્ટાચાર નહોતો. હકીકતમાં આ એક ભ્રમ છે. આપણે અત્યારે જેટલાં ભ્રષ્ટ છીએ એટલા જ ભ્રષ્ટાચારી આઝાદી અગાઉ પણ હતા. ખરેખર તો આઝાદી અગાઉ અને આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચારીઓ અને કાળાં બજારિયાઓનો જ વિકાસ થયો છે.

1937માં છ રાજ્યોમાં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં મદ્રાસ, સંયુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર અને ઓરિસ્સામાં સંપૂર્ણ બહુમતી મળી હતી અને તેનું મંત્રીમંડળ રચાયું હતું. અન્ય બે રાજ્યો બોમ્બે અને ઉત્તર-પશ્ચિમી પ્રાંતમાં કોંગ્રેસે ગઠબંધન સરકાર રચી હતી. ત્યારે કોંગ્રેસના પ્રધાનોએ ગાંધીજીના તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દીધા હતા. તેઓ કોંગ્રેસના પ્રધાનોના આચરણો અને ગોટાળથી વ્યથિત થઈ ગયા હતા. તેમણે 1939માં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભયંકર ભ્રષ્ટાચાર સાથે સમજૂતી કરવાને બદલે સંપૂર્ણ કોંગ્રેસને દફન કરવા હું કોઈ પણ હદે જઈશ.જવાહરલાલ નેહરુ પણ દુઃખી થઈ ગયા હતા.તેમણે બળાપો કાઢતાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓને અને કાળા બજારિયાઓને જાહેરમાં ફાંસના માંચડે લટકાવી દેવા જોઈએ. જોકે દેશ આઝાદ થયો પછી તેમના શાસનકાળમાં તેમણે કોઈ ભ્રષ્ટાચારીને ઊની આંચ આવવા દીધી નહોતી એ સત્ય હકીકત છે.

ચાચાજી નહેરુના શાસનકાળની શરૂઆતમાં જ એ ડી ગૌરવાલાએ યોજના પંચના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, નહેરુના મંત્રીમંડળમાં કેટલાંક પ્રધાન ભ્રષ્ટ છે. આ વાતની પુષ્ટિ સંથાનમ સમિતિએ વર્ષ 1964માં કરી હતી. તેમાં સંથાનમે લખ્યું હતું કે, છેલ્લાં 16 વર્ષ દરમિયાન (1948થી 1964 દરમિયાન) કેટલાંક પ્રધાન ગોટાળા કરીને જ ધનિક થઈ ગયા છે. નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ જ જીપ કૌભાંડનો પર્દાફાશ સંસદમાં કર્યો હતો અને નેહરુ મહોદયને તેમના જમાઈ બહુ પસંદ નહોતા એ જગજાહેર વાત છે. તેમના પછી તેમના દિકરી ઇન્દિરા ગાંધી સત્તા પર આવ્યા અને મોરારજી દેસાઈએ તેમને ભ્રષ્ટાચારના ગંગોત્રી ગણાવ્યા. ગાંધી પરિવારનો વારસો રાજીવ ગાંધી અને નરસિંહ રાવે આગળ વધાર્યો. તેમની સરકારે ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી દીધી અને વર્ષ 1995 સુધીમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચારનું સ્વરૂપ ગ્રહણ કરી લીધું હતું. નરસિંહરાવની ગોડમેન ચંદ્રાસ્વામી અને શસ્ત્રોનો સોદાગાર અદનાન ખગોશી સાથેની મૈત્રી બહુ જાણીતી છે. (રાવે દેશના અર્થતંત્રને સમાજવાદની બેડીઓમાંથી મુક્ત કરાવવાનું સાહસિક કદમ ઉઠાવ્યું હતું અને આ બાબતે દેશ તેમનો કૃતજ્ઞ રહેશે). આ લોકો સરકારની નીતિમાં પણ હસ્તક્ષેપ કરતા હતા. ભૂતપૂર્વ ગૃહ સચિવ એન એન વોહરાએ 1995માં લખ્યું હતું કે માફિયાઓ સમાંતર સરકાર ચલાવી રહ્યાં છે.

એ પછી ભાજપ સત્તામાં આવ્યું. એણે દેશની રાજનીતિની ચાલ, ચારિત્ર્ય અને ચહેરો બદલવાનો દાવો કર્યો હતો. પણ તેમણે કોંગ્રેસને પણ શરમાવે તેવા પરાક્રમો કર્યા. એનું એક ઉદાહરણ જોઈએ. તહેલકા નામના જાણીતા અંગ્રેજી સાપ્તાહિકે વાજપેયી સરકારમાં શસ્ત્રોની દલાલીનો ભાંડો ફોડ્યો ત્યારે આ સરકારે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીઓ કરવાને બદલે પત્રકારોને જ જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં તહેલકાને ફાઇનાન્સ કરતી કંપની ફર્સ્ટ ગ્લોબલ પર ભાજપની સરકારે એટલા બધા દરોડા પડાવ્યાં કે એણે દેવાળું ફૂંક્યું. એ સમયે ભાજપના પ્રમુખ બંગારુ લક્ષ્મણને લાંચ લેતાં ટીવીના પર્દે બધાએ જોયા. પણ તેઓ અત્યારે પણ છૂટથી ફરે છે. એ જ રીતે આ ભ્રષ્ટાચારી જનતા પક્ષ અર્થાત્ ભાજપનો બીજો ચહેરો દિલીપસિંહ જુદેવ છે. તેઓ પણ સરેઆમ લાંચ લેતા ઝડપાઈ ગયા અને પૈસા ખુદા તો નહીં પર ખુદાસે કમ ભી નહીં એવો તેમનો સંવાદ એક અંગ્રેજી અખબારની હેડલાઇન પણ બન્યો હતો. પણ ભ્રષ્ટાચારી જનતા પક્ષે તેમને શિરપાવ આપી સાંસદ બનાવ્યાં.

હકીકતમાં કોંગ્રેસ હોય કે ભાજપ, આ બધા ચોરના ભાઈ ઘંટીચોર છે. ખરેખર આપણો દેશ દંભીઓનો છે. આપણે એક મોંએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ગાળો ભાંડીએ છીએ, પણ સાથેસાથે કામ કઢાવવા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપીએ છીએ. સૌપ્રથમ આપણે આપણું ચારિત્ર્ય બદલું જોઈએ. હકીકતમાં આ ભ્રષ્ટાચારીઓ આપણું જ પ્રતિનિધિત્વ કરે છે....

મારો રામ


જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઈ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.

મારો રામ-જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી. સર્વ દર્દના સર્વોપરી ઇલાજ તરીકે જેનું નામ લેવાનું હું સૂચવું છું તે જગન્નિયંતા પરમેશ્વર છે, જેના નામનો જપ કરીને ભક્તો પોતાના હ્રદયનો મેલ સાફ કરે છે અને શાંતિ મેળવે છે. વળી મારો એવો દાવો છે કે એ જ પરમેશ્વરના નામનું રટણ મનની, આત્માની કે તનની સર્વ આધિ, વ્યાધિ કે ઉપાધિનો સચોટ ઈલાજ છે. દાક્તર કે વૈદ્યની મદદથી શરીરના વ્યાધિ અલબત્ત મટાડી શકાય. પણ રામનું નામ લેવાથી માણસ પોતાનો વૈદ્ય અથવા દાક્તર બની પોતાની જાતમાંથી જ સર્વ વ્યાધિનું નિવારણ કરનારું ઔષધ મેળવવાને સમર્થ થાય છે. અને શારીરિક દ્રષ્ટિથી અસાધ્ય હોવાના કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ તેને મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે.

હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો અધિકાર છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઈએ શા સારું વાંધો ઉઠાવવો જોઈએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે.

જનરલ વી કે સિંહઃ સિદ્ધાંતો સાથે સમાધાન કરીને આબરૂના લીરા ઉડાવ્યાં


તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવા સિદ્ધાંતો સાથે સમાધાન કરો પછી મૂલ્યો અને નિષ્ઠાની વાત કરી શકો? તમે જે મૂલ્ય સાથે સમાધાન કર્યું હોય એ જ મૂલ્યનું રક્ષણ કરવા માટે કોઈને પડકાર ન ફેંકી શકો. અને ફેંકો તો? તો તમારી આબરૂના લીરા ઉડી જાય અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખરડાય. કોઈને મોં ગંધાય છે એવું કહેતાં અગાઉ આપણું મોં ચોખ્ખું હોવું જરૂરી છે. પણ લોભ અને મહત્વાકાંક્ષા ભલભલાને ભાન ભૂલાવે છે. સેનાના વડા વી કે સિંહ આનું તાજું ઉદાહરણ છે.

હરિયાણાના ભિવાની જિલ્લાના બપોરા ગામના રાજપૂત પરિવારમાંથી આવતા વિજય કુમાર સિંહના પિતા કર્નલ હતા અને દાદા જુનિયર કમિશન ઓફિસર હતા. દાદા અને પિતાના વારસાને આગળ વધારતા વિજયકુમારે 29 જુલાઈ, 1965ના રોજ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ)માં પ્રવેશ મેળવવા માટેની પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું અને તેમની જન્મતારીખ સંબંધિત વિવાદના મૂળિયા આ ફોર્મમાં જ રહેલા છે. એ સમયે તેઓ રાજસ્થાનમાં પિલાનીની જાણીતી બિરલા પબ્લિક સ્કૂલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા અને એનડીએની પરિક્ષામાં બેસવા માટે તેમનું ફોર્મ તેમની સ્કૂલના ક્લાર્કે ભર્યું હતું. આ વિવાદ વિશે વિજયકુમારનું કહેવું છે કે, ''એનડીએની પરિક્ષામાં બેસવા માટે મારું ફોર્મ સ્કૂલના કારકૂને ભર્યું હતું અને મેં તેના પર માત્ર સહી કરી હતી. તેમાં કારકૂને મારી જન્મતારીખ 10 મે સાચી લખી હતી, પણ જન્મનું વર્ષ ખોટું એટલે કે 1950 લખ્યું હતું. હકીકતમાં મારો જન્મ 1951માં થયો છે. આ ગોટાળા અંગે મને કોઈ જાણકારી નહોતી. પણ હું પરિક્ષામાં પાસ થયો અને એનડીએ માટે પસંદ થયા પછી યુપીએસસી પાસેથી મને જાણકારી મળી.'' 1966ના મે મહિનામાં તેઓ એનડીએની પરિક્ષામાં પાસ થયા અને 11 જૂન, 1966ના રોજ સેનાના ડોક્ટરો દ્વારા તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું. તેના ફોર્મમાં વિજયકુમારે જન્મતારીખ 10 મે, 1951 હોવાની જાણકારી આપી હતી. પણ મેડિકલ એક્ઝામિનેશન થયું ત્યારે તેમણે જે ફોર્મ ભર્યું તેની સરખામણી પ્રવેશપરિક્ષા માટે ભરેલા ફોર્મ સાથે કરાઈ નહોતી અને તે સમયે આ પ્રકારની સરખામણી કરવામાં આવતી પણ નહોતી. પણ જન્મતારીખનો આ ગોટાળો તેમને એનડીએમાં જોડાવવાનો ઓર્ડર ઇશ્યૂ કરતી વખતે બહાર આવ્યો.

એ સમયે યુપીએસસી (એનડીએની પરિક્ષા યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લે છે)ના તત્કાલિન અંડર સેક્રેટરી શ્રી ક્રિષ્નન હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે વિજયકુમાર સિંહના યુપીએસસીના ફોર્મ અને મેડિકલ એક્ઝામિનેશનના ફોર્મમાં જન્મતારીખ એકસરખી નથી. તેમણે તરત જ 18 જૂન, 1966ના રોજ પત્ર લખીને સિંહને જણાવ્યું કે યુપીએસના ફોર્મમાં જન્મનું વર્ષ 1950 છે જ્યારે મેડિકલ એક્ઝામિનેશન ફોર્મમાં 1951 છે તો તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરવા વિનંતી. આ જાણકારી મળ્યાં પછી તરત જ વિજયકુમારે ધોરણ 10ની માર્કશીટ રજૂ કરીને તેમના જન્મનું વર્ષ 1951 ગણવા વિનંતી કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. પછી તેઓ એનડીએમાં જોડાયા અને જૂન, 1970માં તેમને ઇન્ડિયન મિલિટરી એકેડમીનું આઇડેન્ટિટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું. તેમાં તેમની જન્મતારીખ 10 જૂન, 1951 હતી. વર્ષ 1971માં રાજસ્થાન શિક્ષણ બોર્ડે સિંહને મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ આપ્યું, જેમાં પણ જન્મનું વર્ષ 1951 હતું. તેમણે આ સર્ટિફેકટ સેનાની એડ્જુટન્ટ જનરલ (એજી) શાખાને સુપરત કર્યું. આ શાખા સૈન્ય કર્મચારીઓના દસ્તાવેજોનો રેકોર્ડ રાખે છે અને દરેક સૈન્ય અધિકારીઓએ નોકરી દરમિયાન તેમના સર્ટિફિકેટ આ શાખાને સુપરત કરવા પડે છે. સિંહે આ સર્ટિફિકેટ એજીને સુપરત કર્યા પછી ત્યાં તેમના જન્મનું વર્ષ સુધારી લેવાયું હતું અને 1951 કરવામાં આવ્યું હતું. પણ એજી પાસેના દસ્તાવેજોમાં જન્મનું જે વર્ષ હોય એ જ વર્ષ સેનાના જ અન્ય એક વિભાગ મિલિટરી સેક્રેટરી (એમએસ) પાસેના દસ્તાવેજમાં હોવું જોઈએ.

મિલિટરી સેક્રેટરી સૈન્ય અધિકારીઓને પ્રમોશન અને પોસ્ટિંગ આપવાની જવાબદારી નિભાવે છે. સૈન્ય અધિકારી નિવૃત્ત ક્યારે થશે તેનો નિર્ણય પણ એમએસ જ લે છે. આ કારણે એજી પાસે જે પ્રમાણપત્રો હોય તેની નકલો એમએસ પાસે પણ હોય છે એટલે સ્વાભાવિક રીતે કોઈ સૈન્ય અધિકારી તેમના એજી શાખામાં પ્રમાણપત્રોમાં સુધારાવધારા કરાવે તો સાથેસાથે એમએસ શાખામાં પણ એવા જ ફેરફાર કરાવવા પડે. પણ આ ફેરફાર કરાવવાની તસ્દી સિંહે ન લીધી. એ પછી સિંહે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેન કાર્ડ પણ મેળવ્યું અને તેમાં પણ જન્મનું વર્ષ 1951 જ હતું. વર્ષ 2006 સુધી એટલે કે નોકરીમાં 35 વર્ષ પસાર થયા સુધી કોઈ વાંધો ન આવ્યો. પણ 2006માં તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન મળ્યું ત્યારે જન્મતારીખનું ભૂત ફરી ધુળવા માંડ્યું. મિલિટરી સેક્રેટરીના તત્કાલિન લેફટનન્ટ જનરલ રિચાર્ડ ખરેએ જન્મતારીખની વિસંગતતાની જાણકારી આપી ત્યારે સિંહે એજીનો રેકોર્ડ સાચો હોવાનું જણાવ્યું. સૈન્યના કેટલાંક અધિકારીઓના કહેવા મુજબ, આ પ્રમોશન સાથે જ સિંહને નિવૃત્તિ વર્ષ 2012માં લેવી પડશે એ નક્કી થઈ ગયું. સેનાના નિયમ મુજબ, કોઈ પણ સૈન્ય અધિકારી 62 વર્ષ સુધી જ સેનામાં સેવા આપી શકે.

મિલિટરી સેક્રેટરીએ સિંહને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન આપ્યું પણ તેમાં જન્મનું વર્ષ 1950 જ ગણ્યું અને સિંહની જન્મનું વર્ષ 1951 ગણવાની સૂચનાની ધ્યાનમાં ન લીધી. હકીકતમાં એજી અને એમએસ વચ્ચે દસ્તાવેજોમાં વિસંગતતા હોય ત્યારે નિયમ મુજબ એજીના દસ્તાવેજોને સાચા માનવામાં આવે છે. આ કારણે સિંહ બેફિકર હતા. તેમને એમ હતું કે ભવિષ્યમાં નિવૃત્તિ કે અન્ય કોઈ બાબતમાં જન્મનું કયું વર્ષ સાચ ગણવું તે પ્રશ્ન ઊભો થશે ત્યારે સ્વાભાવિક રીતે એજીનો રેકોર્ડ જ સાચો માનવામાં આવશે. પણ તેમની આ બેફિકરાઈ જ તેમના માટે મોટી મુશ્કેલી પુરવાર થવાની છે તેની કલ્પના તેમને નહોતી. આ સમયે તેમની મહત્વાકાંક્ષા પણ વધી ગઈ હતી. વર્ષ 2008માં તેમને આર્મી કમાન્ડર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ વખતે પણ મિલિટરી સેક્રટેરી પી ગંગાધરને તેમને જન્મતારીખની વિસંગતતા વિશે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમને વર્ષ 1950ને જન્મનું વર્ષ ગણવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહ્યું હતું અને સિંહને આ બાબત માન્ય ન હોય તો તેમણે કાયદાકીય રીતે લડી લેવાનું કહ્યું હતું. ગંગાધરનની દલીલ એવી હતી કે અગાઉ તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન વર્ષ 1950ના આધારે આપવામાં આવ્યું છે ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો નહોતો. હકીકતમાં અહીં સિંહે અટકવાની જરૂર હતી અને જન્મના વર્ષ અંગે સુધારો કરવા કાયદકીય લડત આપવાની જરૂર હતી. પણ એ વખતે સિંહ સરસેનાપતિ બનવાની નજીક હતા. તેઓ આર્મી કમાન્ડરનો હોદ્દો સ્વીકાર લે તો તેના બે વર્ષ પછી તેઓ સરસેનાપતિ બનશે એ નક્કી હતું. તેઓ કાયદાકીય લડત શરૂ કરે તો આર્મી કમાન્ડરનું પ્રમોશન થોડો સમય અટકી જાય અને તેમને સરસેનાપતિ બનવાનો મોકો ન પણ મળે તેવી શક્યતા હતી. તેઓ વર્ષ 2006થી જ સરસેનાપતિ બનવા આતુર હતા એટલે તેમણે ગંગાધરનને જણાવ્યું કે મિલિટરી સેક્રેટરી વિભાગ જન્મનું વર્ષ જે કહેશે તે જ લખશે. સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહ અહીં મોટું ગોથું ખાઈ ગયા. ત્યાર મિલિટરી સેક્રેટરીએ તેમની ફાઇલ સંરક્ષણ મંત્રાલયને મોકલી દીધી હતી, જેમાં જન્મનું વર્ષ 1950 હતું.

સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ તેમને 31 માર્ચ, 2010ના રોજ સરસેનાપતિ બનાવ્યા ત્યારે પણ તેમને જન્મનું વર્ષ 1950 જ ગણ્યું હતું. આ હિસાબે સિંહને માર્ચ, 2012ના રોજ નિવૃત્ત થવું પડે. સેનાનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ સેનામાં 62 વર્ષની ઉંમર સુધી જ સેવા આપી શકે. સરસેનાપતિની મુદ્દત ત્રણ વર્ષની હોય છે, પણ આ મુદ્દત પૂર્ણ થાય એ અગાઉ તેમની ઉંમર 62 વર્ષ થઈ જાય તો તેમને અધવચ્ચે જ નિવૃત્તિ લેવી પડે. સિંહ સરસેનાપતિ બન્યા પછી તરત જ આ હકીકત જાણી ગયા હતા એટલે તેમણે તેમણે એજીના રેકોર્ડનો હવાલો આપીને તેમની જન્મતારીખનું વર્ષ સુધારવાની સૂચના આપી અને મિલિટરી સેક્રટેરીએ મને-કમને તેને સુધારી પણ લીધી. પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

સિંહ જે માર્ગે સરસેનાપતિ બન્યાં હતાં એ જ માર્ગે સરકારે તેમને નિવૃત્તિના દ્વારા દેખાડ્યાં. સિંહે તેમની જન્મતારીખ અંગે સુધારાની જાણકારી એન્ટોનીને આપી હતી. પણ તેમણે તેમના જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. સિંહ તેમના કહેવાનો અર્થ સમજી ગયા હતા કે તેમને માર્ચ, 2012માં વિદાય લેવી પડશે. એટલે સિંહે કોર્ટમાં અરજી કરી. કાયદા મંત્રાલયે અને એટોર્ની જનરલે પણ સરકારને નિયમ મુજબ, સિંહના જન્મનું વર્ષ 1951 ગણવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. પણ સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં દલીલ કરી હતી કે, સિંહે પોતે સરસેનાપતિ બનતી વખતે જન્મનું વર્ષ 1950 ગણવાનું માન્ય રાખ્યું હતું અને અગાઉ તેમને તમામ પ્રમોશનમાં જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવ્યાં હતાં. સિંહે અગાઉ જે સમાધાન કર્યા એ તેમને સુપ્રીમમાં આડા આવ્યા. તેમનો કેસ નબળો પડી ગયો. સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધિશ આર એમ લોઢા અને એચ એલ ગોખલે સમજી ગયા હતા કે સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહે સમાધાન કર્યું છે અને સરકાર તેનો જ ઉપયોગ કરી રહી છે. પછી આ બંને ન્યાયાધિશોએ જે ચુકાદો આપ્યો તે સલામી આપવાને લાયક છે.

તેમણે ધાર્યું હોત તો સિંહની અરજી ફગાવી શક્યા હોત. પણ તેઓ જાણતા હતા કે સિંહ મહત્વાકાંક્ષી છે, પણ તેઓ દેશ માટે લડ્યાં છે અને આદર્શ કૌભાંડ અને સુકના જમીન કૌભાંડમાં સૈન્ય અધિકારીઓ સામે કડક હાથે કામ લીધું છે. તેમની સામે નાણાકીય ગોટાળાના કોઈ આક્ષેપ નથી. તેઓ સમજી ગયા હતા કે સિંહને પૈસા કરતાં પદ વધારે વહાલું છે. તેમણે સિંહને અરજી પાછી ખેંચી લેવા કહ્યું. એટલું જ નહીં આ બંને ન્યાયાધિશોએ સિંહની સેવાની પ્રશંસા કરીને ટકોર કરી કે તમારી સેવા કાબિલેદાદ છે, પણ તમે જે વર્તણૂંક કરી રહ્યાં છો એ સરસેનાપતિના પદને લાયક નથી. સુપ્રીમ કોર્ટની ટકોર સિંહ સમજી ગયા હતા અને તેમને પીછેહટ કરવાની ફરજ પડી. આ રીતે હકીકતમાં સિંહ જન્મતારીખના વિવાદમાં સાચા હોવા છતાં તેમણે પ્રમોશન મેળવવા જન્મના વર્ષ સાથે જે સમાધાન કર્યું તેના જ ફળ તેઓ ભોગવી રહ્યાં છે. તેઓ ચાલુ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થશે એ વાત લગભગ પાક્કી થઈ ગઈ છે. પણ તેમના જીવનમાંથી એક સંદેશ જરૂર મળે છે કે સિદ્ધાંતો માટે લડવું હોય તો પદની ખેવના છોડવી ન રાખવી.