Thursday, July 30, 2009

રાજકારણી એટલે શું? રાજનીતિજ્ઞ એટલે શું?

'બાલ ઠાકરે મુસ્લિમોનું મોં જોવાનું પણ પસંદ ન કરે', 'નરેન્દ્ર મોદીને દેશના પીએમ બનાવી દેવાય તો મુસ્લિમોને આ દેશમાં કેવી રીતે જીવવું તે શીખવાડી દે', 'રાહુલ ગાંધી વડાપ્રધાન થાય તો દેશનું ચિત્ર જ બદલાઈ જાય.' આ પ્રકારના વિધાન સાંભળીએ ત્યારે ખરેખર હસવું આવે. પણ આવી માનસિકતા ધરાવતા અનેક ગગાજી ડોટ કોમનો આપણા અમદાવાદમાં અને દેશમાં ટૂટો નથી. આ પ્રકારના ગગાજી ડોટ કોમની પિપૂડી વાગતી હોય છે ત્યારે તેના જેવા એકસોને એક ગગા-કમ-લલવા ટપાકાં પાડતાં જોવા મળશે.

રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે મૂળભૂત ફરક શું છે? હાથીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ-અલગ હોય છે. રાજકારણીઓ હાથી જેવા હોય છે. બહુજન સમાજ પક્ષ તો એટલો પ્રામાણિક છે કે તેનું નિશાન જ હાથી રાખી દીધું છે. કાશીરામ દીર્ઘદ્રષ્ટા હતા. તે સારી રીતે જાણતા હતા તેમના પક્ષની લગામ ભવિષ્યમાં કોને સોંપવાની છે...રાજકારણીઓ જેવું બોલે છે તેવું આચરણ ધરાવતા નથી અને જેવું આચરણ ધરાવે છે તેને જાહેર કરવાની હિમ્મત તેમનામાં હોતી નથી. તેઓ શરાબ પીને પણ જૂઠ્ઠું બોલી શકે છે. પ્રજાની માનસિકતા જાણીને તેને અનુરૂપ સ્વાંગ તેઓ સજે છે. રાજકારણ એટલે શું? રાજકારણી એટલે શું? અને રાજનીતિજ્ઞ એટલે શું?

રાજકારણ એટલે રાજ કરવા માટેનું કારણ અને રાજકારણીઓ એટલે રાજ કરવા માટે યોગ્ય કે અયોગ્ય-કોઈ પણ માર્ગે શાસન કરવા માગતા સ્વાર્થી અને મહત્વાકાંક્ષી લોકો. માયાવતી, નરેન્દ્ર મોદી, શરદ પવાર, મુલાયમ સિંહ, એલ કે અડવાણી, ઉમા ભારતી, અમરસિંહ જેવા આજના બધા 99.99 ટકા નેતાઓ રાજકારણીઓ છે. જવાહરલાલ નહેરુ રાજનીતિજ્ઞ હતા. તમે તેમની નીતિ સાથે અસહમત થઈ શકો છો, પણ રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા પર આંગળી ન ઉઠાવી શકો. તેમના દિકરી ઇન્દિરા પ્રિયદર્શિની મહાન રાજકારણી હતા. રાજીવ ગાંધી ન રાજનીતિજ્ઞ હતા, ન રાજકારણી. મનમોહન સિંઘ દેશભક્ત સરકારી અધિકારી હતા, પણ રાજકારણીઓ તેમને રાજકારણી બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. રાજનીતિજ્ઞ અને રાજકારણીઓ વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે.

રાજનીતિજ્ઞ એટલે સ્ટેટ્સમેન. તેમના માટે દેશનું હિત સર્વોપરી હોય છે, સત્તા નહીં. તેઓ સત્તા મેળવવા કે જાળવવા દેશનું હિત જોખમાય તેવો વિચાર સુદ્ધાં કરતાં નથી. દેશની જનતાના ચરણોમાં તેમણે તેમનું જીવન સમર્પિત કરી દીધું હોય છે. તેમના શાસનનો આશય દેશ અને જનતાની સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધારવાનો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડો. રાજેન્દ્રપ્રસાદ, લાલબહાદુર શાસ્ત્રી રાજનીતિજ્ઞ હતા.

રાજનીતિજ્ઞ ભવિષ્યની પેઢીઓ માટે આદર્શરૂપ હોય છે, પ્રેરણારૂપ હોય છે જ્યારે રાજકારણીઓ પર તેમનું પોતાનું લોહી પણ થૂંક ઉડાવે છે. લાચાર અને નિઃસહાય જનતાનું શોષણ કરતા આ સત્તાસમ્રાટો જીવે છે ત્યારે ધિક્કારને પાત્ર હોય છે અને મરી જાય છે પછી તેમની તકતી પર ભવિષ્યની પેઢીઓ લઘુશંકા કરી તેમના પૂર્વજોની પીડાનો બદલો વાળતી હોય છે...

Tuesday, July 28, 2009

ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર 'નિરીક્ષક' હવે ઓનલાઇન

ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર 'નિરીક્ષક' હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. (http:// www.nireekshak.com) પહેલી જુલાઈ, 2009થી પોસ્ટેજ સમસ્યાને કારણે 'નિરીક્ષક' તેના ગ્રાહકો સુધી પહોંચી શક્યું નથી. પરંતુ હવે ઇન્ટરનેટ પર તેની પીડીએફ આવૃત્તિ ઉપલબ્ધ છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી ગુજરાતને એક સારા વિચારપત્રની-વિવેચનયુક્ત સમાચારો, નિર્ભય વિચારચર્ચાઓ અને નિષ્પક્ષ નિરાકરણો પૂરા પાડનારા સાપ્તાહિક પત્રની-ખોટ રહેલી છે.

એના પ્રથમ અંકમાં પ્રગટ થયેલ અભિલાષ અને અભીપ્સા આ પ્રમાણે છે:

મહાત્મા ગાંધીના તપોબળે અને ભાવનાશીલોના સ્વાર્પણે મેળવી આપેલું સ્વરાજ્ય, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ જેવા સપૂતોના પુરુષાર્થથી આપણી પરંપરામાં ઊંડાં મૂળ નાંખે ન નાંખે ત્યાં તો દેશમાં છિન્નતાની પરંપરાઓ સર્જાઈ છે અને રાજસત્તા લોકસત્તાને ગ્રસી જાય તેવી પરિસ્થિતિ નીપજી છે. તેવે, લોકજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નવું નેતૃત્વ પેદા કરીને લોક-શાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી ગુજરાતની પ્રજાને અમે વિનમ્રભાવે એક નવા સાપ્તાહિક ‘નિરીક્ષક’ની નવાજેશ કરી રહ્યા છીએ.

આપણા બંધારણે જે ઉત્તમ લોકશાહી માળખાની દેશને ભેટ ધરેલી છે તે છિન્નભિન્ન થઈ જાય તેવી કટોકટીઓ આપણા દેશમાં સર્જાઈ રહી હોય ત્યારે બંધારણને અને લોકશાહી સંસ્થાઓને ટકાવવા માટે પણ નિર્ભય અને નિષ્પક્ષ સાપ્તાહિક પત્રની જરૂર સમજાય છે. દેશનો બુદ્ધિશાળી વર્ગ ઉત્તમ વિચારમાંથી પ્રગટેલા ઉત્તમ કાર્યની ભૂમિકા ઉપર સંગઠિત થઈ શકતો નથી એનું એક કારણ આવાં વિચારપત્રો નથી તે પણ છે. હકીકતને પવિત્ર ગણવી અને ટીકાને મુક્ત રાખવી એ જેનો ધ્યાનમંત્ર હોય એવાં પત્રો જ સબળ લોકશાહીનું જતન કરી શકશે.

‘નિરીક્ષક’ કોઈ પણ રાજકીય પક્ષનું વાજિંત્ર નથી. ‘નિરીક્ષક’ પ્રત્યેક પ્રશ્નનો સૂક્ષ્મ અને તટસ્થ અભ્યાસ કરી રહ્યું છે. એ વસ્તુસ્થિતિનાં તથ્યોને અને લોકશાહી જીવનમૂલ્યોને વળગી રહ્યું છે. લોકજીવનનાં સ્વાસ્થ્ય અને સંસ્કારને સમૃદ્ધ કરવા એ સતત પ્રયાસરત છે. ‘નિરીક્ષક’ની નિષ્ઠા લોકનિષ્ઠા છે અને લોકલાગણી તથા સત્ય વચ્ચે સમન્વયના સેતુ બાંધવાની તેની આકાંક્ષા છે. ‘નિરીક્ષક’ ગુજરાતના, ભારતના અને વિશ્વના વિવિધ વિચારોને મુક્ત મને આવકારી રહ્યું છે અને ગુજરાતના લોકજીવનના તાણાવાણામાં તેને વણી લેવા મથી રહ્યું છે. છતાં એની લોકનિષ્ઠા અચળ છે. ગાંધીજી કહેતા કે મારાં બારીબારણાં ખુલ્લાં છે, ચારે દિશાના વાયરા ભલે વાતા, પણ તેથી હું મારો પગ ભોંયથી ચળવા નહીં દઉં. ‘નિરીક્ષક’નો પણ આ જ શિવસંકલ્પ છે.
આ કામ અઘરું છે અને તેનાં મૂળ ઊંડાં ઊતરે ત્યાં સુધી ધીરજની કસોટી કરે તેવું છે. તેમ છતાં ગુજરાતમાં સહિષ્ણુતા, વિવેક અને વિચારનાં પ્રગતિશીલ મૂલ્યોએ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેને કારણે ગુજરાતમાં આવા મુક્ત અને ઉદાર વિચાર-વાહનની ખરેખરી ભૂખ જાગી છે. એટલે અમને શ્રદ્ધા છે કે આ સાહસને ગુજરાતના લોકહિતચિંતકોનું ઉત્તમ સમર્થન સાંપડશે અને એ લોકસહકારથી પોતાનું કામ ગોઠવશે.

‘નિરીક્ષક’ જુલાઈ ૧૬, ૨૦૦૯
‘નિરીક્ષક’ જુલાઈ ૧, ૨૦૦૯

ટેસ્ટ ક્રિકેટ જ અસલી કળા છે અને તેનું મહત્વ વધશેઃ બિશનસિંઘ બેદી


'સ્ટાર ક્રિકેટરો આઇપીએલ રમવા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવા માંડશે' તેવું કહી ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગેરી કર્સ્ટને વિવાદ છેડી દીધો છે. આઇપીએલના આગમન સાથે જ ટેસ્ટ ક્રિકેટનો મૃત્યુઘંટ વહેલો વાગી જશે તેવી ભવિષ્યવાણી અનેક જાણીતા ક્રિકેટરોએ કરી છે, પણ આઇસીસીના સર્વકાલિન મહાન ખેલાડી (હૉલ ઑફ ફેમ)માં સામેલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 'વિવાદાસ્પદ વિધાનોના બાદશાહ' બિશનસિંઘ બેદી ટેસ્ટ ક્રિકેટના અંતને માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે , આગામી દિવસોમાં ટેસ્ટ ક્રિકેટનું મહત્વ વધશે. બેદીએ ભૂતપૂર્વ સ્પિનર બોરિયા મજૂમદાર સાથે કરેલી વાતચીત અહીં રજૂ કરવામાં આવી છેઃ

આઇસીસીના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સ્થાન મળતાં કેવી લાગણી અનુભવો છો?
તમે જે કામ ઇમાનદારીપૂર્વક કર્યુ હોય તેને માન્યતા મળે ત્યારે બહુ સારું લાગે તે સ્વાભાવિક છે. જે કામ માટે તમે આજીવન સર્મપિત રહ્યાં હોય અને કોઈ તેની કદર કરે કે તેને મહત્વ આપે છે ત્યારે સંતોષ થાય છે.

તમને કેપ (ટોપી) મળી ગઈ?
(બિશનસિંઘ બેદી હસી પડે છે) ના. ડેવિડ મોર્ગનને મને પૂછ્યું છે કે હું કેપ ક્યાં લેવાનું પસંદ કરીશ. મને પંજાબ કે દિલ્હીમાં કેપ મેળવવાની ઇચ્છા છે. શક્ય ન હોય તો પછી લોર્ડસમાં કેપ લેવાની ઇચ્છા છે. તે મારા મનપસંદ મેદાનમાંનું એક છે. કદાચ તે મને આઇસીસીના શતાબ્દીના આયોજનમાં જ ટોપી પહેરાવી દે. (બંને ભૂતપૂર્વ ક્રિકેટર મિત્રો હંસી પડે છે)

તમે છેલ્લાં 50 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છો. આ દરમિયાન તમે ક્રિકેટમાં શું ફેરફાર અનુભવ્યાં?
અનેક પરિવર્તન. પણ દરેક ફેરફાર સારા હોય તે જરૂરી નથી. અત્યારે કાંડુ વાળવાના 15 ડિગ્રીના નિયમ સાથે હું સહમત નથી. ખરેખર તે નિયમ નહીં દાદાગીરી છે. બીજી વાત એ છે કે અત્યારે દરેક ઑફ સ્પિનર દૂસરા ફેંકવા માગે છે અને તે બોલિંગનો એવો પ્રકાર છે જેને તમે જોવાનું પસંદ નહીં કરો. કોઈ સ્પિનર પરંપરાગત સ્પિનની લૂપ, ઘુમાવ અને ઉછાળ જેવી ખાસિયતોનો પ્રયોગ કરી વિકેટ ઝડપશે તો મને ગમશે.

ટ્વેન્ટી-20 કિક્રેટ વિશે તમારું શું માનવું છે?
નવા પ્રયોગ કરવાની જરૂર હંમેશા હોય છે, ટ્વેન્ટી-20 પણ આવો જ એક પ્રયોગ છે.

કેટલાંક ક્રિકટરોનું માનવું છે કે તેનાથી ટેસ્ટ ક્રિકેટનો મૃત્યુઘંટ વહેલો વાગી જશે?
ટેસ્ટ ક્રિકેટમાં જ ક્રિકેટરોની સાચી ક્ષમતા જાણી શકાય છે. ટેસ્ટ ક્રિકેટ કાબેલ ક્રિકેટરોની રમત છે. ક્રિકેટની સાચી કળા છે. ક્રિકેટરૂપી મુગટમાં સૌથી કિંમતી રત્ન છે. ક્રિકેટના આ ક્લાસિક સ્વરૂપને કોઈ પણ નબળી ન કહી શકે...

પણ ઘણા ક્રિકેટરો ટેસ્ટ ક્રિકેટનો અંત વહેલો આવી જશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યાં છે...
આગામી દિવસોમાં ખબર પડે જશે. તમે જોશો કે તમામ પ્રકારના દબાણ વચ્ચે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ વધશે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એશીઝ શ્રેણી છે.

ક્રિકટેનું વધારે પડતું વ્યાવસાયિકરણ થઈ ગયું છે?
રમતને ટકાવવા, પ્રતિભાશાળી ખેલાડીઓને તેની સાથે જોડવા અને રમતને આકર્ષક બનાવવા તમારે નાણાંની જરૂર પડે છે. ક્રિકેટ રમીને તમારે જિંદગી નાણાભીડમાં પસાર કરવી પડે તો તમે ક્રિકેટ રમવાનું પસંદ કરશો? જરૂર સંતુલનની છે.

શર્મ-અલ-શેખ, કસાબ અને ઉર્દૂ અખબારો...


ઉર્દૂના જાણીતા જાસૂસી નવલકથાકાર ઇબન-એ-સફીએ પોતાની એક નવલકથામાં લખ્યું છે કે, 'ચીનીઓના બાપ અને પાકિસ્તાનીઓની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરવો.' ખબર તેમણે કયા આધારે લખ્યું, પણ શર્મ-અલ-શેખમાં ભારતીય વડાપ્રધાન મનમોહન સિંઘ સાથેની મંત્રણા અને મુંબઈમાં 26/11 હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબની કબૂલાત પર (ના)પાકે જે કળા દેખાડી છે તે જોતાં ઇબન-એ-સફીની વાતમાં ખરેખર દમ છે તેનો સ્વીકાર તો પાકિસ્તાન તરફી કથિત ધર્મનિરપેક્ષ અમીચંદોએ પણ કરવો જ પડે.

હિંદુસ્તાનના ઉર્દૂ અખબારો જણાવે છે, નાપાક પાકિસ્તાન પાસેથી પાક વલણની આશા રાખવાથી કશું વળવાનું નથી. બીજી તરફ પાકિસ્તાનના ઉર્દૂ અખબારોનું વલણ અત્યંત નિરાશાજનક છે. તેમાં પાકિસ્તાનનું અગ્રણી ઉર્દૂ અખબાર 'મિલ્લત ન્યૂઝ' આગળ પડતું છે. શર્મ-અલ-શેખમાં સંયુક્ત નિવેદન પર પાકિસ્તાનના ઉર્દૂ અખબારો તેમના વઝીર-એ-આલમ યુસુફ ગિલાની પર આફરીન થઈ ગયા છે. પાકના નાપાક પત્રકારોએ તો ઇજિપ્ત જ 'વી વિન'ના બણગાં ફૂંકવાની શરૂઆત કરી દીધી હતી. ગિલાની ઇજિપ્તથી સ્વદેશ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે લાળપાડું નાપાક પત્રકારો તેમને ત્રણ વખત મળ્યાં હતા અને વારંવાર અભિનંદન આપ્યા હતા.

રાજકીય નેતાઓ સાથે સલામત અંતર જાળવવું એક કળા છે અને અત્યંત ઓછા પત્રકારો તેમાં માહેર હોય છે. પાકિસ્તાનના આ લાળપાડું પત્રકારોનું કહેવું છે કે, પાકિસ્તાને પોતાની શરતો પર ભારતને સમજૂતી કરવા રાજી કર્યું. ભારતે બલૂચિસ્તાન અને વઝીરિસ્તાનમાં દખલઅંદાજીની વાત પણ કબૂલી લીધી છે. પાકિસ્તાનના મીડિયાથી વિપરીત આપણા ઉર્દૂ અખબારોએ વધુ ગંભીરતા દાખવી છે. તે લખે છે, પાકિસ્તાન ભ્રમમાં ન રહે. દિલ્હીથી પ્રકાશિત થતું 'સહાફત' લખે છે કે, 'પાકિસ્તાન વાટાઘાટને ભારતની નબળાઈ ન સમજે. અમે ઝરદારી કે ગિલાનીના કારણે વાટાઘાટ કરવા રાજી થયા નથી. ત્યાંની જનતાની શાંતિ અને સલામતી માટે અમે આ માનવતાવાદી પગલું લીધું છે.'

'જદીદ ખબર' લખે છે, 'પાકિસ્તાન ભલે ગમે તે કહે. સાચી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય અને હિંદુસ્તાનના દબાણમાં આવીને તેને મુંબઈ હુમલા માટે પોતાની જમીનનો ઉપયોગ અને તેમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હોવાની વાત કબૂલવી પડી છે.' એક ઉર્દૂ અખબારે લખ્યું છે કે, પાકિસ્તાન પર વિશ્વાસ કરવા જેવો નથી. તેની જમીનનો નાપાક ઇરાદા માટે ઉપયોગ નહીં થાય અને ત્યાંથી ભારત પર આતંકવાદી હુમલા નહીં તેની કોઈ ખાતરી નથી.

કસાબની કબૂલાત અને ફાંસની સજા મેળવવાની ઇચ્છા પર પણ હિંદુસ્તાન અને પાકિસ્તાનના ઉર્દૂ અખબારોનો દ્રષ્ટિકોણ અલગ-અલગ છે. હિંદુસ્તાનના ઉર્દૂ અખબારોએ કસાબની કબૂલાતના સમાચારને 'હા, મૈં કાતિલ હૂં', 'મૈંને સેંકડો બેગુનાહોં કા ખૂન કિયા હૈ' જેવા મથાળા સાથે પ્રકાશિત કર્યા છે. પાકિસ્તાનના ઉર્દૂ અખબારો કસાબની કબૂલાત એક ષડયંત્ર માને છે. તેઓ પૂછે છે કે, 'અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જ કસાબે કબૂલાત કેમ કરી?'

એકલે હાથ સંભાળું છું મોરચો..


રાતદિન ક્યારનો ખાળું છું મોરચો,
એકલે હાથ સંભાળું છું મોરચો.
ત્રાડ પાડી તરત થઈ જવાતું ખડું,
સ્વપ્નમાં યે અગર ભાળું છું મોરચો.

એક હૈયા ઉપર ને બીજો મૂઠ પર,
ઊંઘમાં યે હવે પાળું છું મોરચો.

કોણ છે બીજું કે હું પ્રહારે કરું?
જાત સામે જ તો વાળું છું મોરચો.
તેગ તાતી કરું મ્યાન પળમાં પછી,
દેખ, હમણાં જ અજવાળું છું મોરચો.
રાજેન્દ્ર શુક્લ

Monday, July 27, 2009

જાગો રે અભિયાનઃ ફાયદો કોને થયો? લોકશાહીને કે ટાટા ટીને?


'મેરા ભારત મહાન'ના મહાન ભારતીયોને મન ચાની ચૂસ્કી વધુ મહત્વની કે મતદાન? તમે અમિતાભ બચ્ચનના પ્રશંસક હશો તો તમારા મુખમંડળમાંથી 'હંઈ', આમિર ખાનના પ્રશંસક હશો 'હાય અલ્લાહ, યે ક્યા કહે રહે હો', રાજેશ ખન્નાના પ્રશંસક હશો તો 'બાબુ મોશાય, ક્યા કહે રહે હો' અને દિલીપ કુમારના આશિક હશો તો 'એ ભાઈ, ક્યા કહે રહે હો, ભાઈ' જેવો ઉદગાર નીકળી જશે. પણ ચા રસિકોને એ જાણીને આનંદ થશે કે, લોકસભાની ચૂંટણી દરમિયાન એક વાતનો ફેંસલો થઈ ગયો છે કે, આ દેશની જનતાને મતદાન કરતાં ચામાં વધુ રસ છે.

જાગો રે..જાગો રે...જાગો રે....યાદ છે આ જાહેરાત? ના યાદ હોય તો પણ વાંધો નહીં. આમ પણ આપણે ભારતીયો ખરેખર યાદ રાખવાની વાતો બહુ ઝડપથી ભૂલી જઇએ છીએ અને સમજવાની બાબત હોય તેને પાછળથી સમજીએ છીએ. જે વાત પાછળથી સમજાય તેનો રંગ હંમેશા લાલ હોય છે. લોકસભાની ચૂંટણી પહેલાં 'નેનોનરેશ' રતન ટાટાના ગ્રૂપની ટાટા ટી કંપનીએ જાગો રે અભિયાન ચલાવ્યું હતું. તેમાં એક દેશપ્રેમી યુવાન કોલેજીયન વિદ્યાર્થીઓને કહે છેઃ ''ઇલેક્શન કે દિન અગર આપ વોટ નહીં કર રહેં હૈ તો આપ સો રહે હૈં.'' આ અભિયાન કે જાહેરાતનો આશય એક યા બીજી રીતે જનતા જનાર્દનને મતદાન કરવાની પ્રેરણા આપવાનો હતો. તેનાથી લોકસભાની ચૂંટણીમાં મતદાન વધશે તેવી આશા હતી. પણ થયું શું?

જનતાને પ્રેરણા મળી પણ મતદાન કરવાની નહીં, ટાટા ટીની ચા પીવાની. આપણે બધા જાણીએ છીએ કે આ વેળાની લોકસભા ચૂંટણીમાં અગાઉની ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું હતું. પણ મતદાન કરવાની પ્રેરણા આપતી કંપનીઓનો વકરો વધી ગયો છે. તેનું ઉદાહરણ ટાટા ટીના બજાર હિસ્સામાં થયેલો વધારો છે. પુરુષ અને સ્ત્રીઓના કામરસથી લઇને વિવિધ કંપનીઓના દેખાવ પર સરવે કરવા માટે જાણીતા કંપની એસી નિલ્સેનનો ટાટા ટી પરનું સંશોધન કહે છે કે, જાગો રે અભિયાનથી લોકશાહીના પાયા સમાન મતદાનમાં તસુભાર પણ વધારો થયો નથી, પણ ચાના બજારમાં ટાટા ટીના હિસ્સામાં ખાસ્સો વધારો થયો છે.

જૂન, 2007માં ટાટા ટીનો માસિક બજાર હિસ્સો 19.5 ટકા હતો જ્યારે ચાના બજારમાં અગ્રેસર હિંદુસ્તાન યુનિલીવર લિમિટેડ (એચયુએલ)નો હિસ્સો 22 ટકા હતો. પણ તે પછી ટાટા ટીનું જાગો રે અભિયાન શરૂ થયું. આ અભિયાન બે વર્ષ ચાલ્યું હતું અને લોકસભાની ચૂંટણી વેળાએ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. આ ગાળા દરમિયાન બજારમાં ટાટા ટીનો હિસ્સો વધતો ગયો છે. એસી નિલ્સેનના જણાવ્યા મુજબ, માર્ચ 2009માં ચાના બજારમાં ટાટા ટીનો માસિક બજાર હિસ્સો 22.3 ટકા હતો જ્યારે એચયુએલનો હિસ્સો 23 ટકા હતો. એટલે કે જાગો રે અભિયાનના ગાળા દરમિયાન એચયુએલનો હિસ્સો માત્ર એક ટકા વધ્યો જ્યારે ટાટા ટીનો હિસ્સો 2.8 ટકા વધ્યો. ટાટા ટી માટે આ એક મોટી વ્યાવસાયિક સફળતા છે.

ચા, અખબાર અને પહેલો પ્રેમ-આ ત્રણેયનો એક કેફ હોય છે. તેમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. જે ચાની ચૂસકી ગમી જાય પછી પેઢીઓ સુધી તેને બદલવામાં આવતી નથી. આ પ્રકારના માનસિકતા ધરાવતા સુજ્ઞ ચા રસિકોનો ટેસ્ટ બદલવામાં ટાટા ટીને જાગો રે અભિયાન ફળ્યું છે. આ વાંચ્યા પછી તમારા મોંમાંથી માત્ર ત્રણ શબ્દ નીકળશે તેની ખાતરી છેઃ મેરા ભારત મહાન...

Sunday, July 26, 2009

અમદાવાદમાં બીઆરટીએસને પ્રથમ ગ્રાસે મક્ષિકા....












આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં જાહેર પરિવહન વ્યવસ્થાને ઝડપી બનાવવાના સારા આશય સાથે શરૂ કરવામાં આવેલો બીઆરટીએસ પૂર્ણ થવાના આરે છે. તેના પર બસો પ્રાયોગિક ધોરણે દોડવવાનું છેલ્લાં દસ-પંદર દિવસથી શરૂ થયું છે, પણ આટલા દિવસના પ્રયોગમાં જ પ્રજા કંટાળી ગઈ હોય તેવું લાગે છે. આ પ્રોજેક્ટના વાસણા-સાબરમતી-નરોડા-નારોલ અને વાસણા-સાબરમતી કોરિડોર પર પ્રાયોગિક ધોરણે દોડતી બીઆરટીએસની બસોનો જનતાએ શનિવારે ધરણીધર વિસ્તારમાં અટકાવી દીધી હતી.

વાત એમ છે કે, અહીં બીઆરટીએસ માટે ધરણીધર દેરાસરના ચાર રસ્તા બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે પ્રજા નારાજ થઈ છે. અહીં બીઆરટીએસ કારણે રસ્તા સાંકડા થઈ જવાથી પ્રજામાં નિરાશા તો હતી જ. તેમાં ધરણીધર દેરાસર જેવા ચાર રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવાતા પ્રજા વિફરી હતી. આ દેરાસર ચાર રસ્તા નાગરિકો માટે અત્યંત ઉપયોગી છે. તે બંધ થઈ જાય તો વિકાસ વિદ્યાલય અને જીવરાજ મહેતા હોસ્પિટલ તરફ જવા માટે લોકોને એક લાંબો ચક્કર મારવો પડે.

પ્રજાની આ નારાજગીનો ફાયદો કોંગ્રેસે સારો એવો ઉઠાવ્યો છે. વાસણા વોર્ડમાં કાર્યરત કોંગ્રેસના કાર્યકરોએ પહેલાં શનિવારે અહીં પ્રાયોગિક ધોરણે દોડતી બીઆરટીએસની બસો અટકાવી દીધી અને રવિવારે ધરણીધર દેરાસર ચાર રસ્તા ખુલ્લા રાખવા મતદાન યોજ્યું હતું. પ્રજાએ પણ તેને સારો પ્રતિસાદ આપ્યો હતો અને સારું મતદાન થયું હતું. હવે જનતાનો આ અવાજ બીઆરટીએસના નિર્માણ માટે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (એજેએલ)ને સોંપવામાં આવશે.

આ વિશે વાસણા વોર્ડ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરાગ પટેલે કહ્યું હતું કે, ''આ મતદાન પછી એજેએલ ધરણીધર ચાર રસ્તા ખુલ્લા રાખવા કે નહીં તેનો નિર્ણય લેશે.'' જોકે એજેએલ આ ચાર રસ્તા બંધ કરવાનો નિર્ણય લેશે તો પણ કોંગ્રેસ તેની લડત ચાલુ રાખશે તેવું તેમણે ઉમેર્યું હતું. અત્યારે સમગ્ર શહેરમાં બીઆરટીએસનું કામકાજ ચાલુ છે. જે વિસ્તારોમાં તેનું કામકાજ ચાલુ છે ત્યાં રસ્તા સાંકડા થઈ ગયા હોવાની ફરિયાદો ઊઠી છે. શહેરમાં બીઆરટીએસના 18 કોરિડોર બની રહ્યાં છે, જે નીચે મુજબ છેઃ

વાસણા-સાબરમતી-નરોડા (47.5 કિમી)
વાસણા-સાબરમતી (15 કિમી)
નરોડા-નારોલ (18 કિમી)
થલતેજ-કાલુપુર (9.1 કિમી)
સત્તાધાર-કાલુપુર (9.55 કિમી)
ઘાટલોડિયા-વાડજ (4.92 કિમી)
સાબરમતી-સરખેજ વાયા આશ્રમ રોડ (17.63 કિમી)
ઇસ્કોન મંદિર-કાલુપુર (11.09 કિમી)
કાલુપુર સ્ટેશન-નારોલ-લાંભા (8.44 કિમી)
કાલુપુર સ્ટેશન-જશોદાનગર ક્રોસરોડ-હાથીજણ (12.81 કિમી)
કાલુપુર-ઓઢવ (9.49 કિમી)
કાલુપુર-નરોડા (10.29 કિમી)
થલતેજ-નારોલ-લાંભા (યુનિવર્સિટી રોડ) (17.15 કિમી)
સરખેજ-ગોતા (12.45 કિમી)
પાલડી-કાલુપુર સ્ટેશન વાયા જમાલપુર (3.25 કિમી)
ઇસ્કોન મંદિર-વાસણા વાયા નેહરુ નગર સર્કલ (3.25 કિમી)
સાબરમતી-કાલુપુર (8.98 કિમી)
વાડજ-ગોતા (5.75 કિમી)
શિવરંજની ક્રોસરોડ-કાલુપુર વાયા શ્રેયાંસ, ન્યૂ બ્રીજ, સ્ટેશન (11.57 કિમી)

કોઈ પણ વ્યવસ્થા પ્રજાની સુવિધા માટે હોય છે. બીઆરટીએસનો આશય સારો છે પણ તેનો અમલ શહેરમાં સફળ થશે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડી જશે.

Friday, July 24, 2009

'હું જ રાજ્ય છું': દૈવી સિદ્ધાંતમાં માનતા આપખુદ, નિરંકુશ, સર્વાસત્તાધીશ અને નબળા લૂઈ શાસકો

(નિર્બળ, નિરંકુશ, સર્વસત્તાધીશ લૂઈ શાસકોના વૈભવવિલાસનું પ્રતીક વર્સેલ્સ મહેલ)

સામાન્ય રીતે મનુષ્યની મૂળભૂત જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. શાસકો પોતાની સત્તાના કેફમાં અંધ બનીને પ્રજાની આ ત્રણ મૂળભૂત જરૂરિયાત પર તરાપ મારે છે ત્યારે ક્રાંતિનું બીજારોપણ થાય છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં ક્રાંતિનો અર્થ 'આમૂલ પરિવર્તન', 'પરિસ્થિતિમાં મહાન પલટો' આપવામાં આવ્યો છે. ક્રાંતિ એટલે જૂની વ્યવસ્થાનો નાશ અને નવી વ્યવસ્થા માટેનું વિસ્ફોટક પરિવર્તન. જનતા જૂની વ્યવસ્થાથી ત્રાસી જાય છે ત્યારે નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા ક્રાંતિનો માર્ગ અપનાવે છે. ફ્રાંસની જનતા પણ આપખુદ, નિરંકુશ અને નિર્બળ રાજાશાહી વ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગઈ હતી અને તેની ક્રૂર બેડીઓમાંથી છૂટવા પ્રજાએ ક્રાંતિનો કાંટાળો માર્ગ પસંદ કર્યો હતો. સર્વસત્તાધીશ અને નિર્બળ લૂઈ રાજાશાહીના કારણે ફ્રાંસના રાજકીય, વહીવટી, કાનૂની, સામાજિક અને આર્થિક એમ તમામ ક્ષેત્રે અરાજકતા ફેલાયેલી હતી અને સામાન્ય જનતા તેમાં પીસાઈ રહી હતી.

રાજાશાહી કે સરમુખત્યારશાહીની સફળતાનો આધાર રાજા કે સરમુખત્યારની યોગ્યતા, કુશળતા અને તેના દ્રઢ મનોબળ પર હોય છે. પ્રજા અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતી કોઈ પણ શાસન વ્યવસ્થાનો સ્વીકાર જનતા કરે છે. આપણી સામે ક્યુબાના સામ્યવાદી સરમુખત્યાર ફિડેલ કાસ્ટ્રોનું ઉદાહરણ છે. ક્યુબામાં છેલ્લાં 50 વર્ષથી કાસ્ટ્રોનું શાસન છે. અમેરિકાએ તેને દૂર કરી મૂડીવાદ સ્થાપવા અનેક પ્રયાસ કર્યા છે, છતાં પ્રજા કાસ્ટ્રોના જનહિતકારી શાસન વ્યવસ્થાથી સંતુષ્ટ છે. પણ ફ્રાંસમાં પરિસ્થિતિ વિપરીત હતી.

ફ્રાંસમાં રાજાને રાજકાજમાં સલાહ આપવા લોકપ્રતિનિધિઓની એક સભા હતી જે જનરલ એસ્ટેટ નામે ઓળખાતી હતી. તેમાં પ્રજાના ત્રણ વર્ગોને સ્થાન હતું-ધર્મગુરુઓ, ઉમરાવો અને સામાન્ય જનતા. પણ લૂઈ રાજાઓએ 1614 પછી તેનું અધિવેશન જ બોલાવ્યું નહોતું. લોકોને તેની ચૂંટણી અને કામગીરી પણ યાદ નહોતી. રાજા સંપૂર્ણપણે મનસ્વી થઈ ગયા હતા અને અમર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરતા હતા. તેમના સ્વેચ્છાચારી આચરણ પર અંકુશ લગાવી શકતી કોઈ સંસ્થા હતી તો એ પાર્લમા હતી. તે પ્રતિનિધિ સભા નહોતી પણ તેની કામગીરી થોડી ઘણી અદાલત જેવી હતી. તેનું મુખ્ય કાર્ય રાજાના આદેશોને મંજૂર કરવાનું કે ફગાવી દેવાનું હતું. ફ્રાંસમાં કુલ 13 પાર્લમા હતી જેમાં પેરિસની પાર્લમા સૌથી વધુ શક્તિશાળી હતી.

ક્રાંતિ અગાઉના વર્ષોમાં પાર્લમાએ રાજાના કેટલાક અયોગ્ય આદેશોને માન્ય કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. પણ રાજા અને તેના દરબારીઓએ એક યુક્તિ વાપરી તેને પણ નબળી પાડી દીધી. પાર્લમામાં પદો વંશાનુગત બનાવી દીધા. યોગ્ય વ્યક્તિની પસંદગીને કોઈ અવકાશ જ રહેવા ન દીધો. જે સંસ્થા કે રાજ્યનું સંચાલન યોગ્ય વ્યક્તિના હાથમાં ન હોય ત્યાં અરાજકતા જ સર્જાય છે. ઇતિહાસકાર સી ડી એમ કેટલ્બીએ કહ્યું છે કે, 'ફ્રાંસમાં જૂની વ્યવસ્થાનું સૌથી આગળ પડતું લક્ષણ હતું-અરાજકતા.' અને આ અરાજકતા માટે જવાબદાર કોણ હતા? પૃથ્વી પર શાસન કરવા પોતાને પરમેશ્વરના પ્રતિનિધિ માનતા મદમસ્ત લૂઈ શાસકો.

લૂઈ રાજાઓ દૈવી સિદ્ધાંતમાં માનતા હતા. લૂઈ 14મો (1643-1715) ગર્વથી કહેતો, 'I am the State' અર્થાત્ 'હું જ રાજ્ય છું.' તે આપખુદ અને નિરંકુશ શાસક હતો, પરંતુ તેનું મનોબળ દ્રઢ હતું. તેણે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જે તેવા પરિબળોને અંકુશમાં રાખ્યાં હતા. તેના પછી શાસન વ્યવસ્થા ક્રમશઃ નબળી પડતી ગઈ. તેના પુત્ર લૂઈ 15મામાં (1715-1774) એક શાસક માટે જરૂરી યોગ્યતા કે કુશળતા નહોતી. હેઝ, મૂન અને વેલેન્ડને મતે, 'તેણે વહીવટ કરવા ઉપપત્નીઓ અને અયોગ્ય પ્રધાનો રાખ્યા હતા.' શાસનતંત્રને સુધારવાને બદલે તે આનંદ-પ્રમોદ અને ભોગ-વિલાસમાં ચૂર રહેતો હતો. તેને કેટલાંક યોગ્ય સલાહકારોએ શાસનમાં સુધારો કરવાની સલાહ આપી ત્યારે તેણે શું જવાબ આપ્યો હતો?

'અત્યારે જે વ્યવસ્થા છે તેમાં મારું આયખું પૂરું થઈ જશે. પછી ચિંતા કરવાની શું જરૂર!' પણ મોત નજીક આવ્યું ત્યારે તેને અહેસાસ થયો હતો કે ફ્રાંસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોતાના મૃત્યુ સમયે તેણે કહ્યું હતું, 'મારા મૃત્યુ પછી પ્રલય થશે...' અને ખરેખર પ્રલય થયો. તેના પુત્ર લૂઈ 16મામાં નેતૃત્વક્ષમતા નહોતી. અને અધૂરામાં પૂરું તે ભલો અને ભોળો હતો. નપોલિયન કહેતો કે, 'લોકો રાજાને ભલો માણસ કહે ત્યારે તેનું શાસન નિષ્ફળ ગયું છે તેમ માનવું.'

આ ભલા અને ભોળા શાસક પર તેની પત્ની મહારાણી મેરી આન્તાનેતનો પ્રભાવ હતો. તે ઑસ્ટ્રિયાની મહારાણી મેરિયા થેરીસાની પુત્રી હતી. મેરી મૂર્ખ હતી અને કોઈ પણ બાબતે લાંબું વિચારવાની તેની પાસે ક્ષમતા નહોતી. તે સતત ખોટા સલાહકારોથી ઘેરાયેલી રહેતી અને લૂઈ 16મો તેનો પડ્યો બોલ ઝીલતો હતો. તે પણ તેના બાપની ભોગ-વિલાસી હતો. તેના વૈભવવિલાસના આંકડા પર નજર ફેરવશો તો ફ્રાંસની પ્રજાનો આક્રોશ આપણને યોગ્ય લાગે છે.

રાજા અને તેના કુટુંબીજનો ફ્રાંસની રાજધાની પેરિસથી 12 માઇલ દૂર વર્સેલ્સમાં વિશાળ રાજમહેલમાં રહેતા હતા. તેના ભવ્ય દરબારમાં કેટલાં માણસો હતા? 18,000. તેમાંથી 16,000 તો રાજા અને તેના કુટુંબીજનોના અંગત નોકરો હતા. બાકીના 2,000 ખુશામતિયા અને ઉમરાવો હતા. મેરી પાસે જ 500 સેવકો હતા. શાહીતબેલામાં 1,900 ઘોડા હતા અને તબેલાનો ખર્ચ જ દર વર્ષે 40 લાખ ડોલર આવતો. રાજા દર વર્ષે ભવ્ય ભોજનસમારંભો યોજતા જેની પાછળ દર વર્ષે 15 લાખ ડોલરનો ધુમાડો થતો. ખેડૂતો ભૂખ્યે મરતાં અને રાજા ભોજનસમારંભો યોજતા! ક્રાંતિના વર્ષમાં જ રાજારાણીએ પોતાના મોજશોખ અને વૈભવવિલાસની પાછળ બે કરોડ ડોલર કરતાં વધારેનો ખર્ચ કર્યો હતો અને આ બધું જોઇને પ્રજાનો ગુસ્સારૂપી લાવારસ ઉકળી રહ્યો હતો...જરૂર હતી એક ચિંગારીની અને તે ચિંગારી ખુદ રાજા લૂઈ 16માએ જ ચાંપી....

એકાગ્રતા એટલે સફળતા


જ્ઞાન મેળવાની કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એકાગ્રતા છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી મનની બધી શક્તિને એકત્રિત કરીને એક જ કેન્દ્રબિંદુ પર લાવે છે અને તત્વો પર ફેંકે છે. આ તત્વોનું વિશ્લેષણ થાય છે અને રસાયણશાસ્ત્રી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ખગોળવેત્તા પણ પોતાના મનની શક્તિને એકત્ર કરીને એક જ કેન્દ્ર પર લાવે છે અને પોતાના દૂરબીન દ્વારા પદાર્થો પર ફેંકે છે. પરિણામો તારાઓ અને સૂર્યમંડળો સામે આવીને પોતાનું રહસ્ય ખુલ્લું કરે છે.

એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય. બૂટપોલિશ કરતો કોઈ છોકરો પોતાનું કામ એકાગ્રતાથી કરશે તો તે બૂટને અરીસા જેવા કરી શકશે. રસોઇયો એકાગ્રતાથી રસોઈ કરશે તો ભોજન સ્વાદિષ્ટ બનશે. પૈસા કમાવવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ, તેટલું કામ સારું. એકાગ્રતા એક પોકાર છે, એક ધક્કો છે, જે કુદરતના દ્વાર તમારી સમક્ષ ખુલ્લા મૂકી પ્રકાશનો ધોધ વહેતો કરે છે.

સામાન્ય માનવી નેવું ટકા વિચારશક્તિ તો મનની ચંચળતાને લઈને ગુમાવે છે. મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે મુખ્ય ભેદ તેમની એકાગ્રતાની શક્તિમાં છે. પ્રાણઓમાં એકાગ્રતાની શક્તિ બહુ ઓછી હોય છે અને તેઓ લાંબા સમય સુધી એક વસ્તુ પર એકાગ્રતા સાધી શકતા નથી. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના તફાવતના મૂળમાં પણ એકાગ્રતાનો જ સવાલ છે. નીચામાં નીચા અને ઊંચામાં ઊંચા માનવીની તુલના કરી જુઓ. આ બંનેમાં ભેદ કેવળ એકાગ્રતાની માત્રાનો જ છે.

કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તેની સફળતાનું રહસ્ય એકાગ્રતા જ છે. ઘણનો ઘા ક્યારે મારવો, અંદરનું દ્વાર ક્યારે ખખડાવવું એટલું આપણે જાણીએ તો પછી બ્રહ્માંડ તો પોતાનો ખજાનો-રહસ્યો તમારી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. પણ પ્રહાર કરવાની આ તાકાતની જનેતા કોણ છે? એકાગ્રતા.
સેન્ટર પોઇન્ટઃ એક વિચારને પકડીને તેની જ ઉપાસનો કરો, ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ ધપો. ચોક્કસ તમારો સૂર્યોદય થશે

Thursday, July 23, 2009

બાળકોને રચનાત્મક ખ્યાલો આપો


માર મારવાથી ગધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તે રીતે આપણે આપણા બાળકોને કેળવવા મથતી પદ્ધતિ રદ કરવી જોઈએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે આપણા બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ સાંપડતો નથી. મનુષ્યને સુધારવા બળજબરીથી થતા પ્રયાસો હંમેશા એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે.

આપણે બાળકોને રચનાત્મક ખ્યાલો આપવા જોઈએ. નકારાત્મક વિચારો મનુષ્યને કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માબાપ પોતાના સંતાનોને વાંચવા લખવા કાયમ ટોક ટોક કર્યા કરે અને ''તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.'' એવું કહ્યાં કર્યા કેર ત્યાં ઘણા દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.

ભાષા અને સાહિત્યમાં, કાવ્ય અને કળાઓમાં, દરેક વિષયમાં મનુષ્યો પોતાના વિચારો અને કાર્યોમાં જે ભૂલો કરે છે તે આપણે તેમને દર્શાવવી ન જોઈએ, પરંતુ આ બધું તેઓ વધારી સારી રીતે કરી શકે, તે માર્ગ તેમને દર્શાવવો જોઇએ. શિષ્યની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમાં ફેરફાર થવો જોઇએ. તે જ્યાં ઊભો હોય ત્યાંથી તેનો હાથ પકડીને તેને આગળ ધપાવો. કોઈ છોડવાને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય કરી શકો તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં કરી શકો નહીં. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર રહેલું છે અને આપણે તેને માત્ર જાગ્રત કરવાની જરૂર છે. શિક્ષકનું કાર્ય માત્ર આટલું જ છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેના માટે કરવાનું છે.

સેન્ટર પોઇન્ટઃ તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં, તો પછી એ શિયાળ બની જશે

કેળવણી એટલે...


તમારા મગજમાં ઠાંસેલી અને જીવનભર વણપચી રહીને કાળો કેર વરતાવતી માહિતીનો સંચય એટલે કેળવણી નહીં. જીવનનું ઘડતર કરે, મનુષ્યને મર્દ બનાવે., તેના ચારિત્ર્યનો વિકાસ કરે તેવા વિચારની આપણને જરૂર છે. માત્ર પાંચ જ વિચારો પચાવીને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં વણી લીધા હોય તો આખું પુસ્તકાલય ગોખી નાખનાર કોઈ પણ માણસ કરતાં તમે વધુ કેળવણી પામેલા છો. કેળવણી અને માહિતીના અર્થમાં કશો જ ફેર ન હોય તો, પુસ્તકાલયો જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ ઠરે અને સર્વજ્ઞાનસંગ્રહો ઋષિમુનિઓમાં ખપે.

સાધારણ જન સમુદાયને જીવનસંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી ચારિત્ર્યબળ ઊભું ન કરી શકે, જે કેળવણી તમારામાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે તેને શું આપણે કેળવણી કહીશું? કેળવણીનો હેતુ શો છે?

આપણે એવી કેળવણીની જરૂર છે જેના વડા મનની શક્તિમાં વૃદ્ધિ થાય, આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ. કેળવણી માત્રનો હેતુ મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો છે. માનવને વિકાસના પંથે ચડાવવો એ જ કેળવણીનું અંતિમ લક્ષ્ય છે. જે શિક્ષણથી મનુષ્યની ઇચ્છાશક્તિનો પ્રવાહ સંયમિત બને અને ફળદાયી બને તેને જ સાચું શિક્ષણ કહેવાય. લોખંડી માંસપેશીઓ અને પોલાદી સ્નાયુઓની અત્યારે આપણા રાષ્ટ્રને જરૂર છે.

જેની સામે થવાની કોઈ હિંમત પણ ન કરે, જે સૃષ્ટિના ગુપ્ત રહસ્યને ભેદી શકે અને તેનો તાગ મેળવી શકે, જે મરજીવા બનીને સમુદ્રના તળિયે મોતનો સામનો કરીને પણ જીવનનું રહસ્ય શોધી શકે એવા રાક્ષસી મનોબળની આપણે જરૂર છે. માનવને 'માનવ' બનાવતો ધર્મ આપણે જોઇએ. માનવને 'માનવ' બનાવે તેવા સિદ્ધાંતો આપણે ઇચ્છીએ છીએ. આપણે સર્વત્ર માનવને 'સાચો માનવ' બનાવી એવી કેળવણી ઝંખીએ છીએ.

ફ્રાંસની મહાન ક્રાંતિ


ક્રાંતિ અને જ્વાળામુખીમાં એક સમાનતા છે. તે બંને અચાનક ફાટી પડે છે, પણ તેના મૂળિયાં બહુ ઊંડે સુધી પથરાયેલા હોય છે. તેનો વિસ્ફોટ થાય છે ત્યારે આશ્ચર્ય સાથે જોવા સિવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ હોતો નથી, પણ તેને જન્મ આપનારાં પરિબળો સતત એકબીજાની વિરુદ્ધ કાર્ય કરતાં હોય છે. અસંતોષને જન્મ આપનારા પરિબળો ક્રાંતિ માટે જરૂરી પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે અને તે પરિબળોમાંથી મુક્તિ આપવા માટે પ્રેરણા આપે છે-બૌદ્ધિક ચેતના. શાસકો જડ બની જાય અને બદલાતા સમયની સાથે પોતાનું જક્કી વલણ ન બદલે ત્યારે પરિવર્તનની પહેલ કરવાની જનતાને ફરજ પડે છે. આ પહેલ એટલે જ વિસ્ફોટ!

14 જુલાઈ, 1789ના રોજ આવો જ એક વિસ્ફોટ ફ્રાંસમાં થયો અને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આપખુદ, નિરકુંશ અને સર્વસત્તાધીશ રાજાશાહીથી તંગ આવી ગયેલી પ્રજાએ અન્યાય, અત્યાચાર અને આપખુદીના પ્રતિક સમાન બેસ્ટાઇલના કિલ્લા પર હુમલો કરી વિશ્વની એક મહાન ક્રાંતિનું રણશિંગુ ફૂંકી દીધું હતું. ઇતિહાસકાર કેટલ્બીએ કહ્યું છે કે, 'બેસ્ટાઇલના પતન સાથે ફ્રાંસની જનતા લોહી ચાખી ગઈ હતી અને હવે તે કોઇના વશમાં રહે તેમ ન હતી.'

અન્યાય, અત્યાચાર અને શોષણથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાની સહનશીલતાનો અંત આવી ગયો હતો અને તેણે ફ્રાંસમાં રાજાશાહીનો મૃત્યુઘંટ વગાડવાનું આહવાન કર્યું હતું. રાજા લુઈ સોળમાને તેના ઉમરાવ ડ્યુક ડી લિયાનકોર્ટે બેસ્ટાઇલના પતનના સમાચાર આપ્યા ત્યારે તેણે કહ્યું હતું કે, ''આ તો બળવો કહેવાય!'' રાજા બળવો અને ક્રાંતિ વચ્ચેનો ભેદ જાણતો નહોતો. કોઈ વ્યક્તિ કે જૂથ પોતાનું હિત સંતોષવા જે તે વ્યવસ્થાનો વિરોધ કરે તેને બળવો કહેવાય જ્યારે સમાજના હિત માટે બહુમતી પ્રજા જાગે અને સંપૂર્ણ શાસન વ્યવસ્થાને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા મેદાને પડે તેને ક્રાંતિ કહેવાય. બળવાની અસર કામચલાઉ હોય છે જ્યારે ક્રાંતિ લાંબા સમય સુધી પ્રજાને પ્રેરણા પૂરી પાડે છે.

લુઈ સોળમો અભિમાનમાં મદમસ્ત હતો પણ તેના ઉમરાવ ડ્યુક ડી લિયાનકોર્ટ વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ હતો. તે જાણતો હતો કે આ બળવો નથી. તેણે જવાબ આપ્યો, ''નામદાર, આ બળવો નથી, આ તો ક્રાંતિ છે !'' ઇતિહાસ સાક્ષી છે, ફ્રાંસની રાજકીય ક્રાંતિ પર જેટલું લખાયું છે તેટલું કોઈ બીજી કોઈ ઐતિહાસિક ઘટના પર લખાયું નથી. આ ક્રાંતિ જેટલી સહાનુભૂતિ કે આક્રોશ વિશ્વની બીજી કોઈ ઘટના પર વ્યક્ત કરવામાં આવ્યો નથી. જવાહરલાલ નેહરુએ કહ્યું છે કે, ''તે ક્રાંતિ અનેક અસાધારણ ઘટનાઓથી ભરેલા નિત્ય પલટાતા જતા એક વિરાટ નાટક સમાન છે. તે ઘટનાઓ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે, આપણાં રુવાડાં ઊભા કરી દે છે.'' આ રોમાચંક ક્રાંતિ માટે જવાબદાર પરિબળો...બેસ્ટાઇલના કિલ્લાનું ઐતિહાસિક પતન...લૂઈ સોળમાનો શિરચ્છેદ અને ક્રાંતિની દુર્ગતિ વિશે હવે પછી...

માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં


તમે માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં. માનવજાતના 99 ટકા લોકો ગુલામની જેમ કાર્ય કરે છે અને તેનું ફળ દુઃખ સ્વરૂપે મળે છે, કારણ કે આ બધું સ્વાર્થવૃત્તિથી પ્રેરાય છે. સ્વતંત્ર રીતે કાર્ય કરો ! પ્રેમથી કાર્ય કરો ! પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ મળે છે. પ્રેમથી કરેલું એક પણ કાર્ય એવું નથી જેને પરિણામે સુખ અને શાંતિની પ્રતિક્રિયા ન મળે. સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે. પણ જ્યાં સુધી સ્વતંત્ર્તા ન હોય ત્યાં સુધી પ્રેમ ન જ આવે.

ગુલામમાં સાચો પ્રેમ ન સંભવે. ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો અને કામ કરાવો તો એ વેઠિયાની જેમ કામ કરશે. પણ એનામાં પ્રેમ હશે નહીં. ગુલામની જેમ આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન હોય તે સ્વાભાવિક છે. તેના પરિણામે આપણું કાર્ય સારું થતું નથી. સગાઓ, મિત્રો અને આપણા પોતા માટે પણ કરેલાં કામો પણ આવાં જ છે.

સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામનું કાર્ય છે. ગુલામની જેમ કાર્ય કરવાથી સ્વાર્થીપણું અને આસક્તિ આવે છે, પણ આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનો આનંદ આવે છે. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તેમાં બદલાની આશા રાખવાથી આપણા પ્રગતિ રુંધાય છે. એટલું જ નહીં દુઃખ પણ ઉત્પન્ન થાય છે. તમે તમારા બાળકોને જે આપ્યું છે, તેના બદલામાં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખો છો? તમારા બાળકો માટે કામ કરવાને તમે ફરજ માનો છો અને ત્યાં તમે કોઈ બદલાની અપેક્ષા રાખતા નથી. કોઈ પણ વ્યક્તિ કે શહેર કે રાષ્ટ્ર માટે તમે જે કાંઈ કરો ત્યારે તમારાં બાળકો માટે કરેલા કાર્ય જેવો ભાવ રાખો. બદલામાં કશી આશા ન રાખો.

Wednesday, July 22, 2009

દસ ઊંડા શ્વાસ લો, ધુમ્રપાનની ટેવમાંથી મુક્તિ મેળવો



મિત્રો, કોઈ મને પૂછે કે, પત્રકાર એટલે? તો મારા પત્રકાર મિત્રો પર નજર ફેરવીને હરખ સાથે એક જ જવાબ આપું કે જેના હૈયે સમાજનું હિત વસેલું હોય, જેના મનમસ્તિષ્કમાં સમાજ માટે સારું કરવાની ભાવનાનો ભંડાર ભર્યો હોય તે પત્રકાર. મારા પત્રકાર મિત્રો મારા માટે દિવાદાંડી સમાન છે, મારી પ્રેરણાનો દરિયો છે. તેમને જોઇને આજે મને પણ સમાજનું હિત કરવાનું મન થઈ ગયું. અત્યારે સમાજમાં યુવાધન ધુમ્રપાનના ધુમાડામાં નષ્ટ થઈ રહ્યું છે. તો વિચાર્યું કે સારું કામ જ કરવું હોય તો આ લોકોને સિગારેટ છોડવાનો ઉપાય બતાવું. કહેવાય છે કે ભાવના સારી હોય તો ખુદા ભાવતું ભોજન પીરસે છે. મારી સાથે પણ એવું જ થયું. મેં પ્રભુને પ્રાર્થના કરી કે, હે પરમ કૃપાળું પરમાત્મા સિગારેટ છોડવાનો ઉપાય બતાવ. પ્રભુએ મને જે કહ્યું તે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું.

શરીર એક યંત્ર છે. આ યંત્રને જેટલી ટેવ છે, તેને નવી ટેવ વડે બદલવી પડશે. તમારે સિગારેટ પીવાની ટેવનો ત્યાગ કરવો હોય તો તાજગી જગાવતી નવી ટેવ તમારે પાડવી પડશે. નહીં તો તમે ધુમ્રપાન ક્યારયે છોડી નહીં શકો.

મિત્રો, તમને જ્યારે ધુમ્રપાન કરવાનો વિચાર આવે ત્યારે દસ ઊંડા શ્વાસ લો જેથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ, તાજી હવાનું પ્રમાણ વધશે એટલે તાજગી વધુ સમય ટકી રહેશે. આ એક નવી ટેવ છે.

દોસ્તો, જ્યારે પણ ધુમ્રપાન કરવાનો વિચાર આવે દસ ઊંડા શ્વાસ લો. પણ તેની શરૂઆત શ્વાસ લેવાથી ન કરો, શ્વાસ કાઢવાથી શરૂ કરો. જ્યારે પણ સિગારેટ પીવાનું મન થાય તો સીધો શ્વાસ બહાર કાઢો. જોરથી શ્વાસ બહાર ફેંકી દો. એટલે શરીરની અંદર જેટલો કાર્બન ડાયોકસાઇડ હશે તે બહાર નીકળી જશે. પછી જોરથી શ્વાસ લો એટલે કાર્બન ડાયોકસાઇડની જેટલી જગ્યા હતી ત્યાં ઓક્સિજન ઘૂસી જશે. તમારા લોહીમાં તાજગીનો સંચાર થશે. સતત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહો. તેમાં સફળતા મળશે તો સમજો કે તમે ધુમ્રપાન છોડી શકશો.

ધુમ્રપાન કરવું તેના કરતાં તાજો શ્વાસ લેવો વધારે ફાયદાકારક છે. મિત્રો, આ પદ્ધતિના તો બે ફાયદા છે. એક આડકતરી રીતે તમે પ્રાણાયામ કરો છો અને બીજું સ્વાસ્થ્ય માટે હાનિકારક ધુમ્રપાનમાંથી તમે છૂટકારો મેળવશો.

દોસ્તો, આ પદ્ધતિનો ફાયદો થાય તો ધુમ્રપાનની આદત ધરાવતા તમારા મિત્રોને નિઃસ્વાર્થભાવે કહેજો...ભલું કરશો તો ભલું થશે...

સિંહ આલા પર ગઢ ગેલા


મરાઠીમાં એક કહેવત છેઃ 'ગઢ આલા પર સિંહ ગેલા' અર્થાત્ ગઢ તો જીતી ગયા, પણ સરદાર ગુમાવી બેઠા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવું ગયું છે. આ પરિણામના સંદર્ભમાં ભાજપ માટે આ કહેવતને ટ્વીસ્ટ કરીને કહેવું હોય તો આ રીતે કહી શકાયઃ'સિંહ આલા પર ગઢ ગેલા' એટલે મહાનગરપાલિકા પર શાસન ટકાવી રાખવા ભાજપે મેદાનમાં ઉતારેલા સિંહ તો જીતી ગયા, પણ ગઢ હાથમાંથી ગયો.

કોંગ્રેસના વિજયનો આનંદ નથી અને મોદીજીના મોડેલનું સૂરસૂરિયું થયું તેનું જરા પણ દુઃખ નથી. પણ અહીં ભાજપનો પરાજય લખવો ઉચિત છે? ના, આ પરાજ્ય ભાજપનો નથી. ગુજરાતમાં વર્ષ 2002 પછી ભાજપનું એક પક્ષ તરીકે અસ્તિત્વ જ નથી. ભાજપ અત્યારે મોજપમાં અર્થાત મોદીજી જનતા પક્ષમાં ફેરવાઈ ગયો છે. એટલે જૂનાગઢમાં પરાજય ભાજપનો નહીં, પણ મોજપનો થયો છે. મોદીજી અને તેમની દરબારીઓ માટે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ હતી.

લોકસભાની ચૂંટણી પછી રાજ્યમાં આ સૌપ્રથમ ચૂંટણી હતી. બધાની નજર તેના પર હતી. મોદીજીએ દિગ્ગજોને ઉતારી મહાનગરપાલિકાની ચૂંટણીને પ્રતિષ્ઠાના પ્રશ્ન બનાવી દીધો હતો. બધાના મનમાં પ્રશ્ન હતોઃ લોકસભાની ચૂંટણીની જેમ જૂનાગઢમાં પણ મોદીજીનો જાદુ નહીં ચાલે? મોદીજીના ભક્તો તરત જ એવી દલીલ કરે છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મોદીજીના જાદુને શા માટે જોડવામાં આવે છે? વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યાં પછી મોદીજીએ પોતે જ અમદાવાદ, સુરત, રાજકોટ જેવી મહાનગરપાલિકાની ચૂંટણીને મોદીકેન્દ્રીત બનાવી દીધી હતી. બધા લોકો સાથે ચાલવા માગતા હોય તો પણ એકલા જ આગળ વધી જવા માગતા સ્વકેન્દ્રીત મહાનુભવોની આ નિશાની છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો તમામ બાબતોને સ્વકેન્દ્રીત બનાવવા માગતા હોય છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ મોદીજીની આજુબાજુ ફરતી હતી.

આ ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોથી લઇને ચૂંટણી લડવાની વ્યૂહરચના સુધીની તમામ બાબતો મોદીજીએ પોતાના હસ્તક રાખી હતી. મોદીમંડળીના સભ્યો તેને 'મોદીમોડેલ' કહે છે. તેમાં 23 કોર્પોરેટરના પત્તાં કાપી નાંખ્યા હતા. ભૂતપૂર્વ સંસદસભ્ય ભાવનાબેન ચિખલીયા, મહેન્દ્ર મશરુ જેવા દિગ્ગજોને 'પ્રમોશન' આપી કોર્પોરેટરની ચૂંટણી લડાવી હતી. પોતાના ગુરુ અડવાણીજીના પગલે ચાલી મોદીજીએ મુસ્લિમોને આવકાર્યા અને પાંચ મુસ્લિમોને ટિકિટ આપી હતી. ચૂંટણીની આચારસંહિતા લાગૂ પડે તે પહેલાં સોરઠના વિકાસ માટે 600 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. અને ઇવીએમ મશીનોએ મંગળવારે શું સંદેશ આપ્યો? યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ, યે પબ્લિક હૈ...

સંદેશ સ્પષ્ટ છેઃ પ્રજાનું કામ નહીં કરો તો ઘરે ભેગા થવું પડશે. કોઈનું કરિશ્માઈ વ્યક્તિત્વ આડે નહીં આવે. જૂનાગઢને વર્ષ 2004માં પહેલી વખત મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને તે વેળાએ 51માંથી 36 બેઠકો મોદીજી જનતા પક્ષ (મોજપ) પાસે હતી. પણ વિજયના કેફમાં મદમસ્ત મોદીજીના ભક્તોએ પાંચ વર્ષ સુધી જૂનાગઢ મહાનગરપાલિકાને યાદવાસ્થળીમાં ફેરવી દીધી. પક્ષના કર્તા-હર્તા-સમાહર્તા મોદીજી તેમના દરબારીઓને વાળશે તેવી જૂનાગઢની જનતાને અપેક્ષા હતી. પણ મોદીજી દિલ્હી જવાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. દિલ્હીની ફ્લાઇટ ચૂકી ગયા એટલે જેટલો રાજપાટ છે તેના પર હાલ પૂરતું ધ્યાન આપવાનું તેમણે વિચાર્યું. જૂનાગઢ બચાવવા મોદીજીએ નવા દરબારીઓ ઊભા કર્યા અને તેમને મત આપવાનું કહ્યું. પણ જૂનાગઢની પ્રજાએ વિચાર્યું કે આ નવા સભ્યો પણ યાદવાસ્થળી નહીં રચે તેની શું ખાતરી? તેમણે પુનરાવર્તનને બદલે પરિવર્તન પસંદ કર્યું. અને પરિવર્તન સ્વસ્થ લોકશાહીનું ચિહ્ન છે...

જોગી જટિલ અકામ મન, નગન અમંગલ વેશ...


તે દેવોની ઉત્પત્તિ અને ઐશ્વર્યનું કારણ છે..તે રુદ્ર છે..તે મહર્ષિ છે..આદિ અને અંતમાં મંગલરૂપ છે...તેના સમાન કોઈ પદાર્થ નથી...તે બ્રહ્મરૂપ છે..તે નીલકંઠ છે...તે પાંચ મહાપાપને દૂર કરવાવાળો છે...તે સર્વનો અધિપતિ છે...તે દેવોનો દેવ છે...તે મહાદેવ છે. મહાદેવ એટલે શું? શિવ એટલે શું? 'શં કરોતિ ઇતિ શંકરાઃ' જે બીજાનું મંગળ કરે છે, પણ પોતે અમંગળ વેશ ધારણ કરે છે તે જ શિવ છે. 'જોગી જટિલ અકામ મન, નગન અમંગલ વેશ.' જેની પાસે કંઈ નથી, તેનો સહારો શિવ છે.

હર હર મહાદેવમાં હર એટલે શું? જોડાણીકોશ જણાવે છે કે, હર એટલે શંકર અને શંકર એટલે શમ્ + કર. શમ્ એટલે કલ્યાણ. આ રીતે શંકર એટલે કલ્યાણ કરનાર. શિવ નટરાજ છે. તમામ વિદ્યાઓના દેવ શિવ છે. વ્યાકરણના પ્રણેતા શિવ છે. 'નૃત્યાવસાને નટરાજ રાજો નનાદ ડંકા નવપંચ વારમ્' તેમણે ચૌદ વાર ડંકો વગાડ્યો એટલે વ્યાકરણના નાદ 14 છે. શિવ કોના શિષ્ય હતા? તંડુ ઋષિના શિષ્ય હતા એટલે તેમની નૃત્ય શૈલી તાંડવ છે.

આચાર્ય અભિનવગુપ્તે લખ્યું છે-'આંગિકમ ભુવનમયસ્ય વાચિકમ! સર્વ વાંડ્મય આહાર્ય ચંદ્રતારાદિઃ તમ્ર નમઃ સાવિકં શિવમ્' અર્થાત્ સમગ્ર સૃષ્ટિ નટરાજનું સર્જન છે. શિવના અંગોનું સંચાલન, સૃષ્ટિ, તેમનું આંગિક નૃત્ય છે. શબ્દ-સ્વર-તાલ અને લય તેમના વાચિક નૃત્ય છે. ચંદ્ર અને તારા તેમના આહાર્ય નૃત્ય છે. મારન-મોહન-ઉચ્ચાટન-સ્તંભન અને વશીકરણ મંત્રના આ પાંચ અંગ છે. તેમના મહિનાનું નામ છે શ્રાવણ.

શ્રાવણમાં દશે દિશાઓ પંચાક્ષર ઓમ નમઃ શિવાયમાં લીન થઈ જાય છે. ઓમ એટલે અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદનો સંગમ. તે પ્રણવ છે. પ્રણવમાં પ્ર એટલે પ્રકૃત્તિથી જન્મેલો સંસાર અને નવ એટલે સંસારસાગર તરવાની નૈયા. શિવપુરાણ મુજબ, નવ કરોડ વખત ઓમકાર મંત્રનો જપવાથી અહંકારનો નાશ થાય છે.

શિવ જ આદિ છે, તે જ અંત છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવ શિવ છે. સૃષ્ટિને અક્ષુણ રાખવા પુરુષ સાથે પ્રકૃતિનું મિલન જરૂરી છે. શિવ પુરુષ છે અને પ્રકૃત્તિ સ્વરૂપ છે, પાર્વતી. મહાદેવના પાંચ સ્વરૂપ છેઃસદ્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર, ઇશાન. ઇશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, અને સદ્યોજાત-એ પંચમહેશ્વરની મૂર્તિ પ્રસિદ્ધ છે. પંચમહેશ્વરની મૂર્તિમાં વિશ્વ વ્યાપેલું છેઃ શર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઇશાન અને મહાદેવ.

Thursday, July 16, 2009

બચ્ચન પાન કોર્નર....


બોલીવૂડના સાચા અને એકમાત્ર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને 'કૂલી' ફિલ્મના શૂટિંગમાં જીવલેણ ઇજા થઈ અને તે બ્રીચકેન્ડી હોસ્ટિપટલમાં જીવને અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં હતા. આ વાત હું, તમે અને આખી દુનિયા જાણે છે. પણ બહુ ઓછાને ખ્યાલ હશે કે, તે સમયે મુંબઈના એક થિયેટરની બહાર ટિકિટો કાળા બજારમાં વેચતો એક માણસ જયા બચ્ચન પાસે પહોંચી ગયો અને તેણે માત્ર એટલું જ કહ્યું, બચ્ચનસાહેબના જીવનની જેટલી તમારે જરૂર છે તેટલી જરૂર મારે અને મારા જેવા અનેક લોકોને છે. જયા બચ્ચન ચમકી ગયા અને પછી કાળા બજારિયાએ કહ્યું, 'હું બચ્ચનસાહેબની ફિલ્મોની ટિકિટો કાળા બજારમાં વેંચું છું અને તેમાંથી જ મેં મારી ત્રણ દિકરીના લગ્ન કર્યા છે.'

1980ના દાયકામાં મુંબઈની મુલાકાતે આવેલા ફ્રાન્સના એક ફિલ્મ વિવેચકે અમિતાભ બચ્ચનને 'વન મેન ઇન્ડસ્ટ્રીઝ' ગણાવ્યા હતા. રીમઝીમ વરસાદમાં ગરમાગરમ દાળવડા ચપોચપ વેંચાઈ જાય તેમ અમિતાભ બચ્ચન નામે પેન, સીમેન્ટ, તેલ, કોલ્ડ ડ્રિંક્સ, ફેઇરનેસ ક્રીમ જેવી અનેક ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે. પણ આ બધી કંપનીઓને બીગ-બીના નામનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો તે પહેલાં તેમને પૂછ્યાં વિના અને એક પણ રૂપિયો ચૂકવ્યાં વિના આપણા એક ગુજરાતી બંધુએ તેમને પોતાના ધંધાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા છે. બચ્ચનની સ્ટાઇલમાં કહીએ તો હઇ...! સાલ્લા..યે તો પક્કા ગુજરાતી નીકલા..
વાત છે મણિનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લાં સાડા ત્રણ દાયકાથી ધમધોકાર ચાલતાં બચ્ચન પાન કોર્નરની. લગભગ 35 વર્ષ પહેલાં કોઈ કંપનીના માર્કેટિંગ હેડને એવો ખ્યાલ પણ નહોતો કે બચ્ચનના નામે ધંધો કરીએ તો ચાંદી જ ચાંદી થઈ જાય. ત્યારે જિતેન્દ્ર ગોરધન પટેલે બોલીવૂડના મહાનાયકના નામે પાનનો ગલ્લો શરૂ કર્યો. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે અને તેમનો પરિવાર બચ્ચન પાન કોર્નર કરીને તરી ગયા. 60 વર્ષની ઉંમર ધરાવતા જિતુભાઈએ આ પાન કોર્નરમાંથી થતી આવકમાંથી તેમના છોકરાઓને ભણાવી-ગણાવી લાઇને કર્યાં છે. ગઈકાલે મણિનગર ઓવરબ્રીજ નીચે સ્થિત સિંધી માર્કેટ પાસેથી પસાર થયો ત્યારે બચ્ચન પાન કોર્નર જોઇને ઊભો રહી ગયો. મને મહાનાયકના આ ગ્રેટ ફેન વિશે જાણવાની ઇચ્છા થઈ. હુક્કાપાણી કરતાં કરતાં તેમની સાથે થયેલી વાતચીત રજૂ કરું છું:

તમારું નામ?
(જિતુભાઈ અગ્નિપથની સ્ટાઇલમાં જવાબ આપતાં કહે છે) જિતુ ગોરધન પટેલ

અમિતાભ બચ્ચનના બહુ મોટા આશિક છો...
બચ્ચન કોને પસંદ નથી...

ગલ્લાનું નામ પહેલેથી બચ્ચન પાન કોર્નર છે?
ચાલુ કર્યો ત્યારથી.

તેની પાછળનું કારણ?
આપણને તે ગમતો હતો એટલે. બીજું કોઈ કારણ નથી.

તમે સેટ થઈ ગયા..
જોરદાર. આખા એરીયામાં નામ થઈ ગયું. બધા દુકાનના નામ પોતાના ભગવાનના નામે રાખે, પણ આપણે બચ્ચનના નામે શરૂ કર્યું. ધંધો જામી ગયો.

બચ્ચને ફ્રેન્ચ દાઢી રાખી પછી તમે પણ તે જ સ્ટાઇલ અપનાવી લીધી?
કૌન બનેગા કરોડપતિ જોયું પછી આપણે પણ ફ્રેન્ચ દાઢી રાખવાનું શરૂ કર્યું છે. તે સ્ટાઇલ બદલશે પછી બદલી નાંખશું.

આખા એરીયામાં તમને બધા બચ્ચન જ કહે છે ને?
બચ્ચન તરીકે જ ફેમસ છું...

બચ્ચનની સૌપહેલી ફિલ્મ કઈ જોઈ હતી?
દિવાર.

અત્યાર સુધી કેટલી વખત જોઈ છે?
લગભગ 70 વખત. તેમાંથી 50 વખત તો થિયેટરમાં. 'મુકદર કા સિંકદર' 36 વખત જોઈ. અગ્નિપથ 40 વખત જોઈ. 'ડોન' 50થી વધુ વખત જોઈ. બચ્ચનની મોટા ભાગની ફિલ્મો ઓછામાં ઓછી 25 વખત જોઈ હશે.

દિવારનો ફેવરિટ ડાયલોગ?
જાઓ પહેલે ઉસે પકડ કર લાઓ જિસને મેરે હાથ પર યે લિખ દિયા કિ મેરા બાપ ચોર હૈ...
(મારા મનમાં તરત જ એક શબ્દ આવ્યો હંઈ...)

તે વખતે કાળા બજારિયાનો ધંધો ધમધોકાર ચાલતો હતો...
'દિવાર'થી 'ખુદા ગવાહ' સુધી કાળા બજારિયાઓનો જમાનો હતો..

'કુલી' વખતે રાજકોટમાં બચ્ચનના એક પ્રશંસકે ચાલીને ચોટીલા ચામુંડાના માતાના દર્શન કરવાની બાધા રાખી હતી. તમે કંઈ બાધા-માનતા રાખી હતી?
હા. કેમ નહીં? બચ્ચન જ્યાં સુધી સાજો ન થયો ત્યાં સુધી એક ટાઇમ જ ખાતો હતો...

બચ્ચન રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તેમને ગમ્યું હતું?
તેનું કામ નહીં. સારા માણસે રાજકારણથી દૂર જ રહેવું જોઇએ. રાજીવ ગાંધીની ભાઇબંધીને કારણે રાજકારણમાં ગયો પણ સારું થયું પાછો લાઇને ચડી ગયો.

બચ્ચને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (એબીસીએલ) બનાવી પણ ફેઇલ ગયો. છેવટે અભિનય તરફ જ પાછું ફરવું પડ્યું...
તે સાચો કલાકાર છે. બીજી બધી લાઇનમાં તેનું કામ નહીં...

(ત્યાં એક ભાઈ પાન લેવા આવ્યા તેમણે કહ્યું જિતુભાઈ દર વર્ષે બચ્ચનનો જન્મદિવસ પણ ઉજવે છે)

સાચી વાત છે, જિતુભાઈ?
હા. દર વર્ષે 11 ઓક્ટોબરે મારા ગલ્લાની બહાર મંડપ બાંધું છું અને બચ્ચનનો મોટો ફોટો મૂકું છું. ચોકલેટ વહેંચીએ. કાયમી ગ્રાહકને પાન આપીએ. મંડપના બચ્ચનના પીક્ચરના ગીત વગાડીએ, તેના ડાયલોગ્સ વગાડીએ. તે દિવસે તો રાતે સો જેટલા લોકો ભેગા થઇએ. છેલ્લાં એક-બે વર્ષથી અમે બધા ગાંધીગ્રામ અમિતાભ પાન પાર્લર છે ત્યાં બચ્ચનનો જન્મદિવસ ઉજવીએ છીએ.

ગયા વર્ષે જન્મદિવસે તો બચ્ચનસાહેબ બિમાર હતા...
હા, ગયા વર્ષે અમે જન્મદિવસ ઉજવ્યો નહોતો. પણ ધૂન રાખી હતી. તે તાજોમાજો રહે એટલે તેના માટે પ્રાર્થના કરતાં હતા.

બચ્ચનની બીજી ઇનિંગ્સમાં કઈ ફિલ્મ સૌથી વધી ગમી?
બાગબાન, સરકાર, સરકાર ટૂ, વક્ત, આંખે, નિઃશબ્દ. આજની પેઢીએ ખાસ જોવા જેવી ફિલ્મ છે. પીક્ચરના એન્ડમાં જોરદાર ડાયલોગ બોલે છે. આજનો કોઈ હીરો એકધારો તેવો ડાયલોગ બોલી શકે?

'ચીની કમ' ન ગમી?
મસ્ત ફિલ્મ હતી. પણ ઘરે ખબર નહોતી પડી. (હસી પડે છે)

શાહરૂખની 'ડોન' ગમી હતી?
શાહરૂખનું કામ છે ડોન બનવાનું? તે બીજો રાજેશ ખન્ના છે. અમિતાભ એક જ છે, તેના જેવું બીજું કોઈ છે નહીં અને થશે પણ નહીં. શાહરૂખના ડોનના પોસ્ટર જોઇને જ હસવું આવતું હતું. ક્યાં અમિતાભ અને ક્યાં શાહરૂખ..

શોલેની રીમેક જોઈ હતી?
રામગોપાલ વર્માના વાદે ચડીને બચ્ચને પણ ન કરવાનું કર્યું.

અગ્નિપથની રીમેકમાં અમિતાભની ભૂમિકા ઋત્વિક ભજવવાનો છે?
(હસતાં-હસતાં) અમિતાભના ફિલ્મોની રીમેક ન બનાવાય. તેના જેવો અભિનય કોઈ કરી શકે? તે પણ ઋત્વિક? તેની પાસે અમિતાભ જેવો અભિનય કરવાની તાકાત છે?

બચ્ચનના વ્યક્તિત્વની કઈ ખૂબી તમને ગમે?
અભિમાન બિલકુલ નહીં. આટલો મોટો માણસ છે તો પણ જેન્ટલમેન છે. કેટલું મોટું દેવું થઈ ગયું હતું તો પણ દેવાળિયો જાહેર ન થયો અને બધું દેવું એક્ટિંગ કરીને ચૂકતે કરી દીધું. બાકી બીજા બધા મોટા માણસો કેવા હોય છે તે આપણે જાણીએ છીએ...

તેનો જવાબ આપણે બધા જાણીએ છીએ. બચ્ચન એક જ છે. પછી જિતુભાઈએ મને સાદું બનારસી પાન ખવડાવ્યું અને મેં વિદાય લીધી.

રીમઝીમ રીમઝીમ....






Tuesday, July 14, 2009

પ્રોફેસર સભરવાલ હત્યા કેસઃ શું તમારું મસ્તક શરમથી ઝૂકી જતું નથી?


હવે તેમનો સાચો ચહેરો ઉજાગર થઈ રહ્યો છે. આ બહુરૂપીઓએ પોતાનો સ્વાર્થ સાધવા તેમના ચહેરા પર અનેક મહોરાં લગાવ્યાં હતા. હવે એક પછી એક મહોરું ઉતરતું જાય છે. અસલી ચહેરો ધીમે ધીમે સ્પષ્ટ થતો જાય છે. વાસ્તવિકતા ખતરનાક અને અસહનીય છે.
વાત છે હિંદુત્વના પહેરેદારોની. રામ અને શ્યામના નામે નિર્દોષ પ્રજાના લોહીની હોળી રમીને આ બહુરૂપીઓ અત્યારે દેશમાં એક યા બીજા રાજ્યના સિંહાસન પર તખ્તનશીન છે અને તેઓ પોતાને ઇશ્વરથી પણ પર સમજવા લાગ્યાં છે. મધ્યપ્રદેશમાં સંસ્કૃતિના સ્વયંભૂ રક્ષક શિવરાજસિંહ ચૌહાણની સરકારને ન શેહ છે, ન શરમ છે. છે તો માત્ર નફ્ફટાઈ... સત્તાના મદમાં ચૂર આ સરકારના રાજમાં શું થયું તે જાણશો તો તમારું મસ્તક પણ શરમથી ઝૂકી જશે. (આપણા દેશમાં વ્યક્તિગત સ્વાર્થમાં અંધ થઈ ગયેલા દેશદ્રોહીઓની કમી નથી અને તેમની પાસે શરમની અપેક્ષા રાખવી નકામી છે. )

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ઉજ્જૈનમાં સોમવારે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. તેના કાર્યકર્તાઓએ ફોડ્યા, મીઠાઇઓ વહેંચી. સાબુના સપતરાં જેવો ચહેરો ધરાવતા યુવાનો લંગૂરછાપ નૃત્ય કરતાં હતા. કોઈ ઉજવણી કરે, ફટકાડાં ફોડે, લાડુ વહેંચે તેમાં મને કે તમને કોઈ વાંધો ન હોય. પણ આ ઉજવણી શેની હતી તે જાણશો તો તમારા મોંમાંથી બેથી ચાર અશ્લિલ શબ્દ નીકળી જશે તેની ખાતરી આપું છું. આ વાત સાંભળી સંસ્કારી, શિષ્ટ અને ભદ્ર માણસ પણ ગુસ્સે થઈ જાય. ગુસ્સે ન થાય તો તેમને તેમની મર્દાનગી પર શંકા થવી જોઇએ. મોટી, જોડી મૂંછો રાખનારા બધા મર્દ હોતા નથી.

વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કોઈ ઉમેદવારનો વિજય થયો નહોતો કે તેમના કોઈ પૂ્ર્વજની જન્મજયંતિ નહોતી. તેમ છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ લંગૂરછાપ કાર્યકર્તાઓ ગઇકાલે સમાચાર ચેનલના કેમેરા સામે નાચતા હતા, કારણ કે ઉજ્જૈનની એક કોલેજના પ્રોફેસર એચ. એસ સભરવાલની જાહેરમાં થયેલી હત્યાના કેસમાં તેમના નેતાઓ નાગપુરની સેશન્સ કોર્ટમાં નિર્દોષ છૂટી ગયા હતા.

26 ઓગસ્ટ, 2006ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છ વિદ્યાર્થીઓએ અને તેમની પાછળ ઘેટાની જેમ દોડી ગયેલા બુદ્ધિહીન વિદ્યાર્થીઓએ જાહેરમાં સેંકડો લોકોની વચ્ચે પ્રોફેસર સભરવાલને મારીમારીને અધમૂઆ કરી નાંખેલા. કારણ શું? સભરવાલે યુનિવર્સિટીની વિદ્યાર્થી પાંખની ચૂંટણી રદબાતલ જાહેર કરી હતી. તેના વિરોધમાં સભરવાલને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તે સમયે સભરવાલની શું હાલત હતી તેના ક્લિપંગ સોમવારે સમાચાર ચેનલો દેખાડતા હતા. તે જોઇએ ત્યારે ગુરુ દેવો ગુરુ વિષ્ણની સંસ્કૃતિના પહેરેદારો બનીને કેવા લલવા બેસી ગયા છે તે સ્પષ્ટ જણાઈ આવશે. સભરવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં પણ તે કોઈ નિવેદન આપે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. તે પછી સભરવાલને હાર્ટએટેક આવી ગયો હોવાનું કોઈ કેસનું કોકડું વાળી દેવામાં આવ્યું અને હવે ન્યાયનું કોકડું કોર્ટમાં વળી ગયું છે. કોર્ટ લાચાર છે. કોઈ સાક્ષી અદાલતમાં જુબાની આપવા તૈયાર થયો નથી.

હકકીતમાં આ બાબત શિવરાજસિંહ ચૌહાણની સરકાર, ભાજપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્રણેય માટે શરમજનક છે. પણ તેને બદલે તેઓ ઉજવણી કરી રહ્યાં છે અને તેમની આ ઉજવણીને સમાજ લાચાર અને નિઃસહાય નજરે જોઈ રહ્યો છે. વ્યક્તિગત સ્વાર્થમાં અંધ બની ગયેલો સમાજ નંપુસક થઈ જાય છે. તેની પાસે ચૂપચાપ અન્યાય સહન કર્યા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

આ કેસમાં એકમાત્ર સાક્ષી હતો. તેણે સભરવાલની હત્યા પછી સમાચાર ચેનલોના કેમેરા સામે હત્યારાઓને અદાલતમાં ઓળખી લઇશ તેવી જાહેરાત કરી હતી. પણ તેની જીભ પણ અદાલતમાં સિવાઈ ગઈ. તે શા માટે ચૂપ રહ્યો હશે તે ઓપન સીક્રેટ છે. તે પણ જાણે છે કે વર્તમાન સમાજમાં એકતાનો અભાવ છે. અહીં સાચું કહેનારને સજા મળે છે, તે એકલો પડી જાય છે અને બહુરૂપીઓ અને જૂઠ્ઠાઓને સાથીદારો મળે છે.

આ ચુકાદાની સૌથી મોટી અસર કોલેજના શિક્ષણ પર પડશે. જગજાહેર વાત છે કે, યુવાન વિદ્યાર્થીઓને ભણવામાં રસ નહીં હોવાથી તેમને ભણાવવામાં અને તેમની કારકિર્દીને યોગ્ય દિશામાં વાળવામાં કોલેજના બહુ ઓછા પ્રોફેસરોને રસ છે. પણ સભરવાલ પ્રકરણ પછી તો પ્રોફેસરો વિદ્યાર્થીઓમાં બિલકુલ રસ લેશે નહીં.

નાગપુર સેશન્સ કોર્ટ (સુપ્રીમ કોર્ટના આદેશના પગલે આ કેસને ઉજ્જૈનથી નાગપુરની કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો)ના ચુકાદા પછી તેમના પુત્ર હિમાંશુ સભરવાલે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે. તમને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં તેમને ન્યાય મળશે? સભરવાલ હત્યા કેસના ચુકાદાથી તમારું મસ્તક શરમથી ઝૂકી જતું નથી?

મને એક કલાકને માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો..............


જો મને એક કલાકને માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો સૌથી પહેલું કામ હું એ કરું કે દારૂના એકેએક પીઠાને કશું વળતર આપ્યાં વિના બંધ કરી દઉં. ગુજરાતમાં જ્યાં ખજૂરાં છે તે બધાંનો નાશ કરું. કારખાનાવાળા પાસે મજૂરો માટે મનુષ્યને યોગ્ય એવી સ્થિતિ પેદા કરાવું અને આ મજૂરોને જ્યાં નિર્દોષ પીણાં અને તેટલાં જ નિર્દોષ મનોરંજનના સાધનો મળે એવાં ઉપહારગૃહો અને ક્રીડાગૃહો ખોલાવું.

કારખાનાના માલિકો નાણાંની તંગીનું કારણ બતાવે તો હું તેમનાં કારખાનાં બંધ કરી દઉં. દારૂનો સંપૂર્ણપણે ત્યાગ કરનાર હોઈ એક કલાકની સરમુખ્યારી મળવા છતાં હું મારું ભાન ઠેકાણે રાખું, એટલે મારા યુરોપિયન મિત્રો અને માંદા માણસો જેમને બ્રાન્ડી કે એવી ચીજની દવા તરીકે જરૂર હોય તે સૌની સરકારી ખર્ચે હોશિયાર ડોક્ટરો પાસે તપાસ કરાવડાવું અને જ્યાં જરૂર હોય ત્યાં તેમને પ્રમાણપત્રોવાળા દવાના વેપારીઓ પાસેથી ઠરાવેલા પ્રમાણમાં આ જલત પીણાં મેળવવાનો અધિકાર આપનારાં પ્રમાણપત્રો આપવામાં આવે એવી ગોઠવણ કરું.

દારૂની આવક પૂરતી ખોટને માટે હું સીધો જ લશ્કરી ખરચ પર કાપ મૂકું અને સેનાધિપતિ નવી સ્થિતિમાં ગમે તેમ કરીને ચલાવે એવી તેની પાસે અપેક્ષા રાખું. કારખાનાં બંધ પડવાને લીધે જે મજૂરો બેકાર બને તેમને માટે કારખાનાંની નજીક તરત જ નમૂનેદાર ખેતીશાળાઓ કાઢી ત્યાં તેમને મોકલી દઉં, સિવાય કે મને એ કલાકમાં એવી સલાહ મળે કે આ જરૂરી શરતો સાચવીને સરકાર એ કારખાનનાં ચલાવીને નફો કરી શકે અને તેથી માલિકો પાસેથી તે પોતે લઈ શકે એમ છે.

ભયની સામે થાઓ, હિંમતપૂર્વક સામનો કરો


એક વાર હું કાશીમાં એક જગ્યાએથી પસાર થતો હતો. ત્યાં એક બાજુ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુ ઊંચી દિવાલ હતી. તે જગ્યાએ ઘણા વાંદરા હતા. તેમણે મને ત્યાંથી પસાર ન થવા દેવાનું નક્કી કર્યુ. તેઓ કિકિયારી કરવા લાગ્યા, ચીસો પાડવા માંડયા, મારા પગે ચોંટવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેઓ મારી નજીક આવ્યા, એટલે મેં દોડવાનું શરૂ કર્યું. પણ જેમ હું જેમ વધુ ઝડપથી દોડતો ગયો તેમ વાંદરાઓ પણ ઝડપથી પાછળ પડ્યા અને તેઓ મને બચકાં ભરવા આવ્યા. તે જ વખતે અચાનક એક અજાણ્યા ભાઈ આવી ચડ્યા. તેણે મને બૂમ પાડી કહ્યું, 'વાંદરાની સામે થાઓ.' હું પાછો ફર્યો અને વાંદરાની સામે થયો, એટલે તેઓ પાછા ફર્યા અને આખરે નાસી ગયા.

જીવનનો આ એક બોધપાઠ છેઃ ભયની સામે થાઓ, હિંમતપૂર્વક સામનો કરો. જીવનની હાડમારીઓમાંથી આપણે ભાગતા નથી ત્યારે વાંદરાઓની જેમ તે પાછી હઠે છે. ભય, મુશ્કેલી અને અજ્ઞાનને નસડાવાં હોય તો આપણે તેમની સામે લડવું પડશે. આપણે સ્વાતંત્ર્ય મેળવવું હોય તો પ્રકૃતિ પર વિજય મેળવીને જ પ્રાપ્ત થશે, નહીં તે નાસી છૂટીને. નામર્દને કદી વિજય સાંપડતો નથી.

મારા યુવક મિત્રો ! સુદ્રઢ બનો. નબળા લોકોને માટે આ જિંદગીમાં અથવા બીજી કોઈ જિંદગીમાં કોઈ સ્થાન નથી. નબળાઈ ગુલામી તરફ દોરી જાય છે. તે સર્વ પ્રકારનાં માનસિક અને શારીરિક દુઃખો લાવે છે. નબળાઈ મૃત્યુ છે. આપણી આજુબાજુ અસંખ્ય જીવાણુઓ રહેલા છે, પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ અને શરીર તેમને સંઘરવાને તૈયાર તેમ જ અનુરૂપ બને ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતાં નથી. દુઃખના અસંખ્યા જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઊડતા હોય, કંઈ વાંધો નહીં ! જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં.

સેન્ટર પોઇન્ટઃ શક્તિ જીવન છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા બોજ છે, દુઃખ છે, મૃત્યુ છે.

Sunday, July 12, 2009

દારૂડિયા મજૂરોના ઘરની બરબાદી કેવી હોય છે તે જાણું છું. મારા પોતાના જ છોકરાનો જ દાખલો નથી શું?


શરાબ એ શેતાનની શોધ છે. ઇસ્લામમાં કહ્યું છે કે શેતાને જ્યારે પુરુષો અને સ્ત્રીઓને ફાસલાવવા માંડ્યા ત્યારે તેણે તેમની આગળ લાલ પાણી ધર્યું. દારૂ માણસના પૈસા જ નહીં, તેની બુદ્ધિ પણ હરી લે છે. જે અભાગી માણસો દારૂની બૂરી આદતના ગુલામ બની ગયા છે તેમને તેમાંથી છોડવવાની જરૂર છે. કેટલાંક તો આ માટે મદદ પણ માગે છે.

હિંદને દારૂ પીવાની લતમાંથી છૂટવાની ફરજ ન પાડી શકાય અને જેમને દારૂતાડી પાવાં હોય તેમને તે માટે સગવડ પૂરી પાડવી જોઇએ એવી ઉપરથી તથ્યવાળી ભાસતી છતાં ખરી રીતે પોલી દલીલથી તમે ભરમાશો નહીં. રાજ્ય પોતાની પ્રજાની બૂરી આદતોને માટે બંદોબસ્ત કરી આપતું નથી. આપણે વેશ્યાઘરોનું નિયમન કરતા નથી કે તેને માટે પરવાના આપતાં નથી. ચોરોને પોતાની ચોરી કરવાની વૃત્તિ સંતોષવા મળે તે માટે આપણે તેમને સગવડો પૂરી પાડતા નથી. દારૂને હું ચોરી કરતાં અને કદાચ વેશ્યાવૃત્તિ કરતાં પણ વધારે વખોડી કાઢવા લાયક ગણું છું.

દારૂડિયા મજૂરોના ઘરકુટુંબની બરબાદી કેવી હોય છે તે હું જાણું છું. મારા પોતાના જ છોકરાનો જ દાખલો નથી શું? જે એક વખતે બુદ્ધિશાળી, બહાદુર, દેશાભિમાની અને ત્યાગશક્તિવાળો હતો તે દારૂની લતથી સાવ વંઠી ગયો છે. તે આજે માતાપિતાના અને સમાજના હાથમાંથી ગયો અને જે આજે સખી ગૃહસ્થોની અકારત ઉદારતા પર જિંદગી ગુજારી રહ્યો છે! આ અપવાદ નથી. ઉપલા વર્ગના કેટલાયે લોકોના દિકરાઓના કિસ્સાઓનો મને જાતઅનુભવ છે.

જેઓ વ્યક્તિસ્વાતંત્ર્યની દલીલ આગળ ધરીને બોલે છે તેમને હિંદુસ્તાનની કશી ગતાગમ નથી. તેમની દલીલ એવી છે કે, માણસને વેશ્યાગમનની સગવડ રાજ્ય પાસેથી માગવાનો જેટલો અધિકાર છે તેટલો જ અધિકાર તેને રાજ્ય પાસેથી દારૂતાડી પીવાની સગવડ માગવાનો છે. હવે એક ઉદાહરણ આપું. જર્મની જેવા દેશમાં પોતાનું શિયળ વેચનારી સ્ત્રીઓના ઘરોને સરકાર તરફથી પરવાના આપવામાં આવે છે. એ દેશોમાં લોકો વેશ્યાગૃહોના પરવાના બંધ કરવાથી વધારે રોષે ભરાય કે દારૂનાં પીઠાં બંધ કરવાથી, એ હું જાણતો નથી. સ્ત્રીને પોતાના ગૌરવનું ભાન થશે ત્યારે તે પોતાનું શિયળ વેચવાની ના પાડશે, અને જે મહિલાઓ સ્ત્રીવર્ગના શિયળના રક્ષણ માટે આતુર હશે તેઓ કાયદેસરના વેશ્યાગમનને નાબૂદ કરાવવા આકાશપાતાળ એક કરશે. તે વખતે શું એવી દલીલ કરવામાં આવશે ખરી કે વેશ્યાઓ અને તેમનાં આશ્રિતો, જેમની આજીવિકાનો આધાર કેવળ આ ધંધા ઉપર જ હતો તેઓ એ ધંધો નાબૂદ થવાથી હાડમારીમાં આવી પડશે?

દારૂના વ્યસનનો ભોગ બનેલા રાષ્ટ્રની સામે પાયમાલી જ આવીને ઊભી રહે છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ બૂરી આદતના કારણે કેટલાંય સામ્રાજ્યો નાશ પામ્યાં છે. આપણે ત્યાં હિંદુસ્તાનમાં ભગવાન શ્રીકૃષ્ણ જે કુળના હતા તે મહાન યાદવકુળનો આ ટેવના કારણે નાશ થયો હતો. રોમની પડતીમાં ભાગ ભજવનારાં અનેક કારણોમાં એક કારણ આ બદી જ હતું.

ઊઠો, વીર બનો, દોષનો ભાર તમારે માથે જ લઈ લો



આપણી નિષ્ફળતા માટે આપણે બીજાને દોષ દઇએ છીએ. જે ઘડીએ હું નિષ્ફળ જાઉં છું તે વખતે કહું છું કે અમુક માણસ મારી નિષ્ફળતાનું કારણ છે. નિષ્ફળતા વખતે માણસને પોતાના દાષ અને નબળાઇઓ કબૂલ કરવી ગમતી નથી. દરેક માણસ પોતાની જાતને નિર્દોષ માને છે અને દોષનો ટોપલો કોઈ અન્ય વ્યક્તિ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર અથવા છેવટે દુર્ભાગ્ય ઉપર ઢોળે છે.

આ વિશ્વમાં આપણા સિવાય બીજું કોઈ પણ આપણને નુકસાન કરી શકે તેમ નથી. એટલે આપણે કોઇને દોષ દેવો ન ઘટે, પણ આપણે તો આપણાં કર્મોને જ દોષ દેવો ઘટે. માનવશરીર જ્યાં સુધી દુર્ગુણ, અપથ્ય, ખોરાક, ટાઢતડકામાં ખુલ્લું પડી રહેવાના કારણે ક્ષીણ ને સત્વહીન થાય નહીં ત્યાં સુધી કોઈ પણ રોગનાં જંતુઓ તેમાં પ્રવેશી શકતાં નથી. તંદુરસ્ત માણસની આસપાસ ભલેને લાખો ઝેરી જંતુઓ ભમતાં હોય, એથી એને જરા સરખી આંચ આવતી નથી.

દોષ આપણો જ છે. ઊઠો, વીર બનો, દોષનો ભાર તમારે માથે જ લઈ લો. બીજાના પર કાદવ ફેંકવાનો પ્રયાસ કરશો નહીં. જે દોષને કારણે તમારે સહન કરવું પડે છે તેનું એકમાત્ર કારણ તો તમે જ છો. યાદ રાખો કે તમારા ભાગ્યનિર્માતા તમે પોતે છો.

સેન્ટરપોઇન્ટઃ નિષ્ફળતા સ્વાભાવિક છે અને માનવજીવનનું સૌંદર્ય છે

Wednesday, July 8, 2009

કાંશીરામ સંગ માયાવતીઃ રૂ. 2,000 કરોડનું આંધણ



પુણ્યભૂમિ ભારતમાં અત્યારે બે મુખ્યમંત્રી અતિ વિશિષ્ટ છે. એક છે ગુજરાતનરેશ નરેન્દ્ર મોદી અને બીજા છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના સામ્રાજ્ઞી કુમારી માયાવતી. આ બંને આત્મશ્લાઘાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાતના અખબારો, જાહેર માર્ગો, દિવાલો, બસની આગળ-પાછળ, જ્યાં જ્યાં નજર પડે ત્યાં તમને વિવિધ મુદ્રામાં મોદી અંકલની તસ્વીર નજરે પડશે. મોદી કાકાને પોતાની તસવીરો ખેંચાવાનો શોખ છે તો માયા મેમસાહેબને પોતાની મૂર્તિઓ કે પ્રતિમાઓ ઊભી કરી મોતીઓના દાણા જેવા દાંત દેખાડી પોતાના જ હસ્તે આ પ્રતિમાઓનું ઉદઘાટન કરવાનું ઘેલું લાગ્યું છે.

માયા મેડમે રાજકારણમાં પા પા પગલી માંડી ત્યારે તેમને તસવીરો ખેંચાવવાનો શોખ હતો. હવે તેઓ ફોટાઓની માયાથી પર થઈ ગયા છે અને મૂર્તિઓ કે પ્રતિમાઓ લગાવવાનું ભૂત વળગ્યું છે. કોની પ્રતિમાઓ? તેમની આંગળી પકડી રાજકારણમાં ખેંચી લાવનાર તેમના પ્રિય ગુરુ કાંશીરામની. ભારતીય ગુરુ હોય ત્યાં ચેલો કે ચેલી હોય જ, નહીં તો ગુરુની આત્મના શાંતિ ન મળે. એટલે કાંશીરામની સાથેસાથે તમને બહેનજી ઉર્ફે માયાવતીની પ્રતિમા પણ જોવા મળશે. માયા સંગ કાંશીરામની વિવિધ પ્રતિમાઓ ધરાવતા કેટલાં સ્મારકોનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની પાછળ જનતા જનાર્દનના કેટલાં રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે?

એકલા લખનૌ શહેરમાં 413 એકરથી વધુ જમીન પર પાંચ ઉદ્યાન અને સ્મારકનું નિર્માણ થયું છે. તેમાં 'દલિતોના જીવિત દેવી' તરીકે પોતાના ઓળખાવતા બહેનજીની 'હાથી અને મદનિયા સાઇઝ'ની કાંસાની અને સંગેમરમરની અનેક પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે. આ દરેક પ્રતિમામાં બોયકટ હેરસ્ટાઇલ ધરાવતા બહેનજી હાથમાં પાકીટ ઝુલાવતા નજરે પડે છે. સારી વાત એ છે કે, બહેનજીએ અહીં દર્શનાર્થીઓને પાકીટમાં ફરજિયાત રૂપિયા-બે રૂપિયાનું દાન કરવાનો આદેશ આપ્યો નથી. આ શહેરમાં જ આટલાં જ ઉદ્યાન અને સ્મારકનું નિર્માણ થયું છે. તેમાં બહેનજીના માર્ગદર્શક કાંશીરામની પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સ્મારકોમાં બહુજન સમાજ પક્ષના પ્રતિક હાથીની 60 પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. હાથી-હાથણ અને મદનિયાની જય હો....

હાથીઓના પ્રતિમાઓ રૂ. 52.2 કરોડમાં બની, કાંશીરામની મૂર્તિઓ બનાવવાનો ખર્ચ રૂ. 3.37 કરોડ આવ્યો અને બહેનજીનું જીવતું જગતિયું રૂ. 3.49 કરોડમાં પડ્યું. આ બધો ખર્ચ બહેનજીએ પોતાને જન્મદિવસે ઉઘરાવેલા ફંડફાળામાંથી કર્યો નથી, પણ જનતા જનાર્દને કાળી મજૂરી કરી સરકારને જે કરવેરો ભર્યો હતો તેનો ધુમાડો થઈ ગયો છે. બહેનજીની આ ઘેલછા જોઇને ઇતિહાસના અભ્યાસુઓને મુઘલ બાદશાહ શાહજહાંની યાદ આવી જાય છે. શાહજહાએ જેટલાં વર્ષ શાસન કર્યું તેમાંથી અડધોઅડધ સમય તો મહેલો અને મકબરા બનાવવામાં જ પસાર કર્યાં હતા. તેના આત્માને હજુ પણ શાંતિ મળી હોય તેવું લાગતું નથી...
1995માં ભાજપના સમર્થનથી બહેનજી પહેલી વખત મુખ્યમંત્રી બન્યાં પછી મૂર્તિઓનો રાફડો ખડકવાના તેમના શોખે ફૂંફાડો માર્યો છે. મુખ્યમંત્રી બન્યા પછી તરત જ લખનૌમાં આંબેડકર સ્મારકનું નિર્માણ શરૂ કર્યુ. તેનું કામ વર્ષ 2003માં પૂર્ણ થયું. પણ બહેનજી મે, 2007માં ભારે બહુમતી મેળવી લખનૌની ગાદી પર બેઠા પછી આ સ્મારકનો મોટા ભાગનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો અને રૂ. 150 કરોડના ખર્ચે નવેસરથી સ્મારક ઊભું કરવામાં આવ્યું. લખનૌના જાણીતા જેલ રોડ પર કાશીરામ સ્મારક બની રહ્યું છે. તેનો ખર્ચ રૂ. 370 કરોડ થવાનો છે. તેમાં પણ કાશી સંગ માયા ઠેરઠેર દેખાશે. માયાદીદીના હાથમાં પાકીટ તો હશે જ. બિજનૌર રોડ પર 51 એકરમાં રમાબાઈ આંબેડકર રેલી મેદાનનું નિર્માણ ચાલુ છે. તેની પાછળ રૂ. 65 કરોડનો ધુમાડો થશે. બહેનજીએ પોતાની આ દિવાનગીના માર્ગમાં દેશભક્તોને પણ કચડી નાંખ્યાં છે.

લખનૌમાં કારગિલ યુદ્ધના શહીદોની સ્મૃતિમાં 80 એકર જમીનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. બહેનજીએ આ સ્મારક તોડીને તેમાં કાંશીરામ સાંસ્કૃતિક સ્થળ બનાવવાનું આયોજન કર્યું છે અને તેમાં રૂ. 90 કરોડનો ખર્ચ થશે. તેમાં કાંશી સંગ માયાની મૂર્તિઓ તો હશે જ એ ભૂલતાં નહીં. આવી વિવિધ યોજનાઓ પર માયા મેમસાહબ રૂ. 2,000 કરોડનું પાણી કરી રહ્યાં છે. માયા મેમસાહેબ જે પ્રદેશમાં આવ્યાં ભવ્ય સ્મારક ઊભા કરી રહ્યાં છે તેની સ્થિતિ પર નજર કરીએઃ

- દેશના સૌથી મોટા રાજ્યમાં સાક્ષરતા દર ઘણો નીચો છે. અહીં દર 100 વ્યક્તિએ 44 વ્યક્તિ અભણ છે
- આ રાજ્યમાં બાળકના જન્મ સમયે સૌથી વધુ માતા મૃત્ય પામે છે
- દેશમાં તાજા જન્મેલા બાળકોના સૌથી વધુ મૃત્યુ થતાં ટોચના પાંચ રાજ્યમાં ઉત્તર પ્રદેશ સામેલ છે
- દેશમાં સૌથી વધુ બાળમજૂરો માયામેમસાહેબના રાજ્યમાં છે
- દેશમાં સૌથી વધુ ગરીબો આ રાજ્યમાં રહે છે. અહીં ગરીબી રેખા નીચે જીવતાં લોકોની સંખ્યા 5.9 કરોડ છે એટલે કે ગુજરાતની કુલ વસતી કરતાં વધુ ગરીબો ઉત્તર પ્રદેશમાં રહે છે
- ઉત્તર પ્રદેશમાં કુલ 97,122 ગામડાં છે, જેમાંથી 41 ટકા ગામડામાં હજુ પણ વીજળી મળતી નથી

ઉત્તર પ્રદેશ હજુ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે માયા મેમસાહેબની આ ઘેલછાં શું યોગ્ય છે?

Monday, July 6, 2009

અત્યાર સુધીનું સૌથી મોટું બજેટઃ ઉડતી નજરે


મમતા દાદીએ શુક્રવારે રેલવે બજેટ રજૂ કર્યા પછી પ્રણવ દાદાએ આજે યુનિયન બજેટ રજૂ કર્યું છે. સંસદમાં બજેટ પર તેમનું ભાષણ થોડી મિનિટ પહેલાં જ પૂર્ણ થયું છે. આ બજેટના મુખ્ય મુદ્દા પર એક ઉડતી નજર કરીએ:

આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે, જે રૂ. 10 લાખ કરોડ કરતાં વધારેનું છે

હ્રદયરોગની સારવારમાં આવતી દવાઓ સસ્તી થશે

વકીલો પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવશે

ડોક્ટર પર સર્વિસ ટેક્સ લાગશે

મોબાઇલ ફોન એસેસરીઝ સસ્તી થશે

1.2 કરોડ યુવાનો માટે રોજગારીનું સર્જન કરાશે

બ્રાન્ડેડ જ્વેલરી સસ્તી થશે

બાયોડીઝલ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો

એલસીડી ટીવી સસ્તું થશે। તેના પર કસ્ટમ ડ્યુટી ઘટાડી પાંચ ટકા કરાઈ

નાના વેપારીઓને એડવાન્સ ટેક્સમાંથી મુક્તિ

સોનાની આયાત હવે મોંઘી પડશે

નવ જીવનરક્ષક દવાઓ સસ્તી થશે

ચૂંટણી ભંડોળ પર 100 ટકાની છૂટ

સેટ ટોપ બોક્સ મોંઘા થશે

પેન્શન સ્કીમની મેચ્યોરિટી પર ટેક્સ આપવો પડશે

કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (સીએસટી) નાબૂદ

સામાન્ય કેટેગરી માટે ટેક્સમાં છૂટની મર્યાદા વધી રૂ. 1.60 લાખ થઈ, જે પહેલાં રૂ. 1.50 લાખ હતી

સીનિયર સિટીઝન માટે ટેક્સમાં છૂટની મર્યાદા રૂ. 2.40 લાખ થઈ

ફ્રિન્જ બેનિફિટ ટેક્સ નાબૂદ

તમામ ડાયરેક્ટ ટેક્સ (પ્રત્યક્ષ કરેવરા) દૂર કરાયા

મહિલાઓ માટે ટેક્સમાં છૂટની મર્યાદા રૂ. 1.90 લાખ થઈ

કોર્પોરેટ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં

જીએસટી પહેલી એપ્રિલ, 2010થી લાગૂ થશે. વેટની જગ્યાએ જીએસટી લાગૂ પડશે

અર્ધસૈનિક દળો માટે એક લાખથી વધુ ઘર બનશે

લઘુમતી મંત્રાલય માટે રૂ. 1,740 કરોડની ફાળવણી

આઇઆઇટી અને એનઆઇટી સંસ્થા માટે રૂ. 2,113 કરોડ રૂપિયાની ફાળવણી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના મુર્શિદાબાદ અને મલ્લપુરમ કેમ્પસ માટે રૂ. 25 કરોડની ફાળવણી

વડાપ્રધાન આદર્શ ગ્રામ યોજનાની જાહેરાત. આ યોજના 100 ગામમાં શરૂ થશે

ગરીબી રેખા નીચે રહેતાં લોકોની સ્વાસ્થ્ય સેવા માટે બાયોમેટ્રિક સ્માર્ટ કાર્ડ

દરેક નાગરિક માટે આઇકાર્ડ યોજનાની શરૂઆત. દરેક નાગરિકને બાયોમેટ્રિક આઇડેન્ટિટી કાર્ડ મળશે

કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 3,472 કરોડની ફાળવણી

પંજાબ યુનિવર્સિટી ચંદીગઢને રૂ. 50 કરોડની ગ્રાંટ

નેશનલ ગંગા સ્કીમનું બજેટ વધીને રૂ. 562 કરોડ કરાયું

નિવૃત્ત સૈનિકો માટે પહેલી જુલાઈથી એક રેન્ક-એક પેન્શન સ્કીમ લાગૂ થશે

પેરા-મિલિટરી ફોર્સના જવાનોને સૈન્ય કર્મચારીઓ જેટલો પગાર મળશે

કૃષિ ઋણ માફી યોજનાના સમયગાળો છ મહિના વધ્યો

1000 દલિત ગામમાં ઘર બનાવવામાં આવશે

એજ્યુકેશન લોન પર સબસિટી આપવાની જાહેરાત

મહિલા શિક્ષણ માટે રાષ્ટ્રીય મિશન બનશે

ખેડૂતોને સાત ટકાના વ્યાજે ઋણ મળશે

અંતરિયાળ ગામડામાં બેંક શરૂ કરવા રૂ. 100 કરોડની ફાળવણી

ઇન્દિરા આવાસ યોજનાનું બજેટ 63 ટકા વધી રૂ. 8,883 કરોડ કરાયું

રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી સુરક્ષા યોજના માટે રૂ. 39,100 કરોડની જોગવાઈ

બેન્ક અને વીમા કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવામાં આવે

ટેક્સેશનની પ્રક્રિયાને સરળ બનાવવા સરળ-2 ફોર્મ

પેટ્રોલીયમ ઉત્પાદનોની કિંમત નિષ્ણાતોનું એક જૂથ નક્કી કરશે

બજેટમાં ખાધ ઓછી કરવા પગલાં લેવાશે. ડિસઇન્વેસ્ટમેન્ટ, ખર્ચમાં કાપ મૂકીને ખાધ ઓછી કરવામાં આવશે

એક્સપોર્ટ ક્રેડિટ ગેરન્ટી સ્કીમ માર્ચ, 2010 સુધી લંબાવવામાં આવી

કૃષિ લોનનું લક્ષ્યાંક વધારી રૂ. 3,25,000 કરોડ રૂપિયા કરાયું

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું બજેટ 30 ટકા વધારવામાં આવ્યું

નેશનલ હાઇવે ઓથોરિટી લિમિટેડનું બજેટ 23 ટકા વધારવામાં આવ્યું

શહેરી ગરીબો માટે મકાન અને પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા બજેટ વધારવામાં આવ્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટનું કામ નવી કંપની આઇઆઇએફસીએલ કરશે

મંદી સામે લડવા સરકારે ત્રણ પેકેજ આપ્યાં છે

વર્ષ 2008માં ચીજવસ્તુઓ અને સેવાઓમાં વેપાર બેગણો થયો

માલગાડીમાં સામાન મોકલવા સર્વિસ ટેક્સ આપવો પડશે

Wednesday, July 1, 2009

એર ઇન્ડિયાનું ખાનગીકરણ કેમ નહીં?


સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સરકારી ઉદ્યોગોનો પાયો નાંખ્યો ત્યારે તેમણે તેને આધુનિક રાષ્ટ્રના મંદિર ગણાવ્યા હતા. તેમણે વિચાર્યું હતું કે, આ જાહેર સાહસો જે કમાણી કરશે તેમાંથી દેશની જનતાને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીશું. દરેક ગામને સ્વચ્છ પાણી અને વીજળી પૂરી પાડીશું. પણ થયું શું? આ સરકારી ઉદ્યોગો દેશની જનતા પર બોજ બની ગયા અને અત્યારે તેને બચાવવા આપણા કરવેરાનો દૂરપયોગ થઈ રહ્યો છે. આ સરકારી ઉદ્યોગો ખોટ કરી રહ્યાં છે તેમાં જનતાનો વાંક છે કે વહીવટીતંત્રનો? આ ઉદ્યોગોને બચાવવા પ્રજાના નાણાનો ઉપયોગ કરવો કેટલે અંશે વાજબી છે? તેના બદલામાં પ્રજાને શું મળે છે?

થોડા દિવસ પહેલાં એર ઇન્ડિયાના મહારાજા રામપાતર લઇને ભારત સરકારના દ્વારે પહોંચી ગયા। ખોટમાં ચાલતી આ એરલાઇન્સના કર્મચારીઓની નોકરીને બચાવવા મહારાજાએ રૂ. 15,000 કરોડની માંગણી કરી અને મનુજીએ તેને મંજૂરી પણ આપી દીધી. પ્રશ્ન એ છે કે, જે સરકારી ઉદ્યોગો કમાણી કરતાં નથી તેને બચાવવાની શું જરૂર છે? એર ઇન્ડિયા ખોટ કરે છે તો તેમાં દોષ તેના મેનેજમેન્ટનો છે, જેમાં સરકારે તોતિંગ પગારે કહેવાતા બુદ્ધિધનોની નિમણૂંક કરી છે. તેમાં દિવસ-રાત મજૂરી કરતાં કરદાતાઓનો શું દોષ છે? તેમના નાણા આ ડૂબતી કંપનીને બચાવવા માટે રોકવાનો કોઈ અર્થ નથી. એર ઇન્ડિયા ખોટમાં ચાલે છે તેના ઘણા કારણ છે.

સૌપ્રથમ તો તે પ્રોફેશનલ એરલાઇન્સ કંપનીની જેમ કામ કરતી જ નથી। તે સરકારી નોકરીયાતોનો તબેલો છે. ગયા અઠવાડિયે ઇન્ડિયન એક્સપ્રેસે થોડા આંકડા રજૂ કર્યા હતા, જેનો અભ્યાસ કરીને ગગાજી ડોટ કોમને પણ સમજણ પડે કે એર ઇન્ડિયાની મુશ્કેલી છે. આ આંકડા પર એક નજર કરીએ-

એર ઇન્ડિયામાં 50,000 કર્મચારી છે. તેની પાસે 148 વિમાન છે. એટલે કે એક વિમાન પાછળ સરેરાશ 337 કર્મચારી લાગેલા રહે છે. આ વિમાનોમાં દર વર્ષે ઓછામાં ઓછા એક કરોડ લોકો મુસાફરી કરે છે. તેની સરખામણી અમેરિકન એરલાઇન્સમાં 60,000 કર્મચારી છે. તેની પાસે 993 વિમાન છે. આ હિસાબે એક વિમાન પાછળ માત્ર 60 કર્મચારી લાગેલા રહે છે. આ વિમાનોમાં દર વર્ષે આઠ કરોડ લોકો મુસાફરી કરે છે. એટલું જ નહીં આપણા દેશમાં ખાનગી એરલાઇન્સને મંજૂરી નહોતી ત્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ બંને સરકારી કંપનીના વિમાન જ ઉડતા હતા. તે દિવસોમાં ઇન્ડિયન એરલાઇન્સના આતિથ્ય-સત્કાર વિશે જાણશો તો મોંમા આંગળા નાંખી જશો. ત્યારે ઇન્ડિયન એરલાઇન્સમાં દર વર્ષે 25,000 લોકો પ્રવાસ કરતાં હતા અને તેમની સરભરા માટે કેટલા કર્મચારીઓનો ઊભા પગે હતા? 25,000. તો પણ આ બધાએ ભેગા થઇને પ્રવાસીઓની એવી સેવા આપી હતી કે ખાનગી એરલાઇન્સને મંજૂરી મળતાં જ સરકારી એરલાઇન્સના છક્કાં છૂટાં ગયા. હજુ થોડા છક્કાં છૂટવાના બાકી છે.

મનુજી તેમની ગત સરકારમાં તો ખાનગીકરણ શબ્દ ઉચ્ચારતાં જ ધ્રૂજતાં હતા, કારણ કે તેમના ગળામાં લાલ ઘંટ લટકતાં હતા. પણ જનતા જનાર્દને લોકસભાની આ ચૂંટણીમાં લાલ ઝંડો હાથમાં લઇને ફરતાં ડાબેરીઓની ખસી કરી નાંખી છે તો પછી અર્થશાસ્ત્રી ડિસઇન્વેસ્ટમેનેટ મંત્રાલયને ફરી જીવંત કેમ કરતાં નથી? વિદેશી વિમાન કંપનીઓનો મુકાબલો એર ઇન્ડિયા કરી શકતી નથી તો પછી તેને બચાવવાની શું જરૂર છે? તેનું ખાનગીકરણ કેમ નહીં?