Sunday, June 10, 2012

અણ્ણા હઝારેઃ ચહેરા પરથી નકાબ ઉતરી રહ્યો છે...


મારા એક સાથીદાર થોડા સમય અગાઉ અણ્ણા હઝારેના આંદોલનના કટ્ટર સમર્થક હતા. તેમની સામે અણ્ણા હઝારેના આંદોલનનો તાર્કિક વિરોધ કરવાની કોઈ હિંમત પણ કરતું નહોતું. તેઓ પોતાને લોકશાહીના સમર્થક માને છે, પણ પોતાની વાતનો તાર્કિક વિરોધ કરનાર સાથે દ્વૈષભાવ રાખે છે. તેમના આ પ્રકારના લોકશાહીયુક્ત વલણનો ખ્યાલ આવતા જ અમે તેમનાથી સલામત અંતર રાખીએ છીએ. તેમની કોઈ પણ રાજકીય ચર્ચામાં સામેલ જ થતા નથી. પણ આજકાલ તેઓ નિરાશ છે. બેથી ત્રણ દિવસ અગાઉ તેમણે પોતે જ કબૂલ્યું કે, 'અણ્ણા હઝારે વિશ્વસનિય નથી.' અમને આશ્ચર્ય લાગ્યું નહોતું. અગાઉ તેઓ બાબા રામદેવના દિવાના થઈ ગયા હતા અને તેમને શિવાજીનો અવતાર ગણાવતા હતા. પણ રામલીલા મેદાનમાં રામદેવને મહિલાઓના ડ્રેસમાં ઊભી પૂંછડીએ ભાગતા જોયા પછી બાબાજીનું ભૂત ઉતર્યું હતું. હકીકતમાં અણ્ણા હઝારે અને રામદેવનો નશો તેમના કટ્ટર સમર્થકો પરથી ઉતરી રહ્યો છે. હઝારે અને રામદેવના ચહેરા પરથી નકાબ ઉતરી રહ્યાં છે. જે લોકો આવેશમાં આવીને તેમના આંધળા સમર્થકો બની ગયા હતા તેઓ હવે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અને તેમની મૂંઝવણ કે નિરાશાનું કારણ ખુદ અણ્ણા હઝારે છે. તેમણે છેલ્લાં થોડા દિવસોમાં વડાપ્રધાન વિશે વિરોધાભાસી નિવેદનો કર્યા છે. તેમાંથી કેટલાંક નિવેદનો અહીં રજૂ કરવામાં આવ્યાં છેઃ

- 27 મે, નાશિકઃ વડાપ્રધાન સરળ અને પ્રામાણિક માણસ છે અને તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવાનો સવાલ જ ઊભો થતો નથી.


- 1 જૂન, રત્નાગિરીઃ મને મનમોહન સિંગમાં વિશ્વાસ નથી. કોલસાની ખાણની કરેલી ફાળવણીમાં તેમની સામે તપાસ થવી જોઈએ


- 5 જૂન, મુંબઈઃ કોંગ્રેસ સંચાલિત યુપીએ સરકાર મે બનાવેલા લોકપાલના ખરડાને કાયદો બનાવશે તો હું કોંગ્રેસ સાથે ખભેખભો મેળવીને કામ કરવા તૈયાર છું


- 8 જૂન, થાણેઃ મનમોહન સિંઘ પ્રામાણિક છે 

આંદોલન પર જ પ્રશ્નઃ
અણ્ણા હઝારે વડાપ્રધાન મનમોહન સિંઘ વિશે જ અસ્પષ્ટ નથી. તેઓ તેમના પોતાના ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલન વિશે પણ દિશા ભૂલ્યાં હોય તેવું લાગે છે. હઝારેએ 20મીના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સભા સંબોધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, 'રશિયા, અમેરિકા, ચીન જેવા દેશોમાં પણ ભ્રષ્ટાચાર છે. કોઈ સરકાર ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે મુક્ત ન કરી શકે.' તેમના આ નિવેદનો સાંભળીને અમરાવતીની પ્રજા અવાક થઈ ગઈ હતી. તેઓ તો અણ્ણા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સરકારને ભાંડશે તેવી આશા સાથે આવ્યા હતા. આ રેલીમાં જ કેટલાંક નાગરિકોએ પૂછ્યું હતું કે, 'તો પછી તમે આંદોલન શું કામ કરો છો?' રેલી પૂરી થઈ પછી અણ્ણાના સાથીદારોએ તેમને આ પ્રકારના નિવેદનો ન કરવા અપીલ કરી હતી.

કથની-કરણીમાં ફરકઃ
અન્ના હઝારેનો 15 જૂને જન્મદિવસ છે. તેમના આ 74મા જન્મદિવસની ઉજવણી રાલેગણ સિદ્ધિમાં ધામધૂમપૂર્વક થવાની છે. શું તમે જાણો છે તેમાં હઝારેનું સન્માન કોના હાથે થવાનું છે? મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર આર પાટિલના હાથે. આ એ જ પાટિલ છે જેમણે મુંબઈમાં કસાબ એન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કર્યા પછી એવું નિવેદન આપ્યું હતું કે, મોટા મોટા શહેરોમાં આ પ્રકારના નાના હુમલા તો થાય! આર આર પાટિલ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)ના વડા શરદ પવારના સૌથી વિશ્વસનિય વ્યક્તિ છે. હઝારે એક તરફ પવાર તરફ ભ્રષ્ટાચારના આરોપો મૂકે છે તો બીજી તરફ પવારના સાથીદારના હાથે સન્માન મેળવે છે. તેમની આ પ્રકારની નીતિથી ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)માં નારાજગી છે, જેમણે અન્નાના પ્રથમ આંદોલનમાં પડદા પાછળની ભૂમિકા ભજવી હતી અને આંદોલન માટે સ્વંયસેવકો પૂરાં પાડ્યાં હતાં.

ડેક્કાન ક્રોનિકલે ટીમ અણ્ણાની પોલ ખોલીઃ
આંધ્રપ્રદેશમાં 18 જૂને વિધાનસભાની 18 બેઠકો અને લોકસભાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. ડેક્કાન ક્રોનિકલના પત્રકારે નવમી જૂન, 2012ના રોજ ટીમ અણ્ણાનો સંપર્ક કરીને પૂછ્યું હતું કે, 'તમે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરો છો તો અહીં જગન રેડ્ડી સામે આંદોલન કરશો?' ત્યારે ટીમ અણ્ણાના સભ્યોએ ઘસીને ના પાડી દીધી અને તેઓ પેટાચૂંટણીમાં કોઈ પક્ષની વિરૂદ્ધ પ્રચાર કરતા નથી તેમ જણાવ્યું. હકીકતમાં હરિયાણા હિસ્સારની લોકસભા બેઠક માટે ટીમ અણ્ણાના સભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર સામે પ્રચાર કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ એ પત્રકારે કર્યો ત્યારે ટીમ અણ્ણાએ પરોક્ષ રીતે એવું કહ્યું કે, અમારે ક્યા આંદોલન કરવું અને ન કરવું એ અમે નક્કી કરીશું. હકીકતમાં ટીમ અણ્ણાના આંદોલનનો હેતુ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ નથી એ સ્પષ્ટ થઈ ગયું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની મૂંઝવણઃ
અણ્ણાએ ગયા વર્ષે આંદોલન શરૂ કર્યું ત્યારે તેમને આરએસએસ અને ભાજપે મોટા પાયે સ્વયંસેવકો પૂરાં પાડ્યાં હતાં. એટલું જ નહીં આ સ્વયંસેવકોએ જ તમામ વ્યવસ્થા કરી હોવાનું પણ કહેવાય છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે થોડા સમય અગાઉ 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' નામના અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં પણ આ કબૂલાત કરી હતી. કિરણ બેદી ભાજપના ટોચના નેતા અરુણ જેટલીના સતત સંપર્કમાં રહે છે અને તેમનું માર્ગદર્શન મેળવે છે. પણ અણ્ણાએ થોડા સમય અગાઉ સંઘ સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોવાનો દાવો કર્યો હતો. તેનાથી સંઘ અને ભાજપની મૂંઝવણ વધી ગઈ છે. એક તરફ હઝારે તેમના સ્વયંસેવકોની મદદ લે છે અને બીજી તરફ તેઓ સંઘ સાથે સંબંધ ન હોવાનો દાવો કરે છે. થોડા દિવસ અગાઉ સંઘના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસ્બળેએ નાગપુરમાં 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને કહ્યું હતું કે, 'અણ્ણાનું વલણ ન સમજાય તેવું છે. તેઓ અવારનવાર અમારા સ્વયંસેવકોને સંબોધવા આવ્યાં છે. તેઓ ઘણા વર્ષોથી સંઘના સંપર્કમાં છે. અમારા સ્વયંસેવકો તેમના આંદોલનમાં સક્રિય છે અને ભવિષ્યમાં પણ સક્રિય રહેશે. પણ તેઓ ટીમ અણ્ણા અમારી સાથેનું જોડાણ કેમ નકારે છે તે સમજાતું નથી'

અમર્યાદ વાણીવિલાસઃ
લાગે છે કે ટીમ અણ્ણામાં નિરાશા વ્યાપી ગઈ છે. અણ્ણા હઝારેના વિવાદાસ્પદ વિધાનો, ટીમના સભ્યોમાં આંતર્કલહ, ભાજપ અને સંઘની પીછેહટ, મીડિયોનો ઘટતો જતો રસ જેવા કારણોસર ટીમ અણ્ણાના સભ્યો ઘાંઘા થઈ ગયા છે. તેઓ એક યા બીજા પ્રકારે સતત ચર્ચામાં રહેવા અમર્યાદ વાણીવિલાસ કરી રહ્યાં છે. 28 મેના રોજ પ્રશાંત ભૂષણે વડાપ્રધાન મનમોહન સિંઘને શીખંડી કહ્યાં હતાં તો કિરણ બેદીએ 10મી જૂન, મનમોહનને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા. ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સામે રોષ છે એ હકીકત છે, પણ વડાપ્રધાન સામે આ પ્રકારની અત્યંત ધૃષ્ટ ભાષાનો પ્રયોગ ન કરાય તેવું ભાજપ સહિત તમામ વિરોધ પક્ષો સ્વીકારે છે. ટીમ અણ્ણાના આ પ્રકારના વાણીવિલાસથી ભાજપ હેરાનપરેશાન છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવપ્રતાપ રુડ્ડીએ કહ્યું કે, 'વડાપ્રધાન માટે અસભ્ય ભાષાનો પ્રયોગ ન થવો જોઈએ. ટીમ અણ્ણાએ લવારી કરવાનું બંધ કરવું જોઈએ.' ભાજપ હવે ટીમ અણ્ણાને જોઈએ તેવું સમર્થન આપતો નથી અને એટલે જે તેણે મોંઘવારીના મુદ્દે અણ્ણાથી અલગ રીતે આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે...


ચલતે-ચલતેઃ અન્નાનું આંદોલન નાટક છે અને સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે. તેનો આશય ફક્ત કોંગ્રેસને નિશાન બનાવવાનો છે. તેઓ ભાજપશાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચૂપ રહે છે - સુરેસ હોસ્બત, નિવૃત્ત ન્યાયાધીશ, બોમ્બે હાઈ કોર્ટ (30 જૂન, મુંબઈ)

Tuesday, June 5, 2012

જગનમોહન રેડ્ડીઃ આંધ્રપ્રદેશના રાજકારણનો ટર્નિંગ અને બર્નિંગ પોઇન્ટ!


વર્ષ 1982. હૈદરાબાદમાં ચારે તરફ 'તેલુગુ વારી આત્મ ગૌરવમ્'ના સૂત્રોચ્ચારો થઈ રહ્યાં છે. પીળા ઝંડાઓ હાથમાં લઈને ફરતા યુવાનોની આંખોમાં તેલુગુ અસ્મિતાના પુનરોદ્ધારનું સ્વપ્ન ચમકી રહ્યું છે. તેલુગુ પ્રજાનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરવાની ગર્જના સાથે  'ચૈતન્ય રથમ્' નામની એક વાન રાજ્યના પ્રવાસે નીકળે છે. વાનમાં કાળાં ગોગલ્સ ધારણ કરેલો એક નેતા બિરાજમાન છે. તેનો વેશ સાધુ જેવો છે. વાન આખા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાં ખૂંદી વળે છે. વાન શહેર કે ગામમાં પ્રવેશે ત્યારે આ નેતા વાન પર ચઢી જાય છે અને તેલુગુ જનતાને સ્વાભિમાન જગાવવા અપીલ કરે છે. અન્યાય સામે એક થવા અપીલ કરે છે. પીળા ઝંડા નીચે અનેક યુવાનો અને નાગરિકો કરિશ્માઈ નેતા સાથે જોડાઈ જાય છે.  થોડા મહિના પછી વાન હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી હૈદરાબાદ પાછી ફરે છે અને આ પ્રવાસ આંધ્રપ્રદેશના રાજકીય ઇતિહાસમાં ટર્નિંગ પોઇન્ટ બની જાય છે. પછીના વર્ષે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને?

વર્ષ 1956માં આંધ્રપ્રદેશની અલગ રાજ્ય તરીકે રચના થઈ ત્યારથી વર્ષ 1983 સુધી ત્યાં કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. પણ 'ચૈતન્ય રથમ્'ના ચક્ર હેઠળ કોંગ્રેસનો પંજો  બેરહમીથી કચડાઈ જાય છે. રાજ્ય વિધાનસભાની 294 બેઠકમાંથી કોંગ્રેસને ફક્ત 56 બેઠક મળે છે જ્યારે કાળાં ગોગલ્સધારી નેતાનો પક્ષ 200 કરતાં વધારે બેઠકોને લઈને સત્તામાં આવે છે. આ નેતા એટલે નંદમુરી તારક રામા રાવ ઉર્ફે એનટીઆર કે એન ટી રામા રાવ. એનટીઆરએ વર્ષ 1982માં તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી)ની રચના કરી અને 1995 સુધી તેઓ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી થયા હતા. આંધ્રપ્રદેશમાં વર્ષ 1982માં તેઓ કોંગ્રેસ માટે 'બર્નિગ-કમ-ટર્નિંગ પોઇન્ટ' પુરવાર થયા હતા અને એનટીઆરની આંધીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. કોંગ્રેસ માટે બર્નિંગ પુરવાર થયેલા આ ટર્નિંગ પોઇન્ટને 30 વર્ષ થવા આવ્યાં છે અને બરોબર ત્રણ દાયકા પછી આંધ્રપ્રદેશના રાજકારણમાં એક નવો રાજકીય અધ્યાય રચાઈ રહ્યો છે. એવું લાગે છે કે, આંધ્રપ્રદેશ અને કોંગ્રેસ બંને માટે ટર્નિંગ અને બર્નિંગ પોઇન્ટનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ વખતે કોંગ્રેસ માટે બર્નિંગ અને ટર્નિંગ પોઇન્ટ બની રહ્યાં છેઃ જગનમોહન રેડ્ડી.

જગનમોહન રેડ્ડી એટલે આંધ્રપ્રદેશની જનતાના અણ્ણા (મોટા ભાઈ). આ બિરૂદ મેળવવા તેમણે 265 દિવસ 5,152 ગામડાં અને 114 શહેરોની યાત્રા કરી છે તેમજ 13 જિલ્લાના 700 પરિવારોની મુલાકાત લીધી છે. તેઓ અત્યારે આંધ્રપ્રદેશમાં એનટીઆરનું પુનરાવર્તન કરવા આતુર છે તો બીજી તરફ વર્ષ 2009માં વાયએસઆર રેડ્ડીના આકસ્મિક અવસાન પછી કોંગ્રેસ પણ દક્ષિણ ભારતનું આ એકમાત્ર રાજ્ય ગુમાવવાની દિશામાં ઝડપથી અગ્રેસર હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે ધારાસભ્યો કાલી ક્રિષ્ના શ્રીનિવાસ અને વેંકટ સુજય ક્રિષ્ન રંગા રાવે રાજીનામા આપી દીધા છે. તેમણે જગનમોહન રેડ્ડીના વાયએસઆર કોંગ્રેસમાં જોડાઈ જવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાસે હવે 151 બેઠક છે, જે 148ના જાદુઈ આંકડાથી ફક્ત ત્રણ વધારે છે.2009ની વિધાનસભાની ચૂંટણીમાં વાયએસઆરના કરિશ્માઈ નેતૃત્વ હેઠળ કોંગ્રેસને 158 બેઠકો મળી હતી અને ફરી સરકાર રચી હતી. પણ તેમના અવસાન પછી કોંગ્રેસે જગન રેડ્ડીને 'ઊગતા જ ડામી દેવા' ભૂલોની હારમાળા સર્જી છે. કોંગ્રેસની આ જ નીતિએ જગનમોહન રેડ્ડીને એનટીઆર જેવી લોકપ્રિયતા બક્ષી છે તેવું ખુદ એનટીઆરની પત્ની લક્ષ્મી પાર્વતીએ કબૂલ્યું છે.

આંધ્રપ્રદેશની રાજકીય શતરંજ પર જગન રેડ્ડી અત્યંત વિચક્ષણ રાજકારણી સાબિત થઈ રહ્યાં છે અને કોંગ્રેસી નેતાઓ તેની ચાલ પ્રમાણે રમી રહ્યાં છે. રાજકારણમાં વિરોધીઓને ભડકાવીને તેમને તેમની જ ચાલમાં ફસાવી દેવાનો ખેલ બહુ જાણીતો છે અને જગન રેડ્ડીની ચાલમાં કોંગ્રેસ બરોબર ફસાઈ ગઈ હોય તેવું લાગે છે. તેમણે કોંગ્રેસ પર પહેલો ઘા ઓડર્પુ યાત્રા સ્વરૂપે કર્યો હતો. તેઓ જાણતા હતા કે કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતી નથી અને સોનિયા ગાંધી સંચાલિત કોંગ્રેસ પાસે આ યાત્રાનો વિરોધ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમનું તીર બરોબર નિશાન પર લાગ્યું હતું અને સોનિયા ગાંધીએ યાત્રા પડતી મૂકવા દબાણ કર્યું, પણ પ્રજાએ સાડા પાંચ લાખ જેટલા અંતરથી જગનને વિજયમાળા પહેરાવી કડપ્પાના સાંસદ બનાવ્યા. કોંગ્રેસ માટે આ પરાજય લાલ બત્તી સમાન હતો, પણ હાર્યો જુગારી બમણું રમે તેવું વલણ કોંગ્રેસ અપનાવ્યું.

જગનને રાજકીય રીતે કાબૂમાં રાખવામાં નિષ્ફળ નિવડેલી કોંગ્રેસે જગનની છબી ખરડવાનો દાવ અજમાવ્યો. કોંગ્રેસના જ એક સાંસદે જગન પર આવક કરતાં વધારે સંપત્તિ ધરાવવાનો કેસ દાખલ કર્યો અને તેની ઓફિસો પર દરોડા પડાવી રેડ્ડી પરિવાર પર દબાણ ઊભું કર્યું. હકીકતમાં આ નરી મૂર્ખતા હતી. ભારતમાં ભ્રષ્ટાચારના મામલે  હવે કોઈ નેતા કે પક્ષ હારી જશે તો એ એકવીસમી સદીનો સૌથી મોટો ચમત્કાર ગણાશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારના મામલે જગનને લોકોની નજરમાંથી ઉતારી દેવા ઇચ્છે છે, પણ એ ભૂલી ગઈ છે કે આંધ્રપ્રદેશમાં વર્ષ 2009ની વિધાનસભાની ચૂંટણી વખતે વાયએસઆર સામે વિરોધ પક્ષોએ ભ્રષ્ટાચારને જ મુદ્દો બનાવ્યો હતો, તેમ છતાં આંધ્રપ્રદેશની જનતાએ 'ભ્રષ્ટાચારી' વાયએસઆર અને કોંગ્રેસ બંનેને વિજયની ભેટ ધરી હતી. જગન રેડ્ડી સારી રીતે જાણે છે કે ભ્રષ્ટાચારના આરોપોને લીધે તેમના પિતા વાયએસઆર કે દેશના કોઈ રાજકીય પક્ષને નુકસાન થયું નથી. એ બેધડક તેલુગુ ફિલ્મોના બળવાખોર અભિનેતાની માફક કહે કહે છે કે, 'હું ભ્રષ્ટાચારી છું કે તો દેશના બધા નેતા ભ્રષ્ટ છે.' તેની આ નફ્ફટાઈથી હેબતાઈ ગયેલી કોંગ્રેસે તેની ધરપકડ કરાવી છે અને એ પણ 12મી જૂને યોજાનારી પેટાચૂંટણી અગાઉ!

કોંગ્રેસ અને જગન બંને માટે 12મી જૂને રાજ્યમાં 18 વિધાનસભા અને નેલ્લોર લોકસભાની બેઠકની પેટાચૂંટણી અગ્નિપરિક્ષા સમાન છે.  આ ચૂંટણી અગાઉ પોતાની ધરપકડથી જગન અત્યંત ખુશ છે અને તેમને એક વખત ફરી લોકોની લાગણી જીતવામાં મદદ મળશે તેવું રાજકીય વિશ્લેષકો અને ખુદ કોંગ્રેસના ધારાસભ્યો માને છે. વિધાનસભાની આ 18 પેટાચૂંટણીમાંથી 16 કોંગ્રેસ પાસે છે. જો જગન રેડ્ડીનો કરિશ્મો કારગર નીવડશે અને ઓપિનિયન પોલ અનુસાર તેમને 18માંથી 14 બેઠક મળશે તો કોંગ્રેસને સરકારી બચાવવાના ફાંફા પડી જશે. એટલું જ નહીં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો આ પેટાચૂંટણીના પરિણામોની રાહ જોઈને જ બેઠા છે. જગન રેડ્ડીનો  હાથ ઉપર રહેશે તો તેઓ કોંગ્રેસનો હાથ છોડીને જગન રેડ્ડીના ખોળામાં સરકી જેવાની તક છોડશે નહીં. પણ રાજનીતિ જો અને તોનો ખેલ છે. આ જુગાર જેટલો કોંગ્રેસ માટે જોખમી છે તેટલો જ જલદ જગન માટે પણ છે. પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે હકારાત્મક રહ્યાં તો પછી જગનની રાજકીય કારકિર્દી કઈ દિશામાં જાય કે દિશાહિન થઈ જાય તે કહી શકાય નહીં. જોકે આંધ્રપ્રદેશના હાલના વાતાવરણને જોતા જોખમ કોંગ્રેસ માટે વધારે છે. ટૂંકમાં 12મી જૂન કોંગ્રેસ અને જગન બંને માટે બર્નિંગ અને ટર્નિગ પોઇન્ટ પુરવાર થશે એ નક્કી છે....

ચલતે-ચલતેઃ હું અને મારા પિતા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી અમે ભ્રષ્ટ નહોતા, પણ મેં પક્ષ છોડ્યો પછી ભ્રષ્ટાચારી થઈ ગયો - જગન રેડ્ડી