Thursday, December 31, 2009

પાર્લમેન્ટ વેશ્યા છે...


પાર્લમેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે એ પણ બરોબર છે. તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કંઈક ખ્યાલ આવશે.

પાર્લમેન્ટનો કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે- જેમ કે મુખ્ય પ્રધાન- ત્યારે પણ તેની ચાલ એકસરખી રહેતી નથી. જેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવો દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે.

મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું છે કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી. તેથી ભલે પ્રામાણિક ગણાય, પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારું ઇલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રામાણિકતાપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)
(ગાંધીજીએ આ વિચાર બ્રિટિશ પાર્લમેન્ટ વિશે રજૂ કર્યા હતા. પણ આ હાલ શું અત્યારે ભારતીય પાર્લમેન્ટ અને રાજકારણીઓના નથી?)

Wednesday, December 30, 2009

ન ગુલે નગમા હૂં, ન પરદા-એ-સાઝ, મૈં હૂ અપની શિકસ્ત કી આવાઝ....


દિલ્હીમાં દર વર્ષે 27મી ડીસેમ્બરે ટાઉનહોલથી કાસિમ જાન ગલી સુધી એક જુલૂસ નીકળે છે. ગલીમાં એક મકબરા પાસે પહોંચી જુલૂસમાં ભાગ લેનારા લોકો શરાબ, શબાબ અને રેશમી કબાબ સમી ગઝલોનું પઠન-પાઠન કરે છે....તેમના પ્રિય શાયરને યાદ કરે છે. આ વર્ષે તે શાયરનો 200મો જન્મદિવસ હતો અને તેના પ્રેમીઓએ 'મશાલ જુલૂસ' કાઢ્યું હતું....ટાઉનહોલથી મશાલ લઇને તેના પ્રેમીઓએ કાસિમ જાન ગલી સુધી પદયાત્રા કરી હતી...તેમાં આ શાયરના આશિક ગુલઝાર જોડાયા હતાં...તેમણે આ શાયર વિશે કહ્યું કે 'જો તે ન હોત તો હું પણ ન હોત..' આ તે એટલે ઉર્દૂ ગઝલના શહેનશાહ મિર્ઝા ગાલિબ...

તવારીખે ગાલિબ...જન્મ 1797માં 27 ડીસેમ્બરે આગ્રામાં...પૂરું નામ દબિર-ઉલ-મુલ્ક, નઝ્મ-ઉદ-દૌલાહ મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન નૌશા....કિશોરવયે અસદુલ્લાખાનના ટૂંકા રૂપ 'અસદ' નામે શાયરી લખતાં...તે નામ બીજો સામાન્ય કવિ પણ ગઝલો લખતો એટલે ઉપનામ 'મિર્ઝા ગાલિબ' રાખ્યું...'ગાલિબ' એટલે વિજેતા....માત્ર પાંચ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી.........13 વર્ષની વયે મામા ઇલાહીબક્ષીખાનની દિકરી ઉમરાવબેગમ સાથે નિકાહ..ઇલાહીબક્ષીખાન પણ ઉર્દૂના ઉચ્ચ કક્ષાના શાયર અને 'મારૂફ' ઉપનામથી ગઝલો લખતા...લગ્ન પછી તરત આગ્રાને કાયમ માટે અલવિદા અને મુકામપોસ્ટ દિલ્હી ..........सात रज्जब 1225 हिजरी (9 अगस्त 1810) को मेरे वास्ते हूकमें-दबामें-हब्स हाजिर हुआ..एक बेडी मेरे पांवमे डाल दी और दिल्ही शहर को जिन्दान मुकरर्र किया और मुझे उस जिन्दान में डाल दिया...અર્થાત્ સાત રજ્જબ 1225 હિજરીના રોજ મારા માટે આજીવન કેદનું ફરમાન જારી કરવામાં આવ્યું..મારા પગમાં બેડી નાંખી દેવામાં આવી (નિકાહ કરવામાં આવ્યાં) અને દિલ્હીનગરને કારાગૃહ નક્કી કરીને મને પૂરી દેવામાં આવ્યો. ત્યાં સ્થાયી થયો.

ગાલિબે દિલ્હીમાં અનેક તડકી-છાંયડી જોઈ. નસીબની દેવીએ અનેક ખેલ ખેલ્યાં. આગ્રામાં રહેતાં ત્યાં સુધી માતા પાલનપોષણ કરતાં. માતા અને કાકાના અવસાન પછી અંગ્રેજો તરફથી વર્ષાસન મળતું બંધ થઈ ગયું અને દુઃખના દિવસો શરૂ થયા. બાદશાહી રહેણીકરણી, શરાબના આશિક, જુગાર રમવાની ટેવ અને રંગીલો સ્વભાવ. આમદની અઠન્ની ઔર ખર્ચ રૂપૈયા..મિર્ઝા ગાલિબ દિલ્હીમાં હંમેશા પાલખીમાં બેસીને ફરતાં. ઉછીના પૈસે મોજશોખ કરવા લાગ્યાં..ऋणं कृत्वा धृतम् पीबेत...દેવું કરીને જલસા કરો..તેમણે એક શેરમાં કહ્યું છે કે,

कर्ज की पीते थे मय, और समझते थे कि हॉं
रंग लायेगी हमारी फांकामस्ती एक दिन

બહાદુરશાહ ઝફર તખ્તનશીન થયા પછી નસીબની દેવી મહેરબાન થવાની આશા ગાલિબને જાગી. બહાદુરશાહ ઉર્દૂનો વિદ્વાન હતો અને સાહિત્યપ્રેમી હતો. પરંતુ ત્યારે પણ તેમને બહાદુરશાહ તરફથી રાજ્યાશ્રય મળવાની તક મળી ન હતી. બાદશાહે તે સમયે ઉર્દૂ ગઝલોના ખ્યાતનામ શાયર ઝૌકની ઉસ્તાદ તરીકે નિમણૂંક કરી. ઝૌક અને તેમના મિત્રો ગાલિબના વિરોધી હતા. તેમણે ગાલિબની ગઝલો અને ભાષાની ખૂબ ટીકા કરવા માંડી. ઝૌક કરતાં ગાલિબ વધુ પ્રતિભાશાળી હતાં..પરંતુ ઝૌકનું પીઆર બહુ સારું હતું..પીઆર એટલે પબ્લિક રીલેશન...ગુજરાતી ભાષામાં જનસંપર્ક..કથિત ગુજરાતી લેખકો અને ચમચામંડળીઓથી ઘેરાયેલા રહેવાનો વિકૃત શોખ ધરાવતા સાહિત્યકારોની પાદુકાઓનું પૂજન કરી સાહિત્યકાર હોવાના વહેમમાં ફરતાં શનિચરો માટે તેનો અર્થ એકબીજાને છાવરી આગળ વધારવાની કળા અને ગમતાનો ગુલાલ કરવાનો કારસો...ગાલિબે ઝૌક પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે,

हुआ है शाह का मुसाहिब फिरे है इतराता
बगरः शहेर में गालिब की आबरु क्यां है

1841માં ગાલિબના ઉર્દૂ દીવાનની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી અને 1847માં બીજી આવૃત્તિ. બાદશાહના ધર્મગુરુ મૌલાના નાસીરુદ્દીન અને મંત્રી અસન્નુલાહખાન ગાલિબની પ્રતિભાથી પરિચિત હતા. તેમણે બહાદુરશાહને ભલામણ કરી અને મુઘલોની તવારીખ લખવા તેમની વાર્ષિક રૂ. 600થી નિમણૂંક થઈ. 1854માં 'મીહર-ઈ-નીમરૂ' શીર્ષકથી તૈમૂરલંગથી હુમાયુ સુધીના ઇતિહાસનો પ્રથમ ભાગ લખ્યો. બીજા ભાગની રચના દરમિયાન 1857માં અંગ્રેજો સામે પહેલી ક્રાંતિ થઈ અને મુઘલ શાસનનો અંત આવ્યો. બહાદુરશાહના દુઃખના દિવસો ફરી શરૂ થયા. પ્રકૃતિથી વિરૂદ્ધ જઈ અંગ્રેજો સાથે પીઆર કર્યું. તેમણે આ ક્રાંતિની તવારીખ ફારસી ભાષામાં લખી, જેનું કાવ્યમય આપ્યું 'દસ્તાંબૂ.' દસ્તાંબૂ એટલે વિવિધ પ્રકારના અત્તરોમાંથી બનાવેલો ફાયો. પણ અંગ્રેજ સરકારે કોઈ પ્રત્યાઘાત ન આપ્યાં. ફરી ફાંકામસ્તીના દિવસો..પણ રામપુરના નવાબે તેમને સહાય. કરી. રામપુરના નવાબે 1857ની ક્રાંતિમાં અંગ્રેજોને સહાય કરી હતી. તેણે અંગ્રેજોને ભલામણ કરી ગાલિબનું જૂનું પેન્શન બંધાવી આપ્યું અને 1860માં એરિયર્સ સાથે પેન્શન મળ્યું. 1862માં ફારસી શબ્દકોશ 'કુટી બુરહાન'નું સંપાદન કર્યું.

રામપુરના નવાબના પુત્ર યુસુફઅલીખાનનું મૃત્યુ થયું ત્યારે તેને શાહજાદના આશ્વાસન આપવા ગાલિબ રામપુર ગયા. પાછાં ફરતાં રસ્તામાં અકસ્માત થયો અને વરસાદમાં ભીંજાવાથી બીમાર પડી ગયા. માંદગી વધતી ગઈ. આખા શરીરમાં ગૂમડાં અને ફોલ્લાં થયાં. મધુપ્રમેહનો રોગ તો હતો અને સારણગાંઠની વ્યાધિ થઈ. 1869ની 15મી ફેબ્રુઆરીએ સૂર્ય તપતો હતો ત્યારે ઉર્દૂ કવિતાનો આ સૂર્ય આથમી ગયો...લાહોરૂ વંશના કુટુંબનું કબ્રસ્તાન નિઝામુદ્દીન ગામમાં છે ત્યાં ગાલિબને દફનાવવામાં આવ્યાં...

ભારતમાં વર્ષ 1954માં 'મિર્ઝા ગાલિબ' ફિલ્મ બની હતી. તેમાં મિર્ઝા ગાલિબની ભૂમિકા ભારતભૂષણે અને તેમની પ્રેમિકા ચૌદવીનની ભૂમિકા (ગાલિબે તેમના પત્રમાં દોમની નામનો ઉલ્લેખ કર્યો છે) સુરૈયાએ ભજવી હતી. પાકિસ્તાનમાં પણ આ જ નામે એક 1961માં એક ફિલ્મ બની હતી, જેમાં મિર્ઝા ગાલિબની ભૂમિકા સુધીરે અને ચૌદવીનની ભૂમિકા સુરૈયાએ ભજવી હતી. 1988માં દૂરદર્શન પર મિર્ઝા ગાલિબ ધારાવાહિક પ્રસારિત થતી હતી. તેનું નિર્માણ ગુલઝારે કર્યું હતું અને તેમાં ગાલિબની ભૂમિકા નસીરુદ્દીન શાહે ભજવી હતી...

ચલતે-ચલતેઃ ન ગુલે નગમા હૂં, ન પરદા-એ-સાઝ,
મૈં હૂ અપની શિકસ્ત કી આવાઝ - ગાલિબ

પાર્લામેન્ટ વાંઝણી છે....


પાર્લામેન્ટ વાંઝણી છે. આ શબ્દ આકરો છે, છતાં બરોબર લાગૂ પડે છે. હજુ સુધી પાર્લામેન્ટે પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તે વાંઝણી ન હોય તો આમ થવું જોઇએઃ

* લોકો તેમાં સરસમાં સરસ મેમ્બરો ચૂંટીને મોકલે.
* મેમ્બરો વગર પગારે જાય અને લોકકલ્યાણનું કામ કરે.
* તેનું કામ એવું સરળ હોય કે દહાડે દહાડે તેનું તેજ વધારે દેખાય ને લોકોની ઉપર તેની અસર થતી જાય.
તેને બદલે થાય છે શું?

* પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે.
* સૌ પોતાનું ખેંચે છે.
* માત્ર ધાસ્તીને લીધે જ પાર્લામેન્ટ કંઈ કામ કરે છે. આજ કર્યું હોય તે કાલે રદ કરવું પડે છે. એક પણ વસ્તુ પાર્લામેન્ટે ઠેકાણે પાડી હોય એવો દાખલો જોવામાં આવતો નથી.
* મોટા સવાલોની ચર્ચા પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા ઝોલાં ખાય છે. એક મહાન લેખકે તેને 'દુનિયાની વાતૂડી' એવું નામ આપ્યું છે.
* મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગર વિચારે આપે છે, આપવા બંધાયેલા છે. તેમાં કોઈ અપવાદરૂપે વિરોધી મત રજૂ કરે તો તે મેમ્બરના ભોગ સમજવા.
* જેટલો વખત અને પૈસા પાર્લામેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય. આ પાર્લામેન્ટ તો પ્રજાનું રમકડું છે, ને તે રમકડું પ્રજાને બહુ ખરચમાં નાખે છે.

આ વિચારો મારા અંગત છે તેમ ન માનશો. મોટા અને વિચારવાન અંગ્રેજો તેવો વિચાર કરે છે. એક મેમ્બરે તો એમ જ કહ્યું કે પાર્લામેન્ટ ધર્મિષ્ઠ માણસને લાયકની નથી રહી.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)

Tuesday, December 29, 2009

ગાંધીજી બોલે તો..


* છાપાનું એક કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવાનું છે. તેનું બીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરી હોય તે પેદા કરવાનું છે અને ત્રીજું કામ લોકોમાં એબ હોય તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવાનું છે. અખબારોએ લોકલાગણી કેટલેક દરજ્જે બતાવવી પડશે, નહીં હોય તો તેવી પેદા કરવાનો પ્રયત્ન કરવો પડશે અને ખામી હશે તો તેને વખોડવી પડશે.

* જે પગથિયેથી આપણે ચડ્યા છીએ તે પગથિયાને પાટુ ન મારવી એ ડહાપણ છે. જો તે પગથિયું કાઢી નાખીએ તો આખી સીડી પડી જાય એ યાદ રાખવાનું છે. આપણે બચપણમાંથી જુવાનીમાં આવીએ છીએ ત્યારે બચપણનો તિરસ્કાર કરતા નથી, પણ તે દહાડા પ્યારથી સંભારીએ છીએ. ઘણાં વરસ સુધી અભ્યાસ કરી મને કોઈ શીખવે ને તે ઉપરથી હું જરા વધારે જાણી લઉં તો કંઈ મારા શિક્ષક કરતાં હું વધારે જ્ઞાની નહીં ગણાઉં. મારા શિક્ષકને તો મારે માન આપવું જ પડશે.

* જે જુવાનિયા પોતાનાં માબાપની ઠંડી પ્રકૃતિથી કંટાળે ને તેઓ પોતાની સાથે ન દોડે તો ગુસ્સે થાય, તેઓ પોતાનાં માબાપનો અનાદર કરે છે. સ્વરાજ ભોગવવા ઇચ્છતી પ્રજા પોતાના વડીલોનો તિરસ્કાર કરી શકતી નથી. આપણામાંથી માન આપવાની ટેવ જાય ત્યારે આપણે નકામા થઈ પડવાના. સ્વરાજ પીઢ માણસો ભોગવી શકે છે, નહીં કે ઉચ્છૃંખલ માણસો.

* હમેશાં બીજ જોવામાં આવતું નથી. બીજ પોતાનું કામ માટીની નીચે કરે છે ને પોતે નાબૂદ થાય છે ત્યારે ઝાડ જમીન પર જોવામાં આવે છે.

* અસંતોષ બહુ ઉપયોગી વસ્તુ છે. જ્યાં સુધી માણસ પોતાની ચાલુ સ્થિતિમાં રાજી રહે ત્યાં સુધી તેને તેમાંથી નીકળવાનું સમજાવવું એ મુશ્કેલીની વાત છે. તેથી દરેક સુધારાની પૂર્વે અસંતોષ હોવો જોઇએ. ચાલુ ચીજનો અણગમો પેદા થાય ત્યારે જ તેને નાખી દેવાનું મન થાય.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)

નૌચામી નારાયણ...


માર્ક ટ્વેઇને કહ્યું છે કે, પુરુષ સેક્સને માણવા પર બહુ ધ્યાન આપે છે અને તેનો પૂરેપૂરો આનંદ માણવા તે તેના ચારિત્ર્ય અને તેની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકવા તૈયાર થઈ જાય છે. તેમની વાત સાચી હોવાનો પુરાવો આપણા એક કુખ્યાત ભારતીયે આપી દીધો. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને રંગીન મિજાજ માટે હંમેશા ચર્ચાસ્પદ રહેલાં નારાયણ દત્ત તિવારી એક સાથે ત્રણ મહિલા સાથે રાજભવનમાં કામલીલા કરતાં કેમેરામાં દેખાય છે. તેમાં એક મહિલા તિવારીડોસાના પગ પર છે અને બીજી મહિલા તેમના વક્ષસ્થળની આસપાસ. વાઇગ્રાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાને સૌથી વધારે લાયક તિવારીનો ભૂતકાળ પણ ફુલગુલાબી છે.

કામપુરુષ તિવારી હંમેશા જુદી જુદી મહિલાઓ સાથે સંબંધોના કારણે ચર્ચામાં રહ્યાં છે. ઉત્તરપ્રદેશમાં તેઓ મુખ્યમંત્રી હતા તે સમયના કિસ્સાઓ પણ તે દિવસોમાં ચર્ચાતા હતા. તેમનો એક કિસ્સો તો કોંગ્રેસીઓમાં બહુ જાણીતો છે. તેઓ 1988માં ઉત્તરપ્રદેશના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યાં હતાં. આ શાસનકાળ દરમિયાન એક સમયે બપોરે સાડા બારની આસપાસ તે પોતાના મંત્રીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરી રહ્યાં હતાં. આ બેઠક પૂરી થયા પછી તરત જ એક મહિલાઓનું પ્રતિનિધિમંડળ તેમને મળવા આવ્યું હતું. તલપાપડ તિવારીએ તેમને તરત જ ચેમ્બરમાં બોલાવી અને સૂચના ન મળે ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરવાનો આદેશ આપ્યો હતો. પછી આ લાંબી બેઠક ચાલી હતી...અનેક સ્ત્રીઓ સાથે એકસાથે સેક્સ માણવાના તિવારી શોખીન છે તેવું તાજેતરમાં જ જાહેર થયેલી કામલીલા પરથી જાણવા મળ્યું છે ને...

તિવારી 2002થી 2007 દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા ત્યારે એક નેપાળી યુવતી સારિકા પ્રધાન સાથેના સંબંધો ચર્ચાસ્પદ બન્યાં હતાં. 23 વર્ષીય સારિકા તેમના કરતાં ત્રણ ગણી વધારે ઉંમરના તિવારી સાથે દરેક સમારંભમાં હાજર રહેતી. સારિકા દિવસે હાથમાં હાથ નાંખીને તેમની સાથે ચાલતી અને રાત્રે...તેનો બદલો પણ તેને મળ્યો. તેને તિવારી મહાશયે રાજ્યકક્ષાની મંત્રી બનાવી દીધી હતી. આ સારિકા પ્રકરણને લઇને ઉત્તરાખંડના એક પ્રસિદ્ધ લોકગીતકાર નરેન્દ્ર સિંહ નેગીએ 'નૌચામી નારાયણ' નામે લોકનૃત્ય પર આધારિત વીસીડી તૈયાર કરી હતી. 2006માં જાહેર થયેલી આ વીસીડીનો પ્રચાર ઉત્તરાખંડના ગામેગામ થયો હતો. તેમાં તિવારી જેવા જ દેખાતા એક વ્યક્તિને અનેક ગોપીઓ સાથે નૃત્ય કરતાં દેખાડવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયમાં આ વીસીડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ઉજ્જવલા શર્માના પુત્ર રોહિત શેખરે તો તિવારીના અનૌરસ પુત્ર હોવાનો દાવો પણ કર્યો હતો. ઉત્તરાખંડની એક પૂર્વ મહિલા મંત્રી અને કેટલાંક ઉદ્યોગપતિઓની પત્નીઓ સાથે પણ તિવારીનાં સંબંધો ચર્ચાસ્પદ રહ્યાં છે. એક દાયકા અગાઉ તેઓ દિલ્હીથી વાયા રોડ લખનૌ જતાં હતાં ત્યારે તેઓ ત્રણ દિવસ લાપતા થઈ ગયા હતા અને તે પછી તેઓ ઉત્તરપ્રદેશના ગજરૌલાના એક બંગલામાં એક મહિલા સાથે રોકાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ મહિલા પણ તેમના જેવી જ રંગીન અને ચર્ચાસ્પદ છે.

ચલતે-ચલતેઃ પુરુષ સ્ત્રીઓનું હાથનું રમકડું છે-વિક્ટર હ્યુગો

Sunday, December 27, 2009

મારા 'પર્સન ઓફ ધ યર'....


વર્ષ 2009 વિદાય થઈ રહ્યું છે...અખબારો, વિવિધ મેગેઝિન, જુદી જુદી મનોરંજન ચેનલ અને મોટે ભાગે હાસ્યાસ્પદ સમાચારો આપતી આપણી ન્યૂસ ચેનલો પર 'પર્સન ઓફ ધ યર'ની સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. તેમાં મોટા ભાગની ચેનલોએ તેમની જાહેરાતના સ્રોત સમાન ઉદ્યોગપતિઓ, અભિનેતાઓ, ફાઇવ સ્ટાર હોટેલમાં બેસીને સમાજની ચિંતા કરતાં સેલિબ્રિટી સમાજસેવકોમાંથી પર્સન ઓફ ધ યરની પસંદગી કરવાના વિકલ્પો દેશની વિકલ્પહીન જનતા સમક્ષ મૂકી દીધા છે. પણ આ બધા વચ્ચે એક અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'એ પરોક્ષ રીતે આપણને લોકશાહી માટે મૂંગા મોઢે લડતા 'પર્સન ઓફ ધ યર'ની ભેટ ધરી દીધી છે.

કટોકટીમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે જેહાદ (ધર્મયુદ્ધ) જગાવનાર આ અખબારે લોકશાહીમાં ભ્રષ્ટ રાજકારણીઓ અને પોલીસ અધિકારીના ગણવેશમાં છુપાયેલા એક શેતાન વચ્ચેની સાંઠગાંઠ સામે લગભગ બે દાયકાથી લડતા એક 'કોમનમેન'ની લડાઈને આપણી સમક્ષ પ્રક્ટ કરી છે. આ કોમનમેન એટલે આનંદ પ્રકાશ. પાંચ ફૂટ કરતાં થોડી વધારે ઊંચાઈ ધરાવતા પ્રકાશ પોતાના કે પોતાના પરિવારજનોને થયેલા અન્યાય સામે લડતા નથી. પોતાના માટે તો સહુ લડે છે, પણ સાચો મનુષ્ય તે છે જે બીજા માટે લડે છે, સમાજ માટે લડે છે.

પ્રકાશે તેમની દિકરી આરાધનાની ખાસ બહેનપણી સ્વ. રુચિકા ગિરહોત્રાને થયેલા અન્યાય સામે જેહાદ જગવી છે. એસ પી એસ રાઠોર નામના એક બેશરમ, ધૃષ્ટ અને નાલાયક પોલીસ અધિકારીએ રુચિકાને સતત ત્રણ વર્ષ માનસિક પજવણી કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હતી. આ રાક્ષસ રાઠોર અને તેને છેલ્લાં બે દાયકાથી છાવરનાર ભ્રષ્ટશાહી સામે પ્રકાશ લડી રહ્યાં છે. આ લડાઈ માટે રુચિકાના પરિવારની જેમ પ્રકાશ અને તેમના પરિવારને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ મુશ્કેલીઓ પર ઉડતી નજર કરીએ...

આનંદ પ્રકાશ હરિયાણા એગ્રિકલ્ચર માર્કેટિંગ બોર્ડમાં ચીફ એન્જિનીયર હતા. રુચિકાની લડાઈ હાથમાં લીધા પછી નિર્લજ્જ રાઠોરે તેની વગ વાપરી વારંવાર દૂર દૂરના સ્થળે બદલી કરાવી અને પ્રકાશ પરિવારનું એકથી બીજા સ્થળે સતત સ્થળાંતર...વારંવાર દિકરી આરાધનાને રાઠોરના ગુંડાઓની કનડગત..રુચિકા જેવી જ હાલત કરવાની ચેતવણી...સરકાર તરફથી ફરજિયાત નિવૃત્તિ આપી દેવી...રાઠોર અને રાજકારણીઓની આ સાંઠગાંઠ સામે અદાલતમાં બાંયો ચઢાવી.....એક તરફ સરકાર સામે નોકરી માટેની લડાઈ તો બીજી તરફ રુચિકાને ન્યાય મળે તે માટેની લડત..કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની ધમકી...તમે જાણો છો તેમણે અત્યાર સુધી કેટલી વખત કોર્ટના ચક્કર માર્યા છે? 450થી વધુ વખત...ફિલ્મ 'દામિની'માં સની દેઓલ બોલે છે તે સંવાદ યાદ આવી જાય છે..તારીખ પે તારીખ ઔર રહે જાતી હૈ સિર્ફ તારીખ...પણ આટલી બધી તારીખ પડવા છતાં પણ છેલ્લાં બે દાયકાથી રુચિકા માટેની લડાઈના જુસ્સામાં ઓટ આવી નથી...તે કહે છે કે જો આ બધી બાબતોથી તમે ગભરાઈ જશો કે કંટાળી જશો તો લડાઈ નહીં લડી શકો...ખરેખર સત્ય અને ન્યાય માટેની લડાઈ સમય, ધૈર્ય, ખંત, જુસ્સો અને મર્દાનગી માગી લે છે.

મારા 'પર્સન ઓફ ધ યર' તો આનંદ પ્રકાશ છે...જે લોકશાહી માટે લડી રહ્યાં છે, અન્યાય સામે અવાજ બુલંદ કરવાની સમાજને પ્રેરણા આપી રહ્યાં છે, સત્ય માટે સહન કરી રહ્યાં છે, ભ્રષ્ટાચાર પર ભારે પડી રહ્યાં છે, રાજકારણીઓનો અસલી ચહેરો ઉજાગર કરી રહ્યાં છે અને એક વાહિયાત અને લંપટ પોલીસ અધિકારીને તેનો અસલી ચહેરો દેખાડી રહ્યાં છે....મિત્રો તમારા 'પર્સન ઓફ ધ યર' કોણ છે?

ચલતે-ચલતેઃ સચ્ચાઈથી ઇશ્વર ખુશ થાય છે અને મેં સચ્ચાઈના માર્ગે ચાલવાવાળાને ભટકતા જોયા નથી-શેખ સાદી

Saturday, December 26, 2009

મુસ્લિમો માટે અનામત વ્યવસ્થા યોગ્ય છે?


ઇતિહાસની ભૂલોમાંથી આપણે બોધપાઠ શીખતાં નથી ત્યારે તેનું પુનરાવર્તન થાય છે. અત્યારે હિંદુસ્તાનમાં તે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે જેમાંથી પીછો છોડાવવા આપણે દેશનું વિભાજન સુદ્વાં સ્વીકારી લીધું હતું. વિભાજન પછી બંધારણીય સભાની બેઠકો યોજાઈ ત્યારે નેતાઓએ મુસ્લિમ લીગ કે મુસ્લિમ સમાજને સંતુષ્ટ કરવા બ્રિટિશ શાસન દરમિયાન કરેલી તમામ ભૂલોનો સ્વીકાર કરી તેના પર પસ્તાવો કર્યો હતો. તેમાંથી એક ભૂલ છે ધર્મના આધારે અનામત. 1909માં ધર્મના આધારે શરૂ થયેલી વ્યવસ્થાનું પરિણામ 1947માં હિંદુસ્તાનના લોહિયાળ વિભાજન સ્વરૂપે મળ્યું હતું.

યુપીએ સરકાર મુસ્લિમો માટે અલગથી અનામત વ્યવસ્થા કરવા વિચારી રહી છે. સત્તામાં આવ્યા પછી કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે મુસ્લિમ મતબેંકને જીતવા એક પછી એક જાહેરાતો કરી છે. વડાપ્રધાને તો દેશના સ્રોતો પર મુસ્લિમોનો પહેલો અધિકાર લઘુમતી સમાજનો હોવાનો દાવો સુદ્ધાં કરી દીધો છે. મુસ્લિમોના ઉત્થાન માટે 'વડાપ્રધાન 15 સૂત્રીય કાર્યક્રમ'ની જાહેરાત થઈ, સચ્ચર સમિતિની રચના થઈ અને હવે મુસ્લિમો માટે શિક્ષણ અને નોકરીઓમાં અનામત લાગૂ કરવાની વાત ચાલી રહી છે.

રંગનાથ મિશ્ર પંચે તમામ સરકારી નોકરીઓમાં 15 ટકા જગ્યા લઘુમતીઓ માટે અનામત રાખવાની ભલામણ કરી છે. તેમાંથી 10 ટકા મુસ્લિમો અને પાંચ ટકા જગ્યા અન્ય લઘુમતીઓને ફાળવવાની સૂચના આપી છે. પંચે 27 ટકા અન્ય પછાત વર્ગોમાં કોટામાંથી 8.4 ટકા જગ્યા પણ લઘુમતીઓને ફાળવવાની ભલામણ કરી છે. તેમાં છ ટકા મુસ્લિમો અને 2.8 ટકા જગ્યા અન્ય લઘુમતીઓને મળે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.

અનામતની વ્યવસ્થા બંધારણના કલમ 330થી 340 સુધી કરવામાં આવી છે, પણ તેનો આશય સદીઓથી દલિતો સાથે હિંદુ સમાજમાં તેમની સાથે થયેલા ભેદભાવને ભરપાઈ કરવાનો છે. આ માટે અનુસૂચિત જાતિ સાથે સંબંધિત 1950ના આદેશમાં અનુસૂચિત જાતિઓને હિંદુઓ પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. પાછળથી તેમાં શીખો અને બૌદ્ધોને સામેલ કરાયા છે. મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને પારસીઓને તેમાં સામેલ કરવામાં આવ્યા નથી. થોડા સમય પહેલાં જૈન સમાજે લઘુમતી વર્ગમાં સ્થાન મેળવવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી તો કોર્ટે તેને ફગાવી દીધી હતી. કોર્ટનું માનવું હતું કે આ પ્રકારની વ્યવસ્થાથી સામાજિક ભેદભાવ વધશે. હવે મુસ્લિમોને પણ અનુસૂચિત જાતિ-જનજાતિની સમકક્ષ દરજ્જો આપવાની માંગણી થઈ રહી છે અને દંભી ધર્મનિરપેક્ષ પક્ષો અને લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે.

ભારતના બંધારણમાં ધર્મના આધારે અનામતની વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી નથી. ધર્મના આધારે અનામત વ્યવસ્થા પર બંધારણ સભામાં જોરદાર દલીલ થઈ હતી. મહાત્મા ગાંધી ધર્મના આધારે અનામતના વિરોધી હતા. બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલે પણ ધર્મના આધારે અનામતનો વિરોધ કર્યો હતો. સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં કાઝી સૈયદ કરીમુદ્દીને મુસ્લિમે ધર્મના આધારે અનામતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ત્યારે સરદાર પટેલે તેનો જવાબ આ શબ્દોમાં આપ્યો હતોઃ ''મિત્રો, તમે તમારો દ્રષ્ટિકોણ બદલો અને બદલાયેલી પરિસ્થિતને અનુરૂપ બનો....તમે જે ઇચ્છતાં હતાં તે બધું મળી ગયું છે. તમને એક અલગ રાજ્ય મળી ગયું છે અને યાદ કરો, તે માટે તમે બધા જવાબદાર છો, નહીં કે તેઓ જે અત્યારે પાકિસ્તાનમાં છે. તમે પાકિસ્તાન માટે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તમને તે મળી ગયું. હવે તમારે શું જોઇએ છે? મને કંઈ સમજણ પડતી નથી. હિંદુઓની બહુમતીવાળા પ્રદેશોમાં તમે લઘુમતીઓના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. દેશનું વિભાજન થઈ ગયું. હવે તમે ફરી મને કહો છો કે નાના ભાઈનો પ્રેમ મેળવવા હું તે બાબતોનો ફરી સ્વીકાર કરું જેથી વિભાજીત ભારતનું ફરી એક વખત વિભાજન થાય. મહેરબાની કરીને તમે એટલું સમજો કે, અમારી પાસે વિવેકબુદ્ધિ છે.''

સરદાર પટેલે 28 ઓગસ્ટ, 1947ના રોજ સંસદમાં આ વક્તવ્ય બંધારણ સભાની બેઠકમાં આપ્યું હતું. બંધારણ સભા તે સમયે સંસદની ભૂમિકા ભજવતી હતી. અત્યારે તે જ સંસદમાં ધર્મના આધારે અનામતની ભલામણ કરતો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સત્તા અને મતની લાલચમાં આપણા રાજકારણીઓ બંધારણા સભાના સંકલ્પોને ભૂલી જવા થનગની રહ્યાં છે. 13 ટકા મુસ્લિમ મતોને મેળવવા ચાલતી ગળાકાપ સ્પર્ધામાં રાષ્ટ્રનો ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય ગૌણ થઈ ગયા છે.

ધર્મના આધારે અનામત વ્યવસ્થા ઊભી કરવા બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. એટલે મુસ્લિમો માટે અનામતની વ્યવસ્થા પાછલા બારણેથી કરવા સચ્ચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચે સંયુક્ત સ્વરૂપે એક ફોર્મ્યુલા શોધી કાઢી છે. સામાજિક-આર્થિક પછાતપણાના આધારે મુસ્લિમોને અનામત આપવાની તૈયારી થઈ રહી છે. ઇસ્લામમાં જાતિ વ્યવસ્થા કે અસ્પૃશ્યતાને સ્થાન નથી. મુસ્લિમ ધાર્મિક નેતા અને પરંપરાગત રાજકીય નેતૃત્વ પણ તેને સ્વીકાર કરતું નથી. પછી પછાત મુસ્લિમો અને દલિત મુસ્લિમો જેવી વાતોમાં કેટલું તથ્ય છે? મુસ્લિમ લેખકો અને દંભી ધર્મનિરપેક્ષવાદીઓનું માનવું છે કે, ભારતમાં ઇસ્લામનો પ્રસાર તલવારના જોરે નહીં પણ તેના સમતાવાદી ચારિત્ર્યના કારણે થયો છે. આ વાત સાચી હોય તો એક સમતાવાદી સમાજ અને ધર્મમાં માનતા લોકો માટે અનામત વ્યવસ્થા શું યોગ્ય છે?

Monday, November 30, 2009

સ્મિતા ઠાકરેઃ માતોશ્રીથી દસ જનપથ સુધીની સફર....


અમેરિકાના બીજા રાષ્ટ્રપ્રમુખ જોહન એડમ્સના પત્ની એબિગેઇલ એડમ્સ સ્ત્રીસ્વાતંત્ર્યના હિમાયતી હતા. તેમણે પુરુષોને એક મજાની સલાહ આપતાં કહ્યું છે કે, તમે સ્ત્રીઓ કે મહિલાઓની દરકાર નહીં કરો અને તેમને સાચવશો નહીં તો તમારે ચોક્કસ બળવાનો સામનો કરવો પડશે. મહારાષ્ટ્રના રાજકીય રંગમંચના સુપરસ્ટાર બાલસાહેબ કેશવરામ ઠાકરેને કદાચ આ વાતની જાણ નહીં હોય.

મહારાષ્ટ્રના જાણીતા ઠાકરે પરિવારના હાઇપ્રોફાઇલ પુત્રવધુ સ્મિતા ઠાકરેએ શિવસેના વિરૂદ્ધ બળવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. ગયા અઠવાડિયે તેમણે મરાઠી દૈનિક લોકસત્તામાં લેખ લખી મહારાષ્ટ્ર વિધાનસભાના ઇતિહાસમાં રાજ ઠાકરેના ગુંડાઓએ જે શરમજનક પ્રકરણ ઉમેર્યુ તે બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. આ લેખમાં તેમણે મહારાષ્ટ્રીયનોને ભાષા પ્રત્યેનું સંકુચિત વલણ છોડી અંગ્રેજી અને અન્ય ભાષાઓ પ્રત્યે નફરત ફેલાવતા પરિબળોથી દૂર રહેવાની સલાહ આપી હતી. પણ આ સલાહ પાછળનો આશય સમાજનું ભલું કરવા કરતાં અંગત ફાયદો મેળવવાનો વધારે હતો.

છેલ્લાં બે દાયકાથી માતોશ્રીમાં બાલ ઠાકરેની છત્રછાયામાં રહેતાં અને સેનાના હિંસક અને તોફાની રાજકારણનો ભરપૂર ફાયદો ઉઠાવનાર સ્મિતા ઠાકરેના આ બદલાયેલા વલણથી શિવસૈનિકો સિવાય અનેકને આશ્ચર્ય લાગ્યું હતું. તેમણે સોનિયા ગાંધી અને કોંગ્રેસીજનોનો યુવરાજ રાહુલ ગાંધીની ભરપેટ પ્રશંસા કરી ત્યારે આ લેખની પાછળનો આશય સ્પષ્ટ થયો હતો. મેડમ સ્મિતા સેના સાથે છેડો ફાડી હવે મેડમ સોનિયાના દરબારી બનવા માગે છે. માતોશ્રી છોડી તેઓ હવે દસ જનપથમાં પ્રવેશ કરવા માગે છે. નારાયણ રાણે, રાજ ઠાકરે જેવા ભૂતપૂર્વ અને મનોહર જોશી જેવા સદાબહાર શિવસૈનિકોને સ્મિતા ઠાકરેના આ વલણથી બિલકુલ આશ્ચર્ય લાગ્યું નથી.

સ્મિતા ઠાકરે પહેલેથી જ મહત્વાકાંક્ષી છે. 1985ની આજુબાજુ તેઓ સેન્ટુર હોટેલમાં રીસેપ્શનિસ્ટ હતા. આ ફાઇવ સ્ટાર હોટલમાં આવતા ધનિક અને વગદાર મહેમાનોની જેમ તેઓ હાઈ પ્રોફાઇલ સેલિબ્રિટી બનવા માગતા હતા. દરેક ધનિકની પાછળ ફરતાં સ્વામાન વગરના સ્વાર્થી જી હજુરિયા રાખવાનો તેમને પણ શોખ હતો. તે સમયે મહારાષ્ટ્રના રાજકારણમાં બાલ ઠાકરેનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો. સ્મિતાનો પરિચય બાલ ઠાકરેના બીજા નંબરના પુત્ર જયદેવ સાથે થયો. પરિચયે પ્રેમનું સ્વરૂપ ધારણ કર્યું અને સ્મિતાએ 1987માં માતોશ્રીમાં પ્રવેશ કર્યો. વર્ષ 1995માં મહારાષ્ટ્રમાં પહેલી વખત સેના-ભાજપની યુતિ સરકાર રચાઈ. તેનું રીમોટ કન્ટ્રોલ બાલાસાહેબના હાથમાં હતું, પણ ક્યારે કયા બટન દબાવવા તેનો ફેંસલો સ્મિતા ઠાકરે કરતાં હતા. કોઇક કારણસર જયદેવ પિતા બાલાસાહેબથી દૂર થઈ ગયો હતો, પણ સ્મિતાએ તેમના સસરા સાથે સારો તાલમેલ બેસાડી દીધો હતો. મહારાષ્ટ્રમાં સેના-ભાજપની સરકાર વખતે સ્મિતાનો કેટલો દબદબો હતો તેનું એક ઉદાહરણ આપું.

આ સરકારના મુખ્યમંત્રી પહેલાં મનોહર જોશી હતા. વર્ષ 1999માં તેમના સ્થાને નારાયણ રાણેને મુખ્યમંત્રી બનાવાયા હતા. રાણેને મુખ્યમંત્રી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા સ્મિતા ઠાકરેએ જ ભજવી હતી. રાણેએ પણ આ અહેસાનનો બદલો વાળ્યો હતો. તેમણે મુખ્યમંત્રી બનીને પહેલું કામ સ્મિતાના બિનસરકારી સંગઠન મુક્તિ ફાઉન્ડેશનને અંધેરીમાં 1,720 ચોરસ મીટરના એક પ્લોટની ભેટ ધરી હતી. આ જમીન મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ એક શોપિંગ સેન્ટર બનાવવા અનામત રાખી હતી અને તેમાંથી સરકારને રૂ. 50 કરોડની આવક થવાની હતી. તે સમયે આઇએએસ, આઇપીએસ અને સરકારી તંત્ર સ્મિતાના ઇશારે નાચતું હતું. બોલીવૂડ તેમના એક ફોન પર ધ્રુજી જતું હતું. તેનો એક કિસ્સો અત્યંત જાણીતો છે.

ફિલ્મના સેટ પર કાયમ મોડો પડવા માટે જાણીતા ગોવિંદાની એક ફિલ્મ હસીના માન જાયેલી થોડા વર્ષ પહેલાં આવી હતી. આ ફિલ્મનું નિર્માણ સ્મિતા ઠાકરેએ કર્યું હતું. તેના શૂટિંગમાં શરૂઆતમાં ગોવિંદો તેની આદત પ્રમાણે મોડો જ પહોંચતો હતો. આ વાતની જાણ નિર્દેશકે સ્મિતાને કરી. પછી તેમણે ગોળમટોળ ગોવિંદાને એક ફોન કર્યો. તે પછી ફિલ્મનું નિર્માણ થયું ત્યાં સુધી ગોવિંદો સેટ પર પાંચ મિનિટ વહેલા પહોંચી જતો હતો. બોલીવૂડની નાની-મોટી કોઈ પણ પાર્ટીનું પહેલું આમંત્રણ સ્મિતાને પહોંચાડવું પડતું હતું. પણ સમય હંમેશા મહેરબાન રહેતો નથી.

વર્ષ 1999 અને 2004ની વિધાનસભાની ચૂંટણીઓમાં સેના-ભાજપની હાર થઈ. 2004માં જયદેવ ઠાકરે સાથે છૂટાછેડા લીધા. જયદેવ માતોશ્રી છોડી બીજે રહેવા ચાલ્યો ગયો પણ સ્મિતાએ બાળકો સાથે શ્વસુર સાથે રહેવાનું પસંદ કર્યું. થોડા સમયે પહેલાં તેઓ જૂહુમાં એક વૈભવી મકાનમાં રહેવા ગયા છે. તેમની પોતાની હાઇપ્રોફાઇલ સેલિબ્રિટી બનવાની ઇચ્છા-આકાંક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ તેમનો દબદબો ઓછો થઈ ગયો છે. ચાલુ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં સેનાનો કારમો પરાજય થયો છે. સ્મિતા હવે પોતાનું અને પુત્ર રાહુલનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરવા માગે છે. તેમને સેનાનો સૂર્યોદય થવાની કોઈ તક દેખાતી નથી. કોંગ્રેસનો સૂર્ય ઝળહળી રહ્યો છે. કોંગ્રેસ પણ શિવસેનાને સંપૂર્ણપણે ખતમ કરવા માગે છે. રાજ ઠાકરેને ઢાલ બનાવ્યાં પછી હવે કોંગ્રેસીજનોની નજર સ્મિતા પર છે....

Saturday, November 28, 2009

પામેલાસિંહ ચૌધરી ઉર્ફે પામેલા બોર્ડેસનું સેક્સ સ્કેન્ડલ...


વાત પામેલા બોર્ડેસની છે. તમને થશે કે કોઈ વિદેશી અભિનેત્રીની વાત હશે, પણ ના આ વાત છે એક મિસ ઇન્ડિયાની. મિસ ઇન્ડિયા પામેલાસિંહ ચૌધરીની. પામેલા વર્ષ 1982માં મિસ ઇન્ડિયા બની હતી અને તેણે 1990ના દાયકાના અંતમાં બ્રિટિશ રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.

પામેલસિંહ ચૌધરી ભારતીય સેનામાં મેજર તરીકે સેવા આપી ચૂકેલા મહિન્દરસિંહ કાદ્યાનની પુત્રી છે. તેનો જન્મ વર્ષ 1961માં થયો હતો. દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાં આ સુંદર વિદ્યાર્થીનીએ અભ્યાસ દરમિયાન જ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. મિસ ઇન્ડિયા બન્યા પછી તે યુરોપ જતી રહી અને ત્યાં તેણે શસ્ત્રોના સોદાગર હેનરી બોર્ડેસ સાથે લગ્ન કર્યાં હતા.

આ દરમિયાન પામેલા બ્રિટનમાં પણ રહી. અહીં તેણે અનેક સાંસદો, મંત્રીઓ અને વિશિષ્ટ લોકો સાથે અંતરંગ સંબંધો કેળવ્યાં હતા. તેમાં બ્રિટિશ અખબાર સંડે ટાઇમ્સના સંપાદક એન્ડ્રુસ નીલ અને બ્રિટનની રમતમંત્રી કોલિન મોનીહા પણ સામેલ હતા. પામેલા પાસે હાઉસ ઓફ કોમન્સ એટલે બ્રિટનની લોકસભાનો સિક્યુરિટી પાસ હતો. આ પાસ તેણે રાજકીય વગથી મેળવ્યો હતો. અહીં પામેલા ટોરી પક્ષના સાંસદ ડેવિડ શૉના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. બ્રિટનના અખબારો ત્યારે પામેલા માટે કયો શબ્દ વાપરતા હતા જાણો છો? Alleged High Society Prostitute.

આ વિવાદ બહાર આવ્યો ત્યાં સુધી બ્રિટિશ સરકાર તેને ફક્ત એક સેક્સ કૌભાંડ જ માનતી હતી, પણ તે દરમિયાન એક વધુ ફણગો ફૂટ્યો. તે મુજબ પામેલાના સંબંધ લિબિયા સાથે હતા અને તે આ સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા દેશ તરફથી બ્રિટનમાં જાસૂસી કરતી હતી. ખરેખર વાત એમ હતી કે લિબિયાના શાસક ગદ્દાફીના એક સગા અને લિબિયા સરકારના વરિષ્ઠ અધિકાર અલ ડૈમ અને પામેલા વચ્ચે પણ અત્યંત સુંવાળા સંબંધો હતા. ડૈમને મળવા પામેલા અનેક વખત લિબિયા પણ ગઈ હતી. ઉપરાંત તેઓ બંને પેરિસની અત્યંત વૈભવી હોટેલમાં નિયમિતપણે મળતાં હતાં.

બ્રિટિશ સરકાર તેના પર દબાણ વધારતી હતી, પણ પામેલા બહુ તૈયાર હતી. તેણે એક અખબારને મુલાકાત આપી સ્ફોટક જાહેરાત કરી દીધી કે જો તે સત્ય રજૂ કરશે તો બ્રિટનની સરકાર પડી જશે. અંગ્રેજો બહુ શાણા. તેમણે સરકાર બચાવી લીધી અને સાથેસાથે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગ્રેજોની આબરુના ધજાગરા પણ ન થયા. આ કૌભાંડ પછી વર્ષો સુધી પામેલા ગાયબ થઈ ગઈ હતી. પછી ભારત આવી પ્રોફેશનલ ફોટોગ્રાફર બની ગઈ હતી...

Friday, November 27, 2009

વિનૂ માંકડથી શ્રીસંતઃ ટેસ્ટ કિક્રેટમાં વિજયની સેન્ચુરી....


સફળતા બે પ્રકારની હોય છે-એક અંગત કે વ્યક્તિગત સફળતા અને બીજી સામૂહિક સફળતા, જેને ટીમવર્ક પણ કહેવાય છે. સામૂહિક સફળતાની સરખામણીમાં અંગત સફળતા મેળવવી સહેલી છે. વ્યક્તિગત સફળતાનો આધાર મનુષ્યની પોતાની ક્ષમતા પર હોય છે જ્યારે સામૂહિક સફળતાનો આધાર ટીમના તમામ સભ્યોની સામૂહિકતાની ભાવના અને તેમની વચ્ચેના તાલમેલ પર હોય છે. અંગત સફળતા વ્યક્તિગત ક્ષમતાનું પ્રતિક છે જ્યારે સામૂહિક સફળતા ટીમ વર્ક વ્યક્ત કરે છે અને કાનપુરમાં ટીમ ઇન્ડિયાએ તેની ટેસ્ટ ક્રિકેટની અત્યાર સુધીની સફરમાં વિજયની સદી ફટકારી છેલ્લાં દાયકામાં ટીમની વધી રહેલી તાકાતના દર્શન કરાવ્યાં છે. કાનપુરના ગ્રીન પાર્કમાં ભારતીય ટીમે શ્રીલંકાની ટીમ સામે એક ઇનિંગ્સ અને 144 રને ભવ્ય વિજય મેળવી તેના એકસોમા ટેસ્ટ વિજયને યાદગાર બનાવી દીધો છે. પણ પહેલા ટેસ્ટ વિજયથી એકસોમા ટેસ્ટ વિજય સુધીની આ સફર અત્યંત સંઘર્ષમય અને રોમાચંક રહી છે.

ટીમ ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પદાર્પણ અંગ્રેજના જમાનામાં કર્યું હતું. વર્ષ 1932માં મહાત્મા ગાંધીજી અંગ્રેજો સામે સવિનય કાનૂનભંગની ચળવણ ચલાવતા હતા ત્યારે ગુલામ ભારતની પહેલી ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, પણ 1930 અને 1940ના દાયકામાં ભારતીય ટીમને એક પણ વિજય મળ્યો નહોતો. આ બંને દાયકા દરમિયાને તેને કુલ 11 ટેસ્ટમાં પરાજ્યનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમને પહેલી વખત વિજયનો સ્વાદ વિજય હઝારેના નેતૃત્વમાં ફેબ્રુઆરી, 1952 ચાખવા મળ્યો હતો. મદ્રાસમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને એક ઇનિંગ્સ અને આઠ રને હાર આપી ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો. એક આડ વાત કરી લઉં. ટીમ ઇન્ડિયાના પહેલા અને એકસોમા એમ બંને વિજયમાં થોડીઘણી સમાનતા છે.

ટીમ ઇન્ડિયાએ પહેલો વિજય મેળવ્યો એક ઇનિંગ્સ અને આઠ રને મેળવ્યો હતો તો એકસોમો વિજય પણ એક ઇનિંગ્સ અને 144 રને મેળવ્યો છે. આ બંને ટેસ્ટ મેચ ચાર દિવસમાં પૂર્ણ થઈ ગઈ છે. બંને ઐતિહાસિક મેચમાં ભારતને વિજયની વરમાળા પહેરાવવામાં બોલરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં પ્રથમ વિજયની ભેટ એક ગુજરાતી ઓલરાઉન્ડરે ધરી હતી. મૂળવંતરાય હિમ્મતલાલ માંકડ ઉર્ફે વિનૂ માંકડે ઇંગ્લેન્ડના પહેલા દાવમાં પપ રનમાં આઠ વિકેટ અને બીજા દાવમાં 53 રનમાં ચાર વિકેટ ઝડપી એમ કુલ 12 વિકેટ ઝડપી હતી. તેની જેમ જ એકસો વિજયની ભેટ પણ એક બોલરે જ ધરી છે. શ્રીસંતે મેચમાં કુલ સાત વિકેટ ધરી શ્રીલંકાની હાર નિશ્ચિત કરી દીધી હતી. મૂળ વાત પર પાછાં ફરીએ...

1950ના દાયકામાં ભારતીય ટીમને છ વિજય અને 17 પરાજ્ય મળ્યાં જ્યારે 1960ના દાયકામાં નવ વિજય અને 21 પરાજ્ય થયા હતા. 1970ના દાયકામાં ભારતીય ટીમે 10 કરતાં વધારે ટેસ્ટ મેચમાં વિજયની વરમાળા પહેરી હતી. આ દાયકામાં ભારતીય ટીમે 17 ટેસ્ટ મેચમાં વિજય અને 19 ટેસ્ટમાં પરાજ્ય મેળવ્યો હતો. ટીમ માટે 1980ના દાયકો અત્યંત ખરાબ પુરવાર થયો. આ દાયકામાં ભારતીય ટીમ કુલ 81 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં માત્ર 11 ટેસ્ટમાં તેનો વિજય થયો જ્યારે 21 મેચમાં તેને પરાજ્યનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જોકે 1990ના દાયકામાં ભારતીય ટીમ તેનો દેખાવ સુધારવામાં સફળ રહી હતી. આ દાયકામાં ટીમે 18 મેચમાં વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં વિજયની અર્ધીસદી શ્રીલંકા સામે જ જાન્યુઆરી, 1994માં લખનૌમાં પૂરી કરી હતી. આ રીતે તેને 50 ટેસ્ટ વિજય મેળવતાં 62 વર્ષ લાગ્યા હતા. જોકે તે પછી બીજા 50 ટેસ્ટ વિજય મેળવવા માત્ર 15 વર્ષ જ લાગ્યાં છે અને તેમાં પણ છેલ્લો દાયકો ભારતીય ટીમ માટે સોનેરી પુરવાર થયો છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતીય ટીમ 102 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 39 ટેસ્ટમાં તેનો વિજય થયો છે જ્યારે 27 ટેસ્ટમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી આ એકમાત્ર એવો દાયકો છે જેમાં ભારતીય ટીમે હાર કરતાં જીત વધારે મેળવી છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની ભારતનો આ છઠ્ઠો ટેસ્ટ વિજય છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલી છે. ગાંગુલીના નેતૃત્વમાં ભારતનો 21 ટેસ્ટમાં વિજય થયો છે જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીનના નેતૃત્વમાં 14, સુનીલ ગાવસ્કર અને પટૌડીના નેતૃત્વમાં નવ, રાહુલ દ્રવિડના નેતૃત્વમાં આઠ અને બિશનસિંઘ બેદીના નેતૃત્વમાં છ વિજય પ્રાપ્ત કર્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિજય ઓસ્ટ્રેલિયાએ મેળવ્યાં છે. તેણે અત્યાર સુધી 713 ટેસ્ટ મેચમાં 332 વિજય પ્રાપ્ત કર્યાં છે. ઇંગ્લેન્ડને 310, વિન્ડિઝને 152, દક્ષિણ આફ્રિકાને 120 અને પાકિસ્તાને 103 ટેસ્ટ મેચમાં વિજયની વરમાળા પહેરી છે.

Thursday, November 26, 2009

કછડો બારે માસ....


રવિવારથી ગુરુવારની રજા મળી. રજા ક્યારે મળશે તે નક્કી નહોતું. પણ રજા મળતા પિંજરામાંથી પંખી છૂટે તેમ અમદાવાદની બહાર નીકળી ગયો. આયોજન વિના અને લાંબી રજા વિના ગુજરાતની બહાર જવું શક્ય નહોતું એટલે બારે માસ રળિયામણા કછડા ભેગા થઈ જવાનું નક્કી કર્યું. એ બહાને સગાસંબંધીઓને મળવાની અને એક સામાજિક પ્રસંગે હાજરી આપવાની પણ ઇચ્છા હતી. કહેવાય છે કે-

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કછડો બારે માસ.

હા મુંજો કછડો બારે માસ. કચ્છ મને કાયમ આકર્ષે છે. ખબર નહીં પણ ત્યાં મને અજાણ્યું લાગતું નથી. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો અને ભારતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો છે. (વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો લડાખ છે) આ જિલ્લામાં દરિયો છે, અહીં ચાંદી જેવી રેતીથી પથારાયેલું રણ છે, ઊંચા-નીચા ડુંગરો છે અને તેની તળેટીમાં વસેલા રળિયામણા ગામ છે. કચ્છની પોતાની અસ્મિતા છે, પોતાનું આગવું વ્યક્તિત્વ છે. કચ્છ એટલે?

કચ્છનો સંસ્કૃત ભાષામાં અર્થ બેટ થાય છે. ભગવદ્વોમંડલમાં કચ્છના કુલ 31 અર્થ આપ્યાં છે. તેમાં પહેલો અર્થ છે આકાશનું ઢાંકણ, પાંચમો અર્થ છે કાચબાની ઢાલ, સાતમો અર્થ છે કિનારાનો પ્રદેશ, આઠમો અર્થ છે કિનારો, કાંઠો, તટ, દસમો અર્થ છે ખાડી, 15મો અર્થ છે દરિયાની ભૂમિ, 30મો અર્થ છે સિંધ અને કાઠિયાવાડ વચ્ચે આવેલો એ નામનો દેશ, 31મો અર્થ છે પાણીનું ખાબોચિયું. આ બધા અર્થ કચ્છની ભૌગલિકતા વ્યક્ત કરે છે. કચ્છમાં પ્રવેશ કરો ત્યારે માળિયાની ખાડી આવે. કચ્છની એક તરફ કાઠિયાવાડ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે. દરિયામાં ભરતી આવે ત્યારે ગુજરાતની તળભૂમિ અને કચ્છ વચ્ચે ઓછા ઊંડાણવાળો રેતાળ ભાગ પાણીથી છવાઈ જાય છે અને દરિયાના દર્શનની ભ્રાંતિ ઊભી થાય છે.

કચ્છનો ઉલ્લેખ પુરાણ કાળ જેટલો જૂનો છે. વિષ્ણુના દસ અવતાર માંહેનો બીજો અવતાર કચ્છાવતાર તરીકે જાણીતો છે. કચ્છાવતારની કથા કંઈક આવી છે. જળપ્રલય વખતે મૂલ્યવાન પદાર્થનો નાશ થયેલો જોઈ તેની શોધ માટે ભગવાન વિષ્ણુએ કૂર્મનું સ્વરૂપ ધારણ કર્યું. કૂર્મ રૂપે તેઓ ક્ષીરસાગરને તળિયે બેઠા અને સમુદ્રમંથન માટે રવૈયો બનાવેલા મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો. દેવો અને દૈત્યો બંનેએ મળીને વાસુકી નાગનું નેતરું બનાવ્યું અને મોંની તરફ દૈત્યો અને પૂછડાંની તરફ દેવોએ રહીને ક્ષીરસાગરનું મંથન કર્યું. તેમાંથી ચૌદ રત્નો નીકળ્યાં. કચ્છની વાત પર પાછાં ફરીએ.

કચ્છની બોલી કચ્છી તરીકે જાણીતા છે. તેને જાડેજી ભાષા પણ કહેવાય છે. તેની વિશેષતા એ છે કે તે બોલાય છે, પણ લખાતી નથી. તેમાં 'દ'ની જગ્યાએ 'ધ', 'મ'ને સ્થાને 'ભ' અને 'ત'ને બદલે 'દ' બોલાય છે. આ બોલી બહુ નિરાળી છે. નાના બાળકોનું કુટુંબ 'કચ્ચા કુંબા' કહેવાય છે. વિક્રમ સંવતની જેમ કચ્છી સંવત પણ છે. તેને 'કચ્ચા સંવત' કહેવાય છે. તેની શરૂઆત ઇસ્વી સન 24 કે 25થી થઈ હોવાનું મનાય છે. અત્યારે કચ્ચા સંવત 1984 કે 1985મી ચાલે છે. અહીં ઉંમરલાયક થતી કુંવારી છોકરીને 'કચ્ચી આસામી' કહેવાય છે. કચ્છી સાહિત્યના સંરક્ષણ માટે ગુજરાત સરકારે કચ્છી સાહિત્ય અકાદમીની રચના પણ કરી છે.

શનિવારે અંજાર પહોંચ્યા. અહીં મારા માસી રહે છે. રવિવારે અંજારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપી, જેસલતોરલની સમાધિ જોઈ, છત્રપાળ દાદાના દર્શન કર્યા......

મુંબઈ હુમલોઃ એક વર્ષ, અનેક સવાલ

26 નવેમ્બર એક તારીખ છે, પણ તે ફક્ત એક તવારીખ જ નથી. તેની સાથે એક ઇતિહાસ હંમેશ માટે જોડાઈ ગયો છે અને સાથેસાથે અનેક સવાલો પણ. ભલે આ ઇતિહાસ ફક્ત એક વર્ષ જૂનો હોય અને તેને યાદ કરવા કોઈ વિશેષ પ્રયાસની જરૂર ન હોય, પણ 26 નવેમ્બરને ભૂલી ન જ શકાય તે અહેસાસ પણ જરૂરી છે. એક વર્ષ અગાઉ દેશની આર્થિક રાજધાની અને માયાનગરી મુંબઈ પર નાપાક પાકિસ્તાનમાંથી દસ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ફક્ત દસ આતંકવાદીઓએ 60 કલાક આખા દેશને બાનમાં લઈ લીધો હતો. ચોક્કસ, તે અનુભવ આતંકવાદ અને આતંકવાદીઓની તાકાતનો હતો. પણ શું તે હુમલો આપણી નબળાઈનું ઉદાહરણ નહોતો?

આતંકવાદીઓ સામેના તે મુકાબલામાં આપણી બહાદુરીનો અધ્યાય પણ જોડાયેલો છે. આપણા પોલીસ કર્મચારીઓ, સૈનિકો અને નાગરિકોએ પ્રાણની આહુતિ આપી આતંકવાદનો સામનો કર્યો હતો. તે દિવસે વાતાવરણમાં ભય હતો, પણ તેની સાથેસાથે તેને પરાસ્ત કરવાનો એક જુસ્સો પણ હતો. દસ આતંકવાદીઓએ સેંકડો નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા તેની પીડા હંમેશા થશે, પણ મુંબઈવાસીઓ અને સુરક્ષા દળોએ જે હિમ્મત સાથે તે આતંકવાદીઓનો સામનો કર્યો તેના પર પણ ગર્વ થશે.

એક વર્ષ અગાઉ આતંકવાદીઓને નાપાક ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યાં પછી એક લાખથી વધારે મુંબઈવાસીઓ તાજમહલ હોટલ સામે ભેગા થયા હતા. તેમણે આતંકવાદ સામે ઝૂકી નહીં જવાના, શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જવા દેવાના અને દરેક મોરચે આતંકવાદ સામે લડવાના શપથ લીધા હતા. પણ સવાલ એ છે કે આતંકવાદ સામે મુકાબલો કરવા જે માનસિકતાની જરૂર હોય છે, તે આપણી અંદર છે? જરૂરી માનસિકતા એટલે આપણે એક હકારાત્મક વિચારસરણી વિકસિત કરીએ. આ હુમલા પછી દેશમાં રાષ્ટ્રીયતાની એક લહેર ઉઠશે તેવી આશા હતા. આપણે વધુ પ્રામાણિક બનવાનો પ્રયાસ કરીશું તેવી અપેક્ષા હતી. પણ કેટલી ઝડપથી રાષ્ટ્રપ્રેમનો જુસ્સો ઓગળી ગયો? કેટલી ઝડપથી મુંબઈ હુમલાને ભૂલી ગયા?

આપણી રાષ્ટ્રીયતા અને જવાબદારીના અહેસાસનું એક ઉદાહરણ આપણને ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું. તાજમહેલ હોટલની સામે ભેગા થઈને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લેનારા લોકોમાંથી કેટલાં લોકો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા ગયા હતા? મુંબઈના અડધા કરતાં વધારે મતદારોને આ બંને ચૂંટણીમાં મતદાન કરવું જરૂરી લાગ્યું નહોતું. એવું નથી કે દુનિયાના અન્ય લોકશાહી દેશોમાં આપણા દેશની સરખામણીમાં વધારે મતદાન થાય છે. હુમલા પછી ન્યૂસ ચેનલોના કેમેરા સામે રાજકારણીઓ વિરૂદ્ધ ગુસ્સો પ્રગટ કરનાર મુંબઈવાસીઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સારું એવું મતદાન કરશે તેવી અપેક્ષા હતી, પણ સૂરસૂરિયું થઈ ગયું. રાજકારણીઓ પણ પોતાના અંગત સ્વાર્થમાં આ હુમલાને કેવી રીતે ભૂલી ગયા તેનું એક ઉદાહરણ આપું.

મુંબઈ પર હુમલો થયો ત્યારે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી આર આર પાટિલ હતા. હુમલા પછી આ પાટિલ મહોદયે કેવું નફ્ફટ વિધાન કર્યું હતું તેને યાદ કરીએ. મુંબઈ જૈસે બડે શહેરોમાં ઐસે છોટે-છોટે હાદસે હોતે રહેતે હૈ...પાટિલસાહેબ માટે મુંબઈ હુમલો નાનો બનાવ હતો. પ્રજાને રોષને પગલે ગૃહ મંત્રી પદેથી તેમને દૂર કરાયાં હતા. પણ હમણાં ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપીને ફરી બહુમતી મળતાં પાટિલ મહાશયને ફરી ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ હુમલાને એક વર્ષ થાય તે પહેલાં તેમનું ગૃહ મંત્રી પદે પુનરાગમન થયું છે. પ્રશ્ન એ છે કે કોંગ્રેસ અને એનસીપી હુમલા સમયે પાટિલને ગૃહ મંત્રી તરીકે અયોગ્ય કે નાલાયક સમજતા હતા તો પછી તેમને ફરી ગૃહ મંત્રી શા માટે બનાવવામાં આવ્યાં?

તે ઉપરાંત અનેક પ્રશ્નો જાગે છે. એક વર્ષ અગાઉ થયેલા હુમલામાંથી આપણે શું શીખ્યા? મુંબઈ પોલીસ આ પ્રકારના હુમલાનો સામનો કરવા સજ્જ નહોતી તો શું અત્યારે તૈયાર છે? અત્યંત નબળા બુલેટપ્રૂફ જેકેટોને કારણે કુશળ પોલીસ અધિકારીઓ શહીદ થયા હતા. અત્યારે તો એ જેકેટ જ ગાયબ થઈ ગઈ છે, જેને પહેરીને આપણા એક જાંબાઝ પોલીસ અધિકારીએ તેના પ્રાણની આહૂતિ આપી હતી. સરકારે હુમલા પછી પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક બુલેટપ્રૂફ જેકેટની વ્યવસ્થા કરી છે? સરકારે મુંબઈ હુમલા માટે જાસૂસી એજન્સીઓની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી હતી તો અત્યારે આપણી જાસૂસી સંસ્થાઓ આ પ્રકારના હુમલાઓ રોકવા સક્ષમ છે? સૌથી વધુ મહત્વપૂર્ણ સવાલ એ છે કે આતંકવાદ સમજવા અને તેનો મુકાબલો કરવા જનમાનસમાં કેટલી સમજણ છે? દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા હુમલા પ્રત્યે આપણે કેટલા સાવધ છીએ?

નબળા સમાજ અને રાષ્ટ્રમાં જ આતંકવાદ મૂળિયા જમાવી શકે છે. પ્રશ્ન માત્ર બાહ્ય પરિબળો ફેલાવવામાં આવતા આતંકવાદનો જ નથી. સવાલ એ તમામ પરિબળો સામે લડવાનો છે, જે આપણા રાષ્ટ્રને નબળું બનાવે છે. ધર્મ, જાતિ, ભાષા અને પ્રાંતના નામે પોતાના રોટલાં શેકતાં નીતિભ્રષ્ટ રાજકારણીઓ પણ આપણા દેશ અને સમાજને નબળો પાડી રહ્યાં છે. એટલે આપણે આતંકવાદી હુમલાના શહીદોને સલામ કરી રહ્યાં છીએ ત્યારે પોતાના અંગત સ્વાર્થ માટે આપણને, આપણા સમાજને અને આપણા હિંદુસ્તાનને નબળો પાડતા તમામ પરિબળો સામે લડવાનો સંકલ્પ કરવો જરૂરી છે.

Wednesday, November 11, 2009

જય જય ગરવી ગુજરાત..આ આંદોલન પણ ધન્ય છે!

(ફોટો સૌજન્યઃ ગુજરાત સમાચાર)

ખરેખર આ વિરોધ પણ ધન્ય છે! આ આંદોલન પણ ધન્ય છે! ગુજરાતની સાડા પાંચ કરોડ જનતા આ વિરોધને જાણીને અને જોઇને ધન્યતા અને ભવ્યતા સિવાય બીજું શું અનુભવી શકે? છેવટે મોદીજીના ગુજરાતની યુવા પેઢીએ કંઈક કરી તો દેખાડ્યું! યુવા પેઢીનું આ પરાક્રમ પણ વાઇબ્રન્ટ છે. સવારે ઊઠીને છાપું વાંચીએ અને આ પ્રકારના સમાચાર વાંચવા મળે એટલે મોદીજીના સમૃદ્ધ અને વાઇબ્રન્ટ ગુજરાતની પડખું ફેરવતી સંસ્કૃતિના એક વધુ પાસાનું દર્શન થાય. મોદીજી, આપણા ગુજરાતની યુવા પેઢીનું આ પરાક્રમ પણ ધન્ય છે! ધન્ય છે મારી, તમારી અને આપણા બધા ગુજરાતીઓની આંખ, જેને સહજાનંદ કોલેજના યુવા વિદ્યાર્થીઓના આંદોલનના દર્શન કરવાનો મોકો મળ્યો. જય જય ગરવી ગુજરાત...

સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આંદોલન શા માટે કરે? તેમને કોઈ અન્યાય થાય અને તેનાથી સમાજ અને દેશને નુકસાન થવાની શક્યતા હોય ત્યારે વિદ્યાર્થીઓ આંદોલનરૂપી હથિયાર ઉગામે છે. યાદ કરો કે, વી પી સિંહે મંડલ પંચનો સ્વીકાર કર્યો ત્યારે દેશભરના વિદ્યાર્થીઓએ કેવું જલદ આંદોલન છેડ્યું હતું. કોઈ પ્રોફેસર ભણાવવામાં ઠાગાઠૈયા કરતો હોય, સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓનું શોષણ કરતું હોય વગેરે જેવા મુદ્દે વિદ્યાર્થીઓ આંદોલન કરે તે સ્વાભાવિક છે. પણ સંસ્થાનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓને ભણાવવા કોઈ સારો પ્રયાસ કરે ત્યારે કોલેજના વર્ગખંડને બદલે તેની બહાર કોલેજના કમ્પાઉન્ડમાં રખડવા આંદોલન કરે તેવું ક્યાંય જોયું કે સાંભળ્યું છે. પણ જગતના કદાચ આવા અભૂતપૂર્વ અને ઐતિહાસિક આંદોલન કરવાનું શ્રેય ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત સહજાનંદ કોમર્સ કોલેજને જાય છે.

ચાલો, પહેલાં તમને સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિરોધ વિશે જણાવી દઉં. વાત એમ છે કે, યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કોલેજમાં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી વર્ગખંડમાં ફરજિયાત છે. તે મુજબ કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલે જે વિદ્યાર્થીઓની હાજરી પહેલા સત્રમાં 40 ટકા કરતાં ઓછી હોય તેની સામે કડક પગલાં લેવાનું નક્કી કર્યું. પહેલાં આ પ્રકારના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કેવા હોય છે તે જાણી લઇએ.

કોલેજનાં વર્ગખંડમાં ઓછી હાજરી ધરાવતાં વિદ્યાર્થીઓની પ્રકૃતિ સામાન્ય રીતે હરાયા ઢોર જેવી હોય છે. હરાયું ઢોર એટલે નધણિયાતું કે રખડું ઢોર અને હરાયા ઢોર જેવો માણસ એટલે અમર્યાદ માણસ. જે કોઈ મર્યાદા જાણતી ન હોય કે જાણી જોઇને પાળતી ન હોય તેવી વ્યક્તિ. આ પ્રકારની મહાન હસ્તીઓ તેમને જન્મ આપીને ધન્ય થઈ ગયેલા માતાપિતાને કોલેજ જવાનું કહીને નીકળે છે, પણ કોલેજમાં આવીને વર્ગખંડમાં જતાં નથી. પણ કોલેજના મેદાનમાં અને તેની આજુબાજુ પોતાના જેવા હરાયા ઢોરનું ટોળું બનાવી વિજાતીય વ્યક્તિઓને આકર્ષવાના જ પ્રયાસમાં લાળપાડુ શ્વાનની જેમ આમતેમ હરતાં-ફરતાં હોય છે.

સહજાનંદ કોલેજના આચાર્યએ આ પ્રકારના મૂર્ખશિરોમણીઓને પહેલાં સત્રની હાજરી બીજા સત્રમાં પૂરી કરવાની સૂચના આપી. તેની બાંહેધરી સ્વરૂપે 500 રૂપિયા ડીપોઝિટ પેટે ભરવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થી બંને સત્રની હાજરી 80 ટકા પૂરી કરે એટલે આ ડીપોઝિટ પાછી. પણ આચાર્યની આ જાહેરાતથી સુખી, સમૃદ્ધિ અને વાઇબ્રન્ટ ગુજરાતની બુદ્ધિશાળી યુવા પેઢી નારાજ છે. તેઓ આચાર્યના આ કદમને વ્યક્તિ અને બૌદ્ધિક સ્વાતંત્ર્ય પર તરાપ સમાન માને છે. તેમનું કહેવું છે કે, તેમણે પરીક્ષા વર્ગખંડમાં હાજર રહીને આપવી કે ગેરહાજર રહીને આપવી તેનો નિર્ણય લેવાનો અધિકાર માત્ર વિદ્યાર્થીઓને છે, નહીં કે સંસ્થાના સંચાલકોને. આ બધા બુદ્ધિધનોએ મંગળવારે કોલેજના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સામે આંદોલન કર્યું. તેમના આ આંદોલન અને એકતાને જોઇને ઘનશ્યામભાઈ પણ ગદગદ થઈ ગયા અને તેમના આંખમાં પાણી આવી ગયું. તેમના મોંમાંથી એક જ વાક્ય સરકતું હતું-વિદ્યાર્થીમિત્રો, તમારી આ એકતા પણ ધન્ય છે! તમારો આ વિરોધ પણ ધન્ય છે!

ગાંધીજી કહેતા કે, હિંદની સંસ્કૃતિ તો કોઈ નિરાળી ચીજ છે. હવે સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓના અનોખા, વિશિષ્ટ અને ઐતહાસિક વિરોધની મોદીજીને જાણ થશે ત્યારે તેઓ તરત જ કહેશે કે-જુઓ, મોદીના ગુજરાતની સંસ્કૃતિ પણ કંઈ ઓછી નિરોળી નથી, મોદીનું ગુજરાત અભૂતપૂર્વ અને અનન્ય છે. તેઓ આ વિરોધની તસવીરના મોટા મોટા હોર્ડિગો રાજમાર્ગો પર લગાવી શકે છે. આ તસવીર પાસે તેમનો મોટો ફોટો હોય, તેમની આંગળી તે તસવીર તરફ હોય અને મોદીજી કહેતા હોય-ગુજરાતની આ યુવા પેઢી પણ ધન્ય છે, આવો, ગુજરાતની ધરા પર જન્મેલા આવા અનોખા અસહકાર આંદોલનના પ્રણેતાઓને શત્ શત્ વંદન કરીએ. ગુજરાતના આ યુવાનો સમગ્ર દેશના યુવાનોને માર્ગ ચીંધશે. જય જય ગરવી ગુજરાત....

ચલતે-ચલતેઃ સુખ-સમૃદ્ધિ સાથે સંસ્કાર આવે છે તે જરૂરી નથી

Tuesday, November 10, 2009

વંદેમાતરમ્ ખરેખર ઇસ્લામવિરોધી ગીત છે?


વર્ષ 1923. કોંગ્રેસના અધિવેશનનો શુભારંભ પરંપરાગત રીતે આઝાદીની લડાઈના બ્રહ્માસ્ત્ર 'વંદેમાતરમ્' ગીતથી થયો. પણ હિંદુસ્તાનીઓને આઝાદીની લડાઈની પ્રેરણા આપનાર આ ગીતની શરૂઆત થતાં જ કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલી જૌહરે ઊભા થઈને તેનો વિરોધ કર્યો. મહાન સ્વતંત્રતાસેનાની પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, 'મૌલાના આ કોંગ્રેસનું અધિવેશન છે, કોઈ મસ્જિદ નહીં.' તેના થોડા વર્ષ પછી મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગના એક અધિવેશનમાં મુસ્લિમોને 'વંદેમાતરમ્'નો બહિષ્કાર કરવાની અપીલ કરી. મુસ્લિમ લીગ અને મુસ્લિમો પર ઝીણોના પ્રભાવ જોઇને કોંગ્રેસે એક સમિતિની રચના કરી, જેણે 'વંદેમાતરમ્'ના બે અંતરાને રાષ્ટ્રગીત સ્વરૂપે સ્વીકાર કરવાની ભલામણ કરી અને ત્યારથી 'વંદેમાતરમ્' ના બે જ અંતરા ગવાય છે. કોંગ્રેસનું આ સમાધાનવાદી વલણ આજે પણ ચાલુ છે.

થોડા દિવસ પહેલાં જમીયત-ઉલેમા-એ-હિંદે 'વંદેમાતરમ્'ને ઇસ્લામ વિરોધી ગીત જાહેર કર્યું, મુસ્લિમોને તેના ગાનથી દૂર રહેવાનો ફતવો જાહેર કર્યો અને આ સંમેલનમાં હાજર આપણા માનનીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ચૂપકીદી સેવી લીધી. તેમણે ખુલાસો પણ કેવો હાસ્યાસ્પદ આપ્યોઃ આ ફતવો જાહેર થયો ત્યારે હું મંચ પર હાજર નહોતો...કોંગ્રેસ મુસ્લિમોને 'વંદેમાતરમ્' ગાવાનું કહેશે તેવી આશા રાખી શકાય? પ્રશ્ન એ થાય છે કે વંદમાતરમ્ ખરેખર ઇસ્લામવિરોધી ગીત છે?

મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાનમાં મૂર્તિપૂજા કે વ્યક્તિપૂજાનો વિરોધ કરવામાં આવ્યો છે. કેટલાંક મુસ્લિમો જાણી જોઇને કે અજાણપણે 'વંદેમાતરમ્'નો અર્થ મૂર્તિપૂજા સ્વરૂપે કરે છે. હકીકતમાં 'વંદેમાતરમ્'નો અર્થ છે 'મા તને સલામ, માતૃભૂમિ તને શત્ શત્ વંદન.' તેમાં માતૃભૂમિને નમસ્કારનો ભાવ છે, વંદનનો ભાવ છે અને જે રાષ્ટ્રમાં રહેતાં હોય તે રાષ્ટ્રને પ્રણામ કરવાની કોઈ પણ ધર્મમાં માનતી વ્યક્તિની ફરજ છે. સમગ્ર દેશને ભારતમાતા સ્વરૂપે વંદના કરતાં બંકિમચંદ્ર ચેટર્જીને કલ્પના પણ નહીં હોય કે આઝાદીની લડતમાં વેદ મંત્ર બની ગયેલા આ ગીતનો નાપાક મુસ્લિમો વિરોધ કરશે અને તેને ઇસ્લામવિરોધી ગણાવશે. ચોક્કસ, મુસ્લિમો એક અલ્લાહ સિવાય બીજા કોઈની બંદગી ન કરી શકે, પણ કુરાનમાં રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવાની મનાઈ નથી અને વંદમાતરમ્ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે.

'વંદેમાતરમ્'નો વિરોધ કરતાં ફતવાઉત્પાદક મુલ્લા-મૌલવીઓ કદાચ એ વાત જાણતા નથી કે વર્ષ 1992થી સંસદના સત્રની શરૂઆત 'જન ગણ મન'થી અને 'વંદેમાતરમ્'ના ગાનથી તે પૂર્ણ થાય છે. શું તેઓ હવે મુસ્લિમ સાંસદોને 'વંદેમાતરમ્'ના ગાનથી દૂર રહેવાનું ફરમાન જાહેર કરશે? આ મુલ્લા-મૌલવીઓને જાણ હોવી જોઇએ કે આ પુણ્ય-પવિત્ર રાષ્ટ્રગાનની રચનાનો આશય ધાર્મિક નહોતો, પણ અંગ્રેજોની બેડીઓમાં જકડાયેલા ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમનો દીપ પ્રગટાવવાનો હતો. અંગ્રેજોએ 1870માં ભારતીયોના માથા પર 'ગોડ સેવ ધ ક્વીન'ને રાષ્ટ્રગીત સ્વરૂપે મારવાનો પ્રયાસ કર્યો ત્યારે બંકિમચંદ્રે હિંદુસ્તાનને ભારતમાતા સ્વરૂપે જોઈ આ પ્રાર્થનાગીતની રચના કરી હતી.

વર્ષ 2002માં બીબીસીએ વિશ્વના ટોચના દસ લોકપ્રિય ગીતો વિશે 155 દેશોમાં એક સર્વે કરાવ્યો હતો, જેમાં દુનિયાના સૌથી લોકપ્રિય ગીત તરીકે બીજું સ્થાન 'વંદેમાતરમ્'ને મળ્યું હતું. પહેલું સ્થાન આયરલેન્ડના રાષ્ટ્રગીત 'એ નેશન વન્સ અગેન'ને મળ્યું હતું. 25 ઓગસ્ટ, 1948ના રોજ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નેહરુએ 'વંદેમાતરમ્'નું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે ''વંદમાતરમ્ સ્પષ્ટપણે ભારતનું મુખ્ય રાષ્ટ્રીય ગીત છે. તેની મહાન ઐતિહાસિક પરંપરા છે અને તે આઝાદાની લડાઈનું અભિન્ન અંગ છે. તેનું સ્થાન બીજું કોઈ ગીત ન લઈ શકે.'' પંડિતજીની આ વાત હાલના કોંગ્રેસીઓ જાણતા હશે?

ચલતે-ચલતેઃ ''હું કદાચ આ ગીતની લોકપ્રિયતા જોવા જીવતો રહું કે ન રહું, પણ દરેક ભારતીય આ ગીતને વેદમંત્રની જેમ ગાશે તે વાત નક્કી છે''- બંકિમચંદ્ર ચેટર્જી

Friday, November 6, 2009

कागद अब कोरे ही रहेंगे


हा, इसे हिन्दी पत्रकारिता के एक युग का अवसान ही कह सकते है। क्रिकेट और कुमार गंधर्व, राजनीति और हिन्द स्वराज-इन सभी विपरीत ध्रुव पर एक साथ साधना उन्होंने साधी। हा वो हिन्दी पत्रकारिता का उज्जवल नाम थे। जी हा, मैं प्रभाष जोशी की बात कर रहा हुं। परंपरा और आधुनिकता के साथ भविष्य पर नजर रखनेवाले पत्रकार। ऐसा लग रह है, इस क्रिकेटप्रमी को एक तरफ सचिन के 17,000 रन से खुशी हुई तो दूसरी तरफ भारत की हार का धक्का लगा। यह सिर्फ हिंदी पत्रकारिता का नुकसान नहीं है, बल्कि पूरे समाज की क्षति है। वो समाजचिंतक थे। समाज में उनके जैसे सर्वमान्य बुद्धिजीवी काफी कम है। उन्हे सभी ध्यान से पढते है। वो मेरे प्रिय पत्रकार, चिंतक और लेखकोमें से एक है।

वरिष्ठ आलोचक नामवर सिंह ने कहा कि अब कागद कारे पढ़ने को नहीं मिलेगा, कागद अब कोरे ही रहेंगे। वरिष्ठ कवि और समालोचक अशोक बाजपेयी ने कहा कि यह सिर्फ हिन्दी पत्रकारिता का नुकसान नहीं है, बल्कि हिन्दी समाज और बुद्धिजगत की भी क्षति है। जोशीजी ने अनोखी लेखनी विकसित की और पत्रकारिता के माध्यम से हिन्दी को बेहतरीन गद्य दिए। वो अभिव्यक्ति की आझादी के पैरोकार थे। प्रेस की आझादी के लिए वो लडे। मीडिया को मिशन समझनेवाले जोशीजी पत्रकारिता को स्तरहीन और पैसे बनाने की मशीन बनते देख दुःखी थे। वो जनसत्ता हिन्दी के स्थापक संपादक थे।

प्रभाषजी क्रिकेट से लेकर राजनीति तक लिखने वाले हिन्दी के शायद एक मात्र संपादक थे। उनकी राजनीति की समझ काफी गहरी थी और क्रिकेट पर वह दिल से लिखते थे। हिन्दी समाचार का विश्लेषण करने में वह लोकप्रिय नाम थे। उनके निधन के साथ ही परंपरा और आधुनिकता के साथ भविष्य दृष्टि रखने वाली निर्भीक पत्रकारिता के एक युग का अवसान हो गया। गांधीवादी होने के बावजूद क्रिकेट के प्रति उनका रागात्मक लगाव रहा जिसके चलते उनमें युवाओं जैसा जोश दिखाई देता था। हिन्दी पत्रकारिता में क्रिकेट को जोड़ना उनका एक अहम योगदान रहा। मालवी भाषा को पत्रकारिता में लाना उनका दूसरा सबसे बड़ा योगदान था। जोशी के निधन के साथ ही हिन्दी ने राजेन्द्र माथुर की पीढ़ी का सबसे सशक्त हस्ताक्षर खो दिया। हंस के संपादक राजेन्द्र यादव उनको हिन्दी का तीसरा सबसे बड़ा पत्रकार अज्ञेय और राजेन्द्र माथुर के बाद मानते है।

दिल्ली की मुख्यमंत्री और हिन्दी अकादमी दिल्ली की अध्यक्ष शीला दीक्षित ने वरिष्ठ पत्रकार प्रभाष जोशी के निधन पर गहरा शोक व्यक्त किया है। श्रीमती दीक्षित ने जोशी के निधन को गांधीवादी पत्रकारिता के शिखर पुरुष का अवदान बताया। उन्होंने कहा कि जोशी के निधन से गंभीर और जिम्मेदार पत्रकारिता में गहरा शून्य पैदा हुआ जिसकर जिसकी भरपाई संभव नहीं है।

दिल्ली की मुख्यमंत्री और हिन्दी अकादमी दिल्ली की अध्यक्ष शीला दीक्षित ने वरिष्ठ पत्रकार प्रभाष जोशी के निधन पर गहरा शोक व्यक्त किया है। श्रीमती दीक्षित ने जोशी के निधन को गांधीवादी पत्रकारिता के शिखर पुरुष का अवदान बताया। उन्होंने कहा कि जोशी के निधन से गंभीर और जिम्मेदार पत्रकारिता में गहरा शून्य पैदा हुआ जिसकर जिसकी भरपाई संभव नहीं है।

Monday, November 2, 2009

સરદાર અને ઇન્દિરાઃ એક રાજનીતિજ્ઞ, એક માત્ર રાજકારણી


ઇન્દિરા, ઇન્દિરા, ઇન્દિરા! અત્ર, તત્ર સર્વત્ર, ઇન્દિરા! 31 ઓક્ટોબરે 'પ્રિયદર્શિની' ઇન્દિરા ગાંધીની હત્યાને 25 વર્ષ પૂર્ણ થયા. અખબારો, ન્યૂસ ચેનલો, મેગેઝિન્સ..ઇન્દિરા, ઇન્દિરા, ઇન્દિરા...તમે રાષ્ટ્રીય મીડિયા પર નજર નાંખો તો એક વાત ઉડીને આંખે વળગશે કે અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની જાહેરાત સિવાય બીજે ક્યાંય દેખાયા નહોતા. કોઈ રાષ્ટ્રીય ખાનગી ન્યૂસ ચેનલ પર કે જાણીતા રાષ્ટ્રીય અખબાર કે મેગેઝિનમાં સરદાર ક્યાંય નહોતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ ઇન્દિરાને શહીદ ગણાવતી જાહેરાતની સરખામણીમાં સરદારની જાહેરાતનું કદ નાનું કરી નાંખ્યું. જોકે દિલ્હીની ગાદી પર ગાંધી પરિવાર સત્તાનશીન હોય ત્યારે આવી બાબતોની નવાઈ ન લાગવી જોઇએ. ગાંધી-નેહરુ પરિવારની એક ખાસિયત છે. તેઓ પ્રતિભા કરતાં ચમચાગિરીને વધુ પ્રાધાન્ય આપે છે અને મોતીલાલ નહેરુના વંશજોની આ નબળાઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ સિદ્ધાર્થ પટેલ બહુ સારી રીતે જાણે છે.

તેમણે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથી અને સરદાર જંયતિના દિવસે જાણી જોઇને સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીને સમકક્ષ નેતા ગણાવ્યાં. પોતાનો સ્વાર્થ સાધવા ઇતિહાસ સાથે ચેડા કરવાનો અધિકાર માત્ર કલમખોર ઇતિહાસકારોનો નથી. હવે રાજકારણીઓ પણ તેમના રંગે રંગાઈ ગયા છે. સિદ્ધાર્થ પટેલને મન સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધી વચ્ચે કોઈ ફરક નથી. તેમનું માનવું છે કે, સરદાર પટેલે દેશને એકતાંતણે બાંધ્યો અને ઇન્દિરા ગાંધીએ દેશની અખંડતા જાળવવા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તેનો સીધો અર્થ એ થયો કે સરદારે જે કામ દેશ માટે કર્યું તેવું જ કામ ઇન્દિરા ગાંધીએ તેમના શાસનકાળ દરમિયાન કર્યું. ખરેખર?

સરદારે દેશને એક કર્યો તેમાં કોઈ બેમત નથી. ચોક્કસ, તેઓ અખંડ ભારતના શિલ્પી હતા. પણ ઇન્દિરા ગાંધીએ દેશની અખંડતા જાળવવા તેમના પ્રાણનું બલિદાન આપ્યું તે વાત સંપૂર્ણપણે સાચી નથી. તેમાં અર્ધસત્ય છે અને કોંગ્રેસ સહિત અનેક વિદ્વાનો આ પ્રકારના અર્ધસત્યો આપણા માનસમાં ઘૂસાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આ વિદ્વાનો ખરેખર ગાંધી-નેહરુ દરબારના ચારણો છે અને તેઓ તેમનું બુદ્ધિધન અત્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે આગળ વધારવા ભાતભાતના પેંતરા કરવામાં વાપરી રહ્યાં છે. ગાંધીજી કહેતા કે સત્ય કરતાં અર્ધસત્ય વધારે ખતરનાક છે. કમનસીબે અત્યારે આપણા સમાજમાં અર્ધસત્ય હાવી થઈ ગયું છે.

ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા હતા તેમાં કોઈ બેમત નથી. પણ સરદાર અને ઇન્દિરાના રાષ્ટ્રપ્રેમની સરખામણી કરવી એ સરદારનું અપમાન છે. સરદાર નખશીખ રાષ્ટ્રપ્રેમી હતા. તેમના જીવનમાં વ્યક્તિગત મહત્વાકાંક્ષાને કોઈ સ્થાન નહોતું. વડાપ્રધાન કે અન્ય કોઈ પદની તેમને લાલસા નહોતી. ગાંધીજીના એક ઇશારે તેમણે દેશના વડાપ્રધાનપદને ઠોકર મારી દીધી હતી. તેમના લોખંડી મનોબળના પ્રતાપે 554 રજવાડા એકછત્ર હેઠળ આવ્યાં હતા. તેમની દ્રઢતાથી પ્રતાપે દેશ મજબૂત થયો. જ્યારે ઇન્દિરા ગાંધીના લોખંડી મનોબળ અને દ્રઢતાથી તેમના વારસદારો અને ચાટુકરો જ મજબૂત થયા હતા, દેશ તો નહીં જ. તેઓ રાષ્ટ્રપ્રેમી હતા, પણ વ્યક્તિગત મહત્વકાંક્ષાની આગળ તેમનો દેશપ્રેમ ગૌણ બની જતો હતો. બાંગ્લાદેશના સર્જન દરમિયાન તેમના રાષ્ટ્રપ્રેમના દર્શન થયા હતા, પણ કટોકટી સમયે તેમના વ્યક્તિત્વમાંથી એક સરમુખત્યારની ગંધ આવતી હતી.

સરદાર રાજનીતિજ્ઞ હતા અને ઇન્દિરા નખશીખ રાજકારણી હતા. સરદાર દીર્ઘદ્રષ્ટા હતા અને લાંબા સમયગાળે દેશના હિતને ધ્યાનમાં લઇને નિર્ણયો લેતા હતા જ્યારે ઇન્દિરા ગાંધીનું રાજકારણ સત્તાકેન્દ્રી હતું. તેઓ ટૂંકા ગાળાના વ્યક્તિગત સ્વાર્થને સંતોષવા લાંબા ગાળે દેશનું અહિત કરવાની (અ)પરિપક્વતા ધરાવતા હતા. ભિંડરાનવાલેનું સર્જન તેનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમનામાં સરદાર જેટલી હિમ્મત હતી, પણ સરદારની જેમ વૈચારિક પરિપક્વતા નહોતી.

અત્યારે મીડિયા ઇન્દિરા ગાંધીની જે સિદ્ધિઓના ભરપેટ વખાણ કરી રહ્યું છે તેમાંની મોટા ભાગની સિદ્ધિ લાંબા ગાળે રાષ્ટ્ર માટે હાનિકારક પુરવાર થઈ છે. તેમણે બાંગ્લાદેશનું સર્જન કરી દક્ષિણ એશિયામાં લોકશાહીને મજબૂત કરી હતી અને પાકિસ્તાનના ટુકડાં કરી નાંખ્યાં હતાં. પણ પછી સીમલા કરારમાં થાપ ખાઈ ગયા. એટલું જ નહીં બાંગ્લાદેશી વસાહતીઓ આજે પણ આપણા ઘરજમાઈ બનીને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપી પાકિસ્તાનના નાપાક ઇરાદા પાર પાડી રહ્યાં છે. તે જ રીતે પંજાબમાં ભિંડરાનવાલેનું સર્જન તેમણે પોતાનો રાજકીય સ્વાર્થ સંતોષવા કર્યું હતું અને તેમની હત્યા તેની ચરમસીમા હતી...

સરદાર અને ઇન્દિરા મારા પ્રિય નેતા છે, પણ બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. એક સાચા દેશપ્રેમી, રાજનીતિજ્ઞ તરીકે સરદાર વંદનીય છે, આદરણીય છે જ્યારે એક સરમુખત્યાર મહિલા રાજકારણી તરીકે ઇન્દિરા આકર્ષે છે...બાકી બંનેની સરખામણી કરીને આપણા સરદારનું અપમાન કરવા જેવું પાપ તો ન જ કરી શકાય......

Thursday, October 29, 2009

Bye Bye Shepherd...


''મને ક્રિકેટપ્રેમીઓ જાડિયા અમ્પાયર તરીકે નહીં પણ મેચ દરમિયાન સ્કોરબોર્ડ પર નેલ્સન, ડબલ નેલ્સન દેખાતા એક પગ પર કૂદકો મારતા કે નાચતાં અમ્પાયર તરીકે યાદ રાખશે.'' બાય બાય શેપર્ડ....તમારી ધારણા સાચી પડી. તમારા અવસાનના સમાચાર મળ્યાં ત્યારે ક્રિકેટપ્રેમીઓએ તમને જાડિયા અમ્પાયર તરીકે નહીં પણ 'જિગ અમ્પાયર' તરીકે જ યાદ કર્યા. તમે ક્રિકેટમાં રસ ધરાવતો હશો તો 25 ક્રિકેટરના નામ ઝડપથી બોલી જશો, પણ પાંચ અમ્પાયરના નામ યાદ કરવા વિચારવું પડશે. ક્રિકેટપ્રેમીઓના મનમસ્તિષ્કમાં ક્રિકેટરની જેમ જ અંકિત થવાનું સૌભાગ્ય બહુ ઓછા અમ્પાયરને પ્રાપ્ત થયું છે અને તેમાંના એક ડેવિડ શેપર્ડ હતા.
ઇંગ્લેન્ડના આ ભૂતપૂર્વ લોકપ્રિય અમ્પાયરે 68 વર્ષની વયે જીવલેણ બિમારી કેન્સર સામે મેદાન છોડી દીધું અને જીવનરૂપી રંગમંચને કાયમ માટે અલવિદા કહી દીધું. મિત્રો, સસ્તી લોકપ્રિયતા મેળવવી બહુ સહેલી છે અને હરામખોરો તેમાં હથોટી ધરાવતા હોય છે, પણ સન્માનપૂર્વકની લોકપ્રિયતા મેળવવી મુશ્કેલ છે, કારણ કે તેમાં વ્યક્તિને પોતાની જાત પ્રત્યે પ્રામાણિકતા દાખવવી પડે છે. ડેવિડે કાઉન્ટી ક્રિકેટર અને અમ્પાયર તરીકે સાથીદારો અને ક્રિકેટપ્રેમીઓ વચ્ચે સન્માનિય લોકપ્રિયતા મેળવી હતી. તેઓ મેદાન પર ખેલાડીઓના મિત્ર બની જતાં હતાં, પણ કોઈ ખેલાડી તેમના વિવેકને નબળાઈ સમજીને ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે તો તેને પ્રેમથી મર્યાદા દેખાડવાની આવડત પણ તેઓ ધરાવતા હતા.

થોડા સમય પહેલાં ભારત ઇંગ્લેન્ડના પ્રવાસે ગયું હતું. તે વખતે ઇંગ્લેન્ડના કેપ્ટન માઇક આર્થરટોન હતા. એજબસ્ટોનના મેદાન પર સચિન તેંડુલકર પૂરબહારમાં ખીલ્યો હતો અને અંગ્રેજી બોલરો નતમસ્તક થઈ ગયા હતા. આર્થરટોને સચિન પર માનસિક દબાણ લાવવા સ્લેજિંગ શરૂ કર્યું અને મર્યાદા વટાવી ગયો. ડેવિડને આ વાતની જાણ થતાં જ મેદાન પર જ આર્થરટોનનો ઉધડો લઈ લીધો અને ક્રિકેટ જેન્ટલમેનની રમત છે તેના પર લેક્ચર આપી દીધું હતું. તેમની પ્રામાણિકતા પર ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ને કેટલો વિશ્વાસ હતો તે વર્ષ 2001માં ઓલ્ડટ્રેફર્ડમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં જોવા મળ્યું હતું.

આ મેચ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ હતી. તે શ્રેણીમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ હતું. આ મેચમાં પાકિસ્તાનનો હાથ ઉપર હતો અને ઇંગ્લેન્ડ મેચ બચાવવા ઝઝૂમતું હતું. મેચના છેલ્લાં દિવસે ઇંગ્લેન્ડના બેટ્સમેન મેચ ડ્રોમાં ખેંચવા પાકિસ્તાનના બોલરોને લડત આપતાં હતા. પણ બન્યું એવું કે પાકિસ્તાનના ઓફ-સ્પિનર સકલીન મુસ્તાકના ત્રણ નો-બોલને પારખવામાં ડેવિડ થાપ ખાઈ ગયા અને આ ત્રણેય બોલમાં ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પડી ગઈ. ઇંગ્લેન્ડ મેચ તો હારી ગયું, પણ શ્રેણી 1-1થી સરભર થઈ ગઈ. આ આખું પ્રકરણ અંગ્રેજી મીડિયામાં ખૂબ ગાજ્યું હતું અને ડેવિડને તેમની ભૂલનો પારાવાર પસ્તાવો હતો. તેમણે ઇસીબીને પત્ર લખી માફી માગી અને અમ્પાયર તરીકે રાજીનામું આપવાની તૈયારી કરી હતી. પણ ઇસીબીએ અને તેમની ભૂલના કારણે મેચ ગુમાવેલી ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ તેમને આવું ન કરવા સમજાવ્યાં હતાં. વેસ્ટ ઇન્ડિઝનો મહાન ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોસે ઇંગ્લેન્ડમાં નિવૃત્ત થયો ત્યારે શેપર્ડના ખભા પર તેના મોટા હાથ મૂકીને રડી પડ્યો હતો. તે જ રીતે ડેવિડ બૂન પણ નિવૃત્ત થયો ત્યારે શેપર્ડની મસ્તીની ખોટ અનુભવશે તેમ કહ્યું હતું.

ખેલાડીઓનો આવો પ્રેમ મેળવનાર ડેવિડે 1983થી 2005 સુધીની 22 વર્ષની કારકિર્દીમાં 92 ટેસ્ટ મેચ અને ત્રણ વિશ્વકપની ફાઇનલ મેચની સાથે કુલ 172 ટેસ્ટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવી હતી. તેમણે વર્ષ 2005માં જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટમાં છેલ્લી વખત અમ્પાયરની ભૂમિકા અદા કરી હતી. વિદાય વેળાએ બંને ટીમના ખેલાડીઓ અને સ્ટેડિયમના તમામ દર્શકોએ ઊભા થઇને તેને અલવિદા કહ્યું હતું. તેમાં વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી બ્રાયન લારાએ તેમને એક બેટની ભેટ ધરી હતી. તેના પર લખ્યું હતું...''the service, the memories and the professionalism''

ચલતે-ચલતેઃ મને છેતરપિંડી બિલકુલ પસંદ નથી-ડેવિડ શેપર્ડ

Wednesday, October 14, 2009

IPO, OPO AND UPO....


એક કદમ પાછળ ને બે કદમ આગળ...છેલ્લાં ત્રણ મહિનામાં બજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ આવી રહી છે. સેન્સેક્સ 17,000ની સપાટી પાર કરી ગયો છે તો નિફ્ટી 5,000ની સપાટીની આસપાસ ફરી રહ્યો છે. પણ આ તેજીનો ફાયદો આ જ સમયગાળા દરમિયાન આવેલા મોટા ભાગના આઇપીઓને થયો નથી. આ ગાળામાં નવ આઇપીઓ બજારમાં આવ્યાં છે, જેમાંથી પાંચનું લિસ્ટિંગ તેમની ઇશ્યૂ પ્રાઇસ કરતાં નીચે થયું છે. તેના પગલે આઇપીઓ પ્રાઇસિંગને લઇને રોકાણકારોના પ્રશ્ન ઊભા થાય તે સ્વાભાવિક છે.
જાહેર ક્ષેત્રની કંપની નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન (એનએચપીસી)એ આઇપીઓ મારફતે બજારમાંથી રૂ. 6,000 કરોડ ઊભા કર્યાં છે. તેની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 36 હતી, પણ પહેલી સપ્ટેમ્બર, 2009ના રોજ બજારમાં લિસ્ટિંગ થયું તે પછી અત્યાર સુધી માત્ર ચાર વખત તેનો શેર ઇશ્યૂ પ્રાઇસ કરતાં વધુ કિંમતે બંધ રહ્યો છે. સોમવારે બીએસઈ તે રૂ. 33ના ભાવે બંધ રહ્યો હતો. તેના જેવી જ હાલત ગ્લોબસ સ્પિરિટ, રાજ ઓઇલ મિલ્સ, એક્સેલ ઇન્ફોવે અને પિપાવાવ શિપયાર્ડ જેવી અન્ય કંપનીઓના શેરની છે, જેમના આઇપીઓ છેલ્લાં ત્રણ મહિનામાં આવ્યાં હતાં. અદાણી પાવરની જ વાત કરીએ. અદાણી પાવરના આઇપીઓને રોકાણકારોએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો, પણ જે રોકાણકારો ટૂંકા ગાળામાં નફો રળવા માગતા હતા તેમને અપેક્ષાથી વિપરીત પરિણામ મળ્યાં છે. અદાણી પાવરનું લિસ્ટિંગ પણ ઇશ્યૂ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે થયું હતું.

આ પ્રકારના અનુભવને પગલે રીટેલ રોકાણકારો નવા આઇપીઓમાં રોકાણ કરતાં સાવચેતી દાખવી રહ્યાં છે. સોમવારે ઇન્ડિયાબુલ્સ પાવરનો આઇપીઓ આવ્યો. (ઇન્ડિયાબુલ્સ પાસે વીજક્ષેત્રમાં કામગીરીનો કોઈ અનુભવ નથી. કદાચ પબ્લિકને રૂપિયે અનુભવ લેવાનો વિચાર છે) તેના પહેલાં દિવસે તેનો આઇપીઓ છ ગણો ભરાઈ ગયો તેવી જાણકારી મળી. પણ શું તમે જાણો છો રીટેલ રોકાણકારોનું કેટલું પ્રદાન છે? આ આઇપીઓને સંસ્થાકીય રોકાણકારો (Institutional Investors)એ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 10.8 ગણો ભરાઈ ગયો છે, પણ રીટેલ રોકાણકારોનો હિસ્સો 0.37 ગણો ઓછો ભરાયો છે.
આગામી ચારથી છ મહિનામાં દસેક કંપનીઓ મેગા ઇશ્યૂ મારફતે બજારમાંથી રૂ. 20,000 કરોડ ઊભા કરવા માગે છે. તેમાંથી મોટા ભાગની કંપની રીઅલ એસ્ટેટ અને વીજ ક્ષેત્રમાં કાર્યરત છે. આ કંપનીઓના આઇપીઓમાં રીટેલ રોકાણકારોનું વલણ સાવેચતીભર્યુ હશે તે બાબત નિશ્ચિત છે. હકીકતમાં રોકાણકારોને પ્રમોટર્સના આશય વિશે હવે શંકા જન્મી છે. તેનું કારણ થોડા સમયમાં રોકાણકારોને વિવિધ આઇપીઓમાં થયેલો અનુભવ છે. ખાસ કરીને વીજકંપનીઓના પ્રમોટર્સે પ્રોજેક્ટના અમલીકરણના સ્વાભાવિક જોખમને પગલે એ પ્રકારની વ્યૂહરચના અપનાવી છે, જેમાં રોકાણકારોને ટૂંકા ગાળાના ફાયદાનો અવકાશ જ રહેતો નથી. દાખલા તરીકે, એનએચપીસીના આઇપીઓમાં રોકાણ કરનારાઓએ સારું એવું વળતર મેળવવા ઓછામાં ઓછા પાંચ વર્ષ રાહ જોવી પડશે. ઉપરાંત રિલાયન્સ પાવરના આઇપીઓનો ઘા હજુ રુઝાયો નથી. રિલાયન્સ પાવરની ઇશ્યૂ પ્રાઇસ રૂ. 450 હતી, પણ અત્યારે તેનું ટ્રેડિંગ રૂ. 165ની આસપાસ ચાલી રહ્યું છે. તેનો અર્થ એ થયો કે, કંપનીમાં લાંબા ગાળાના રોકાણકારોને અત્યારે 63.5 ટકાનું નુકસાન છે.

કોઈ કંપનીનું લિસ્ટિંગ તેની ઇશ્યૂ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે થાય ત્યારે રોકાણકારો તેના આઇપીઓને ઓપીઓ અર્થાત્ ઓવરપ્રાઇસિંગ પબ્લિક ઓફર કહે છે. તે જ રીતે લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસ કરતાં વધારે કિંમતે થાય ત્યારે તેવા આઇપીઓ માટે રોકાણકારોમાં યુપીઓ અર્થાત્ અંડરપ્રાઇસ પબ્લિક ઓફર શબ્દ પ્રચલિત છે. રિલાયન્સ પાવરના આઇપીઓમાં 46 લાખ રોકાણકારોએ ઝંપલાવ્યું હતું, પણ તેનું લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે થયું અને તેના શેરની કિંમત ગગડી ત્યારે રોકાણકારો તેને ઓપીઓ કહેતાં હતાં. પણ ખરેખર ઓપીઓ કે યુપીઓ જેવું કંઈ હોતું જ નથી. આઇપીઓમાં રોકાણ કર્યાં પછી જ રોકાણકારોને ખબર પડે છે કે કંપનીની ઓફર વાજબી હતી કે ગેરવાજબી.

ચલતે-ચલતેઃ વર્ષ 2007ની તેજીના તોખારમાં લિસ્ટિંગ થયેલી મોટા ભાગની કંપનીઓના શેર પોતાની પાસે રાખી મૂકનાર રોકાણકારો હજુ પણ મંદીના આંચકામાંથી બહાર આવી શક્યા નથી. સેન્સેક્સની આગેકૂચ ચાલુ હોવા છતાં તેમને હજુ પણ તેમનું રોકાણ પાછું મળ્યું નથી. વર્ષ 2007માં 95 કંપનીઓના આઇપીઓ આવ્યાં હતાં, જેમાંથી 58 કંપનીઓનું ટ્રેડિંગ અત્યારે તેમની ઓફર પ્રાઇસ કરતાં નીચે ચાલી રહ્યું છે.

Tuesday, September 29, 2009

કિસ્સા કુર્સી કા...


હા, કિસ્સો ખુરશીની વાતનો છે અને સાથેસાથે ખુરશીની તાકાતનો અહેસાસ પણ કરાવે છે. સત્તાધારી માણસો લોકશાહીમાં પણ પોતાની તાકાતનો દૂરપયોગ કરી અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું ગળું દબાવી દે છે તેનો પુરાવો આ કિસ્સો છે. વાત એમ છે કે, વર્ષ 1975માં એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું કિસ્સા કુર્સી કા. રાજકીય વ્યંગ્ય રજૂ કરતી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા અમૃત નાહટાએ કર્યું હતું અને ફિલ્મનું મુખ્ય પાત્ર સ્વ. ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનને મળતું આવતું હતું. વર્ષ 1975માં આ ફિલ્મ રજૂ થવાની હતી, પણ તેની પહેલાં વાજપેયીજીએ જેમને મા દુર્ગા સાથે સરખાવ્યાં હતા તેવા ઇન્દિરા અમ્માએ કટોકટી લાદી દીધી હતી અને સરકારના દબાણ હેઠળ સેન્સર બોર્ડે ફિલ્મ રજૂ થવાની લીલી ઝંડી ન આપી.

સેન્સર બોર્ડના નિર્ણયને નાહટાએ અદાલતમાં પડકાર્યો. અદાલતે ચુકાદો આપ્યો કે ફિલ્મ રજૂ થાય તે પહેલાં ન્યાયાધીશોનો દેખાડવી. પણ બન્યું એવું કે અદાલત સામે ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ તેની મૂળ પ્રિન્ટ ગાયબ થઈ ગઈ. કહેવાય છે કે, સંજય ગાંધીના ઇશારે તત્કાલિન સૂચના અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લએ મુંબઈથી ફિલ્મનો પ્રિન્ટ્સ જપ્ત કરાવી દિલ્હીની પાસે ગુડગાંવ સ્થિત મારુતિ ફેક્ટરીના સંકુલમાં રખાવી દીધી. પાછળથી બધી પ્રિન્ટ નષ્ટ કરાવી દીધી. તે પછી નાહટાનું શું થયું?

વર્ષ 1977ની ચૂંટણીમાં અમૃત નાહટા જનતા પક્ષની ટિકિટ પરથી સાંસદ બન્યા. તેમણે સંસદમાં માંગણી કરી કે, તેમની ફિલ્મની પ્રિન્ટ તેમને પાછી મળે. તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સૂચના-પ્રચારણા મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ આ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો. સીબીઆઈના સંયુક્ત સચિવ નિર્મળકુમાર સિંહે આ કેસની તપાસ કરી અને સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. કેસની સુનાવણી થઈ અને દિલ્હીની એક સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દંડ કરી સજા સંભળાવી. ગાંધી અને શુક્લએ સેશન્સ કોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો. તે સમયે મોરારાજી દેસાઈએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ચૌધરી ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી જ વડાપ્રધાનની ગાદી પર સવાર થઈ ગયા હતા. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ફિલ્મને લઇને નાહટા પોતે જ પોતાના આરોપોમાંથી ફરી ગયા. છેવટે સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવે સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લને છોડી દીધા. પણ કિસ્સા કુર્સીના મામલાનું મહત્વ શું છે?

દેશમાં અદાલતે સજા ફટકાર્યા પછી પણ આરોપીઓને ચૂંટણી લડવાની પહેલી વખત મંજૂરી મળી હતી અને બંને ઉમેદવાર જીતી પણ ગયા. વર્ષ 1977માં અમૃત નાહટાએ ફરી તે જ સ્ક્રિપ્ટ પર કિસ્સા કુર્સી નામે જ ફિલ્મ બનાવી, પણ તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ.

હકનું બીજ ફરજ છે


હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડીને હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાના નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. જે પ્રજાએ હકનું સેવન કર્યું છે તે પ્રગતિ કરી શકી નથી. તે જ પ્રજા વિકાસ સાધી શકી છે જેણે ફરજ અદા કરી છે. ફરજના પાલનમાંથી તેમને હક મળી રહ્યા. હકની આશા ન રાખનાર હક મેળવે છે અને હકની વાત કરનાર પડે છે એ ન્યાય છે.

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે.

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન જાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જ પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે.

સેન્ટર પોઇન્ટઃ પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિની ફરજના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય હોતો નથી. અધિકાર આવશ્યક હોય ત્યારે તેની મેળે દોડી આવે છે.

Wednesday, September 16, 2009

માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક

ના, આને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય. વાવણી બીજા કોઈ કરે અને લણણી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી કરે તો તેને માસ્ટરસ્ટ્રોક નહીં, મોદીસ્ટ્રોક કહેવાય. થોડી વધુ સ્પષ્ટતા કરીએ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીજીની આશ્ચર્યજનક રીતે વરણી થઈ. આપણને આશ્ચર્ય લાગ્યું, પણ બિચારા અમિત શાહને તો આંચકો લાગ્યો છે. શાહસાહેબ કો ઝટકા અર્થાત મોદીસ્ટ્રોક ક્યું લગા?

તેના માટે ભૂતકાળમાં ડોકિયું કરી લઇએ. જીસીએના પ્રમુખપદની ગાદી બહુ દૂર નથી તેનો સંકેત ચાલુ વર્ષે નરેન્દ્રકાકાને 29 મેના રોજ મળી ગયો હતો. તે દિવસે ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદની ચૂંટણી યોજાઈ હતી. તેના કુલ 171 મતમાંથી અમિત શાહના જૂથની પેનલનો 138 મત સાથે વિજય થયો હતો અને નરહરી અમીન જૂથની પેનલનો માત્ર 32 મત સાથે શરમજનક પરાજય થયો હતો. તેની સાથે જ જીસીએમાં અમીનયુગનો અંત આવ્યો હતો. રમતજગતના અભ્યાસુઓ અને જીસીએમાં થઈ રહેલી હિલચાલ પર નજર રાખતાં નિષ્ણાતો જીસીએના નવા પ્રમુખ અમિત શાહ જ બનશે તેવું દ્રઢપણે માનતા હતા. કદાચ અમિત શાહ પણ પોતાને જીસીએના પ્રમુખ જ માનતા હતા અને તેવું માને તે સ્વાભાવિક છે. તેનું કારણ ભાજપના જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું.

સૂત્રોએ જણાવ્યું કે, જીસીએમાંથી અમીન જૂથને દૂર કરવાનો વિચાર મૂળે અમિત શાહનો છે. તેઓ ક્રિકેટની રમત અને તેમાં રમતાં સટ્ટાથી સારી રીતે વાકેફ છે. મિત્રો, તેઓ ગૃહપ્રધાન હોવાના નાતે તેઓ સટ્ટા વિશે જાણકારી ધરાવે છે, બીજો કોઈ અર્થ નથી. ક્રિકેટ સોના આપતી મરઘી જેવો ધંધો (હવે તેમાં રમત ક્યારેક જ જોવા મળે છે) છે અને ગંદા હૈ પર ધંધા હૈ જેવી રમતમાં ગુજરાતના સર્વેસર્વા બનવાનું સ્વપ્ન શાહસાહેબ સેવતા હતા. અમિત શાહની ધારણા એવી હતી કે, મોદીસાહેબની નજર વડાપ્રધાનની ગાદી પર હોવાથી જીસીએની ખુરશીમાં તેમને રસ નહીં પડે. પણ તેમની ધારણા ખોટી પડી. તેમને મોદીજીનો મંત્ર ખબર નથીઃ જહાં ગાદી વહાં મોદી...પણ મોદીજીએ ઉતાવળ ન કરી. તેમને ફિલ્ડિંગ અમિત શાહને જ ભરવા દીધી. બેટિંગ કરવાનું આવશે ત્યારે મેદાનમાં ઉતરી જઇશું તેવું તેમણે નક્કી કર્યું હતું. અને થયું પણ એવું જ.

29 મેના રોજ અમીનજૂથનો પરાભવ થયો તે પછી 19 જૂનના રોજ જીસીએના સેક્રેટરી તરીકે અમીનના વિશ્વાસુ મનાતા સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું. તે પછી 22 જૂનના રોજ જીસીએની કારોબારીમાંથી સભ્યપદેથી વલસાડના કાંતિભાઈ દેસાઈ, ગાંધીનગરના મેહુલભાઈ પટેલ, સુરતના હનીફભાઈ પટેલે રાજીનામા ધરી દીધા. અમિત શાહના પ્રમુખ બનવા આડેના તમામ વિઘ્નો દૂર થઈ ગયા હતા. દરમિયાન 29 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં જીસીએની ચૂંટણી કરવાનો આદેશ આપ્યો. 15 સપ્ટેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમમાં અમિત શાહની વરણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. પણ શાહસાહેબને હજુ થોડી વધુ ધીરજ ધરવાનો આદેશ મળ્યો.

પ્રાપ્ત જાણકારી મુજબ, જીસીએમાં શાહજૂથનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો. શાહસાહેબે વાવણી કરી હતી અને લણણી કરવાની તૈયારીમાં હતા ત્યારે તેમને આંચકો લાગ્યો. મોદીસાહેબે પોતે ક્રિકેટના મેદાનમાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી. પછી શાહસાહેબ પાસે પોતાના ગળા માટે તૈયાર કરેલી વરમાળા મોદીકાકાના ગળામાં પહેરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ પ્રકારના સ્ટ્રોકને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય.

ચલતે-ચલતેઃ ક્રિકેટના મેદાનની લંબાઈ કેટલી છે તેની પણ જાણકારી ન ધરાવતા ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા થઈ ગયા છે- કિર્તી આઝાદ, ભૂતપૂર્વ ક્રિકેટર

Tuesday, September 15, 2009

'કિસ્મતવાલે' નરેન્દ્રકાકા

વીસમી સદીના અંતિમ દાયકાની શરૂઆતમાં એક હિંદી ફિલ્મ આવ્યું હતું. તેનું શીર્ષક હતું 'કિસ્મતવાલા'. નસીબદાર લોકોની ખાસિયત શું હોય છે? તેમના માટે આગળ વધવા સંજોગો અનુકૂળતા કરી આપે છે. આ પ્રકારના લોકો વિપરીત સંજોગો કે કસોટીનો સામનો પોતાની ક્ષમતા વડે કરી શકતા નથી, પણ તેમને નસીબ જ ઉગારી લે છે. ગુજરાતની નાની-મોટી કોઈ પણ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એન્ડ મંડળીનો વિજય થાય છે ત્યારે મારા મનમાં એક શબ્દ સ્ફૂરે છેઃ કિસ્મતવાલે કાકા.

ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સોમવારે ફરી એક વખત નસીબના બળિયા પુરવાર થયા. નરેન્દ્રકાકાને સ્વપ્યનેય ખ્યાલ નહોતો કે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાત બેઠકમાંથી પાંચ પર વિજય થશે. કોંગ્રેસના પરાજયથી તેઓ મોંમા આંગળી નાંખી ગયા હશે અને પોતાના પક્ષને મળેલા વિજયને લઇને મનોમન અલ્લાહનો આભાર માનતા હશે. વાત કરીએ આપણી સાડી પાંચ કરોડ ભોળીભટાક જનતાના સ્વામી નરેન્દ્રકાકાને લાગેલા વિજયી આંચકાની...

ગુજરાતમાં વર્ષ-2007ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા વિજય પછી નરેન્દ્રકાકાને વાયુ થઈ ગયો હતો. કિટલીની જેમ ગરમ રહેતી તેમની ચમચામંડળીએ પણ ચાલુ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને અડવાણી પછી વડાપ્રધાનપદના દાવેદાર જાહેર કરી દીધા. પણ ગુજરાતની જનતાનો પારાવાર પ્રેમ તેમને એમ કાંઈ ગાંધીનગર ન છોડવા દે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 20 બેઠક ભેટ ધરવાનું વચન મોદીકાકાએ આપ્યું હતું. પણ ગુજરાતીઓ સમજુ પુરવાર થયા. તેમને લાગ્યું કે આટલી બેઠકો મોદીજીને આપીશું તો તેઓ દિલ્હી ભાગી જશે અને ભાજપનો 15 બેઠક પર વિજય થયો. આ પહેલો આંચકો અને હવે વાત કરીએ બીજા આંચકાની...

લોકસભાની ચૂંટણી પછી તરત જ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી. આ ચૂંટણીને મોદીકાકાએ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો. લોકસભાની ચૂંટણીમાં પરાજય મળતાં ધુંધવાયેલા મોદી અંકલ બદલો લેવા જૂનાગઢમાં મેદાને પડ્યાં. તેમણે પાંચ મુસ્લિમોને ટિકીટ આપી અડવાણીની જેમ મુસ્લિમોના હ્રદય જીતવાનો પ્રયાસ કર્યો. મુસ્લિમ ઉમેદવારોએ ટિકીટ લીધી, મુસ્લિમ સમાજે હંમેશની જેમ દેશમાં મુસ્લિમ લીગને મળતી આવતી નીતિ ધરાવતા કોંગ્રેસને સાથ આપ્યો. જૂનાગઢમાં કોંગ્રેસનું શાસન આવ્યું. આ આંચકો પચાવે તે પહેલાં જ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના દંભી હિંદુવાદીઓને પછડાટ મળી. એક પછી એક પરાજયમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નહોતો. અહીં આપણે મોદીકાકાની એક ખાસિયત જાણી લઇએ. તેઓ વિજયનો શ્રેય લેવાનું ચૂકતાં નથી અને મુશ્કેલીમાં મોં સંતાડવાનું ભૂલતાં નથી. વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની આ ખાસિયત બહાર આવી ગઈ હતી.

આ પેટાચૂંટણીમાં જે સાત બેઠકો પર ચૂંટણી થઈ તેમાંથી છ બેઠકો કોંગ્રેસ પાસે હતી અને માત્ર એક બેઠક પર દંભી હિંદુવાદી ભાજપનો કબજો હતો. આ સંજોગોમાં કોંગ્રેસના વિજયના સંજોગો ઉજળા હતા. તેને ધ્યાનમાં રાખીને મોદીજીએ ચૂંટણીમાં રસ જ નહોતો લીધો. કોંગ્રેસની નબળાઈનો લાભ લઈ તાલુકા પંચાયતોની ચૂંટણીને પણ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવતા મોદીકાકાને પેટાચૂંટણીમાં પરાજ્ય મળવાનો ડર હતો. તેમણે બધી જવાબદારી પુરુષોત્તમ રૂપાલાને સોંપી દીધી. પણ બન્યું એવું કે કોંગ્રેસની આંતરિક ફૂટફાટ એટલી બધી જબરદસ્ત સાબિત થઈ કે ભાજપને બગાસું ખાતા પાંચ બેઠક પર પતાસું મળી ગયું.

જસદણ બેઠક પર કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાએ તેમની પુત્રી ભાવનાબહેનને ટિકીટ આપવાની જીદ કરી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આ બેઠક મેળવવા ભાજપને બહુ મહેનત કરવી નહીં પડે. હકકીતમાં અહીં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર ભરતભાઈ બોધરાને ટિકટી આપવા માગતો હતો. પણ કુંવરજીકાકાએ દિકરી માટે ટિકીટ મેળવી પણ બેઠક ગુમાવી. ભરતભાઈની ઇચ્છા પણ કોંગ્રેસની ટિકીટ પર જ ચૂંટણી લડવાની હતી. તે જ રીતે ચોટીલામાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ ઝીંઝરીયાના અવસાનથી ખાલી પડેલી બેઠક પર તેમના પુત્ર મનોજ ઝીંઝરીયાને ટિકીટ આપી સામે ચાલીને પરાજયની વરમાળા પહેરી લીધી. મનોજભાઈને રાજકારણ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. સમી-હારીજની બેઠક ભાજપે મૂળે કોંગ્રેસી અને અપરાધિક રેકર્ડ ધરાવતા ભાવસિંહ રાઠોડનો ઊભા રાખ્યાં હતા. તેની સામે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને બદલે અમદાવાદથી દિનેશ રાઠોડને ચૂંટણી લડવા મોકલ્યાં. ખરેખર જેને હાર જ મેળવવી હોય તેને કોણ રોકી શકે...દાંતા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ અહીં પક્ષે મુસ્લિમ ઉમેદવાર નુરભાઈ ઉમતિયાને ટિકીટ આપી. જૂનાગઢમાં પાંચ મુસ્લિમોને ટિકીટ આપનાર દંભી હિંદુવાદી ભાજપે અહીં અંબાજી મંદિરનો વહીવટ મુસ્લિમના હાથમાંથી રોકવા કોંગ્રેસને મત ન આપો તેવો પ્રચાર કર્યો. પછી તો જય માતાજી કરી ભોળી જનતાએ ભગવો લહેરાવી દીધો.

ખરેખર મોદીનું બુલડોઝર ફરી વળ્યું હોત (દિવ્ય ભાસ્કરની હેડલાઇન) કે મોદીનો પંજામરોડ (સંદેશની હેડલાઈન) હોત તો કોડીનારની બેઠક ભાજપ જાળવી શક્યું હોત. આ બેઠક વર્ષ 1995થી ભાજપ પાસે હતી, પણ કોંગ્રેસના ઉમેદવાર ધીરશી બારડનો વિજય થયો છે. આ વિજયથી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયેલા મોદીકાકા હવે તેનો શ્રેય લેવા મેદાને પડ્યાં છે. તેમણે આજથી વિધાનસભા પેટાચૂંટણીનો વિજયોત્સવ શરૂ થઈ રહ્યો છે. ખરેખર આ વિજયોત્સવ પણ ધન્ય છે.....જય માતાજી

Wednesday, September 9, 2009

નાઇન..નાઇન...નાઇન...નાઇન...!

ગ્રહ કેટલા છે? નવ. ખંડ કેટલાં છે? નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ કેટલા દિવસ ચાલે છે? નવ. આજે તારીખ કઈ છે? નવ. કેટલામો મહિનો ચાલે છે? નવમો. વર્ષ કયું છે? એકવીસમી સદીનું નવમું. આજે વાર કયો છે? બુધવાર. બુધવાર એટલે અંગ્રેજીમાં Wednesday. તેમાં અક્ષરોની સંખ્યા કેટલી છે? નવ. અત્યારે અંગ્રેજી કેલેન્ડરનો નવમો મહિનો September ચાલે છે. તેના અક્ષરોની સંખ્યા પણ કેટલી છે? નવ. યસ, ઇટ્સ નાઇન..નાઇન...નાઇન...નાઇન...! It's happen only in 1,000 years!

હિંદુ ધર્મમાં પવિત્ર અને ગૂઢ ગણાતો નવ એક એવો અંક છે જેનો ગુણાકાર બીજા કોઈ પણ અંક કે સંખ્યા સાથે કરો ત્યારે જે સંખ્યા મળે તેના અંકનો સરવાળો કરો તો મૂળ અંક નવ જ મળે. જેમ કે, 9 * 2 = 18 (8 + 1 =9), 9 * 3 = 27 (7 + 2 =9), 9 * 9 = 81 (1 + 8 =9). આખા અંકમાં નવનો અંક ફરતો નથી. મિત્રો પણ નવના આંક જેવો મળે તો જ મજા આવે. આ અંક જેવો અચળ અને અડગ છે તેવી રીતે મૈત્રીની ગાંઠ પણ મજબૂત અને અખંડ રહેવી જોઇએ. બે કે વધુ મિત્રોના જૂથને તોડવા તેમાં પ્રવેશી ગયેલા અને હું બધા કરતા ચડિયાતો છું તેવું દેખાડવાનો સભાનપણે સતત પ્રયાસ કરતા બગલાઓની સિફતતાપૂર્વકની ચાલોને સમજી મૈત્રીનું કવચ અખંડ રહેવું જોઇએ.

ભારતીય અંકજ્યોતિષ શાસ્ત્ર મુજબ, નવ અંક ધરાવતા જાતકો આક્રમક સ્વભાવ ધરાવે છે અને પડકાર ઝીલી લે છે. તેઓ 1,3,6 અને 9 અંક ધરાવતી વ્યક્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાય છે અને 1,3,7 અને 9 અંક ધરાવતી વ્યક્તિ સાથે પ્રેમની મજા માણી શકે છે.

નવ વિશે વિશેષ જાણકારી મેળવવા ભગવદ્ગોમંડળમાં નજર નાંખી તો નવના નવથી વધારે રસપ્રદ અર્થ જાણવા મળે છે. નવ એટલે ઉશીનર રાજાનો એક દિકરો. અત્યારે અફઘાનિસ્તાનના કંદહારની આસપાસનો પ્રદેશ ઉશીનર નામે ઓળખાતો હતો. પુરુ અને યાદવ વંશમાં ઉશીનર નામે રાજા થઈ ગયા. તેમાંથી એક રાજાના પુત્રનું નામ નવ હતું. નવ નામે એક કરવેરો પણ હતા. મધ્યયુગમાં બિકાનેર રાજ્યના તાઝીમી પટ્ટેદારો ખેડૂતો પાસેથી આ કરવેરો ઉઘરાવતાં હતા. તાઝીમી એટલે તાજીમી અને તાજીમી એટલે માનનીય.

નવ નામની એક વનસ્પતિ પણ છે,જે સામાન્ય વાતચીતમાં રાતી સાટોડી નામે ઓળખાય છે. સાટોડીની વેલ હોય છે, જે મોટા ભાગે ઉકરડા ઉપર અને વિશેષ કરીને રેતાળ જમીનમાં બહુ ઉગે છે. તેના પાન તાંદળજાની ભાજીનાં જેવા ઘટ્ટ હોય છે. તેમાં નાનાં ઘંટના આંકારનાં સફેદ, રાતાં અને ગુલાબી રંગના ફૂલ થાય છે. તેનાં મૂળ દવામાં વપરાય છે. સાટોડી મુખ્યત્વે બે પ્રકારની હોય છે-ધોળી સાટોડી અને રાતી સાટોડી. ધોળી સાટોડીના બધા અંગ ધોળા હોય છે અને તેને ધોળાં ફૂલ આવે છે જ્યારે રાતી સાટોડીને રાતાં ફૂલ આવે છે. રાતી સાટોડીનું શાક થાય છે.

નવથી શરૂ થતાં રૂઢિપ્રયોગો પણ છે. જેમ કે, નવ કુળ નાગનું ઉચ્છેદ ગયું, ત્યારે અળશિયાનું રાજ થયું, નવ ગજના નમસ્કાર, નવ ગજની જીભ, નવનું સાડીતેર થવું....Sachin Tendulkarમાં તેંદુલકરના સ્પેલિંગના અક્ષર કેટલાં છે..નવ...ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ...આ બંને શબ્દના કુલ અક્ષર કેટલાં...નવ...ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે આંદોલન કરનાર લોકનાયક જયપ્રકાશ નારાયણ..બે શબ્દ નવ અક્ષર...

Wednesday, August 12, 2009

આપણે ધાર્મિક છીએ?

ભારતના લોકો ધાર્મિક છે આવું વિધાન તમને ઠેરઠેર સાંભળવા મળશે. પણ ખરેખર આ વાત સાચી છે? મોટા ભાગના લોકો આંખો મીંચીને કહેશે જગતમાં સૌથી વધુ ધાર્મિક દેશ હિંદુસ્તાન છે. એમ? મને તો આ વાતમાં બહુ તથ્ય હોય તેવું લાગતું નથી. મારું માનવું છું કે ધર્મ એટલે બીજું કાંઈ નહીં, પણ પ્રામાણિકતા અને સદાચારયુક્ત કરુણામય જીવન. પડતાને પાટું મારે તે અધર્મ અને હાથ ઝાલીને બેઠો કરે તેનું નામ ધર્મ. આ હિસાબે ખરેખર આપણે ધાર્મિક છીએ? ક્યાંક આપણે ધાર્મિક હોવાનો ડોળ કરવાને તો ધર્મ નથી સમજી બેઠાને? દરરોજ શિવાલય જઇને શિવલિંગને દૂધ-પાણીનો અભિષેક કરવો અને બિલિપત્ર ચડાવવા એનું નામ જ ધર્મ? ઇસ્કોનના મંદિરમાં જઇને ટોળામાં હરે રામા હરે કૃષ્ણાની ધૂન પર બે હાથ ઊંચા કરીને મસ્તરામ થઈને એકબીજા પર પડતું મૂકવું એટલે ધર્મ? સત્યનારાયણ ભગવાનની કથા કરીને સોજીના લોટનો શીરાનો પ્રસાદ વહેંચવો એ જ ધર્મધુરંધર?

ધર્મ એટલે પ્રામાણિકતા અને નૈતિકતા. ધર્મ સમાજને ઉપયોગી થવાનું શીખવે છે અને સહકારની ભાવના ખીલવે છે. પણ સ્વાઇન ફ્લુએ એક વખત ફરી દેખાડી દીધું છે કે, આપણો દેશ ધાર્મિક કર્મકાંડો કરવામાં નંબર વન છે, પણ ધર્મના સિદ્ધાંતોનું પાલન કરવામાં કે જીવદયા પ્રત્યે કરુણા દાખવવામાં આપણને છેલ્લું સ્થાન મળે તો પણ કોઈ શેહશરમ નથી. સ્વાઇન ફુલ માટે જવાબદાર એચ1એન1 વાઇરસ નો ચેપ ન ફેલાય એટલે ડૉક્ટરોએ નાગરિકોને એન-95 માસ્ક પહેરવાની સલાહ આપી. આ માસ્ક હજારો-લાખોની સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તે સ્વાભાવિક છે. આ સમયે કેમિસ્ટોની ફરજ એ હતી કે તેમની પાસે જેટલા એન-95 માસ્ક ઉપલબ્ધ હોય તો તેમનો સ્વાભાવિક નફો લઇને વેંચવો. પણ થયું શું?

વૈદિક, જૈન, બૌદ્ધ, ઇસ્લામ વગેરે તમામ ધર્મો અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બાવાઓના સંપ્રદાય હારી ગયા અને લોભ જીતી ગયો. મુંબઈ, અમદાવાદ, પૂણે, નાશિક, બેંગ્લોર જેવા દેશના વિવિધ શહેરોમાં પોતપોતાના ભગવાનને દીવાબત્તી કરીને કેમિસ્ટોએ માસ્કના કાળા બજાર કર્યા. સામાન્ય રીતે એન-95 માસ્ક 300 રૂપિયામાં મળે છે, પણ પ્રજામાં ફફડાટ અને ગભરાટ જોઇને કેમિસ્ટોએ 500 રૂપિયા કરતાં વધારે કિંમતે આ માસ્કનું વેચાણ કર્યું. આટલું પૂરતું નથી. જે કેમિસ્ટ પાસે એન-95 માસ્ક નહોતા તેમણે સામાન્ય માસ્કના પણ કાળા બજાર કર્યા. પ્રજાને એન-95 માસ્ક ન મળ્યાં તો સામાન્ય માસ્ક પર તૂટી પડી. આ માસ્કની કિંમત સામાન્ય સંજોગોમાં પાંચથી દસ રૂપિયા હોય છે, પણ કેમિસ્ટોએ તેને પણ 30થી 50 રૂપિયામાં વેંચ્યા. જેવો ગ્રાહક તેવો ભાવ...આપણા ધાર્મિક દેશના આ કેમિસ્ટોએ એકથી વધુ વખત વપરાયેલા માસ્કને ભેગા કરીને તેને ધોઇને તેના પણ કાળા બજાર કર્યા. એક વખત વપરાયેલા માસ્કનો બીજી વખત ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ ખિસ્સા માટે તો લાભદાયક છે ને...

હકીકતમાં કેમિસ્ટોની ફરજ શું હતી? ગુજરાતના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે કેમિસ્ટોને માનવતા દાખવવાની અને પ્રજાને ગેરમાર્ગે ન દોરી જરૂર હોય તેને જ સામાન્ય કિંમતે માસ્ક વેંચવાની અપીલ કરી. માનવતાના નામે કરેલી અપીલને આપણા ધાર્મિક દેશની જનતા ઘોળીને પી ગઈ. ધર્મ કહે છે કે તક મળે ત્યારે જનતાની સેવા કરી લો અને સ્વાર્થી અને ભ્રષ્ટ વેપારનો સિદ્ધાંત તક મળે ત્યારે વધુમાં વધુ ફાયદો ઉઠાવી લેવાનો છે. આપણે ધાર્મિક છીએ કે સ્વાર્થમાં અંધ ધાર્મિકતાનો ડોળ કરતાં લોભી માનસિકતા ધરાવતા અમીચંદો ?

બીજું એક ઉદાહરણ આપું. આખા દેશમાં અત્યારે મોંઘવારીની હાયતોબા મચી ગઈ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ગરીબોને ખીચડી ખાવી પણ પોષાય તેમ નથી. આ મામલે સરકાર બેવડી રમત રમી રહી છે. એક તરફ તેણે દુષ્કાળના નામે ઓછું ઉત્પાદન થશે તેવું કહી હાથ ઊંચા કરી દીધા છે તો બીજી તરફ કૃષિ પ્રધાન શરદ પવારને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પણ સટ્ટો કરવાની છૂટ આપીને જનતાની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આ સંજોગોમાં દેશની જનતાએ એકબીજાને ટેકો આપવાની જરૂર છે. પણ નાના-મોટા વેપારીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોવામાં કંઈ પાપ સમજતા નથી. ખાંડનું જ ઉદાહરણ લઇએ.

જે વેપારીઓ 24થી 25 રૂપિયાની પડતર કિંમતે ખાંડ લાવ્યાં હતા તેઓ ગઇકાલ સુધી 30 રૂપિયે કિલો ખાંડ વેચતા હતા. આજે તેમણે ખાંડના ભાવ 34 રૂપિયા કરી નાંખ્યા છે. આ વિશે મારે એક વેપારી સાથે વાતચીત થઈ તો તેણે કહ્યું કે ખાંડના ભાવ વધવાના જ છે. એટલે જેટલો થાય તેટલો નફો ઘરે કરી લેવામાં જ માલ છે. આવા અનેક વેપારીઓ છે જેમણે ખાંડ અને તેના જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી રાખ્યો છે અને ભગવાનનું નામ લઇને તેને કૂદકે-ભૂસકે વધતા ભાવે વેચી રહ્યાં છે. આપણે પોતે જ કાળા બજાર કરતાં હોય ત્યારે સરકારને દોષ દેવો કેટલો યોગ્ય છે? આપણે પોતે નૈતિકતા જાળવતા નથી અને સરકાર ભ્રષ્ટ હોવાનું કહીને સત્યનારાયણ બનીને ફરવાનો ડોળ કરીએ તે કેટલું યોગ્ય છે?

ધર્મ અન્યાય સામે લડતાં શીખવાડે છે. રામાયણમાં રામ અન્યાયી રાવણનો નાશ કરવા શસ્ત્ર ઉઠાવે છે અને ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આતતાયી કૌરવોને હણીને પૃથ્વીનો ભાર હળવો કરવા અર્જુનને ગાંડીવ ધારણ કરવાની પ્રેરણા આપે છે. પણ આપણે ગીતાનો પાઠ કરવામાં અને રામાનંદ સાગરના દિકરાની રામાયણ જોવાને જ ધર્મ માનીએ છીએ. ખરેખર આપણે ધર્મને સમજવા માગતા જ નથી. આપણે પોતાને ધર્મગુરુ જ ગણીએ છીએ. આ સ્થિતિમાં સ્વાભાવિક રીતે આપણા ધર્મગુરુઓ આપણા કરતાં વધારે ચડિયાતા અને વિશિષ્ટ જ હોવાના.

મોંઘાવારીએ માઝા મૂકી છે તેમ છતાં એક પણ બાવાએ સરકારને કહ્યું નથી કે, બાપ, આ શું થવા બેઠું છે? ગરીબ માણસ ચા ને રોટલો પણ ખાઈ શકે તેમ નથી ત્યારે તમે હાથ શાને ઊંચા કરો? એકપણ બાવાઓએ નઘરોળ વેપારીઓને કાળા બજારથી દૂર રહેવાની સલાહ આપી નથી. તેમને કદાચ ડર છે કે જો વેપારીઓને સાચું કહેશે તો તેમના મહેલો જેવા આલીશાન મઠ અને મંદિરો કોણ બનાવી આપશે? સ્વાઇન ફ્લુનો સામનો કેવી રીતે કરવો કે સમલૈંગિકતા યોગ્ય છે કે અયોગ્ય કે અંબાણી બંધુઓએ ઝઘડો ન કરવાની વણમાગી સલાહ આપવાનો સમય આ બાવાઓ પાસે છે, પણ પ્રજાનું લોહી ચૂસતી આ સરકારને શોષણખોર વૃત્તિ અટકાવવાની સલાહ આપવાની હિમ્મત એક પણ ધર્મગુરુઓ પાસે નથી.

હકીકતમાં નથી આપણે ધાર્મિક, નથી આપણા ધર્મગુરુઓ ધાર્મિક. આપણે બધા સ્વાર્થી, શોષણખોર, તકવાદી અને ભ્રષ્ટ છીએ. ધર્મને નામ ધતિંગ કરતાં અમીચંદો છીએ...

Tuesday, August 11, 2009

અફઘાન સ્ત્રીઓની વેદનાનો નગ્ન ચિતારઃ मुझे उस बिस्तर में घुसना हैं, जिससे मुझे नफऱत है

જોડકણા એ કવિતા નથી અને કવિતા એ જોડકણા નથી. મોટા ભાગના જોડકણા કવિતાનું વિકૃત સ્વરૂપ છે અને તેને મારી મચડીને કવિતાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. પણ આપણને કવિતા અને જોડકણામાં બહુ સમજણ પડતી નથી અને (અદ્)ભૂત કવિતાપ્રેમીઓ જોડકણા બનાવીને યુગકવિઓ બનવા થનગની રહ્યાં છે. કવિતા શું છે? સમાજ અને તેમાં જીવતા નાગરિકોની વેદના-સંવેદનાનો નગ્ન ચિતાર. વેદના-સંવેદના ચરમ સીમાએ પહોંચે ત્યારે કવિતાનો ઘાટ બંધાય છે.

કવિતા સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્ય? સાહિત્ય જે તે યુગમાં જીવતા સમાજનો આયનો. થોડા દિવસ પહેલાં નોર્વેની યુવાન મહિલા પત્રકાર ઓસ્ને સેયેરસ્તાડનું બેસ્ટસેલર પુસ્તક 'The Bookseller of Kabul'નો હિંદી અનુવાદ 'કાબુલ કા કિતાબવાલા' ખરીદ્યું. આ પુસ્તક આજના અફઘાનિસ્તાનના સમાજની કડવી વાસ્તવિકતા રજૂ કરે છે. કોઈ પણ સમાજ કેટલો પ્રગતિશીલ છે તેની જાણકારી તે સમાજની સ્ત્રીઓની સ્થિતિ પરથી મળી જાય છે. આ પુસ્તકના કેટલાંક પ્રકરણમાં અફઘાન સ્ત્રીઓની ઇચ્છા-આકાંક્ષા, આશા-નિરાશા, પ્રેમ-નફરતનો કાવ્યાત્મક ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.

અફઘાન સમાજમાં આજે પણ પ્રેમને સૌથી મોટો અપરાધ ગણવામાં આવે છે અને તેની સજા સ્ત્રીઓને જ ભોગવવી પડે છે. કટ્ટર મુલ્લા અને મૌલવીઓ માટે સૌથી બેકાર અને નાપાક ચીજ છે પ્રેમ. પુરુષોના હ્રદયમાં પ્રેમરૂપી પુષ્પ અંકુરિત થાય તો તે માટે તેઓ કોને ગુનેહગાર ગણે છે? સ્ત્રી અને તેની સુંદરતાને. અહીં પ્રેમની સજા 'સજા-એ-મૌત' છે. યુવાન છોકરીઓનો વિક્રય થાય છે, વિનિયમ થાય છે. માલસામાનની જેમ અબ્બા-અમ્મી તેમની દિકરીઓની હરાજી કરે છે. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં એક વખત ફરી જવાનીનો જોશ અનુભવવા માગતા. અડધા દાંત પડી ગયેલા હવસખોર વૃદ્ધો ઊંચી મેહર (છોકરાવાળા છોકરીવાળાના પરિવારને ભેટસૌગાદગદ આપે છે તેને મેહર કહેવાય છે. યુવતીની સુંદરતાના આધારે તેના પરિવારને મેહર મળે છે) આપી સુંદરતાનો સોદો કરે છે. તેમાંથી જન્મે છે પીડા, ચીસ, ચિત્કાર!

અફઘાન શાયર સૈયદ બહાઉદ્દીન મજરુહે તેમની ભાભીની મદદથી અફઘાન સ્ત્રીઓની કવિતાઓ ભેગી કરી હતી. તેના બદલામાં તેમને શું મળ્યું? કટ્ટરપંથીઓએ 1988માં પેશાવરમાં તેમની હત્યા કરી નાંખી. આ કવિતાઓમાં અફઘાનની મોટા ભાગની સ્ત્રીઓનો પ્રેમી અને શૌહર (પતિ) અલગ જ હોય છે. આ સ્ત્રીઓ પોતાના શૌહર પ્રત્યને ગુસ્સો કાઢતા કહે છેઃ

बर्बर लोगों,
तुम बुढे आदमी को देख रहे हो
वो मेरे बिस्तर की तरफ बढ रहा है
और तुम,
तुम मुझसे पूछ रहे हो कि
मैं रोते हुए अपने बाल क्यों नोंच रही हूं
ओह, मेरे खुदा,
फिर से तुने मुझे
काली रात में धकेल दिया

और फिर मैं
सर से पैर तक
कांप रही हूं
मुझे उस बिस्तर में घुसना हैं,
जिससे मुझे नफऱत है
-------------------
मैं गुलाब जैसी खूबसुरत थी,
तुम्हारे नीचे दबकर मैं संतरे जैसी पीली पड गई हूं.
मुझे कभी गम का अहसास भी नहीं था,
इसलिए मैं सीधी बडी हुई, फर के पेड की तरह.

અફઘાનમાં આ કવિતાઓને 'લાંડે' કહેવાય છે, જેને અર્થ થાય છે 'લઘુ'. તેની થોડી પંક્તિઓ નાની અને લયબદ્ધ હોય છે જેને કવિ મજરુહ 'કોઈ ચીસ' કે 'ખંજરના ઘા' જેવી કહે છે. કવિતાઓમાં સ્ત્રીઓ વિદ્રોહ કરે છે. તે પોતાના પ્રેમ માટે જીવ જોખમમાં મૂકે છે અને તે પણ એવા સમાજમાં જ્યાં પ્રેમની સજા રુંવાડા ઊભા કરી દે તેવી હોય છે.

मुझे अपना हाथ दो
ए मेरे महबूब,
और हम
घास के मैदान में छुप जाएंगे.

प्यार करेंगे
या फिर
खंजर के वार से
घायल हो जाएंगे.

मैं नदी में कूदी,
लेकिन बहाव मुझे
बहा कर दूर नहीं
ले जा रहा.

मेरे शौहर की तकदीर अच्छी हैं,
मैं हंमेशा वापिस किनारे पर पटक दी जाती हूं.

कल सुबह तुम्हारे कारण
मेरी हत्या कर दी जाएगी.
फिर ये मत कहना,
तुमने मुझसे प्यार नहीं किया था.

આ કવિતાઓમાં ભરપૂર મીઠાશ છે. વ્યવહારિકતાના ત્રાજવામાં તોલ્યા વિના અફઘાન સ્ત્રીઓએ પોતાની લાગણી કવિતામાં રજૂ કરી છે. તે પુરુષોની પુરુષોની મર્દાનગીને પડકાર ફેંકતી હોય તેવું પણ લાગે છે.

बंद कर दे मेरा मुंह अपने मुंह से,
लेकिन मेरी जीभ को खुला रहने दो, ताकि यह प्यार की बात कर सके.

पहले मुझे अपनी बाहों में भर लो!
फिर अपने-आपको, मेरी मखमली जांघो में पैबस्त कर लेना.

मेरा मुंह तुम्हारा हैं, इसे खा जाओ, डरो मत!
यह कोई चीनी का नहीं बना, जो धुल जाएगा.

मेरा मुंह, इसे चूम लो,
लेकिन सुलगाओ न मुझे - मैं तो पहेली ही भीग चुकी हूं.

मैं तुम्हें जला करी खाक कर दूंगी.
बस एक पल के लिए मैं अपनी नजर तुम पर गडा दूं.

ચલતે-ચલતેઃ કવિતા આત્માને નગ્ન કરવાની પ્રક્રિયા છે. તેમાં લજ્જાને કોઈ સ્થાન નથી-ચંદ્રકાંત બક્ષી

Thursday, August 6, 2009

ગુજરાતી સાહિત્ય, ચોરીચપાટી અને બિચારા દક્ષાબહેન....


વિદ્યાર્થી એક જ પુસ્તકમાંથી ઉપાડે તો તેને ચોરી કહેવાય અને દસ, વીસ કે પચીસ પુસ્તકોમાંથી ઉપાડતા પ્રોફેસર પ્યારેલાલને સંશોધક કહેવાય! વિદ્યાર્થી ચોરી કરતાં પકડાય તો તેને ઘરે બેસવું પડે અને પ્રોફેસર પ્યારેલાલ દસ, વીસ કે પચીસ જગ્યાએથી તફડંચી કરે તો તેનો સન્માન સમારંભ યોજાય અને ઘંટપ્રસાદો ભેગા થઇને ગુરુઘંટાલને વિદ્વાન ઠેરવે! તેના કરતાં પણ વધારે રસપ્રદ ચોરીઓની વાત સાહિત્યિક ચોરચપાટીની છે. થોડા દિવસ પહેલાં સુરતના જાણીતા અખબાર 'ગુજરાતમિત્ર'એ જાહેરાત કરી કે, અખબારે યોજેલી નવલિકા સ્પર્ધામાં બિલીમોરાનાં દક્ષાબહેન પટેલને એનાયત થયેલું રૂ. 5,0000નું બીજું ઇનામ પાછું ખેંચી લેવામાં આવે છે. કેમ?

બન્યું એવું કે, ગુજરાતમિત્રએ દક્ષાબહેનને 'ગુડનાઇટ' નામની નવલિકા માટે નવલિકાસ્પર્ધાનું બીજું ઇનામ આપ્યું હતું. પણ પાછળથી ખબર પડી કે દક્ષાબહેને તો ધીરુબહેન પટેલની નવલકથા 'શીમળાનાં ફૂલ'ના પંદરમા પ્રકરણની બેઠી ઉઠાંતરી કરવાની કમાલ કરી હતી. રાકેશ રોશન બાળકોને ગમે તેવી ક્રિશ જેવી ફિલ્મો બનાવવા વિદેશી વાર્તાની ઉઠાંતરી કરી પાત્રોના નામ બદલે તેમ દક્ષાબહેને પણ કારીગીરી કરીને પાત્રોના નામ બદલી નાંખ્યા. પણ વાચકો _દૂ નથી. ધીરુબહેન પટેલના સાહિત્યના જાગૃત અભ્યાસુ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઇડ્સ વિભાગમાં કાર્યરત સ્નેહલતા ભાટિયા નામના બહેનને દક્ષાબહેનની નવલિકા વાંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. તેમણે દક્ષાબહેનની તફડંચી ઝડપી લીધી. બિચારા દક્ષાબહેન...છીંડે ચડે તે ચોર...

હકીકતમાં ગુજરાતી સાહિત્યમાં તફડંચી, ઉઠાંતરી અને ચોરચપાટી કરવાનો અધિકાર કહેવાતા તત્વચિંતકો, સિદ્ધહસ્ત લેખકો અને યુગકવિઓને જ છે. નાના માણસોને ખુલ્લા કરવા સૌ મેદાને પડે છે, પણ સાહિત્યના મોટા ભા થઇને ફરતાં બેસ્ટ સેલર તત્વચિંતકો કે યુગકવિઓ કે અખબારમાં ન સમજાય તેવું લખતાં હાંસીપાત્ર હાસ્યલેખકોના ચરણોમાં અચ્છા-અચ્છા સાહિત્યરસિકો ગૌરવપૂર્વક આળોટે છે અને કોઈ અખબારમાં કોલમ ચાલુ કરવાની રહેમ મેળવી લે છે. દક્ષાબહેનને ચોરીચપાટી કરતાં ઉગતાં જ ડામી દેવાયા છે, પણ ચોરચપાટી કરીને જ 'વીર ઉઠાંતરિયા' થઈ ગયેલા વિચારકો અને કવિઓનો બોજ તો આપણે વેઠવાનો જ છે. વીર ઉઠાંતરીના આવા એક-બે કિસ્સા જણાવું.

કવિ અનિલ જોષી ગુજરાતી સાહિત્યના પવિત્ર ભવાઈમંચ પર નવા નવા પ્રવેશ કરી રહ્યાં હતા અને કવિ દલાલ સુરેશ જૂનાં થઈ રહ્યાં હતા. તે દિવસોમાં કલકત્તામાં એક ખાનગી સમારંભ યોજાયો હતો. તેમાં અનિલ જોષીએ તેમની અપ્રકટ કવિતા 'બરફની આંગળીએ સૂરજ ચીતરવો' સંભળાવી. આ રચના દલાલસાહેબને એટલી બધી ગમી ગઈ કે તેમણે તેમાંથી પોણો હિસ્સો પોતાના નામે પોતાની કોલમમાં ચડાવી દીધો. આ વાત છાપે ચડી. વાત કલકત્તાવાસીઓના દરબારમાં પહોંચી અને ચુકાદો આવ્યો કે તે કાવ્યરૂપી સંતાનની માતા અનિલ જોષી છે. પછી શું થયું? જનસંપર્ક અભિયાન જીતી ગયું અને સમાધાન થઈ ગયું....

આપણા મહાન કવિ નર્મદ અને દલપતરામનો જ આવો એક કિસ્સો નર્મદની આત્મકથા 'મારી હકીકત'માંથી જાણવા મળે છે. બન્યું એવું હતું કે કવિ દલપતરામે એક છપ્પો લખ્યો 'ગંગા ગિરિજા દ્વૈષ કલેશ નિત તેનો થાએ.' આ છપો નર્મદના પિતાજી લાલશંકરને ગમી ગયો. તેમણે નર્મદને વાત કરી. કવિ તો બહુ અભ્યાસુ. તેમણે તરત જ તેમના પિતાજીને કહ્યું, તે મૂળ વિચાર દલાજીનો નહીં હોય. નર્મદે તે જ અર્થનો એક સંસ્કૃત શ્લોક સાંભળ્યો હતો. પછી નર્મદ અને દલપતરામ વચ્ચે જે વાત થઈ તે અક્ષરસઃ રજૂ કરું છું.

નર્મદઃ એ વિચાર તમારા પોતાના છે કે સંસ્કૃત શ્લોક પરથી લીધેલા છે? એક સંસ્કૃત શ્લોકમાં પણ તમારા જેવો જ વિચાર આપેલો છે.
દલપતરામઃ (થોડી વાર તો ચૂપ રહે છે) હા, મેં તે (વિચાર) શ્લોક ઉપરથી કર્યો છે (આ પ્રકારની ઉઠાંતરીના વિશેષ પ્રસંગો જાણવા હોય તો ચંદ્રકાન્ત બક્ષીના લેખસંગ્રહ 'શબ્દ અને સાહિત્ય'માં 'ગુજરાતી સાહિત્યમાં સાઇકલ અને એરોપ્લેનની ટક્કર' પ્રકરણ વાંચો)

તો દક્ષાબહેન ડોન્ટ વરી....સારા સારા યુગકવિઓને તેમની તફડંચી પર પહેલાં ગૌરવ હતું અને પછી....નફ્ફટ બેશરમી....ગુજરાતી સાહિત્યમાં સર્જન કરતાં પણ જનસંપર્ક અને નાગો જૂથવાદ મહત્વપૂર્ણ છે. તમારે ચોરી કરતાં પહેલાં ચોરમંડળીઓ સાથે જનસંપર્ક કેળવી લેવાની જરૂર હતી. આ મંડળીઓના આગેવાનના ચાર હાથ તમારા પર આવી જાય પછી તમે તમારી ઉઠાંતરી કરવાની લાયકાતનો ભરપૂર ફાયદો ઉઠાવી શક્યા હોત. અત્યારે તમારી પાસે ચમચામંડળી જમાવવાની અને બધાને ટુકડો-ટુકડો નાંખવાની ત્રેવડ હોય તો તમારા દરવાજે એક નહીં સો શ્વાન રખેવાળી કરશે...એકબીજાની વફાદારીની પ્રશંસા કરતાં ટપકાં પાડશે..

ચલતે-ચલતેઃ માહિતી પર કોઇના બાપનો અધિકાર નથી, પણ વિચારો પર માત્ર વિચારકોનો જ અધિકાર છે