Wednesday, November 17, 2010

દોસ્તો,
આજે સવારે ‘અક્સ’ ફિલ્મ જોઈ. અમિતાભ બચ્ચન, મનોજ વાજપેયી, રવિના ટંડન અને નંદિતા દાસ મુખ્ય ભૂમિકામાં છે અને નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મહેરાનું. ફિલ્મને બોક્સઓફિસ પર જોઈએ તેવી સફળતા મળી નહોતી. પણ મારી મનપસંદ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ એક સારો સંદેશ આપે છે. જગતમાં લૌકિક અને અલૌકિક બંને પ્રકારની શક્તિનું અસ્તિત્ત્વ છે. આપણી આસપાસ શુભ અને અશુભ તત્વો હાજર છે, દૈવી અને આસુરી તત્ત્વોનું અસિતત્ત્વ છે. દૈવી અને આસુરી બંને પ્રકારના તત્ત્વોમાં આપણને પ્રભાવિત કરવાની તાકાત છે, પણ તેનાથી પણ વધારે તાકાત આપણી ઇચ્છાશક્તિમાં છે તે સંદેશ આ ફિલ્મ આપે છે.

ફિલ્મમાં મનોજ વાજપેયીએ રઘુ નામના અપરાધીની ભૂમિકા ભજવી છે. તેને વડાપ્રધાનની હત્યા કરવાની સુપારી આપવામાં આવે છે. પોલીસ અધિકારી મનુ વર્મા એટલે કે અમિતાભ બચ્ચન તેને પકડીને ફાંસીના માંચડા સુધી પહોંચાડે છે, પણ તેનો દુષ્ટ આત્મા અમિતાભને વશ કરી લે છે. તે પછી રઘુ અમિતાભના શરીરનો ઉપયોગ કરી તેને ફાંસની સજા આપનાર જસ્ટિસ ચૌધરી અને અન્ય ત્રણ લોકોની હત્યા કરે છે. નંદિતા દાસ તેના પતિ અમિતાભના વ્યવહારમાં આવેલા પરિવર્તનને અનુભવે છે અને તેને કંઈક અજુગતું લાગે છે. છેવટે તે ધર્મનું શરણ લે છે. તે એક સ્વામીની મદદ લે છે. બંને પતિપત્ની સ્વામી પાસે જાય છે અને સ્વામી શું કરે છે?

આ સ્વામી તાંત્રિક નથી. અત્યંત ધર્મપરાયણ અને વાસ્તવવાદી છે. તેમને કોઈ સ્વાર્થ નથી કે મોહ નથી. તે અમિતાભને સમજાવે છે કે મનુષ્યની દરેક સમસ્યાનું સમાધાન તેને પોતાને જ કરવું પડે છે. ઇશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણને માર્ગ ચીંધે છે, પણ તેના પર ચાલવું તો આપણે જ પડે છે. મનુષ્યની ઇચ્છાશક્તિ જ તેની સૌથી મોટી તાકાત છે અને તેને મજબૂત બનાવવા સ્વામીજી અમિતાભને સમજાવે છે. સાથેસાથે તેઓ આસુરી આત્મા વિશે સમજાવે છે કે દિવસ દિવસ ન હોય અને રાત રાત ન હોય ત્યારે આસુરી શક્તિઓ નિર્બળ બની જાય છે. આ રીતે તેઓ અમિતાભને આ પ્રકારના સંજોગો ઊભો થાય ત્યારે રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવવાનો ઉકેલ સૂચવે છે અને છેવટે અમિતાભ રઘુની દુષ્ટ આત્મામાંથી મુક્તિ મેળવે છે.....અને આ આત્મા અમિતાભના જૂનિયર અધિકારના શરીરમાં પ્રવેશી જાય છે....અહીં ફિલ્મનો અંત આવી જાય છે...

આ ફિલ્મ સરસ સંદેશ આપે છે. જગતમાં દૈવી તત્ત્વો અને આસુરી તત્ત્વો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. જરૂર છે તેને ઓળખવાની અને શુભ તત્ત્વોને અપનાવવાની. અમિતાભ બચ્ચન અને મનોજ વાજપેયીનો દમદાર અભિનય ફિલ્મનું હાર્દ છે....ફિલ્મના સંવાદ અદ્ભૂત છે....આ ફિલ્મ બીજી વખત જોઈ....આ ફિલ્મની એક ખાસિયત છે...બીજી વખત....ત્રીજી વખત...વધુ ને વધુ વખત આ ફિલ્મ જોશો તેમ તેમ તમને સમજાશે.....

Saturday, November 13, 2010

દોસ્તો,

અરુંધતી રૉયએ કાશ્મીર માટે કરેલું વિવાદાસ્પદ વિધાન આપણે બધા જાણીએ છીએ. તેમના કહેવા મુજબ, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ક્યારેય નહોતું....તે પછી ઘણો વિવાદ થયો....અરુંધતી રૉયને લઈને બુદ્ધિજીવીઓમાં બે ભાગલા પડી ગયા છે...એક જૂથ તેમને સ્વચ્છંદી કહે છે તો બીજું જૂથ વાણી સ્વાતંત્ર્યના અધિકારનો મુદ્દો આગળ ધરીને અરુંધતીએ કશું ખોટું કર્યું નથી તેવું માને છે.....બંને જૂથના પોતપોતાના તર્ક છે, પોતપોતાની દલીલ છે....પણ દુઃખ એ વાતનું છે કે અરુંધતી સમર્થકોનું પાગલપન તમામ મર્યાદા તોડી રહ્યું છે....

'તહેલકા' નામનું એક સામયિક અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં પ્રક્ટ થાય છે....તેમાં તાજેતરમાં અરુંધતી રૉયની પ્રશંસા કરતો એક લેખ પ્રક્ટ થયો છે....તેમાં અરુંધતીને ગરીબો, આદિવાસીઓ અને મુસલમાનો માટે લડતી કરુણાની દેવી તરીકે ચિતરવામાં આવી છે.....અરુંધતીને વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કરવાનો અધિકાર છે તેવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.....અરુંધતીને 'સ્વપ્નોની રાજકુમારી' તરીકે નવાજી લોકશાહીના પ્રહરી ગણાવવામાં આવી છે.....એક વાત કબૂલ છે કે અરુંધતીને તેમના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે... પણ પ્રશ્ન એ છે કે અરુંધતી રૉયની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરવી કેટલી ઉચિત છે?

'તહેલકા' શું કહે છે કે તે પહેલાં જણાવી દઉં - 'વિડંબના એ છે કે રૉય પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હોત તો તે ઐતિહાસિક હસ્તીઓની યાદીમાં સામેલ થઈ જાત. 'યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત પોતાના વિચારોને કારણે મહાત્મા ગાંધી સામે 1922માં રાષ્ટ્રદ્રોહનો કેસ ચાલ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું, 'આ અદાલતમાં હું એ તથ્ય છુપાવવા માગતો નથી કે સરકારની વર્તમાન વ્યવસ્થા પ્રત્યે અસંતોષ ફેલાવવો મારા માટે લગભગ એક ઝનૂન બની ગયું છે....કાયદા મુજબ રાષ્ટ્રદ્રોહ જાણીજોઈને કરવામાં આવતો અપરાધ છે...પણ અત્યારે આ અપરાધ મને એક નાગરિકનું સૌથી મોટું કર્તવ્ય લાગે છે....કોઈ વ્યક્તિને કોઈ વ્યવસ્થા સારી ન લાગે તો તેને અસંતોષ વ્યક્ત કરવાની તક આપવી જોઈએ...'

કહેવાનો અર્થ એ છે કે મહાત્મા ગાંધીએ અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી તેવી જ લડત અરુંધતી અત્યારે ભારત સરકાર સામે ચલાવી રહી છે....એટલે અંગ્રેજ સરકાર જે રીતે ભારતીયોનું શોષણ કરતી હતી તેવું શોષણ અત્યારે ભારત સરકાર કાશ્મીરીઓનું કરી રહી છે....(અરુંધતી રોયએ કાશ્મીરીઓના સંદર્ભમાં વાત કરી છે...) ખરેખર આ સરખામણી નરી મૂર્ખતા છે....અરુંધતીની સરખામણી ગાંધી સાથે કરીને બાપૂના આત્મા દુભાવવા જેવું આ કૃત્ય છે.....ગરીબો માટે બાપૂએ આજીવન પોતડી ધારણ કરી હતી....સાબરમતીના કિનારે આશ્રમ બનાવીને રહેતાં હતાં.....નર્મદાના કિનારે ખેડૂતોની જમીન પચાવીને ફાઇવસ્ટાર બંગલો બનાવીને નહીં.....બસ, એક જ પ્રાર્થના છે કે અરુંધતી સમર્થકોને સન્મતિ મળે....

Tuesday, November 9, 2010

ફૂટબોલ, કાર્નિવલ, એમેઝોન અને સાંબાની દેશની ગોરિલા રાષ્ટ્રપતિ


યુવાનીમાં તેમણે ગોરિલા લડાઈ લડી, પકડાઈ ગઈ અને સેનાનો ત્રાસ વેઠ્યો. ત્રણ વર્ષ જેલમાં રહી. તેમાંથી છૂટીને અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો. પી.એચડી કરવાની ઇચ્છા હતી, પણ પૂરી ન થઈ. પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પણ ન મળી. ગ્રીક થિયેટર અને ડાન્સનો શોખ હતો અને તે પણ અધૂરો રહ્યો. રાજનીતિમાં સક્રિય થઈ અને સફળતા મળી. પહેલાં ઊર્જા મંત્રી બની. પછી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જીતી ગઈ. વાત છે બ્રાઝિલની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ ડિલ્મા રૌસેફની, જે જાન્યુઆરીમાં શપથ લેશે

રૌસેફનો જન્મ 14 જાન્યુઆરી, 1947ના રોજ થયો હતો. 14 વર્ષની વયે શિક્ષક પિતાની છત્રછાયા ગુમાવી. 16 વર્ષની વયે માર્ક્સવાદી બની. 20 વર્ષની વયે પત્રકાર ક્લાડિયો ગલીનો સાથે લગ્ન કર્યા. 1981માં છૂટાછેડા લીધા અને કાર્લોસ ફ્રેન્કલિન સાથે લગ્ન કર્યા. 30 વર્ષની વયે માતા બની. બ્રાઝિલની સૈન્ય સરમુખત્યારશાહી સામે સંઘર્ષ કરવામાં યુવાની પસાર થઈ ગઈ. અનેક જુલ્મો સહન કર્યા, સંઘર્ષ કર્યો, ઘર-પરિવાર દાવ પર લાગી ગયું અને છેવટે રાજનીતિમાં શિખર સ્પર્શી કર્યું.

ફૂટબોલ, કાર્નિવલ, એમેઝોન અને સાંબાના દેશ બ્રાઝિલની પહેલી મહિલા રાષ્ટ્રપતિ રૌસેફ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે એક બાબતમાં સામ્યતા હોવાનું કહેવાય છે. રોસૈફના વિરોધીઓનું કહેવું છે કે 'સરમુખત્યારશાહી સંઘર્ષ કરનાર રૌસેફ પોતે જ સરમુખત્યાર છે. તે લોકતાંત્રિક છે, પણ તમે તેમની સાથે સંપૂર્ણપણે સહમત હો ત્યાં સુધી.' નરેન્દ્ર મોદીના વિરોધીઓ પણ તેમના વિશે આવો જ અભિપ્રાય આપે છે. રૌસેફ અત્યંત મૂડી છે. તે જે માને છે ક્યારેક તેનાથી વિપરીત આચરણ પણ કરે છે. તેમણે બ્રાઝિલમાં ગર્ભપાતના કાયદાનું સમર્થન કર્યું છે, પણ સાથેસાથે તેઓ પોતાને 'પ્રો-લાઇફ' કાર્યકર્તા માને છે. તેમણે ગે-મેરેજનો વિરોધ કર્યો છે, પણ સજાતિય અધિકારોની હિમાયત કરી છે.

રૌસેફની સામે બ્રાઝિલના અર્થતંત્રને મજબૂત બનાવવાનો મોટો પડકાર છે. બ્રાઝિલનું અર્થતંત્ર વિશ્વનું આઠમું મોટું અર્થતંત્ર છે. તેની જીડીપી દર વર્ષે પાંચ ટકાના દરે વધી રહી છે અને તેમાં વૃદ્ધિ કરવાનો પડકાર રૌસેફને ઉઠાવવાનો છે. બ્રાઝિલમાં ગરીબ અને ધનિક વર્ગ વચ્ચેનું અંતર વધી રહ્યું છે, જેને ઓછું કરવાની જવાબદારી પણ રૌસેફ પર છે. દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની વૃદ્ધિ થઈ રહી છે, પણ સાથેસાથે વીજળીના પુરવઠાની ખેંચ છે. તે દૂર કરવા બ્રાઝિલ સરકારે વર્ષ 2020 સુધીમાં ત્રણ પરમાણુ ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. તેનો અમલ કરવા રૌસેફે કમર કસવી પડશે. દેશમાં ખાંડ મોંઘી છે, ઝૂંપડપટ્ટીઓ વધી રહી છે તેમજ દેશી-વિદેશી ઋણ વધારે છે. રૌસેફે ચૂંટણીમાં બેકારી, બેરોજગારી અનો મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું અને યુવાનોની તેમના પ્રત્યે અપેક્ષા વધી ગઈ છે....

Sunday, November 7, 2010

માયાળુ કે માયાવી?

છેલ્લાં કેટલાંક દિવસ માયાળુ શબ્દનો અર્થ જાણવાની ઇચ્છા હતી....માયાળુ એટલે માયા વાળું એટલો અર્થ જાણતો હતો....પણ તેનાથી મને સંતોષ નહોતો...છેવટે ભગવદ્ગોમંડલના શરણે ગયો....મારે બધા અર્થ જાણવા હતા...તેમાં માયાળુ શબ્દના અર્થ આ પ્રમાણે છેઃ

- સ્નેહાળ
- વહાલ રાખનારું
- કૃપાળું
- મમતાળું
- દયાથી પ્રેમાળ હ્રદયે વર્તનારું
- કુદરતી કારણોથી થતાં દુઃખોને નિવારવાનું તેમનામાં સામર્થ્ય છે

પ્રશ્ન એ છે કે માયાળું માનવી એટલે કેવો માનવી? એવો માનવી જેનામાં મારા અને તારાનો કોઈ ભેદભાવ નથી અને આ ભેદભાવ રાખ્યાં વિના જીવદયા પ્રત્યે પ્રેમભાવ રાખે છે....તે તમામ જીવો પ્રત્યે વહાલ રાખે છે...તેના આશીર્વાદ બધાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મળે છે....અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે માયાળુ માનવી પાસે કુદરતી કારણોથી થતાં દુઃખોને નિવારવાનું સામર્થ્ય હોય છે....પણ આ સામર્થ્ય ખરેખર માયાળુ માનવી પાસે જ હોય....

માયાળુ માનવી બનવાની પહેલી શરત છે કે મારા-તારાનો ભેદ છોડવો અને અહંકારનો ત્યાગ....અહંકાર હોય ત્યાં વૈરાગ્ય ન હોય....હું કલાકાર છું...લોકડાયરાનો બાદશાહ છું...મારા ચરણમાં ભલભલા મસ્તક નમાવે છે...મેં જગતના ઊંચા ઊંચા ટાવર પરથી ભાષણ આપ્યું છે, પ્રવચન આપ્યું છે....આહાહા....કેટલો અંહકાર....આવો ભાવ હોય અને પાછો માયાળુ માનવી!...આને માયાળુ નહીં માયાવી માણસ કહેવાય....પણ આજકાલ માયાળુ અને માયાવી માણસ વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ સમાજે ગુમાવી દીધી છે....બગલા હંસ બનીને ફરે છે...ને આવા બગભગતોને સરકારી સાધુસંતો પોતાની સાથે લઈને ફરે છે....કોઈની કવિતા ગાઈ સંભળાવતો કાગ અત્યારે કલાપી કહેવાય છે....

હું આવા બગભગતને જાણું છું.....મેં તેની બધી લીલા નિહાળી છે....તે સતત માનપાન ઝંખે છે...પ્રસિદ્ધ પામવાની એક પણ તક તેણે છોડી નથી....પોતાને લોકડાયરાનો બાદશાહ ગણે છે અને લોકડાયરાના અન્ય કલાકારોની પીઠ પાછળ ટીકા કરવામાં આ માણસે કશું બાકી રાખ્યું નથી...થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરમાં રામકથાનું આયોજન થયું હતું ત્યારે તેણે આ સંત કે બાપૂ વિશે ઘસાતું બોલવામાં બાકી રાખ્યું નહોતું....તેના કામ જેટલા લોકોએ કર્યા છે તેના પર તેણે અપકાર કર્યા છે....તેનું જે લોકોએ કામ કર્યુ તેનો પાડ માનવાની જગ્યાએ તેણે ગાળો ભાંડી છે.....આવા માણસને માયાળુ કહેવાય કે માયાવી?

છેલ્લે માયાવી એટલેઃ
- મિથ્યા
- પ્રપંચી
- કપટી
- મયદાનવનો પુત્ર....

સચિન મહાન કે બ્રેડમેન?

દોસ્તો....

સચિન અને બ્રેડમેનમાંથી કોણ વધારે મહાન બેટ્સમેન? પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ઝહીર અબ્બાસના મતે બ્રેડમેન કરતાં સચિન વધારે મહાન બેટ્સમેન છે. ઝહીર અબ્બાસ સિત્તેરના દાયકામાં 'એશિયન બ્રેડમન' અને 'રનમશીન' તરીકે જાણીતા હતા. અબ્બાસનું કહેવું છે કે સચિન બ્રેડમેન કરતાં એક કદમ આગળ નીકળી ગયો છે....સચિન છેલ્લાં 21 વર્ષથી રમતના મેદાન પર દ્રઢ છે...સચિને રનનો ઢગલો કરી નાંખ્યો છે...સચિન 'સદીઓની સદી' ફટકારવાની નજીક છે....

સચિનની સરખામણી સતત બ્રેડમેન, લારા, પોન્ટિંગ સાથે થાય છે અને મોટા ભાગના ક્રિકેટરો તથા વિવેચકોનું કહેવું છે કે સચિન સર્વકાલિન મહાન બેટ્સમેન છે. ચોક્કસ, સચિન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. પણ કોઈ પણ ક્ષેત્રમાં એક વ્યક્તિ જે કામગીરી કે દેખાવ કરે તેવો દેખાવ કે તેવી કામગીરી એ જ ક્ષેત્રમાં બીજી વ્યક્તિએ કરી દેખાડી હોય તેવું મારી જાણમાં નથી. સચિનનો સમય જુદો છે અને બ્રેડમેનનો સમય જુદો હતો...

બ્રેડમેનના સમયમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ ક્રિકેટ રમતાં હતા અને તે પણ ટેસ્ટ ક્રિકેટ....અત્યારે દુનિયાના 10 દેશ ટેસ્ટ ક્રિકેટ રમવાની માન્યતા ધરાવે છે....બ્રેડમેનનાસમયમાં ક્રિકેટ ફક્ત ક્રિકેટને ખાતર રમવામાં આવતું હતું જ્યારે અત્યારે ક્રિકેટ રમવા પાછળ ક્રિકેટની રમતનો આનંદ લૂંટવા સિવાય અન્ય હેતુઓ પણ છે..બ્રેડમેનના સમયમાં ક્રિકેટ ફક્ત રમત હતી જ્યારે અત્યારે ક્રિકેટ રમત કરતાં વ્યવસાય વધારે છે....સચિન અને બ્રેડમેનની સરખામણી થઈ જ ન થઈ શકે...શા માટે?

અનેક પ્રશ્નો જે નિરુત્તર છે.....જેમ કે, બ્રેડમેનના જમાનામાં સચિન ક્રિકેટ રમતો હોત તો બ્રેડમેન જેટલી સરેરાશ સાથે રન બનાવી શક્યો હોત? તે જ રીતે બ્રેડમેન અત્યારે ક્રિકેટ રમતા હોત તો સચિન જેટલો રનનો ઢગલો ખડકી શક્યાં હોત? સચિનની જેમ સદીસમ્રાટ બની શક્યા હોત? અને સૌથી વધુ મહત્વપૂર્ણ સચિનની જેમ ચાહકોની અપેક્ષાના દબાણ હેઠળ સચિનની જેમ 21 વર્ષ સુધી મેદાન પર દ્રઢ રહી શક્યા હોત?

હકીકતમાં આ બંને મહાન બેટ્સમેન વિશે એટલું જ કહી શકાય કે તેમની બેટિંગ શૈલીમાં સામ્યતા છે અને તેઓ તેમના યુગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે...

નૂતન વર્ષાભિનંદન....

દોસ્તો,

નૂતન વર્ષાભિનંદન.....આપ સહુના જીવનમાં સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના....સુખ અને શાંતિ સાથે સમૃદ્ધિ આવકારદાયક છે...વધુ એક વર્ષ વિદાય થયું અને નવા વર્ષનું આગમન થયું.....ચાલો નવા વર્ષમાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ અપનાવીએ....દરેક વ્યક્તિ જીવન પ્રત્યે બે પ્રકારનો અભિગમ ધરાવે છે...હકારાત્મક (Positive) અને નકારાત્મક (Negative)....કોઈ પણ કાર્ય હાથ ધરશો તો તેમાં સફળ થશો અથવા નિષ્ફળતા મેળવશો....સફળતા મળે ત્યારે છકી ન જવું અને વધુ સારું કામ કરવા સજ્જ થવું તેનું નામ હકારાત્મક અભિગમ...અને નકારાત્મક અભિગમ એટલે? નિષ્ફળતા મળે ત્યારે નાસીપાસ થવું અને બીજા પર દોષનો ટોપલો ઢોળવો....

* * * * *

આજકાલ સફળતા શબ્દની બોલબોલા છે....પણ સફળતા એટલે શું તે સમજવાની ફુરસદ ભાગ્યે જ કોઈની પાસે છે....અભિનેતા બનવા માગતા કલાકારો માટે મહાનાયક અમિતાભ બચ્ચન સફળતાનો માપદંડ છે તો ક્રિકેટર બનવા માગતા યુવાનો માટે સચિન તેંડુલકર....રાજકારણમાં કાઠું કાઢવા માટે યુવા કાર્યકારો નરેન્દ્ર મોદી જેવા સફળ રાજકારણી બનવા માગે છે તો કોઈ મહેનતુ કોંગ્રેસી કાર્યકર સોનિયા મેડમનો દરબારી બની ધન્ય થવા માગે છે.....પોલીસ અધિકારી બનવા માગતા યુવાનો માટે કિરણ બેદી સફળતાની પારાશીશી છે તો બેડમિન્ટન સ્ટાર બનવા માગતી યુવતી માટે સાનિયા નેહવાલ...અને ગુજરાતી લેખક માટે સફળતા એટલે? ચંદ્રકાંત બક્ષીની લેખનશૈલીની નકલ કરીને તેમના જેવી લોકચાહના મેળવવી! (કોઈને ખોટું લાગે તો એક...બેને સાડા ત્રણ)

હકીકતમાં જે તે ક્ષેત્રમાં સૌથી વધુ સંપત્તિ, માનપાન અને પ્રસિદ્ધ મેળવનાર વ્યક્તિ જેટલી સંપત્તિ અને પ્રસિદ્ધિ મેળવવી એટલે સફળતા એવું અત્યારે મોટાભાગના લોકો માને છે...પણ એક વ્યક્તિને પ્રાપ્ત થયેલી સફળતા અને લોકચાહના જેટલી સફળતા અને લોકોનો પ્રેમ બીજી વ્યક્તિને મળવો અશક્ય છે...અમિતાભનું સ્થાન મેળવવા ઘાંઘા થયેલા શાહરૂખને હાંસીપાત્ર થવું પડ્યું છે તેનાથી કોણ અજાણ છે...જે તે ક્ષેત્રમાં ટોચ પર બિરાજમાન વ્યક્તિઓના કાર્યનું વિશ્લેષણ કરશો તો એક વાત ઊડીને આંખે વળગશે...આયોજનબદ્ધ આકરી મહેનત....અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી, કિરણ બેદી, સાયના નેહવાલ, ચંદ્રકાંત બક્ષી, ધીરુભાઈ અંબાણી, નારાયણ મૂર્તિ....આ બધાએ સફળતા મેળવવા આયોજન સાથે અથાક મહેનત કરી છે.....મહેનતનો કોઈ વિકલ્પ નથી..અને યોજનાપૂર્વકની મહેનત એટલે સોને પે સુહાગા...

* * * * *

હરિવંશરાય બચ્ચન મારા પ્રિય કવિઓમાંના એક કવિ છે....નવા વર્ષ પર તેમણે લખેલી ઉલ્લાસસભર કવિતા....

વર્ષ નવ
હર્ષ નવ
જીવન ઉત્કર્ષ નવ....

નવ ઉમંગ
નવ તરંગ
જીવન કા નવ પ્રસંગ...

નવલ ચાહ
નવલ રાહ
જીવન કા નવ પ્રવાહ....

ગીત નવલ
પ્રીતિ નવલ
જીવન કી રીતિ નવલ
જીવન કી નીતિ નવલ
જીવન કી જીત નવલ......

Thursday, September 16, 2010

ટોળું, ટોળું, ટોળું.........


ટોળું, ટોળું, ટોળું...
અત્ર, તત્ર, સર્વત્ર ટોળું, ટોળું, ટોળું....
મહંતોના ચરણોમાં આળોટતું ટોળું,
મુલ્લા-મૌલવીની દાઢીમાં ખુદાઈ શોધતું ટોળું.....
મોક્ષની લ્હાયમાં ધક્કામુક્કી કરતું ટોળું,
માણસ જેવા માણસને કચડતું ટોળું......
ઓર્કુટ પરથી થાકીને ફેસબુક પર ધસી આવેલું ટોળું,
પોતપોતાનો અલગ ચોકો જમાવીને બેઠેલું ટોળું.....
બધે મહંત, મુલ્લા અને પાદરી શોધતું ટોળું,
જન્નત મેળવવા મદમસ્ત હાથીની જેમ ફરતું ટોળું...
ટોળું, ટોળું, ટોળું...
ભાઈ, ટોળું, ટોળું, ટોળું....

Tuesday, September 14, 2010

બિહાર ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો વિરોધઃ જનતા દળ(યુ)-ભાજપની વ્યૂહાત્મક ચાલ...


બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તેના કરતાં વધારે આતુરતા નરેન્દ્ર મોદી ચૂંટણીના પ્રચારમાં જોડાશે કે નહીં તેને લઈને જાગી છે. મીડિયાના એક જૂથનું સ્પષ્ટપણે કહેવું છે કે બિહારમાં નીતિશકુમારના નેતૃત્વમાં ભાજપ-જનતા દળ (યુ)ની સરકાર બનશે તે નક્કી વાત છે. પણ મીડિયાનું ધ્યાન અત્યારે સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી પર કેન્દ્રીત છે. મીડિયા માટે નરેન્દ્ર મોદી બ્રાન્ડ્સ છે અને મોદી સાથે સંબંધિત સમાચાર જોવા-સાંભળવામાં લોકોને રસ પડે છે. આ વાત ભાજપ અને જનતા દળ (યુ) સારી રીતે જાણે છે. સમાચાર માધ્યમો મુજબ, બિહારમાં ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી જોડાય તેની સામે નીતિશકુમાર એન્ડ કંપનીને વાંધો છે. તમને થશે કે જનતા દળ (યુ)ના બેવડું ધોરણ છે. છેલ્લાં પાંચ વર્ષથી નીતિશકુમાર ભાજપ સાથે બિહારમાં સરકાર ચલાવે છે. ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ થયો ત્યારે નીતિશકુમાર અટલબિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં મંત્રી હતા તો અચાનક ચૂંટણી સમયે જ તેમને મોદી સામે શું વાંધો પડ્યો? પણ રાજકારણમાં જે દેખાય છે તે ખરેખર વાસ્તવિકતા નથી હોતી અને રાજરમતો ક્યારેય ખુલ્લેઆમ રમાતી નથી.

હકીકતમાં ભાજપ સાથે સમજૂતી કરીને જનતા દળ (યુ)એ ખૂબ જ સમજીવિચારીને નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાની ચાલ ચાલી છે. તમને થશે કે તેનાથી આ બંને પક્ષના ગઠબંધનને શું ફાયદો? સામાન્ય રીતે ભાગીદારો વચ્ચે અંતરકલહ થવાથી સરવાળે બંનેને નુકસાન થાય. પણ રાજકારણમાં આવું સીધું અને સાદું ગણિત ચાલતું નથી. મારું એવું માનવું છે બિહારમાં આ વખતે આ બંને ભાજપ-જનતા દળ જાણીજોઇને ઉપરછલ્લી આંતરકલહ દેખાડી રહ્યાં છે અને તેનાથી આ ગઠબંધનની સ્થિતિ મજબૂત થશે. અહીં હું ગઠબંધન શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. એટલે ભાજપ અને જનતા દળ(યુ) જોડાણ ચૂંટણી પછી વધુ મજબૂત બનશે એવું મારું માનવું છે. નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાથી જનતા દળ (યુ)ની મુસ્લિમ મતબેંક મજબૂત થશે જ્યારે મોદી મુદ્દો ચૂંટણી સુધી અદ્ધરતાલ લટકતો રહેવાથી ભાજપની પરંપરાગત મતબેંક જળવાઈ રહેશે.

એટલું જ નહીં મોદી મુદ્દો સતત સળગતો રહેવાથી લાલુપ્રસાદ યાદવનો રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને રામવિલાસ પાસવાનનો લોકજનશક્તિ પક્ષ જનમાનસમાં હાંસિયામાં ધકેલાઈ ગયો છે. બિહારમાં અત્યારે લોકોની ચર્ચાનું કેન્દ્ર નરેન્દ્ર મોદી અને નીતિશકુમાર વિવાદે લઈ લીધું છે. વિપક્ષની બીજી મુશ્કેલી કોંગ્રેસ છે. બિહારમાં મૃતઃપ્રાય થઈ ગયેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા કોંગ્રેસે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યાં છે. મીડિયા અને દંભી ધર્મનિરપેક્ષ પત્રકારો તેમના યુવરાજ રાહુલ ગાંધીને જીતાડવા કોંગ્રેસ કરતાં પણ વધારે પ્રયાસ કરી રહ્યાં છે. તેની અસર ભાજપ-જનતા દળ (યુ) કરતાં લાલુ અને રામવિલાસ પાસવાનની મતબેંક પર વધારે થશે અને તે પણ નુકસાનકારક. બનશે એવું કે બિહારમાં દલિત, યાદવ અને મુસ્લિમ મતબેંક જનતા દળ (યુ), કોંગ્રેસ, રાજદ અને લોજપા વચ્ચે વહેંચાઈ જશે. એટલું જ નહીં દલિત, યાદવ અને મુસ્લિમોનો ઝુકાવ જનતા દળ (યુ) તરફ વધુ રહેશે તેવા એંધાણ છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે ફાયદો ભાજપને થશે. તેની પરંપરાગત મતબેંક જળવાઈ તો રહેશે જ, પણ દલિત અને યાદવ મતબેંકમાંથી અમુક હિસ્સો પણ તેને મળશે....

Saturday, September 11, 2010

વ્હોટ એન આઇડિયા સરજી!


'ગુરુ' અભિષેક બચ્ચનની એક અત્યંત જાણીતી જાહેરાતની પંચલાઇન યાદ આવી ગઈ-વ્હોટ એન આઇડિયા સરજી! વાત એમ છે કે રશિયાના નાણા પ્રધાન એલેક્સેઈ કુદ્રીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા દેશવાસીઓને એક ઝકાસ સૂચન કર્યું છે. તેને વાંચીને આ પંચલાઇન યાદ આવી ગઈ. કુદ્રીન સાહેબે રશિયનોને કહ્યું છે કે-વ્હાલા રશિયનો, તમે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માગતા હોવ તો વધારે ને વધારે સિગારેટ પીવો અને મદિરાપાન કરો!

ચોંકી ગયા ને? હું પણ ચમકી ગયો હતો. આપણા દેશના રાજકારણીઓ જાહેરમાં વ્યસ્નવિરોધી આંદોલન ચલાવે છે. ત્યારે રશિયાનો આ રાજકારણી ખુલ્લેઆમ લોકોને ધુંઆપ્રેમી અને મધુપ્રેમી બનાવવાની વકીલાત કરે છે. પણ તેના તેમનો કોઈ વાંક નથી. રશિયાનું અર્થતંત્ર ખાટલે ગયું છે અને તેને પાટે ચડાવવા કુદ્રીનજી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

તેમનું કહેવું છે કે-કોઈ વ્યક્તિ સિગારેટનું એક પેકેટ પીવે તો તે સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે યોગદાન આપી રહ્યો છે. આ સૂચન કરતી વખતે કુદ્રીન જરા પણ નશામાં નહોતા. તેમનો તર્ક બિલકુલ સ્પષ્ટ છે-ધુમ્રપાનથી કેન્સર થાય છે અને ધુમ્રપાનપ્રેમી વહેલાસર આ ફાનિ દુનિયામાંથી મુક્તિ મેળવી લે છે. બીડી તો સ્વર્ગની સીડી. કોઈ મૃત્યુ પામેલો માણસ ક્યારેય પેન્શન માટે દાવો કરતો નથી, જે સરકાર માટે ફાયદાકારક બાબત છે. તેનાથી અન્ય એક ફાયદો પણ છે. સિગારેટ કે મદિરાપાન કરવા સારો એવો કર ચુકવવો પડે છે અને આ કરવેરો સીધો સરકારી ખજાનામાં જ જાય છે.....દોસ્તો, અફસોસ ન કરશો કે શરદ પવાર જેવા રાજકારણીઓ બીજો દેશોમાં પણ છે જ....

Thursday, September 9, 2010

હોમી નૌશેરવાંજી સેઠના-બુદ્ધના ચહેરા પર સ્મિત ફરકાવનાર વિજ્ઞાની....


દેશના અખબારોમાં જેટલી જગ્યા 'પીપલી લાઇવ' ફિલ્મને લગતી વિવિધ બાબતોને મળી તેટલી જગ્યા દેશને પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાનું હોમી ભાભાનું સ્વપ્ન સાકાર કરનાર વિજ્ઞાની ડૉ. સેઠનાના અવસાનને ન મળી. દેશમાં લોકોને સલમાન ખાનની વાહિયાત હરકતો જાણવામાં જેટલો રસ છે તેટલો રસ દેશની પ્રગતિમાં પોતાનું લોહીપાણી એક કરનાર વિજ્ઞાનીઓ વિશે જાણકારી મેળવવામાં નથી. મહાન ભારતીયોને ધર્મમાં જેટલો રસ છે તેટલી રુચિ વિજ્ઞાનમાં નથી. ભારતીયોને ફિલ્મ કલાકારોના, ક્રિકેટરોના, રાજકારણીઓના કે બાવાઓના નામ પૂછશો તો લાંબીલચક યાદી સાંભળવા મળશે, પણ વિજ્ઞાનીઓના નામ પૂછશો તો પાંચ નામ આપવામાં તતફફ થઈ જશે. એટલે જ ડૉ. હોમી નૌશેરવાંજી સેઠનાનું અવસાન થયું ત્યારે મોટા ભાગના હિંદુસ્તાનીઓને જાણ થાય છે કે-ઓહ્, સેઠના નામનો પણ એક વિજ્ઞાની હતો.

દેશ આઝાદ થયો ત્યારે પ્રસિદ્ધ વિજ્ઞાની હોમી જહાંગીર ભાભાએ દુનિયાના વિવિધ દેશોમાં કાર્યરત ભારતીય વિજ્ઞાનીઓને સ્વદેશ પરત ફરવાની ભાવભીની અપીલ કરી હતી. કેટલાંક વિજ્ઞાનીઓ પાછાં ફર્યા. તેમાં એક હતા-માન્ચેસ્ટરની ઇમ્પિરિયલ કેમિકલ કંપનીમાં કાર્યરત હોમી નૌશેરવાંજી સેઠના. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા યુવા સેઠનામાં ભાભાને ઘણી સંભાવનાઓ દેખાઈ અન તેમના સાથીદાર બનાવી લીધા. આ બંને વિજ્ઞાની ભારતને પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનાવવાના મિશનમાં લાગી ગયા. ભારતને પરમાણુરાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન ડૉ. હોમી ભાભાનું હતું, જે સેઠનાએ પૂર્ણ કર્યું હતું.

વર્ષ 1974માં સેઠનાએ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને જણાવ્યું કે તેમણે શાંતિપૂર્ણ ઉદ્દેશ સાથે પરમાણુ પરિક્ષણની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વડાપ્રધાને ગાંધીએ લીલી ઝંડી આપી દીધી અને પછી 18 મે, 1974ના રોજ સેઠનાએ કોડ વર્ડમાં ઇન્દિરા ગાંધીને સંદેશ મોકલ્યો-સ્માઇલિંગ બુદ્ધ (અડધા અંગ્રેજ થઈ ગયેલા ભારતીયો બુદ્ધા કહે છે). ભારતનું આ પ્રથમ પરમાણુ પરિક્ષણ અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું. અમેરિકાના સંવેદનશીલ ઉપગ્રહ પણ તેનો અણસાર સુદ્ધાં મેળવી શક્યાં નહોતા. આ વિસ્ફોટ પછી કેટલીક મહાશક્તિઓ અને પડોશી રાષ્ટ્ર નારાજ થયા હતા. પણ ડૉ. સેઠના અત્યંત સ્પષ્ટ વિચારધારા ધરાવતા હતા કે ભારતે પરમાણુશક્તિ સંપન્ન રાષ્ટ્ર બનવું જોઈએ. દેશ સ્વબળે પ્રગતિ કરવાના માર્ગ સાથે કોઈ સમજૂતી ન કરવી જોઈએ તેવું તે માનતાં હતાં.

ડૉ. સેઠના ભારત પાછાં ફર્યા તે પછી ડૉ. હોમી ભાભાએ તેમને સમજાવીને કેરળના અલુવામાં ઇન્ડિયન રેર અર્થ્સ લિમિટડના પ્રમુખ બનાવ્યા હતા, જેમાં તેમણે મોનોઝાઇટ રેતીમાંથી દુર્લભ આણ્વિક પદાર્થો મેળવ્યાં હતાં. દરમિયાન તેઓ કેનેડા-ભારત રિએક્ટર (સાયરસ)ના પ્રોજક્ટ મેનેજર બન્યાં. તે પછી તેમણે 1959માં ટ્રોમ્બે સ્થિત પરમાણુ ઊર્જા સંસ્થામાં પ્રમુખ વિજ્ઞાની અધિકારીનું પદ સંભાળ્યું. આ સંસ્થા એટલે હાલનું ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર. તેમના અવિરત પ્રયાસ અને કુશળ નેતૃત્વના બળે 1959માં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં પ્લુટોનિયમ અલગ કરવા પ્રથમ રિએક્ટરનું નિર્માણ થઈ શક્યું. તેની ડીઝાઇન અને તેનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય વિજ્ઞાનીઓ અને ઇજનેરોએ કર્યું. આગળ જતાં આ રિએક્ટરમાંથી અલગ કરવામાં આવેલા પ્લુટોનિમમાંથી જે પરમાણુશક્તિ તૈયાર થઈ તેના વિસ્ફોટથી 18 મે, 1974માં પોખરણમાં બુદ્ધના ચહેરા પર સ્મિત ફરક્યું હતું. ડો. સેઠનાના માર્ગદર્શનમાં જ 1967માં ઝારખંડના જાદુગુડામાં યુરેનિયમ મેળવવા માટે રિએક્ટર લગાવવામાં સ્થાપિત કરવામાં આવ્યું. તેમણે તારાપુર પરમાણુ રિએક્ટરો માટે યુરેનિયમ ઇંધણના વિકલ્પ સ્વરૂપે મિશ્ર ઑક્સાઇડ ઇંધણ વિકસાવ્યું. પોખરણમાં પરમાણુ વિસ્ફોટ પછી અમેરિકાએ યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવાનું બંધ કરી દીધું હતું. આ સમયે ફ્રાંસે યુરેનિયમ આપીને આપણી મદદ કરી, નહીં તો ડૉ. સેઠનાએ મિશ્ર ઓક્સાઇડથી તારાપુરનું પરમાણુ રિએક્ટર ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી.

તે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી હતા. 1958માં સંયુક્ત રાષ્ટ્રે જીનિવામાં આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કર્યું હતું, જેના ઉપસચિવ સેઠનાને બનાવવામાં આવ્યાં હતાં. તેઓ સંયુક્ત રાષ્ટ્રની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય હતા અને 1966થી 1981 સુધી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યાં છે. 1966માં તેઓ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રના ડિરેક્ટર બન્યાં અને 1972થી 1983 સુધી પરમાણુ ઊર્જા પંચના અધ્યક્ષ રહ્યાં. આ પદ પર હોમી ભાભા પછી સૌથી વધુ સમય રહેવાનું બહુમાન સેઠના ધરાવે છે. તેમણે ભારતીય પરમાણુ ઊર્જા કાર્યક્રમને નવી ગતિ પ્રદાન કરી હતી.. આજે ભારતને પરમાણુશક્તિ સ્વરૂપે દુનિયામાં માન્યતા મળી છે તો તેમાં ડૉ. ભાભા પછી સૌથી વધારે યોગદાન ડૉ. સેઠનાનું જ છે.

Wednesday, September 8, 2010

ભયભીત અમેરિકા.....


સાવધાન રહેવું એટલે સાવચેત રહેવું, ચો તરફ નજર રાખવી, ગાફેલ ન રહેવું. પણ સાવચેતી દાખવવામાં અને સતત ડરતા રહેવામાં બહુ ફરક છે. કોઈ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા નિર્ભયતાપૂર્વક અને વ્યવહારિકતા સાથે ખબરદાર રહી શકે છે પણ કાલ્પનિક ભયથી પીડાતો સમાજ અવ્યવહારિક પગલાં ઉઠાવે છે. વિશ્વમાં અત્યારે એકમાત્ર આર્થિક મહાસત્તા ગણાતું અમેરિકા પણ કાલ્પનિક ભયથી પીડાઈ રહ્યું છે અને તેને ડર છે-ઇસ્લામિક આતંકવાદનો. એકવીસમી સદીની શરૂઆતમાં જ અમેરિકા અલકાયદાના આતંકવાદી હુમલાનો ભોગ બન્યું અને જગત આખાને ધ્રુજાવતા આ દેશના છક્કાં છૂટી ગયા. તે પછી તેણે અફઘાનિસ્તાનને રગદોળી નાંખ્યું તે આપણે જાણીએ છીએ. અફઘાનિસ્તાનમાં લાદેનને મારવા હજારો નિર્દોષ બાળકો અને સ્ત્રીઓને હોમી દેનાર અમેરિકા દેખીતી રીતે બહાદુર લાગે છે, પણ હકીકતમાં આ રાષ્ટ્ર અત્યંત ભીરું છે અને તેનો ખુલાસો ત્યાંના જ અગ્રણી દૈનિક 'વોશિંગ્ટન પોસ્ટ'એ કર્યો છે.

વાત એમ છે કે અમેરિકામાં 9/11નો હુમલો થયા પછી ત્યાંની સરકારે આ પ્રકારના હુમલાનું પુનરાવર્તન ટાળવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો. પણ બન્યું એવું કે સરકારે સાવધાની દાખવવામાં એવા પગલાં લીધાં છે જે ખરેખર હાસ્યાસ્પદ, બિનજરૂરી અને ખર્ચાળ છે. 'વોશિંગ્ટન પોસ્ટ'એ 'ટોપ સીક્રેટ અમેરિકા' નામનો એક પ્રોજેક્ટ ચલાવ્યો, જેમાં ડાના પ્રિસ્ટ અને વિલિયમ અર્કિને અમેરિકા 9/11ના હુમલા પછી કેટલું બદલાઈ ગયું તે માટે સૂચના એકત્ર કરી. ખાસ કરીને સરકારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કેવાં પગલાં લીધા તેની જાણકારી લોકો સુધી પહોંચાડી, જેનો અભ્યાસ કરીને લોકો ચકિત થઈ ગયા. લાદેનથી ફફડી ઉઠેલી અમેરિકાની સરકારે કેવાં પગલાં લીધા તેના થોડા મુખ્ય પોઇન્ટ્સઃ

- 11 સપ્ટેમ્બર, 2001 પછી અમેરિકાની સરકારે આતંકવાદ સામે યુદ્ધ લડવા 263 સંગઠન નવા બનાવ્યાં અથવા જૂનાં સંગઠનોને ફરી સક્રિય કર્યા.

- જાસૂસી પર ખર્ચ થતી રકમમાં 250 ટકાનો વધારો કર્યો. અત્યારે અમેરિકાની સરકાર જાસૂસી સંસ્થાઓ પર દર વર્ષે 75 અબજ ડોલર ફાળવે છે. જોકે આ સરકારી આંકડો છે અને સરકારી આંકડા વાસ્તવિક ખર્ચ કરતાં ઓછા હોય તે સ્વાભાવિક છે.

- જાસૂસી કરતા અધિકારીઓને કામ કરવા 33 નવા સંકુલ બનાવવામાં આવ્યાં છે. આ ઇમારતો 1.7 કરોડ ચોરસ ફૂટમાં બનાવવામાં આવી છે, જે એક નહીં, બે નહીં પણ ત્રણ પેન્ટાગોન સમાન છે. પેન્ટાગોનના કેટલાંક અધિકારીઓ પણ અમેરિકાના સરકારના આ પ્રકારના નિર્ણયથી નારાજ છે અને આ સંકુલોની સુરક્ષા વધારવા બીજા સંકુલોનું નિર્માણ કરવું પડશે તેવી મજાક કરી રહ્યાં છે.

- વ્હાઇટ હાઉસથી પાંચ માઇલ દૂર 3.4 અબજ ડોલરના ખર્ચે એક મોટું સરકારી સંકુલ તૈયાર કરવામાં આવે છે, જે છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં બની રહેલું સૌથી મોટું સરકારી સંકુલ છે. ડીપોર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી માટે તૈયાર થઈ રહેલા આ સંકુલમાં પેન્ટાગોન અને ડીપોર્ટમેન્ટ ઓફ વેટરન અફેર્સ પછી સૌથી વધુ અધિકારીઓ કામ કરશે. તેમાં એકસાથે 2,30,000 લોકો કામ કરી શકશે.

- સુરક્ષા માટે બનાવવામાં આવેલી આ નવી વ્યવસ્થામાં દરરોજ 136 રીપોર્ટ તૈયાર થાય છે. તેનો અર્થ એ થયો કે તેમાંથી થોડાં રીપોર્ટનો જ અભ્યાસ થઈ શકતો હશે. જે વરિષ્ઠ અધિકારીઓએ આ રીપોર્ટનો અભ્યાસ કર્યો છે તેઓ તેને સાધારણ ગણે છે. એક અધિકારીએ તો એટલે સુધી કહ્યું છે કે તેમાંથી અનેક રીપોર્ટ તો ગૂગલનો ઉપયોગ કરીને એક કલાકમાં બનાવી શકાય છે.

- અમેરિકાના 15 રાજ્યોમાં કાર્યરત 51 અલગ વ્યવસ્થા આતંકવાદી સંગઠનોને મળતી અને તેમના તરફથી આપવામાં આવતી ધનરાશિ પર નજર રાખે છે. પણ જોવાની ખૂબી એ છે કે આ વ્યવસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ છે. એક સંસ્થા બીજી સંસ્થાને જાણકારી કે સૂચના આપતી નથી.

- અમેરિકાના ફોન કોલ્સ કે બીજા પ્રકારના કમ્યુનિકેશન પર નજર રાખવા અને શંકાસ્પદ આદાનપ્રદાનને પકડવા 30,000 લોકોની નિમણૂંક કરવામાં આવી છે.

ભૂતકાળમાં અમેરિકાએ યુદ્ધની તૈયારીઓ કરી છે, કટોકટી જેવા અધિકારો પણ મેળવ્યાં છે અને ક્યારેક તેનો દૂરપયોગ પણ કર્યો છે. તેમ છતાં યુદ્ધ પૂર્ણ થયા પછી તેનો ત્યાગ કર્યો છે. પણ 9/11ના હુમલા પછી અમેરિકાએ અંતહિન યુદ્ધ શરૂ કર્યું હોય તેમ લાગે છે......

Tuesday, August 10, 2010

दोस्तो,

प्राचीन काल के चीन में तासो-बू नाम के एक संत हो गये. उनके पास चूंग-सिन नामक एक शिष्य आकर रहेने लगा. उसने गुरुवर की कई दिनो तक सेवा की. फिर एक दिन उसने तासो-बू के समक्ष अपनी द्विधा प्रस्तुत की.

चूंग-सिन ने गुरुजी से कहा, 'मैं आपके पास धर्म का रहस्य समजने आया हूं. लेकिन इतने दिनो में आपने मुझे कुछ नहीं बताया. आप हंमेशा चूप रहेते है.'

शिष्य़ की बात सुनकर तासो-बू के मुखारविंद पर निर्मण हास्य की लहेर फिर गई.

चूंग-सिनने फिर कहा, 'मैनें खाया कि नहीं? मुझे नींद आती है कि नहीं? मुझे यहां अच्छा लगता है कि नहीं? मुझे घर की याद आती है कि नहीं? मैं यहां प्रसन्नता का अनुभव करतां हूं या नहीं? आप हररोज ऐसी सामान्य बाते मुझे पूछते रहेते हों, लेकिन आपने मुझे धर्म और ज्ञान के बारे में तो कुछ बताया हीं नहीं.'

शिष्य की ये बातें सुनकर तासो-बू बोले, 'पुत्र, तुम मेरे पास आये हो तब से हररोज मैंने तुम्हें धर्म का रहस्य बताया हैं. तुम मेरे लिये चा का प्याला लाये तब मैंने तुम्हारा सस्मित स्वागत किया है. तुमने मुझे वंदन किया तो बदले में मैंने इसका सहर्ष स्वीकार किया है और शुभकामना प्रदान की हैं...'

गुरुजी की बाते शिष्य की समज में नहीं आती थी. लेकिन उसके बाद तासो-बू ने जो बात कही वो शिष्य के साथ-साथे हमें भी धर्म का अर्थ समझाती है.

तासो-बू ने कहा, 'पुत्र, तुम दैनिक कार्य को धर्म से अलग समझते हों. दरस्सल ये हीं तुम्हारा भ्रम है. धर्म ही दैनिक कार्य है और दैनिक कार्य में धर्म है. अपने हिस्से का कार्य सदभाव और धर्मभाव से करना ही सच्चा धर्म है.'

सिर्फ चार कथन में तासो-बू ने धर्म का अर्थ बता दिया.

* * * * *

मेरे प्यारे दोस्तो,

पवित्र-पुण्य श्रावण का शुभारंभ हो रहा है. जप और तप के इस मास में आईये एक संकल्प करे. बडा नहीं, छोटा. अक्सर हम बडी-बडी बाते करने में छोटी छोटी बातो की उपेक्षा करते है. आईये, एक छोटा संकल्प करे. हम हमारे दोस्तो और साथीदारो के साथ सदभाव दिखायेंगे. सदभाव से पेश आने का उत्तम मार्ग है-किसी भी व्यक्ति के दोष का दर्शन नहीं करना. दोस्तो और साथीदारो में रहे अच्छे गुणो को देखना. कोई इन्सान पूर्ण पुरुषोत्तम नहीं हैं. न मैं, न आप. स्वाभावगतः दोष हम सभी मैं है. लेकिन ज्यादातर हम अपने गुण देखते हैं और दूसरो के दोष. नीति कहेती है कि जीवन को सुधारना है तो दूसरो के गुण देखो और अपने दोष. अपनी शेरबाजार की भाषा में कहे तो ये फायदे का सोदा है. प्यारे साथीदार, भार्गव भाई की जुबान में कहे तो साला, इस सोदे में तो फायदा ही फायदा हैं. इसे हाथ से नहीं जाने देना चाहिये. वो कैसे? दुसरो के गुण देखने से हमे कुछ अच्छा सीखने को मिलता है और अपने दोष देखने से हमें अपने खुद के जीवन को सुधारने में मदद मिलती है. कहिये, है ना प्रोफिट ही प्रोफिट.........

Friday, July 9, 2010

હેડલીનો ખુલાસો અને દંભી ધર્મનિરપેક્ષોની ચૂપકીદી.....


લશ્કર-એ-તોઇબાના આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ ખુલાસો કર્યા પછી સ્યૂડો સેક્યુલરિસ્ટોની (છહ્મ ધર્મનિરપેક્ષ)ની જમાતના હોંઠ સિવાઈ ગયા છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની સૂચનાના આધારે 15 જૂન, 2004ના રોજ ગુજરાત પોલીસે લશ્કર-એ-તોઇબાના ચાર આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં કથિત ધર્મનિરપેક્ષોની લાડકી ઇશરત જહાં પણ સામેલ હતી. આપણે જાણીએ છીએ કે હેડલીએ ખુલાસો કર્યા તે અગાઉ કથિત ધર્મનિરપેક્ષોની મંડળી ઇશરતની નિર્દોષતા સાબિત કરવા આકાશપાતાળ એક કરતી હતી.

આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયેલી ઇશરતને મીડિયાના કથિત માનવતાવાદી જૂથે પણ પ્રામાણિક અને સ્વચ્છ નાગરિક હોવાનું પ્રમાણપત્ર આપી દીધું હતું. પણ હેડલીના ખુલાસા પછી દેશને ધર્મ અને જાતિને નામે વિભાજીત કરવા માગતા કથિત ધર્મનિરપેક્ષ જૂથોએ તેમની ક્ષુદ્ર રાજરમતનો વિચાર કરવો જોઈએ અને વિવિધ પ્રસાર માધ્યમોમાં ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સામે વારંવાર પ્રશ્નો ઉઠાવનારા લોકોએ ઇશરત મામલે હવે તેમનો શું અભિપ્રાય છે તે વ્યક્ત કરવો જોઈએ.

દંભી ધર્મનિરપેક્ષોનો અન્ય એક આતંકવાદી અબ્દુલ નાસેર મદની સાથેનો પ્રેમ પણ જાણવા જેવો છે. સામ્યવાદીઓના બીજા ગઢ સમાન કેરળમાં વર્ષ 1993માં 'ઇસ્લામિક સેવક સંઘ' નામના સંગઠનને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યું હતું. તેનો વડો અબ્દુલ નસીર મદની હતો. સરકારે સંગઠન પર પ્રતિબંધ મૂક્યાં પછી મદનીએ નવો પક્ષ 'પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી' (પીડીપી)ની સ્થાપના કરી હતી. દંભી ધર્મનિરપેક્ષોએ તેને ભાવભીનો આવકાર આપ્યો હતો. પછી બન્યું એવું કે 8 એપ્રિલ, 1998ના રોજ કોઇમ્બતૂરમાં થયેલા બોમ્બ વિસ્ફોટના કેસમાં મદનીની ધરપકડ કરવામાં આવી. તેમ છતાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પીડીપીના પ્રભાવને ધ્યાનમાં રાખીને વર્ષ 2001ની ચૂંટણીમાં કોંગ્રેસે તેની સાથે હાથ મિલાવ્યાં હતાં. વર્ષ 2007માં પુરાવાના અભાવે મદની છૂટી ગયો છે. પણ તેના થોડા સમય અગાઉ બાંગ્લાદેશમાંથી પકડાયેલા એક આતંકવાદીની પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે મદનીની પત્ની સૂફિયા મદની પણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંલગ્ન છે. પોલીસે તેની પણ ધરપકડ કરી છે. એટલું જ નહીં અત્યારે બેંગ્લોર બોંબવિસ્ફોટમાં મદનીની પૂછપરછ ચાલુ જ છે. પણ કર્ણાટક પોલીસ તેની ધરપકડ કરી શકતી નથી, કારણ કે દેશના કથિત ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષોનું સમર્થન છે.

હકીકતમાં દેશમાં માનવાધિકાર અને ધર્મનિરપેક્ષતાના નામે દેશદ્રોહી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તેને હિંદુવિરોધી માનસિકતા ધરાવતા સ્વાર્થી અને નઠારા અમીચંદો સાથ-સહકાર આપી રહ્યાં છે. ચર્ચ પર હુમલો થાય કે મુસ્લિમ આતંકવાદીનું એન્કાઉન્ટર થાય તો તરત જ હિંદુઓને ભાંડવામાં તેઓ જરા પણ સમય વેડફશે નહીં. પણ ઇશરત જહાંનું એન્કાઉન્ટર થયા પછી તેમને જીભ સિવાઈ ગઈ છે........

Thursday, July 8, 2010

ઑનર કિલિંગઃ સુંદર પ્રેમનો ખતરનાક અંત.....


29 એપ્રિલ, 2010..પત્રકાર નિરુપમા પાઠકની હત્યા થઈ ગઈ. તેનો આરોપ તેના પરિવારજનો પર લગાવવામાં આવ્યો છે. કહેવાય છે કે તેઓ નિરુપમા નીચી જાતિના એક યુવાન સાથે લગ્ન કરવા માગતી હતી અને પરિવારજનોને તે યુવાન પસંદ નહોતો. તેમણે આબરૂ બચાવવા નિરુપમાને જ દુનિયામાંથી દૂર કરી દીધી હોવાનું કહેવાય છે.

12 મે, 2010....પંજાબના તરનતારનમાં ગુરલીન કૌર અને તેની સાસુને ગુરલીનના જ પરિવારજનોએ મોતને ઘાટ ઉતારી દીધા. ગુરલીને કુટુંબની મરજીથી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા. તેના પતિ અમન પર પણ ગોળીબાર થયો હતો, પણ તે બચી ગયો.

20 જૂન, 2010...દિલ્હીના અશોકવિહાર વિસ્તારમાં 20 જૂનના રોજ મોનિકા અને કુલદીપની હત્યા થઈ. કુલદીપ અને મોનિકા એક જ ગામમાં રહેતાં હતાં અને જુદી જુદી જાતિના હતા. બંનેના લગ્નને ચાર વર્ષ થયા હતા અને મોનિકા ગર્ભવતી હતી. તેમના પરિવારજનોએ બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો આરોપ છે.

21 જૂન, 2010....ભિવાનીના રિંકૂ અને મોનિકા વચ્ચે પ્રેમસંબંધ હતા. બંનેને યુવતીના પરિવારજનોએ નિર્દયતાપૂર્વક ફટકાર્યા અને પછી હત્યા કરી નાંખી. એટલું જ નહીં તેમણે આ હત્યાને વાજબી પણ ઠેરવી...

તમે આ બનાવોનો અપરાધિક કૃત્યો કે હત્યા કહી શકો છો, પણ આપણા દેશમાં એવો લોકો પણ છે જે તેને 'ઑનર કિલિંગ' કહે છે. ઑનર કિલિંગ એટલે માનમોભા, આબરૂ, પ્રતિષ્ઠા જાળવવાના નામે પ્રેમીપંખીડાઓની ખુલ્લેઆમ હત્યા. ઓનર કિલિંગમાં કિલિંગ અર્થાત્ પ્રેમ કરવાની ભૂલ કરી બેઠેલા યુવાનોની થાય છે અને ઓનર અર્થાત માન-સન્માન કે આબરૂ એ લોકોની જળવાય છે જે તમામ સામાજિક મર્યાદાઓ અને કાયદા-કાનૂનની ઐસીતૈસી કરીને બે યુવાનોનો જીવ લઈ લે છે.

'ઑનર કિલર'ની સર્વસામાન્ય દલીલો પણ જાણવા જેવી છે...એક જ ગામના છોકરા-છોકરીને લગ્ન નહીં કરવા દેવાય. તેઓ ન સમજે તો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં કંઈ ખોટું નથી.........એક જ ગામના છોકરા-છોકરી ભાઈ-બહેન ગણાય છે. તેમની વચ્ચે લગ્ન ન થઈ શકે. આ રીતે લગ્ન કરનારાઓને મારી નાંખવા જોઈએ.....હત્યાને વાજબી ઠેરવતાં આ વાક્યોમાં બે બાબત હેરાન-પરેશાન કરી દે તેવી છે. પહેલી તો એ કે આ બંને વાક્ય પોતાના બાળકોની હત્યા કરનાર માતાપિતાના એટલે ઑનર કિલર્સના છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને વાક્ય દેશના કોઈ પછાત વિસ્તારમાં અંધારી રાત્રે બોલાયા નથી, પણ ધોળા દિવસે આપણા દેશની રાજધાની દિલ્હીમાં બોલાયા છે.

ઑનર કિલંગ કરનારા લોકોની માનસિકતા (ખરેખર તો વિકૃત માનસિકતા ) પર એલકેકે (લોકો શું કહેશે) પરિબળ હાવી હોય છે. તેઓ બાળકોના અભિપ્રાય અને વિચારો કરતાં લોકોના વિચાર કે અભિપ્રાયને વધારે મહત્વ આપે છે. ઉપરાંત સામાજિક પરંપરાઓ તેમના માનસ એ રીતે હાવી થયેલી હોય છે કે તેઓ પોતાના જ બાળકોનો જીવ લેવા તૈયાર થઈ જાય છે. ભારતીય સમાજમાં આજે પણ મોટા ભાગના લગ્ન જ્ઞાતિની અંદર થાય છે. કેટલાંક યુવાનો આંતરજાતિય લગ્ન કરવાનો નિર્ણય લે છે ત્યારે સમાજ તેમનો સ્વીકાર કરવાની આનાકાની કરે છે. તેમને પ્રોત્સાહન પંચાયતો આપે છે. આ પ્રકારના 'ઑનર કિલિંગ' અટકાવવા સરકારે કાયદામાં સુધારો કરવાનું વિચાર્યું છે, પણ ગુરુવારે તેના પર યોજાયેલી બેઠકમાં મતભેદો સર્જાયા હોવાથી તેના પર ખરડો કાયદો લાવવાનું ટાળી દીધું છે.....સરકારમાં પણ 'ઑનર કિલિંગ'ના સમર્થકો છે....દિલ્હી પહોંચી જવાથી અક્કલ આવતી હોત તો મોહમ્મદ તઘલખે તેની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ ખસેડી હોત?

Sunday, July 4, 2010

ચર્ચા એટલે શું? દલીલ એટલે શું?


ચર્ચા અને દલીલમાં શું ફરક છે? ચર્ચા એટલે માહિતીનું આદાનપ્રદાન. સ્વસ્થ ચર્ચાનો અંત ફાયદાકારક હોય છે. પણ દલીલ એ ચર્ચા નથી, પણ અજ્ઞાનતાનું પ્રદર્શન છે અને તેનો અંત હાસ્યાસ્પદ હોય છે. ચર્ચા હકારાત્મક હોય છે જ્યારે દલીલ નકારાત્મક. ચર્ચાને અંતે વિષયનું તારણ નીકળે છે અને દલીલમાં વ્યક્તિ કે વ્યક્તિઓની માનસિકતા સ્ખલિત થઈ જાય છે.


સ્વસ્થ અને તંદુરસ્ત ચર્ચા પૂર્વગ્રહમુક્ત હોય છે. આ પ્રકારની ચર્ચા જ સીધે પાટે દોડી શકે છે અને છેવટે બધાને કઇંક નવું જાણવા મળે છે. પૂર્વગ્રહ જડતાની નિશાની છે. વાચન અને અભ્યાસ વિનાની વ્યક્તિના વિચારો કુંઠિત અને જડ થઈ જાય છે અને પૂર્વગ્રહ ધરાવતી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવામાં જોખમ છે. મને લાગે છે કે હજુ આપણને ચર્ચા કરવાની ફાવટ આવી નથી. આપણે ચર્ચા શરૂ કરવા જેટલા ઉત્સાહી હોઈએ છીએ તેટલો ઉત્સાહ તેનો ફળદાયક અંત લાવવા સુધી જાળવી શકતાં નથી. તેનું કારણ છે કે જે વિષય પર ચર્ચા કરવા જઇએ છીએ તેના પર પૂરી માહિતી જ ધરાવતા નથી. એટલે ચર્ચા કરવા માટે જરૂરી તર્ક જ તમારી પાસે હોતા નથી.


ચર્ચા તર્કબદ્ધ રીતે થવી જોઈએ. પણ હજુ આપણે તર્કબદ્ધ ચર્ચા કરી શકીએ તેટલા પરિપક્વ થયા નથી. તર્કબદ્ધ ચર્ચા સારી રીતે પૂર્ણ થાય છે પણ પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ તર્કબદ્ધ રીતે ચર્ચા ન કરી શકે તો શું કરવું? મારું એવું માનવું છે કે તમે કોઈ વિષય પર તર્કબદ્ધ ચર્ચા ન કરી શકો તો પ્રેમથી તમારે તમારી મર્યાદાનો સ્વીકાર કરવો જોઈએ અને ચર્ચાનો અંત લાવી દેવો જોઈએ. વ્યક્તિ દરેક વિષય પર હથોટી ધરાવી શકતી નથી અને કોઈ વ્યક્તિ આવો દાવો કરતી હોય તો સમજવું કે તેને મનોચિકિત્સિકિય સારવારની જરૂર છે. પોતાની મર્યાદાનો સ્વીકાર કરવો એ માનસિક તંદુરસ્તીની નિશાની છે. પણ મેં જોયું છે કે વ્યક્તિ ચર્ચા કરી શકે તેવી સ્થિતિમાં ન હોય ત્યારે મોટા ભાગે તે ધુંધવાઈ જાય છે. તેનો અહમ્ ઘવાય છે. એટલે પહેલાં તે દલીલ કરે છે. આ સમયે તેની સામે ચર્ચા કરનાર સમજુ હોય તો તેને ટ્વેન્ટી-20 બિસ્કિટ ખવડાવી શાંત કરવાનો પ્રયાસ કરે છે અને પછી રામરામ કરીને ચાલ્યો જાય છે.

ચલતે-ચલતેઃ ઉર્દૂ સાહિત્યકાર મંટોને પાગલખાનામાંથી છોડવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે-હું નાના પાગલખાનામાંથી મોટા પાગલખાનામાં આવી ગયો

Tuesday, June 22, 2010

જાગો વીર! કાપો, કાપો આ ભ્રમજાળ....



જાગો વીર!
સદાય શિર પર
ચક્રાવા લ્યે કાળ.

છોડો નિજનાં સ્વપ્નાં,
ભય શો?
કાપો, કાપો આ ભ્રમજાળ.

બધી શક્તિ અને
સામર્થ્યનું મૂળ
જગદંબાનું હું સંતાન છું.

મારે મન
શિર ઝુકાવતી,
ખુશામત કરતી,
કકળાટ કરતી,
અધમ નિષ્ક્રિયતા અને નર્ક
બંને સમાન.

બસ એક જ પ્રાર્થના મારી કે
મારે કાયરને મોત મરવું ન પડે.
જે કાયર છે તે મૃત્યુ પછી
જન્મે એક જંતુરૂપે કાં
બને અળશિયું.

લાખો વર્ષની તપસ્યાને અંતે
કાયરને માટે
ન કોઈ ઉદ્ધાર.

સત્ય મારો પરમેશ્વર ને
વિશ્વ મારો દેશ.

It's happen only in India.......


તમે સીધા માર્ગે જતાં હોવ અને તમારી સાથે સામે ચાલીને કોઈ અકસ્માત કરે તો તમને થનારા નુકસાનની ભરપાઈ કરવાની જવાબદારી કોની છે? કોમનસેન્સ ધરાવતી કોઈ પણ વ્યક્તિને પૂછો છો તે કહેશે કે ભલા માણસ, સામેવાળા પક્ષે જ વળતર ચૂકવવાનું હોય ને. પણ 'બોલવામાં બળૂકા' અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને આવું સીધું અને સરળ સત્ય કહેતાં મનમોહન સિંઘની સરકાર ગભરાય છે. 'મેરા ભારત મહાન'ની સરકાર ખોંખરો ખાઈને અમેરિકન સરકારને ભોપાલકાંડ માટે જવાબદાર બેશરમ વોરેન એન્ડરસનનું પ્રત્યાર્પણ કરવાનું કહી શકતી નથી અને ભારતીયોના ખિસ્સાં ખેંખરી લેતાં અગાઉ તેમને પૂછવાની જરૂર પણ અનુભવતી નથી.

ભોપાલ દુર્ઘટનાનો અભ્યાસ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરના નેતૃત્વ રચાયેલા પ્રધાનોના જૂથ (જીઓએમ)એ પીડિતોને રૂ. 1,500 કરોડનું પેકેજ આપવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકાર તાત્કાલિક ધોરણે આ પેકેજ ફાળવશે અને તેની ચૂકવણી મારા, તમારા અને દેશવાસીઓના ખિસ્સામાંથી થશે. ખાતર પર દિવેલ! જે દુર્ઘટના માટે અમેરિકાની એક કંપની અને તેની બેદરકારી જવાબદાર છે, તેનું વળતર ભારતીય નાગરિકોએ ચૂકવવાનું? ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા.....અમેરિકામાં ભારતીય કંપનીએ આવી બેદરકારી દાખવી હોત તો ત્યાંની સરકાર ભારતીય ઉદ્યોગપતિને આવી રીતે ઉડન છૂ થવા દે?

ચિદમ્બરમના આ જૂથે એક મોટી કામગીરી પણ કરી છે. એન્ડરસન જે હાલતમાં દેશમાંથી ભાગી ગયો તે માટેની જવાબદારીમાંથી તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને ક્લીનચિટ આપવાની! કોંગ્રેસીજનોની સૌથી મોટી કામગીરી મેડમ સોનિયા અને બાબા રાહુલને રાજી કરવાની છે. આખો દેશ જાણતો હતો કે રાજીવ ગાંધીને ક્લીનચિટ મળશે જ. મને તેની કોઈ નવાઈ લાગી નથી. કોંગ્રેસ અને કોંગ્રેસીજનો માટે ગાંધીનેહરુ પરિવારનો સભ્યો દેવીદેવતા સમાન છે. આપણે બધા જાણીએ છીએ કે ભોપાલ જેવી વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના થાય અને તેના આરોપી દેશમાંથી સરળતાપૂર્વક છટકી જાય તે માટે વડાપ્રધાન જવાબદાર નથી?તે સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુનસિંહ જ જવાબદાર છે? શું કોઈ રાજ્યનો મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનની મંજૂરી વિના આટલી મોટી હોનારતના આરોપીને શહેર કે રાજ્યની બહાર નીકળવા દેવાની હિમ્મત કરી શકે?

ઊભો થા અને યુદ્ધ કર.....


ઊભો થા અને યુદ્ધ કર,
એક ડગલું પણ પીછેહટ ન કર,
છેલ્લે સુધી લડત ચાલુ રાખ,
પરિણામ ભલે ગમે તે આવે,
તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે!
સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય!
મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમા શું?
નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં,
પીછેહટ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહીં શકે....
પુરુષાર્થ કરો,
પ્રકાશ માટે પુરુષાર્થ કરો!
આગળ ધપો!

Monday, June 21, 2010

તમારી લાઇન મોટી કરવા બીજાની લાઇન કાપવી જરૂરી નથી...


તમારે તમારી લાઇન મોટી કરવા શું કરવું જોઈએ? સીધો અને સરળ પ્રશ્ન છે, પણ તેનો જવાબ મનુષ્યની વૈચારિક માનસિકતા અને તેનું સ્તર જગજાહેર કરી દે છે. સિદ્ધાંતવાદી, મહેનતુ અને પોતાને જ બળે યોગ્ય માર્ગે સફળતા મેળવવા માગતી વ્યક્તિ આ પ્રશ્નનો શું જવાબ આપશે? તે કહેશે કે, 'આપણે આપણી લાઇન મોટી કરવા પ્રયાસ કરવો જોઈએ....'

આપણે આપણી લાઇન મોટી કરવી એટલે સફળતા મેળવવા મહેનત કરવી, જરૂર પડે ત્યાં સુધારા કરવા અને અનુભવને આધારે કુશળતા મેળવવી. આ સીધોસાદો અર્થ આપણે જાણીએ છીએ. પણ તેમાં રહેલો અધ્યાહાર વધારે મહત્વપૂર્ણ છે. આપણે આપણી લાઇન વધારવી, પણ બીજાની લાઇન કાપવાનો પ્રયાસ ન કરવો. મિત્રો, બીજાની લાઇન કાપવાથી તમારી લાઇનમાં એક ઇંચનો પણ ફરક પડવાનો નથી. તમારી સ્થિતિ તો યથાવત્ જ રહેશે. હા, થોડો સમય બીજાની લાઇન કાપીને તમારી લાઇન મોટી હોવાનો ભ્રમ જરૂર પેદા કરી શકશો.

હવે આ જ પ્રશ્ન કોઈ અતિ મહત્વાકાંક્ષી, તકવાદી, પાક્કાં ગણતરીબાજ અને મંડળીબાજ માણસને પૂછશો તો તે વાતો તો સૂફિયાણી જ કરશે અને મહેનત વધારવાનું કહેશે. પણ તેના વર્તનનો અભ્યાસ કરશો તો જણાશે કે, તે પોતાની લાઇન વધારવા જેટલો પ્રયાસ કરે છે તેના કરતાં વધુ પ્રયાસ તેના હરિફોની લાઇન કાપવાનો કરે છે. સામાન્ય રીતે આ પ્રકારનું વલણ વધારે જોવા મળે છે. ટૂંકા ગાળામાં પ્રસિદ્ધિ મેળવવાનો અને વાહવાહી લૂંટવાનો આ ખરેખર ઉત્તમ માર્ગ છે. એક તરફ તમારી લાઇન થોડી થોડી વધતી જાય છે અને બીજી તરફ તમારા કરતાં મજબૂત હરિફની લાઇન ઝડપથી કાપતાં જાવ છો. બંને દિશામાં ફાયદો, પણ ટૂંકા ગાળાનો ફાયદો. તેમાં કોઈ શંકા નથી.

મને એમ હતું કે આ પ્રકારની કુટિલ, દ્વૈષીલી અને દાઝિલી માનસિકતા ધરાવતી વ્યક્તિ સામાન્ય રીતે રાજકારણમાં જોવા મળે છે. પણ હવે ખબર પડી કે આવી વિકૃત માનસિકતા ધરાવતી વ્યક્તિઓ લગભગ બધા ક્ષેત્રમાં જોવા મળે છે. આવી વ્યક્તિના એક સર્વસામાન્ય પેંતરાથી વાકેફ કરાવું. તે હંમેશા હરિફોની ચાલ પર નજરો રાખે છે. હરિફ વ્યક્તિ કોઈ સારી કામગીરી કરે ત્યારે બુહ પ્રેમથી ચૂપકીદી સેવી લે છે, પણ ભૂલ કરે એટલે હજારે હાથે તેના પર કોરડા વીંઝવાનું શરૂ કરી દે છે. હરિફ વ્યક્તિની સારી બાબત સામે આંખ આડા કાન કરે છે અને તેની નબળાઈને જાહેર કરવાની એક પણ તક છોડતી નથી. ઉદાહરણ આપવાની જરૂર નથી. તેજીને ટકોરો જ કાફી હોય. તે હંમેશા પોતાના કરતાં નબળાં માણસોને પોતાની સાથે રાખે છે અને તેને પ્રોત્સાહન આપે છે. અહીં પણ તેને ફાયદો થાય છે? તેના કરતાં નબળા માણસો તેની વાહવાહ કરે છે અને આ જ નબળા માણસોથી આગળ જતાં તેને કોઈ ખતરો ઊભો થતો નથી. પણ આ માણસ તેના કરતાં વધારે મજબૂત અને સક્ષમ વ્યક્તિ સાથે કેવી રીતે વર્તે છે?

જુઓ, આવી વ્યક્તિ તેના કરતાં વધારે મજબૂત વ્યક્તિ પર તક મળતાં પ્રહાર કરે છે. તેની અવગણના કરીને પોતાને વધારે મજબૂત દેખાડવાનો પ્રયાસ કરે છે. તેનાથી તેને બે ફાયદા થાય છે. પહેલો ફાયદો, સમાજમાં વર્ચસ્વ ધરાવતી વ્યક્તિ સામે બાથ ભીડવા બદલ ઘેટાં-બકરાં તેની વાહવાહ કરે છે અને બીજો ફાયદો, હરિફની લાઇનની સરખામણીમાં તેની લાઇન થોડી મોટી દેખાય છે. ખાસ કરીને તેનો મજબૂત હરિફ નબળો પડે છે ત્યારે તો તેની આબરૂના કાંકરા નહીં, પાળિયા કરવા તે રીતસર તૂટી પડે છે અને તેનું અનુકરણ તેની ચમચામંડળી કરે તેમાં કોઈ નવાઈ નથી....

તુલસીદાસજીની રામાયણ સવારે વાંચતો હતો ત્યારે સજ્જનના લખણો અને દુર્જનના અપલખણોથી ફરી પરિચિત થયો....તેમાં સજ્જન પુરુષનું એક લક્ષણ મને બહુ ગમે છે...મહારાજ કહે છે કે સજ્જન પુરુષ બીજાના દોષોને ઢાંકે છે. એટલે કે સજ્જન પુરુષ બીજાના દોષોનો ઢંઢોરો પીટતો નથી. હકીકતમાં સજ્જન પુરુષમાં એટલી કોમનસેન્સ હોય છે કે પાપ ક્યારેય છાનું રહેતું નથી અને દુનિયા બુદ્ધુ નથી કે બીજાના પાપને અને વૈચારિક અધમતાને સમજી ન શકે. એટલે તે ચૂપ રહીને પોતાનું કામ કરવામાં મસ્ત રહે છે. દુનિયાને મૂર્ખ સમજવી એ મોટામાં મોટી મૂર્ખતા છે.

બીજાના દોષોને હજાર આંખોથી જુએ અને બીજાનાં પાપો કહેતાં-સાંભળતાં લજાતાં નથી તેવા લોકોને તુલસીદાસજીએ દુષ્ટજનો કહ્યાં છે. તમે વિચાર કરો કે, ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન આ ગ્રંથમાં અન્ય લોકોના પાપની વાતો પણ કરવાનો ઇનકાર કર્યો છે. તુલસીદાસજી એ વખતે પણ સમયનું મૂલ્ય સમજતાં હશે...મહારાજ કહે છે કે બીજાના પાપનો પ્રચાર કરવાનું માધ્યમ પણ તમે શા માટે બનો છો.......સીધો સંદેશ છે મિત્રો, તમે ખરેખર સારું કરવા માગતા હોય તો ફલાણો આ કરે છે અને ઢીકણો આ કરે છે તેની લપમાં પડ્યાં વિના તમારી દિશામાં આગળ વધો ને....હા, કોઈ સારું કામ કરે તો તેને બિરદાવવામાં પાછી પાની ન કરો, પણ જાણતા કે અજાણતાં કોઈ વ્યક્તિ ભૂલ કરે તો તેને તેના હાલ પર છોડી દો...બહુ જીવ બળતો હોય તો તેને અંગત રીતે તમારી ચિંતા જણાવો અને ચેતવી દો...પણ છડેચોક નાગાને નાગો કરવાનો શો ફાયદો...પોતાની બહાદુરીનો ઢંઢેરો પિટાવવાનો...


બીજાના પાપનો પ્રચાર કરવામાં સદાય અગ્રેસર રહેનારી વ્યક્તિની માનસિકતાથી થોડા પરિચિત થઈએ...આવી વ્યક્તિ પોતે બહુ જ્ઞાની છે, સમજુ છે અને સાથેસાથે બહાદુર છે તેવું દેખાડવા માગતી હોય છે.....બીજું, પોતાની ક્ષમતામાં વધારો થવાની કોઈ શક્યતા ન હોવાથી બીજાની ક્ષમતા પર પ્રહાર કરીને પોતે વધુ ક્ષમતાશીલ છે તેવા ભ્રમમાં રહે છે અને તેના જેવા કે તેના કરતાં પણ નબળાં બીજા ઘેટા-બકરાઓને ભ્રમમાં રાખવામાં તેને સફળતા પણ મળે છે....તે એમ માને છે કે દુનિયામાં સૌથી વધુ સમજદાર અને બહાદુર તે પોતે છે...

મિત્રો...આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીપલ્સ પ્રેસિડન્ટ કલામસાહેબ હંમેશા કહેતાં વાદવિવાદમાં શક્તિનો વ્યય થાય છે, તમારે ખરેખર રચનાત્મક કાર્ય કરવું હોય તો નિરર્થક વાદવિવાદ ટાળવો....જેના જવાબ તમને ખબર હોય તેવા પ્રશ્નો પૂછીને સમય બગાડવાનો કોઈ અર્થ ખરો....જાણતા હોવા છતાં અજાણ્યાં બનીને દુનિયાને શું દેખાડી દેવા માંગો છો...હકારાત્મકતા કેળવો અને તમારી દિશામાં આગળ વધો...બીજાને તેમની દિશામાં આગળ વધવા દો...તમારા ઇરાદા પ્રામાણિક હશે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે...બને કે તમારે સફળતા મેળવવા રાહ જોવી પડે....પણ તે લાંબા ગાળાની અને પારદર્શક સફળતા હશે....તે તમારી પોતાની હશે...બીજાની લાઇન કાપીને કે બીજાની સામે સ્ત્રીઓની જેમ સવાલો ઊભા કરીને ઉધાર માગેલી નહીં હોય....

ચલતે-ચલતેઃ સફળતા અને નિષ્ફળતાનો આધારે વ્યક્તિની માનસિકતા પર હોય છે...કૃષ્ણની સફળતા દ્રૌપદીની આબરૂ બચાવવામાં છે અને દુઃશાસન ચીરહરણને સફળતા માને છે...તુંડે તુંડે મતિ ભિન્ના.....અસ્તુ....

Sunday, June 20, 2010

સરવરપુરમાં શીખોની ઐતિહાસિક ધર્મનિરપેક્ષતા અને દંભી ધર્મનિરપેક્ષોને થોડા સવાલ......



ભારતીય મુસ્લિમોનું અગ્રણી પખવાડિક અખબાર ગણાતા 'ધ મિલ્લી ગેઝેટ'ના 1-15 જૂન, 2010ના અંકમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા છે, જેને વાંચીને દંભી ધર્મનિરપેક્ષો 'ધ મિલ્લી ગેઝેટ'ના તે અંકને માથે મૂકીને એક પગે નાચશે તેમાં મને કોઈ શંકા નથી. દેશમાં ધર્મનિરપેક્ષતાની મિસાલ બને તેવા સમાચારનું શીર્ષક છેઃ '1947માં તોડી પાડેલી મસ્જિદનું પુનઃનિર્માણ કરતો શીખ સંપ્રદાય.' હું તેના વિશે થોડું જણાવું.

પંજાબના સમરાલા શહેરથી 10 કિલોમીટરના અંતરે એક ગામ છે સરવરપુર. હિંદુસ્તાનના ભાગલા પડ્યાં તે અગાઉ ગામમાં મુસ્લિમોની સારી એવી વસતી હતી. એક સારી મસ્જિદ પણ હતી. 1947માં ભાગલા સમયે ત્યાં કોમી હુલ્લડ થયા. મોટા ભાગના મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યાં ગયાં. પછી તે મસ્જિદને હિંદુઓ અને શીખોએ તોડી પાડી. ગયા વર્ષે ગામના શીખોએ તે મસ્જિદનો પુનરોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ગયા મહિને 22 મેના રોજ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના જથ્થેદાર કિરપાલ સિંહે પંજાબના શાહી ઇમામ મૌલાના હબીબુર રહમાન સાની લુધિયાનવીનું સ્વાગત કર્યું. તે સમયે ત્યાંના ધારાસભ્ય જગજીવન સિંઘ અને ગ્રામજનો હાજર હતાં. ત્યાં ગામના વયોવૃદ્ધ મુસ્લિમ દાદા મૌહમ્મદ તુફૈલને મસ્જિદની ચાવી સોંપવામાં આવી. તે સમયે સંપૂર્ણ વાતાવરણ 'અલ્લાહ ઓ અકબર'ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું.

શીખોએ મુસ્લિમો પ્રત્યે આ પ્રકારની ઉદાર ભાવના અગાઉ પણ દેખાડી છે. શીખોના ધર્મગુરુ ગુરુ નાનકના પહેલા શિષ્ય ભાઈ મરાદાના હતા. તેઓ આજીવન મુસ્લિમ બની રહ્યાં હતાં. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવએ પણ સુવર્ણમંદિરનું ખાતમુહૂર્ત લાહોરના સૂફી સંત હજરત મિયા મીર પાસેથી કરાવ્યું હતું. શીખોના પ્રસિદ્ધ મહારાજા રણજીત સિંઘની એક મહારાણીએ પણ લાહોરમાં દાતાગંજ બક્શની સફેદ માર્બલવાળી દરગાહ બનાવી હતી, જે આજે પણ લાહોરની મશહૂર દરગાહ છે. સરવરપુરમાં શીખોએ ફરી એક વખત સાચી ધર્મનિરપેક્ષતાનું દર્શન કરાવ્યું છે. આ પ્રસંગને 'ધ મિલ્લી ગેઝેટ'ના સંપાદક ઝફરુલ-ઇસ્લામ ખાને ઐતિહાસિક ગણાવ્યો છે. પંજાબના શાહી ઇમામે શીખ સમુદાયનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, 'માનવતા એટલે પ્રેમ અને અહિંસા.'

કોઈ પણ સાચા ધર્મનિરપેક્ષ માણસને આ સમાચાર સાંભળીને આનંદ જરૂર થાય. કોઈ બે ધર્મ અને સંપ્રદાયના માણસો વચ્ચે એકતા અને પ્રેમની ભાવના સ્થાપિત થાય તો કોને આનંદ ન થાય...પણ થોડા પ્રશ્નો પણ થાય છેઃ

- મુલ્લા-મૌલવીઓએ તેમના પૂર્વજોએ કરેલા જંગલી અને ધર્માંધ કૃત્યો બદલ ક્યારેય પશ્ચાતાપની લાગણી અનુભવી છે?

- જ્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય ત્યાં ફરીથી મંદિરનું નિર્માણ કરીને તેની ચાવી હિંદુઓને સોંપી એકતા અને બંધુતાની લાગણી દેખાડવાની ઇચ્છા મુલ્લા-મૌલવીઓને ક્યારેય થાય છે?

- હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરીને તેને કળા ગણાવતાં એમ એફ હુસૈન જેવા હલકટ ચિત્રકારોની વિકૃત હરકતો સામે મુલ્લા-મૌલવીઓએ ક્યારેય ફતવો બહાર પાડ્યો છે? દુઃખની વાત એ છે કે હુસૈનની આ પ્રકારની ગંદી હરકતોને કળા ગણાવતા બુદ્ધિહીન બુદ્ધુજીવીઓ આપણા હિંદુઓ વચ્ચે જ છે. એટલું જ નહીં તેમના ચમચાઓની આખી જમાત છે.

- અયોધ્યામાં બાબરી ઢાંચાનો વિવાદ ચાલી રહ્યો છે. આ ઢાંચો અગાઉ રામમંદિર હતું તેવું ઇતિહાસકારોએ કહ્યું છે. તો ત્યાં સામે ચાલીને રામમંદિર બાંધીને કોમી એખલાસ અને ધર્મનિરપેક્ષતાની ભાવના દેખાડવાની મુસ્લિમોની ફરજ નથી?

- વિભાજન સમયે જે સંપ્રદાયના લોકોની લાશો સૌથી વધુ ઢળી હતી, જે સંપ્રદાયની મહિલાઓ સૌથી વધુ બળાત્કારનો ભોગ બની હતી તે શીખ સંપ્રદાયે મસ્જિદનો પુનરોદ્ધાર કરી ધર્મનિરપેક્ષતાનો દાખલો બેસાડ્યો છે. શું આવો કોઈ દાખલો બેસાડવાની હિમ્મત મુસ્લિમ મુલ્લા-મૌલવીઓ દેખાડી શકશે?

Saturday, May 1, 2010

આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ....


ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે પહેલી મે, 1960ના રોજ પૂ. રવિશંકરે મહારાજે સાબરમતી આશ્રમમાં આપેલું માર્ગદર્શક પ્રવચન


આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્યમૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમ જ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા વિના રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યાં છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

રાષ્ટ્રપિતા ગાંધીજીની સમક્ષ દરેક ક્ષણે નજર સમક્ષ ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધોરોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડુઓ પણ છે, અને ગુજરાતની પ્રજા પાસે અર્થ વ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાલના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિષે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ વિશે તેમ જ પેદાશ પણ વધી હશે, પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી, પણ આપણે ત્યાંની એકએક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો તેના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ, એ તો પોષણનું સાધન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુંમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધઘીની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવાં દુર્લભ થાય એ આપણી દુર્દશા કહેવાય! એ સ્થિતિ આપણે ટાળવી જોઈએ.

ગોસંવર્ધન અને ગોસેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે.

આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતે ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ....

સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણમાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને દૂઘ-ઘી કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યાં છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલો ગણાતો ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યાં પછી ત્યાગને બદલે ભોગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે.

પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ મૂકે છે? એને જેટલું મળે છે એટલું ઓછું જ કેમ પડે છે? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ ને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ, એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્વો દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે.

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજુ અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને 'આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ' એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજ્યે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવાશે.

પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણોમાંથી સ્વ. ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ કરવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અમલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દ્રઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ એની પણ ખૂબ વિચારણા કરવી પડશે......

બધા પક્ષોને મારી વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પાડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રમાં તડાં પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામપંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું......


....અસ્પૃશ્યતાનિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે....આવો જ સવાલ દારૂબંધીનો છે. એ અંગે આપણી જે નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય.

પૂ. વિનોબાજીએ આપણને ગ્રામસ્વરાજ્યની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાએ પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોશાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આપસઆપસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાવલંબી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.....

....આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમણે આપેલા વારસના શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ...

સર્વેડત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત્

Tuesday, March 30, 2010

ચાટુકર, ચાટુકારિતા અને અશોક ચવ્વાણ...


સત્તા મેળવવી મુશ્કેલ છે અને સત્તા મળી જાય પછી? તેને પચાવવી. સત્તા મળી જાય પછી બહુ ઓછા લોકો પચાવી શકે છે. સત્તાને અપચો શાસકના મનમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે. તે પોતાને સર્વશક્તિમાન અને અજેય સમજવા લાગે છે. મનમસ્તિષ્ક પર નિયંત્રણ ગુમાવી દે છે. તેની કથની-કરણીમાંથી મદ છલકાય છે અને ચમચા-ચમચીઓ ઘેરી લે છે.

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસસંચાલિત ગઠબંધન સરકાર ફરી પ્રજાના માથે મરાઈ. સત્તાની સંપૂર્ણ બાગડોર સોનિયા આન્ટી પાસે છે. વચ્ચે-વચ્ચે ક્યારેક મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હોવાનું જનતા જનાર્દનને યાદ કરાવી જાય છે. બાકી બધો ખેલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 'ચાટુકર' ખેલી રહ્યાં છે. 'ચાટુકર' અને 'ચાટુકારિતા' મજાનો હિંદી શબ્દ છે. ગુજરાતમાં તેના માટે ચમચાગિરી શબ્દ છે અને કોંગ્રેસમાં એક નહીં ચાટુકરો કે ચમચાઓની એક આખી ફૌજ છે. મેડમ એક ચપટી વગાડે અને પચાસ ચાટુકર ટપાકાં પાડતાં હાજર થઈ જાય છે. યસ મેડમ, હા જી મેડમ, બોલો મેડમ, વાહ મેડમ અને આહ્ મેડમ! ચાટુકર બહુ તેજ અને ટકોરાબંધ હોય છે. તે તેમના અધ્યક્ષ કે અધ્યક્ષાને ઓર્ડર આપવાની તક પણ આપતા નથી. ચાટુકરોના મન-મસ્તિષ્કમાં સમજદારીનો સમંદર હિલોળા લેતો હોય છે.

ચાટુકરોની એક ખાસિયત હોય છે. તેઓ કોઈને કોઈ બહાને ચાટુકારિતાની તક શોધી લે છે. એક ચાટુકરચાટુકારિતાના દર્શન કરાવે એટલે બીજા બધા ચાટુકરો પોતે રહી નથી ગયા તેવું દેખાડવા સારામાં સારી ચાટુકારિતા દેખાડવા પ્રયાસ કરે. કોંગ્રેસમાં ચાટુકારિતાની સીઝન બારમાસી છે પણ અત્યારે તોફાની થઈ છે. તેમાં માર્ગદર્શક બન્યાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવ્વાણ. ચવ્વાણ પરિવાર ચાટુકારિતા પર હથોટી ધરાવે છે. બાપ એવા બેટા! સ્વ. શંકરરાવ ચવ્વાણે સંજય ગાંધીના જૂતાં ઉઠાવી લીધા હતા તો અશોક ચવ્વાણે કોંગ્રેસના 'મુસ્લિમ ચહેરા' શાહરૂખ ખાનની એક ફુલ્લીફાલતુ ફિલ્મની સુરક્ષિત રીલીઝ માટે રાજ્યના થિયેટરોમાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દીધો હતો અને પ્રજાને રામભરોસે છોડી દીધી હતી. આ ફિલ્મની રીલીઝ થઈ અને બીજા જ દિવસે પૂણેની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. પણ ચાટુકરોની એક ખાસિયત હોય છે-તે નિર્લજ્જ અને વહીવટયા હોય છે. તેમને બધું મેનેજ કરતાં આવડે છે.

પૂણે વિસ્ફોટની કોઈ કડી હજુ સુધી મળી નથી ત્યાં ચવ્વાણે ફરી તેમની મુખ્ય પારિવારિક આવડતના દર્શન કરાવ્યાં. મેડમ સોનિયા માઇનોને બોલીવૂડના સાચા સુપરસ્ટાર અને હિંદી ફિલ્મ ઉદ્યોગના એકમાત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આંખમાં કણાની માફક ખૂંચે છે. ગાંધી પરિવારનો બચ્ચનદ્વૈષ જગજાહેર છે અને અશોક ચવ્વાણ આ વાત સારી રીતે જાણી ગયા છે. તેમણે પૂણેમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં અમિતાભ સાથે હાજરી ન આપી ગાંધી પરિવારની સેવામાં ખડેપગે હાજર હોવાનો સંકેત આપી દીધો. પણ મહારાષ્ટ્રના જ કોંગ્રેસી નેતાઓમાં એક મજાકે જોર પકડ્યું છે કે અમિતાભ બચ્ચનો વિરોધ કરી અશોક ચવ્વાણે સાબિત કરી દીધું કે તે શંકરરાવ ચવ્વાણના જ પુત્ર છે. કોઈ શક?

Thursday, March 25, 2010

જ્યારે હું ભયભીત થાઉં ત્યારે....


મારે માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે હું ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડ્યો છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે, કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે અને ગમે તેટલી પ્રવૃત્તિમાં પણ હ્રદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હંમેશા સંકલ્પ રહ્યો છે.

માણસ ગમે તે સ્થિતિમાં હોય, ઊંઘતો કેમ ન હોય, જો ટેવ પડી ગઈ હોય ને રામનામ હ્રદયસ્થ થઈ ગયું હોય તો જ્યાં સુધી હ્રદય ચાલે છે ત્યાં સુધી હ્રદયમાં રામનામ ચાલતું રહેવું જોઈએ. એમ ન બને તો કહેવું જોઈએ કે, માણસ જે રામનામ લે છે તે કેવળ તેના ગળામાંથી નીકળે છે, અથવા કોઈ કોઈ વાર હ્રદય સુધી પહોંચતું હોય તોપણ હ્રદય પર રામનામનું સામ્રાજ્ય જામ્યું નથી. જો નામે હ્રદયનો કબજો મેળવ્યો હોય તો પછી 'જપ કેમ થાય' એવો પ્રશ્ન પૂછવો ન જોઈએ. કારણ કે નામ જ્યારે હ્રદયમાં સ્થાન લે છે ત્યારે ઉચ્ચારણની આવશ્યકતા નથી રહેતી. એ સાચું છે કે આ પ્રમાણે રામનામ જ્યારે હ્રદયસ્થ થયું છે એવો ઓછા હશે.

રામનામમાં જે શક્તિ માનવામાં આવી છે તેના વિશે મને જરાયે શંકા નથી. માત્ર ઇચ્છા કરવાથી દરેક માણસ પોતાના હ્રદયમાં રામનામ અંકિત નથી કરી શકતો. તે માટે અથાક પરિશ્રમની જરૂર છે. ધીરજની પણ આવશ્યકતા છે. રામનામને હ્રદયમાં અંકિત કરવા અખૂટ ધીરજ જોઈએ. તેમાં યુગના યુગ વહી જાય, એમ બને. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો, ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે.

ગાંધીવાણીઃ જે પોતાના દિલથી રામનું નામ રટે છે, તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે

Tuesday, March 23, 2010

ભગતસિંહને બચાવવા ગાંધીજીએ પ્રયાસ કર્યો હતો?


અગ્રણી રાષ્ટ્રીય સામયિક 'ઇન્ડિયા ટુડે'એ માર્ચ-એપ્રિલ, 2008માં એક સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વીસમી સદીના મહાન ભારતીયો વિશે દેશવાસીઓનો મત જાણવામાં આવ્યો હતો. તમે જાણો છો તેમાં મહાન ભારતીય તરીકે કોની પસંદગી થઈ હતી? સરદાર પટેલ? મહાત્મા ગાંધી? જવાહરલાલ નેહરુ? જયપ્રકાશ નારાયણ? ઇન્દિરા ગાંધી? રવીન્દ્રનાથ ટાગોર? કોંગ્રેસીજનોને પૂછો તો તેઓ જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ કહે. પણ ઇન્ડિયા ટુડેના આ સર્વેક્ષણમાં તટસ્થ દેશવાસીઓએ મતદાન કર્યું હતું.
તેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, જયપ્રકાશ નારાયણ, રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોને પાછળ પાડી 23 વર્ષની ઉંમરે હિંદુસ્તાનની આઝાદી માટે હસતાં-હસતાં ફાંસીના માંચડે ચડી જનાર ભગતસિંહની પસંદગી થઈ હતી. સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ શહીદ ભગતસિંહને મહાન ભારતીય ગણાવ્યાં હતાં જ્યારે 27 ટકા મત સાથે સુભાષચંદ્ર બોઝને બીજું સ્થાન અને 13 ટકા મત સાથે મહાત્મા ગાંધીને ત્રીજું સ્થાન મળ્યું હતું. ભગતસિંહ આઝાદીની લડત દરમિયાન પણ સૌથી વધુ લોકપ્રિય ક્રાંતિકારી હતા અને આઝાદી પછી પણ સૌથી વધુ આકર્ષક શહીદ-એ-આઝમ...23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજોએ સુખદેવ અને રાજગુરુ સાથે ભગતસિંહને ફાંસીના માંચડે લટકાવી દીધા ત્યારે પણ તેમની લોકપ્રિયતા ટોચ પર હતી અને આજે પણ...દર વર્ષે શહીદ દિવસ આવે છે અને એક પ્રશ્નની ચર્ચા થાય છે કે ભગતસિંહને બચાવવા ગાંધીજીએ શું કર્યું? ગાંધીજીએ ખરેખર તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો?

જવાબ શોધવા ભાવનાના પ્રવાહમાં વહી ગયા વિના ઇતિહાસમાં ડોકિયુ કરવું પડે અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ રાખ્યાં વિના તેને સમજવો પડે. 7 ઓક્ટોબર, 1930ના રોજ અંગ્રેજ સરકારે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસની સજા જાહેર કરી. તે પછી તેના વિરોધમાં સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ઊભો થયો. સરઘસો નીકળ્યાં. અંગ્રેજ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો થયો. ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈ લાગૂ કરવામાં આવી હોવા છતાં તેની ઐસીતૈસી કરીને સેંકડો લોકોની ભીડ ઠેરઠેર એકત્ર થવા લાગી. લાહોરમાં તમામ કોલેજોની કામગીરી ઠપ્પ થઈ ગઈ. પંડિત મદનમોહન માલવીયે વાઇસરૉયને પત્ર લખીને ત્રણેય જવાનિયાને આપવામાં આવેલી ફાંસીની સજાને કાળા પાણીની સજામાં બદલવાની માગણી કરી. ભગતસિંહની માતા વિદ્યાવતીએ પણ સેંકડો લોકોના હસ્તાક્ષર સાથે ફાંસીની સજા રોકવા માટે વિનંતી કરી હતી. આ સમયે સમગ્ર દેશવાસીઓની નજર ગાંધીજી પર ઠરી હતી. તેઓ તે સમયે આઝાદીની લડતના સૌથી મોટા નેતા હતા. તેઓ વાઇસરૉયને આ મુદ્દે સમજાવવાની ક્ષમતા ધરાવે છે તેવી અપેક્ષા દેશવાસીઓને હતી. પણ ગાંધીજી દ્વિધામાં હતાં.

તેઓ સશસ્ત્ર ક્રાંતિમાં માનતા આ યુવાનોને બચાવવા જિદ પર ઉતરે તો યુવાનોમાં ખોટો સંદેશ જવાનો ડર હતો. યુવા પેઢીમાં સશસ્ત્ર ક્રાંતિને પ્રોત્સાહન મળે અને સ્વતંત્ર્તા માટેનું આંદોલન ગેરમાર્ગે દોરાઈ જાય તેવી બીક તેમને હતી. તેઓ સત્ય અને અહિંસાના સિદ્ધાંતને છોડવા માગતા નહોતા. પરંતુ સાથેસાથે ગાંધીજીને લોકલાગણીની પણ ચિંતા હતા. જનજુવાળ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સાથે હતો. લોકો આ યુવાનોને ફાંસીની સજા ન થાય તેવું ઇચ્છતાં હતાં. આ ત્રણેય યુવા દેશભક્તોને બચાવવા પોતે કશું ન કર્યું તેવું લોકો ન સમજે ચિંતા ગાંધીજીને સતાવતી હતી. આ સ્થિતિમાં ગાંધીજીએ મધ્યમ માર્ગ અપનાવ્યો હોય તેવું લાગે છે.

ચોથી માર્ચ, 1931ના રોજ થયેલા ગાંધી-ઇર્વિન કરારમાં થયેલી સમજૂતીમાં તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ફાંસીની સજાના મુદ્દાને દૂર રાખ્યો. લોકો એમ ઇચ્છતાં હતાં કે ઇર્વિન આ ત્રણેય યુવાનોને ફાંસીની સજા આપવાનો ચુકાદો રદ કરે તો જ ગાંધીજી તેમની સાથે સમજૂતી કરે. પણ ગાંધીજી માટે સત્ય અને અહિંસાનો સિદ્ધાંત સર્વોપરી હતો. તેઓ ઇચ્છતાં નહોતાં કે કોંગ્રેસ સશસ્ત્ર ક્રાંતિકારીઓ સાથે કોઈ પણ રીત જોડાય. એટલે તેમણે આ મુદ્દે વાઇસરૉય પર દબાણ ન કર્યું અને અહિંસાના સિદ્ધાંત સાથે કોંગ્રેસ કોઈ બાંધછોડ નહીં કરે તેવો સંદેશ કોંગ્રેસના કાર્યકર્તાઓને અને દેશના યુવાનોને આપ્યો. પણ તેમણે વાઇસરૉય સાથે આ મુદ્દે મૌખિક વાતચીત કરી ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની વાત કરી હતી. (જુઓ ગાંધીજીનો વાઇસરૉયને પત્ર) આ પત્રમાં એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચો તો જણાશે કે ગાંધીજીને તેમની સજા માફ કરાવવામાં બહુ રસ નહોતો તેવું લાગે છે, પણ લોકલાગણીને માન આપવા અને દેશમાં શાંતિ જાળવવા માફી બક્ષવાની અપીલ કરવામાં આવી હતી. એટલું જ નહીં જો એ શક્ય ન હોય તો તેમણે ફાંસીની સજા થોડો સમય મોકૂફ રાખવાની સલાહ વાઇસરૉયને આપી હતી. આ વાતની પુષ્ટિ વાઇસરૉય ઇર્વિને પોતે તેમના સંસ્મરણોમાં કરી છે.

ઇર્વિને પોતાના સંસ્મરણોમાં ગાંધીજી સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું છે કે ''ગાંધીએ ભગતસિંહના કેસનો ઉલ્લેખ કર્યો હતો.....તેમણે ફાંસીની સજામાં ફેરફાર કરવાની વાત કરી નહોતી. પણ વર્તમાન પરિસ્થિતિમાં થોડા સમય માટે સજાને સ્થગિત કરવાની વાત ચોક્કસ કરી હતી.'' ફાંસીની સજાના ચાર દિવસ અગાઉ 19 માર્ચના રોજ ઇર્વિન બહુ સ્પષ્ટપણે લખે છે કે ''ગાંધીએ કહ્યું કે આ નવયુવાનોને ફાંસીની સજા કરવામાં આવશે તો તેઓ રાષ્ટ્રીય શહીદ થઈ જશે અને વાતાવરણ ઉગ્ર બની જશે. ....ગાંધીએ કહ્યું કે તેમને બહુ ડર લાગે છે....મેં કહ્યું કે મને દુઃખ છે. ફક્ત ત્રણ વિકલ્પ શક્ય હતા. પહેલો, ફાંસીની સજા કરવામાં આવે. બીજો, તેને થોડો સમય ટાળવામાં આવે અને ત્રીજો, કોંગ્રેસનું કરાંચી અધિવેશન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી ફાંસી અટકાવી દેવામાં આવે. પણ મેં આ કેસને પારખ્યો છે. હું નિર્ણય ફેરવી શકું તેમ નથી.''

ભગતસિંહની લોકપ્રિયતા વધતી જતી હતી. તેમને ફાંસીના માંચડે લટાકાવ્યાં પછી દેશમાં અશાંતિ ફેલાવવાનો જેટલો ડર ગાંધીજીને હતો તેના કરતાં પણ વધારે બીક અંગ્રેજ સરકારને હતી. આ કારણે જ અંગ્રેજોએ લાહોર સેન્ટ્લ જેલમાં તેમણે 24 માર્ચ, 1931ના રોજ સવારે સાત વાગે ફાંસી આપવાને બદલે 23 માર્ચ, 1931ના રોજ સાંજે સાત વાગે જ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીના માંચડે લટકાવી દીધા.....

ચલતે-ચલતેઃ ફાંસની સજાના બે કલાક અગાઉ ભગતસિંહને તેમના વકીલ પ્રાણનાથ મેહતા મળવાં આવ્યાં હતાં. મેહતાએ પૂછ્યું, ''ભગત, તું કેમ છે?'' ભગતસિંહે કહ્યું, ''હંમેશની જેમ ખુશ છું.'' મેહતાએ કહ્યું, ''તારી અંતિમ ઇચ્છા શું છે?'' ભગતસિંહે કહ્યું, ''ફરી આ જ માતૃભૂમિમાં જન્મ લેવા માગું છું જેથી તેના ચરણોમાં સેવા સમર્પિત કરી શકું.''

ગાંધીજીનો વાઇસરૉયને પત્ર


1, દરિયાગંજ, દિલ્હી
માર્ચ 23, 1931

પ્રિય ભાઈ,

આ પત્ર આપને માથે મારવામાં ઘાતકીપણું તો છે, પણ છેલ્લી અપીલ હું આપને કરું તે સુલહેશાંતિ માટે આવશ્યક છે. ભગતસિંહ અને એમના બે સાથીઓને થયેલી મૃત્યુદંડની સજા સાવ માફ કરો એવી કોઈ આશા નથી એવું આપ મને નિખાલસતાપૂર્વક કહ્યું જ હતું, છતાં શનિવારે મેં આપની આગળ જે રજૂઆત કરી, તે પર વિચાર કરવાનું પણ આપે કહેલું. ડૉ. સપ્રુ મને કાલે મળ્યા હતા. ને કહેતા હતા કે આ બાબત અંગે આપ ચિંતિત છો, તથા તેના યોગ્ય ઉકેલ માટે આપના મનમાં મથામણ ચાલી રહી છે. જો આ વિષયની પુનર્વિચારણાને સહેજ પણ અવકાશ હોય તો નીચેના મુદ્દા તરફ આપનું ધ્યાન ખેંચવા માગું છું.

સાચો હોય કે ખોટો હોય, લોકમત માફીની તરફેણમાં છે. કોઈ સિદ્ધાંત જોખમાતો ન હોય તો લોકમતને માન આપવું એ ઘણી વાર કર્તવ્ય બની રહે છે.

વર્તમાન કિસ્સામાં સંજોગો એવા છે કે જો માફી બક્ષવામાં આવે તો દેશની અંદર શાંતિ સ્થાપવામાં મદદ થાય એવો ભારે સંભવ છે. જો ફાંસી દેવાશે તો તો સુલેહશાંતિ બેશક જોખમમાં છે જ.

આ જિંદગીઓ બચાવવામાં આવે તો પોતાની પ્રવૃત્તિઓ અટકાવી દેવાની ક્રાંતિકારી દળે મને ખાતરી આપી છે એવી માહિતી હું આપને આપી શકું છું, તે જોતાં ક્રાંતિદળ ખૂનરેજી અટકાવે ત્યાં સુધી મૃત્યુની સજા મોકૂફ રાખવાનું આપનું અનિવાર્ય કર્તવ્ય બને છે.

આજ પહેલાં પણ રાજકીય ખૂનો માફ થયેલાં છે. આ લોકોની જિંદગી બચાવવાથી બીજી અનેક નિર્દોષ જિંદગીઓ બચી જવાનો સંભવ હોય, અને કદાચ ક્રાંતિવાદીઓના ગુના પણ લગભગ નાબૂદ થાય એમ હોય તો તેમ કરવું વધારે સારું છે.

શાંતિના પક્ષમાં મારી જે કંઈ અસર પડે છે તેની આપ કદર કરો છો તો કૃપા કરીને, વિનાકારણ મારું કામ જે અત્યારે જ ઘણું મુશ્કેલ છે તેને ભવિષ્ય માટે વધુ મુશ્કેલ, લગભગ અશક્ય ન બનાવી દેશો.

ફાંસી દીધા પછી ન દીધી થઈ શકતી નથી. આ બાબતમાં ભૂલ થઈ શકે છે એવો આપને સહેજ પણ અંદેશો હોય તો મારી આપને આગ્રહપૂર્વક વિનંતી છે કે જે પગલું ઉઠાવ્યા પછી પાછું વાળી શકાતું નથી તેને વધુ વિચારણા માટે હાલ મોકૂફ રાખવું.

રૂબરૂ મળવાનું આવશ્યક હોય, તો હું આવી શકીશ. જોકે હું બોલીશ નહીં, (સોમવારે ગાંધીજીને મૌનવાર હતો), પરંતુ સાંભળીશ અને મારે જે કહેવું હશે તે લખીને આપીશ.

''ઉદારતા કદી નિષ્ફળ જતી નથી.''

આપનો
સહ્રદયી મિત્ર

Monday, March 22, 2010

ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ આગળ મારું શિર ઝૂકે છેઃ સરદાર પટેલ


નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે, તેથી દેશને પારવાર ઉકળાય થયો છે. ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવાનોને થયેલી ફાંસીની સજા બદલીને દેશનિકાલની સજા કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી હોવા છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી છે, એ હાલનું રાજતંત્ર કેટલું હ્રદયશૂન્ય છે એ પ્રગટ કરે છે.

પણ ઉકળાટ અને આવેશમાં આપણે આપણા ધ્યેયથી ચલિત ન થવું જોઈએ. આ આત્મહીન કાષ્ઠવત્ ચાલતા રાજતંત્રની સામે આપણે જે ભયંકર તહોમતનામું ઘડેલું છે, તેમાં હથિયાર ઉપર અવલંબેલી એની સત્તાનું આ તાજું, ઉદ્ધત પ્રદર્શન વધારો કરે છે. એ બહાદુર દેશભક્તોના આત્માને પ્રભુ શાંતિ આપો અને પોતાના દુઃખ અને શોકમાં આખો દેશ સહભાગી છે એ જ્ઞાનથી તેમના કુટુંબનું કંઈક સમાધાન થાઓ.

(1931માં કરાંચી કોંગ્રેસના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાંથી, પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર, ભાગ-1, લેખકઃ યશવંત દોશી, પ્રકાશનઃ નવજીવન પ્રકાશન મંદિર)

Sunday, March 21, 2010

बलिदान से पहेले साथियों को अन्तिम पत्र


साथियों,

स्वाभाविक है जीने की इच्छा मुझमें भी होनी चाहिए, मैं इसे छिपाना नहीं चाहता. लेकिन मैं एक शर्त पर जिन्दा रह सकता हूं, कि मैं कैद होकर या पाबन्द होकर जीना नहीं चाहता.

मेरा नाम हिन्दुस्तानी क्रान्ति का प्रतीक बन चुका है और क्रान्तिकारी दल के आदर्शो और कुर्बानियों ने मुझे बहुत ऊंचा उठा दिया है-इतना ऊंचा कि जीवित रहने की स्थिति में इससे ऊंचा मैं हर्गिज नहीं हो सकता.

आज मेरी कमजोरीयॉं जनता के सामने नहीं है. अगर मैं फॉंसी से बच गया तो वे जाहिर हो जायेंगी और क्रान्ति का प्रतीक-चिह्न मद्विम पड जायेगा या सम्भवतः मिट ही जाये. लेकिन दिलेराना ढंग से हंसते-हंसते मेरे फॉंसी चढने की सूरत में हिंन्दुस्तानी माताएं अपने बच्चों के भगतसिंह बनने की आरजू किया करेंगी और देश की आजादी के लिए कुर्बानी देनेवालों की तादाद इतनी बढ जायेगी कि क्रान्ति को रोकना साम्राज्यवाद या तमाम शैतानी शक्तियों के बूते के बात नहीं रहेंगी.

हॉं, एक विचार आज भी मेरे मन में आता हैं कि देश और मानवता के लिए जो कुछ करने की हसरतें मेरे दिल में थीं, उनका हजारवॉं भाग भी पूरा नहीं कर सका. अगर स्वतन्त्र, जिन्दा रह सकता तब शायद इन्हें पूरा करने का अवसर मिलता और में अपनी हसरतें पूरी कर सकता.

इसके सिवाय मेरे मन में कभी कोई लालच फॉंसी से बचे रहने का नहीं आया. मुझसे अधिक सौभाग्यशाळी कौन होगा? आजकल मुझे स्वयं पर गर्व है. अब तो बडी बेताबी से अन्तिम परीक्षा का इन्तजार है. कामना है कि यह और नजदीक हो जाये.

आपका साथी,
भगतसिंह
(भगतसिंह ने फांसी पर चढने से पहेले अपने साथीयों को लिखा आखरी पैगाम जो उन्हों ने 22 मार्च, 1931 को लिखा था...)

Saturday, March 20, 2010

'માય નેમ ઇઝ ખાન': મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા માટેનું બ્રહ્માસ્ત્ર..


દોસ્તો, ધારો કે તમે ઇસ્લામ ધર્મમાં માનતા નેક બંદા છો. તમે અલ્લાહતાલાને માનો છો અને પાંચ વખત નમાઝ અદા કરો છો. માનવતાની મહેંક ફેલાવવી તમારો ધર્મ છે. પણ તમે જાણો છો કે તમારા સમાજમાં કેટલાંક કહેવાતાં ધાર્મિક સંગઠનો અમાનવીય આતંકવાદી હરકતોમાં સંકળાયેલા છે. આ ત્રાસવાદી મુલ્લા-મૌલવીઓ ઇસ્લામનો ઝંડો આખી પૃથ્વી પર લહેરાવવા માગે છે અને આ માટે દિશાહીન મુસ્લિમ યુવાનોની ભરતી કરે છે. 'ઇસ્લામ ખતરે મેં હૈ' જેવા જૂઠ્ઠાણાં ફેલાવી તેઓ આ યુવાનોનો માનવબોંબ તરીકે ઉપયોગ કરીને આખા જગતમાં નિર્દોષ લોકોના લોહીની નદી વહાવે છે. આવા સમયે મુસ્લિમ યુવાનોને અધર્મી મુલ્લા-મૌલવીઓની જાળમાં ફસતાં બચાવવા શું કરવું જોઈએ? આ પ્રશ્ન તમને કોઈ પૂછે તો તમે શું કહો?

તમે જ નહીં, પણ અલ્લાહનો દરેક નેક બંદો કહેશે કે, આ યુવાનોને એકવીસમી સદીમાં ધર્મનિરપેક્ષ સમાજમાં હળીમળીને કેવી રીતે રહેવું તે સમજાવવાની જરૂર છે. તેમને ઇસ્લામના આધુનિક અર્થઘટનથી વાકેફ કરાવવાની જરૂર છે. પણ તેના બદલે શું થઈ રહ્યું છે? ઇસ્લામના આવા વિદ્વાન બિરાદરો આ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે મુસ્લિમ યુવાનો પર અસર ધરાવતા કોંગ્રેસીજનોનો સુપરસ્ટાર શાહરૂખ ખાન શું કરી રહ્યો છે?

મીડિયા એટલે કે પ્રસાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં સમાચારોને આધારે જ તમે તમારું મંતવ્ય ઘડતાં હોય તો ચોક્કસ કહેશો કે તે આજના આધુનિક ઇસ્લામનો ચહેરો છે. પણ આ વાત બિલકુલ ખોટી છે, ખોટું અર્થઘટન છે. હકીકતમાં મુસ્લિમ યુવાનોને આતંકવાદી બનાવવા ઉશ્કેરવાનું જે કુકૃત્ય રૂઢિચુસ્ત મુલ્લા-મૌલવીઓ કરી રહ્યાં છે તે જ કામ સ્વયંપ્રસ્થાપિત સુપરસ્ટાર શાહરૂખ મિયા કરી રહ્યાં છે. કેવી રીતે? તેનું તાજું ઉદાહરણ શાહરૂખ ખાનની તાજેતરમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ 'માય નેમ ઇઝ ખાન' છે. આ ફિલ્મ ભારતમાં ફ્લોપ ગઈ છે, પણ આતંકવાદી સંગઠનોની છાવણીમાં સુપરડુપર હિટ સાબિત થઈ છે. (મીડિયામાં આ ફિલ્મ હિટ લખવામાં આવે છે, પણ આ વાત સંપૂર્ણપણે ખોટી છે)

આ ફિલ્મ અમેરિકામાં 9/11 હુમલા પછી ત્યાંના સમાજમાં મુસ્લિમો પ્રત્યે બદલાયેલો અભિગમ રજૂ કરે છે. આ અભિગમ એટલે? અમેરિકામાં મુસ્લિમોની હાલત બહુ ખરાબ છે. નિર્દોષ મુસ્લિમોને પણ અમેરિકન તપાસ એજન્સીઓ આતંકવાદી કે આતંકવાદી સંગઠનોના સાગરિત ગણીને હેરાન-પરેશાન કરે છે. હકીકતમાં 9/11 હુમલા પછી મીડિયામાં અમેરિકામાં મુ્સ્લિમોને હેરાન-પરેશાન થઈ રહ્યાં છે તેવા સમાચારોમાં સચ્ચાઈ કરતાં અતિરેક હતો. આ ફિલ્મમાં શાહરૂખે એવો સંદેશ આપ્યો છે કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી. પણ આપણા બુદ્ધિશાળી અંગ્રેજી પત્રકારો અને કેટલાંક ગુજરાતી કલમખોરો તેની પાછળનો અધ્યાહાર ન સમજી શક્યાં. હકીકતમાં આ ફિલ્મે પોઝિટિવ નહીં પણ નેગેટિવ સંદેશ આપ્યો હતો. તેનો સાચો અને સંપૂર્ણ સંદેશ એ હતો કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, તેમ છતાં મુસ્લિમોને આખું જગત હેરાન-પરેશાન કરી રહ્યું છે. ઇસ્લામની અધકચરી સમજણ ધરવાતા કોઈ પણ મુસ્લિમ યુવાનને આ ફિલ્મ દેખાડીને આતંકવાદી બનાવવો બહુ મુશ્કેલ કામ નથી અને એ જ થઈ રહ્યું છે. હા, દોસ્તો, 'માય નેમ ઇઝ ખાન' ફિલ્મનો ઉપયોગ અત્યારે આતંકવાદી છાવણીઓમાં મુસ્લિમ યુવાનોની ભરતી કરવા માટે થઈ રહ્યો છે. તેનો પુરાવો છે 'પેપ્સી બોમ્બર' બશીર અહેમદ બાબાની કબૂલાત.

બાબાએ ગુજરાત એટીએસ (આતંકવાદ વિરોધી ટુકડી) સમક્ષ આ વાતની કબૂલાત કરી છે. આતંકવાદી સંગઠનોની આ વ્યૂહરચના ખોટી પણ નથી. અધકચરી સમજણ ધરાવતા કોઈ પણ યુવાનનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો બહુ અઘરી વાત નથી. હકીકતમાં કટ્ટર અને ધર્માંધ મુલ્લા-મૌલવીઓ મુસ્લિમ યુવાનોની લાગણી સાથે જે રમત રમે છે તેવી જ રમત શાહરૂખ બીજી રીતે રમ્યો છે. બંનેએ કામ તો એક જ કર્યું છે-મુસ્લિમ યુવાનોને ઉશ્કેરવાનું અને આતંકવાદી બનવા પ્રોત્સાહન આપવાનું. ધર્મ અને જાતિનો મામલો બહુ સંવેદનશીલ છે અને મોટા ભાગની સંવેદનશીલ બાબતમાં નિર્દોષ અને ભોળી પ્રજા છેતરાઈ જાય છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોંગ્રેસના મુસ્લિમ ચહેરા શાહરૂખે ખરેખર આતંકવાદી સંગઠનોનું કામ સરળ કરી દીધું નથી?

Wednesday, March 17, 2010

હુસૈનના ચિત્રોમાં નગ્નતા છે કે અશ્લીતતા? હુસૈનના ચિત્રોમાં વિચારોનું દર્શન થાય છે કે વિકૃતિનું?





































સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શિસ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકસાન કરનાર અસભ્યતાની નિશાની છે.- મહાત્મા ગાંધી, યંગ ઇન્ડિયા, 3-6-23, પૃષ્ઠ 203

અધિકાર અને ફરજ એક જ સિક્કાની બે બાજુ છે. અધિકારનો ઉપયોગ કરવો હોય તો ફરજનું ભાન હોવું જોઈએ. અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર પણ તેમાંથી બાકાત નથી. તમે તમારા વિચારોને અભિવ્યક્ત કરો છો ત્યારે તેનાથી સમાજમાં દ્વૈષભાવ ન ફેલાય, આંતરકલહ ન થાય તેનો સવિશેષ ખ્યાલ રાખવો જોઈએ. આપણા કોઈ વિચારની અભિવ્યક્તિથી સમાજમાં વેરઝેર વધતું હોય તો આપણી ફરજ શું છે? આપણને ખબર ન પડતી હોય ત્યારે આપણે કોઈ પણ ધર્મના નેક બંદાને પૂછીએ તો તે પ્રેમથી કહેશે કે ભાઈ, તારા વિચારવાયુથી સમાજમાં આંતરકલહ વધતો હોય અને નિર્દોષ માણસોને ભોગ બનવું પડતું હોય તો તેના પર બ્રેક માર ને.

અહીં મેં તમારી સમક્ષ હુસૈનની કારીગરીના કેટલાંક નમૂના રજૂ કર્યાં છે. આ નમૂના મને મિત્રોએ મોકલ્યાં છે.
આ નમૂનામાં દુર્ગા માતાને વાઘ સાથે, માતા લક્ષ્મીને નગ્ન અવસ્થામાં ગણેશજી સાથે કેવી રીતે ચિતરવામાં આવ્યાં છે તે જુઓ. માતા સરસ્વતીને નગ્ન સ્થિતિમાં વીણા વગાડતાં દેખાડવામાં આવ્યાં છે. પાર્વતી દેવીને નગ્ન ચિતરવામાં આવ્યાં છે. આ ચિત્રોનું વર્ણન કરતાં પણ શરમ આવે તે રીતે હિંદુ દેવીદેવતાઓ પરના પોતાના વિચારોને હુસૈને રજૂ કર્યાં છે. હવે જુઓ મિયા હુસૈને પયગંબરની દિકરી ફાતિમા, જેને તેમણે દોઢ વર્ષની વયે ગુમાવી દીધા છે તે માતા, મધર ટેરેસા, પોતાની પુત્રી અને મુસ્લિમ મહિલા પર તેમણે તેમના વિચારોની અભિવ્યક્તિ કેટલી શિષ્ટતા અને શાલીનતા સાથે કરી છે....બુદ્ધિશાળી લોકોની સમજણ પણ કેટલી ગણતરીવાળી હોય છે!

મિત્રો, કથિત બુદ્ધિજીવીઓ આપણા અનેક પ્રાચીન મંદિરોમાં મિથુન શિલ્પો અને અનેક સંપ્રદાયના સ્થાપકોની નગ્ન પ્રતિમાઓ હોવાની વાત કરશે. પણ દોસ્તો, નગ્નતા અને અશ્લીતતા વચ્ચે ફરક છે. આપણે ત્યાં નગ્નતા પવિત્ર છે. તે મોટા ભાગે ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલી છે અને નગ્ન રહેતાં લોકોને પણ આપણે મોટા ભાગે નાગા નહીં પણ દિગંબર કહીએ છીએ. નગ્નતા શરમજનક, અસભ્ય કે ચિતરી ચડે તેવી ન હોય. તેમાં કોઈ સંપ્રદાય, ધર્મ કે સમાજને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડવાની ભાવના ન હોય. જ્યારે અશ્લીતતા એટલે બોલતા, સાંભળતા કે જોતાં શરમ આવે તેવી અભિવ્યક્તિ. તેનાથી સમાજમાં અંતરકલહ વધે છે, દ્વૈષ વધે છે, વેરઝેર વધે છે. ભારતીય સંસ્કૃતિમાં તમને નગ્નતા જોવા મળશે, કામરસનું દર્શન કરાવતાં મિથુન શિલ્પો જોવા મળશે પણ તેમાં અશ્લીતતા નથી.

દોસ્તો, હવે તમારે જ નક્કી કરવાનું છે કે હુસૈને હિંદુ દેવી-દેવતાઓના જે ચિત્રો દોર્યા તે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે કે પછી સ્વચ્છંદતા? તેમાં તમને નગ્નતા દેખાય છે કે અશ્લીતતા? ભારતીય પ્રાચીન મિથુન શિલ્પોમાં પવિત્રતા છે પણ શું હુસૈનના ચિત્રોમાં તમને પવિત્રતાનો અહેસાસ થાય છે? તેમાં તમને સુવિચાર દેખાય છે કે વિકૃતિના દર્શન થાય છે?

ચલતે-ચલતેઃ કોમનસેન્સ ઇસ નોટ કોમન અર્થાત્ સામાન્ય બુદ્ધિ કે સમજણ ખરેખર સામાન્ય હોતી નથી-આલ્બર્ટ આઇન્સ્ટાઇન.

Friday, March 12, 2010

ભગવાનને ઝોકું આવી ગયું અને માંકડું ઘડતાં ઘડતાં માણસ સર્જાઈ ગયો....


કોઈ પણ મુદ્દે ચર્ચાવિચારણા થાય તે અત્યંત સારી બાબત છે. બે કે તેથી વધારે વ્યક્તિ વચ્ચે નિખાલસપણે ચર્ચા થાય તો તેનો ફાયદો ચર્ચાવિચારણામાં ભાગ લેનાર બધાને થાય છે. નવી માહિતી અને નવા દ્રષ્ટિકોણ જાણવા મળે છે. કોઈના મનમાં ખોટી કે અપૂરતી માહિતી હોય તો તેના કારણે બંધાયેલો ખોટો દ્રષ્ટિકોણ દૂર થાય છે. વિચાર અને સમજણનું ફલક વિસ્તરે છે. પણ મુદ્દો એ છે કે કોઈ વ્યક્તિ તમને ચર્ચાવિચારણામાં ખેંચીને પોતે કેટલો માહિતીસભર છે, ‘હું જ સાચો છું, મારા જેવું બીજું કોઈ નહીં નથી’ તેવું સાબિત કરવા માગતી હોય ત્યારે શું કરવું?

તમને આ પ્રકારની વ્યક્તિ ભૂલથી ભટકાઈ જાય તો પ્રેમથી તેને નમસ્કાર કરવા અને તેનાથી દૂર રહેવું. જેમ અધુરો ઘડો છલકાય છે તેમ માહિતીના મહાસાગરમાં ડૂબકી મારીને જ્ઞાનરૂપી મોતી મેળવવાના ભ્રમમાં ભટકતી આ પ્રકારની વ્યક્તિઓ તમને ચર્ચામાં ખેંચવા પ્રયાસ કરશે. જ્ઞાનને માહિતી અને માહિતીને જ્ઞાન સમજનારા આવા ભાગતા ભૂતોની આ દુનિયામાં કમી નથી. ગૂજરાત વિદ્યાપીઠમાં મારા સાહેબ અશ્વિનભાઈ ચૌહાણ બહુ સરસ વાત કહેતાં કે, ‘‘જ્ઞાની તો સદીઓમાં એક પાકે છે, બુદ્ધને જ્ઞાન થયું હતું, ગાંધીને જ્ઞાન થયું હતું, મહાવીરને જ્ઞાન થયું હતું.’’ તેમની વાત આગળ વધારું તો મારે કહેવું છે કે, ‘‘અને માહિતીને જ્ઞાન સમજતાં અધાગધા ઠેરઠેર જોવા મળે છે.’’

માહિતીનો ભાર માથે લઈને ભાગમભાગ કરતાં મોટા માથાવાળા આવા ભૂતોને સાથ આપનારા ભૂતડાભૂતડીઓ પણ મળી જશે. તેઓ પણ આગેવાન ભૂતને સાથ આપીને તમને ચર્ચામાં ખેંચવાનો પ્રયાસ કરશે. એક સમયે તમે આ ભૂતવૃંદને જવાબ આપવા ઉશ્કેરાઈ પણ જશો. પણ તે સમયે તમારે વિચારવાનું છે કે તમારા મન પર કોનો સંયમ છે? તમારો પોતાનો કે ભૂતવૃંદનો? તમે જાણો છો કે આ પાગલ ટોળકી સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી અને તે તમારું દ્રષ્ટિબિંદુ સમજશે જ નહીં. ચર્ચાવિચારણાનો હેતુ કોઈને નીચે દેખાડવાનો હોતો નથી કે અન્ય લોકો કરતાં હું સર્વશ્રેષ્ઠ છું તેવું સાબિત કરવાનો નથી હોતો. પણ આગેવાન ભૂત તો દરેક જગ્યાએ પોતાનો કક્કો જ ખરો સાબિત કરવા માગતો હોય છે. ત્યારે શું કરવું?

ધૈય રાખો. સંયમ જાળવો. ચૂપચાપ તમારું કામ કરો. તમારી શક્તિ હકારાત્મક માર્ગે ઉપયોગ કરવા માટે છે, નિરર્થક ચર્ચામાં વેડફવા માટે નહીં. કોઈ વ્યક્તિ પોતાને નંબરવન તરીકે પ્રસ્થાપિત કરવા સતત પ્રયાસ કરે છે તો તેને કરવા દેવો. આપણે તેની સાથે કૂદકાં ન મારવા કે તેણે મારવા ન જોઈએ એવી વણમાગી સલાહ પણ ન આપવી. માર ભાઈ, તારામાં તાકાત હોય એટલા કૂદકાં માર. ભગવાનથી પણ ભૂલ તો થાય છે. કદાચ તેને ઝોકું આવી ગયું હશે અને માંકડું ઘડતાં ઘડતાં માણસ સર્જાઈ ગયો....

ચલતેચલતેઃ મિત્રો મને આવી ચર્ચામાં કૂદવાનું કહે ત્યારે તેમની વાત ન માનવાનું દુઃખ થાય છે, પણ શું કરું દિલ હૈ કિ માનતા નહીં...

Wednesday, March 10, 2010

હિંદુ કોણ?


હું કોઈ ઇતિહાસવેત્તા નથી. ઝાઝા પાંડિત્યનો અથવા ભારે વિદ્વત્તાનો મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે હિંદુ શબ્દ વેદમાં મળતો નથી મહાન સિંકદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા.

તમે સૌ જાણો છો કે હિંદુ ધર્મ સૌથી વધારે સહિષ્ણુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયેલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશા તત્પર છે અને અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મના અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વત્તાની અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારે માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે.

હું પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું, કારણ કે હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. હિંદુ સમાન મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો જે ઇશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને અને મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે અને તેથી વિશાળ અર્થમાં ગોરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે.

જો મને કોઈ હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે તો હું એટલો જ જવાબ આપું કે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને ન પણ માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ.

ગાંધીગંગાઃ સૂર્ય તપે ત્યાં સુધી હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે હિંદુ ધર્મનો નિચોડ આપી દીધો છે કે 'દયા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટમેં પ્રાન.'

એમ એફ હુસૈન, તસ્લિમા અને દંભી ધર્મનિરપેક્ષોની દોરંગી દુનિયા...


છેલ્લાં બે અઠવાડિયામાં બે ઘટનાઓ એવી બની જેમાં દંભી ધર્મનિરપેક્ષોના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો. તમે આ બંને ઘટનાઓ પર થોડું મંથન કરશો તો ભારતમાં ધર્મનિરપેક્ષતાનો ઝંડો લઈને ફરતાં કથિત બુદ્ધિજીવીઓની વિકૃત માનસિકતાનો ચિતાર મળી જશે. સૌ પહેલાં દંભી ધર્મનિરપેક્ષોના મનપસંદ ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈન અર્થાત્ એમ એફ હુસૈનની વાત કરીએ.

હુસૈન મિયાએ છેવટે કતારની નાગરિકતા સ્વીકારી કરી લીધી અને ભારતનો પાસપોર્ટ સુપ્રત કરી દીધો. તેમણે કતારના રાજવંશે નાગરિકતાની ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ ચેન્નાઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ કર્યો હતો. તેની જાણકારી મળતાં જ દેશભરમાં સ્વયંપ્રસ્થાપિત બુદ્ધિજીવીઓએ નિસાસા મૂકવાનું શરૂ કરી દીધું હતું. આ લોકો અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની દુહાઈ દઈ હુસૈનસાહેબને હેમખેમ ભારત પાછાં લઈ આવવાની વણમાગી સલાહ પણ સરકારને આપતાં હતાં. મુસ્લિમોની રીઝવવાની એક પણ તક જતી ન કરનાર મનુજીની સરકારે પણ હુસૈન મિયાને સ્વદેશ પાછાં ફરવાની વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે હુસૈન મિયાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી હતી.

હવે આ જ સરકાર અને આ જ ધર્મનિરપેક્ષ બુદ્ધિધનોનું વલણ અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારને જ લગતી એક બીજી ઘટનામાં કેવું હતું તે જુઓ. આ ઘટના બાંગ્લાદેશના બહાદુર કટ્ટર મુલ્લા-મૌલવીઓ જેનું શિર કલમ કરવાનો ફતવો બહાર પાડ્યો છે તે લેખિકા તસ્લિમા નસરિન સાથે સંબંધિત છે. વાત એમ છે કે તસ્લિમાએ વર્ષ 2007માં બુરખા પ્રથાનો વિરોધ કરતો એક લેખ લખ્યો હતો. કર્ણાટકના કન્નડ અખબાર 'પ્રભા'એ આ લેખનો કન્નડ અનુવાદ ગયા રવિવારે પ્રકાશિત કર્યો હતો. તેના વિરોધમાં કર્ણાટકના કટ્ટર મુસ્લિમોના ટોળેટોળાં અખબારની ઓફિસ પર તૂટી પડ્યાં. પેટ્રોલ બોંબ ફેક્યા. મન મૂકીને તોડફોડ કરી પણ અભિવ્યક્તિની આઝાદીનો ઝંડો લઈને ફરતાં કથિત ધર્મનિરપેક્ષ તત્વો ક્યાંય દેખાયા નહીં.

એટલું જ નહીં અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના નામે હિંદુ દેવીઓના નગ્ન ચિત્રો દોરનાર હુસૈન મિયાને ભારતમાં સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપનાર મનુજીની સરકારે તસ્લિમાની અભિવ્યક્તિની સ્વતંત્ર્તાના મુદ્દે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો. કદાચ મુસ્લિમ મતબેંક નારાજ થઈ જવાની બીક લાગતી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે કન્નડ અખબાર પ્રભામાં પ્રકાશિત થયેલા લેખ વિશે મુસ્લિમ મુલ્લા-કઠમુલ્લાઓને જાણકારી આપીને ઉશ્કેરનાર એક ઉર્દૂ દૈનિક 'સિયાસત' છે, જેની કર્ણાટક આવૃત્તિનું સંચાલન બીજું કોઈ નહીં પણ સોનિયા ગાંધીની ધર્મનિરપેક્ષ કોંગ્રેસના નેતા રોશન બેગ કરે છે.

(કુ)ચિત્રકાર હુસૈનને બચાવવા ચાર પગે થઈ જતાં ધર્મનિરપેક્ષો તસ્લિમાની બાબતે આગળ કેમ ન આવ્યાં? હુસૈનના પક્ષમાં ધર્મનિરપેક્ષોનું ચાર પગે થવું અને તસ્લીમાના મામલે ચૂપકીદી સેવવી, તેનો શું અર્થ છે? તમે વિચાર કરો કે હુસૈન મામલે હિંદુ સંગઠનોનો જંગલીઓનું ટોળું સમૂહ કહેનાર આ ધર્મનિરપેક્ષોની જમાત કન્નડ અખબાર પર હુમલો કરનાર કટ્ટર મુસ્લિમોના ટોળા વિશે એક હરફ સુદ્ધાં ઉચ્ચારતી નથી. દલિતો અને મુસ્લિમોના બચાવમાં ચાર પગે થઈ જનારા અને કથિત બુદ્ધિજીવીઓની જમાતમાં ગુજરાતમાં પણ નાનીસૂની નથી. છેલ્લાં થોડા સમયથી આવા (કુ)બુદ્ધિજીવીઓ અને તેમના ચમચા-ચમચીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે....