Tuesday, September 29, 2009

કિસ્સા કુર્સી કા...


હા, કિસ્સો ખુરશીની વાતનો છે અને સાથેસાથે ખુરશીની તાકાતનો અહેસાસ પણ કરાવે છે. સત્તાધારી માણસો લોકશાહીમાં પણ પોતાની તાકાતનો દૂરપયોગ કરી અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું ગળું દબાવી દે છે તેનો પુરાવો આ કિસ્સો છે. વાત એમ છે કે, વર્ષ 1975માં એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું કિસ્સા કુર્સી કા. રાજકીય વ્યંગ્ય રજૂ કરતી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા અમૃત નાહટાએ કર્યું હતું અને ફિલ્મનું મુખ્ય પાત્ર સ્વ. ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનને મળતું આવતું હતું. વર્ષ 1975માં આ ફિલ્મ રજૂ થવાની હતી, પણ તેની પહેલાં વાજપેયીજીએ જેમને મા દુર્ગા સાથે સરખાવ્યાં હતા તેવા ઇન્દિરા અમ્માએ કટોકટી લાદી દીધી હતી અને સરકારના દબાણ હેઠળ સેન્સર બોર્ડે ફિલ્મ રજૂ થવાની લીલી ઝંડી ન આપી.

સેન્સર બોર્ડના નિર્ણયને નાહટાએ અદાલતમાં પડકાર્યો. અદાલતે ચુકાદો આપ્યો કે ફિલ્મ રજૂ થાય તે પહેલાં ન્યાયાધીશોનો દેખાડવી. પણ બન્યું એવું કે અદાલત સામે ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ તેની મૂળ પ્રિન્ટ ગાયબ થઈ ગઈ. કહેવાય છે કે, સંજય ગાંધીના ઇશારે તત્કાલિન સૂચના અને પ્રસારણ મંત્રી વિદ્યાચરણ શુક્લએ મુંબઈથી ફિલ્મનો પ્રિન્ટ્સ જપ્ત કરાવી દિલ્હીની પાસે ગુડગાંવ સ્થિત મારુતિ ફેક્ટરીના સંકુલમાં રખાવી દીધી. પાછળથી બધી પ્રિન્ટ નષ્ટ કરાવી દીધી. તે પછી નાહટાનું શું થયું?

વર્ષ 1977ની ચૂંટણીમાં અમૃત નાહટા જનતા પક્ષની ટિકિટ પરથી સાંસદ બન્યા. તેમણે સંસદમાં માંગણી કરી કે, તેમની ફિલ્મની પ્રિન્ટ તેમને પાછી મળે. તત્કાલિન વડાપ્રધાન મોરારજી દેસાઈ અને સૂચના-પ્રચારણા મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ આ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય લીધો. સીબીઆઈના સંયુક્ત સચિવ નિર્મળકુમાર સિંહે આ કેસની તપાસ કરી અને સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. કેસની સુનાવણી થઈ અને દિલ્હીની એક સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દંડ કરી સજા સંભળાવી. ગાંધી અને શુક્લએ સેશન્સ કોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો. તે સમયે મોરારાજી દેસાઈએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ચૌધરી ચરણસિંહ કોંગ્રેસના ટેકાથી જ વડાપ્રધાનની ગાદી પર સવાર થઈ ગયા હતા. બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં ફિલ્મને લઇને નાહટા પોતે જ પોતાના આરોપોમાંથી ફરી ગયા. છેવટે સુપ્રીમ કોર્ટે પુરાવાના અભાવે સંજય ગાંધી અને વિદ્યાચરણ શુક્લને છોડી દીધા. પણ કિસ્સા કુર્સીના મામલાનું મહત્વ શું છે?

દેશમાં અદાલતે સજા ફટકાર્યા પછી પણ આરોપીઓને ચૂંટણી લડવાની પહેલી વખત મંજૂરી મળી હતી અને બંને ઉમેદવાર જીતી પણ ગયા. વર્ષ 1977માં અમૃત નાહટાએ ફરી તે જ સ્ક્રિપ્ટ પર કિસ્સા કુર્સી નામે જ ફિલ્મ બનાવી, પણ તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ.

હકનું બીજ ફરજ છે


હકનું બીજ ફરજ છે. આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડીને હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાના નીર જેવા છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. જે પ્રજાએ હકનું સેવન કર્યું છે તે પ્રગતિ કરી શકી નથી. તે જ પ્રજા વિકાસ સાધી શકી છે જેણે ફરજ અદા કરી છે. ફરજના પાલનમાંથી તેમને હક મળી રહ્યા. હકની આશા ન રાખનાર હક મેળવે છે અને હકની વાત કરનાર પડે છે એ ન્યાય છે.

જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો સરખો હક જેટલો પશુપંખીને છે તેટલો જ સરખો હક દરેક મનુષ્યને છે. દરેક હકની સાથે તેને લગતી ફરજ અને હક પર હુમલો થાય તો તેની સામેનો ઈલાજ જાણી લેવાનો જ હોય છે. મારાં અંગો વડે શ્રમ કરવો એ હકને લગતી ફરજ છે અને એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેનાર જોડે અસહકાર કરવો એ હક સાચવવાનો ઈલાજ છે.

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન જાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જ પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે.

સેન્ટર પોઇન્ટઃ પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિની ફરજના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય હોતો નથી. અધિકાર આવશ્યક હોય ત્યારે તેની મેળે દોડી આવે છે.

Wednesday, September 16, 2009

માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક

ના, આને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય. વાવણી બીજા કોઈ કરે અને લણણી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી કરે તો તેને માસ્ટરસ્ટ્રોક નહીં, મોદીસ્ટ્રોક કહેવાય. થોડી વધુ સ્પષ્ટતા કરીએ. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીજીની આશ્ચર્યજનક રીતે વરણી થઈ. આપણને આશ્ચર્ય લાગ્યું, પણ બિચારા અમિત શાહને તો આંચકો લાગ્યો છે. શાહસાહેબ કો ઝટકા અર્થાત મોદીસ્ટ્રોક ક્યું લગા?

તેના માટે ભૂતકાળમાં ડોકિયું કરી લઇએ. જીસીએના પ્રમુખપદની ગાદી બહુ દૂર નથી તેનો સંકેત ચાલુ વર્ષે નરેન્દ્રકાકાને 29 મેના રોજ મળી ગયો હતો. તે દિવસે ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ-અમદાવાદની ચૂંટણી યોજાઈ હતી. તેના કુલ 171 મતમાંથી અમિત શાહના જૂથની પેનલનો 138 મત સાથે વિજય થયો હતો અને નરહરી અમીન જૂથની પેનલનો માત્ર 32 મત સાથે શરમજનક પરાજય થયો હતો. તેની સાથે જ જીસીએમાં અમીનયુગનો અંત આવ્યો હતો. રમતજગતના અભ્યાસુઓ અને જીસીએમાં થઈ રહેલી હિલચાલ પર નજર રાખતાં નિષ્ણાતો જીસીએના નવા પ્રમુખ અમિત શાહ જ બનશે તેવું દ્રઢપણે માનતા હતા. કદાચ અમિત શાહ પણ પોતાને જીસીએના પ્રમુખ જ માનતા હતા અને તેવું માને તે સ્વાભાવિક છે. તેનું કારણ ભાજપના જ સૂત્રો પાસેથી જાણવા મળ્યું.

સૂત્રોએ જણાવ્યું કે, જીસીએમાંથી અમીન જૂથને દૂર કરવાનો વિચાર મૂળે અમિત શાહનો છે. તેઓ ક્રિકેટની રમત અને તેમાં રમતાં સટ્ટાથી સારી રીતે વાકેફ છે. મિત્રો, તેઓ ગૃહપ્રધાન હોવાના નાતે તેઓ સટ્ટા વિશે જાણકારી ધરાવે છે, બીજો કોઈ અર્થ નથી. ક્રિકેટ સોના આપતી મરઘી જેવો ધંધો (હવે તેમાં રમત ક્યારેક જ જોવા મળે છે) છે અને ગંદા હૈ પર ધંધા હૈ જેવી રમતમાં ગુજરાતના સર્વેસર્વા બનવાનું સ્વપ્ન શાહસાહેબ સેવતા હતા. અમિત શાહની ધારણા એવી હતી કે, મોદીસાહેબની નજર વડાપ્રધાનની ગાદી પર હોવાથી જીસીએની ખુરશીમાં તેમને રસ નહીં પડે. પણ તેમની ધારણા ખોટી પડી. તેમને મોદીજીનો મંત્ર ખબર નથીઃ જહાં ગાદી વહાં મોદી...પણ મોદીજીએ ઉતાવળ ન કરી. તેમને ફિલ્ડિંગ અમિત શાહને જ ભરવા દીધી. બેટિંગ કરવાનું આવશે ત્યારે મેદાનમાં ઉતરી જઇશું તેવું તેમણે નક્કી કર્યું હતું. અને થયું પણ એવું જ.

29 મેના રોજ અમીનજૂથનો પરાભવ થયો તે પછી 19 જૂનના રોજ જીસીએના સેક્રેટરી તરીકે અમીનના વિશ્વાસુ મનાતા સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું. તે પછી 22 જૂનના રોજ જીસીએની કારોબારીમાંથી સભ્યપદેથી વલસાડના કાંતિભાઈ દેસાઈ, ગાંધીનગરના મેહુલભાઈ પટેલ, સુરતના હનીફભાઈ પટેલે રાજીનામા ધરી દીધા. અમિત શાહના પ્રમુખ બનવા આડેના તમામ વિઘ્નો દૂર થઈ ગયા હતા. દરમિયાન 29 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે 15 સપ્ટેમ્બર સુધીમાં જીસીએની ચૂંટણી કરવાનો આદેશ આપ્યો. 15 સપ્ટેમ્બરના રોજ મોટેરા સ્ટેડિયમમાં અમિત શાહની વરણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. પણ શાહસાહેબને હજુ થોડી વધુ ધીરજ ધરવાનો આદેશ મળ્યો.

પ્રાપ્ત જાણકારી મુજબ, જીસીએમાં શાહજૂથનો દબદબો પ્રસ્થાપિત થઈ ગયો હતો. શાહસાહેબે વાવણી કરી હતી અને લણણી કરવાની તૈયારીમાં હતા ત્યારે તેમને આંચકો લાગ્યો. મોદીસાહેબે પોતે ક્રિકેટના મેદાનમાં ઉતરવાની ઇચ્છા વ્યક્ત કરી. પછી શાહસાહેબ પાસે પોતાના ગળા માટે તૈયાર કરેલી વરમાળા મોદીકાકાના ગળામાં પહેરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ પ્રકારના સ્ટ્રોકને માસ્ટરસ્ટ્રોક નહીં મોદીસ્ટ્રોક કહેવાય.

ચલતે-ચલતેઃ ક્રિકેટના મેદાનની લંબાઈ કેટલી છે તેની પણ જાણકારી ન ધરાવતા ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા થઈ ગયા છે- કિર્તી આઝાદ, ભૂતપૂર્વ ક્રિકેટર

Tuesday, September 15, 2009

'કિસ્મતવાલે' નરેન્દ્રકાકા

વીસમી સદીના અંતિમ દાયકાની શરૂઆતમાં એક હિંદી ફિલ્મ આવ્યું હતું. તેનું શીર્ષક હતું 'કિસ્મતવાલા'. નસીબદાર લોકોની ખાસિયત શું હોય છે? તેમના માટે આગળ વધવા સંજોગો અનુકૂળતા કરી આપે છે. આ પ્રકારના લોકો વિપરીત સંજોગો કે કસોટીનો સામનો પોતાની ક્ષમતા વડે કરી શકતા નથી, પણ તેમને નસીબ જ ઉગારી લે છે. ગુજરાતની નાની-મોટી કોઈ પણ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એન્ડ મંડળીનો વિજય થાય છે ત્યારે મારા મનમાં એક શબ્દ સ્ફૂરે છેઃ કિસ્મતવાલે કાકા.

ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સોમવારે ફરી એક વખત નસીબના બળિયા પુરવાર થયા. નરેન્દ્રકાકાને સ્વપ્યનેય ખ્યાલ નહોતો કે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાત બેઠકમાંથી પાંચ પર વિજય થશે. કોંગ્રેસના પરાજયથી તેઓ મોંમા આંગળી નાંખી ગયા હશે અને પોતાના પક્ષને મળેલા વિજયને લઇને મનોમન અલ્લાહનો આભાર માનતા હશે. વાત કરીએ આપણી સાડી પાંચ કરોડ ભોળીભટાક જનતાના સ્વામી નરેન્દ્રકાકાને લાગેલા વિજયી આંચકાની...

ગુજરાતમાં વર્ષ-2007ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રાપ્ત થયેલા વિજય પછી નરેન્દ્રકાકાને વાયુ થઈ ગયો હતો. કિટલીની જેમ ગરમ રહેતી તેમની ચમચામંડળીએ પણ ચાલુ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને અડવાણી પછી વડાપ્રધાનપદના દાવેદાર જાહેર કરી દીધા. પણ ગુજરાતની જનતાનો પારાવાર પ્રેમ તેમને એમ કાંઈ ગાંધીનગર ન છોડવા દે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26માંથી 20 બેઠક ભેટ ધરવાનું વચન મોદીકાકાએ આપ્યું હતું. પણ ગુજરાતીઓ સમજુ પુરવાર થયા. તેમને લાગ્યું કે આટલી બેઠકો મોદીજીને આપીશું તો તેઓ દિલ્હી ભાગી જશે અને ભાજપનો 15 બેઠક પર વિજય થયો. આ પહેલો આંચકો અને હવે વાત કરીએ બીજા આંચકાની...

લોકસભાની ચૂંટણી પછી તરત જ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી હતી. આ ચૂંટણીને મોદીકાકાએ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધો. લોકસભાની ચૂંટણીમાં પરાજય મળતાં ધુંધવાયેલા મોદી અંકલ બદલો લેવા જૂનાગઢમાં મેદાને પડ્યાં. તેમણે પાંચ મુસ્લિમોને ટિકીટ આપી અડવાણીની જેમ મુસ્લિમોના હ્રદય જીતવાનો પ્રયાસ કર્યો. મુસ્લિમ ઉમેદવારોએ ટિકીટ લીધી, મુસ્લિમ સમાજે હંમેશની જેમ દેશમાં મુસ્લિમ લીગને મળતી આવતી નીતિ ધરાવતા કોંગ્રેસને સાથ આપ્યો. જૂનાગઢમાં કોંગ્રેસનું શાસન આવ્યું. આ આંચકો પચાવે તે પહેલાં જ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના દંભી હિંદુવાદીઓને પછડાટ મળી. એક પછી એક પરાજયમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નહોતો. અહીં આપણે મોદીકાકાની એક ખાસિયત જાણી લઇએ. તેઓ વિજયનો શ્રેય લેવાનું ચૂકતાં નથી અને મુશ્કેલીમાં મોં સંતાડવાનું ભૂલતાં નથી. વિધાનસભાની પેટાચૂંટણીમાં તેમની આ ખાસિયત બહાર આવી ગઈ હતી.

આ પેટાચૂંટણીમાં જે સાત બેઠકો પર ચૂંટણી થઈ તેમાંથી છ બેઠકો કોંગ્રેસ પાસે હતી અને માત્ર એક બેઠક પર દંભી હિંદુવાદી ભાજપનો કબજો હતો. આ સંજોગોમાં કોંગ્રેસના વિજયના સંજોગો ઉજળા હતા. તેને ધ્યાનમાં રાખીને મોદીજીએ ચૂંટણીમાં રસ જ નહોતો લીધો. કોંગ્રેસની નબળાઈનો લાભ લઈ તાલુકા પંચાયતોની ચૂંટણીને પણ પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવતા મોદીકાકાને પેટાચૂંટણીમાં પરાજ્ય મળવાનો ડર હતો. તેમણે બધી જવાબદારી પુરુષોત્તમ રૂપાલાને સોંપી દીધી. પણ બન્યું એવું કે કોંગ્રેસની આંતરિક ફૂટફાટ એટલી બધી જબરદસ્ત સાબિત થઈ કે ભાજપને બગાસું ખાતા પાંચ બેઠક પર પતાસું મળી ગયું.

જસદણ બેઠક પર કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયાએ તેમની પુત્રી ભાવનાબહેનને ટિકીટ આપવાની જીદ કરી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે આ બેઠક મેળવવા ભાજપને બહુ મહેનત કરવી નહીં પડે. હકકીતમાં અહીં કોંગ્રેસ ભાજપના ઉમેદવાર ભરતભાઈ બોધરાને ટિકટી આપવા માગતો હતો. પણ કુંવરજીકાકાએ દિકરી માટે ટિકીટ મેળવી પણ બેઠક ગુમાવી. ભરતભાઈની ઇચ્છા પણ કોંગ્રેસની ટિકીટ પર જ ચૂંટણી લડવાની હતી. તે જ રીતે ચોટીલામાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ ઝીંઝરીયાના અવસાનથી ખાલી પડેલી બેઠક પર તેમના પુત્ર મનોજ ઝીંઝરીયાને ટિકીટ આપી સામે ચાલીને પરાજયની વરમાળા પહેરી લીધી. મનોજભાઈને રાજકારણ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. સમી-હારીજની બેઠક ભાજપે મૂળે કોંગ્રેસી અને અપરાધિક રેકર્ડ ધરાવતા ભાવસિંહ રાઠોડનો ઊભા રાખ્યાં હતા. તેની સામે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને બદલે અમદાવાદથી દિનેશ રાઠોડને ચૂંટણી લડવા મોકલ્યાં. ખરેખર જેને હાર જ મેળવવી હોય તેને કોણ રોકી શકે...દાંતા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ અહીં પક્ષે મુસ્લિમ ઉમેદવાર નુરભાઈ ઉમતિયાને ટિકીટ આપી. જૂનાગઢમાં પાંચ મુસ્લિમોને ટિકીટ આપનાર દંભી હિંદુવાદી ભાજપે અહીં અંબાજી મંદિરનો વહીવટ મુસ્લિમના હાથમાંથી રોકવા કોંગ્રેસને મત ન આપો તેવો પ્રચાર કર્યો. પછી તો જય માતાજી કરી ભોળી જનતાએ ભગવો લહેરાવી દીધો.

ખરેખર મોદીનું બુલડોઝર ફરી વળ્યું હોત (દિવ્ય ભાસ્કરની હેડલાઇન) કે મોદીનો પંજામરોડ (સંદેશની હેડલાઈન) હોત તો કોડીનારની બેઠક ભાજપ જાળવી શક્યું હોત. આ બેઠક વર્ષ 1995થી ભાજપ પાસે હતી, પણ કોંગ્રેસના ઉમેદવાર ધીરશી બારડનો વિજય થયો છે. આ વિજયથી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયેલા મોદીકાકા હવે તેનો શ્રેય લેવા મેદાને પડ્યાં છે. તેમણે આજથી વિધાનસભા પેટાચૂંટણીનો વિજયોત્સવ શરૂ થઈ રહ્યો છે. ખરેખર આ વિજયોત્સવ પણ ધન્ય છે.....જય માતાજી

Wednesday, September 9, 2009

નાઇન..નાઇન...નાઇન...નાઇન...!

ગ્રહ કેટલા છે? નવ. ખંડ કેટલાં છે? નવરાત્રિમાં રાસ-ગરબાની રમઝટ કેટલા દિવસ ચાલે છે? નવ. આજે તારીખ કઈ છે? નવ. કેટલામો મહિનો ચાલે છે? નવમો. વર્ષ કયું છે? એકવીસમી સદીનું નવમું. આજે વાર કયો છે? બુધવાર. બુધવાર એટલે અંગ્રેજીમાં Wednesday. તેમાં અક્ષરોની સંખ્યા કેટલી છે? નવ. અત્યારે અંગ્રેજી કેલેન્ડરનો નવમો મહિનો September ચાલે છે. તેના અક્ષરોની સંખ્યા પણ કેટલી છે? નવ. યસ, ઇટ્સ નાઇન..નાઇન...નાઇન...નાઇન...! It's happen only in 1,000 years!

હિંદુ ધર્મમાં પવિત્ર અને ગૂઢ ગણાતો નવ એક એવો અંક છે જેનો ગુણાકાર બીજા કોઈ પણ અંક કે સંખ્યા સાથે કરો ત્યારે જે સંખ્યા મળે તેના અંકનો સરવાળો કરો તો મૂળ અંક નવ જ મળે. જેમ કે, 9 * 2 = 18 (8 + 1 =9), 9 * 3 = 27 (7 + 2 =9), 9 * 9 = 81 (1 + 8 =9). આખા અંકમાં નવનો અંક ફરતો નથી. મિત્રો પણ નવના આંક જેવો મળે તો જ મજા આવે. આ અંક જેવો અચળ અને અડગ છે તેવી રીતે મૈત્રીની ગાંઠ પણ મજબૂત અને અખંડ રહેવી જોઇએ. બે કે વધુ મિત્રોના જૂથને તોડવા તેમાં પ્રવેશી ગયેલા અને હું બધા કરતા ચડિયાતો છું તેવું દેખાડવાનો સભાનપણે સતત પ્રયાસ કરતા બગલાઓની સિફતતાપૂર્વકની ચાલોને સમજી મૈત્રીનું કવચ અખંડ રહેવું જોઇએ.

ભારતીય અંકજ્યોતિષ શાસ્ત્ર મુજબ, નવ અંક ધરાવતા જાતકો આક્રમક સ્વભાવ ધરાવે છે અને પડકાર ઝીલી લે છે. તેઓ 1,3,6 અને 9 અંક ધરાવતી વ્યક્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાય છે અને 1,3,7 અને 9 અંક ધરાવતી વ્યક્તિ સાથે પ્રેમની મજા માણી શકે છે.

નવ વિશે વિશેષ જાણકારી મેળવવા ભગવદ્ગોમંડળમાં નજર નાંખી તો નવના નવથી વધારે રસપ્રદ અર્થ જાણવા મળે છે. નવ એટલે ઉશીનર રાજાનો એક દિકરો. અત્યારે અફઘાનિસ્તાનના કંદહારની આસપાસનો પ્રદેશ ઉશીનર નામે ઓળખાતો હતો. પુરુ અને યાદવ વંશમાં ઉશીનર નામે રાજા થઈ ગયા. તેમાંથી એક રાજાના પુત્રનું નામ નવ હતું. નવ નામે એક કરવેરો પણ હતા. મધ્યયુગમાં બિકાનેર રાજ્યના તાઝીમી પટ્ટેદારો ખેડૂતો પાસેથી આ કરવેરો ઉઘરાવતાં હતા. તાઝીમી એટલે તાજીમી અને તાજીમી એટલે માનનીય.

નવ નામની એક વનસ્પતિ પણ છે,જે સામાન્ય વાતચીતમાં રાતી સાટોડી નામે ઓળખાય છે. સાટોડીની વેલ હોય છે, જે મોટા ભાગે ઉકરડા ઉપર અને વિશેષ કરીને રેતાળ જમીનમાં બહુ ઉગે છે. તેના પાન તાંદળજાની ભાજીનાં જેવા ઘટ્ટ હોય છે. તેમાં નાનાં ઘંટના આંકારનાં સફેદ, રાતાં અને ગુલાબી રંગના ફૂલ થાય છે. તેનાં મૂળ દવામાં વપરાય છે. સાટોડી મુખ્યત્વે બે પ્રકારની હોય છે-ધોળી સાટોડી અને રાતી સાટોડી. ધોળી સાટોડીના બધા અંગ ધોળા હોય છે અને તેને ધોળાં ફૂલ આવે છે જ્યારે રાતી સાટોડીને રાતાં ફૂલ આવે છે. રાતી સાટોડીનું શાક થાય છે.

નવથી શરૂ થતાં રૂઢિપ્રયોગો પણ છે. જેમ કે, નવ કુળ નાગનું ઉચ્છેદ ગયું, ત્યારે અળશિયાનું રાજ થયું, નવ ગજના નમસ્કાર, નવ ગજની જીભ, નવનું સાડીતેર થવું....Sachin Tendulkarમાં તેંદુલકરના સ્પેલિંગના અક્ષર કેટલાં છે..નવ...ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ...આ બંને શબ્દના કુલ અક્ષર કેટલાં...નવ...ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સામે આંદોલન કરનાર લોકનાયક જયપ્રકાશ નારાયણ..બે શબ્દ નવ અક્ષર...