Saturday, May 1, 2010

આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ....


ગુજરાત રાજ્યના ઉદઘાટન પ્રસંગે પહેલી મે, 1960ના રોજ પૂ. રવિશંકરે મહારાજે સાબરમતી આશ્રમમાં આપેલું માર્ગદર્શક પ્રવચન


આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે તે વખતે પૂ. ગાંધીજીની ભવ્યમૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમ જ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમને નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા વિના રહી શકતો નથી. દેશને માટે જેમણે નાનીમોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યાં છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.

રાષ્ટ્રપિતા ગાંધીજીની સમક્ષ દરેક ક્ષણે નજર સમક્ષ ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવા છતાં ધંધોરોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયાખેડુઓ પણ છે, અને ગુજરાતની પ્રજા પાસે અર્થ વ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.

આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાલના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિષે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ વિશે તેમ જ પેદાશ પણ વધી હશે, પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણે સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી, પણ આપણે ત્યાંની એકએક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો તેના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.

આપણે ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણે ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ, એ તો પોષણનું સાધન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુંમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધઘીની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવાં દુર્લભ થાય એ આપણી દુર્દશા કહેવાય! એ સ્થિતિ આપણે ટાળવી જોઈએ.

ગોસંવર્ધન અને ગોસેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગોવધબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગોસેવાનો સાચો માર્ગ છે.

આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણે માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતે ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ....

સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણમાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગપ્રાપ્તિ માટે એને અન્ન અને દૂઘ-ઘી કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનારા ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યાં છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલો ગણાતો ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ્ય મળ્યાં પછી ત્યાગને બદલે ભોગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્ય જન પણ વળ્યા છે. આ કારણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે.

પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ મૂકે છે? એને જેટલું મળે છે એટલું ઓછું જ કેમ પડે છે? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખોપભોગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ ને કરકસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.

બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ, એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પડવી જોઈએ. રાજ્યનાં કામોમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્વો દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે.

આપણને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાયાં, એમ છતાં આપણા સામાન્ય જનોને આપણું રાજ્ય પરાયા જેવું લાગે છે, કારણ કે આપણા વહીવટની ભાષા હજુ અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહીવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને 'આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ' એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજ્યે સૌ પ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં જ લેવાશે.

પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણોમાંથી સ્વ. ખેર સાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ કરવાની જે નીતિ વર્ષો પહેલાં જાહેર કરીને અમલમાં આણી છે, એ બહુ ડહાપણભરી નીતિ છે, અને એને ગુજરાત રાજ્ય દ્રઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઊતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ એની પણ ખૂબ વિચારણા કરવી પડશે......

બધા પક્ષોને મારી વિનંતી છે કે તેઓ એટલું સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધપક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પાડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રમાં તડાં પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.

બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામપંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું......


....અસ્પૃશ્યતાનિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે....આવો જ સવાલ દારૂબંધીનો છે. એ અંગે આપણી જે નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય.

પૂ. વિનોબાજીએ આપણને ગ્રામસ્વરાજ્યની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાએ પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોશાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આપસઆપસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાવલંબી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.....

....આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમણે આપેલા વારસના શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ...

સર્વેડત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત્