Monday, April 27, 2009

ઇકબાલ બાનોઃ મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ...




પાકિસ્તાન. વર્ષ 1985. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ઘસડીને ફાંસીને માંચડે લટકાવી દેનાર સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ-હકનું શાસન. લશ્કરી શાસકો હંમેશા જનતાના વિદ્રોહથી ડરતા હોય છે અને તેમાં ઝિયા પણ અપવાદરૂપ નહોતા. ચારથી વધારે લોકોને ભેગા ન થવાનું ફરમાન તેમણે બહાર પાડ્યું હતું. તેમના આ ફરમાનની ઐસી-તૈસી કરીને લાહોરના એક મેદાનમાં 50,000 લોકોએ કૂચ કરી. ચાંદની રાતમાં એક વિદ્રોહી અવાજ પાકિસ્તાનની નાપાક સરકારની જોર-જુલમ અને જોહુકમથી દબાયેલી જનતાને સૂકુન આપતો હતો. તે રુહાની અવાજ હતો ઇકબાલ બાનોનો અને શબ્દો હતા 'હમ દેખેંગે જબ તખ્ત ગિરાએ જાયેંગે, જબ તાજ ઉછાલે જાયેંગે.' મેદાનમાં ઇકબાલ બાનોના ચાહકોનું એકચક્રી શાસન હતું અને મેદાનની બહાર? ઝિયા ઉલ-હકનું!

ઇકબાલ બાનો 21 એપ્રિલે જન્નતનશીન થયા. ફૈઝ અહેમદ ફૈઝની દમદાર શાયરીને ભાવભીનો સૂર આપી જાનદાર અને લોકપ્રિય બનાવનાર ઇકબાલ બાનો હતો. આ વાતનો એકરાર ખુદ ફૈઝે કર્યો છે. તેઓ મુશાયરામાં જતાં ત્યારે ઘણી વખત લોકો ઇકબાલ બાનોએ ગાયેલી ગઝલ સંભાળવવાની ફરમાઇશ કરતાં અને તેમના ચહેરા પર હાસ્ય ફરી વળતું હતું. ફૈઝના શબ્દોમાં વ્યક્ત થયેલી વેદનાનો અહેસાસ પાકિસ્તાનની જનતાને ઇકબાલ બાનોના અવાજમાં થતો હતો.

તેમનું માદરેવતન અખંડ હિંદુસ્તાનનું રોહતક. પિતા રુઢિવાદી વિચારસરણીના. તે સમયે જાલીમ ઇજ્જતદારો ફિલ્મ કે સંગીતની દુનિયાને નાપાક ગણતા હતા. પણ આ નાપાક દુનિયામાં જ એક પાક પુષ્પ ખીલી રહ્યું હતું. રોહતકની સરકારી શાળામાં બધા બાળકો અભ્યાસ શરૂ કરતાં પહેલાં પ્રાર્થના કરતાં હતાં-'લબ પે આતી હૈં દુઆ બન કે તમન્ના મેરી..' તેમાં ઇકબાલનો અવાજ સૌથી અલગ તરી આવતો હતો અને તેનો અહેસાસ તેની સહેલીઓને જ નહીં, શિક્ષકોને પણ હતો. 'ઇસકી આવાઝ હી ઇસકી પહેચાન બનેગી' તેવું શિક્ષકોએ કહ્યું ત્યારે પરંપરાપૂજક પિતા ફફડી ઊઠ્યાં હતા. પણ પડોશી કાયસ્થ પરિવારે તેમને હામ આપી અને બેટીને સંગીતના સાત સૂરોના રંગમાં રંગાઈ જવા મનાવી લીધા.

પિતા રોહતકથી દિલ્હી આવ્યાં અને ઇકબાલ બાનો દિલ્હી ઘરાનાના ઉત્સાદ ચાંદ ખાન સાહેબના ચરણોમાં બેસી ગયા। યોગ્ય માર્ગદર્શન મળે તો મુસાફિરને મંઝિલ સુધી પહોંચવા માટે ફાંફા મારવા પડતા નથી. ચાંદ ખાનની સંગતમાં ઇકબાલ બાનોની અંદર રહેલો કલાકાર બહાર આવ્યો. તેમને સૌપ્રથમ તક દિલ્હી રેડિયોમાં મળી. તેમના પર હિન્દી ફિલ્મ ઉદ્યોગની નજર પડે તે પહેલાં જ અંખડ હિંદુસ્તાનના ભાગલા થયા અને ઇકબાલ બાનો પરિવાર સહિત પાકિસ્તાન ચાલ્યાં ગયા.

પાકિસ્તાનમાં તેમણે રિયાઝ ચાલુ રાખ્યો અને ઉસ્તાદ આશિક અલી પાસે સંગીતની તાલીમ લીધી। 1952માં 17 વર્ષની ઇકબાલના નિકાહ એક જાગીરદાર સાથે થયા. નિકાહ પહેલાં તેમણે ઇકબાલ અને સંગીત વચ્ચે દિવાર ન બનવાનું વચન આપ્યું હતું, જે છેલ્લાં શ્વાસ સુધી નિભાવ્યું. બાનો ખયાલ, દાદરા અને ઠુમરીમાં કમાલની ગાયિકા હતા. 1955માં પહેલી વખત ગઝલ ગાવાની તક મળી. શબ્દ કતીલ શફાઈના હતાઃ 'ઉલ્ફત કી નઈ મંઝિલ કો ચલા હૈ ડાલ કે બાંહે બાંહો મેં, દિલ તોડને વાલે દેખ કે ચલ હમ ભી તો પડે હૈ રાહોં મેં.' પછી તેમણે ક્યારેય પાછું ફરીને જોયું નથી.

પચાસના દાયકામાં પાકિસ્તાનમાં પા પા પગલી માંડતા ફિલ્મ ઉદ્યોગમાં એક ગાયિક સ્વરૂપે ઇકબાલ બાનો છવાઈ ગયા। ગુમાન, કાતિલ, ઇન્તકામ, સરફરોશ, ઇશ્ક-એ-લૈલા અને નાગિન જેવી ફિલ્મોને આજે પણ તેમણે ગાયેલા ગીતોના કારણે યાદ કરવામાં આવે છે. પણ જેમ જેમ ફિલ્મોની ગીતોમાંથી શબ્દનું મહત્વ ઘટતું ગયું તેમ તેમ ઇકબાલ બાનો તેનાથી દૂર થતાં ગયા અને 1977 પછી તેમની ઓળખ સમાન અવાજે વિરામ લીધો અને તેના ત્રણ દાયકા પછી તેમના શ્વાસે. પાંચ દાયકા સુધી આવાઝ કી દુનિયામાં પાકિસ્તાનનું નામ રોશન કરનાર ઇબાલ બાનોના જનાજામાં સંગીતની દુનિયામાંથી માત્ર લોકગાયક શૌકત અલી જ જોડાયા હતા.

ચલતે-ચલતેઃ અબ તુમસે રૂખ્સત હોતા હૂં
આઓ સંભાલો સાઝે-ગઝલ
-ફિરાક ગોરખપુરી

Thursday, April 23, 2009

ચૂંટણી પોલની પોલમપોલ


29 માર્ચ, 1982નો આંધ્ર પ્રદેશના રાજકીય ઇતિહાસમાં સીમાચિહ્રનરૂપ છે. તે દિવસે તેલુગુ ફિલ્મના દંતકથા સમાન સુપરસ્ટાર નન્દમુરિ તારક રામારાવ અર્થાત્ એન ટી રામારાવે 'તેલુગુદેશમ' પક્ષની સ્થાપના કરી. તે સમયે કોંગ્રેસ અને જનતા પક્ષ રામારાવની ઠેકડી ઉડાવતો હતો. રામારાવનું એકચક્રી શાસન ફિલ્મઉદ્યોગ પૂરતું મર્યાદિત છે તેવી હવામાં ફરતાં કોંગ્રેસના નેતાઓ તેલુગુદેશમને 'કામ્માદેશમ' કહીને ઠેકડી ઉડાવતો હતો. એટલું જ નહીં રામારાવને ગંભીરતાથી લેવા જનતા પક્ષ પણ તૈયાર નહોતો.

જનતાની માનસિકતાથી અપરિચિત જનતા પક્ષના મોભીઓ સમક્ષ રામારાવે 200થી વધારે બેઠકોની માગણી કરી ત્યારે મોરારજી દેસાઈ ચકિત થયા ગયા હતા અને હસતા હતા। તે સમયે 'ઇન્ડિયા ટુડે' મેગેઝીને આકાશવાણી કરી હતી કે, કોંગ્રેસને 156 બેઠકો મળશે અને તેલુગુદેશમને 102 બેઠક મળશે. ચૂંટણીનું પરિણામ શું આવ્યું? તેલુગુદેશમને 202 બેઠકો મળી અને કોંગ્રેસને ફક્ત 60. અને જનતા પક્ષને? ટોકનરૂપે માત્ર એક બેઠક. પરિણામ આવ્યું ત્યારે પણ મોરારજી દેસાઈ ચકિત થઈ ગયા હતા, પણ હાસ્ય રામારાવના ચહેરા પર ફરકતું હતું. ચૂંટણી પહેલાં પોતાને દેશના સર્વશ્રેષ્ઠ બૌદ્ધિકો માનતા સેફોલોજિસ્ટો અને તેમની મંડળી વિવિધ મેગેઝીન અને ટીવી ચેનલોમાં જે આકાશવાણીઓ કરે છે તેનું મોટેભાગે ચૂંટણી પછી સૂરસૂરિયું થઈ જાય છે.

લોકસભાની વર્ષ 2004ની ચૂંટણી પહેલાં તો ચૂંટણી વિશ્લેષકોએ દરરોજ એનડીએના 'ઇન્ડિયા શાઇનિંગ'ની જય હો કરી હતી। વાસ્તવિકતાથી બિલકુલ અપરિચિત આ બૌદ્ધિકોની આકાશવાણીઓએ એવો કાળો કેર મચાવ્યો હતો કે, તેમના વાદે ચડેલા પ્રાદેશિક બૌદ્ધિકો પણ એનડીએના નામની જયજયકાર કરતાં હતા. પુરુષ-સ્ત્રીના શારિરીક સંબંધો અને દેશના કયા શહેરની સ્ત્રીઓ વધુ કામુક છે તેના પર સર્વેક્ષણ કરાવવા જાણતી ઓઆરજી-માર્ગ સંસ્થા પાસે આજતક ચેનલે આકાશવાણી કરાવી હતી. તેમાં એનડીએને 248, કોંગ્રેસ અને તેના સહયોગીઓને 190 અને અન્યને 105 બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી હતી. એનડીટીવીએ એસી નીલસનના સર્વેક્ષણના આધારે એનડીએને 230થી 250, કોંગ્રેસ અને સાથીપક્ષોને 190થી 205 અને અન્યને 100થી 120 બેઠકો મળશે તેવું જણાવ્યું હતું. એનડીએ તરફી સૌથી જોરદાર આગાહી સહાર સમય, સ્ટાર ન્યૂઝ અને ઝી ન્યૂઝે કરી હતી.

સહારા સમયે ડીઆરએસ સર્વેના આધારે એનડીએને 263થી 278, કોંગ્રેસ એન્ડ કંપનીને 171થી 181 અને અન્યને 92થી 102 બેઠક મળવાની ભવિષ્યવાણી કરી હતી તો સ્ટાર ન્યૂઝે સી-વોટર એજન્સીના આધારે એનડીએને 263થી 275, કોંગ્રેસ અને સાથીદારોને 174થી 186 અને અન્યને 86થી 98 બેઠક મળવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો। ઝી ન્યૂઝે તો તાલીમ સંસ્થાના સર્વેક્ષણને આધારે સ્પષ્ટપણે કહ્યું હતું કે, એનડીએને 249, કોંગ્રેસઆણી મંડળીને 176 અને અન્યને 117 બેઠક મળશે. ખરેખર પરિણામ શું આવ્યાં?

એનડીએના 'ઇન્ડિયા શાઇનિંગ'ના પરપોટો ફૂટી ગયો અને માત્ર 187 બેઠક મળી। કોંગ્રેસ એન્ડ કંપનીને 219 બેઠકો મળી. સોનિયા ગાંધીના ચહેરા પર હાસ્ય ફરક્યું અને ચૂંટણી વિશ્લેષકો હાંસીપાત્ર બની ગયા. તેમાંથી આ એજન્સીઓએ બોધપાઠ લીધો છે કે નહીં તે તો ચૂંટણી પરિણામ પરથી ખબર પડશે॥આકાશવાણીઓ તો આ વખતે પણ થઈ છે...

ચલતે-ચલતેઃ ઉત્તર પ્રદેશમાં વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાને ખાટું માનતા રાજદીપ સરદેસાઈ સંચાલિત સીએનએન-આઇબીએન અને દેશના વિદ્વાન ચૂંટણી વિશ્લેષક ગણાતા યોગેન્દ્ર યાદવની સીએસડીએસ સંસ્થાએ ઓપનિયન પોલમાં બહુજન સમાજ પક્ષને 140 અને સમાજવાદી પક્ષને 135 બેઠક મળવાની આગાહી કરી હતી. પરિણામ? માયાવતીના હાથીએ બધાને કચડી નાંખ્યા અને 206 બેઠક જીતી લીધી.

સંજય ગાંધીની કાર્બન કોપી બનવા અગ્રેસર વરુણ ગાંધી


1963માં વિદેશ સચિવ વાય ડી ગુન્ડેવિયાએ જવાહરલાલ નેહરુને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા આમંત્રણ આપ્યું હતું. અહીં ગુન્ડેવિયાએ કેરળમાં 1957માં સામ્યવાદીઓની સરકારની રચનાની વાત કરી ભોળાભાવે નેહરુને પૂછ્યું હતું કે, 'જો નવી દિલ્હીમાં પણ સામ્યવાદીઓની સરકાર બનશે તો જુદી જુદી સિવિલ સર્વિસનું શું થશે?' ત્યારે નેહરુએ શાંતિથી જવાબ આપતાં કહ્યું હતું કે, 'ભારત માટે સૌથી મોટો ખતરો સામ્યવાદ નથી, પણ બહુમતી હિંદુઓનો કોમવાદ છે.'

નેહરુ જે હિંદુ કોમવાદને દેશ માટે સૌથી મોટો ખતરો ગણતા હતા તેનું પ્રતિક આજે કોણ છે? તેમનો યુવાન પ્રપૌત્ર વરુણ ગાંધી. નેહરુ જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનૌરસ સંતાન ગણતા હતા. અત્યારે તે જ અનૌરસ સંતાનના નવા અવતાર ભાજપની ટિકિટ પર તેમનો પ્રપૌત્ર વરુણ ગાંધી પીલીભીતમાંથી ચૂંટણી લડી રહ્યો છે. તેમનું મુખ્ય શસ્ત્ર પણ કોમવાદ છે. એક સમયે નહેરુના વિચારોથી પ્રભાવિત વરુણ પર આજકાલ તેના પિતા સંજય ગાંધી બનવાનું ઝનૂન સવાર થયું છે. નહેરુ પરિવારના વારસાને તો સોનિયા એન્ડ સન્સ સંભાળી રહ્યાં છે એટલે વરુણ સમક્ષ તેના પિતાના વારસાને આગળ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

લોકસભાની વર્ષની 2004ની ચૂંટણી સમયે માલેગાંવમાં ભાજપની એક ચૂંટણી સભા સંબોધતા તેમણે સામાન્ય રાજકારણીઓની જેમ સરકાર (મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી યુતિની રાજ્ય સરકાર)ની ટીકા કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, 'આ સરકારે કંઈ કામ કર્યું નથી તેવું બોલવાનું મને ઘણા લોકોએ કહ્યું છે. પણ હું એવું નહીં કરું. આરોપો અને પ્રતિઆરોપોથી કોઈનું ભલું થયું નથી. માત્ર જનતાને નુકસાન થયું છે. હું બીજા પ્રકારની રાજનીતિની શરૂઆત કરવા ઇચ્છું છું.'

તે સમયે વરુણને ભાજપના દંભી હિંદુત્વનો રંગ લાગ્યો નહોતો. નહેરુના સાહિત્યથી પ્રભાવિત હતા. તેના પાંચ વર્ષ પછી વરુણને ખ્યાલ આવી ગયો કે ભારતીય રાજકારણમાં જનતાને નુકસાન થાય તેવી અને ફાલતું ડાયલોગબાજી કરો તો જ આગળ વધી શકાય છે. કવિતાસંગ્રહ પ્રગટ કરનાર ઋજુ હ્રદયના કવિ અને સમાજની ભલાઈની વાતો કરનાર નેતાને ઓળખવાની ક્ષમતા કે તેને પ્રોત્સાહન આપવાનું ખમીર આ પ્રજામાં નથી. એટલે તેમના ભલા વિચારોનું સ્થાન હવે ભયાનક અને દંભી વિચારોએ લઈ લીધું છે.

વર્ષ 2009ની ચૂંટણીમાં પીલીભીતમાંથી વરુણ અંગારા વરસાવતો હતો. આ લોકો (મુસ્લિમો સમજવું)ના નામ બીક લાગે તેવા હોય છે...જેમ કે કરીમુલ્લા કે મઝહરુલ્લા...જો રાતે તમને મળી જાય તો..તમે ડરી જશો..પણ જો કોઈ હિંદુઓ પર આંગળી ઉઠાવશે...કે પછી કોઈ એમ માને છે કે હિંદુ નબળાં છે...તો હું ગીતાના સોગંધ લઉં છું કે હું તે હાથને કાપી નાંખીશ....અડવાણી એન્ડ કંપનીએ રામની છેતરપિંડી કરી અને હવે વરુણ ગાંધી કૃષ્ણ અને તેમની ગીતાને હાથો બનાવી રહ્યાં છે.

સંજય ગાંધી જેવી જ માનસિકતા વરુણ ધરાવે છે. પિતાની જેમ પુત્ર વરુણનું પણ માનવું છે કે, નેહરુ એક નબળા વ્યક્તિ હતા અને ભારતના ઇતિહાસમાં તેમના પિતા સંજય અને દાદી ઇન્દિરાએ જ નોંધપાત્ર કામ કર્યું છે. નૈતિક આદર્શવાદનો યુગ પૂર્ણ થઈ ગયો છે. જે રીતે સંજય ગાંધી ગુંડાગીરી પર ઉતરી આવતાં હતા તેવી જ છબી ઊભી કરવાનો પ્રયાસ વરુણ કરી રહ્યો છે. સંજય ગાંધી રાજકીય લાભ ખાટવા લોકોની ભાવના ભડકાવાનો વિકલ્પ વધારે પસંદ કરતાં હતા અને વરુણ ગાંધી પણ એ જ શોર્ટકટ અપનાવી રહ્યાં છે...

ચલતે-ચલતેઃ લેખક આન્દ્રે મલરૉક્સે એક વખત જવાહરલાલ નહેરુને પૂછ્યું હતું કે, 'આઝાદી ભારત સમક્ષ સૌથી મોટો પડકાર કયો છે?' નેહરુએ જવાબમાં કહ્યું હતું કે, 'એક ધાર્મિક દેશની અંદર એક ધર્મનિરપેક્ષ દેશનું નિર્માણ.'

Tuesday, April 21, 2009

પ્રભાકરન: તમિળ પ્રજાની જીવંત દંતકથા


"દુશ્મનોના હાથમાં ઝડપાઈ જવાને બદલે હું મરી જવાનું વધારે પસંદ કરીશ," આ શબ્દો છે શ્રીલંકાની સરકારના સૌથી મોટા દુશ્મન વેલ્લુપિલ્લાઈ પિરાપહરન એટલે કે વેલ્લુપિલ્લાઈ પ્રભાકરનના. તમિળ પ્રજા સહિત સમગ્ર વિશ્વની નજર અત્યારે શ્રીલંકા પર છે. શ્રીલંકાની સરકારે પ્રભાકરનને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી છે. શું પ્રભાકરન આત્મસમર્પણ કરશે? કે પછી તેના ગળામાં હંમેશા લટકતી રહેતી સાઇનાઇડની ગોળી ગળી જશે?

1984માં 'સન્ડે' નામે એક જાણીતું ન્યૂસ મેગેઝિન પ્રકાશિત થતું હતું. તેના 11-17 માર્ચ, 1984ના અંકમાં પ્રભાકરનનો વિસ્તૃત ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો ત્યારે ભારત સહિત શ્રીલંકામાં નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી. અનિતા પ્રતાપ નામની સાહસિક યુવા મહિલા પત્રકાર પ્રભાકરનના જીવનનો પહેલો ઇન્ટરવ્યૂ લઈ આવી હતી. આ મુલાકાતમાં પ્રભાકરને દુશ્મનો હાથમાં ઝડપાઈ જવાના બદલે એડોલ્ફ હિટલરની જેમ પોતાના હાથે જ પોતાના જીવનનો અંત લાવવાની જાહેરાત કરી હતી.

અત્યારે શ્રીલંકાના લશ્કર વચ્ચે ઘેરાઈ ગયેલો પ્રભાકરન તમિળ વિદ્રોહનું પ્રતિક છે. એ તમિળ પ્રજા માટે ફિડેલ કાસ્ટ્રો કે યાસર અરાફત છે. તે જીવનને જ દર્શન માને છે. ઇતિહાસમાંથી હંમેશા માર્ગદર્શન મેળવતાં પ્રભાકરનનો ઇતિહાસ જાણવા જેવો છે.

માછીમાર પરિવારમાં જન્મેલો પ્રભાકરન જોરદાર નિશાનેબાજ છે. એકસો કદમ દૂરથી તે સચોટ નિશાન લગાવી શકે છે. આંખો પર પાટા બાંધીને ગણતરીની ક્ષણમાં રિવોલ્વરના પૂર્જા ખોલી શકે છે અને ફરીથી ફિટ કરી શકે છે. ગરીબ પ્રજામાંથી પ્રથમ કક્ષાના સૈનિકો તૈયાર કરવામાં તેની માસ્ટરી છે. તેના પિતા મધ્યમવર્ગીય સરકારી કર્મચારી હતા. નેપોલિયન, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ તેના આદર્શ છે. તે સશસ્ત્ર લડતના માર્ગે જ આઝાદી મેળવવામાં માને છે.

પ્રભાકરનનું નામ પહેલી વખત 1975માં ચમક્યું હતું. તેણે જાફનાના મેયર આલ્ફ્રેડ દુરાઈઆપ્પા પર જાહેરમાં ગોળીબાર કરી ઉડાવી દીધો હતો. આ પહેલાં તેના ગ્રૂપે જાફનામાં જ દુરાઈઆપ્પા સ્ટેડિયમમાં બોમ્બવિસ્ફોટો કર્યા. 1978માં લંકાના જેટ વિમાન એરપોર્ટ પર જ ઉડાવી દીધું. તમિળ પ્રજાને નિશાન બનાવતાં સિંહલ પોલીસ અધિકારી બસ્તી આમપલ્લીને પકડીને જાહેરમાં ફાંસી આપી દીધી અને 1983માં? 1983માં પહેલી વખત શ્રીલંકાની સરકારને તેની સાચી તાકાતનો અહેસાસ થયો. પ્રભાકરન અને તેના ટાઇગરોએ લંકાના સૈન્ય પર હુમલો કરી 13 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા....કોલંબોમાં ફફડાટ અને પછી તમિળો અને સિંહાલીઓ વચ્ચે હુલ્લડો....પછી ક્રાંતિ લોહી માગે છે તેવું માનતા પ્રભાકરનના દિલમાં પ્રેમરૂપી પુષ્પનું બીજ રોપાયું.

1984માં નવ તમિળ વિદ્યાર્થીઓને કેન્ડીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતા. તેમને જાફના યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હતો. આ માટે તેઓ આમરણાંત ઉપવાર પર ઉતર્યા હતા. તેમાં ચાર વિદ્યાર્થીનીઓ હતી. તેમાંથી એક છોકરીના પ્રેમીએ પ્રભાકરનને તેની પ્રેમિકાને ભૂખે મરતી બચાવી લેવાની વિનંતી કરી. પ્રભાકરને નવેનવ વિદ્યાર્થીઓનું અપહરણ કરીને તેમને મદ્રાસ પહોંચાડી દીધા. તેમાં એક છોકરી મતાવદાની હતી. તે મદ્રાસ પહોંચી ગઈ પણ પ્રભાકરનની હિમ્મત અને મર્દાનગી તેને સ્પર્શી ગઈ. શરીર મદ્રાસમાં હતું, પણ દિલ ટાઇગર પાસે હતું. પ્રભાકરન પણ મતાવદાની પર ફિદા થઈ ગયો હતો. મતાવદાની લંકા પાછી ગઈ અને પ્રભાકરને પરણી ગઈ. તેમને બં સંતાનો છે. પુત્ર એન્ટન સિલન અને પુત્રીનુ નામ? દ્રૌપદી! પ્રભાકરને તેના બહાદુર સાથી ચાર્લ્સ એન્ટન સિલન પરથી તેના દિકરાનું નામ રાખ્યું છે.

તેણે ક્યુબામાં લશ્કરી તાલીમ લીધી છે એવી વાતો પણ થાય છે. તમિળ પ્રજાની આઝાદી માટે તેણે તેના સૈનિકોમાં મરી ફિટવાની ભાવના ઠાંસીઠાંસીને ભરી દીધી છે. તમિળ ગેરીલા યોદ્ધા ભૂખે મરી જવાનું પસંદ કરે છે, પણ સિંહલ લશ્કરને શરણે જતાં નથી. પ્રભાકરન જબરદસ્ત શિસ્તમાં માને છે. તેના સૈનિકો શુરા અને સુંદરીઓથી દૂર રહે છે. તેઓ ગળામાં એક ડબ્બીમાં સાઇનાઇડ રાખે છે. દુશ્મનોના હાથમાં પકડાય તો તેની સામે જ સાઇનાઇડની ગોળી ગળી જઈ હસતાં-હસતાં દુનિયાને અલવિદા કહેતાં અચકાતાં નથી. પ્રભાકરન કદાચ તેના જીવનની નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. રાજીવ ગાંધીની હત્યા કરવાની જે ભૂલ કરી તેની સજા ભોગવી રહ્યો છે. અને અત્યારે કોંગ્રેસ શું કરી રહી છે? રાજીવ ગાંધીએ જે ભૂલ કરી હતી તે જ ભૂલનું કદાચ પુનરાવર્તન...

Sunday, April 19, 2009

'આઝાદી પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હસમુખ ગાંધી હતા'


'આઝાદી પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હસમુખ ગાંધી હતા।' આ શબ્દો છે સુરતથી ચાલતાં ડેઇલી ટેબ્લોઇડ 'ડીબી-ગોલ્ડ'ના તંત્રી દિલીપ ગોહિલના. હસમુખ ગાંધી જેવા નિર્ભીક, તેજાબી અને સ્પષ્ટ વિચારો ધરાવતા સંપાદકના હાથ નીચે તૈયાર થયેલા દિલીપ ગોહિલ 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' અને રેડિફની ગુજરાતી વેબસાઈટમાં આસિસ્ટન્ટ એડિટર હતા. 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' કયા કારણસર બંધ થયું, રેડિફની વેબસાઇટને શી મુશ્કેલી નડી, અત્યારે ડીબી ગોલ્ડને પડતી મુશ્કેલી વગેરે વિષય પર તેમની સાથે શનિવારે સવારે વાતો થઈ, જે પ્રશ્નોતરી સ્વરૂપે રજૂ કરું છું:

પત્રકારત્વમાં પ્રવેશ કરવાની ઇચ્છા કેવી રીતે થઈ?
મારું મૂળ ગામ રાજુલા. પહેલેથી જ વાંચનનો શોખ હતો. વિવિધ મેગેઝીન અને પુસ્તકો વાંચતો રહેતો. તે સમયે લખવાની ઇચ્છા જાગી હતી. પછી ભાવનગર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. (B.A. With English) તે સમયે લેખક બનવાનો થનગનાટ હતો, પણ ગુજરાતમાં સામાન્ય રીતે પ્રોફેસર-લેખકોની સંખ્યા વધારે છે. અહીં માત્ર લેખક તરીકે ગુજરાન ચલાવવું અત્યંત કઠિન છે, જ્યારે પ્રોફેસરો મફતમાં કે મફતના ભાવે ગમે તેવું સર્જન કરે તો પણ તેમને ઘર ચલાવવામાં વાંધો ન આવે.
તે સમયે મારી સમક્ષ શિક્ષક અને પ્રોફેસર બનવાની સારી તક હતી। અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ તેવી માનસિકતા લોકોમાં ઘડાઈ રહી હતી અને અન્ય વિષયના પ્રોફેસર કે શિક્ષક બનવા કરતાં અંગ્રેજીના વિષયમાં પ્રોફેસર કે શિક્ષક બનવું પ્રમાણમાં સરળ હતું, પણ શિક્ષકો વેદિયા હોય તેવી ભાવના પહેલેથી જ મારા મનમાં ઘૂસી ગયેલી. એટલે શૈક્ષણિક ક્ષેત્રમાં તો પ્રવેશ ન જ કરવો એવી ગાંઠ વાળી લીધેલી. તે પછી લેખક થવા માટે સૌથી નજીકનું ક્ષેત્ર પત્રકારત્વ છે તેવી જાણકારી મળી અને રાજકોટની સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પ્રવેશ મેળવ્યો.

કારકિર્દીની શરૂઆત જનસત્તાથી થઈ હતી...
હા। જનસત્તામાં 1986-87માં ટ્રેઇની પત્રકાર તરીકે જોડાયો હતો. તે સમયે ગુજરાતી પત્રકારત્વનું કેન્દ્ર મુંબઈ હતું. બધા મોટા પત્રકારો અને લેખકો-સાહિત્યકારો મુંબઈમાં સ્થાયી થયેલા. મુંબઈના પત્રકારત્વનો અનુભવ લેવાની અને શક્ય હોય તો ત્યાં સ્થાયી થવાની ઇચ્છા મોટા ભાગના યુવાન પત્રકારોમાં જોવા મળતી હતી. જનસત્તામાં બે-પાંચ મહિના કામ કર્યું તે દરમિયાન મુંબઈથી પ્રસિદ્ધ થતાં 'યુવદર્શન'માં કામ કરવાની તક મળી. ત્યાં થોડો સમય કામ કર્યુ. પણ પત્રકાર તરીકે પહેલી વ્યવસ્થિત શરૂઆત 'સમકાલીન'થી થઈ.

હસમુખ ગાંધીના હાથ નીચે?
હા। મારું સૌભાગ્ય છે કે, ગુજરાતી પત્રકારત્વના ઉત્તમ તંત્રીની નજર હેઠળ મને કારકિર્દીની વ્યવસ્થિત શરૂઆત કરવાનો મોકો મળ્યો.

તે સમયે યુવાન પત્રકારોમાં હસમુખ ગાંધી આદર્શ સમાન હતા..
ચોક્કસ। તેમના હાથ નીચે તૈયાર થવું એક લહાવો હતો. યુવાન પત્રકારો તેમની સાથે કામ કરવાનું સ્વપ્ન સેવતા હતા. પણ તેમની સાથે કામ કરવું બહુ મુશ્કેલ હતું. તેમને સ્વભાવ બહુ આકરો હતો. તેઓ પત્રકારત્વના સિદ્ધાંતો તથા ગુણવત્તાયુક્ત ભાષાના આગ્રહી હતા. આઝાદી પછી પત્રકારત્વનો જે આદર્શ હતો તેની તે છેલ્લી મશાલ સમાન હતા, સ્વતંત્રતા પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હતો.

હસમુખ ગાંધીને ગુજરાતી પત્રકારત્વના ઉત્તમ તંત્રી ગણવામાં આવે છે.....
તેઓ પત્રકારત્વના સિદ્ધાંતો અને ભાષા સાથે બાંધછોડ કરતાં નહીં। યુવાન પત્રકારોને પ્રોત્સાહન આપતા। ભૂલ હોય તો ટકોર કરતા। તેઓ માનતા હતા કે, તંત્રી કોઈ પત્રકારનો દોસ્ત ન હોઈ શકે, જ્યારે અત્યારે તંત્રીઓ આખી દુનિયાના દોસ્ત હોય છે। તેમનામાં સાચું કહેવાની તાકાત હતી, કારણ કે તેમને તેમની આવડત પર વિશ્વાસ હતો। તેમના હાથ નીચે પત્રકારત્વની એક આખી પેઢી તૈયાર થઈ છે. તેમનો સૌથો મોટો ગુણ તટસ્થતા હતી। તેઓ પૂર્વગ્રહથી પર હતા. ન્યાયાધીશની જેમ તંત્રી પણ શંકાથી પર હોવો જોઈએ અને ગાંધીસાહેબની પત્રકારત્વ પ્રત્યેની નિષ્ઠા પર કોઈ આંગળી ચીંધી ન શકે. તેની સરખામણીમાં અત્યારે તંત્રીઓ દલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલ મોટા ભાગના તંત્રી દલાલ જ છે. અત્યારે વાતાવરણ જ એવું છે કે, સારો દલાલ હોય તે જ તંત્રી થઈ શકે.

સમકાલીન છોડ્યા પછી તમે 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' મેગેઝીનમાં જોડાયા હતા. તેની ગુણવત્તા સારી હોવા છતાં બંધ થવાનું કારણ?
'ઇન્ડિયા ટુડે'નું મેનેજમેન્ટ. તે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી' જેવું સ્ટાન્ડર્ડ ગુજરાતીમાં જાળવી રાખવાનો આગ્રહ ધરાવતું હતું. આ માટે તેમણે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી'ના મોટા ભાગના વિષયો ગુજરાતી મેગેઝીનમાં આપવાની શરૂઆત કરી. એટલે અનુદિત પત્રકારત્વ વધારે થઈ ગયું અને સામાન્ય ગુજરાતીઓ સ્પર્શી ન શક્યું. (આ જ ધંધો અત્યારે 'સન્ડે ઇન્ડિયન' નામનું એક ગુજરાતી મેગેઝીન કરી રહ્યું છે અને તેને સફળતા મળી નથી। આ જ રીતે ચાલતું રહેશે તો નિષ્ફળતા મળવાની પૂરેપૂરી ખાતરી છે- કેયૂર કોટક)

ખરેખર મેનેજમેન્ટે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી'નાં પત્રકારત્વનું જે સ્ટાન્ડર્ડ હતું તેવી ગુણવત્તા ગુજરાતી પત્રકારત્વમાં વિકસાવવાની જરૂર હતી। 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી'માં ગુજરાત અને ગુજરાતીઓને રસ પડે તેવી માહિતીઓ પીરસવાની જરૂર હતી. પણ મેનેજમેન્ટ આ વાત સમજ્યું નહીં એટલે મેગેઝીન 'ક્લાસ' માટે બની ગયું અને 'માસ'માં પકડ જમાવી શક્યું નહીં. તેનું સર્કયુલેશન વધ્યું નહીં. દરમિયાન હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવ્યા પછી મંદીનો ગાળો હોવાથી જાહેરાતની આવક પણ ઘટી ગઈ. તેની સામે ખર્ચ બહુ વધારે હતો એટલે મેનેજમેન્ટે મેગેઝીન બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

'ઇન્ડિયા ટુડે-ગુજરાતી'ના સંપાદક શીલા ભટ્ટે મેનેજમેન્ટ સમક્ષ ગુજરાતીઓને પોતાનું લાગે તેવી માહિતી મેગેઝીને આપવી જોઈએ એ પ્રકારની રજૂઆત કરી નહોતી?
તેમણે રજૂઆત કરી હતી, પણ મેનેજમેન્ટ તેના નિર્ણય પર મક્કમ હતું। તેઓ અંગ્રેજી મેગેઝીન જેવો વાચકવર્ગ ગુજરાતમાં વિકસાવવા માંગતા હતા. આ માટે મેનેજમેન્ટે ધીરજ ધરવાની તૈયારી પણ દેખાડી હતી. પણ પાંચ-છ વર્ષમાં જ ધીરજ ખૂટી ગઈ હોય તેવું લાગ્યું.

ઇન્ડિયા ટુડેમાં કામ કરવાનો શો ફાયદો થયો?
પત્રકારત્વની સ્કિલનો પરિચય થયો, કમ્પાઇલેશન અને પ્રેઝન્ટેશન સારામાં સારું કેવી રીતે કરવું તેનો અનુભવ મળ્યો। મારી કારકિર્દીની વ્યવસ્થિત અને સારી શરૂઆત સમકાલીનમાં થઈ તો ઇન્ડિયા ટુડેમાં મારી કારકિર્દીને વેગ મળ્યો. હું તેમાં જુનિયર પત્રકાર તરીકે જોડાયો હતા અને ચાર વર્ષમાં ચાર પ્રમોશન સાથે આસિસ્ટન્ટ એડિટર થયો હતો. પત્રકારત્વનાં બે પાસાં-ડેસ્ક (તંત્રી) અને રિપોર્ટિંગ (રિપોર્ટર)માં તૈયાર થવાની તક મને બે કાબેલ માણસો પાસેથી મારી કારકિર્દીની શરૂઆતમાં જ મળી. સમકાલીનમાં હસમુખ ગાંધી નીચે ડેસ્કનું કામકાજ શીખ્યો તો ઇન્ડિયા ટુડે-ગુજરાતીમાં શીલા ભટ્ટ સાથે રિપોર્ટિંગ સ્કિલ વિકસી. મને ગુજરાતી ભાષાના આ બંને ઉત્તમ પત્રકારો સાથે કામ કરવાનો લહાવો મળ્યો.

ગુજરાતી પત્રકારત્વમાં શીલા ભટ્ટ, વર્ષા પાઠક જેવી મહિલા પત્રકારો આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. તેનું શું કારણ?
મુખ્ય પ્રવાહનાં અખબારો મહિલા પત્રકારોને બહુ તક આપતાં નથી અને તેમને જોઈએ તેવું વાતાવરણ મળતું નથી। શીલા ભટ્ટ અને વર્ષા પાઠક બંનેને ચિત્રલેખામાં મનપસંદ કામ કરવાની તક મળી અને સાથેસાથે તેમને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. ઉપરાંત તે બંને ક્ષેત્રમાં આગળ વધવા મહેનત કરવા તૈયાર હતાં.

અત્યારે ગુજરાતી પત્રકારત્વમાં મહિલા પત્રકારોની સંખ્યા વધી છે...
(હસતાં-હસતાં) સંખ્યા અને ગુણવત્તાને બહુ ઝાઝો સંબંધ નથી. સંખ્યા વધી છે અને અત્યારે ટીવીમાં મહિલા પત્રકારો માટે સારી તક છે, પણ તેમનામાં રૂટિનથી વિશેષ કંઈ કરવાનો બહુ ઉત્સાહ નથી તે હકીકત છે.

તમે પછી શીલા ભટ્ટ સાથે રેડિફની ગુજરાતી વેબસાઇટમાં પણ આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરેલું..
ઇન્ડિયા ટુડે-ગુજરાતી બંધ થયું પછી ઘરે બેઠો। આર્થિક સુમેળ સાધવા નાનાં-મોટાં અખબારોમાં કામ કર્યું. પછી રેડિફની ગુજરાતી વેબસાઇટમાં કામ કર્યું. તે એક નવા જ પ્રકારનું પત્રકારત્વ હતું. તેમાં મને શીલાબહેન સાથે ફરી એક વખત કામ કરવાની તક મળી હતી.

રેડિફની વેબસાઇટે પણ કામ ખરેખર સારું કર્યું હતું તેમ છતાં તેને પણ નિષ્ફળતા મળી. તેનું શું કારણ?
શીલા ભટ્ટ, વિક્રમ વકીલ અને અમારી ટીમે ખરેખર સારું કામ કર્યું હતું। ધરતીકંપ વખતે બિનનિવાસી ગુજરાતીઓમાં અમારી વેબસાઇટ સૌથી વધુ જોવાતી હતી. આ કામગીરી બદલ અમારી સાઇટને અમેરિકાની યુનિવર્સિટીનો એક ઇન્ટરનેશનલ જર્નાલિઝમ એવોર્ડ પણ મળ્યો હતો. અમે ધરતીકંપ વખતે ઝડપથી સચોટ માહિતી આપતા હતા. પણ ફરીથી આવકની સમસ્યા હતી. કોઈ પણ સાહસ આવક ન કરે તો તેને બંધ કરી દેવામાં જ ભલાઈ છે. હકીકતમાં તે ઇન્ટરનેટના પ્રસારનો પ્રારંભિક સમયગાળો હતો. તેમાં ગુજરાતી વેબસાઇટનો વિચાર સમય કરતાં આગળ હતો. વળી તે સમયે ઇન્ટરનેટનો તેજીનો ફુગ્ગો ફૂટી ગયો એટલે અમને બેવડો ફટકો પડ્યો. આવકના સ્રોત ઘટી ગયા એટલે સ્વાભાવિક રીતે તેને બંધ કરી દેવા સિવાય મેનેજમેન્ટ પાસે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો.

એટલે એવું કહી શકાય કે તમે મંદીના સરળ શિકાર છો...
(હસતાં-હસતાં) 1990 પછી તમામ મંદીનો ભોગ બન્યો છું।

ઘણા પત્રકારો એવું કહે છે કે, તમે ક્યાંય બહુ ટકતા નથી..
તેમાં અર્ધસત્ય છે। જ્યાં મને કામ કરવાની મજા આવતી હતી તે બધાં માધ્યમો કે પ્રકાશનો જમાના કરતાં આગળ હોવાથી સ્પર્ધામાં ટકી શક્યાં નહીં એટલે બંધ થઈ ગયાં. ઇન્ડિયા ટુડે અને રેડિફ છોડવાનો કોઈ સવાલ જ નહોતો. બાકીની નોકરીઓમાં કામ કરવાની મજા નહોતી આવતી એટલે છોડી દીધી. હું માત્ર રૂપિયા માટે કામ કરવામાં માનતો નથી. રૂપિયા જીવનમાં જરૂરી છે, પણ સારું કામ કરવાથી જે સંતોષ મળે તેનાથી વિશેષ બીજી કોઈ બાબત નથી.

તમે રેડિફ પછી ઇ-ટીવીમાં જોડાયા હતા. તે અનુભવ તમારા માટે એકદમ નવો હતો...
સાચું કહું તો મેં કામ કર્યું તેના કરતાં ઘરે વધારે બેઠો છું। તે પછી થોડો સમય નાનું-મોટું કામ કર્યું. ઇ-ટીવી દ્વારા ટીવી ચેનલમાં કામ કરવાનો અનુભવ મળી ગયો. તે એક અલગ પ્રકારનો અનુભવ હતો. ઇન્ડિયા ટુડે-ગુજરાતી અને રેડિફની ગુજરાતી વેબસાઇટ એ 'હાઇ કોસ્ટ, હાઇ કલાસ ઓપરેશન' હતાં, જ્યારે ઇ-ટીવી 'લો-કોસ્ટ ઓપરેશન' હતું. ઇ-ટીવીમાં મેનપાવર અને ક્વોલિટીની મુશ્કેલી હતી. મારે પત્રકારત્વમાં પા પા પગલી માંડતા યુવાનોને વ્યાવહારિક તાલીમ આપવી પડી હતી. તેમાંથી હું પણ ઘણું બધું શીખ્યો હતો. અમે ઇ-ટીવીમાં જે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ દાખલ કરી છે, તેનું આજે પણ પાલન કરવામાં આવે છે.

ઇ-ટીવીમાં પણ તમે બહુ સમય કામ નહોતું કર્યું....
ઇ-ટીવીમાં હું હૈદરાબાદ હતો। તે સમયે અમદાવાદમાં ડેઇલી ટેબ્લોઇડ 'મેટ્રો' શરૂ થયું હતું. એટલે પાછો ફર્યો અને તેમાં જોડાયો. પણ મેનેજમેન્ટમાં મેટ્રોને આગળ વધારવાની બહુ પ્રતિબદ્ધતા નહોતી. એટલે ધીમેધીમે તેમાંથી રસ ઊડતો ગયો. તેવામાં ભાસ્કર ગ્રૂપે સુરતમાંથી ડેઇલી ટેબ્લોઇટ 'ડીબી ગોલ્ડ' શરૂ કર્યું. તેમાં એડિટર તરીકે જોડાયો.

ડીબી ગોલ્ડ પણ મંદીનો શિકાર બન્યું છે....
મેં કહ્યુંને કે હું મંદીનો આસાન શિકાર છું। અમારું સર્કયુલેશન સારું એવું છે અને તેમાં એક કોપીનો ઘટાડો થયો નથી. પણ સમસ્યા ફરીથી આવકની છે. મંદી આવતાં જાહેરાતની આવક ઘટી ગઈ છે.

મેનેજમેન્ટ સુરતમાં શિફ્ટ કરવા વિચારે છે?
હા, મેનેજમેન્ટ એવું વિચારે છે, પણ અવઢવમાં છે। હજુ કાંઈ નક્કી થયું નથી. જોઈએ શું થાય છે.

તમે રેડિયો સિવાય સમાચાર સાથે જોડાયેલાં મોટા ભાગનાં માધ્યમમાં ખરેખર સારું કામ કર્યું છે. તેના ફાયદા અને ખાસ તો ગેરફાયદા શા છે?
(હસતાં-હસતાં) ફાયદો એ કે બેકાર થયા પછી કોઈ પણ માધ્યમમાં હું નોકરી કરી શકું। મારી પાસે તમામ માધ્યમનો સારો અનુભવ છે અને ગેરફાયદો એ કે મેં 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' અને રેડિફ સિવાય લાંબો સમય કામ કર્યું નહીં. જોકે લાંબો સમય એક જગ્યાએ કામ કરવાથી આ ક્ષેત્ર માટે કંઈ કરી શકાતું ન હોય તો તેનો કંઈ અર્થ નથી.

તમે બે દાયકા કરતાં વધારે સમયથી પત્રકારત્વમાં છો. આ સમયગાળામાં તમને શો ફરક દેખાય છે?
સૌથી મોટો ફરક તો તેની અસરકારકતાનો છે। તે સમયે લોકોને અખબારોમાં વિશ્વાસ હતો. તેમાં પ્રગટ થતાં સમાચારોમાં સરકારને ઉથલાવી દેવાની તાકાત હતી. પણ આર્થિક ઉદારીકરણ પછી ચિત્ર બિલકુલ બદલાઈ ગયું છે. પત્રકારત્વમાં મિશનનું સ્થાન કમિશને લીધું છે. અત્યારે સંપાદકે સમાચારોનું સંપાદન કરવાને બદલે બીજા ન કરવાનાં કામ વધુ કરવા પડે છે. મિડિયા મેનેજરોનો જમાનો છે. આજે આ ક્ષેત્રમાં ગ્લેમર વધી ગયું છે. લોકોમાં સમાચાર માધ્યમોની વિશ્વસનીયતા રહી જ નથી.

બીજો ફરક ભાષાનો છે। જેમ જેમ પેઢી બદલાય તેમ ભાષાનો ઘાટ બંધાતો જાય. તેને બદલે રિવર્સ ટ્રેન્ડ જોવા મળે છે. આજે કોઈ નવો પત્રકાર સળંગ પાંચ સાચાં વાક્ય લખી દે તો નવાઈ લાગે.

યુવાન પત્રકારો વિશે તમારું શું માનવું છે?
મોટા ભાગના યુવાન પત્રકારો પત્રકારત્વમાં કેમ આવ્યા છે તેની ખબર જ પડતી નથી. અમારી વખતે જે વાંચતા-લખતા હોય તેને જ પત્રકારત્વમાં પ્રવેશ મળતો. ભાષા અને વિષયની સમજ જરૂરી હતી. અમને ખબર જ હતી કે રૂપિયા ઓછા જ મળવાના છે તેમ છતાં પત્રકારત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા. અત્યારે તો ટીવી અને સેટેલાઇટને કારણે આ ક્ષેત્રમાં ગ્લેમર વધી ગયું છે. લોકો પૈસો અને પ્રસિદ્ધ મેળવવા પત્રકારત્વમાં પ્રવેશ કરી રહ્યાં છે, પણ તે માટે મહેનત કરવા તૈયાર નથી.
-------------
દિલીપ ગોહિલ કવિજીવ પણ છે। તેમની એક કવિતા 'નિસ્સાસા'ની નકલ 'ઇકોનોમિક ટાઇમ્સ'માં મારી સાથે કામ કરતા અજિત મકવાણાએ આપી હતી.

નિસ્સાસા

નિસ્સાસા નિસ્સાસા, મણમણના નિસ્સાસા
શમણા કેરી સુંદરીઓના કિસ્સાસા કિસ્સાસા...મણમણના નિસ્સાસા..
બારીઓમાં ઉઘડે ને દ્વારમાંથી ખુલ્લે એ છોડિયુંની
શેરીના રસ્તા ભાઈ લિસ્સાસા લિસ્સાસા...મણમણના નિસ્સાસા..
લગરિક બોલે પણ લાટ લજવાય જવાનીના
બોલ બહુ લાગે મને મિઠ્ઠાસા મિઠ્ઠાસા....મણમણના નિસ્સાસા..
સ્તનો કેરા ખેલ માંડે ટી-શર્ટમાં જોગણિયું
ને દેહ કેવા કળાય જાની અચ્છાસા અચ્છાસા...મણમણના નિસ્સાસા..
ચાલ ચાલે મલપતી ચાલે તો છોકરાવની
સાયકલુંના ચક્ર ફરે ધીમ્માસા ધીમ્માસા...મણમણના નિસ્સાસા..

Friday, April 17, 2009

કોણ માનશે?



દુઃખમાં જીવનની લાણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે?

ઉપચારકો ગયો અને આરામ થઈ ગયો !
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરકતી હતી સૌંદર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

'શૂન્ય' પાલનપુરી

શાહરૂખ 'નાથાલાલ' ખાન


તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કહ્યું છે કે, 'ઐસા કલજુગ આયેગા, હંસ ચુનેગા દાન તિનકા, કૌઆ મોતી ખાએગા।' શું અત્યારે 'સૂંઠને ગાંગડે ગાંધી' બની બેઠેલા લોકો તમને જોવા મળતાં નથી? અત્યારે નાણે નાથાલાલ બની બેઠેલા નાથિયાઓનો જમાનો છે. આવા જ એક 'નાથાલાલ' શાહરૂખ ખાને તેની દુર્બુદ્ધિનો પરિચય આપ્યો છે. તેને ક્રિકેટના કની પણ કદાચ બરાબર ખબર પડતી નથી અને વર્તણૂંક આ ક્ષેત્રના ખાટું હોવા જેવી કરે છે. એટલું જ નહીં ક્રિક્ટના માધાંતા ગણાતા સુનિલ ગાવસ્કરની ટીકા કરે છે. શાહરૂખે કોલકાત્તા નાઇટ રાઇડર ટીમમાં 'રોટેટ કેપ્ટનશિપ ફોર્મ્યુલા' અપનાવી લીધી અને સૌરવ ગાંગુલીના સ્થાને બ્રેંડન મૈકુલમને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આપણને કોઈ બાબતે સમજણ ન પડતી હોય ત્યારે જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઇએ. પણ અહંકારી અને મૂર્ખના સરદારો શું કરે છે? સામાન્ય રીતે તમે જોયું હશે કે, ઓછી આવડતવાળા અને સાથેસાથે અહંકારી પ્રકૃતિ ધરાવતા માણસો પોતાના જેટલી કે તેમનાથી ઓછી આવડતવાળા માણસોની સલાહ લેશે. તેઓ જાણકાર માણસની જાણી જોઇને અવગણના કરશે. શાહરૂખ 'નાથાલાલ' ખાને આવું જ કર્યું. ક્રિકેટના નિષ્ણાત ગણાતા સુનિલ ગાવસ્કરે પોતાના એક લેખમાં ચાર કેપ્ટનને બદલે એક જ કેપ્ટન રાખવાની સલાહ આપી તો શાહરૂખે રૂપિયાનો પાવર દેખાડ્યો અને કહી દીધું કે, જો ગાવસ્કરમાં ત્રેવડ હોય તો તેણે સલાહ-સૂચના કરવાને બદલે ટીમ ખરીદી લેવી જોઇએ.

ખરેખર ગાવસ્કરની વાત સાચી હતી. યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન હોય, સેનાપતિ તો એક જ હોય. જો યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી વારંવાર સેનાપતિ બદલાય તો સૈન્ય દિશાહીન થઈ જાય. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને પણ કહ્યું છે કે, 'બુચાનની ચાર કેપ્ટન રાખવાની વ્યૂહરચના ટીમના ખેલાડીઓને મૂંઝવણમાં મૂકવા સિવાય બીજી કોઈ સિદ્ધિ નહીં મેળવે.' પણ માલિકમાં જ મીઠું ન હોય ત્યાં તેના મૂર્ખના સરદાર સમાન નોકરની જ બોલબાલા હોય તેમાં કોઈ નવાઈ નથી.

કોલકાતા નાઇટ રાઇડર ટીમના માલિક શાહરૂખે ન તો ગાવસ્કરની સલાહ માની છે ન તો શેન વોર્નની. બુચાનન અંકલે મૈકુલમ ઉપરાંત ક્રિસ ગેલ, બ્રાડ હોગ અને સૌરવ ગાંગુલીને કેપ્ટન બનાવવાની યોજના ઘડી કાઢી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ બુચાનન મહોદય ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ હતા ત્યારે તેમણે આવી જ પદ્ધતિ અપનાવવાની ઓસ્ટ્રેલિયાના બોર્ડને સલાહ આપી હતી. પણ ઓસ્ટ્રેલિયાના બોર્ડે તેને જરૂર પડશે તો તારી સલાહ માંગી લઇશું તેમ કહી ચૂપ કરી દીધો હતો. તે સમયે શેન વોર્ન પણ ટીમમાં હતો અને તેણે કોચ બુચાનનની આ મૂર્ખામી ભરેલા સૂચનની ઠેકડી ઉડાવી હતી. વોર્નનું તો કહેવું છે કે, બુચાનનને રોજ સવારે ગાંડાઘેલા વિચાર લઇને આવતો અને ક્રિકેટ બોર્ડને રજૂ કરતો, પણ બોર્ડ તેને 'ટેકન ફોર ગ્રાંટેડ' લેતું હતું. તો પછી શાહરૂખે તેને આટલો બધો ભાવ કેમ આપ્યો? કારણ કે, ગાંગુલી સહિત બીજા બધા તેને 'ટેકન ફોર ગ્રાંટેડ' લે છે.

Thursday, April 16, 2009

ગુજરાતી ભાષાની પહેલી મૌલિક નવલકથા કઈ?


ગુજરાતી ભાષાની પહેલી મૌલિક નવલકથા કઈ? ગુજરાત જાહેર સેવા આયોગની પ્રીલિમનરી પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો હતો ત્યારે તેના જવાબમાં અમારા વર્ગખંડમાં હાજર મોટાભાગના પરીક્ષાર્થીઓએ કનૈયાલાલ મુનશીની નવલકથા 'ગુજરાતનો નાથ' પર ચોકડી મારી હતી। આક્રમક માર્કેટિંગના યુગમાં જીવતી અમારી પેઢી પાસેથી આનાથી વધુ અપેક્ષા ન રાખી શકાય. જેનું નામ વધુ સાંભળવા મળે તે તેના ક્ષેત્રમાં ખાટું અને બીજા બધા....તેનો સાચો જવાબ શું છે?

'કરણઘેલો।' મોટાભાગના ગુજરાતીઓની માનસિકતાનું વાસ્તવિક નિરૂપણ કરતી આ નવલકથાનું સર્જન સુધારક યુગના સાહિત્યકાર નંદશંકર તુળજાશંકર મહેતાએ ઇ. સ. 1866માં કર્યું હતું. તેમનો જન્મ આજથી 144 વર્ષ પહેલાં 16 એપ્રિલ, 1835ના રોજ સુરતમાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અહીં પ્રશ્ન એ છે કે, ગુજરાતીઓની માનસિકતા એટલે? 'ઘર ફૂટે ઘર જાય' એવી સ્થિતિ॥કલ ભી આજ ભી ઔર કલ ભી..

આ નવલકથાનું કથાવસ્તુ કરણ નામના ગાંડાઘેલા રાજાની આસાપાસ ગૂંથાયું છે. કરણ કોણ હતો? કરણ જૌહર અગાઉના જન્મમાં આ ગાંડોઘેલો કરણ હતો? ના. કેમ? તે આ જન્મ તો શું કોઈ જન્મમાં કોઈ યુવતી પાછળ ગાંડોઘેલો ન થઈ શકે. આ નવલકથાનું કથાવસ્તુ એક સ્વરૂપવાન સ્ત્રી પાછળ ગાંડાઘેલા થયેલા ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રજપૂત રાજા કરણદેવના જીવનની આસાપાસ ગૂંથાયું છે. પહેલાં રૂપસુંદરીઓને કારણે રાજાઓ વચ્ચે યુદ્ધ ખેલાતાં હતા અને અત્યારે? કહેવાતી રૂપસુંદરીઓની અશ્લિલ કળાને રંગ રંગાવા પોતાને રાજા સમજતાં, ઠેરઠેર વાજાં વગાડતાં અને કલમના કૂચડાં ફેરવતા કલમખોરો એકબીજાના પાટલૂન ખેંચી રહ્યાં છે. રાજા કરણે પોતાના બ્રાહ્મણ પ્રધાન માધવની પત્ની રૂપસુદરી પર નજર બગાડી, માધવને છેતરીને તેને બહારગામ મોકલી દઈ સિપાહીઓની મદદથી રૂપસુંદરીનું અપહરણ કરીને પોતાના મહેલમાં બોલાવી લીધી. બહારગામ ગયેલો માધવ પાછો આવ્યો ત્યારે સમગ્ર ઘટનાની જાણકારી મળતા રાજા ઉપર વેર લેવા દિલ્હીના તે સમયના બાદશાહ અલાઉદ્દીન ખીલજીને રૂબરૂ મળીને ગુજરાત પર આક્રમણ માટે તેડું આપે છે. બાદશાહ ગુજરાત જીતી લે છે અને મુસ્લિમ રાજ્યઅમલની શરૂઆત થાય છે.

નંદશંકર મહેતાએ ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર કૃતિ 'કરણઘેલો' નવલકથા આપી છે। આ પહેલાં ઇ. સ. 1862માં સોરબશા મુનસફ નામના એક પારસી લેખકે એક ફ્રેન્ચ લેખકની વાર્તાના અંગ્રેજી અનુવાદ 'ઇન્ડિયન કોટેજ' ઉપરથી 'હિંદુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું' નામની 69 પાનાંની નાનકડી વાર્તા નવલકથાના રૂપમાં આપી હતી. તે કૃતિ અનુવાદનો પણ અનુવાદ છે. નંદશંકરને 'કરણઘેલો' લખવાની પ્રેરણા તે વખતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર રસેલે આપી હતી. આ વિશે લેખકે પોતે પ્રસ્તાવનામાં લખ્યું છે કે,

''આ પ્રાંતના ઘણાખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી. આ ખોટ પૂરા પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્તાના જેવાં પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરાવવા આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર મહેરબાન રસેલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી અને એવી એક વાર્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આશરે ત્રણ વર્ષ પર રચ્યું.''

ગાંધીજીએ આ પુસ્તક વિશે અભિપ્રાય આપતાં કહ્યું હતું કે, 'તે ગુજરાતી ભાષાની પ્રૌઢતા બતાવનારા પુસ્તક છે।' નંદશંકર નર્મદના સુધારક પક્ષના તરફદાર હતા. સુરતની મ્યુનિસિપાલિટીમાં હોપસાહેબ સાથે રહી શહેર-સુધારણાનાં કાર્યો પણ તેમણે કર્યાં હતા. નોકરી અંગે તેમને ધુંધુકા, દેવગઢબારિયા, લુણાવાડા વગેરે વિવિધ સ્થળે કામ કરવાનું થયું. કચ્છ, ગોંડલ, ભાવનગર, ગોધરા, નાંદોદ અનેક સ્થળે કામ કર્યું. નિવૃત્તિ પછી તેઓ સુરતમાં સ્થિર થયા હતા. તેમની ઉત્તમ કામગીરીની કદરરૂપે અંગ્રેજ સરકારે તેમને રાવબહાદુરનો ખિતાબ આપ્યો હતો. ઇ.સ. 1905માં તેમનું અવસાન થયું હતું.

નકારાત્મક વિચારો નિર્બળ બનાવે છે


આપણે બાળકોનો રચનાત્મક ખ્યાલો આપવા જોઇએ। નકારાત્મક વિચારો મનુષ્યોનો કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માતાપિતા પોતાનાં સંતાનોને વાંચવા લખવા માટે કાયમ ટોક ટોક કર્યા કરે અને, ''તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.'' એવું કહ્યાં કરે ત્યાં ઘણાં દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. જો તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. જો તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.

માર મારવાથી ગેધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તેની રીતે પ્રમાણે આપણા બાળકોને કેળવવા મથતી કેળવણી પદ્ધતિ રદ થવી જોઇએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ મળતો નથી.

મનુષ્યમાત્રમાં અપાર મનોવૃત્તિઓ રહેલી છે. તેમને પોતાની તૃપ્તિ માટે યોગ્ય અવકાશની જરૂર છે. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે અને જરૂર માત્ર તેને જાગ્રત કરવાની છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેમના માટે કરવાનું છે. મનુષ્યને સુધારવાના બળજબરીથી થતા પ્રયાસો હંમેશાં એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે. જો તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં તો પછી એ શિયાળ બની જવાનો છે.

बीत चली है रात...

अब क्या देखें राह तुम्हारी
बीत चली हैं रात
छोडो
छोडो गम की बात
थम गए आंसू
थक गई अंखियां
गुजर गई बरसात
बीत चली है रात

फैज अहमद 'फैज'

Wednesday, April 15, 2009

'90 ટકા ગુજરાતી કવિતાઓ સાંભળી-વાંચીને એમ જ લાગે છે કે આખી પ્રજાને હીજડાઓ કરી મૂકવાનું ષડયંત્ર રચાઈ ગયું છે'


પુસ્તકઃ ઇન્ટરવ્યૂઝ
લેખક-સંપાદકઃ યશંવત ત્રિવેદી
પ્રકાશકઃ આર આર શેઠની કંપની
કિંમતઃ રૂ. 38

અચાનક મારી તેના પર નજર પડી અને તેને મારું બનાવવામાં એક પણ ક્ષણનો વિલંબ ન કર્યો। હું આવું સાહસ હવે માત્ર પુસ્તકો સાથે જ કરી શકું છું. ''ઇન્ટરવ્યૂઝ'' નામના આ પુસ્તકમાં યશંવત ત્રિવેદીએ મનુભાઈ પંચોળી 'દર્શક', ડો. ચંદ્રવદન ચી મહેતા, સુંદરમ, ડો. રમણલાલ જોશી, ઉમાશંકર જોશી, ચન્દ્રકાંત બક્ષી જેવા ગુજરાતના જાણીતા સાહિત્યકારોની વિસ્તૃત મુલાકાત લીધી છે. અહીં ચન્દ્રકાંત બક્ષીની મુલાકાતનો એક અંશ મૂકું છું.

યશવંત ત્રિવેદીઃ તમે વિધાન કર્યું છે કે, ''કોઈ પણ sensible માણસ કવિતા લખે નહિ,'' તો શું બધા કવિઓ non-sensible છે? ઊલટાનું, તમારાં વર્ણનો અને સંવાદો ખૂબ કાવ્યમય હોય છે। તો તમારા વિષે ભાવકે શું સમજવું? કેટલીકવાર વિવેચકો વાર્તાઓ વિષે એવું કહે છે કે ''વાર્તા કાવ્યનાં સીમાડા પર પહોંચી જાય છે,'' તે વિષે તમે શું વિચારો છો?

બક્ષીઃ ક્યાંક વાંચ્યું હતું કે કવિતા, વરાળની જેમ, દબાણ હોય તો જ સર્જાય છે। કવિતા આત્માની ભૂગોળનું દર્શન છે. ગઝલનો અર્થ વાંચ્યો હતો કે, ગિઝલા (હરણનું બચ્ચું) જીવલેણ રીતે આહત થઈ ગયું ત્યારે ગળામાંથી જે અંતિમ ઘરઘરાટ કરે એને ગઝલ કહેવાય છે-અને એ ગઝલ જીવનમાં એક જ વાર આવે. કવિતા એક રઈસી કલાપ્રકાર છે, શબ્દોનો ઉપયોગ સમાપ્ત થઈ જાય પછી રહેતા ભાવોમાંથી કાવ્યનું સર્જન થતું હોય છે, કવિતામાં પ્રત્યેક અલ્પવિરામ અને પ્રત્યેક ખાલી જગ્યાનો પણ ગર્ભિત અર્થ હોય છે. કવિતાના સર્જક પાસે વિષય અને સાધનોની, ન્યૂરોસર્જન પાસે હોય છે એમ પાક્કી ચોકસાઈ અને સફાઈ જોઈએ. આજના યુગમાં કવિતા એક મૃતઃપ્રાય કલાપ્રકાર છે. ટેકનોલોજીનો યુગ અને કવિઓની નવરી ઉડાનો આ બેનું સહઅસ્તિત્વ સંભવ નથી. કવિતામાંથી સંગીત અને ગેયતા ઓગળી જાય છે ત્યારે કવિતાનાં હાડકાં બોલાવ માંડે છે. કવિતાના શ્રેષ્ઠ દિવસો મરી ચૂક્યા છે.

1971ના ડિસેમ્બરના ભારત-પાકિસ્તાનના યુદ્ધ નિમિત્તે લખાયેલાં શૌર્યગીતો તમે વાંચ્યા-સાંભળ્યાં છે? કોઈ sensible માણસ યુદ્ધને આ રીતે જોઈ શકે? મુંબઈના ગુજરાતી રેડિયો પર જેને હું ''ગમાણ'' કહું છું-ગુજરાતના જૂના જોગીઓ વારે-તહેવારે જે કવિતાઓ છોડે છે એ સાંભળી છે? 90 ટકા ગુજરાતી કવિતાઓ સાંભળી-વાંચીને તમને એમ જ લાગે છે કે આખી પ્રજાને હીજડાઓ કરી મૂકવાનું એક ષડયંત્ર રચાઈ ગયું છે, મને ગુજરાતી કવિઓનો બહુ મોટો ભાગ હંમેશા રમૂજી લાગ્યો છે। કવિતા લખવાનું, આવી કવિતાઓ લખવાનું મારું કામ નથી - હું કોઈ દિવસ નિર્વીર્ય કવિતાઓ લખવાનો નથી. દસ-પાંચ ટકા કવિઓ મને ગમે છે જેમના પરવાઝમાં એમની ઘુટનનું સાતત્ય સ્પષ્ટ દેખાય છે. બાકી કવિતાકારો માત્ર ગમ્મત આપે છે.

''વાર્તા કાવ્યની સીમા પર પહોંચે છે'' એ કથનથી વધીને વાર્તાનું બીજું અપમાન નથી. આવું લખનારા-બોલનારા ન વાર્તાને સમજે છે, ન કવિતાને. કવિતા એટલે ઉચ્ચ અને વાર્તા એટલે ઉચ્ચથી જરા નીચે આવા રમૂજી વિચારો આ કળિયુગમાં રાખવા બુદ્ધિનાશની નિશાની છે. વાર્તા પોતાની રીતે સ્વસ્થતાની ચરમ સીમા પર પહોંચેલો એક કલાપ્રકાર છે, એને કવિતાનાં કોષ્ટકોમાં ગોઠવીને પીઠ થાબડવાની જરૂર નથી. ''કાવ્ય વાર્તાની ઊંચાઈએ પહોંચે છે,'' એવી વિચિત્ર તુલના કરી શકાય? ''વાર્તા કાવ્યની સીમા પર પહોંચે છે'' એવું વાંચું છું ત્યારે મને વિચાર આવે છે કે ''વાઘની આંખો મોરપીંછના રંગની સીમા પર પહોંચે છે'' જેવું મૂર્ખાઈભર્યું કોઈ કહી રહ્યું છે...હું આ બધાનો અર્થ સમજતો નથી.

Tuesday, April 14, 2009

વિધવા મહિલાઓની ગાડી પાટે ચડાવતી બિનાલક્ષ્મી નેપરમ


લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે। કોંગ્રેસ દેશનો વિકાસ કર્યા હોવાનો દાવો કરે છે તો ભાજપ મજબૂત સરકાર આપવાનું વચન આપે છે। ચૂંટણી ટાણે નેતાઓ આવે છે, વચનોની લ્હાણી કરે છે અને ગાદી મળતાં જ વચનોને યાદ રાખે તે નેતા એક બાપની ઔલાદ। આ નેતાઓના ફરજંદો હવે રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. લોહીપાણી એક કરતી પ્રજાના ટેક્સમાંથી લીલાલહેર કરતાં આ રાજકારણીઓ હવે ક્યાંય ન ચાલે તેવા તેમના લાડકા સંતાનોને લોકસભામાં ઘુસાડી પ્રજાને માથે મારવા માગે છે। આ માટે તેઓ યુવાન નેતાઓને તક આપવી જોઇએ તેવી વાતો કરી ભોળી એટલે કે મૂર્ખ જનતાને મહામૂર્ખ બનાવી રહ્યાં છે. હકીકતમાં આ દેશમાં અનેક યુવાનો એવા છે જે ખૂણે બેસીને ખરેખર સમાજને એક સારો માર્ગ ચીંધી રહ્યાં છે. આવા જ એક સામાજિક કાર્યકર બિનાલક્ષ્મી નેપરમ છે.

34 વર્ષીય બિનાલક્ષ્મીએ મણિપુરમાં મણિપુર વૂમન ગન સરવાઇવર્સ નેટવર્ક (એમડબલ્યુજીએસએન)ની રચના વર્ષ 2004માં કરી હતી। આ સંગઠન મહિલાઓને લોન આપી નાનો-મોટો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરે છે. તેમણે ચાર વર્ષ પહેલાં વધતાં જતાં સુરક્ષા ખર્ચ પર ચર્ચા-વિચારણા કરવા કન્ટ્રોલ આર્મ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની શરૂઆત પણ કરી છે.

બિનાલક્ષ્મી નેપરમ કિશારી હતી ત્યારે વિચારતી હતી કે બંદૂક અને હિંસા તો જીવનનો સામાન્ય હિસ્સો છે। મ્યાંમારની સરહદ પર સ્થિત મણિપુર નશીલી દવાની દાણચોરી અને ત્રાસવાદી સંગઠનોના હુમલાઓને કારણે જાણીતું છે. ગયા વર્ષે મણિપુરમાં વિભાજનવાદી ત્રાસવાદી સંગઠનોના હુમલામાં 700થી વધુ લોકો માર્યા ગયા છે અને 300 મહિલાઓ વિધવા થઈ છે.

નેપરમ સ્વદેશ પાછાં ફર્યા તે પહેલાં લંડનમાં એક બિનસરકારી સંગઠન સેફર વર્લ્ડ સાથે કાર્યરત હતા। ભારત આવ્યાં પછી તેમણે જાણકારી મળી કે, આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અથડામણમાં મહિલાઓ વિના કારણે ભોગ બને છે. આ કારણે તેમણે મહિલાઓને સામાજિક-આર્થિક સુરક્ષા પ્રદાન કરવા મણિપુર વૂમન ગન સરવાઇવર્સ નેટવર્કની સ્થાપના કરી છે. તેમનું કહેવું છે કે, આ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચેપી રોગ જેવી છે જેમાં દરરોજ સેંકડો લોકો માર્યા જાય છે અને તેમની વિધવાઓની બાકીની જિંદગી નર્ક જેવી બની જાય છે.

એક યુવાન મહિલા દેશ માટે પોતાનાથી બનતું બધું કરી છે જ્યારે રાજકારણીઓનાં ઐય્યાશ અને દેશની વાસ્તવિક સમસ્યાઓની જાણકારીઓમાં ઢબુ પૈસાનો ઢ જેવા પુત્ર-પુત્રીઓ કરોડો રૂપિયાના રોડ શો કરી જનતા જનાર્દન પાસે મતોની ભીખ માગી રહ્યાં છે. ખૈર, જેમની માનસિકતા કંગાળ હોય તેમના વંશજો પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય!

બીજાના દોષ ન જુઓ


મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે। તેને કાબૂમાં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઇએ. લોભી બનીને માત્ર માનસિક સિદ્ધિઓને જ વિચાર ન કરો, તેને જવા દો. જે માણસ મનની શકિતઓને શોધતો ફરે છે, તે તેમનો ગુલામ બને છે. જે લોકો આવી શક્તિઓની ઇચ્છા રાખે છે. લગભગ બધા તેના પાશમાં બંધાય છે.

મન પર સંપૂર્ણ સંયમ મેળવવાનો રામબાણ ઉપાય પૂર્ણ સદાચારનું પાલન છે। જે સંપૂર્ણપણે સદાચારી છે તેને બીજું કશું કરવાની જરૂર નથી, તે મુક્ત જ છે. જે માણસ સંપૂર્ણપણે સદાચારી છે તે બને ત્યાં સુધી બીજા કોઈને દુઃખ પહોંચાડી શકતો નથી. જેણે મુક્ત બનવું છે તેણે અહિંસા પ્રાપ્ત કરવી જ જોઇએ. જેણે સંપૂર્ણ અહિંસા કેળવી છે તેનાથી વધારે શક્તિશાળી માણસ બીજો કોઈ નથી. તેવા માણસની હાજરીમાં કોઈ લડાઈ કરી નથી શકતું કે કોઈ ઝઘડો કરી નથી શકતું. તેની હાજરી જ્યાં હોય ત્યાં શાંતિ હોય, ત્યાં પ્રેમ હોય.

બીજાને પ્રેમ કરવાનો એક સરળ માર્ગ છે. બીજાઓના દોષને ન જુઓ. બીજાઓને દોષ ગમે તેટલા ખરાબ હોય તોપણ તેમના વિશે કદી બોલશો નહીં. તેનાથી કંઈ લાભ થતો નથી. માણસના દોષ વિશે બોલી બતાવવાથી તમે તેને ક્યારેય મદદ કરી શકતા નથી. તેથી ઊલટું તમે તેને નુકસાન પહોંચાડો છો અને સાથેસાથે તમારી જાતને પણ નુકશાન કરો છો.

Monday, April 13, 2009

તમે જીવનમાં એક દિવસ કાંઈક ગુમાવ્યાની લાગણી ન અનુભવો તે માટે લખાયેલું એક પ્રેરણાદાયી પુસ્તક



પુસ્તકઃ ખભે કોથળો ને દેશ મોકળો
લેખકઃ રશ્મિ બંસલ
ભાવાનુવાદઃ સોનલ મોદી
પ્રકાશકઃ આઇઆઇએમ-અમદાવાદ
કિંમતઃ રૂ. 150

જીવનની ઘણી વણઉકેલી મૂંઝવણો, જવાબ વગરના સવાલો, આપણા દિલના દ્વાર વારંવાર ખટખટાવ્યા જ કરે છે। તેમાંનો એક સવાલ છે....'જો મેં આમ કર્યું હોત તો?'

મારા કોલેજકાળના પ્રથમ પ્રેમી સાથે પરણી હોતો તો?

હું થોડાં વર્ષ મોડી જન્મ હોત તો? સારી નોકરી તો મળત.

મેં જીવનમાં થોડું ઓછું પ્લાનિંગ કર્યું હોત તો?

અરે! થોડું વધારે જીવી શકાય તો?
હિંમત કરીને નાનપણમાં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો હોત તો?

આ બધા 'જો' અને 'તો' કાલ્પનિક નથી હોતા। દરેક કલ્પનાની પાછળ એક આશા, એક અરમાન, એક સ્વપ્ન હોય છે. પણ આ અરમાનોમાં બીકરૂપી ડામરની ગોળીઓ મૂકીને આપણે એ સ્વપ્નાનું પોટલું વાળી દઈએ છીએ. મનોમન વિચારીએ છીએ કે કે ક્યારેક એ અરમાનોનું પોટલું ખોલીશું. જોકે, એ ખોલવાનો વખત અને આવે છે ત્યારે આપણે ખૂબ થાકી ગયા હોઈએ છીએ. ક્યાં તો આળસી જઈએ છીએ અગર વૃદ્ધાવસ્થાને આરે પહોંચી જઈએ છીએ.

તમે જીવનમાં એક દિવસ કાંઈક ગુમાવ્યાની લાગણી ન અનુભવો તે આશયથી એક પ્રેરણાદાયી પુસ્તક લખાયું છે। રશ્મિ બંસલ લિખિત આ બેસ્ટસેલર પુસ્તક 'STAY HUNGRY STAY FOOLISH'નો સરળ અને રસાળ ભાવાનુવાદ 'ખભે કોથળો ને દેશ મોકળો' શીર્ષક સાથે જાણીતા ગુજરાતી અનુવાદક સોનલ મોદીએ કર્યો છે. તેમણે સુધા મૂર્તિના જીવનલક્ષી પુસ્તકોનો સરસ અનુવાદ કર્યાં છે જે ગુજરાતીમાં બેસ્ટસેલર પુરવાર થયા છે.

આ પુસ્તક દેશની જાણીતી મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદમાંથી સ્નાતક થઈને સફળ ઉદ્યોગ સાહસિક બનેલા 25 યુવાનોની પ્રેરણાત્મક સંઘર્ષની વાત રજૂ કરે છે. આઇઆઇએમના વિદ્યાર્થીઓ સારા મેનેજર બની શકે છે, પણ ઉદ્યોગપતિ નહીં. જો તમે આ પ્રકારની માન્યતા ધરાવતા હશો આ પુસ્તક તેનું ખંડન કરે છે. તેમાં ભારતના સૌથી સફળ ઇન્ટરનેટ સાઇટ નોકરી ડોટ કોમના ઉદ્યોગપતિ સંજીવ બિખચંદાની, એજ્યુકોમ્પના માલિક શાંતનુ પ્રકાશ, દેશની જાણીતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ કંપની ફિડબેક વેન્ચર્સના સ્થાપક વિનાયક ચેટર્જી, દેશની સૌથી મોટી રીટેલ કંપની સુભિક્ષાના સ્થાપક આર સુબ્રમન્યન સહિત 25 ઉદ્યોગસાહસિકોના સંઘર્ષની દાસ્તાન રજૂ કરે છે.
અહીં જેમની વાતો રજૂ કરવામાં આવી છે તેમણે બજારમાં તક જોઈ હતી, ધંધા માટેની શક્યતા જોઈ હતી, પરંતુ સાથેસાથે તેમણે પોતાની ક્ષમતાનું વાસ્તિવક મૂલ્યાંકન પણ કર્યુ હતું। તેમણે પોતાના અંતરાત્માના અવાજને સાંભળ્યો હતો....કે સાબુ વેચવામાં કદાચ વધારે રૂપિયા મળશે॥પણ તેનો કોઈ અર્થ ખરો? તગડી કંપનીના પગારદાર નોકર બની જવાનું તો બહુ સહેલું છે, પણ તારે જિંદગીભર એ જ કરવું છે? તારી શક્તિઓ તારે કાંઇક વધુ મેળવવામાં વાપરવી છે કે નહીં?

અને તેથી જ બીજાની નજરમાં મૂર્ખામી ઠરે તેવા કામો આ વીરલાઓએ કર્યાં। દરેક ઉદ્યોગ સાહસિકની વાત જુદી છે, પણ દરેકે વિશ્વાસથી ડગ માંડ્યાં છે, ખૂબ ખંત અને ધીરજપૂર્વક ઝઝૂમ્યા છે અને આજે સફળ કહી શકાય તેવી મોટી કંપનીઓના માલિક બન્યા છે.

તમારામાં જ્ઞાનની ભૂખ અને નવું કરવાની ઇચ્છા છે ખરી?

વીર બનો, નિર્ભય બનો


વેદોમાં એક શબ્દ વારંવાર આવે છેઃ 'નિર્ભયતા.' કોઈ પણ જાતનો ડર ન રાખો. ભય એ નબળાઈની નિશાની છે. તે આપણો મોટામાં મોટો શત્રુ છે. દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના માણસે પોતાનું કર્તવ્ય બજાવવું જોઇએ.

તમે જે કંઈ વિચાર કરો છો તેનું સ્વરૂપ તમે બની જાઓ છો। તમારે જો વિચાર કરવા જ હોય તો સારા વિચાર કરો, મહાન વિચાર કરો. તમે નિર્બળ ક્ષુદ્ર કીડા છો એમ શા માની લો છો? અમે નિર્બળ છીએ, અમે નિર્બળ છીએ, એમ કહ્યાં કરવાથી આપણે નિર્બળ જ બનતા જઇએ છીએ. હું પાપી છું એમ કહ્યે મારું શું ભલું થવાનું છે? હું જો અંધારામાં હોઉં, તો મારે દીવો સળગાવવો જોઇએ; દીવો સળગાવો એટલે બધો અંધકાર દૂર થઈ જવાનો. છતાં માનવનો સ્વભાવ કેવો વિચિત્ર છે ! તમે તેમને સત્ય બતાવો તો પણ તેઓ તે જોતા નથી; લોકોને અંધારું જ વધુ ગમે છે. ભગવાન બુદ્ધે કહ્યું છે કે, ઓછેવત્તે અંશે આખી માનવજાત પાગલ છે, તે સાવ સાચું લાગે છે.

જીવનનું સઘળું રહસ્ય નિર્ભય બનવામાં છે. તમારું શું થશે તેનો ભય રાખો નહિ; કોઈ પર આધાર ન રાખશો. જ્યાં સુધી ઈશ્વર આપણી 'ઉપર' છે ત્યાં સુધી નિર્ભયતા શક્ય નથી. આપણે ઈશ્વર 'થવું' જોઇએ. વીર બનો. હંમેશા બોલોઃ 'મનો કોઈ ડર નથી,' દરેકનો કહોઃ 'નિર્ભય બનો.' ભય તે મૃત્યુ છે, ભય તે પાપ છે, ભય તે નરક છે, ભય તે અધમ છે, ભય તે મિથ્યા જીવન છે. ભય એ જ મૃત્યુ છે. તમારે સર્વ પ્રકારના ભયથી પર જવાનું છે, માટે તમારું જીવન હોમી દેવા તત્પર બનો.

શિખર ક્યાં છે, મારા પ્રભુ?


હું ઉપર ચડતો ગયો, ચડતો ગયો,
શિખર ક્યાં છે, મારા પ્રભુ?
હું ખેતર ખેડતો ગયો, ખેડતો ગયો,
જ્ઞાનનો ખજાનો ક્યાં છે, મારા પ્રભુ?
હું નાવ હંકારતો ગયો, હંકારતો ગયો,
શાંતિનો દ્વીપ ક્યાં છે, મારા પ્રભુ?
હે પરમેશ્વર, મારા રાષ્ટ્રને આશિષ આપો;
પરિકલ્પના અને પરિશ્રમના :
એક એવો ખંત, જે શાશ્વતીથી પણ વધુ જીવે.

Sunday, April 12, 2009

'ખભે કોથળો ને દેશ મોકળો'ના વાંચનથી ગુજરાતી યુવાનોને લાભ થશેઃ સોનલ મોદી


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માંથી મોટે ભાગે કુશળ મેનેજરો મળે છે અને તમારે ઉદ્યોગપતિ બનવું હોય તો આઇઆઇએમમાં અભ્યાસ કરવો જરૂરી નથી। બેથી ત્રણ વર્ષ પહેલાં જાણીતા ઉદ્યોગપતિ કિશોર બિયાનીએ આઇઆઇએમના કેમ્પસમાં જ આ વાત કહી ત્યારે ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે બિયાની પરોક્ષ રીતે એવું કહેવા માગતા હતા કે આઇઆઇએમમાંથી કુશળ મેનેજરો જ તૈયાર થાય છે, નહીં કે ઉદ્યોગ સાહસિકો. તેઓ જાણતા નહોતા કે થોડા જ વર્ષોમાં તેમને તેમના રીટેલ સ્ટોર્સમાં એવા પુસ્તકનું વેચાણ કરવું પડશે જેમાં આઇઆઇએમમાંથી અભ્યાસ કરીને સફળ ઉદ્યોગપતિ બનેલા લોકોના સંઘર્ષની વાત રજૂ થઈ હશે.

આ પુસ્તકનું નામ છે 'STAY HUNGRY, STAY FOOLISH'. આઇઆઇએમ-અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂકેલા રશ્મિ બંસલ લિખિત આ પુસ્તક અંગ્રેજીમાં બેસ્ટસેલર પુરવાર થયું છે. તેનો ગુજરાતી ભાવાનુવાદ જાણીતા અનુવાદક સોનલ મોદીએ કર્યો છે. ગુજરાતીમાં 'ખભે કોથળો ને દેશ મોકળો' નામે પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનું વિમોચન શનિવારે સાંજે પાંચ કલાકે આઇઆઇએમના કેમ્પસમાં થયું હતું. આ પ્રસંગે મેં અને મિત્ર વિજય પરમારે અનુવાદક સોનલ મોદી સાથે કરેલી વાતચીતઃ

અંગ્રેજી બેસ્ટસેલર 'STAY HUNGRY, STAY FOOLISH'નો અનુવાદ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
હું અંગ્રેજી પુસ્તક 'STAY HUNGRY, STAY FOOLISH' વાંચતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગઈ હતી। ગુજરાતના યુવાન-યુવતીઓ મૂળે ઉદ્યોગ સાહસિકતાની વૃત્તિ ધરાવતા હોય છે. નાના-મોટા ધંધા કરવાનું આપણે ગળથૂથીમાં જ મળે છે. વળી, મારા પતિના ધંધાની સંઘર્ષયાત્રાની છેલ્લાં છવ્વીસ વર્ષથી હું સાક્ષી છું. આવું પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત થાય તો નવી પેઢીને અને અનેક ધંધાર્થીઓને ફાયદો થાય તેવા શુભ આશયથી મેં અનુવાદ કર્યો છે.

તમે સુધા મૂર્તિના પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેમના પુસ્તકો સામાન્ય રીતે જીવનલક્ષી હોય છે જ્યારે આ પુસ્તકમાં ઉદ્યોગ અને વ્યવસાયની વાતો હતી. શું તમને આ પુસ્તકના અનુવાદ કરવામાં કોઈ મુશ્કેલી પડી?
સુધાબહેનના પુસ્તકો જીવનલક્ષી અભિગમ કેળવવા પર કેન્દ્રીત હોય છે। તેમાં ટેકનિકલ શબ્દો ના હોય, પણ આ પુસ્તકમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સંબંધિત ટેકનિકલ શબ્દો આવતા હતા. તેમાંથી કેટલાંક શબ્દોને સમજવામાં મને મુશ્કેલી પડતી હતી ત્યારે હું જે તે ક્ષેત્રમાં કાર્યરત સંબંધીઓને ફોન કરીને પૂછ લેતી હતી અને તેની સમજણ મેળવતી હતી.

આ પુસ્તક ભાષાની દ્રષ્ટિએ સરળ છે..
ચોક્કસ। આ પુસ્તકનો અનુવાદ ગુજરાતના યુવાનો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ પુસ્તકનો આશય ગુજરાતમાં અંગ્રેજી વાંચનનો ઓછો મહાવરો ધરાવતા ગુજરાતી યુવાનો અને વ્યવાસાયિકોને 25 ઉદ્યોગ સાહસિકોના સંઘર્ષની વાત જણાવવાનો છે. ઉદ્યોગ સાહસિક બનવા માગતા લોકોને પ્રેરણા આપવાનો છે. જો પુસ્તકની ભાષા સરળ નહીં હોય તો વાચકને કંટાળો આવશે અને આ પુસ્તક પ્રકાશિત કરવાનો પ્રકાશકનો આશય સરશે નહીં. યુવાનો એક મલ્ટીપ્લેક્સમાં એક ફિલ્મ જોવા જેટલો ખર્ચ કરે છે કદાચ તેના કરતાં પણ ઓછી કિંમત આ પુસ્તકની રાખવામાં આવી છે જેથી વધુ ને વધુ યુવાનો તેનો લાભ લઈ શકે.

આઇઆઇએમએ અત્યાર સુધી કુશળ મેનેજરો જ આપ્યાં છે, પણ તેમાંથી અભ્યાસ કરીને કોઈ ઉદ્યોગપતિ થયા નથી તેવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે અને એક જાણીતા ઉદ્યોગપતિએ બેથી ત્રણ વર્ષ પહેલાં આ પ્રકારની ટીપ્પણી પણ કરી હતી...
આ પુસ્તકમાં રશ્મિ બંસલે આઇઆઇએમમાંથી સ્નાતક થયેલા અને પછી પોતાનો ઉદ્યોગ-ધંધો શરૂ કરનાર 25 યુવાનોની પ્રેરણાત્મક સંઘર્ષની વાત રજૂ કરી છે। આ લોકો અત્યારે સફળ ઉદ્યોગપતિ ગણાય છે.

ભાવાનુવાદ એટલે...
કોઈ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો એક કળા છે. પરફ્યુમને એક બોટલમાંથી બીજી બોટલમાં ભરવા જેવી બાબત છે. કોઈ પણ કૃતિની મૂળ ભાષામાં સર્જકનો જે ભાવ હોય છે, જે સુગંધ હોય છે તે અનુવાદ કરતી વખતે જળવાઈ રહેવો જોઇએ.

Friday, April 10, 2009

'ભોળો સંજુ' રાજકારણમાં કેમ પ્રવેશ્યો?


જ્યારે માણસ કોઈ પણ વ્યાસાયિક ક્ષેત્રમાં ચાલે તેમ ન હોય ત્યારે તેણે રાજકારણમાં ઘૂસી જવું। ભારતીય રાજકારણની અત્યારે આવી જ સ્થિતિ હોય તેવું લાગે છે. તેનું સારામાં સારું ઉદાહરણ સંજય દત્ત છે. હવે બોલીવૂડમાં તેનો બહુ ગજ વાગે તેમ નથી. 'લગે રહો મુન્નાભાઈ' પછી સંજય દત્તની એક પણ હિટ ફિલ્મ આવી હોવાનું તમને યાદ છે? લગે રહો॥ પછી સંજુ બાબાની કોઈ નવી ફિલ્મ આવી હોય એવું મને યાદ નથી. છેલ્લાં કેટલાંક સમયથી માન્યતા સાથેના પ્રેમસબંધો અને લગ્ન તથા દુઃખમાં તેને સહારો આપનાર બહેનો સાથેના ઝઘડાને કારણે તે સમાચાર માધ્યમોમાં ચમકતો રહે છે. સંજય દત્ત મૂળે રાજકીય પ્રાણી નથી. તેના સ્વભાવ ભોળો છે. ભોળા શબ્દનો એક્ઝટ સમાનાર્થી શબ્દ મૂર્ખ થાય છે. દુનિયામાં કોઈ ભોળું હોતું જ નથી. વ્યક્તિ કાં તો સમજુ હોય કાં પછી મૂર્ખ. બોલીવૂડમાં પણ ભોળા સંજુનો ઉપયોગ અનેક લોકોએ કર્યો છે. તો પ્રશ્ન એ છે કે તેણે રાજકારણમાં શા માટે પ્રવેશ કર્યો?

તેની પાછળ બે શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। આપણે પહેલી શક્યતા પર વાત કરીએ. અત્યાર સુધી રાજકારણમાં પ્રવેશ કરનાર કોઈ ગુનેગારને કે રાજકારણમાં પ્રવેશ કરી ગુનો આચરનારને સજા થઈ હોય તેવું ભાગ્યે જ બન્યું છે. જ્યાં સુધી ગુનેગાર રાજકારણમાં સક્રિય હોય ત્યાં સુધી તો તેને સજા થતી જ નથી. સંજય દત્તના મગજગમાં આ વાત સારી રીતે ઠસાવી દેવામાં આવી છે. અહીં ઠસાવી દેવામાં આવી છે તેવું લખવાની ફરજ પડે છે, કારણ કે સમાજવાદી પક્ષમાં પ્રવેશી તે જે રીતે વિધાનો કરી રહ્યો છે તેના પરથી તેનામાં કેટલી બુદ્ધિ છે તે સમજી શકાય છે. હકીકતમાં સંજય દત્તને થયેલી સજા સુપ્રીમ કોર્ટ યથાવત રાખે તેવી પૂરેપૂરી શક્યતા છે. સંજુબાબા તેમાંથી હેમખેમ બહાર નીકળવા માગે છે અને રાજકીય દબાણ ઊભું કરવા માગે છે. એટલે તેણે રાજનીતિનો સહારો લીધો છે.

આ માટે તેણે કોંગ્રેસમાં ઘૂસવા પ્રયાસ કર્યો હતો પણ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સંડોવણીના તેના ઇતિહાસને ધ્યાનમાં રાખીને સોનિયા એન્ડ કંપનીએ તેને દૂરથી જ રામ રામ કરી દીધા। એટલે સંજય દત્ત ગિન્નાયો છે કોંગ્રેસમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળતા મળી તે માટે સંજય દત્ત તેની બહેન પ્રિયા દત્તને જવાબદાર માને છે. એટલે જ તેણે અત્યારે કોંગ્રેસ અને પ્રિયા-બંનેને નિશાન બનાવ્યાં છે. તો સામે પક્ષે સમાજવાદી પક્ષને રાજકીય સમજણનો અભાવ ધરાવતા મોટા ભાગના ભારતીયોને ભરમાવવા શું એક સ્ટાર પ્રચારકની જરૂર નથી?

સમાજવાદી પક્ષ પાસે વર્ષ 2007 સુધી અમિતાભ બચ્ચનરૂપી બ્રહ્માસ્ત્ર હતું। ઉત્તરપ્રદેશમાં વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલાં તેના સામાજિક કાર્યક્રમોમાં હાજર રહી અમિતાભ બચ્ચને તેને લખનૌની ગાદી સર કરી શકાય તેટલો માર્ગ મોકળો કરી દીધો હતો, પણ તે પછી મુલાયમ સરકારે એવી કામગીરી કરી કે વર્ષ 2007ની ચૂંટણીમાં સમાજવાદી પક્ષની ડૂબતી નૈયાને ખુદ બીગ બી પણ બચાવી ન શક્યા. અમિતાભ બચ્ચન મુશ્કેલીમાં હતા ત્યારે અમરસિંહે તેમને સાથ આપ્યો હતો અને આ અહેસાનનું ઋણ બચ્ચન પરિવારે છેલ્લાં પાંચ વર્ષમાં ઘણું બધું સહન કરી ચૂકવી દીધું છે.

છેલ્લાં પાંચેક વર્ષમાં બચ્ચન પરિવારને રાજકીય કિન્નાખોરીના જે અનુભવો થયાં છે તે પછી અમિતાભ સમાજવાદી પક્ષથી સલામત અંતર રાખી રહ્યાં છે। લોકસભાની આ ચૂંટણીમાં તેઓ સમાજવાદી પક્ષનો પ્રચાર કરવાના નથી તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. આ સંજોગોમાં સમાજવાદી પક્ષે સંજય દત્તને સાથે લીધો છે. પણ સમાજવાદી પક્ષની સાયકલની સવારી કરવામાં ક્યારેક પંક્ચર પડી જાય છે અને તેને સંધાવતા બહુ સમય લાગે છે.

જ્યારે માણસ ભવિષ્યનો વિચાર કર્યા સિવાય બેફામ વિધાનો કરે છે ત્યારે તેને સાહસિક કરતાં દુઃસાહસિક કહેવો વધારે યોગ્ય છે. સંજય દત્ત આ અર્થમાં દુઃસાહસ કરી રહ્યો છે. જો આગામી સરકારમાં સમાજવાદી પક્ષનું કોઈ સ્થાન નહીં હોય અને કોંગ્રેસના નેતૃત્વવાળી કે તેના ટેકાવાળી સરકાર રચાશે તો તેને મુશ્કેલી વેઠવી પડશે અને તે સમયે તેણે પ્રિયા દત્ત સિવાય બીજું કોઈ બચાવી નહીં શકે તે વાત નક્કી છે.

Thursday, April 9, 2009

આ રીતે ભગવાન ભજવાનો શું મતલબ?


કહેવાય છે કે, મન ચંગા તો દિલ ગંગા। મન પવિત્ર હોય, હ્રદય શુદ્ધ હોય તો ઇશ્વરને દિવસમાં એક વખત યાદ કરો તો પણ ચાલે. બાકી આખો દિવસ ગાયત્રી મંત્રના જાપ કરતાં રહો અને જાપ કરતાં કરતાં બીજાની લાઇને કાપી પોતાની લાઇન મોટી કરવાનું દિવાસ્વપ્ન જોતા રહેવું તેનાથી મોટું બીજું કોઈ પાપ નથી.

અમારા એક પરમ પૂજ્ય વડીલ મિત્ર આખો દિવસ ગાયત્રી મંત્રના જાપ કરતાં રહે છે। જ્યારે જુઓ ત્યારે નોટબુકમાં ઓમ ભૂર્ભૂવ સ્વઃ તત્સ...મંત્ર લખતા હોય. પણ જો કોઈ તેમના જેવી જ વ્યક્તિ તેમની પાસે જઇને કુથલી કરવા લાગે એટલે નોટબુક એકબાજુ અને નિંદારસનું સેવન ચાલુ. મને ઘણી વખત થાય કે આ રીતે ભગવાન ભજવાનો શું મતલબ?

મેં તેમને એક વખત પૂછ્યું હતું કે, પરમ પૂજ્ય વડીલ વિદ્વાન, ગાયત્રી મંત્ર લખવાથી તમને અત્યાર સુધી શું ફાયદો થયો? તો ભડનો દીકરો કહે, ગાયત્રી મંત્ર લખવાથી બુદ્ધિમાં વધારો થાય છે અને મારી બુદ્ધિમાં ચાર ગણો વધારો થયો છે। સાચી વાત છે. કોઇની પીઠ પાછળ નિંદા કે કુથલી કરવા પ્રેરતી સમજણને જ આજકાલ બુદ્ધિ ગણવામાં આવે છે. પાછા એ મહાશય વાયડાઈ મારતાં મારતાં કહે છે કે, સમાજને નડવા કરતાં ભગવાનનું નામ લેવું સારું. હવે તું કંઈ ન કર અને ખૂણો ઝાલીને એક બાજુ બેસી રહે તો પણ સમાજ કે ભગવાન, તું કોઈને નહીં નડે.

રામનામ લખો કે ગાયત્રી મંત્ર. તેનો આશય મનની શુદ્ધિ હોવો જોઇએ. કોઈ પણ પ્રક્રિયા યંત્રવત થઈ જાય છે ત્યારે તેમાંથી આત્મા જતો રહે છે. ભક્તિનું પણ એવું છે. સાચા હ્રદયથી ભક્તિ થવી જોઇએ. બે કે પાંચ મિનિટ તમારા ઇશ્વરનું નામ લો પણ અંતરપૂર્વક લો. તમારા અને ઇશ્વરની વચ્ચે કોઈ પડદો ન હોવો જોઇએ. બાકી પોપટની જેમ ભક્તિ કરશો તો મનોવૃત્તિ 'રામનામ જપના, પરાયા માલ અપના' જેવી થઈ જશે અને તમે તમારી સાથે રામના નામને પણ ઠેસ પહોંચાડશો.

હનુમાન પંચક



ફારિ વિદારી ઉદારિ તનૈ, હનુમાનજી શત્રુનકો તુમ ખાવો
તોરિ કે મુણ્ડ ઉખારિ ભુજા, સિસકાય કે માનિન માન નસાવો
જો ઇતરાત ઘમંડ ભરે, તિનકે મદમુદગર તોરિ બહાવો
એક ન છાડ હું દ્રોહિન કો, જગમેં જગદ્રોહિન કોજ હં પાવો

સંકટમેં સુમિરે જન જો, છન મેં સબ સંકડ દૂર પરાવે
જો સુમિરે રન મધ્ય તુમ્હૈ, તિન કાલ હુ સે ન પરાજય પાવે
દુઃખમેં સુમિરૈ દુખ દૂર કરેં, સુખ મેં શ્રીલાલ મહાસુખ પાવેં
ઐસા બલી વર દેવ બિસારી, કહાકિન કે પદ સીસ નવાવેં

ભૂત પ્રેત પિશાચ નરાચ, દૂરૈ સુનિ નામ કપીસ તીહારે
કાલ કિનારે ખડો લહરાત, જબૈ મુખતે હનુમાન પુકારે
બૈરી ઓ વ્યાધી ન નેર રહ, ઉનકે શ્રી લાલજો આપુ સહારે
જૈ જૈ જૈ જૈ હનુમંત કરો, કરૂના પર કાન હમારે

બીરત મેં મહાવીર બડે અરૂ, ભક્તન મેં સમ ભક્ત ન કોઈ
જ્ઞાનિન મેં પરધાન કપિવર, સેવક રામકો ઐસો ન હોઈ
ઐસો ને સાહબ ઔર મુસાહિબ, ઐસો ન દૂત સપૂત ન કોઈ
અંજનિ પૂતકો ધ્યાન ધરે, દુઃખ દારિદ્ર બ્યાધિહું જાઇહિ ખોઈ

રામ સખા પ્રિય ચિત્ર કહો, ચાહે દૂત કહો, ચાહે સેવક ભાઈ
સીતા કે પ્રાન સમાન અહૈં સિય જાનતી હૈ ઈનકી સેવકાઈ
કૈકેયી પુત્રકો જીવન મૂરતીએ, જિન અવધમેં આઈ સુહાઈ
જાનત હૈ જગ લાઈ સંજીવન, લક્ષ્મણકો જિન દિન જિઆઈ

દોહા
પંચરત્ન હનુમાન કે, નિત્ય કર જો પાઠ
બિનુપ્રયાસ તેહિ પ્રાપ્ત હો, નવોનિદ્ધ સિદ્ધ આઠ

Wednesday, April 8, 2009

જૂતાં ફેંકો, પબ્લિસિટી પાઓ!


શું ગઈકાલ સુધી તમે જરનૈલ સિંઘને ઓળખતા હતા? ના, આપણામાંના મોટા ભાગના લોકોને (વિદ્વાનશિરોમણી અને આજુબાજુ બધા ઉપર નજર રાખવાનું દૈવી કાર્ય કરતાં પપ્પુ પંચાતિયાને બાદ કરતાં) ખબર નહોતી કે, જરનૈલ સિંઘ નામે એક પત્રકાર નવી દિલ્હીમાં હિન્દી અખબાર 'દૈનિક જાગરણ'માં કામ કરે છે। પણ ચિદુ પર જૂતું ફેંકી જરનૈલ 'પાપે' દેશભરમાં જાણીતી થઈ ગયા. ઓ બલ્લે બલ્લે, જૂતાં ફેંકો, પબ્લિસિટી પાઓ!

પત્રકારો પાસે વિરોધ કરવા માટે કલમ હોય છે, પણ હવે તો કલમના સિપાહીઓને કલમ સિવાય એક બીજું શસ્ત્ર હાથ લાગ્યું છે। તેનું નામ છે જોડા. પત્રકારોને આ શસ્ત્રનાં દર્શન કરાવનાર કલમના સેનાપતિનું નામ મુન્તઝેર અલ-ઝૈદી છે. મૂળે ઇરાકનાં ઝૈદી મહાશયે અમેરિકાના મૂળિયા મૂળમાંથી જ હચમચાવી દેવાનું ભગીરથ અભિયાન પાર પાડનાર જૂનિયર જ્યોર્જ બુશ ઉપર જૂતાંનો પ્રહાર કર્યો હતો. જોકે અંકલ સેમ પર જૂતાં ફેંકવાનું ઇનામ તેમને મળી ગયું છે અને અત્યારે તેઓ જેલમાં પથારીવશ છે. એવું સાંભળવા મળ્યું છે કે, અમેરિકાના સૈનિકોએ ઝૈદીજીની પાંસળીઓને ભાંગીને તેનો પાવડર અમેરિકા રવાના કરી દીધો છે. અમરિકા સહિષ્ણુતાની વાતો કરે છે, જ્યારે ભારત તો સહિષ્ણુતાનાં દાખલાં બેસાડે છે. નહીં તો પાકિસ્તાન જેવો ખોખલો અને નિર્માણની સાથે જ ભિખારી જાહેર થયેલો દેશ આટલા બધા ઠેકડાં મારતો હોત...

ગઇકાલે મહાવીર જયંતિ હતી। અજ્ઞાનીઓના ઓરતા ન રાખી વાંકદેખાઓને ક્ષમા કરવાનો ઉપદેશ મહાવીર સ્વામીએ આપ્યો છે. મહાવીર સ્વામીના ઉપદેશોનું પાલન ખરેખર કેટલાં જૈનો કરે છે તેની ચોક્કસ જાણકારી નથી પણ ચિદમ્બરમે આ ઉપદેશનું પાલન કરી જરનૈલને માફી આપી મહાવીર સ્વામીને હેપ્પી બર્થ ડેની શુભકામના પાઠવી દીધી. જરનૈલની આ હરકતથી કોંગ્રેસના કેમ્પમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે તો ભાજપના લોકો હાથ મસળવા લાગ્યાં છે. તેમને થયું કે જરનૈલે બધો ખેલ બગાડી દીધો. તેને આવું વળી કાં સૂઝ્યું?

હકીકતમાં જરનૈલે જૂતું ફેંકી મોટાભાગના શીખોના કોંગ્રેસ પરનાં ગુસ્સા પર પાણી ફેરવી દીધું છે એવું ભાજપના માધાંતાઓનું માનવું છે। તેઓ માથાના વાળ ખેંચી રહ્યાં છે અને જરનૈલે રાત્રિના બાર વાગ્યા પહેલાં આવું કામ શા માટે કર્યું હશે તેવું વિચારે છે.

ચિદમ્બરમે ગાંધી ચિંધ્યા માર્ગે માફી આપી શીખોના હ્રદય જીતવાનો મોકો હાથમાંથી જવા દીધો નથી. હવે બાકીનું કામ 10, જનપથના સામ્રાજ્ઞી મહારાણી સોનિયા અને ભાજપ જેમને સોનિયાજીના વજીર તરીકે ઓળખાવે છે તે વડાપ્રધાન મનમોહન સિંઘ પુરું કરી દેશે.
હવે નરેન્દ્ર મોદી પત્રકાર પરિષદ પહેલાં બધા પત્રકારોને મીડિયારૂમની બહાર જૂતાં કાઢીને અંદર આવવાની કદાચ સૂચના આપશે.

Monday, April 6, 2009

મનભેદ અને મતભેદ વચ્ચેનો ભેદ ન સમજે તેની સાથે મિત્રતા ન હોય...


મૈત્રી એટલે મોજ અને મસ્તીની પાઠશાળા. નિર્દોષ તોફાન અને ધીંગામસ્તીની અલગ જ દુનિયા. અમારા કાઠિયાવાડમાં મિત્રતાને ભાઈબંધી કહે છે. ભાઈબંધ એટલે જેમની વચ્ચે સગા ભાઈ જેવું બંધન છે કે સગા ભાઈ જેવો સ્નેહ છે તેવા મિત્રો. મિત્રો વચ્ચે પ્રેમ કે લાગણીનો સંબંધ રહે તો જ મિત્રતા ટકે. મિત્રતામાં પ્રેમના વળ ચડેલા હોય છે. જેમ જેમ વળ ચડતા જાય તેમતેમ મૈત્રીનો રંગ ઘોળાતો જાય. પણ દુનિયામાં મોટે ભાગે એવું જોવા મળે છે કે, મૈત્રીનો રંગ ઘોળાય તે પહેલાં તો પ્રેમરૂપી વળ ઉતરવાની શરૂઆત થઈ જાય છે. જે મિત્રો 'તેરે જૈસા યાર કહાં, કહાં ઐસા યારાના, યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના..'ની ગુલબાંગો પોકારતાં હતા તેઓ 'ઐસા ભી દેખો વક્ત જીવન મેં આતા હૈ, અચ્છા ખાસા દોસ્ત ભી દુશ્મન બન જાતા હૈ...' જેવા મળિસયાં ગાય છે. આ માટે ક્યારેક એક મિત્ર તો ક્યારેક બંને મિત્રો થોડા-ઘણા અંશે જવાબદાર હોય છે. આપણે આપણા તરફથી મિત્રતામાં ક્યારેય ચૂક ન થાય તે માટે શું કરવું?
  • મનભેદ અને મતભેદ વચ્ચેનો ભેદ સમજવા જેટલી સામાન્ય બુદ્ધિ કેળવવી. (આઇનસ્ટાઇને કહ્યું છે કે, Commonsense is not common. તેમ છતાં ભગવાને જેટલી સામાન્ય બુદ્ધિ આપી હોય તેનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો.) મનભેદ હોય તો મિત્રતા ન ટકે, પણ મતભેદથી મૈત્રીના બંધનમાં કોઈ ફરક ન પડે. મિત્રો વચ્ચે મતભેદને સંપૂર્ણ અવકાશ છે. જો તમારા અને તમારા મિત્ર વચ્ચે કોઈ મુદ્દે મતભેદ હોય તો તેનું સન્માન કરવું જોઇએ. આપણે આપણા જ મત સાચો છે તેમ માની મિત્ર કે મિત્રોના માથે મારવાનો બાલિશ પ્રયાસ ન કરવો. પોતાના જ મતને સાચો માનવો અને બીજા બધાના વિચાર કે મતને ખોટા માનવા એ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. આ પ્રકારના અસહિષ્ણુ અને માનસિક વિકૃત લોકો જો તમારા મિત્ર બનવાનો પ્રયાસ કરે તો તેને દૂર જ રાખવા. જો સામે ચાલીને તે તમારી સાથેનો વ્યવહાર બંધ કરી દે તો તેનાથી રૂડું બીજું કશું નથી. ભલું થયું ને ભાંગી જંજાળ....
  • દરેક વ્યક્તિનો પોતાનો આગવો સ્વભાવ હોય છે, આગવી પ્રકૃતિ હોય છે. આપણો સ્વભાવ જેવો છે, આપણે જે રીતે બધા સાથે વર્તન દાખવીએ છીએ તેવું વર્તન આપણો મિત્ર પણ આપણી અને બીજા બધાની સાથે કરે તેવી અપેક્ષા રાખવી તે અસામાન્ય માનસિક અવસ્થા એટલે કે માનસિક ગંદકી છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિનું આચરણ બીજા કોઈને નડતરરૂપ ન હોય ત્યાં સુધી તેને કેવી રીતે વર્તવું તેવી સલાહ દેવાનો કોઇને અધિકાર નથી. મને ગુડ મોર્નિંગ કેમ ન કહ્યું, મને આખા દિવસમાં એક વખત મળવા કેમ ન આવ્યો , મારી પાસે બેઠો કેમ નહીં આ પ્રકારના વાંધા તો સ્ત્રીઓ પણ હવે નથી પાડતી. કદાચ એટલે જ પુરુષોએ હવે શરૂ કર્યાં છે.
  • મિત્રોને મદદ કરવી જોઇએ અને મદદ કરીએ તેમાં કોઈ નવાઈ નથી. મિત્રોને મદદ કરી હોય તો તેના ઢોલનગારા ન પીટવાના હોય। પણ તમે તમારા મિત્રને મદદ કરો છો ત્યારે તેની પાસેથી કમ-સે-કમ ખરાબ આચરણની અપેક્ષા તો નથીરાખતા. તેમ છતાં જો કોઈ અહેસાનફરામોશ આ પ્રકારનું વર્તન કરે તો તેને ક્યારેય મદદ ન કરવાની પ્રતિજ્ઞા લઈ લો. સાપને દૂધ પીવડાવવાનો કોઈ અર્થ નથી. તે ઝેર ઓકવા સિવાય બીજું કશું ન કરી શકે. કિંગ કોબ્રા જેવા કાળોતરા સાપ મદારીઓ પાસે જ સીધા ચાલે, માણસ પાસે નહીં. કૂતરાંને પણ રોટલી ખવડાવો તો તે તમારી સામે ક્યારેય ભસતા નથી, પણ ઘણા માણસો શ્વાનકક્ષામાં સ્થાન મેળવવાની લાયકાત ધરાવતા નથી.
  • સ્વાર્થપરાયણ મિત્રોથી દૂર રહેજો. કોઈ અજાણી વ્યક્તિ નિખાલસ ભાવે મદદ માગે તો તેને કોઈ પણ અપેક્ષા વિના મદદ કરવી જોઇએ. પણ જાણીતી વ્યક્તિ જરૂર પડે ત્યારે તમને યાદ કરે અને જરૂર પૂરી થાય પછી તરત જ તમારી તમને જાણીજોઇને હેરાન-પરેશાન કરે તો તેને મિત્ર બનાવતાં પહેલાં સો વખત વિચારજો અને ભૂલથી મિત્ર બની ગયો હોય તો તેની સાથે સંબંધ કાપી નાંખતા એક ક્ષણ પણ વિચાર કરતાં નહીં.
  • મજાક-મશ્કરીમાં એક પ્રકારનો વિવેક હોય છે. માન-સમ્માન મેળવવું હોય તો પહેલાં બીજાને આપવું પડે. મિત્રતાના નામે અનેક લોકો ક્યારેય અજાણતાં તો ક્યારેક જાણી જોઇને વિવેકબુદ્ધિ નેવે મૂકીને તમારા વિરૂદ્ધ ઝેર ઓકતાં હોય તો તેની સાથે વ્યવહાર ન રાખવામાં જ ડહાપણ છે.
  • જે વગર વિચાર્યું બોલે છે તેને ક્યારેય મિત્ર ન બનાવતા અને તેનો વિશ્વાસ ક્યારેય ન કરતાં. જે વ્યક્તિ વિચાર કર્યા વિના બોલે છે તેને બોલ્યાં પછી પોતાનો બચાવ કરવાં વધારે વિચાર કરવો પડે છે. આ પ્રકારની વ્યક્તિમાં સમજણ ઓછી અને વાયુ પ્રકૃત્તિ વધારે હોય છે. ક્યારેક બડાશ હાંકવામાં આ પ્રકારની વ્યક્તિ અર્થનો અનર્થ કરી ગમે તેને ફસાવી દેતી હોય છે.
  • હું પણ સાચો, તું પણ સાચો. આ પ્રકારનો અભિગમ કેળવવો. શક્ય હોય ત્યાં સુધી વાદવિવાદ ટાળો. નાની નાની વાતોને વાદવિવાદનું સ્વરૂપ આપતાં લોકોથી દૂર રહો.
  • મિત્રતામાં કોઈ ગેરસમજણ પ્રવર્તે ત્યારે સામસામે બેસીને ખુલ્લા દિલે સ્પષ્ટતા કરી લેવી સારી. ત્રીજી વ્યક્તિ તમારા અને તમારા મિત્ર વિશે કોઈ પણ પ્રકારની, ખાસ કરીને તમારી મિત્રતામાં મનભેદ ઊભા થાય તેવી વાત વાત કરે તો તેનો ક્યારેય વિશ્વાસ ન કરવો.

ઓમ નમોઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર

Friday, April 3, 2009

હૈ રામકે વજૂદપે હિંદોસ્તાંકો નાઝ, એહલે નઝર સમઝતે હૈં ઇસકો ઇમામે હિંદ


ગાંધીજીના હીરો કોણ હતા? મર્યાદા પુરષોત્તમ રામ। ગાંધીજી માટે રામ આદર્શ હતા. રઘુપતિ રાઘવ રાજારામ તેમનું પ્રિય ભજન હતું. રામની સત્ય પ્રત્યે નિષ્ઠા બાપુના સત્યનો આધાર હતી. તેઓ રામનામને પારસમણિ કરતાં પણ અમૂલ્ય ગણતા હતા. હિંદુઓ રામને વિષ્ણુનો સાતમો અવતાર ગણે છે. તેઓ ત્રેતાયુગના મહાનાયક હતા અને આજે તેમનો હેપ્પી બર્થ ડે છે.

મહાકવિ તુલસીદાસજીએ રામના જન્મનું વર્ણન કરતાં લખ્યું છે કે, 'પવિત્ર ચૈત્ર માસ, નવમી તિથિ, શુક્લ પક્ષ અને અભિજિત મુહૂર્ત....બપોરનો સમય....ઠંડી અને તાપ સામાન્ય...શીતળ, મંદ અને સુવાસિત પવન...વનો ફળફૂલયુક્ત॥રત્નમણિથી ઝળહળતાં પર્વતો...અમૃતની ધારા વહાવતી સરિતાઓ...દેવસમૂહોથી ભરાઈ ગયેલું નિર્મળ આકાશ...અયોધ્યાનગરી પર પુષ્પવૃષ્ટિ અને જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક બિશ્રામ એટલે કે સર્વ જનોનો સુખ-શાંતિ આપવા જગતના સ્વામી પ્રગટ થયા....અત્યંત કૃપાળુ, દીનદયાળુ, કૌશલ્યા હિતકારી પ્રભુ પ્રકટ થયા.'

વિનાબાએ 1959માં સંગરૂરમાં રામનવમીએ કહ્યું હતું કે, 'રામનવમીએ મારી મા બપોરે બાર વાગે રામજીનો જન્મ થઈ રહ્યો છે એવા ખ્યાલથી ધ્યાનમાં બેસી જતી અને તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડતી.' પતંજલિ કહે છે કેઃ तज्जपस्तदर्थभावनम्- હ્રદયનાં ઊંડાણમાંથી રામનામનો ઉચ્ચાર કરવાથી માનવીનો અહમ્ દૂર થાય છે. શ્રીરામ માત્ર હિંદુઓના મહાનાયક નથી, પણ સમગ્ર ભારતના આરાધ્યપુરુષ છે.

કવિ ઇકબાલે રામથી પ્રભાવિત થઈ 'ઇમામે હિંદ' કવિતા લખી છે અને તેમાં રામને 'ઇમામે હિંદ' અર્થાત્ 'હિંદુસ્તાનના ધર્મપુરુષ' તરીકે ઓળખાવ્યાં છે। 'હૈ રામકે વજૂદપે હિંદોસ્તાંકો નાઝ, એહલે નઝર સમઝતે હૈં ઇસકો ઇમામે હિંદ.' કેટલાંક આધુનિક શીખ વિદ્વાનો એવું કહે છે કે 'આદિગ્રંથ'માં હિંદુ પરંપરા કે વિચારોમાંથી કંઈ લેવામાં આવ્યું નથી.' પણ તેનો જવાબ જાણીતા લેખક અને શીખ સમુદાયના ખુશવંત સિંઘે આપ્યો છે કે, 'આદિગ્રંથમાં ભગવાનનાં નામો 15,028 વખત, હરિ શબ્દ 8,000 કરતાં વધારે વખત અને રામનું નામ 2,522 વાર આવે છે.' ગરુ નાનક મહાન રામભક્ત હતા. તેઓ કહે છે કે,

રે મન! રામસો કર પ્રીત
શ્રવણ ગોવિન્દ-ગુણ સુનો
અરુ ગાઉ રસના ગીત
કર સાધુ-સંગત સુમિર માઘો
હોય પતિત પુનીત
કહે નાનક રામ ભજ લે
જાત અવસર બીત
રે મન! રામસો કર પ્રીત

ક્રાંતિકારી કવિ કબીરે લખ્યું છે કે, 'બાહેર ભીતર રામ હૈ, નેનન કા અભિરામ; જિત દેખું તિત રામ હય, રામ બિના નહીં ઠામ।' તુલસીદાસ કહે છે કે, રામનું નામ પડતાં જ કલ્યાણ થાય છે, સર્વ મંગળ થાય છે. જયારે મનુષ્યના પ્રયાસોથી કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી ત્યારે તે ઇશ્વરને શરણે જાય છે. ગાંધીજીએ આવા સંજોગોમાં રામનામ 'રામબાણ' હોવાનું કહ્યું છે. રામ અને રામબાણ શબ્દ પ્રત્યે મોહમ્મદ અલી ઝીણાને નફરત હતી.

ગાંધીજી અને ઝીણા વચ્ચે સપ્ટેમ્બર-ઓક્ટોબર, 1937માં મંત્રણા યોજાઈ હતી જે પૂરા 23 દિવસ ચાલી હતી. આ મંત્રણા દરમિયાન એક વાર ઝીણા ગાંધીજીને વળાવવા દરવાજા પાસે પગથિયું ઊતર્યા ત્યારે ગાંધીજીએ જોયું કે તેમનો પગ ખોડંગાતો હતો. ઝીણાને પગે સહેજ મચકોડ આવી ગયો હતો એટલે મચકોડવાળા ભાગ પર એક રામબાણ જેવી દવા મોકલીશ એમ ગાંધીજીએ કહ્યું હતું. ઝીણાએ દવા સ્વીકારી, પણ ગાંધીજીએ રામબાણ શબ્દનો ઉપયોગ કર્યો હતો એટલે તેનો ઉપયોગ કર્યો નહોતો. હરી ઓમ!
આઝાદી પહેલાં ઝીણાએ રામ અને હિંદુનો વિરોધ કરી ભારતમાતાનું હ્રદય ચીરી નાંખ્યું અને આઝાદી પછી? રાજરમત સમજ્યાં વિના પોતે પરમ વિદ્વાન હોવાના ફાંકામાં જીવતા બાલિશ હિંદુઓની ધાર્મિક ભાવના રામમંદિરના મુદ્દે ભડકાવી ભાજપે નવી દિલ્હીની ગાદી સર કરી। પછી રામના ભૂલી અલ્લાહના આશિક બની લીલી ટોપીઓ ધારણ કરી અને બાકી રહેતું હતું હોય તેમ ઝીણાની મઝાર પર જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ઓમ નમઃ શિવાય!

રીવર્સ સ્વીપઃ ભાજપ કન્સ્ટ્રક્શન કંપની નથી અને તેણે રામ મંદિર બનાવાનો ઠેકો લીધો નથી-મુખ્તાર અબ્બાસ નકવી, ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ

Thursday, April 2, 2009

ધોળાવીરા: હડપ્પા સંસ્કૃતિના વિકાસ અને પતનનું સાક્ષી



જે પ્રજા પોતાના ઇતિહાસ અને રાષ્ટ્રનાયકોને ભૂલી જાય છે તેમની સંસ્કૃતિ અને તેમના રાષ્ટ્રની નૈતિકતાનું ઝડપથી અધઃપતન થઈ જાય છે. શું આપણને આપણા દેશના ગૌરવશાળી ઇતિહાસમાં રસ છે? શું આપણને આપણા રાષ્ટ્રનાયકો યાદ છે? ગયા મહિનાની 23 માર્ચે શહીદ દિવસ હતો. અંગ્રેજો સામે આઝાદીની જંગમાં 23 માર્ચ, 1931ના રોજ ત્રણ યુવાન ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા હતા. અને આજે આપણી પેઢીને યુવાનો શું કરે છે? હસતાં-હસતાં ભ્રષ્ટાચાર કરે છે અને પ્રામાણિકતાની વાતો કરનારાઓને આદર્શવાદી પાગલ કહે છે.

જીવતી લાશ જેવા અને ભરયુવાનીમાં ઘરડી માનસિકતા ધરાવતા આ યુવાનો અને પોતાને યુવાન માનતા આધેડ ઉંમરના ગધેડાઓને તેમના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાની યાદ અપાવવા એનડીટીવીએ પ્રવાસન મંત્રાલય સાથે દેશની સાત અજાયબી વિશે સર્વેક્ષણ કર્યું હતું. તેમાં ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાનો સમાવેશ થયો છે, જેનું ઉત્ખન્ન છેલ્લાં પાંચ વર્ષથી બંધ છે. ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.

ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ લીમડી તાલુકામાં રંગપુરમાં મળી આવ્યાં હતા. તે પછી 1954થી 1958 દરમિયાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે લોથલનો ટીંબો મળી આવ્યો હતો. આ સંશોધન ચાલુ રહેતાં 1967માં કચ્છમાં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિ કેટલી વિકસીત હતી તેના પુરાવા મળ્યાં હતા.

ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે પણ તેનું મોટા પાયે ખોદકામ 1990-91માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. કચ્છી માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં 775 મીટર અને ઉત્તરથી દક્ષિણ 600 મીટરમાં ફેલાયેલું હતું તેવા અવશેષો પ્રાપ્ત થયા છે.

આ શહેરની અનેક વિશેષતા છે જે હડપ્પા સભ્યતાના કોઈ અન્ય ઐતિહાસિક કેન્દ્રમાં જોવા મળતી નથી. હડપ્પા સભ્યતાના અન્ય નગર બે ભાગમાં વિભાજીત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. તેમાંથી બે ભાગમાં મજબૂત કિલ્લેબંધી જોવા મળે છે જ્યારે ત્રીજો ભાગ કિલ્લાની બહાર સ્થિત છે. શહેરની ચારે દિશામાં નગરના ચાર દરવાજા હોવાનું પણ જણાય છે.

અહીંથી પ્રાપ્ત થયેલા સૌથી મહત્વપૂર્ણ અવશેષો દસ શિલાલેખો છે. તે ખાસ કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારાયેલા છે. તેની લિપી ઉકેલાઈ શકી નથી. આ લિપીના અક્ષર બહુ મોટા છે. દરેક અક્ષરની લંબાઈ 37 સેમી અને પહોળાઈ 24 સેમી છે.

આ નગરે પૂર્વ હડપ્પા અવસ્થા, હડપ્પા સંસ્કૃતિની વિકસીત અવસ્થા અને હડપ્પા સંસ્કૃતિના પતનની અવસ્થાને નિહાળી હતી.

મોટાભાગની યુવતીઓને જગતની સુંદર અને આકર્ષક સ્ત્રી હોવાનો વહેમ હોય છે...




કયારેક સારાં વિચારો આવે છે તો ક્યારેક હસવું આવે તેવા વિચારો આવે છે. આપણે આપણી જાતનું અવલોકન કરતાં રહીએ અને કોઈક વાર ભૂલેચૂકે આજુબાજુ નજર દોડી જાય તો નવાં નવાં વિચારો ઉદભવે છે. તેમાંથી કેટલાંક વિચારોઃ
  • જે સમાજમાં શિક્ષણ અને શિક્ષકોની ગુણવત્તા કથળે છે તેનું નૈતિક અધઃપતન થાય છે
  • જે દેશનો યુવાન દિશાહીન થઈ જાય તેનું ભવિષ્ય અંધકારમય બની જાય છે
  • ચારિત્ર્ય મૂડી છે પણ તેને જાળવવાની ક્ષમતા બહુ ઓછી વ્યક્તિ પાસે હોય છે
  • જો તમે કંઈ બોલતાં પહેલાં વિચાર નહીં કરો તો બોલ્યાં પછી વધારે વિચાર કરવો પડશે
  • કર્મ કરતાં પહેલાં વિચાર કરવો સારો, કારણ કે તે પછી તેના પરિણામ પર જ વિચાર કરવો પડે છે
  • દુનિયામાં સૌથી વધારે સરળ કામ કયું? બીજા લોકોના કામ પર નજર રાખવાનું અને તેને પ્રોત્સાહન આપવાને બદલે ઇર્ષાની આગમાં બળી તેની નિંદા કરવાનું
  • દુનિયામાં સૌથી વધારે અઘરું કામ કયું? પોતાના કાર્ય અને સ્વભાવનું અવલોકન કરી તેમાં રહેલી ભૂલોને સુધારવાનું
  • બીજાના ચારિત્ર્યનું અવલોકન કરવાનું બધાને ગમે છે, પણ કોઈ પોતાના ચારિત્ર્યનું અવલોકન કરે તો મોટાભાગના લોકોના સાયલન્સર ફાટી જાય છે
  • મોટાભાગની યુવતીઓને જગતની સુંદર અને આકર્ષક સ્ત્રી હોવાનો વહેમ હોય છે. કેટલીક યુવતીઓ પ્રામાણિકપણે પોતાના આ વહેમથી વાકેફ હોય છે અને તેને પોષે છે જ્યારે કેટલીક યુવતીઓ તો એટલી ભોળી હોય છે કે તેને તેના આ સુંદર વહેમની જાણ હોતી જ નથી

Wednesday, April 1, 2009

બાપુની આબરુના કાંકરા નહીં પાળિયા થઈ ગયા.....


અમદાવાદમાં બાપૂ એટલે મહાત્મા ગાંધી અને અમારા સુરેન્દ્રનગરમાં બાપુ એટલે બાને જોઇને પાછળથી પુ થઈ જાય તેવો મરદ મૂછાળો। મારાં સુરેન્દ્રનગરના મિત્રોની મંડળી તો બાપુની આ જ વ્યાખ્યા કરતી. અમારા ગામને બાપુઓ તેમના બાપુનો બગીચો જ સમજે છે. ગામના દરેક ચોકમાં દસ-પંદર બાપુ વગર બંદૂકે ભડાકા કરતાં જોવા, જાણવા અને માણવા મળે.

સુરેન્દ્રનગરમાં દરેક બાપુનો રથ બે વેંત ઊંચો હાલે, પણ જગત કરતાં ઊંચા હાલવામાં ક્યારેક આબરૂના કાંકરા નહીં પાળિયા થઈ જાય છે. આવો જ એક કિસ્સો કહું. હું બારમા ધોરણમાં ભણતો ત્યારે અમારી જે એન વી હાઈસ્કૂલ, એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પાછળના ભાગમાં હતી. દિવાળી પહેલાનાં દિવસો હતા. અમે કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમીને થાકી ગયા હતા. મેં અને મારા મિત્રો જિજ્ઞેશ સોલંકી, નીલુ જોશી અને વિજ્જુ બાપુએ કોલેજમાં જઇને પાણી પીતા આવીએ એવું નક્કી કર્યું. બાપુ સાથે હોય એટલે આગેવાની તો એમની જ હોય. અમે વીજ્જુભાની આગેવાનીમાં કોલેજના ગ્રાઉન્ડમાંથી આગળના ભાગમાં બિલ્ડિંગ તરફ આગળ વધતાં હતા.

વીજ્જુભાનો સ્વભાવ અસલ બાપુનો। રાજા ગયા, રજવાડા ગયા, પણ વીજ્જુભા તેનો સ્વીકાર કરે તો તો બાપુ નહીં. તેમને આખું જગત તેમના બાપુનો બગીચો જ લાગતું. કોલેજને પણ તેઓ તેમના બાપુની જાગીર જ ગણતા હતા એટલે અમે જ્યારે કોલેજના ગેટ તરફ આગળ વધતાં ત્યારે વીજ્જુ છાતી કાઢીને આગળ વધતો હતો. તેને કલ્પના નહોતી કે છેલ્લાં પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં તેણે જે મોટા ભાની છાપ ઊભી કરી છે તેના કરતાં પણ મોટી છાપ તેના ગાલ પર આજે પડી જવાની છે.

તે સમયે કોલેજમાં એટીકેટીની પરીક્ષા ચાલતી હતી। બહાર પોલીસ કર્મચારીઓ બેઠા હતા. તે સમયે પઠાણ કરીને છ ફૂટની ઊંચાઈ ધરાવતો હટ્ટોકટ્ટો પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષામાં પોલીસ બંદોબસ્ત ચકાસવો આવ્યો હતો. તેણે અમને ચારેયને કોલેજના બિલ્ડિંગ તરફ જતાં જોયો એટલે પૂછપરછ માટે બોલાવ્યાં.

વીજ્જુ બાપુ સ્કૂલમાં મદમસ્ત હાથીની જેમ ફરતાં। તેમને ન કોઈ રોકે, ન કોઈ ટોકે. એટલે પોલીસ ઇન્સ્પેક્ટરની ટકોરથી તેમનો પિત્તો સીધો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ યુદ્ધ કરવા જતાં હોય તેમ ઝડપથી લાલઘૂમ ચહેરા સાથે પીઆઈ પઠાણ તરફ આગળ વધ્યાં. હું, જિગો અને નીલુ ધીમેધીમે વિજ્જુની પાછળપાછળ જતાં હતા. વીજ્જુએ સીધા જઇને પીઆઈ પઠાણને તુમાખીથી પૂછ્યું, 'શું છે? કાં અટકાવ્યાં?' તેની આ મૂર્ખાઈ જોઈ પઠાણ સાહેબ બે ઘડીથી છક્ક થઈ ગયા. તેમને થયું કે આ લઠ્ઠ છે. એટલે તેમણે મારી, જિગા અને નીલુના શરીર સામે દયાભાવથી જોઈ પ્રેમથી કહ્યું કે, કોલેજમાં ન જાવ, એટીકેટીની એક્ઝામ ચાલે છે. પછી પ્રેમથી મારી અને જિગાની માથે હાથ ફેરવી હસતાં હસતાં તે ચાલવા લાગ્યા.

પણ બાપુએ જોરથી પઠાણ સાહેબને કહ્યું, 'એટીકેટીની એક્ઝામ હોય તો હું શું કરું?' પછી તરત જ અમારી સામે જોઇ બાપુ કહે, 'હાલ્યાં આવો મારી વાહેવાહે, જોઉં છું કોણ રોકે છે।' પછી પઠાણ સાહેબને લાગ્યું કે, આની પાછળ પંચર પાડવું પડશે. પહેલાં તો એવી નજર સાથે અમારી સામે જોયું કે પ્રેમથી પાછળ ફરવામાં જ ભલાઈ છે તે અમે જાણી ગયા. પણ બાપુના નસીબ બે ડગલાં આગળ હતા. તેઓ જેવા બે ડગલાં કોલેજના બિલ્ડિંગ તરફ આગળ વધ્યાં કે પઠાણે બાપુને પકડીને એક તમાચો માર્યો ને અમારા ત્રણેયની આંખો બંધ થઈ ગઈ. બાપુના બાર વાગ્યાં. બાપુના ગાલની સાથે કાન પણ લાલ થઈ ગયા. ધ્રુજતાં ધ્રુજતાં વીજ્જુએ પાછી રાડ પાડી, 'હું બાપુ છું.' આ સાંભળતા જ પઠાણ સાહેબે કચીને બીજો તમાચો માર્યો અને પછી તો મેં, જીગા અને નીલુએ એવી દોટ મૂકી જાણે હડકાયું કુતરું અમારી પાછળ ન પડ્યું હોય. કોલેજના મેદાનમાંથી બહાર નીકળી સ્કૂલની બહાર ગુલશન ગોલાવાળાની લારીએ ક્યારે પહોંચી ગયા તેની ખબર જ ન પડી.

ગોલાવાળીની લારીએ પહોંચી અમે ત્રણેય હસીને હસીને ગોટો વળી ગયા. તેવામાં બાપુ લાલ-લાલ ગાલ સાથે આવ્યાં. અમને હસતાં જોઇને મનોમન ગુસ્સે થઈ ગયા. અમને ત્રણેયને એકબાજુ બોલાવ્યાં અને તેમને લાલ ગાલની ગાથા કોઇને ન કહેવાની વિનંતી કરી. બાપુ ઘણા દિવસે ઘામાં આવેલા જોઈ મેં કહ્યું, 'બાપુ, ગુલશનનો ગોળો (બરફનો રસગુલ્લો) ઘણા દિવસથી ખાધો નથી.' બાપુ સમજી ગયા. તેણે તરત જ ગુલશન ગોળાવાળાને ત્રણ રસગુલ્લાનો ઓર્ડર આપ્યો. ગુલશન રસગુલ્લા લઈ આવ્યો ત્યારે તેણે બાપુને પૂછ્યું, 'બાપુ, આ ગાલ કેમ લાલ થઈ ગયા છે?' અને બાપુએ અમારી સામે જોયું. અમે ત્રણેય રસગુલ્લો હાથમાં લઇને સીધા કોલેજના ગ્રાઉન્ડમાં દોડી ગયા. પણ બાપુએ કોલેજના ગ્રાઉન્ડમાં પગ મૂકવાની હિમ્મત ન કરી. અમે પ્રેમથી ગોળો ખાધો. પછી અઠવાડિયા સુધી બાપુ સ્કૂલે ન આવ્યાં.

સુમન આપી શકો જો ના, પણ કોઇને કંટક દેશો ના


સંશય તો ભલભલાને થાય। પણ પૂછ્યું ક્યાં? એનો વિવેક હોવો જોઇએ. સંશય થાય, આપણે માણસ છીએ. પણ પૂછશો ક્યાં?

એક રંગાને ઊજળાં જેને ભીતર બીજી ન ભાત,
એને વહાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા.

અમુક જગ્યાએ જ વાત કહેવાય। જ્યાંત્યાં ન કહેવાય. બહુ થઈ જાય તો ઘરના એક ખૂણામાં ઠાકોરજી પાસે બેસીને બે આંસુડાં પાડી લેજો, બાકી જ્યાંત્યાં વાતો ન કરાય.

બહુ થઈ જાય તો થોડું રડી લેજો
પણ તમારી દુર્દશાઓ જગતમાં જાહેર કરશો મા.
મળ્યો છે દેહ માનવનો
તો કોઈ કાળો કેર કરશો મા.
અને જગતમાં માનવીને કદી
ત્રાંબિયાના તેર કરશો મા.
સહારો દઈ નથી શકતા
તો ઠુકરાવશોય ના.

કોઇનો હાથ ન પકડી શકીએ તો કાંઈ નહીં। પણ કવિ કહે કોઈને ધક્કો તો ન મારીએ. આધાર ન આપીએ તો કોઈ ચિંતા નહીં, બધા થોડા સુવિધાવાળા હોય છે જે બીજાની મદદ કરી શકે? પણ કોઈને ધક્કો તો ન મારીએ કમ સે કમ.

સુમન આપી શકો જો ના
પણ કોઇને કંટક દેશો ના.

ફૂલ ન આપી શકો તો કોઈ ચિંતા નહીં. પણ કોઇને કાંટા પધરાવો નહીં. માટે કોઈ એવા સંતની આગળ સંશય રજૂ કરો જે સંત તમારા ઉપર કોઈ વસ્તુ લાદે નહીં પણ તમારામાં પડેલું ખોલે. સમર્થ ગુરુ મળે તો આપણામાં પડેલું ખોલી નાખે. એનું નામ જ મહાપુરુષ જે ઉપરથી લાદવાની કોશિશ ન કરે, પણ અંદર પડ્યું હોય તેને બહાર લાવે.