Saturday, January 30, 2010

સાચું નેતૃત્વ....


બે દાયકા પહેલાં હું ઇસરોમાં કામ કરતો હતો, ત્યારે કોઈ યુનિવર્સિટી પણ ન આપી શકે તેવી શ્રેષ્ઠ કેળવણી મને ત્યાં મળી. પ્રા. સતીશ ધવને મને રોહિણી ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવા પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણયાન એસ.એલ.વી-3 તૈયાર કરવાનું કામ સોંપ્યું. 1973માં હાથ ધરાયેલા સૌથી મોટા ટેકનોલોજી અવકાશ કાર્યક્રમોમાંનો આ એક કાર્યક્રમ હતો. અવકાશ ટેકનોલોજી સાથે જોડાયેલા બધા લોકોને તેની સાથે જોડી દેવાયા હતા. હજારો વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટેકનિશિયનોએ ઘડિયાળના કાંટે કામ કર્યું અને 10 ઓગસ્ટ, 1979ની વહેલી સવારે પ્રથમ એસ.એલ.વી-3નું પ્રક્ષેપણ સંભવિત બન્યું. એસ.એલ.વી-3 ઊપડ્યું અને તેનો પ્રથમ તબક્કો સરસ ગયો. પણ બીજા તબક્કામાં તેની નિયંત્રણ વ્યવસ્થામાં ખામી સર્જાઈ અને આ મિશન તેનાં ધ્યેયો પૂરાં કરી શક્યું નહીં.

આ ઘટના પછી શ્રીહરિકોટામાં પત્રકાર પરિષદ યોજાઈ. પ્રા. સતીશ ધવન મને ત્યાં લઈ ગયા. આ મિશનનો હું પ્રોજેક્ટ અને મિશન ડિરેક્ટર હતો. છતાં તેમણે જાહેર કર્યું કે આ મિશનની નિષ્ફળતા માટે તેઓ જવાબદાર છે!

અમે જ્યારે 18 જુલાઈ, 1980ના રોજ એસ.એલ.વી-3ને પુનઃપ્રક્ષેપિત કર્યું અને રોહિણી ઉપગ્રહને સફળતાપૂર્વક પ્રસ્થાપિત કર્યો ત્યારે ફરી પત્રકાર પરિષદ યોજાઈ. આ વખતે પ્રા. ધવને પ્રેસ સામે સફળતાની વાત રજૂ કરવા મને આગળ કર્યો.

આ ઘટનામાંથી હું એ શીખ્યો કે નેતા સફળતાનો યશ પોતાની સાથે કામ કરતા બધા લોકોને આપે છે, જ્યારે નિષ્ફળતાની જવાબદારી પોતે લે છે. આ જ સાચું નેતૃત્વ છે.

Thursday, January 28, 2010

109 વર્ષથી રોશન એક બલ્બ...


તમારા ઘરે કોઈ બલ્બ લગાવો તો તે કેટલા સમય સુધી પ્રકાશ પાથરી શકશે? તમે કહેશો કે વધીને બેથી ત્રણ વર્ષ બલ્બ ચાલે. અસરકારક રીતે ઉપયોગ કરો તો વધીને સાડાથી ચાર વર્ષ અંધકાર દૂર કરી શકે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના કેલિફોર્નિયાના લિવરમોર શહેરમાં એક ફાયર સ્ટેશનમાં એક બલ્બ છેલ્લાં 109 વર્ષથી રોશન છે.

આ સદી કરતાં પણ વધુ આવરદા ધરાવતાં બલ્બનું નામ છે સેંટેનિયલ લાઇટ. તેને 1901માં લગાવવામાં આવ્યો હતો. સૌથી વધુ સમય સુધી પ્રકાશ પાથરનાર બલ્બ તરીકે તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે. આઠ જૂન, 2001ના રોજ તેની જન્મશતાબ્દી ઉજવવામાં આવી હતી અને ત્રણ કલાક સુધી વિવિધ સંગીત પીરસી તેને સલામી આપવામાં આવી હતી.

આ બલ્બની પોતાની એક વેબસાઈટ (http://www.centennialbulb.org/) પણ છે, જેમાં તેના હજારો ચાહકોના નામ નોંધાયેલા છે. હજારો કિલોમીટર દૂરથી લોકો આ નાનકડાં આશ્ચર્યને જોવા આવે છે. આ બલ્બની ડીઝાઇન ફ્રાંસીસી મૂળના વિજ્ઞાની એડોલ્ફ શૈલે તૈયાર કરી હતી અને તેનું નિર્માણ શેલ્બી ઇલેક્ટ્રિક કંપનીએ ઓહિયોમાં કર્યું હતું. તેની ક્ષમતા ચાર મેગાવોટ છે. સેંટેનિયલ લાઇટ જેવા આશ્ચર્યજનક બલ્બની ડીઝાઇન કરવા છતાં શૈલેને 'બલ્બના શોધક' ગણાતા થોમસ આલ્વા એડિસન જેવી પ્રસિદ્ધિ મળી નહોતી. અત્યારે આ બલ્બની દેખભાળ સ્ટીવ બન કરે છે. આ બલ્બને અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફોર્ટ વોર્થના બાયર્સ ઓપેરા હાઉસમાં પ્રજ્જવલિત એક બલ્બ સ્પર્ધા પણ પૂરી પાડી રહ્યો છે.

21 સપ્ટેમ્બર, 1908થી ઝળહળતા આ બલ્બનું નામ બેરી બર્ક હતું. ઓપેરા હાઉસ નામ બદલાઈને પેલેસ થિયેટર થયા પછી આ બલ્બ પેલેસ બલ્બ તરીકે ઓળખાતો હતો. અત્યારે આ બલ્બ સ્ટોકયાર્ડ્સ મ્યુઝીયમમાં છે. તેના પર વેબસાઇટ બનવાનું કામ ચાલુ છે. ન્યૂયોર્ક સિટીના એક હાર્ડવેર સ્ટોરમાં એક બલ્બ 1912થી પ્રકાશિત હતો, પણ અત્યારે તે ચાલુ છે કે ઉડી ગયો છે તેની ચોક્કસ જાણકારી નથી.

Wednesday, January 27, 2010

પહ્મ પુરસ્કારોઃ વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ...
















ભારત સરકારે 1954માં પહ્મ પુરસ્કારોની શરૂઆત કરી હતી. તેનો હેતુ પોત-પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર નાગરિકોનું સમ્માન કરવાનો હતો જેથી દેશના અન્ય નાગરિકોને રાષ્ટ્રપયોગી કાર્ય કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે. 1954માં 18 પહ્મશ્રી, 23 પહ્મભૂષણ અને છ પહ્મવિભૂષણ એનાયત કરાયા હતા. તેમાં ગુજરાતના વી એલ મહેતાને જાહેર સેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન માટે પહ્મભૂષણ અને શ્રીમતી ભાગ મહેતાને ઉત્કૃષ્ટ સનદી સેવા માટે પહ્મશ્રી મળ્યો હતો. શરૂઆતમાં પહ્મ પુરસ્કારો લાયકાતના ધોરણે એનાયત કરવામાં આવતા હતા અને હવે લાગવગને ધારણે..વ્યક્તિની પ્રતિભાને આધારે અપાયેલા એવોર્ડનું મૂલ્ય વધે છે અને લાગવગને આધારે ગણતરીપૂર્વક એનાયત થયેલા પુરસ્કારો વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ બની જાય છે. વર્ષ 2009 માટે જાહેર થયેલા પહ્મ પુરસ્કારો વિવાદાસ્પદ અને સાથેસાથે હાસ્યાસ્પદ બની ગયા છે. વિવાદ અમેરિકાના હોટેલિયર અને એનઆરઆઈ ભારતીય સંત સિંઘ ચટવાલને પહ્મભૂષણ એવોર્ડ એનાયત કરવાને લઈને થયો છે તો સૈફ અલી ખાનનો સાથ મળવાથી પહ્મશ્રી લોકોમાં હાંસીપાત્ર બની ગયો છે.

અમેરિકામાં બોમ્બે પેલેસ નામની રેસ્ટોરાંની ચેઇન ચલાવતા સંત સિંઘ ચટવાલે અમેરિકા અને ભારતીય બેન્કોને ચૂનો લગાવવાના આરોપસર જેલમાં લટાર મારી આવ્યાં છે. સીબીઆઈએ 1992થી 1994 દરમિયાન તેમની સામે અનેક કેસ કર્યા હતા. નરસિંહરાવની સરકારે કેસ કર્યા અને મનમોહન સિંઘની સરકાર કહે છે તેમના પર લગાવેલા આરોપો પુરવાર થયા નથી. પહ્મ પુરસ્કારો અને વિવાદોને ચોલીદામને જેવો સાથ છે. 1954થી શરૂ થયેલા આ એવોર્ડ શરૂઆતમાં છ વર્ષ સુધી બિનવિવાદાસ્પદ રહ્યાં હતાં અને પહેલી વખત 1961માં વિવાદ માનનીય રાષ્ટ્રપતિની સેવા-સુશ્રુષા કરનાર એક નર્સને લઇને થયો હતો.

તે સમયે જાણીતા પત્રકાર કુલદીપ નૈયર ગૃહ મંત્રાલયમાં સૂચના અધિકારી હતા. તેમણે પહ્મ પુરસ્કારો માટે નામાંકિત થયેલા લોકોની યાદીને નિર્ણાયક સ્વરૂપ આપ્યું હતું. તેમાં એક કુમારી ઇવેન્જેલિન લિઝારેસ હતા. તેમની ભલામણ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કરી હતી. નૈયરે આ મહિલા વિશે જાણકારી મેળવી અને તેના આધારે લિઝારેસનું નામ શિક્ષણ કેટેગરીમાં મૂકી દીધું. આ યાદી જાહેર થાય તેની પહેલાં રાજેન્દ્રપ્રસાદ તેના પર છેલ્લી નજર દોડાવતાં હતા ત્યારે અચાનક તે ચોંકી ગયા. હકીકતમાં તેમણે જે કુમારી લિઝારેસની ભલામણ કરી હતી તે શિક્ષણ જગત સાથે સંકળાયેલા નહોતા પણ એક નર્સ હતા. તેમણે હૈદરાબાદથી કન્નૂર સુધીની રેલયાત્રામાં રાજેન્દ્રપ્રસાદની સારસંભાળ રાખી હતી. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. ટેલીગ્રામ પુરસ્કાર વિજેતાઓ સુધી પહોંચી ગયા હતા અને શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા લિઝારેસે પુરસ્કારનો સ્વીકાર કરવાની હા પણ પાડી દીધી હતી. પછી નૈયરે બીજો ટેલીગ્રામ નર્સ કુમારી લિઝારેસને પણ કર્યો. આ રીતે 1961માં એક જ અટક ધરાવતી બે મહિલાઓને પહ્મશ્રી મળ્યો હતો.

અત્યાર સુધી ભારત સરકારે 2,255 પહ્મશ્રી, 1,068 પહ્મભૂષણ અને 258 પહ્મવિભૂષણ આપ્યાં છે. લગભગ એક પણ વર્ષ એવું પસાર નહીં થયું હોય જ્યારે આ પુરસ્કારો વિવાદનો વિષય નહીં બન્યાં હોય. 2009માં વિવાદ જમ્મુ-કાશ્મીરના હશમત ઉલ્લાહ ખાનને પહ્મશ્રી પુરસ્કાર એનાયત કરવા પર થયો હતો. તેમને આ પુરસ્કાર મશહૂર કન્ની શાલના કારીગર હોવા બદલ મળ્યો હતો. પણ પાછળથી ખબર પડી કે તેઓ કારીગર નથી, પણ શાલની નિકાસ કરવાનો ધંધો કરે છે. તપાસ પછી આ વાતની પુષ્ટિ થઈ છતાં ફારુખ અબ્દુ્લ્લાહની મહેરબાની હશ્મતમિયા પહ્મશ્રીના સ્વામી બની ગયા હતા. 2009માં જ દિલ્હી હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજિન્દર સચ્ચર અને પ્રસિદ્ધ પત્રકાર પી સાંઈનાથે પહ્મશ્રી લેવાનો સપ્રેમ ઇનકાર કરી દીધો હતો. સચ્ચરનું માનવું છે કે કલાકારો, ખેલાડીઓ, વકીલો અને પત્રકારોના કામનું મૂલ્યાંકન કરવાનું કામ સરકારનું નથી તો સાંઈનાથ કહે છે કે પત્રકારો સરકાર પાસેથી પુરસ્કારો લે તે વાત યોગ્ય નથી.

એનડીટીવીના બરખા દત્ત અને વિનોદ દુઆ તથા સીએનએન-આઇબીએનના વહીવટદાર રાજદીપ સરદેસાઈએ વર્ષ 2008માં પહ્મશ્રી પુરસ્કારનો સ્વીકાર કરી ચૂક્યાં છે. પહ્મ પુરસ્કારોની પસંદગી પ્રક્રિયામાં સૌપ્રથમ રાજ્ય સરકારો, કેન્દ્રીય મંત્રાલયો, ઉત્કૃષ્ટ સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનો તેમની ભલામણો વડાપ્રધાને રચેલી એક પુરસ્કાર સમિતિને મોકલે છે. આ સમિતિમાં કેબિનેટ અને ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ, વડાપ્રધાનના મુખ્ય સચિવ અને કલા, રમતજગત અને અન્ય ક્ષેત્રો સાથે સંબંધિત બિનસરકારી નિષ્ણાતો સામેલ હોય છે. નામ પસંદ થાય તે પહેલાં વિસ્તૃત ચર્ચા થાય છે. પણ ગડબડ ગૃહ મંત્રાલય સુધી નામ પહોંચે તે પહલાં જ થવા લાગે છે. પુરસ્કારશિરોમણી બનવા થનગનતા બાઝીગરો દોડધામ શરૂ કરી દે છે અને તેમના શુભચિંતક રાજકારણીઓ તેમની ભલામણો શરૂ કરી દે છે. અત્યારે તો ઇમેજ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સને ચાંદી છે. તેઓ વિવિધ ક્ષેત્રની સેલિબ્રિટીઓને નામ અલગ-અલગ મંત્રાલયો સુધી પહોંચાડવાની કસરત કરે છે.

વડાપ્રધાનની પુરસ્કાર સમિતિના સભ્ય રહી ચૂકેલા દિલીપ પડગાંવકરે થોડા સમય પહેલાં ઘટસ્ફોટ કર્યો હતો કે તેમની પાસે અનેક વખત ભલામણ કરવા માગતા લોકો આવતાં હતાં. કુલદીપ નૈયરેનું માનવું છે કે સત્તાના કેન્દ્રની નજીક રહેતાં લોકોને પહ્મ પુરસ્કારો સરળતાથી મળી જાય છે. શાહરૂખ ખાનને વર્ષ 2005માં પહ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. પહ્મ પુરસ્કારોનું આ જ પ્રકારનું અવમૂલ્ય જોઇને કેરળ અને મધ્યપ્રદેશમાં અનેક અરજીઓ દાખલ થઈ હતી જેના પગલે 1993થી 1996 સુધી આ પુરસ્કારો પર બ્રેક વાગી ગઈ હતી. છેલ્લાં થોડા વર્ષોમાં અનેક હસ્તીઓએ આ સમ્માનનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક દત્તોપંત ઠેંગડીએ 2003માં પહ્મભૂષણ, પત્રકાર અને ભૂતપૂર્વ સનદી અધિકારી કે સુબ્રમન્યમે 1999માં પહ્મભૂષણનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રસિદ્ધ ઇતિહાસકાર રોમિલા થાપરે 1992 અને 2005માં સરકાર પાસેથી કોઈ પણ સમ્માન ન સ્વીકારવાની નિર્ણય લીધો હતો. જાણીતા કથક નૃત્યાંગના સિતારા દેવીએ 2002માં પહ્મભૂષણનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, આ ભૂષણ સમ્માન નહીં, અપમાન છે. મલયાલી લેખક સુકુમાર અઝિકોડેએ 2007માં પહ્મશ્રીનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે આ સમ્માન સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. સિતાર ઉસ્તાદ વિલાયત ખાને 1964, 1968 અને 2000માં પુરસ્કાર પસંદગી સમિતિની યોગ્યતા પર જ સવાલ ઊભા કર્યાં હતાં. અત્યારે પહ્મ પુરસ્કારો એક મજાક બની ગયા છે અને તેનો અંત લાવી દેવો જ ઉચિત છે..

Sunday, January 24, 2010

માતૃભાષાનું સંરક્ષણ અને માતૃભાષા વંદનાયાત્રા...


ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને તેના ભવિષ્યને લઇને ચિંતિત સજ્જનો માટે સારા સમાચાર છે. એક, અમદાવાદમાં ચાલી રહેલાં વિશ્વ ગુજરાતી સમાજના પરિષદના સંમેલનમાં બિનનિવાસી ગુજરાતી (એનઆરજી) વડીલોએ ગુજરાતી ભાષામાં નવેસરથી પ્રાણ ફૂંકવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. બીજું, ગુજરાતમાં જ ગુજરાતી ભાષાની અવગણના કરતાં બૃહદ ગુજરાતી સમાજમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાના પ્રયાસરૂપે 30મી જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી જૂનાગઢથી સુરત સુધી માતૃભાષા વંદનાયાત્રા નીકળશે.

અત્યારે અમદાવાદમાં વિશ્વ ગુજરાતી સમાજની ચોથી પરિષદ ચાલી રહી છે. તેમાં બીજા દિવસે શનિવારે વિશ્વના વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓએ ગુજરાતી ભાષાના નવસંચારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શા માટે? આ બિનનિવાસી ગુજરાતીઓ (એનઆરજી)ની બીજી પેઢી વિદેશોમાં જવાન થઈ ગઈ છે. તેમના ઘેર ધનના ઢગ થઈ રહ્યાં છે, પણ ગુજરાતી સંસ્કાર અને સંસ્કૃતિનો ક્રમશઃ હ્રાસ થઈ રહ્યો છે. વિદેશમાં વસતા ગુજરાતી પરિવારના યુવાન સભ્યોને કમાણી કરતાં આવે છે, પણ તેમની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે જીવતાં આવડતું નથી. આ વાત વડીલ બિનનિવાસી ગુજરાતીઓને ખટકે છે. તેઓ તેમની આગામી પેઢીમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવું ઇચ્છે છે અને આ માટે તેમણે માતૃભાષાના ખોળામાં માથું મૂક્યું છે. આ અબ લૌટ ચલે...

ભાષા સંસ્કૃતિનો આયનો છે. ભાષા સંસ્કૃતિનો આત્મા છે અને સંસ્કૃતિનું હાર્દ ભાષા છે. અમેરિકાના જાણીતા કવિ રાલ્ફ વાલ્ડો એમર્સને કહ્યું છે કે, ભાષા જે તે પ્રજાના ઇતિહાસ, તેની પરંપરા અને સંસ્કૃતિનો દસ્તાવેજ છે. ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જેટલું ચોખ્ખું ગુજરાતી ભાષામાં જોવા, જાણવા અને માણવા મળે તેટલું અન્ય કોઈ ભાષા ન મળે. વિદેશમાં વસતા ગુજરાતીઓ આ સો મણના સત્યથી વાકેફ થઈ ગયા છીએ અને ગુજરાતીમાં જ રહેતાં આપણે ગુજરાતીઓ તેની ઉપેક્ષા કરી રહ્યાં છે, આંખ આડા કાન કરી રહ્યાં છીએ.

ગુજરાતમાં ગુજરાતી ભાષાની ઉપેક્ષા સતત વધતી જાય છે. થોડા દિવસ પહેલાં મને જાણકારી મળી છે કે વિવિધ ખાનગી બેન્કોએ એક્ઝિક્યુટિવના પદ માટે સળંગ અંગ્રેજી માધ્યમમાં (પહેલાં ધોરણને અંગ્રેજી માઘ્યમમાં) ભણેલા યુવાનોને લેવાનો અલેખિત અને અઘોષિત નિયમ બનાવી દીધો છે. આ વાત બેન્કમાં જ ઉચ્ચ હોદ્દા પર કાર્યરત મારા એક સંબંધીએ કરી છે. આ વાત સાંભળીને મને રાજ ઠાકરેનો મરાઠી ભાષા પ્રત્યેની બળજબરી થોડી ઘણી વાજબી લાગી હતી. આર્થિક ઉદારીકરણના યુગમાં અંગ્રેજી ભાષાની જાણકારી જરૂરી છે, પણ ગુજરાતી કે અન્ય કોઈ પણ પ્રાદેશિક ભાષાની ઉપેક્ષા કે અવગણના કરવાનું કેટલે અંશે યોગ્ય છે!?

ગુજરાતમાં ગુજરાતી ભાષાનો મૃત્યુઘંટ વાગે તે પહેલાં કંઈ કરવાના આશય સાથે ગાંધીનિર્વાણ દિને 30મી જાન્યુઆરીથી જાણીતા ગુજરાતી લેખક ગુણવંત શાહ માતૃભાષા વંદનાયાત્રા ગુજરાતના આદ્યકવિ નરસિંહ મહેતાની કર્મભૂમિ જૂનાગઢથી શરૂ કરશે. જૂનાગઠથી વાયા ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, નડિયાદ, વડોદરા, ભરૂચ, બારડોલી, નવસારી, વલસાડ થઈને કવિ નર્મદની ભૂમિ સુરતમાં છઠ્ઠી ફેબ્રુઆરીએ પૂરી થશે. ગુણવંત શાહના નેજા હેઠળ આ યાત્રામાં રાજકોટનો ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની, સુરેન્દ્રનગરના મોતીભાઈ પટેલ, વલસાડના રમેશભાઈ દેસાઈ, અમદાવાદના ડૉ. ઉષા ઉપાધ્યાય અને ડૉ. પી જી પટેલ જોડાશે. તેમાં બધા લોકો સ્વેચ્છાએ અને સ્વખર્ચે જોડાશે.....ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે...

ચલતે-ચલતેઃ મને એવું લાગ્યું કે આવનારી પેઢી તો આપણી સાચી ઓળખસમી માતૃભાષાથી વિમુખ થતી જાય છે. એ પારકી થઈ જાય એ પહેલાં આપણે જ કંઈક કરવું પડશે- ગુણવંત શાહ (ચિત્રલેખાના પત્રકાર જ્યોતિ ઉનડકટ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યા મુજબ, ચિત્રલેખા-1 ફેબ્રુઆરી, 2010)

Tuesday, January 19, 2010

કાશ્મીરી પંડિતોની વેદનાઃ કૌન સુને ફરિયાદ....


શ્રીનગર, ચાર જાન્યુઆરી, 1990

સ્થાનિક ઉર્દૂ અખબાર આફતાબમાં એક જાહેરખબર પ્રસિદ્ધ થઈ, જે કાશ્મીરી પંડિતો માટે આફત બની ગઈ. આ જાહેરખબર હકીકતમાં પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠન હિઝબ-ઉલ-મુઝાહિદ્દીનનો ફતવો હતો. તેમાં કાશ્મીરને પાકિસ્તાનનું અવિભાજ્ય અંગ જાહેર કરવામાં આવ્યું અને ભારત સાથેના તમામ સંબંધનો વિચ્છેદ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. કાશ્મીરમાં રહેતાં તમામ હિંદુઓને બગલબિસ્ત્રા બાંધીને ભારતમાં જવાનું ફરમાન કરવામાં આવ્યું. એક અન્ય સ્થાનિક અખબાર અલ સફાએ પણ આ જ પ્રકારનો ફતવો જાહેર કર્યો.

ફતવા પછી થોડા દિવસ કાશ્મીરમાં ફેલાઈઃ અરાજકતા, અંધાધૂધી અને અવ્યવસ્થા. હાલના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાના અબ્બુજાન ફારૂક અબ્દુલ્લા તે સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. કાશ્મીરમાં વસતાં હિંદુઓનું સંરક્ષણ કરવું તેમની સરકારની ફરજ હતી, પણ તેમણે તમામ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા. આતંકવાદીઓએ કાશ્મીર ખીણનો કબજો લઈ લીધો. પાક મસ્જિદો નાપાક રેલીઓનું કેન્દ્ર બની ગઈ અને સંપૂર્ણ કાશ્મીરમાં શરિયતનો કાયદો લાગૂ કરી દેવામાં આવ્યો. વીડિયો પાર્લર અને સિનેમાને તાળા મારી દેવાયા. ઇસ્લામિક ડ્રેસ કોડનું પાલન ફરજિયાત બનાવી દેવાયું. પાકિસ્તાનના સ્ટાન્ડર્ડ સમયને અનુસરવાનો આદેશ અપાયો.

* * *

શ્રીનગર, 19 જાન્યુઆરી, 1990

કાશ્મીરી હિંદુઓ અને પંડિતો માટે આ દિવસ કાળો દિવસ સાબિત થયો. જગમોહને જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ તરીકેનો ચાર્જ લીધો. ફારૂખ અબ્દુલ્લાએ રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવાયું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સૌપ્રથમ કરફ્યુ લાદી દેવાયો. પણ જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) અને હિઝબ-ઉલ-મુઝાહિદ્દીનના પાકિસ્તાનપરસ્ત તાલિબાની ગુંડાઓએ કરફ્યુની ઐસીતૈસી કરી અનેક મસ્જિદોમાં જાહેર સભાઓનું સંબોધન કર્યું. આ સભાઓમાં ત્રણ નાપાક સૂત્રોચ્ચાર સતત થયો હતાં-

- કાશ્મીર મેં અગર રહેના હૈ, અલ્લાહ-ઓ-અકબર કહેના હૈ
- યહાં ક્યાં ચલેગા, નિઝામ-એ-મુસ્તફા (નિઝામ-એ-મુસ્તફા એટલે શરિયતનો કાયદો)
- હમેં હિંદુ મહિલાઓ કે સાથ પાકિસ્તાન ચાહિયે, ઉનકે પુરુષો કે સાથ નહીં

પછીના દિવસો કાશ્મીરી હિંદુઓ માટે નરક સમાન થઈ ગયા. તેમના ઘરો પર હુમલા કરવામાં આવ્યાં. અંદાજે 300 જેટલી હિંદુ સ્ત્રી-પુરુષોની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. હાઈ કોર્ટના ન્યાયાધીશ એન કે ગંજુને ઠાર કરી દેવાયા. શ્રીનગરમાં સૌરા મેડિકલ કોલેજમાં કામ કરતી પંડિત નર્સો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને પછી ક્રૂર હત્યા. કાશ્મીરના ગામડાં અને નાનાં-નાનાં શહેરોમાં પણ પાકિસ્તાનતરફી જંગલીઓનું જ સામ્રાજ્ય હતું. ભારતના કાયદા અને વ્યવસ્થા હાંસી ઉડાવવામાં આવી. આ દિવસે કાશ્મીરે પંડિતોએ ભારે હ્રદય સાથે તેમના માદરેવતનને અલવિદા કહેવાનો નિર્ણય લીધો. હજારો પંડિતો અને હિંદુઓએ જમ્મુ તરફ કૂચ કરી. કેટલાંક દિલ્હી આવ્યાં તો કેટલાંક પંજાબ તેમના સગાસંબંધીઓના આશ્રિતો બન્યાં.
* * *
કાશ્મીરી પંડિતો છેલ્લાં 20 વર્ષથી જમ્મુ અને દિલ્હી સહિત રાહતછાવણીઓમાં ગરીબી અને ગંદકી વચ્ચે રહે છે. છેલ્લાં બે દાયકાથી તેઓ તેમના વતનમાં પાછાં ફરવાની રાહ જોઈ રહ્યાં છે. આ છાવણીઓમાં જ કાશ્મીરી હિંદુઓની એક આખી પેઢી યુવાન થઈ ગઈ છે, જેણે ક્યારેય તેમના વતનની માટીની મહેંક અનુભવી નથી. શું આ કાશ્મીરીઓને કાશ્મીરમાં પાછાં ફરવાનો અધિકાર નથી?

અધિકાર છે, પણ તેઓ ગભરાય છે. કાશ્મીરમાં અત્યારે હિંદુઓ નહીંવત્ છે. હિંદુઓ છે જ નહીં તેમ કહો તો પણ ચાલે. અહીં હિંદુઓને ફરી ઘુસવા ન દેવાની અલિખિત સમજૂતી પાકિસ્તાનપરસ્ત રાજકીય પક્ષો વચ્ચે પ્રવર્તે છે. તેમાં કાશ્મીરી મુસ્લિમોનું મૌન સમર્થન છે અને ભારત સરકાર લાચાર છે. દેશના તમામ રાજકીય પક્ષો વચ્ચે ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમોના મત મેળવવાની સ્પર્ધા ચાલે છે. એક પણ રાજકીય પક્ષ કાશ્મીર પંડિતોનો અવાજ ઉઠાવી મુસ્લિમ મતબેન્કને નારાજ કરવા માગતો નથી. કાશ્મીરી હિંદુઓ-પંડિતો તેમના મતબેન્કના માપદંડમાં ફિટ બેસતાં નથી..અને માનવાધિકારના સંરક્ષકો અને મીડિયાના બુદ્ધિજીવીઓ (હકીકતમાં બુદ્ધુજીવીઓ) શું કરી રહ્યાં છે?

માનવાધિકારનો ઝંડો લઈને ફરતા તિસ્તા શેતલવાડને ગુજરાતના મુસ્લિમોને થયેલા અન્યાય માટે અવાજ ઉઠાવવાનો સમય છે, પણ કાશ્મીરમાંથી નિર્વાસિત થઈને ઠેરઠેર ભટકતાં પંડિતો અને હિંદુઓ સામે જોવાનો સમય નથી. શાંતિના દૂત તરીકે અમર થવાના દીવાસ્વપ્નો જોતા જાવેદ અખ્તરને સોનિયા ગાંધીના ભાષણ લખવા માટે સમય છે, પણ કાશ્મીરી હિંદુઓના દર્દની અભિવ્યક્તિ કરવા તેમની કલમ ફૂંફાડા મારતી નથી. અંગ્રેજી મીડિયા માટે કાશ્મીરના પંડિતોની વેદનાનો મુદ્દો જૂનો છે. અત્યારે રુચિકા ગિરહોત્રા કેસ હોટ ટોપિક છે અને મીડિયામાં માત્ર 'હોટ' જ ખપે છે. વેદના ક્યારેય કોલ્ડ નથી હોતી, હકીકત એ છે કે તેની સામે જોવાની તાકાત જ રહી નથી. મીડિયાની સંવેદનશીલતા ગણતરીબાજ થઈ ગઈ છે, રાષ્ટ્રપ્રેમ એટલે શું તે સમજવાની શક્તિ રહી જ નથી, સ્વાર્થને વશ થઈને સત્ય સામેથી મોં ફેરવી લીધું છે અને સમાધાન કરવાની ટેવ પડી ગઈ છે. ગુજરાતના છહ્મ ધર્મનિરપેક્ષ (સ્યૂડો સેક્યુલર) બુદ્ધિજીવીઓમાં પણ ગોધરાકાંડ પછી ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનોને બદલો લેવાની એક ફેશન પડી ગઈ છે.

આ કલમખોર અમીચંદો તક મળતાં જ હિંદુઓને બદનામ કરવા મેદાનમાં ઉતરી જાય છે. પણ તેમને કાશ્મીરી હિંદુઓને થયેલા અન્યાય વિશે પૂછો તો 'ઉલટા ચોર કોટવાલ કો દંડે' જેવી નીતિ અખત્યાર કરે છે. ગુજરાતી પત્રકારત્વમાં તો દંભી ધર્મનિરપેક્ષોનો રાફડો ફાડ્યો છે. અહીં દલિતોની વાત કરતાં અપ્પુઓ છે, મુસ્લિમોને અનામતનો લાભ મળવો જ જોઈએ તેવી વાતો કરતાં પપ્પુઓ છે. અખબારોમાં આ પ્રકારના લેખો લખીને જાણીતા થયેલા મંદ બુદ્ધિના અપ્પુ-પપ્પુઓ સાથે ઓળખાણ રાખવા માટે તલપાપડ થઈ રહેલાં મંદબુદ્ધિના ટપુડા-ટપુડીઓની આખી ટોળકી છે..આ પરિસ્થિતિમાં કાશ્મીરી પંડિતોની ચિંતા કોને હોય અને શા માટે હોય....કૌન સુને ફરિયાદ...

Monday, January 18, 2010

જ્યોતિકિરણ બસુઃ દિલથી સામ્યવાદી, દિમાગથી મૂડીવાદી...

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને સામ્યવાદી અને સામ્યવાદવિરોધી વિચારસરણી માટે કરેલો કટાક્ષ બહુ જાણીતો છે. તેમણે કહ્યું હતું કે, ''તમે સામ્યવાદી કોને કહેશો? જેઓ માર્ક્સ અને લેનિને વાંચે છે તેઓ સામ્યવાદી છે. સામ્યવાદવિરોધી કોને કહેશો? જેઓ માર્ક્સ અને લેનિનને સારી રીતે સમજે છે.'' રીગનની આ કટાક્ષયુક્ત વ્યાખ્યામાં જ્યોતિ બસુ એકદમ ફિટ છે. જ્યોતિ બસુ એટલે બંગાળીઓના જ્યોતિર્દા, સામ્યવાદીઓના કામરેડ અને મૂડીવાદીઓના કેડિલેક કોમ્યુનિસ્ટ. બંગાળના રાજકારણના અઝીમ-ઓ-શાન શહેનશાહ બસુ દિલથી કટ્ટર સામ્યવાદી હતા અને દિમાગથી સામ્યવાદ વિરોધી! દિલ અને દિમાગ વચ્ચે ચાલતી આ કાયમી કશ્મકશ સાથે રોઈટર્સ બિલ્ડિંગમાં 23 વર્ષ બેસવાનો વિક્રમ સ્થાપિત કરનાર બસુના અંત સાથે ભારતીય સામ્યવાદી ઇતિહાસનું એક પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

કોંગ્રેસીઓ અટલબિહારી વાજપેયી માટે કહેતા કે 'ખોટા પક્ષમાં એક સાચો માણસ ફસાઈ ગયો છે.' જ્યોતિકિરણ નિશિકાન્ત બસુ માટે પણ તમે કહી શકો કે 'સામ્યવાદીઓ વચ્ચે એક વ્યવહારુ સામ્યવાદી ફસાઈ ગયો હતો.' જ્યોતિ બસુ સામ્યવાદને ચાહતા હતા, પણ તેમના પ્રેમની મર્યાદાથી પણ સારી રીતે વાકેફ હતા. 1946માં ટ્રેડ યુનિયન લીડર તરીકે અંગ્રેજોના રાજમાં બંગાળની વિધાનસભામાં પ્રવેશ કરનાર બસુએ મૂડીવાદી બનવાનો હંમેશા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

મૂડીવાદી પિતા ડૉક્ટર નિશિકાન્ત બસુના ધનિક નબીરા બસુએ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની પદવી મેળવી, પણ તે જમાનામાં સામ્યવાદ અને લાલ ઝંડાનું ઝનૂન યુવાનો પર સવાર હતું. તે સમયે મૂડીવાદનું કેન્દ્ર બની ગયેલા લંડનમાં બસુ માર્ક્સવાદના રંગે રંગાઈ ગયા. પણ સફેદ વાસ્તવિકતા સામે સામ્યવાદી લાલ રંગની લાલિમા ઓસરી ગઈ. 1967 અને 1969માં પશ્ચિમ બંગાળની સંયુક્ત મોરચાની સરકારમાં ઉપમુખ્યમંત્રી બન્યાં અને તે ગાળામાં જ સામ્યવાદની મર્યાદા તેમને સમજાઈ ગઈ. જૂન, 1977માં ઇન્દિરાવિરોધી લહેરમાં બંગાળના મુખ્યમંત્રી બન્યાં અને પછી શહેનશાહ-એ-સોનાર બાંગલા....

મુખ્યમંત્રી બન્યાં પછી તેમના મૂડીવાદી સંસ્કારો જાગૃત થયા. તેઓ વાયા મૂડીવાદ, સામ્યવાદ અને સમાનતા સ્થાપવા માગતા હતા. 1984માં પક્ષના કેન્દ્રીય સમિતિ સમક્ષ પશ્ચિમ બંગાળનું ઔદ્યોગિકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે તેમણે ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારી કરવાનો વિચાર રજૂ કર્યો હતો. તેઓ બંગાળ સરકારની નાદાર લિલિ બિસ્કિટ્સ કંપની બહુરાષ્ટ્રીય કંપની બ્રિટાનિયાને આપી દેવા માગતા હતા. બંગાળની જાહેર ક્ષેત્રની ઇલેક્ટ્રોનિક્સ કંપનીનું જોડાણ અન્ય બહુરાષ્ટ્રીય કંપની ફિલિપ્સ સાથે કરવા માગતા હતા. દેશના અન્ય રાજ્યોમાં ઉદારીકરણ પછી આ પ્રકારની ભાગીદારીનો યુગ શરૂ થયો તેના લગભગ એક દાયકા અગાઉ બસુએ મૂડીવાદવિરોધી સામ્યવાદીઓ સમક્ષ આ પ્રકારનો પ્રસ્તાવ મૂકતાં ખળભળાટ મચી ગયો. બસુને તેમની પક્ષના સિદ્ધાંતની લક્ષ્મણરેખા ન ઓળંગવાની સૂચના આપી દેવાઈ.
બસુ શિસ્તબદ્ધ, સુસંસ્કૃત, ભદ્ર કામરેડ હતા. તેઓ પહેલાં કામરેડ હતા, દિલથી સામ્યવાદી હતા. તેમના મૂડીવાદે દિમાગે હંમેશા સામ્યવાદી દિલ સામે હાર માની હતી. દિલ અને દિમાગની આ કશ્મકશનો ભોગ કોણ બન્યું?

બંગાળનો સામાન્ય માણસ. બંગાળના કોમન મેનની સ્થિતિ પર એક નજર કરીએ. બંગાળમાં ગરીબી અને ભૂખમરાનું સામ્રાજ્ય છે. અહીં ગરીબીનું સ્તર બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ જેવા રાજ્ય કરતાં થોડું સારું છે. એક સમયે દેશની ઔદ્યોગિક રાજધાની ગણાતા બંગાળમાં જ્યોતિયુગમાં અંધકાર પથરાઈ ગયો છે. બંગાળમાં અત્યારે 60 લાખ કરતાં વધારે રજિસ્ટર્ડ બેરોજગારો છે. રાજ્યના 18 જિલ્લામાં 50 ટકાં કરતાં વધારે લોકો ગરીબી રેખા નીચે જીવે છે. એકમાત્ર પુરલિયાનું ઉદાહરણ લો. તેમાં 78 ટકા લોકો ગરીબ છે. બંગાળ કરતાં હિમાચલપ્રદેશમાં પ્રતિ લાખ વિદ્યાર્થી શિક્ષકોની સંખ્યા વધારે છે. રાજ્યમાં જેટલા બાળકો અભ્યાસ પૂર્ણ કરે છે તેના કરતાં વધારે લોકો અભ્યાસ અધૂરો છોડી મજૂરી કરવામાં લાગી જાય છે. એક સમયે બસુના નજીક ગણાતા અને જમીન સુધારણાની ઐતિહાસિક પહેલના પ્રણેતા બિનોય ચૌધરી બંગાળની દુર્દશા જોઈ ઉકળી ઉઠ્યાં હતાં. તેમણે બસુની સરકારને ''જમીન કોન્ટ્રાક્ટરો માટેની, કોન્ટ્રાક્ટરોની અને કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતી સરકાર'' ગણાવી હતી.

બસુ તેમના સામ્યવાદી પક્ષના પરિણામોથી વાકેફ હતાં. પણ તેમનામાં પક્ષથી ઉપર ઉઠવાનું સાહસ તેમનામાં નહોતું. તેમણે વર્ષ 2000માં સ્વેચ્છાએ રાજકીય સંન્યાસ લીધો, પણ શાસનની ધુરા સોંપી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને. ભટ્ટાચાર્ય પણ દિલથી સામ્યવાદી છે, પણ દિમાગથી મૂડીવાદી છે. તેઓ જાણે છે કે સામ્યવાદની મંઝિલ મૂડીવાદના માર્ગે જ મળશે. બસુથી વિપરીત ભટ્ટાચાર્યમાં પક્ષના સિદ્ધાંતો સાથે વ્યવહારિકતા દાખવવાનું સાહસ છે. તેમણે બંગાળના કોમન મેન માટે રાજ્યમાં ઔદ્યોગિકરણની શરૂઆત કરી છે, પણ હવે મમતા બેનરજીએ રોઇટર્સ બિલ્ડિંગ પર કબજો જમાવવા સામ્યવાદીનું મહોરું ધારણ કર્યું છે..

Sunday, January 17, 2010

કુંભમેળામાં ગાંધીજી


1915ની સાલમાં હરદ્વારમાં કુંભમેળો હતો. તેમાં જવાની મને તીવ્ર ઇચ્છા નહોતી. પણ મારે મહાત્મા મુનશીરામજીનાં દર્શને તો જવું જ હતું. કુંભના સમયે ગોખલેની સેવકસમાજે એક મોટી ટુકડી મોકલી હતી. તેની વ્યવસ્થા શ્રી હ્રદયનાથ કુંઝરેને હાથ હતી. મરહૂમ દાક્તર દેવ પણ તેમાં હતા. આમાં મદદ કરવા મારી ટુકડીને પણ લઈ જવી એવો ઠરાવ હતો. મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહેલી ટુકડી લઈને મારાથી પહેલાં હરદ્વાર પહોંચી ગયા હતા. હું રંગૂનથી વળી તેમની સાથે જોડાઈ ગયો.

કુંભનો દિવસ આવ્યો.. મારે સારું એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની ભાવનાથી હરદ્વાર ગયો નહોતો. મને તીર્થક્ષેત્રોમાં પવિત્રતાની શોધે જવાનો મોહ કદી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં. મેળામાં સત્તર લાખ માણસો આવ્યા હશે એમ કહેવાયું હતું. આમાં અસંખ્ય માણસો પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાના સારુ આવેલા એને વિશે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માની ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.

પથારીમાં પડ્યો પડ્યો હું વિચારસાગરમાં ડૂબ્યો. ચોમેર ફેલાયેલા પાખંડમાં મજકૂર પવિત્ર આત્માઓ પણ છે. તેઓ ઇશ્વરના દરબારમાં સજાપાત્ર નહીં ગણાય. જો હરદ્વારમાં આવા સમયે આવવું જ પાપ હોય તો મારે જાહેર રીતે વિરોધ કરીને કુંભને દિવસે તો હરદ્વારનો ત્યાગ જ કરવો જોઈએ. જો આવવામાં ને કુંભને દહાડે રહેવામાં પાપ ન હોય તો મારે કંઈક ને કંઈક કડક વ્રત લઈને ચાલતા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, આત્મશુદ્ધિ કરવી જોઈએ. મારું જીવન વ્રતો ઉપર રચાયેલું છે, તેથી કંઈક કઠિન વ્રત લેવાનો નિશ્ચય કર્યો.

કલકત્તા અને રંગૂનમાં મારે નિમિત્તે યજમાનોને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું, તેથી મેં ખોરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાનો ને અંધારા પહેલાં જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો મેં જોયું કે, જો હું મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ. તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવાનું ને રાત્રિભોજનત્યાગનું વ્રત લીધું. બન્નેની કઠિનાઈનો પૂરો વિચાર કરી લીધો. આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનો નિશ્ચય કર્યો. માંદગીમાં દવારૂપે ઘણી વસ્તુઓ લેવી ન લેવી, દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી, આ બધી વાતો વિચારી લીધી, ને નિશ્ચય કર્યો કે ખાવાના કોઈ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા.

Saturday, January 16, 2010

ગાંધીજીઃ કુશળ સીઈઓ અને સિદ્ધાંતવાદી નેતા

ગાંધીજીના સ્વદેશાગમન વેળાએ થયેલું ભવ્ય સ્વાગત (ફોટો સૌજન્યઃ ગાંધી ફાઉન્ડેશન)

ભારતીય લોકશાહી માટે ટવેન્ટી 10 એટલે કે 2010નું વર્ષ મહત્વપૂર્ણ છે. 2010ના પહેલા મહિનામાં ભારતીય ગણતંત્ર કે પ્રજાસત્તાક તંત્ર 60 વર્ષ પૂર્ણ કરશે અને ડીસેમ્બર મહિનામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તેની સ્થાપનાના 125 વર્ષ પૂર્ણ કરશે. એક અન્ય તવારીખ ચાલુ વર્ષના પહેલાં જ મહિના સાથે જોડાયેલી છે. તે પ્રસિદ્ધ ઓછી છે, પણ તેનું મહત્વ અનેક પ્રસિદ્ધ તવારીખ કરતાં પણ વધારે છે, કારણ કે આ તવારીખ પાછળથી અનેક તવારીખનું કારણ બની હતી. તવારીખ એટલે ઇતિહાસ અને આ ઐતિહાસિક ઘટના હતી મહાત્મા ગાંધીનું હિંદુસ્તાનમાં પુનરાગમન.

ગાંધીજીના પુનરાગમન પછી આઝાદી સુધીના સમયગાળાને ઇતિહાસકારો 'ગાંધીયુગ' તરીકે ઓળખાવે છે. દેશની બંધારણીય આઝાદીની લડતનો ઇતિહાસ કોંગ્રેસની સ્થાપના સાથે શરૂ થાય છે અને 1905માં બંગભંગની લડત સુધીનો ગાળો પહેલો તબક્કા ગણાય છે. 1905થી 1915માં ગાંધીજીના આગમન સુધીનો એક દાયકો આઝાદીની લડતનો બીજો તબક્કો ગણાય છે. અને ગાંધીજીના આગમન પછીનો તબક્કો? ઇતિહાસકારો તેને આઝાદીની લડતનો ત્રીજો કે નિર્ણાયક તબક્કો કહેવાને બદલે 'ગાંધીયુગ' કહેવાનું વધારે પસંદ કરે છે. 1915 પછી આઝાદીની લડતનો કાળ ગાંધીયુગમાં ફેરવાઈ જાય છે. દેશની આઝાદીની લડતનું કેન્દ્ર ગાંધીજી બની જાય છે. આખી લડત ગાંધીજીની આસપાસ ફરે છે. ગાંધીજી અને સ્વાતંત્ર્ય સંગ્રામ એકબીજામાં ભળી જાય છે, ઓગળી જાય છે, એકાકાર થઈ જાય છે. આ ગાળામાં ગાંધીજીની ભૂમિકા રાજ્યશાસ્ત્ર (પોલિટિકલ સાયન્સ) અને મેનેજમેન્ટ બંને શાખાના અભ્યાસુઓ માટે મહત્વપૂર્ણ છે.

ભારતમાં આગમન પછી ગાંધીજી કોઈ બહુરાષ્ટ્રીય કંપનીના સીઈઓની જેમ કોંગ્રેસનું સમાજના વિવિધ તબક્કાઓમાં વિસ્તરણ કરે છે અને આ માટે એક અસરકારક ટીમ ઊભી કરે છે. સાથેસાથે તે સિદ્ધાંતવાદી રાજનીતિજ્ઞની માફક તેમના અનુયાયીઓમાં રાજકીય સંસ્કારો પ્રતિસ્થાપિત કરે છે. દક્ષિણ આફ્રિકામાં બે દાયકા સુધી લડત ચલાવ્યા પછી સ્વદેશ પરત ફરનાર ગાંધીજી સામે સૌથી મોટો પડકાર હતો-આઝાદીની લડતમાં કોમન મેનને જોડવાનો. તેમના આગમન સુધી કોંગ્રેસની પહોંચ ઉચ્ચ શિક્ષિત વર્ગ સુધી મર્યાદિત હતી અને અંગ્રેજો માટે જોખમરૂપ નહોતી. તેના પર વકીલો અને અંગ્રેજીભાષી વ્યાવસાયિકોનું વર્ચસ્વ હતું. ગાંધીજી આ મહત્વપૂર્ણ બાબત સમજી ગયા અને કોંગ્રેસનો પાયો મજબૂત કરવાનું કામ ઉપાડ્યું. કોઈ પણ બુલંદ ઇમારત માટે પાયો મજબૂત હોવો જોઈએ અને તે નાંખવાનું કામ 'નેતા' કરી શકે, રાજકારણી નહીં. લીડર રાજનીતિજ્ઞ હોય છે જ્યારે રાજકારણીઓને નીતિમત્તા સાથે સ્નાનસૂતકનો સંબંધ હોતો નથી. ગાંધીજીએ કોંગ્રેસને મજબૂત કરવા ભારતીય સમાજને સમજી એક કુશળ યોજના બનાવી હતી.

પ્રથમ, ગાંધીજીએ કંપનીના સીઈઓની જેમ કોંગ્રેસનો વ્યાપ વધારવા પ્રાદેશિક વિસ્તરણની નીતિ અપનાવી. તેમણે કોંગ્રેસની પ્રાદેશિક સમિતિઓ બનાવી અને પ્રાદેશિક નેતૃત્વને પ્રોત્સાહન આપ્યું. બીજું, જેમ કોઈ બહુરાષ્ટ્રીય કંપની વિવિધ જૂથો સુધી પહોંચવા જુદી જુદી વ્યૂહરચના અપનાવે તેમ ગાંધીજીએ સમાજના વિવિધ તબક્કા સુધી પહોંચવાની યોજના બનાવી. કોંગ્રેસ 1915 સુધી ખેડૂતોથી વિમુખ હતી. ગાંધીજીએ સૌપ્રથમ ખેડૂતોને લક્ષ્યાંક બનાવ્યાં અને તેમના શોષણ સામે અવાજ ઉઠાવ્યો. ચંપારણ સત્યાગ્રહ અને બારડોલીના સત્યાગ્રહ દ્વારા ખેડૂતો કોંગ્રેસનું અભિન્ન અંગ બની ગયા. ત્રીજું, મહિલાઓને આઝાદીની લડત સાથે જોડી દીધી. આધુનિક ઇતિહાસના કોઈ પણ જંગમાં સૌથી વધુ મહિલાઓને જોડવામાં સફળતા ગાંધીજીને મળી હતી. ચોથું, તેમણે હિંદુ-મુસ્લિમ એકતા સાધવા અને અસ્પૃશ્યતા નાબૂદ કરવા હાકલ કરી. આ રીતે દલિતો અને મુસ્લિમો પણ આઝાદીની લડત સાથે જોડાયા. તેમણે સમાજના વિવિધ તબક્કાને કોંગ્રેસ સાથે જોડવાની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી અને તેમની આ યોજનાને વાસ્તવિક સ્વરૂપ આપ્યું તેમના અનુયાયીઓએ.

પોતાના સાથીદારો કે અનુયાયીઓની ક્ષમતા પીછાણવી અને તેને અનુરૂપ તેમને કામગીરી સોંપવી તે એક કળા છે. સારો નેતા કે લીડર બનવા માગતી વ્યક્તિમાં આ કળા હોવી જોઈએ. ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને કોંગ્રેસના સંગઠનની જવાબદારી સોંપી. સરદાર સંગઠનના માણસ હતા અને તેમણે કોંગ્રેસમાં શિસ્ત અને સહકારનું વાતાવરણ ઊભું કર્યું હતું. યુવાનોને કોંગ્રેસ સાથે જોડવાની જવાબદારી જવાહરલાલને સોંપી, દક્ષિણ ભારતમાં રાષ્ટ્રવાદની જ્યોત જલાવવાનું કામ સી રાજગોપાલચારીએ કર્યું. મુસ્લિમોને કોંગ્રેસ સાથે જોડાવાની જવાબદારી મૌલાના અબુલ કલામ આઝાદને સોંપી. ગાંધીજીએ રચનાત્મક કામગીરીની વહેંચણી પણ કરી. જે બી કૃપલાનીને ખાદી કેન્દ્રો સ્થાપવાની કામગીરી સોંપી, જે સી કુમારપ્પાને કૃષિ અર્થતંત્રમાં સુધારણા લાવવાની જવાબદારી સોંપી, ઝાકિર હુસૈને શૈક્ષણિક કાર્યની જવાબદારી ઉપાડી લીધી.

દેશને આઝાદી મળ્યાં પછી ગાંધીજીના હાથ નીચે તૈયાર થયેલા નેતૃત્વએ દેશની જવાબદારી સંભાળી અને લોકશાહીના મૂળિયા મજબૂત કર્યા. મેનેજમેન્ટ અને રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ગાંધીજીની લીડરશિપના ગુણોનો અભ્યાસ કરવો જોઇએ. રાજ્યશાસ્ત્રના અભ્યાસુઓને તેમાંથી એક નેતા કેવો હોવો જોઈએ તેની જાણકારી મળશે તો મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને એક કંપનીના સીઇઓ બનવા જરૂરી ગુણોનું દર્શન થશે....

ચલતે-ચલતેઃ મને વિશેષાધિકાર અને એકાધિકાર પ્રત્યે નફરત છે. જેમાં સાધારણ મનુષ્ય સહભાગી ન થઈ શકે તેનો હું ત્યાગ કરું છું-ગાંધીજી

Tuesday, January 12, 2010

સ્વામી વિવેકાનંદઃ અરે, ઓ સિંહો ! 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાંખો


''હે અમૃતના અધિકારીઓ ! તમે ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધિકારી છો, પવિત્ર અને પૂર્ણ આત્માઓ છો. તમે આ પૃથ્વી ઉપરના દિવ્ય આત્માઓ છો ! અરે, ઓ સિંહો ! ઊભા થાઓ ! 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાંખો. તમે અમર આત્માઓ છો. મુક્ત છો, ધન્ય છો, નિત્ય છો !'' સંગીતના સૂરો રેલાવતી અને ભાવોત્કર્ષ જગાવતી આ વાણી મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જેવા અનેક નેતાઓના મહાનાયક સ્વામી વિવેકાનંદની છે. તેમના અગ્નિમંત્રો કરોડો યુવાનો માટે પ્રેરણાસ્રોત સમાન છે. ગઈ કાલે તેમનો જન્મદિવસ હતો. સરકારે તેને રાષ્ટ્રીય યુવા દિવસ જાહેર કર્યો છે. જન્મ 12 જાન્યુઆરી, 1863, મૃત્યુ ચાર જુલાઈ, 1902, કુલ આયુષ્ય માત્ર 39 વર્ષ, પાંચ માસ, 24 દિવસ!

પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસ વિષે સ્વામી વિવેકાનંદે એક પત્રમાં લખ્યું છેઃ 'આ પુરુષે 51 વર્ષની આવરદામાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં પાંચ હજાર વર્ષ જીવી બતાવ્યાં અને ભાવિ પેઢીઓ માટે એ એક આદર્શ બની રહેવાની કોટિએ પહોંચી ગયા.' આ વિધાન તેમના જીવન માટે પણ એટલું સાચું નથી?

માત્ર 30 વર્ષની વયે અમેરિકામાં જઈને હ્રદયસ્પર્શી સચ્ચાઈ વડે સહિષ્ણુતા, સમન્વય અને સંવાદિતાની હિંદુસ્તાનની સંસ્કૃતિનો જયઘોષ કર્યો. 11 સપ્ટેમ્બર, 1893ના શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટના 'હોલ ઓફ કોલંબસ' તરીકે જાણીતા મકાનમાં તેમણે સિસ્ટર એન્ડ બ્રધર્સવાળું ટૂંકું પણ યાદગાર પ્રવચન આપ્યું હતું. તેમાં તેમણે હિંદુસ્તાનનું હાર્દ જગત સમક્ષ ખુલ્લુ કર્યું હતું. હિંદુસ્તાનને જગદગુરુ તરીકે પ્રસ્થાપિત કરતાં સ્વામીજીએ કહ્યું હતું કે, ''અમેરિકાના બહેનો અને ભાઇઓ! જગતના પ્રાચીનમાં પ્રાચીન સંન્યાસીસંઘને નામે હું તમારો આભાર માનું છું, સર્વ ધર્મોની જનનીના નામે હું તમારો આભાર માનું છું....જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું હું ગૌરવ અનુભવી રહ્યો છું....સર્વ ધર્મો સત્ય છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ...હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધ છું જેણે જુલમનો ભોગ બનેલી તમામ પ્રજાને આશ્રય આપ્યો છે...''

કેવા ભવ્ય શબ્દો! જે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા તેનો પ્રતિનિધિ હોવાનું હું ગૌરવ અનુભવી રહ્યો છું! અને આજે? અત્યારે હું હિંદુ છું એવું ગર્વથી કહેવાની હિમ્મત ધરાવતા લોકો ધીમેધીમે લઘુમતીમાં આવી રહ્યાં છે. હિંદુ શબ્દનું હાર્દ સમજ્યાં વિના હિંદુસ્તાનના સ્થાને ભારત કે ઇન્ડિયા શબ્દ લખવાનો જ આગ્રહ રાખતાં બુદ્ધિધનો ધર્મનિરપેક્ષતા અને તુષ્ટિકરણ વચ્ચેનો ભેદ સમજવા છતાં પણ પોતાના અંગત સ્વાર્થ માટે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વિવેકાનંદના હિંદુત્વએ મહાત્મા ગાંધીને આકર્ષ્યા હતાં. ગાંધીજીએ કહ્યું હતું કે ''સાચે જ, સ્વામી વિવેકાનંદના લખાણો અનિવાર્ય રીતે આકર્ષક છે.''

1893માં જીવનનું પહેલું પ્રવચન અને પછી નવ વર્ષમાં જ જીવનલીલાનો અંત. આ દરમિયાન સ્વામીજીએ રાષ્ટ્ર, ધર્મ, સમાજ, જીવન, વ્યક્તિ વગેરે તમામ બાબતો વિશે પ્રવચનો આપ્યાં. ધર્મ શું છે તેનો પરિચય કરાવ્યો. ભારતના પતનનું કારણ સમજાવ્યું અને સાંસ્કૃતિક ભારતના પુનરોદ્ધારનો માર્ગ દેખાડ્યો. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ''જો તમારે ભારતવર્ષને પીછાનવું હોય તો વિવેકાનંદના વચનોમૃતોનું અધ્યયન કરો. એમના ગ્રંથોમાં સઘળું ભાવાત્મક છે, અભાવાત્મક કશુંય નથી.'' 'થ્રી ઇડિયટ્સ' જોઇને ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ટીકા કરીને બે વેંત ઊંચા હાલતા લોકોએ વિવેકાનંદના કેળવણી વિશેના વિચારોનો અભ્યાસ કરવો જોઇએ.

સ્વામી વિવેકાનંદે શિક્ષણની વ્યાખ્યા આપતાં કહ્યું હતું કે ''શિક્ષણ એટલે તમારા મગજમાં ભરવામાં આવેલી, આખી જિંદગી સુધી પચ્યા વિના ત્યાં પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહીં. આપણે તો જીવન ઘડનારા, મનુષ્ય ઘડનારા, ચારિત્ર્ય ઘડનારા વિચારોનું ગ્રહણ-મનન જોઈએ છે. જો તમે પાંચ વિચારોને પચાવ્યા હોય અને તમારા જીવનમાં ઉતાર્યા હોય તો, જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી છે તેના કરતાં તમે વધુ કેળવાયેલા છો.'' રાષ્ટ્રના ચારિત્ર્યનો આધાર શિક્ષણ વ્યવસ્થા છે. આપણે કારકૂનો અને કારકૂનો જેવી જ માનસિકતા ધરાવતા ઉચ્ચ અધિકારીઓ પેદા કરતી વ્યવસ્થા બદલવી પડશે. સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્રનો પરિચય મને ચોથા ધોરણથી થયો છે. તે પછી વિવેકાનંદના વિચારો પ્રત્યેનું આકર્ષણ સતત વધતું રહ્યું છે અને વધતું રહેશે. તે મારા હીરો હતા, છે અને રહેશે...

ચલતે-ચલતેઃ સ્વામી વિવેકાનંદના પ્રવચનો આપણને મળ્યાં તે માટે આપણે એક અંગ્રેજનો આભાર માનવો જોઇએ. નામ છે જે જે ગુડવિન. બંને ગુરુ-શિષ્યને ભેટો 1896માં ઇંગ્લેન્ડમાં થયો અને પછી ગુડવિનના મૃત્યુ સુધી તેઓ સાથે રહ્યાં. બે જૂન, 1898માં દક્ષિણ ભારતના ઉટકામંડમાં તેમનું મૃત્યુ ત્યારે સ્વામીજીના મુખમાંથી પાંચ શબ્દો સરી પડ્યાં હતા જે ગુડવિનનું તેમના જીવનમાં મહત્વ સમજાવે છે. આ શબ્દો હતાઃ મારો જમણો હાથ ખડી પડ્યો.

Thursday, January 7, 2010

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી.....

'તમે નરેન્દ્ર મોદીને પોલિટિક્સના મહાનાયક ગણો છો?' એક પત્રકારે અમદાવાદના મહેમાન બનેલા હિંદી ફિલ્મ ઉદ્યોગના સાચા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આ પ્રશ્ન પૂછ્યો હતો. (આજકાલ નકલી સુપરસ્ટારોની એક આખી ફોજ ઊભી થઈ ગઈ છે) આ પ્રશ્નનો જવાબ અમિતજીએ નમ્રતા સાથે શું આપ્યો હતો તે આપણે બધા જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે, નેતાને સફળ થવા માટે થોડાઘણે અંશે અભિનેતા થવું જરૂરી છે અને તેને કેટલાંક પ્રસંગે અભિયન કરવો પડતો હોય છે. તે જ રીતે અભિનેતા પરોક્ષ રીતે તેના સમયનું નેતૃત્વ કરે છે. તે પડદા પર લોકોની ઇચ્છા-આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે સ્વાભાવિક રીતે અહીં પોતપોતાના ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરેલ આ મોદી અને અમિતાભ બચ્ચનની સરખામણી કરવાનું મન થાય.

મોદીએ રાજકારણમાં તેમનો સિક્કો જમાવી દીધો છે અને બચ્ચન હિંદી ફિલ્મ ઉદ્યોગની જીવંત દંતકથા સમાન અભિનેતા છે. હું, તમે કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ મોદી અત્યારે ગુજરાતના મહાનાયક છે તેમાં કોઈ બેમત નથી તો અમિતાભ બચ્ચન નિર્વિવાદપણે હિંદી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક છે, સરકાર છે. બંને વચ્ચે ઊડીને આંખે વળગે તેવી પહેલી સમાનતા છે-તેમનું પ્રભાવશાળી અને ચુંબકીય વ્યક્તિત્વ. તેમની હાજરી તમામ પેઢીના લોકોનું ધ્યાન ખેંચે છે. તમામ વયના લોકોમાં તેઓ લોકપ્રિય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 60થી વધુ વર્ષની વયે પણ તેઓ યુવાનોમાં અને મહિલાઓમાં લોકપ્રિય છે.

બીજી સમાનતા, તેમના પહાડી અવાજમાં છે. નેતા અને અભિનેતા થવા તમારી પાસે સારો, પહાડી અવાજ હોવો જરૂરી છે અને મોદી અને બચ્ચનને તેની કુદરતી ભેટ મળી છે. તેમનો અવાજ તેમના વ્યક્તિત્વનો એક ભાગ બની ગયો છે, તેમની ઓળખ બની ગયો છે. સામેની વ્યક્તિને કે વ્યક્તિઓના સમૂહને સરળતાથી સમજાય તેવું સ્પષ્ટ અને અસરકારક રીતે બોલવું એક કળા છે. થોડા વર્ષ અગાઉ સમાચારમાં વાંચ્યું હતું કે કોલકાતામાં એક છોકરી બચ્ચનને અવાજ સાંભળીને જાગે છે અને બચ્ચનનો અવાજ બંધ થતાં જ કોમા જેવી સ્થિતિમાં સરી જાય છે.

અવાજની જેમ ડ્રેસિંગ સેન્સ પણ તમારા વ્યક્તિત્વનો એક ભાગ છે. તમારી ડ્રેસિંગ સેન્સ તમારા વ્યક્તિત્વની ઓળખ છે. વ્યક્તિ કેવા વસ્ત્રો ધારણ કરે છે તેના પરથી તેના સ્વભાવ અને તેની માનસિકતાનો આછો-પાતળો પરિચય મળી જાય છે. મોદી અને બચ્ચન બંનેની ડ્રેસિંગ સેન્સ આકર્ષક છે અને તેમના વ્યક્તિત્વનો પરિચય આપે છે. તેમને તેમના કામમાં કોઈ કચાશ ગમતી નથી તે તેમના વસ્ત્રો પરથી જણાઈ આવે છે. તમે ક્યારેય મોદીને કે બચ્ચનને પ્રસંગને અનુરૂપ ન હોય તેવી કઢંગી વસ્ત્રોમાં નહીં જુઓ. મોદીની ડ્રેસિંગ સેન્સની ચર્ચા અખબારોમાં અવારનવાર થઈ છે. અત્યારે બુદ્ધુ ગાંધીવાદીઓ પણ મોદી સ્ટાઇલના કૂર્તા પહેરીને મોદીની જ કૂથલી (ટીકા અને કૂથલીમાં બહુ ફરક છે) કરીને પોતાને બુદ્ધિશાળી ગણાવે છે.

બચ્ચન અને મોદીના વ્યક્તિત્વનું સૌથી મજબૂત અને શક્તિશાળી પાસું તેમનું મનોબળ છે. ગમે તેવા વિપરીત સંજોગોને વશ નહીં થવાની અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હાર નહીં માનવાની વૃત્તિ તેમની સફળતાનું મોટું કારણ છે. નિષ્ફળતા મળવાથી ક્યારેય તેઓ હતાશ થયા નથી. બંનેને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ પર રહેવાનું ઝનૂન છે અને આ ઝનૂન જ તેમની તાકાત છે. આજે બંને વાનપ્રસ્થાશ્રમમાં પણ ગૃહસ્થાશ્રમીઓને શરમાવે તેટલી હદે સક્રિય છે. બીજા શું કરે છે તેની ફિકર કર્યા વિના બંને પોતપોતના લક્ષ્યાંક પ્રત્યે કટિબદ્ધ છે. તેઓ ક્યારેય તેમના હરિફોથી ગભરાયા નથી અને કોઈએ તેમને પડકાર ફેંકયો હોય તો બમણી તાકાત પોતાની ક્ષમતા સફળતાપૂર્વક દેખાડી દીધી છે.

યાદ કરો, શાહરૂખ ખાને ફ્લોપ પુરવાર થયેલી કેબીસનું સંચાલન સંભાળ્યું ત્યારે અભિમાન સાથે અમિતાભ બચ્ચનનો સમય પૂરો થઈ ગયો છે તેવી જાહેરાત કરી હતી. શું પરિણામ આવ્યું? શાહરૂખની કેબીસી અને પાઠશાળા બંનેનું કોકડું વળી ગયું અને સ્ટાર પ્લસ ફેંકાઈ ગઈ જ્યારે 'સરકાર રાજ' હજુ પણ પ્રવર્તે છે. તે જ રીતે વર્ષ 2002 અને વર્ષ 2007માં દેશના બધા કહેવાતાં ધર્મનિરપેક્ષ નેતા મોદી પર આક્રમણ કરવા ગુજરાતમાં દોડી આવ્યાં હતાં. તેનું પરિણામ આપણે બધા જાણીએ છીએ. અમિતાભ બચ્ચન અને મોદીમાં એક ફરક છે.

બચ્ચન સમગ્ર દેશના મહાનાયક છે જ્યારે મોદી હજુ ગુજરાતના મહાનાયક છે. તેમને ભારતના મહાનાયક થવા માટે ઘણું બધું પુરવાર કરવાનું બાકી છે. ગુજરાતમાં લોકપ્રિયતાના સર કરનાર મોદીને વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં અડવાણીના ઉત્તરાધિકારી જાહેર કરવા છતાં ભાજપને કોઈ ફાયદો થયો નથી તેનો સ્વીકાર આપણે કરવો જ પડે. મોદીનું ભાવિ ગુજરાતની વર્ષ 2012ની ચૂંટણી કરશે તે નક્કી વાત છે અને તેમાં કોઈ ચમત્કાર થશે તો જ કોંગ્રેસ જીતશે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તો મોદી દિલ્હી પ્રસ્થાન કરશે અને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી તેઓ મહાનાયક છે કે નહીં તે નક્કી કરશે....

ચલતે-ચલતેઃ વ્યક્તિનો નહીં, તેની નીતિનો તાર્કિક વિરોધ કરવાનો આપણને અધિકાર છે. વ્યક્તિવિરોધી નહીં, નીતિવિરોધી બનો. તમારાથી અલગ માનસિકતા ધરાવતા વ્યક્તિના પણ સારા ગુણોની પ્રશંસા કરવી તેનું નામ ખેલદિલી અને ખેલદિલી મરદ માણસ જ હોય, સ્ત્રૈણ પુરુષોમાં નહીં....

Wednesday, January 6, 2010

ઇતિહાસ સાથે ચેડાં કરતી સોનિયા ગાંધી આણી મંડળી...


ડીસેમ્બરના અંતે 'દલાલનગર' દિલ્હીમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો. પ્રસંગ હતો સોનિયા ગાંધી એન્ડ સન્સના હેડ ક્વાર્ટર માટે નવા મકાનના ખાતમુહૂર્તનો. આ મકાનનું નામકરણ 'ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ' અર્થાત્ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરવામાં આવ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનાનું અત્યારે 125મું વર્ષ ચાલી રહ્યું છે અને સોનિયા આણી મંડળી આખું વર્ષ તેના કાર્યક્રમ યોજશે. તેની શરૂઆત ખાતમુહૂર્તના આ કાર્યક્રમ સાથે થઈ. તેમાં સોનિયાભક્ત નેતાઓ નવી નવી ખરીદેલી સફેદ ગાંધી ટોપી પહેરીને હાજર હતાં. પાછળ એક મોટા બેનર પર જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું વિશાળ પોસ્ટર હતું. જાણે 125 વર્ષ જૂની કોંગ્રેસનો ઇતિહાસ જવાહરલાલથી શરૂ થાય છે! આ પોસ્ટર લોકશાહી દેશ ભારતમાં વંશવાદ કેટલો પ્રબળ છે તેનો પુરાવો છે. આ કાર્યક્રમમાં પોસ્ટર ઉપરાંત પણ એવી અનેક બાબતો જોવા મળી જે સૂચવે છે કે કોંગ્રેસમાં લોકશાહીને કોઈ સ્થાન નથી અને સોનિયા માઈનોના ચરણપૂજકોને જ પ્રાધાન્ય મળશે.

આ આખા કાર્યક્રમમાં કોંગ્રેસના સ્થાપક એલન હ્યુમનો એક પણ વખત ઉલ્લેખ સુદ્ધાં કરાયો નહોતો. વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયા ગાંધીના ભાષણોમાં ભારતની પ્રગતિનો સંપૂર્ણ શ્રેય રાજીવ ગાંધી અને તેમની દીર્ઘદ્રષ્ટિને આપ્યો. સોનિયા માઇનોએ રાજીવ ગાંધીની આરતી ઉતારી અને તેમના ગુણગાન કરવામાં કોઈ કચાશ ન રાખી. સોનિયાને પોતાની જાત પર થોડી શરમ આવી હશે એટલે તેમણે કોંગ્રેસના ઇતિહાસમાં મહાત્મા ગાંધીના યોગદાનનો નામ પૂરતો ઉલ્લેખ કર્યો. સૌથી શરમજનક બાબત એ છે કે, દેશને આર્થિક ઉદારીકરણના યુગમાં પ્રવેશ કરાવનાર વડાપ્રધાન પી વી નરસિંહરાવનો ઉલ્લેખ આ કાર્યક્રમ એક પણ વખત ન થયો. વડાપ્રધાન મનમોહન સિંઘ પણ તેમના પ્રદાનને ભૂલી ગયા. વંશવાદી માનસિકતા કેટલી સંકીર્ણ અને અસહિષ્ણુ હોય છે, તેનું આ જીવંત ઉદાહરણ છે.

સોનિયા માઇનો રાજીવ ગાંધીને એક મહાન નેતા અને દીર્ઘદ્રષ્ટા ગણાવે છે ત્યારે રાજીવ ગાંધી અને નરસિંહરાવ વચ્ચેના વ્યક્તિત્વનો તુલનાત્મક અભ્યાસ જરૂરી બની જાય છે. 23 જૂન, 1980ના રોજ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું તે પહેલાં રાજીવ ગાંધીએ રાજકારણમાં આવવાનું વિચાર્યું પણ નહોતું. તે પાયલોટની જિંદગી સાથે ખુશ હતા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી ગાંધીભક્તોએ મંત્રીમંડળના વરિષ્ઠ સભ્ય પ્રણવ મુખર્જીને હાંસિયામાં ધકેલી 'અસ્વાભાવિક રાજકારણી' રાજીવનો રાજ્યાભિષેક કરી દીધો. ઇન્દિરા ગાંધીની હત્યાથી દેશભરમાં ફરી વળેલી લાગણીની લહેર પર સવાર થઈને રાજીવ ગાંધી 404 લોકસભા બેઠક સાથે વડાપ્રધાન બન્યાં. પછી રાજીવ ગાંધીના નેતૃત્વનો કમાલ જુઓ.

1989ની ચૂંટણીમાં રાજીવ ગાંધીના પક્ષને લોકસભામાં બહુમતી મેળવવા જરૂરી 272 બેઠકો પણ મળી નહોતી. તેમણે તેમના શાસનમાં સામ પિત્રાડાની સહાયથી એકમાત્ર 'ટેલીકમ્યુનિકેશન રીવોલ્યુશન' સિવાય મોટા ભાગની રાષ્ટ્રીય નીતિમાં ભોપાળું વાળ્યું. પહેલાં મુસ્લિમોના હ્રદય જીતવા શાહબાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ફગાવી બંધારણમાં ફેરફાર કર્યો. પછી રિસાયેલા હિંદુઓને મનાવવા અયોધ્યામાં રામમંદિરના તાળાં ખોલ્યાં. વિદેશી નીતિમાં પણ તેઓ ખાસ ઉકાળી શક્યા નહોતા. શ્રીલંકા અને પ્રભાકરનના નેતૃત્વમાં ચાલતી એલટીટીઈની લડાઈમાં બિનજરૂરી હસ્તક્ષેપ તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેનું પરિણામ છેવટે તેમની હત્યા સ્વરૂપે આવ્યું હતું. આ સમયે વિદેશ પ્રધાન નરસિંહરાવ હતા. તેઓ દીર્ઘદ્રષ્ટા હતા. તેઓ એલટીટીઈ સામે ભારતીય સૈન્યને લડવાના પક્ષમાં નહોતા. તેઓ ભારતીય જનતામાં કેટલા લોકપ્રિય હતા અને મહાન નેતા હતા તેનો અંદાજ વર્ષ 1991માં યોજાયેલી વચગાળાની ચૂંટણીના પરિણામના અભ્યાસ કરશો તો આવી જશે.

આ ચૂંટણીના પ્રચારમાં જ એલટીટીઈએ રાજીવ ગાંધીની હત્યા કરી હતી. પણ તેનો કોંગ્રેસનો બહુ ફાયદો થયો નહોતો. કોંગ્રેસ તે વખતે પણ બહુમતી મેળવી શકી નહોતી. તેમણે જુદાં જુદાં પક્ષોનો ટેકો લઈને સરકાર બનાવી હતી. હવે તે સમયે પ્રવર્તતી ભારતીય સ્થિતિ પર એક નજર કરીએ. પંજાબ, અસમ અને કાશ્મીરમાં આતંકવાદી પરાકાષ્ઠાએ હતો. રાજીવ ગાંધીએ એક તરફ 1986માં રામજન્મભૂમિ મંદિરના તાળો ખોલી નાંખ્યા હતા અને 1989માં નવા મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું તો બીજી બાજુ શાહબોનો કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય ફગાવી કોમી ભસ્માસુરને જન્મ આપી દીધો હતો. આ ભસ્માસુરને નાથવાનો સૌથી મોટો પડકાર નરસિંહરાવ સામે હતો. આર્થિક દ્રષ્ટિએ પણ દેશની સ્થિતિ કંગાળ હતી. દેશ નાદાર નોંધાવાને આરે હતો. ભારતનો સોનાના ભંડારની વિશ્વના બજારમાં હરાજી થઈ ગઈ હતી. આ બધા પડકારો વચ્ચે નરસિંહરાવે આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી. રાવ કુશળ નેતા હતા. વિદ્વાન હતા. સાત જેટલી ભાષાના જાણકાર હતા. સામાજિક, આર્થિક અને રાજકીય વિષયથી સારી રીતે પરિચિત હતા. ખરેખર દીર્ઘદ્રષ્ટા રાવ હતા. દેશમાં ઉદારીકરણ શરૂ થયાને બે દાયકા થવા આવ્યાં છે. લોકોનું જીવનધોરણ સુધર્યું છે. જનતાની સરેરાશ આવકમાં વધારો થયો છે. યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન થયું છે. વિદેશી ભંડોળ છલકાઈ ગયું છે.

રાજીવ ગાંધી સ્વપ્નદ્રષ્ટા હતા. દેશને આધુનિકતા સાથે એકવીસમી સદીમાં લઈ જવાનું તેમનું સ્વપ્ન હતું. હકીકતમાં સ્વપ્નો જોવા સહેલાં છે, પણ તેને સાકાર કરવા બહુ અઘરાં છે. રાવે ક્યારેય મોટી મોટી ગુલબાંગો પોકાર્યા વિના એકવીસમી સદીના ભારતનો પાયો નાંખી દીધો હતો......તેમનું પ્રદાન સોનિયા માઇનો એન્ડ કોર્પોરેશન જાણીજોઇને યાદ કરતું નથી...ઇતિહાસ સાથે ચેડાં કરી રાવની સિદ્ધિઓ રાજીવ ગાંધીને ચડાવવાનો કારસો રચાઈ રહ્યો છે...રાવના પ્રદાનને ઇતિહાસના પાનાં પરથી ભૂંસી નાંખવાનો પ્રયાસ થઈ રહ્યો છે...પણ દેશને વિકાસના પંથે અગ્રેસર કરતી યુવા પેઢી રાવના પ્રદાનને ભૂલી જાય તેવી બેકદર નથી...

નથી કોઈ તારામાં વિધી મદિરા, ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા...


નથી કોઈ તારામાં વિધી મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

હતી મારી તું પ્રતિનિધી મદિરા,
બધામાં તને આગે કીધી મદિરા.

અમે તારા ભક્તો અમે બહાર રહીએ?
જગા સ્વર્ગમાં તેં તો લીધી મદિરા.

નથી પાપ તુજમાં કે અગ્રિ પરીક્ષા,
સરળતાથી તેં પાર કીધી મદિરા.

સતત થઈ રહ્યાં છે સુરાલયના ફેરા,
નિરાંતે કદી મેં ન પીધી મદિરા.

ગળેથી જ્યાં, ઊતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.

નશામાં બધી વાત કરવી જ પડશે,
અમારી છે તું પ્રતિનિધી મદિરા.

'મરીઝ' એની ન્યામતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા.

Tuesday, January 5, 2010

કાશ, આપણે બાળકો જેવા નિર્દોષ રહી શકતાં હોત...


રાત્રે સાડા બાર વાગે ઘરે પહોંચ્યો. મારા રૂમની લાઇટ ચાલુ કરી. સામે પથારીમાં બે નાની, સુંદર આંખો સાથે મારું બાળક ભવું (ભવ્યા) મારી સામે હસ્યું. મારો દિવસભરનો બધો થાક ઉતરી ગયો. બપોરે સાડા ત્રણની આસપાસ ઓફિસે જવા નીકળું પછી બીજા દિવસે સવારે તેની સાથી તોફાન-મસ્તી થઈ શકે. રાત્રે આવું ત્યારે તે ક્યારેક ઊંઘમાં મલકાતી હોય છે, જાણે પરીઓના દેશમાં હોય. રાતે તે લગભગ જાગતી નથી, પણ ક્યારેક-ક્યારેક તેના બાપનો થાક ઉતારવા જાગી જાય છે. મારો અનુભવ છે કે જે દિવસે હું બહુ થાકી ગયો હોય ત્યારે તે રાત્રે જાગે છે અને પછી અડધો-પોણો કલાક મારી સાથે મસ્તી કરે.

ગઈકાલે હું ઓફિસે બપોરે અઢી વાગે ગયો હતો અને રાત્રે સાડા બારે ઘરે આવ્યો. કાલે ખરેખર હું કંટાળી ગયો હતો, થાકી ગયો હતો. પણ દિકરીનું એક હાસ્ય બધો ભાર હળવો કરી દે છે. બાળકોનું હાસ્ય આપણને ગમે છે, તે આપણને મીઠું લાગે છે, કેમ કે તેમાં નિર્દોષતા હોય છે. તેમાં પ્રેમ સિવાય બીજો કોઈ ભાવ હોતો નથી. બાળકોને ઈશ્વર સાથે સરખાવવામાં આવે છે. તેમનો વ્યવહાર સીધો, સરળ અને સ્પષ્ટ હોય છે. કોઈ ચીજવસ્તુ ગમી જાય તો તાતાથૈયા...ન ગમે તો એં..એઁ...એઁ..ટેં..ટેં...ટેં..બાળકો શુદ્ધતાનું ઝરણું છે. કાશ, આપણે બાળક જેવા નિર્દોષ રહી શકતાં હોત..

આપણું હાસ્ય, આપણી અભિવ્યક્તિ અને આપણો વ્યવહાર તો કેટલો ગણતરીપૂર્વકનો હોય છે! આપણે આપણાં જ મિત્રો, સાથીદારો અને સગા-સંબંધીઓ સાથે નિખાલસતાપૂર્વક વર્તીએ છીએ? નિખાલસતા એટલે ભેળસેળ વિનાનું, મીઠું-મરચું ભભરાવ્યા વિનાનું, સાયલન્સરમાંથી ધુમાડા કાઢ્યાં વિનાનું સ્વાભાવિક વર્તન. બાળકોની અભિવ્યક્તિમાં ગણતરી હોતી નથી અને આપણી અભિવ્યક્તિ ગણતરી વિનાની હોતી નથી. બાળકનો વ્યવહાર હ્રદય સાથે જોડાયેલો છે અને આપણો મગજ સાથે...મગજ સાથે જોડાયેલો છે તેનો વાંધો નથી..વાંધો છે મગજ વિનાના વ્યવહાર સામે...બાળકો વગર વિચાર્યું વર્તન કરે તો મીઠું લાગે છે..પણ કહેવાતા સમજું લોકો બહુ વિચારીને પણ હાસ્યાસ્પદ વર્તન કરતાં હોય છે ત્યારે? હસવું જ આવે છે...

Monday, January 4, 2010

તમારા મનનું રીમોટ કન્ટ્રોલ બીજાના હાથમાં તો નથી ને....


બુદ્ધ ભગવાનના જીવન સાથે એક બહુ જાણીતો પ્રસંગ જોડાયેલો છે. એક વેળા ગૌતમ બુદ્ધ એક વૃક્ષ નીચે બેઠા હતા. તેમનાથી નારાજ એક વ્યક્તિ આવીને તેમના પર અપશબ્દોનો મારો ચલાવ્યો. થોડા સમય પછી તે થાકી ગયો. બુદ્ધ ચહેરા પર કોઈ પણ ભાવ લાવ્યાં વિના ભાવ વિના તેને સાંભળતા રહ્યાં. તેમને તે વ્યક્તિ પર ગુસ્સો ન આવ્યો, ક્રોધ ન ચડ્યો અને સામેની વ્યક્તિને એક પણ શબ્દ ન કહ્યો. બુદ્ધને નિર્લજ્જ અને નફ્ફટ કહીને પેલો માણસ થાકીને ચાલ્યો ગયો. તમે તેને બુદ્ધનો સંયમ કહી શકો, પણ હું તેને બુદ્ધનું પોતાના મન પરનું પ્રભુત્વ કહું છું. મન પરનો વિજય કહું છું. આ પ્રસંગ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે.

તમારું વર્તન અન્ય કોઈ વ્યક્તિની વર્તણૂંક પર આધારિત ન હોવું જોઈએ એમ હું નથી કહેતો, કારણ કે તે તમારા હાથમાં નથી. કોઈ વ્યક્તિ તમારી સાથે સારી-નરસી જેવી વર્તણૂંક કરે છે તેની પ્રતિક્રિયા તમે મને-કમને આપો જ છો. તમે ચૂપચાપ એક બાજુએ જઇને બેસી જાઓ છો કે કોઈ જવાબ ન આપો તે પણ એક પ્રકારે પ્રતિક્રિયા જ છે. મનોવિજ્ઞાન Action અને Reaction વચ્ચેનો ભેદ સારી રીતે સમજાવે છે. સામાન્ય રીતે તમે જે કોઈ કાર્ય કે કામગીરી કરો છો તેને Action કહેવાય છે. પણ અન્ય કોઈ વ્યક્તિની વર્તણૂંકને આધારે તમે જે વર્તન કરો છો ત્યારે તે Action નહીં પણ Reaction છે. હવે ગૌતમ બુદ્ધનું ઉદાહરણ શું સૂચવે છે તે વિચારો.

બુદ્ધ ચૂપ રહીને સમજાવે છે કે, સામેની વ્યક્તિ જેવું ઇચ્છે છે તેવી પ્રતિક્રિયા આપવી કે ન આપવી તે તમારા હાથમાં છે. તમારું હિત શેમાં છે તે વિચારીને પ્રતિક્રિયા આપવી. તેના પર તમારો જ કાબૂ હોવો જોઈએ. બુદ્ધે જે ગુસ્સો કર્યો હોત તો વાત વધારે વણસી હોત. એક બીજું ઉદાહરણ આપું. તમને ઓફિસમાં કોઈ વ્યક્તિ જાણી જોઈને ચીડવવા માગતી હોય અને તમે ગુસ્સે થઈને કોઈ પ્રતિક્રિયા આપો તેવું ઇચ્છતી હોય તે વ્યક્તિ Actionમાં છે તેમ કહેવાય. તેના જવાબમાં તમે ગુસ્સે થાવ કે તેનો ઇરાદો જાણીને શાંતિ રાખો તો તે Reaction છે. તમે કેવું Reaction આપો છો તેના આધારે તેની અસર નક્કી થાય છે. ગુસ્સો કરનાર સામે ગુસ્સો કરશો તો લડાઈ થશે અને જાણીજોઈને તમને ચીડવીને બદનામ કરવા માગતા લોકો સામે શાંતિથી જાળવશો તો તમને ચીડવનાર વ્યક્તિના પ્રયાસમાં નિષ્ફળતા મળશે. બુદ્ધ ચૂપ રહીને આપણને સમજાવે છે કે, Reaction ક્યારે આપવું અને ક્યારે ન આપવું.

સામાન્ય રીતે આપણે મોટે ભાગે Action કરતાં Reaction આપવામાં વધારે વ્યસ્ત હોઇએ છીએ. તમે વિવેકબુદ્ધિ વિના જેવા સાથે તેવાની નીતિ દાખવો ત્યારે Reaction આપતા હોવ છો. તે સમયે તમારા વર્તણૂંકનું રીમોટ કન્ટ્રોલ તમારા હાથમાં નહીં, પણ સામેની વ્યક્તિના હાથમાં હોય છે. તમે બીજા કોઈના હાથનું રમકડું છો. તે જેમ રમાડે છે તેમ તમે રમો છો. તે તમારી પાસે અજાણતાં જેવું વર્તન કરાવવાની ઇચ્છા રાખે છે તેવી જ રીતે તમે વર્તો છો. તમારા મન પર તમારો નહીં પણ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓનો કાબૂ છે. આ ખરેખર બહુ જોખમી બાબત છે. તમે તમારી મરજી પ્રમાણે વર્તતા નથી, પણ તમે બીજાની મરજીના ગુલામ છો. Reaction ક્યારે આપવું અને કેવું આપવું તેની સમજણ બહુ મહત્વની છે..Reaction તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે.

(ખાસ નોંધઃ છેલ્લે એક વાત કરું...જ્યારે જ્યારે ખોટા માર્ગે ચાલુ છું ત્યારે મિત્રોએ એવા Reaction આપ્યાં છે જેનાથી મને મારી ભૂલ સમજાઈ છે અને તે ભૂલ ફરી ન કરવાનું મેં નક્કી કર્યું છે...આ પોસ્ટને કોઈ Reactionનું Reaction માનવાની ગેરસમજણ ન કરવી... )

Saturday, January 2, 2010

Bloody Dog


મહારાજા પાર્ટી પ્લોટ. સ્ટેજ પર દિવ્ય અને નંદિની વડીલોના ચરણસ્પર્શ કરી સુખી લગ્નજીવનના આશીર્વાદ મેળવતાં હતાં અને મિત્રોની શુભેચ્છા. સ્ટેજની ડાબી બાજુ એક અલગ સ્ટેજ પરથી કલાકારો પ્રેમનો રંગ રજૂ કરતાં મધુર ગીતો લહેરાવતા હતાં. દિવ્યના મુખ પર વિજયી મુદ્રા હતી. તેની ચશ્માધારી આંખો મહેમાનો પર ફરતી હતી. સગા-સંબંધીઓ સાથે આંખો ચાર થતાં તેના ચહેરા પર હાસ્ય ફરી વળતું હતું. અચાનક તેની ને મારી આંખો ટકરાઈ. અને?

તેના ચહેરા પરથી હાસ્ય અદ્રશ્ય થઈ ગયું. હું હસું છું કે નહીં તેની તે રાહ જોતો હતો. હું તેની સામે હસ્યો, પણ કટાક્ષ સાથે. તેનો ઘઉંવર્ણો ચહેરો કાળો પડી ગયો અને તેણે મારી સામેથી નજર ફેરવી લીધી. સ્ટેજ પર ચડતાં અમારા અખબારનાં એડિટર-ઇન-ચીફ મિસ્ટર એન્ડ મિસિસ મહેતાની સામે ઝડપથી ચાલીને પગમાં પડી ગયો. મારા ચહેરા પર ફરી એક કટાક્ષભર્યુ હાસ્ય પ્રસરી ગયું. પોતાના ફાયદા માટે ગમે તેની ચરણપાદુકા માથે મૂકીને નાચવાની તેની પ્રકૃત્તિ હતી. સ્ટેજ પર જઇને અભિનંદન આપવાનું મને મન ન થયું. આમ પણ દિવ્યએ મને રીસેપ્શનમાં આમંત્રણ આપ્યું નહોતું. હું નંદિનીના આગ્રહને વશ થઈને સ્ટાફના એક કર્મચારી તરીકે હાજર રહ્યો હતો. તેના માતાપિતાને મળીને ભેટ આપી જમ્યાં વિના પાર્ટી પ્લોટની બહાર નીકળી ગયો.

મારું ઘર 'સાકેત' બહુ દૂર નહોતું. હું ધીમેધીમે ઘરની દિશામાં ડગ માંડતો હતો, પણ મન? મન પાસે રીવર્સ અને ફોરવર્ડ એમ બંને સુવિધા છે. મન કુદરતની અજાયબ ભેટ છે. ક્યારેક ભૂતકાળમાં સરકી આંખો ભીની કરી દે છે તો ક્યારેક ભવિષ્યના સ્વપ્નોમાં ગળાડૂબ કરી દે છે. તે ઝડપથી ત્રણેક વર્ષ પાછળ સરકી ગયું. ગૂજરાત વિદ્યાપીઠમાંથી અમે પાંચ મિત્રોએ પત્રકારત્વનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. હું એટલે કે વાસુ. વાસુ કહીશ એટલે ચાલશે. જાતપાતમાં માનતો નથી. બીજા ચાર મારા સાથીઓ કરન, નંદિની, દિવ્ય અને જક્ષય. જક્ષયે પત્રકારત્વમાં અભ્યાસ કર્યો પણ તક મળતાં જ સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન જતો રહ્યો.

હું, કરન, નંદિની અને દિવ્ય એકસાથે એક ગુજરાતી અખબારમાં જોડાયા હતા. હું અને દિવ્ય ડેસ્ક પર કામ કરતાં હતાં. સમાચારોનો અનુવાદ અને સંપાદન કરતાં હતાં. મેં મનોવિજ્ઞાન સાથે ગ્રેજ્યુએશન કરી પત્રકારત્વ કર્યું હતું. મને કોણ શું બોલી રહ્યું છે તેનાં કરતાં તે શા માટે બોલે છે અને તેની શું અસર થશે તેની ધારણા બાંધવામાં વધારે રસ હતો. હું સાચો પુરવાર થતો હતો ત્યારે મને આનંદ થતો હતો. માણસની નિયતને પારખવાથી તમે લાગણીશીલ છેતરપિંડીથી બચી જાવ છો અને તમે કોઈ લુચ્ચા માણસની નિયત પારખી જાવ પછી તે તમારો દુશ્મન બની જાય છે.

દિવ્ય એમ. કોમ કરીને પત્રકારત્વમાં જોડાયો હતો. તે ફાઇનાન્સ અને મેનેજમેન્ટનો માણસ હતો. જીવનના તમામ નિર્ણયો ગણતરીપૂર્વક પોતાના જ ફાયદા માટે કરવાનો પ્રયાસ કરતો. મિત્રો સાથે બોલવામાં પણ તે અત્યંત કરકસર કરતો હતો. ક્યારેય ખુલ્લીને વાત કરવાનો તેનો સ્વભાવ નહોતો. કરન નીડર, નિર્ભીક, નિખાલસ. તે જાસૂસ જેવો પ્રતિભાશાળી હતો. બહાર ફરવાનું અને વિવિધ માહિતી મેળવી તેનું વિશ્લેષણ કરવાનો તેને શોખ. તેણે રીપોર્ટિંગમાં તક મળી અને ઝડપી લીધી. 'મૈં જિંદગી કા સાઝ નિભાતા ચલા ગયા' ગણગણતો સિગારેટ ફૂંકે રાખે. સ્વભાવ અધીરો. બી. એસસી કરીને પત્રકારત્વમાં જોડાયો હતો. મિત્રો માટે કામ કરવા તલપાપડ રહેતો અને મિત્રો પણ તેની પાસેથી કામ કઢાવવાની તકો શોધતા. અને નંદિની?

અમે બધા પ્રેમથી તેને નંદુ કહેતાં. તે સુંદર અને આકર્ષક હતી. પરંપરા સાથે આધુનિકતાનું મિશ્રણ. સ્વચ્છંદતા અને સ્વતંત્રતાનો મર્મ સમજનાર. મૂળે ગુજરાતી સાહિત્યની વિદ્યાર્થી. સુખી પરિવારની હતી. પ્રેમ, લાગણી, વેદના-સંવેદના, સુખ-દુઃખ તેના પ્રિય વિષયો હતા. વાર્તા અને નવલકથામાં ગળાડૂબ રહેતી. તે પૂર્તિ વિભાગમાં જોડાઈ હતી.

'કૈસે હો સાહબ?' હરપાલસિંહે પૂછ્યું. મન ચાલુ વર્તમાનકાળમાં હાજર થઈ ગયું. સોસાયટીના પ્રવેશદ્વાર પર પહોંચી ગયો હતો.

હું થોડો અપસેટ હતો. તેમ છતાં ચહેરા પર મુશ્કલપૂર્વક હાસ્ય લાવી પૂછ્યું 'આપ કૈસે હો? મોજ મેં હો ના?'

'સબ મૌજ હી કર રહે હૈ..' હરપાલસિંહે પાસે આવીને ધીમેથી કહ્યું, 'વો સુધીરભાઈ કો ઉસકે પાર્ટનરને દગા દિયા..સુધીરભાઈ કી બીવી કો ઉઠા કે હી ભાગ ગયા. ઔરત ચીઝ હી ઐસી હેં...ઉસે પાને કે લિયે કોઈ રિશ્તે-નાતે નહીં દેખતા...' હરપાલસિંહ અમારી સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ છે. મૂળે ઉત્તરપ્રદેશના બાપૂ. તેની પાસે સોસાયટીના બધા સમાચાર મળી જાય. તેની પાસેથી છૂટો પડી ધીમેધીમે ઘર તરફ આગળ વધ્યો. મનમાં હરપાલસિંહના શબ્દો ગૂંજતા હતા..ઔરત ચીઝ હી ઐસી હેં...ઉસે પાને કે લિયે કોઈ રિશ્તે-નાતે નહીં દેખતા..દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યો. મમ્મી ગીતાના પાઠ કરતી હતી. શ્વેતા એક ઘરનું પ્લાનિંગ પૂર્ણ કરવાની તૈયારીમાં હતી. તે આર્કિટેક્ટ એન્જિનીયર હતી અને અમારા પ્રેમલગ્નનું પહેલું વર્ષ ચાલતું હતું.

'વાસુ, તું આવી ગયો..મને પ્લાન પૂરો કરતાં દસથી મિનિટથી વધારે નહીં થાય,' શ્વેતાએ કહ્યું.

'તું શાંતિથી કામ પૂરું કર. હું હિંચકે બેઠો છું,' પાણીની બોટલ ફ્રીઝમાં મૂકતાં મેં કહ્યું.

ઔરત ચીઝ હી ઐસી હેં...ફરી એ જ શબ્દો. ઓસરીમાં હિંચકો આગળ-પાછળ ઝૂલતો હતો અને હું દોઢેક વર્ષ અગાઉ એક સાંજે અમારી ચર્ચાસભામાં પહોંચી ગયો.

શનિવારની સાંજ હતી. કામનું બહુ ભારણ નહોતું. હું, નંદુ, કરન અને દિવ્ય કેન્ટીનમાં નાસ્તો કરતાં હતાં. વિવિધ વિષયો પર ગપગોળા ચાલતાં હતા. મિત્રો વચ્ચે દિશાહિન ચર્ચાની પણ અલગ મજા હોય છે. તેમાં ચર્ચા કરતાં મૈત્રીની મહેંક વધારે હોય છે. તેવામાં નંદુએ જીવનસાથી તરીકે બધાને કેવું પાત્ર ગમે તે વિશે પૂછ્યું. તે સમયે મારો અને શ્વેતાનો પ્રેમ પૂરબહારમાં ખીલ્યો હતો. શ્વેતાના સ્વભાવથી બધા પરિચિત હતા. મેં શ્વેતા જેવી જીવનસંગિની પસંદ છે તેમ કહ્યું. હું વાત પૂરી કરું તે પહેલાં કરને તેની બિનદાસ્સ અદામાં કહ્યું, 'નંદુ, આપણને તો તારા જેવી છોડી ગમે. મારી સાથે લગ્ન કરવા હોય તો કહેજે.'

કરન મજાકિયો હતો તે અમે બધા જાણતા હતા. તેની આ વાતને નંદુએ બહુ ગંભીરતાથી લીધી નહોતી. તેણે કહ્યું, 'સાલ્લા, તારો શું ભરોસો. આખો દિવસ બહાર ફરે છે અને સિગારેટ ફૂંકે છે. તું મારી મમ્મીને બિલકુલ પસંદ નથી. તું ઠરીઠામ થવાનો નથી તેવું તે માને છે. મારી તારી નીડરતા પસંદ છે, પણ અધીરાઈ પસંદ નથી. સિગારેટ પસંદ નથી. પહેલાં સ્વભાવ સુધાર પછી વિચારીશ.' દિવ્ય ચૂપ જ હતો. કરને તેને પૂછ્યું કે, 'પોપટ, તું કેમ ચૂપ છે? પરણવાનું છે કે પછી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર..' અમે બધા હસી પડ્યાં.

'અત્યાર સુધી આ વિશે વિચાર્યું જ નહોતું. હવે વિચારીશ,' દિવ્યએ તેના સ્વભાવ મુજબ ઓછા શબ્દોમાં ગણતરીપૂર્વક જવાબ આપ્યો. તે ઓછું બોલતો એટલે તેના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી શકાતું નહીં.

તેના ત્રણેક મહિના પછી કરન અને મને પ્રમોશન મળ્યું. અમારા જૂનાં એડિટર-ઇન-ચીફ કુરેશીને નિખાલસ અને મહેનતુ માણસો પસંદ હતા. કામ કરો પછી જ તમે પ્રમોશનના હકદાર છો તેવા સિદ્ધાંતને તેઓ માનતા હતા. જૂની પેઢીને પત્રકાર હતા. પુરુષાર્થને જ પારસમણી માનતા. તેમણે દિવ્યને પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો હતો. દિવ્યની માનસિકતા તે સારી રીતે જાણતા હતા. તે કામ કરવા કરતાં જશ લેવામાં વધારે માને છે અને પોતાને ફાયદો થાય તેવું જ કામ કરે છે તે વાત કુરેશી સારી રીતે જાણી ગયા હતાં. પ્રમોશનના ખુશખબર મળતાં જ નંદુ દોડી આવી અને મને અને કરનને અભિનંદન આપ્યાં. તે પછી દિવ્યને પણ અમને અભિનંદન આપવા પડ્યાં. નંદુએ તે દિવસે કરનને સ્વભાવ સુધારી કારકિર્દીમાં આગળ વધવાની સલાહ આપી. છૂટાં પડતાં પહેલાં તેણએ કરનને મજાકમાં કહ્યું કે, 'તારે થોડું સુધરવાની જરૂર છે. પછી મારા મમ્મી-પપ્પાને મળવાનું નક્કી કરીએ.'

'મેડમ, વિચાર કરીશ,' કરને હસતાં-હસતાં કહ્યું અને નંદુએ તેના માથા પર ટાપલી મારી. તે બંને ધીમેધીમે એકબીજાની નજીક આવી રહ્યાં હતાં. કરન અને નંદુની જોડી જામે તેવું હું ઇચ્છતો હતો, પણ અચાનક એક વર્ષમાં બધું બદલાઈ ગયું. કુરેશીએ માલિક સાથેના મતભેદોના કારણે એડિટર-ઇન-ચીફની ઊંચા પગારની નોકરીને લાત મારી દીધી. તેમના સ્થાને મિસ્ટર મહેતા આવ્યાં.

મહેતા પત્રકારત્વ કરતાં વહીવટદાર વધુ હતાં. સમાચાર કરતાં જાહેરાતનું મહત્વ તેમના માટે હંમેશા વધારે હતું. તેમની આ લાયકાતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યાં હતાં. લોકસભાની ચૂંટણીમાં જાહેરાતોને સમાચાર સ્વરૂપે લખાવીને તેમણે અમારા અખબારને લાખો રૂપિયાની આવક કરાવી દીધી હતી. અમારા અખબારના માલિક અને તેમની વચ્ચે બરોબર મેળ જામી ગયો હતો. વહીવટદારોને જી હજૂરિયા વધારે પસંદ હોય છે. મહેતાએ પણ ધીમેધીમે જી હજૂરિયાની ફોજ ઊભી કરવા માંડી અને આ ફોજનો સેનાપતિ બનવામાં દિવ્યએ બધાને પાછળ પાડી દીધા. લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટેની જાહેરાતો સમાચાર સ્વરૂપે લખીને દિવ્ય મિસ્ટર મહેતાનો જમણો હાથ બની ગયો હતો. તે સમયે ધીમેધીમે તેનું વ્યક્તિત્વ પ્રગટ થયું હતું. દિવ્યની આ પ્રકારની હરકતો કરનને પસંદ નહોતી અને તેને સમજાવ્યો પણ હતો. થોડા દિવસ પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયું.

'જોરદાર, આ જ રીતે કામ કરતો રહીશ તો પ્રગતિ કરીશ,' ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે મિસ્ટર મહેતાએ બધા વચ્ચે દિવ્યની પીઠ થાબડી અને કરનની સામે કરડાકીભરી નજર સાથે જોઈ કેબિનમાં આવવાનું કહ્યું.

'કરન, તું યુવાન છે એટલે સિદ્ધાંતોનો નશો તારા મન પર છવાઈ ગયો છે. આજનું પત્રકારત્વ સિદ્ધાંતવાદી નહીં, સમાધાનવાદી છે. છાપાં જાહેરાતો પર ચાલે છે, કૌભાડોના ઘટસ્ફોટ પર નહીં. અનેક અખબારો વચ્ચે જાહેરાતો મેળવવાની ગળાકાપ પ્રતિસ્પર્ધા ચાલે છે ત્યારે વ્યવહારું અભિગમ અપનાવવો જોઇએ. કૌભાંડો બહાર પાડવાથી જનતામાં જાગૃતિ આવવાની નથી. જીવતી લાશોને ઢંઢોળવાનો કોઈ અર્થ નથી,' મિસ્ટર મહેતાએ ઠંડા કલેજે કહ્યું.

'પત્રકારત્વ મારા માટે કમિશન નહીં મિશન છે. આપણને આપણી જાત પ્રત્યે ધૃણા ન છૂટે અને પોતાની જાતને છેતરવા આ બધી દલીલો બહુ સારી છે, ' કરને ખુમારી સાથે જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને મહેતાને ગુસ્સો ચડ્યો હતો, પણ તેઓ કરનનો સ્વભાવ જાણતા હતા.

'તારા એકના માનવાથી કોઈ ફરક પડવાનો નથી. ચલ, તે વાત જવા દે. આપણે આપણી વાત કરીએ. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તારા સિદ્ધાંતવાદી પત્રકારત્વને વળગી રહે, પણ તારા અહેવાલો પ્રસિદ્ધ કરવા કે ન કરવા તે અંગે પૂછવાનું બંધ કરી દે. તું કામ નહીં કર તો પણ હું તને કંઈ નહીં કઉં. તેનાથી ખોટો વિવાદ ટળી જશે,' મિસ્ટર મહેતાએ તેનો ઇરાદો જણાવી દીધો.

મહેતા અને કરન વચ્ચે લોકસભાની ચૂંટણી દરમિયાન જ મતભેદો સર્જાયા હતા. કરન શાસક પક્ષના ટોચના એક નેતાના કૌભાંડો પુરાવા સાથે જાણી લાવ્યો હતો. પણ મહેતાએ અને અખબારના માલિકે તે નેતાને બોલાવી તોળ કરી નાંખ્યો હતો. કરન આ બાબતે મહેતાથી નારાજ હતો. મહેતા તો કરનને નોકરીમાં રાખવા જ તૈયાર નહોતા. પણ અખબારના માલિકે તેનો સારી રીતે ઉપયોગ કરવાના હેતુથી નોકરીએ રાખ્યો હતો. પણ એક દિવસ કરનનો ગુસ્સો તમામ હદ ઓળંગી ગયો. સાંજે ઓફિસમાં ધુંવાપુંવા થતો આવ્યો.

'મિસ્ટર મહેતા, સ્વામી પૂર્ણિમાનંદની લીલાનો ઘટસ્ફોટ કરતો એક્સક્લૂઝિવ અહેવાલ ક્યાં છે?' સ્ટાફ વચ્ચે જ ગુસ્સા સાથે કરને પૂછ્યું.

'તું મારો બોસ છે કે હું?' મહેતાએ બધાની હાજરીમાં પોતાના અપમાનનો વળતો જવાબ આપ્યો.

'હું. હું તારો બોસ અને બાપ બંને છું. બોલ, અહેવાલ ક્યાં છે?' કરન લડી લેવાના મૂડમાં હતો.

'જહન્નુમમાં છે. જા ત્યાં જઇને શોધી લે,' મહેતાએ ઠંડા કલેજે જવાબ આપ્યો. તે સાંભળીને દિવ્ય ખડખડાટ હસ્યો અને તેની પાછળ મિસ્ટર મહેતાની ચમચામંડળીની પાંચથી આઠ બીજા સભ્યો જોરજોરથી હસ્યાં. કરન ગુ્સ્સાથી લાલચોળ થઈ ગયો. હું સમજી ગયો અને આગળ વધીને તેને રોકું તે પહેલાં જ મહેતાના રૂપાળા ગાલ લાલ ટમેટાં જેવા થઈ ગયા.

બધા સ્તબ્ધ થઈ ગયા. મહેતા તો આ પ્રકારની પ્રતિક્રિયાથી ડઘાઈ જ ગયા હતા. અચાનક દિવ્યએ ઊભા થઇને કરનને ધક્કો માર્યો અને ચાલ્યાં જવાનું કહ્યું. કરન ઓફિસની બહાર નીકળી સિગારેટ ફૂંકવા ગયો. મહેતા કેબિનમાં ચાલ્યાં ગયાં. તેની પાછળ દિવ્ય પણ કેબિનમાં ગયો. થોડા જ મિનિટમાં છાપાના માલિક આવી ગયા અને દિવ્ય ઊભો ઊભો તેમને બધું સમજાવતો હતો. કરન આવ્યો ત્યારે તેને કેબિનમાં બોલાવવામાં આવ્યો. તેના અને અખબારના માલિક વચ્ચે પણ ઉગ્ર ચર્ચા થઈ. થોડી વાર પછી કરન કેબિનનું બારણું પછાડી બહાર નીકળી ગયો.

બીજા દિવસે કરનને ફોન કરીને રીપોર્ટિંગમાં જવાને બદલે બપોરે મીટિંગ હાજર રહેવાનું કહેવાયું. અમને બધાને પણ બપોરે એડિટોરિયલ સ્ટાફની મીટિંગમાં હાજર રહેવાનો આદેશ અપાયો હતો. કરન એકલો જ ઓફિસે આવ્યો હતો. દરરોજ તે અને દિવ્ય સાથે આવતાં અને રાત્રે સાથે રૂમ પર જતાં. તે બંને એક જ ગામ દિવના હતા અને અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષથી રૂમ રાખી ભાડે રહેતાં હતાં.

'કરન, કેમ ઓફિસે એકલો આવ્યો? દિવ્ય ક્યાં છે?' મેં પૂછ્યું. મને દિવ્યની વર્તણૂંક થોડા દિવસથી વિચિત્ર લાગતી હતી. મહેતાના આગમન પછી કરન પ્રત્યને તેનો અભિગમ બદલાઈ ગયો હતો. તે કરનથી ધીમેધીમે અંતર વધારી રહ્યો હતો.

'ખબર નહીં. સવારે કંઈ કામ છે એમ કહીને નીકળી ગયો છે. રાત્રે મળીશું તેમ કહ્યું છે. હું થોડો ટેન્શનમાં હતો એટલે વધારે પૂછપરછ કરી નહીં,' કરને કહ્યું.

અમે બેઠક રૂમમાં પહોંચ્યા ત્યારે એડિટોરિયલ સ્ટાફની બેઠક શરૂ થવાની તૈયાર હતી. દિવ્યને મહેતાની પાસે બેઠેલો જોઈને મને અને કરનને આશ્ચર્ય થયું. અખબારના માલિક આવતાં જ બેઠક શરૂ થઈ ગઈ. તેમણે આવતાં જ કરનને કઈ સજા કરવી જોઈએ તે વિશે બધાનો અભિપ્રાય પૂછ્યો. કરને માફી માગી લેવી જોઈએ તેવો મત અમારામાંથી મોટા ભાગનાએ રજૂ કર્યો. મહેતાને પૂછવામાં આવ્યુ.

'કરનને નોકરીમાંથી તગડી મૂકવો જોઈએ,' મહેતાએ કહ્યું, 'આજે મને થપ્પડ મારી. આવતીકાલે તે તમને થપ્પડ મારે એવું પણ બને,' મહેતાસાહેબનો ઇશારો અમારા અખબારના માલિક તરફ હતો. તેમની વાતને સમર્થન આપી દિવ્યએ અમને બધાને ચમકાવી મૂક્યાં. તમે જેને પોતાના માનતાં હોય તે જરૂર હોય ત્યારે જ તમારો સાથ છોડી દે, એટલું જ નહીં વિરોધીઓની પાટલીમાં બેસી જાય ત્યારે તમને દુશ્મનના ઘા કરતાં પણ વધારે પીડા થાય છે. તમને સૌથી નિરાશ અને હતાશ કરવાની તાકાત તમે જેમને પોતાના માનતા હોવ છો તેમનામાં હોય છે.

મહેતાએ કરનને કાઢી મૂકવાની જિદ પકડ રાખી. બેઠક પૂરી થઈ ગઈ અને કરનને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. દિવ્ય અમારી સામે જોયા વિના મહેતા સાથે ચાલ્યો ગયો. કરનની આંખોમાં ભીની થઈ ગઈ. મેં તે દિવસે રજા મૂકી કરનની સાથે રહેવાનું નક્કી કર્યું. અમે બંને ઓફિસથી દૂર એક કોફી હાઉસમાં ગયા.

'માણસ આટલો બધો બદલાઈ શકે છે?' કરન ગળગળા અવાજે કહ્યું. તેને નોકરી ગુમાવવા કરતાં પણ દિવ્યના વર્તણૂંકનું દુઃખ વધારે હતું. હું ધીમેધીમે બધું સમજવા લાગ્યો.

'તે બદલાયો નથી. તે તેના વિશે ખોટી ધારણા બાંધી હતી. આટલા વર્ષમાં તું તેના વિશે શું જાણે છે? તે તારા ગામનો છે એટલું જ. તેના પિતા તમારા જિલ્લાના રાજકીય આગેવાન છે. તેની માતા મહિલા સામાજિક કાર્યકર છે. બીજું શું? તેણે ક્યારેય આપણને તેના વિશે કંઈ કળવા દીધું છે અને મહેતા આવ્યાં પછી ધીમે ધીમેથી તે તેનો રંગ દેખાડી રહ્યો છે. રાજકારણીની ઔલાદ અને તે મહેતા પર હાથ ઉપાડીને મોટી ભૂલ કરી,' હું ગુસ્સે થઈ ગયો હતો. કસોટીના સમયે ખરેખર કોણ મિત્ર છે તેનો પરિચય થાય છે. કરનની મુશ્કેલીની આ તો હજુ શરૂઆત છે તે અમે જાણતા નહોતા.

મહેતાની સૂચનાથી કરનને બીજે નોકરી મળતી નહોતી. પાંચથી છ સુધી કરન બેકાર રહ્યો. માણસ બેકાર અને નિરાશ હોય ત્યારે હાંસીપાત્ર બની જાય છે. બેકાર માણસની હાંસી ઉડાવવામાં દુનિયાને ડર લાગતો નથી અને ટોચના માણસની મૂર્ખામીઓની પ્રશંસા કરવામાં શરમ આવતી નથી.

કરન પણ મજાકને પાત્ર બની ગયો હતો. તેના સિદ્ધાંતો જ તેના દુશ્મન બની ગયા હતા. દિવ્યએ સ્ટાફ વચ્ચે કરનની ઠેકડી ઉડાવવામા કાંઈ બાકી રાખ્યું નહોતું. તે બેઠક પછી કરન સામે જવાની તેની હિમ્મત નહોતી. તેણે સ્ટાફના એક સહકર્મચારી અને મહેતાના માનીતા દુબેને રૂમ પર મોકલી તેનો સામાન મંગાવી લીધો હતો. તેણે તેના ભાગનું ભાડું પણ કરનને મોકલ્યું નહોતું. તેણે મહેતાના ખાલી પડેલા ફ્લેટમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. નંદુએ બેથી ત્રણ વખત ફોન કરીને કરનને મળવા બોલાવ્યો. પણ કરન અપસેટ હોવાથી થોડા દિવસ પછી મળવાનું કહ્યું. આ બાજુ દિવ્ય અને નંદુની મુલાકાતો વધતી જતી. ધીમેધીમે નંદુ પણ કરનને અવિચારી અને અવ્યવહારું માનવા લાગી. મહેતા સાથેનો પ્રસંગ એક આવેશ હતો અને માણસ સતત બદલાતો રહે છે તેમ સમજાવવા હું પ્રયાસ કરતો હતો. પણ નંદુ માનવા તૈયાર નહોતી. તમે કોઈ વ્યક્તિ વિશે નકારાત્મક પૂર્વગ્રહ બાંધો છો ત્યારે તેનો એક પણ સારો ગુણ દેખાતો નથી. નંદુ માટે કરનની નિખાલસતા, પ્રતિબદ્ધતા અને સચ્ચાઈ હવે અવ્યવહારું બની ગયા હતા.

હું અને દિવ્ય પણ કામ સિવાય વાત કરતાં નહોતાં. અચાનક થોડા દિવસ પછી તેને પ્રમોશન મળ્યું અને તેના પગારમાં પાંચ હજારનો વધારો મળ્યો. પ્રમોશનનો પત્ર આવતાં જ તેણે પૂર્તિ વિભાગમાં જઈને નંદુને આ સમાચાર આપ્યાં. હું ત્યાં અનુવાદ કરેલો એક લેખ આપવા ગયો હતો.

'નંદુ, સફળતા મેળવવા ધૈર્ય અને વ્યવહારિકતા જરૂરી છે. ઉતાવળે આંબા ન પાકે,' દિવ્યએ નંદુને તેની સફળતાનું રહસ્ય જણાવ્યું. સફળતાનું એક વધુ રહસ્ય ખોલતાં તે બોલ્યો, 'સફળતા મેળવવા આપણે આપણી લાઇન મોટી કરવી પડે.'

'અને સાથેસાથે આપણા હરિફોની લાઈન પણ કાપતાં રહેવું પડે,' મારી પ્રતિક્રિયા સાંભળી દિવ્ય સ્તબ્ધ થઈ ગયો. તે જાણતો હતો કે તેની આખી ચાલબાજી હું જાણી ગયો છું. તેણે તરત જ રંગ બદલ્યો. મારી આંખ સામે કાંચિડો તરવા લાગ્યો. તે મારી વાતને મજાકમાં લેતો હસવો લાગ્યો.

નંદુએ કરન વિશે પૂછવાનું બંધ કરી દીધું હતું. હું કરન વિશે વાત કરું તો પણ તે બદલી નાંખતી. કરન વિશે ભાતભાતની ખોટી વાતો કરી તેને ભરમાવવામાં આવી હતી. થોડા દિવસ પછી તેને પણ પ્રમોશન મળી ગયું. તેનો પગાર પણ વધી ગયો. ઓફિસમાં દિવ્ય અને નંદુની પ્રેમલીલાનો ગણગણાટ થવા લાગ્યો. હમણાં થોડા દિવસ પહેલાં ઓફિસમાં જ પટ્ટાવાળા મારફતે જાણવા મળ્યું કે આગામી શનિવારે દિવ્ય અને નંદુના લગ્ન છે. નંદુ સ્ટાફના લોકોને આમંત્રણ આપવા આવી ત્યારે મને રીસેપ્શનમાં હાજર રહેવાનું કહ્યું હતું. કરનને તેણે યાદ પણ કર્યો નહી. આમ પણ તેને યાદ કરીને હવે શું ફાયદો?

કરન અત્યારે અત્યંત ઓછા પગારે એક બિનસરકારી સંગઠન (એનજીઓ)માં કામ કરતો હતો. તેની વિધવા માતા દિવમાં ગુજરાત વિદ્યુત બોર્ડમાં કારકૂન હતી. કરનના પિતાના અવસાન પછી રહેમરાહે તેની માતાને નોકરીએ રાખવામાં આવી હતી. કરન પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે કરનને ખૂટતાં રૂપિયા મોકલતી હતી. નંદુ વિશે તે જાણતી હતી. કરન ધીમેધીમે નંદુને ચાહવો લાગ્યો હતો તેનાથી પણ તે વાકેફ હતી અને નંદુ? નંદુ તો કરનને જાણે જાણતી જ ન હોય તેવું વર્તન કરતી હતી. દિવ્યએ કરન પ્રત્યે નંદુના મનમાં કેટલું બધું ઝેર રેડ્યું હશે!

મારા મોબાઇનની રિંગ વાગી. મારું મન ફરી 'સાકેત'માં હાજર થઈ ગયું. 'વાસુ, મારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે, તેને અમદાવાદ લાવ્યાં છે,' આટલું બોલીને કરન રડી પડ્યો. હું સમજી ગયો. તેને રૂપિયાની જરૂર હતી. મેં કહ્યું, 'તું ચિંતા ન કર, તું કઈ હોસ્પિટલમાં છે તે કહે.' હું અને શ્વેતા ગાડીમાં બેસી ઉતાવળથી જીવરાજ મહેતા તરફ જવા લાગ્યાં.

'આ બધું પેલાં Bloody Dogને લીધે થયું છે,' શ્વેતા ગુસ્સામાં હતી.

કેયૂર કોટક

આપણે સામે ચાલીને અંગ્રેજોને હિંદુસ્તાન આપ્યું હતું..


હિંદુસ્તાન અંગ્રેજ લીધું એમ નથી, પણ આપણે તેને દીધું છે. હિંદુસ્તાનમાં તેઓ પોતાના બળે નથી ટકી શક્યા પણ આપણે તેઓને રાખ્યા હતાં. આપણા દેશમાં તેઓ વેપાર અર્થે આવ્યા હતા. રાજ્ય કરવાનો તેમનો ઇરાદો નહોતો. કંપનીના માણસોને મદદ કોણે કરી? તેઓનું રૂપ જોઈને કોણ મોહાઈ જતા? તેઓને માલ કોણ વેચી આપતું?

ઇતિહાસ સાક્ષી છે કે આપણે જ તે બધું કરતા. પૈસો જલદી મેળવવાના હેતુથી આપણે તેઓને વધાવી લેતા. આપણે તેઓને મદદ કરતાં. મને ભાંગ પીવાની આદત હોય અને ભાંગ વેચનારો મને ભાંગ વેચે તેમાં મારે વેચનારનો વાંક કાઢવો કે મારો પોતાનો? વેચનારનો વાંક કાઢવાથી મારું વ્યસન કંઈ જવાનું છે? તે વેચનારને હાંકી કાઢીશું તો શું બીજા મને ભાંગ નહીં વેચે? હિંદુસ્તાનના ખરા સેવકે બરોબર શોધ કરી મૂળ તપાસવું પડશે. તબીબ તો એ જે દરદનું મૂળ શોધે.

અંગ્રેજી વેપારીઓને આપણે ઉત્તેજન આપ્યું ત્યારે તેઓ પગપેસરો કરી શક્યા. તેમ જ જ્યારે આપણા રાજાઓ માંહોમાંહે લડ્યા ત્યારે તેઓએ કંપની બહાદુરની દાદ માગી. કંપની બહાદુર વેપારમાં ને લડાઈના કામમાં કુશળ હતી. તેમાં તેને નીતિ-અનીતિની નડતર ન હતી. વેપાર વધારવો અને પૈસા કમાવા એ તેનો ધંધો હતો. તેમાં આપણે મદદ આપી ત્યારે તેમણે લીધી ને પોતાની કોઠીઓ વધારી. કોઠીઓનો બચાવ કરવા તેણે લશ્કર રાખ્યું. તે લશ્કરનો આપણે ઉપયોગ કર્યો, ને હવે તેની ઉપર દોષ રાખીએ તે નકામું છે. આ વખતે હિંદુ-મુસલમાન વચ્ચે પણ વેર ચાલતું હતું. તેમાં કંપનીને લાગ મળ્યો. આમ બધી રીતે કંપનીનો કાબૂ જામે તેવું આપણે તેને સારુ કર્યું. એટલે આપણે અંગ્રેજોને હિંદુસ્તાન આપ્યું તેમ કહેવું વધારે સાચું છે.

(દોસ્તો, 'હિંદ સ્વરાજ' વાંચી રહ્યો છું ત્યારે ગાંધીજીના જે વિચારો મને સારા લાગે છે તેને સંપાદિત કરીને અહીં મૂકી રહ્યો છું. જે વાંચીએ તેમાંથી સારું લાગે તેને મિત્રો સાથે વહેંચવાનો શોખ છે.)