Tuesday, August 14, 2012

સ્વતંત્ર્તાનો ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ



પુસ્તક: મહાત્મા ગાંધી - પૂર્ણાહુતિ, પુસ્તક ત્રીજું 
લેખક: પ્યારેલાલ
અનુવાદક: મણિભાઈ ભ. દેસાઈ

સ્વાતંત્ર્ય દિને ગાંધીજી હંમેશના કરતાં એક કલાક વહેલા, એટલે કે, રાત્રે બે વાગે ઊઠ્યા. એ મહાદેવ દેસાઈની પાંચમી સંવત્સરી પણ હતી, એટલે એવા પ્રસંગોએ તેમના હંમેશના રિવાજ પ્રમાણે, ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સવારની પ્રાર્થના પછી આખી ગીતાનો પાઠ કરાવ્યો.

હજી પ્રાર્થના ચાલતી હતી ત્યાં સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. કવિવર રવીન્દ્રનાથનાં સ્વાતંત્ર્યનાં સુંદર ગીતો ગાતી કેટલીક કન્યાઓ મકાન તરફ આવતી હતી. આવીને તેઓ ગાંધીજીના ઓરડાની બારી બહાર ઊભી રહી. પ્રાર્થના હજી ચાલતી હતી. ભક્તિભાવથી તેમણે પોતાનું ગાન બંધ કર્યું, તેઓ પ્રાર્થનામાં જોડાઈ અને પછી ફરીથી તેમણે ગીતો ગાયાં. પછી દર્શન કરીને તેઓ ચાલી ગઈ. થોડી વાર પછી, કન્યાઓની બીજી ટુકડી આવી અને તેમણે એ જ પ્રમાણે ગીતો ગાયાં. આ પ્રમાણે સૂર્યોદય સુધી ચાલ્યા કર્યું - આગલા દિવસની સાંજની ધમાલ પછી, દિવસનો આ સુંદર આરંભ હતો. 

સવારે ગાંધીજી તેમના હંમેશના ક્રમ પ્રમાણે ફરવા નીકળ્યા ત્યારે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો હજારોની સંખ્યામાં તેમની રાહ જોતાં ઊભાં હતાં. આખો દિવસ દર્શનાતુર ટોળાંઓ મકાનને ઘેરી રહ્યાં. અર્ધા અર્ધા કલાકે ગાંધીજીને દર્શન આપવા માટે બહાર આવવું પડતું હતું. પશ્ચિમ બંગાળના પ્રધાનમંડળના સભ્યો પણ તેમના આશીર્વાદ માટે આવ્યા. ગાંધીજીએ તેમને કહ્યું ઃ ‘‘આજથી તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. નમ્ર  બનજો. ક્ષમાશીલ બનજો. બિ્રટિશ અમલે તમારી ખસૂસ કસોટી કરી છે. પણ હવે તો તમારી પૂરેપૂરી કસોટી થવાની છે. સત્તાથી ચેતતા રહેજો, સત્તા દૂષિત કરનારી વસ્તુ છે. તેના ઠાઠમાઠ અને તેની ભભકથી અંજાઈને તેના બંદીવાન ન બનશો. યાદ રાખજો કે, હિંદનાં ગામડાંઓમાં વસતા ગરીબ લોકોની સેવા કરવાને તમે સત્તા પર આવ્યા છો. ઈશ્વર તમને સહાય કરો.’’

* * * * * 
૧૫મી ઓગસ્ટે કલકત્તામાં, હિંદુ-મુસ્લિમ એકતાના અપૂર્વ પ્રદર્શન દ્વારા, રાષ્ટ્રીય આનંદોત્સવનાં રોમહર્ષક દૃશ્યો જોવા મળ્યાં. વહેલી સવારથી, હિંદુઓ તથા મુસલમાનોની મિશ્ર ટોળીઓ મોટર લોરીઓમાં બેસીને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ અને ‘‘હિંદુમુસ્લિમ ભાઈ ભાઈ’’નાં સૂત્રો પોકારતી શહેરના જુદા જુદા ભાગોમાં ફરવા લાગી. તે એટલે સુધી કે, મોડી રાત સુધીમાં વિરાટ ટોળાંઓએ - એમાં હિંદુઓ અને મુસલમાનો સેળભેળ હતા - બધા રાજમાર્ગોને રૂંધી દીધા અને ‘‘હિંદુમુસ્લિમ એક હો’’ તથા ‘‘જય હિંદ’’ના કાન ફાડી નાખે એવા પોકારો તેઓ કરતા રહ્યા. એક વરસ સુધીનાં પાગલપણાનાં કાળાં વાદળો પછી જાણે એકાએક સમજણ અને શુભેચ્છાનો સૂર્યોદય થયો હોય એમ લાગતું હતું.

ઉત્સાહથી ઊભરાતાં ટોળાઓએ સરકારીગૃહ ઘેરી લીધુ અને ગર્વનર રાજાજી પોતાના ઘરમાં લગભગ કેદી જેવા બની ગયા.

ગાંધીજીના મકાન આગળ ભાઈચારાનાં રોમાંચક દૃશ્યો જોવા મળ્યાં, પરંતુ ગાંધીજીના ચહેરા પર ઉત્સાહની કશી નિશાની દેખાતી નહોતી. તેમના ચક્ષુ અંતર તરફ વળ્યાં હતાં અને તેમનો માર્ગ પ્રકાશિત કરવાને તથા હવે પછીનું પગલું તેમને દર્શાવવાને તેમના સરજનહારના દર્શનની ખોજ કરતાં હતાં. 

એ દિવસે પ્રાર્થનાભૂમિ પર લગભગ ત્રીસ હજાર માણસો એકઠાં થયાં. મેદની અતિશય ગીચ હતી. જે માર્ગ કાપતાં પાંચ મિનિટ થતી હતી તે કાપતાં વીસ મિનિટ થઈ. કલકત્તાના નાગિરકોએ સિદ્ધ કરેલી એકતા માટે ગાંધીજીએ તેમને ધન્યવાદ આપ્યા. તેમણે કહ્યું કે, ‘‘શહેરમાં જોવા મળેલી ભાઈચારાની છલકતી ભાવના સાચા દિલની હોય અને ક્ષણિક ન હોય તો એ ખિલાફતના દિવસો કરતાં પણ વધારે રૂડી છે. પરંતુ લાહોરમાં ગાંડપણનો દાવાનળ હજી ચાલુ જ છે એ સાંભળીને મને વિશેષ અફસોસ થાય છે. મને ખાતરી છે કે, કલકત્તાનો ઉમદા દાખલો સાચા દિલનો હશે તો એની અસર પંજાબ પર તથા હિંદના બીજા ભાગો પર થવા પામશે. હું તમને ચેતવું છે કે, હવે તમે સ્વતંત્ર થયા છો એટલે તમારી સ્વતંત્ર્તાનો તમારે ડહાપણભર્યા સંયમથી ઉપયોગ કરવો જોઈએ. હિંદમાં રહેનારા યુરોપિયનો પ્રત્યે, તમે તમારે પોતાને  માટે અપેક્ષા રાખો એવો જ વર્તાવ તમારે રાખવો રહ્યો. તમારે સમજવું જોઈએ કે, તમે તમારા પોતાના સિવાય બીજા કોઈના જ સ્વામી નથી. કોઈને પણ તેની મરજી વિરૂદ્ધ કરવાની ફરજ તમે હરગિજ ન પાડી શકો.’’

ગાંધીજી પછી સુહરાવર્દીએ સભાને સંબોધી. તેમણે કહ્યું, હિંદુઓ તેમ જ મુસલમાનો, તેમણે તજેલાં ઘરોમાં પાછા ન ફરે, ત્યાં સુધી આપણું કામ પૂરું થયું એમ આપણે માનવું ન જોઈએ. કેટલાંક લોકો માનતા હતા કે, હિંદુ-મુસ્લિમ એકતા કદી પણ સાધી શકાવાની નથી, પરંતુ ‘‘ખુદાની મરજી અને મહાત્માજીની કૃપાથી’’, માત્ર ત્રણચાર દિવસ અગાઉ અશક્ય માનવામાં આવતું હતું તે ચમત્કારિક રીતે નક્કર હકીકતમાં ફેરવાઈ ગયું છે. પછી તેમણે હિંદુઓ અને મુસલમાનોની મિશ્ર મેદનીને તેમની સાથે જય હિંદ પોકારવાને જણાવ્યું અને મેદનીએ કાન ફાડી નાખે એવી ગર્જનાથી એમ કર્યું. આ હૃદયસ્પર્શી દૃશ્ય જોતી વખતે ગાંધીજીના હોઠ પર અવર્ણનીય મંદ હાસ્ય ફરી રહ્યું.

* * * * *

રાત્રે ગાંધીજી શહેરમાં ફર્શા અને તેના જુદા જુદા ભાગોમાં હજુ પણ ચાલી રહેલા ભાઈચારાના દૃશ્યો તેમણે નિહાળ્યાં. ગાંધીજીએ ઉપવાસ કરીને અને રોજના કરતાં વધુ કાંતીને એ દિવસ ઊજવ્યો. ઉપવાસમાં શહીર સુહરાવર્દી તેમની સાથે જોડાયા.

મહાત્મા ગાંધીનો એગાથા હેરિસન પર પત્ર 
આજના બનાવ જેવા મહાન બનાવો ઊજવવાની મારી રીત - એને માટે ઈશ્વરનો આભાર માનવાની અને તેથી કરીને તેની પ્રાર્થના કરવાની - તમે જાણો છો. એ પ્રાર્થના ઉપવાસયુક્ત હોવી જોઈએ...અને ગરીબોની સાથે તાદાત્મ્યની તેમ જ સ્વાર્પણની નિશાની તરીકે, કાંતણ પણ હોવું જોઈએ. એટલે, હું દરરોજ કાંતું છું એટલા કાંતણથી સંતોષ ન માનતાં, મારાં બીજાં રોકાણો સાથે સુસંગત રહીને શક્ય હોય એટલું વધુ મારે કાંતવું રહ્યું..
અહીંના બનાવો વિષે સવિસ્તર માહિતી તમને હું આપી શકત તો કેવું સારું! કદાચ હાૅરેસ એલેકઝાંડર આપશે..

રાજકુમારી અમૃતકોરના પત્રમાં તેમણે આ પ્રમાણે લખ્યુંં ઃ ‘‘હું એક મુસલમાનના ઘરમાં છું. એ સૌ બહુ જ ભલા છે. સોદપુર આશ્રમમાંથી મેં કોઈને પણ સાથે લીધા નથી. એટલે મારે જોઈતી મદદ માત્ર મુસલમાન મિત્ર તરફથી જ આવે છે. મારે માટે એ નવો અનુભવ નથી. એ વસ્તુ દક્ષિણ આફ્રિકા અને ખિલાફતના દિવસોની મને અહીં યાદ આપે છે. અત્યાર પૂરતો તો હું દુશ્મન નથી. આવું કેટલો વખત ચાલશે એ તો ભગવાન જાણે હિંદુઓ અને મુસલમાનો લગભગ એક જ દિવસમાં મિત્રો બની ગયા. સુહરાવર્દી પલટાઈ ગયા છે, એવું દેખાય છે.’’

દિવસ દરમ્યાન રાજાજી ગાંધીજીને મળવા આવ્યા. ઉંમરના કારણે રાજાજી સહેજ વળ્યા હતા, ગાંધીજી ચિંતાગ્રસ્ત હતા, પરંતુ બંનેના ચહેરા પર આનંદ અને સુખ તરવરતાં હતાં. લગભગ એક કલાક સુધી તેમણે વિનોદ, મજાક અને ઊંડા ડહાપણભર્યા શબ્દોની આપલે કરી. 

Wednesday, July 25, 2012

સ્વધર્મ


સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોયે તેમાં જ રહીને માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ, કેમ કે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. દરેક વ્યક્તિનો ધર્મ અલગ હોય છે. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે તેમ તેમ પહેલાંનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરજસ્તીથી એમાં કંઈ કરવાપણું હોતું નથી. 

બીજાનો ધર્મ સારામાં સારો લાગે તોયે તે સ્વીકારવામાં મારું કલ્યાણ નથી. સૂરજનું અજવાળું મને ગમે છે. એ પ્રકાશથી પોષાઈને હું વધું છું. સૂર્ય મારે સારું વંદવાયોગ્ય પણ ખરો. પણ એટલા ખાતર મારું પૃથ્વી પરનું રહેવાનું છોડી હું તેની પાસે જવા નીકળું તો બળીને ખાખ થઈ જાઉં. એથી ઊલટું પૃથ્વી પર રહેવાનું વિગુણ લાગે, ફીકું લાગે, સૂર્યની આગળ પૃથ્વી ભલ તદ્દન તુચ્છ હોય, તે પોતાના તેજથી ભલે ન પ્રકાશતી હોય, તો પણ સૂર્યનું તેજ સહન કરવાની શક્તિ કે તેવું સામર્થ્ય મારામાં ન હોય ત્યાં સુધી સૂરજથી આઘે પૃથ્વી પર રહીને જ મારે વિકાસ સાધવો જોઈએ. 

બીજાનો ધર્મ સહેલો લાગે તેથીયે સ્વીકારવાનો ન હોય. ઘણી વાર તો સહેલાપણાનો ખાલી ભાસ હોય છે. સંસારમાં સ્ત્રી-બાળકોનું જતન બરાબર થઈ શકતું ન હોય તેથી થાકીને કે કંટાળીને કોઈ ગૃહસ્થ સંન્યાસ લે તો તે ઢોંગ થાય અને અઘરું પણ પડે. તક મળતાં વેંત તેની વાસનાઓ જોર કર્યા વગર નહીં રહે. સંસારનો ભાર ખેંચાતો નથી માટે ચાલ જીવ વનમાં જઈને રહું એવું વિચારી વનમાં જઈને રહેનારો સંસારી પહેલાં ત્યાં જઈને નાની સરખી ઝૂંપડી ઊભી કરશે, પછી તેના બચાવને માટે તેની ફરતે વાડ કર્યા વગર નહીં રહે. 

સ્વધર્મ આપણને કુદરતી રીતે આવી મળે છે. સ્વધર્મને શોધવો પડતો નથી. આપણા જન્મની સાથે જ સ્વધર્મ જન્મે છે, બલકે તે આપણા જન્મની આગળથી આપણે માટે તૈયાર હોય છે એમ કહેવુંય ખોટું નથી. તે આપણા જન્મનો હેતુ છે. તે પાર પાડવાને આપણે જન્મ્યા છીએ. હું સ્વધર્મને માની ઉપમા આપું છું. મારી માની પસંદગી મારે આ જન્મમાં કરવાની બાકી રહેલી નથી. તે આગળથી થઈ ચૂકેલી છે, સિદ્ધ છે. મા ગમે તેવી હોય, મા મટી શકતી નથી. એવી જ સ્થિતિ સ્વધર્મની છે. આ જગતમાં આપણને સ્વધર્મ વગર બીજો કોઈ આશ્રય કે આધાર નથી. સ્વધર્મને ટાળવાની કોશિશ કરવી એ 'સ્વ'ને ટાળવા જેવું આત્મઘાતકીપણું છે. સ્વધર્મને આશ્રયે જ આપણે આગળ જઈ શકીએ. તેથી એ આશ્રય અથવા આધાર કોઈએ કદી પણ છોડવાનો હોય નહીં. 

Sunday, June 10, 2012

અણ્ણા હઝારેઃ ચહેરા પરથી નકાબ ઉતરી રહ્યો છે...


મારા એક સાથીદાર થોડા સમય અગાઉ અણ્ણા હઝારેના આંદોલનના કટ્ટર સમર્થક હતા. તેમની સામે અણ્ણા હઝારેના આંદોલનનો તાર્કિક વિરોધ કરવાની કોઈ હિંમત પણ કરતું નહોતું. તેઓ પોતાને લોકશાહીના સમર્થક માને છે, પણ પોતાની વાતનો તાર્કિક વિરોધ કરનાર સાથે દ્વૈષભાવ રાખે છે. તેમના આ પ્રકારના લોકશાહીયુક્ત વલણનો ખ્યાલ આવતા જ અમે તેમનાથી સલામત અંતર રાખીએ છીએ. તેમની કોઈ પણ રાજકીય ચર્ચામાં સામેલ જ થતા નથી. પણ આજકાલ તેઓ નિરાશ છે. બેથી ત્રણ દિવસ અગાઉ તેમણે પોતે જ કબૂલ્યું કે, 'અણ્ણા હઝારે વિશ્વસનિય નથી.' અમને આશ્ચર્ય લાગ્યું નહોતું. અગાઉ તેઓ બાબા રામદેવના દિવાના થઈ ગયા હતા અને તેમને શિવાજીનો અવતાર ગણાવતા હતા. પણ રામલીલા મેદાનમાં રામદેવને મહિલાઓના ડ્રેસમાં ઊભી પૂંછડીએ ભાગતા જોયા પછી બાબાજીનું ભૂત ઉતર્યું હતું. હકીકતમાં અણ્ણા હઝારે અને રામદેવનો નશો તેમના કટ્ટર સમર્થકો પરથી ઉતરી રહ્યો છે. હઝારે અને રામદેવના ચહેરા પરથી નકાબ ઉતરી રહ્યાં છે. જે લોકો આવેશમાં આવીને તેમના આંધળા સમર્થકો બની ગયા હતા તેઓ હવે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અને તેમની મૂંઝવણ કે નિરાશાનું કારણ ખુદ અણ્ણા હઝારે છે. તેમણે છેલ્લાં થોડા દિવસોમાં વડાપ્રધાન વિશે વિરોધાભાસી નિવેદનો કર્યા છે. તેમાંથી કેટલાંક નિવેદનો અહીં રજૂ કરવામાં આવ્યાં છેઃ

- 27 મે, નાશિકઃ વડાપ્રધાન સરળ અને પ્રામાણિક માણસ છે અને તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવાનો સવાલ જ ઊભો થતો નથી.


- 1 જૂન, રત્નાગિરીઃ મને મનમોહન સિંગમાં વિશ્વાસ નથી. કોલસાની ખાણની કરેલી ફાળવણીમાં તેમની સામે તપાસ થવી જોઈએ


- 5 જૂન, મુંબઈઃ કોંગ્રેસ સંચાલિત યુપીએ સરકાર મે બનાવેલા લોકપાલના ખરડાને કાયદો બનાવશે તો હું કોંગ્રેસ સાથે ખભેખભો મેળવીને કામ કરવા તૈયાર છું


- 8 જૂન, થાણેઃ મનમોહન સિંઘ પ્રામાણિક છે 

આંદોલન પર જ પ્રશ્નઃ
અણ્ણા હઝારે વડાપ્રધાન મનમોહન સિંઘ વિશે જ અસ્પષ્ટ નથી. તેઓ તેમના પોતાના ભ્રષ્ટાચાર વિરૂદ્ધના આંદોલન વિશે પણ દિશા ભૂલ્યાં હોય તેવું લાગે છે. હઝારેએ 20મીના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સભા સંબોધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, 'રશિયા, અમેરિકા, ચીન જેવા દેશોમાં પણ ભ્રષ્ટાચાર છે. કોઈ સરકાર ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે મુક્ત ન કરી શકે.' તેમના આ નિવેદનો સાંભળીને અમરાવતીની પ્રજા અવાક થઈ ગઈ હતી. તેઓ તો અણ્ણા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સરકારને ભાંડશે તેવી આશા સાથે આવ્યા હતા. આ રેલીમાં જ કેટલાંક નાગરિકોએ પૂછ્યું હતું કે, 'તો પછી તમે આંદોલન શું કામ કરો છો?' રેલી પૂરી થઈ પછી અણ્ણાના સાથીદારોએ તેમને આ પ્રકારના નિવેદનો ન કરવા અપીલ કરી હતી.

કથની-કરણીમાં ફરકઃ
અન્ના હઝારેનો 15 જૂને જન્મદિવસ છે. તેમના આ 74મા જન્મદિવસની ઉજવણી રાલેગણ સિદ્ધિમાં ધામધૂમપૂર્વક થવાની છે. શું તમે જાણો છે તેમાં હઝારેનું સન્માન કોના હાથે થવાનું છે? મહારાષ્ટ્રના ગૃહપ્રધાન આર આર પાટિલના હાથે. આ એ જ પાટિલ છે જેમણે મુંબઈમાં કસાબ એન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કર્યા પછી એવું નિવેદન આપ્યું હતું કે, મોટા મોટા શહેરોમાં આ પ્રકારના નાના હુમલા તો થાય! આર આર પાટિલ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ)ના વડા શરદ પવારના સૌથી વિશ્વસનિય વ્યક્તિ છે. હઝારે એક તરફ પવાર તરફ ભ્રષ્ટાચારના આરોપો મૂકે છે તો બીજી તરફ પવારના સાથીદારના હાથે સન્માન મેળવે છે. તેમની આ પ્રકારની નીતિથી ભાજપ અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)માં નારાજગી છે, જેમણે અન્નાના પ્રથમ આંદોલનમાં પડદા પાછળની ભૂમિકા ભજવી હતી અને આંદોલન માટે સ્વંયસેવકો પૂરાં પાડ્યાં હતાં.

ડેક્કાન ક્રોનિકલે ટીમ અણ્ણાની પોલ ખોલીઃ
આંધ્રપ્રદેશમાં 18 જૂને વિધાનસભાની 18 બેઠકો અને લોકસભાની એક બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. ડેક્કાન ક્રોનિકલના પત્રકારે નવમી જૂન, 2012ના રોજ ટીમ અણ્ણાનો સંપર્ક કરીને પૂછ્યું હતું કે, 'તમે ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરો છો તો અહીં જગન રેડ્ડી સામે આંદોલન કરશો?' ત્યારે ટીમ અણ્ણાના સભ્યોએ ઘસીને ના પાડી દીધી અને તેઓ પેટાચૂંટણીમાં કોઈ પક્ષની વિરૂદ્ધ પ્રચાર કરતા નથી તેમ જણાવ્યું. હકીકતમાં હરિયાણા હિસ્સારની લોકસભા બેઠક માટે ટીમ અણ્ણાના સભ્યોએ કોંગ્રેસના ઉમેદવાર સામે પ્રચાર કર્યો હતો. આ બાબતનો ઉલ્લેખ એ પત્રકારે કર્યો ત્યારે ટીમ અણ્ણાએ પરોક્ષ રીતે એવું કહ્યું કે, અમારે ક્યા આંદોલન કરવું અને ન કરવું એ અમે નક્કી કરીશું. હકીકતમાં ટીમ અણ્ણાના આંદોલનનો હેતુ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ નથી એ સ્પષ્ટ થઈ ગયું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની મૂંઝવણઃ
અણ્ણાએ ગયા વર્ષે આંદોલન શરૂ કર્યું ત્યારે તેમને આરએસએસ અને ભાજપે મોટા પાયે સ્વયંસેવકો પૂરાં પાડ્યાં હતાં. એટલું જ નહીં આ સ્વયંસેવકોએ જ તમામ વ્યવસ્થા કરી હોવાનું પણ કહેવાય છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે થોડા સમય અગાઉ 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' નામના અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં પણ આ કબૂલાત કરી હતી. કિરણ બેદી ભાજપના ટોચના નેતા અરુણ જેટલીના સતત સંપર્કમાં રહે છે અને તેમનું માર્ગદર્શન મેળવે છે. પણ અણ્ણાએ થોડા સમય અગાઉ સંઘ સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોવાનો દાવો કર્યો હતો. તેનાથી સંઘ અને ભાજપની મૂંઝવણ વધી ગઈ છે. એક તરફ હઝારે તેમના સ્વયંસેવકોની મદદ લે છે અને બીજી તરફ તેઓ સંઘ સાથે સંબંધ ન હોવાનો દાવો કરે છે. થોડા દિવસ અગાઉ સંઘના સંયુક્ત મહાસચિવ દત્તાત્રેય હોસ્બળેએ નાગપુરમાં 'હિંદુસ્તાન ટાઇમ્સ'ને કહ્યું હતું કે, 'અણ્ણાનું વલણ ન સમજાય તેવું છે. તેઓ અવારનવાર અમારા સ્વયંસેવકોને સંબોધવા આવ્યાં છે. તેઓ ઘણા વર્ષોથી સંઘના સંપર્કમાં છે. અમારા સ્વયંસેવકો તેમના આંદોલનમાં સક્રિય છે અને ભવિષ્યમાં પણ સક્રિય રહેશે. પણ તેઓ ટીમ અણ્ણા અમારી સાથેનું જોડાણ કેમ નકારે છે તે સમજાતું નથી'

અમર્યાદ વાણીવિલાસઃ
લાગે છે કે ટીમ અણ્ણામાં નિરાશા વ્યાપી ગઈ છે. અણ્ણા હઝારેના વિવાદાસ્પદ વિધાનો, ટીમના સભ્યોમાં આંતર્કલહ, ભાજપ અને સંઘની પીછેહટ, મીડિયોનો ઘટતો જતો રસ જેવા કારણોસર ટીમ અણ્ણાના સભ્યો ઘાંઘા થઈ ગયા છે. તેઓ એક યા બીજા પ્રકારે સતત ચર્ચામાં રહેવા અમર્યાદ વાણીવિલાસ કરી રહ્યાં છે. 28 મેના રોજ પ્રશાંત ભૂષણે વડાપ્રધાન મનમોહન સિંઘને શીખંડી કહ્યાં હતાં તો કિરણ બેદીએ 10મી જૂન, મનમોહનને ધૃતરાષ્ટ્ર ગણાવ્યા. ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ સામે રોષ છે એ હકીકત છે, પણ વડાપ્રધાન સામે આ પ્રકારની અત્યંત ધૃષ્ટ ભાષાનો પ્રયોગ ન કરાય તેવું ભાજપ સહિત તમામ વિરોધ પક્ષો સ્વીકારે છે. ટીમ અણ્ણાના આ પ્રકારના વાણીવિલાસથી ભાજપ હેરાનપરેશાન છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવપ્રતાપ રુડ્ડીએ કહ્યું કે, 'વડાપ્રધાન માટે અસભ્ય ભાષાનો પ્રયોગ ન થવો જોઈએ. ટીમ અણ્ણાએ લવારી કરવાનું બંધ કરવું જોઈએ.' ભાજપ હવે ટીમ અણ્ણાને જોઈએ તેવું સમર્થન આપતો નથી અને એટલે જે તેણે મોંઘવારીના મુદ્દે અણ્ણાથી અલગ રીતે આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે...


ચલતે-ચલતેઃ અન્નાનું આંદોલન નાટક છે અને સંપૂર્ણપણે રાજકીય પ્રેરિત છે. તેનો આશય ફક્ત કોંગ્રેસને નિશાન બનાવવાનો છે. તેઓ ભાજપશાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારના મુદ્દે ચૂપ રહે છે - સુરેસ હોસ્બત, નિવૃત્ત ન્યાયાધીશ, બોમ્બે હાઈ કોર્ટ (30 જૂન, મુંબઈ)

Tuesday, June 5, 2012

જગનમોહન રેડ્ડીઃ આંધ્રપ્રદેશના રાજકારણનો ટર્નિંગ અને બર્નિંગ પોઇન્ટ!


વર્ષ 1982. હૈદરાબાદમાં ચારે તરફ 'તેલુગુ વારી આત્મ ગૌરવમ્'ના સૂત્રોચ્ચારો થઈ રહ્યાં છે. પીળા ઝંડાઓ હાથમાં લઈને ફરતા યુવાનોની આંખોમાં તેલુગુ અસ્મિતાના પુનરોદ્ધારનું સ્વપ્ન ચમકી રહ્યું છે. તેલુગુ પ્રજાનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરવાની ગર્જના સાથે  'ચૈતન્ય રથમ્' નામની એક વાન રાજ્યના પ્રવાસે નીકળે છે. વાનમાં કાળાં ગોગલ્સ ધારણ કરેલો એક નેતા બિરાજમાન છે. તેનો વેશ સાધુ જેવો છે. વાન આખા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાં ખૂંદી વળે છે. વાન શહેર કે ગામમાં પ્રવેશે ત્યારે આ નેતા વાન પર ચઢી જાય છે અને તેલુગુ જનતાને સ્વાભિમાન જગાવવા અપીલ કરે છે. અન્યાય સામે એક થવા અપીલ કરે છે. પીળા ઝંડા નીચે અનેક યુવાનો અને નાગરિકો કરિશ્માઈ નેતા સાથે જોડાઈ જાય છે.  થોડા મહિના પછી વાન હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી હૈદરાબાદ પાછી ફરે છે અને આ પ્રવાસ આંધ્રપ્રદેશના રાજકીય ઇતિહાસમાં ટર્નિંગ પોઇન્ટ બની જાય છે. પછીના વર્ષે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે અને?

વર્ષ 1956માં આંધ્રપ્રદેશની અલગ રાજ્ય તરીકે રચના થઈ ત્યારથી વર્ષ 1983 સુધી ત્યાં કોંગ્રેસનું એકચક્રી શાસન હતું. પણ 'ચૈતન્ય રથમ્'ના ચક્ર હેઠળ કોંગ્રેસનો પંજો  બેરહમીથી કચડાઈ જાય છે. રાજ્ય વિધાનસભાની 294 બેઠકમાંથી કોંગ્રેસને ફક્ત 56 બેઠક મળે છે જ્યારે કાળાં ગોગલ્સધારી નેતાનો પક્ષ 200 કરતાં વધારે બેઠકોને લઈને સત્તામાં આવે છે. આ નેતા એટલે નંદમુરી તારક રામા રાવ ઉર્ફે એનટીઆર કે એન ટી રામા રાવ. એનટીઆરએ વર્ષ 1982માં તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી)ની રચના કરી અને 1995 સુધી તેઓ ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી થયા હતા. આંધ્રપ્રદેશમાં વર્ષ 1982માં તેઓ કોંગ્રેસ માટે 'બર્નિગ-કમ-ટર્નિંગ પોઇન્ટ' પુરવાર થયા હતા અને એનટીઆરની આંધીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. કોંગ્રેસ માટે બર્નિંગ પુરવાર થયેલા આ ટર્નિંગ પોઇન્ટને 30 વર્ષ થવા આવ્યાં છે અને બરોબર ત્રણ દાયકા પછી આંધ્રપ્રદેશના રાજકારણમાં એક નવો રાજકીય અધ્યાય રચાઈ રહ્યો છે. એવું લાગે છે કે, આંધ્રપ્રદેશ અને કોંગ્રેસ બંને માટે ટર્નિંગ અને બર્નિંગ પોઇન્ટનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આ વખતે કોંગ્રેસ માટે બર્નિંગ અને ટર્નિંગ પોઇન્ટ બની રહ્યાં છેઃ જગનમોહન રેડ્ડી.

જગનમોહન રેડ્ડી એટલે આંધ્રપ્રદેશની જનતાના અણ્ણા (મોટા ભાઈ). આ બિરૂદ મેળવવા તેમણે 265 દિવસ 5,152 ગામડાં અને 114 શહેરોની યાત્રા કરી છે તેમજ 13 જિલ્લાના 700 પરિવારોની મુલાકાત લીધી છે. તેઓ અત્યારે આંધ્રપ્રદેશમાં એનટીઆરનું પુનરાવર્તન કરવા આતુર છે તો બીજી તરફ વર્ષ 2009માં વાયએસઆર રેડ્ડીના આકસ્મિક અવસાન પછી કોંગ્રેસ પણ દક્ષિણ ભારતનું આ એકમાત્ર રાજ્ય ગુમાવવાની દિશામાં ઝડપથી અગ્રેસર હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. મંગળવારે કોંગ્રેસના બે ધારાસભ્યો કાલી ક્રિષ્ના શ્રીનિવાસ અને વેંકટ સુજય ક્રિષ્ન રંગા રાવે રાજીનામા આપી દીધા છે. તેમણે જગનમોહન રેડ્ડીના વાયએસઆર કોંગ્રેસમાં જોડાઈ જવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાસે હવે 151 બેઠક છે, જે 148ના જાદુઈ આંકડાથી ફક્ત ત્રણ વધારે છે.2009ની વિધાનસભાની ચૂંટણીમાં વાયએસઆરના કરિશ્માઈ નેતૃત્વ હેઠળ કોંગ્રેસને 158 બેઠકો મળી હતી અને ફરી સરકાર રચી હતી. પણ તેમના અવસાન પછી કોંગ્રેસે જગન રેડ્ડીને 'ઊગતા જ ડામી દેવા' ભૂલોની હારમાળા સર્જી છે. કોંગ્રેસની આ જ નીતિએ જગનમોહન રેડ્ડીને એનટીઆર જેવી લોકપ્રિયતા બક્ષી છે તેવું ખુદ એનટીઆરની પત્ની લક્ષ્મી પાર્વતીએ કબૂલ્યું છે.

આંધ્રપ્રદેશની રાજકીય શતરંજ પર જગન રેડ્ડી અત્યંત વિચક્ષણ રાજકારણી સાબિત થઈ રહ્યાં છે અને કોંગ્રેસી નેતાઓ તેની ચાલ પ્રમાણે રમી રહ્યાં છે. રાજકારણમાં વિરોધીઓને ભડકાવીને તેમને તેમની જ ચાલમાં ફસાવી દેવાનો ખેલ બહુ જાણીતો છે અને જગન રેડ્ડીની ચાલમાં કોંગ્રેસ બરોબર ફસાઈ ગઈ હોય તેવું લાગે છે. તેમણે કોંગ્રેસ પર પહેલો ઘા ઓડર્પુ યાત્રા સ્વરૂપે કર્યો હતો. તેઓ જાણતા હતા કે કોંગ્રેસ તેમને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતી નથી અને સોનિયા ગાંધી સંચાલિત કોંગ્રેસ પાસે આ યાત્રાનો વિરોધ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. તેમનું તીર બરોબર નિશાન પર લાગ્યું હતું અને સોનિયા ગાંધીએ યાત્રા પડતી મૂકવા દબાણ કર્યું, પણ પ્રજાએ સાડા પાંચ લાખ જેટલા અંતરથી જગનને વિજયમાળા પહેરાવી કડપ્પાના સાંસદ બનાવ્યા. કોંગ્રેસ માટે આ પરાજય લાલ બત્તી સમાન હતો, પણ હાર્યો જુગારી બમણું રમે તેવું વલણ કોંગ્રેસ અપનાવ્યું.

જગનને રાજકીય રીતે કાબૂમાં રાખવામાં નિષ્ફળ નિવડેલી કોંગ્રેસે જગનની છબી ખરડવાનો દાવ અજમાવ્યો. કોંગ્રેસના જ એક સાંસદે જગન પર આવક કરતાં વધારે સંપત્તિ ધરાવવાનો કેસ દાખલ કર્યો અને તેની ઓફિસો પર દરોડા પડાવી રેડ્ડી પરિવાર પર દબાણ ઊભું કર્યું. હકીકતમાં આ નરી મૂર્ખતા હતી. ભારતમાં ભ્રષ્ટાચારના મામલે  હવે કોઈ નેતા કે પક્ષ હારી જશે તો એ એકવીસમી સદીનો સૌથી મોટો ચમત્કાર ગણાશે. કોંગ્રેસ ભ્રષ્ટાચારના મામલે જગનને લોકોની નજરમાંથી ઉતારી દેવા ઇચ્છે છે, પણ એ ભૂલી ગઈ છે કે આંધ્રપ્રદેશમાં વર્ષ 2009ની વિધાનસભાની ચૂંટણી વખતે વાયએસઆર સામે વિરોધ પક્ષોએ ભ્રષ્ટાચારને જ મુદ્દો બનાવ્યો હતો, તેમ છતાં આંધ્રપ્રદેશની જનતાએ 'ભ્રષ્ટાચારી' વાયએસઆર અને કોંગ્રેસ બંનેને વિજયની ભેટ ધરી હતી. જગન રેડ્ડી સારી રીતે જાણે છે કે ભ્રષ્ટાચારના આરોપોને લીધે તેમના પિતા વાયએસઆર કે દેશના કોઈ રાજકીય પક્ષને નુકસાન થયું નથી. એ બેધડક તેલુગુ ફિલ્મોના બળવાખોર અભિનેતાની માફક કહે કહે છે કે, 'હું ભ્રષ્ટાચારી છું કે તો દેશના બધા નેતા ભ્રષ્ટ છે.' તેની આ નફ્ફટાઈથી હેબતાઈ ગયેલી કોંગ્રેસે તેની ધરપકડ કરાવી છે અને એ પણ 12મી જૂને યોજાનારી પેટાચૂંટણી અગાઉ!

કોંગ્રેસ અને જગન બંને માટે 12મી જૂને રાજ્યમાં 18 વિધાનસભા અને નેલ્લોર લોકસભાની બેઠકની પેટાચૂંટણી અગ્નિપરિક્ષા સમાન છે.  આ ચૂંટણી અગાઉ પોતાની ધરપકડથી જગન અત્યંત ખુશ છે અને તેમને એક વખત ફરી લોકોની લાગણી જીતવામાં મદદ મળશે તેવું રાજકીય વિશ્લેષકો અને ખુદ કોંગ્રેસના ધારાસભ્યો માને છે. વિધાનસભાની આ 18 પેટાચૂંટણીમાંથી 16 કોંગ્રેસ પાસે છે. જો જગન રેડ્ડીનો કરિશ્મો કારગર નીવડશે અને ઓપિનિયન પોલ અનુસાર તેમને 18માંથી 14 બેઠક મળશે તો કોંગ્રેસને સરકારી બચાવવાના ફાંફા પડી જશે. એટલું જ નહીં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો આ પેટાચૂંટણીના પરિણામોની રાહ જોઈને જ બેઠા છે. જગન રેડ્ડીનો  હાથ ઉપર રહેશે તો તેઓ કોંગ્રેસનો હાથ છોડીને જગન રેડ્ડીના ખોળામાં સરકી જેવાની તક છોડશે નહીં. પણ રાજનીતિ જો અને તોનો ખેલ છે. આ જુગાર જેટલો કોંગ્રેસ માટે જોખમી છે તેટલો જ જલદ જગન માટે પણ છે. પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે હકારાત્મક રહ્યાં તો પછી જગનની રાજકીય કારકિર્દી કઈ દિશામાં જાય કે દિશાહિન થઈ જાય તે કહી શકાય નહીં. જોકે આંધ્રપ્રદેશના હાલના વાતાવરણને જોતા જોખમ કોંગ્રેસ માટે વધારે છે. ટૂંકમાં 12મી જૂન કોંગ્રેસ અને જગન બંને માટે બર્નિંગ અને ટર્નિગ પોઇન્ટ પુરવાર થશે એ નક્કી છે....

ચલતે-ચલતેઃ હું અને મારા પિતા કોંગ્રેસમાં હતા ત્યાં સુધી અમે ભ્રષ્ટ નહોતા, પણ મેં પક્ષ છોડ્યો પછી ભ્રષ્ટાચારી થઈ ગયો - જગન રેડ્ડી 

Sunday, May 20, 2012

આમિર ખાનઃ મિયાં પડ્યાં પણ તંગડી ઊંચી!


નિષ્ફળતા બહુ ક્રૂર છે. એને પચાવવી બહુ અઘરી છે. માણસ ખરેખર મજબૂત છે કે તકલાદી છે તેનું બેરોમીટર છે. નિષ્ફળતા માણસના ચહેરાને બેનકાબ કરી દે છે, મનુષ્યના વ્યક્તિત્વનો નગ્ન ચિતાર આપી દે છે. મજબૂત માણસ નિખાલસતા સાથે નિષ્ફળતાનો સ્વીકાર કરે છે જ્યારે તકલાદી માણસો નિષ્ફળતાનો સ્વીકાર કરવાને બદલે ખોટા તર્કો આપીને પોતાની નિષ્ફળતાને ઢાંકવા ધમપછાડા કરે છે. આવા જ ધમપછાડા અત્યારે આમિર ખાન કરી રહ્યાં છે. તેના અત્યંત ગાજેલા 'સત્યમેવ જયતે'ને કાર્યક્રમને ધોબીપછાડ મળી છે. પણ 'પર્ફેકશનિસ્ટ' તરીકે પંકાયેલો માર્કેટિંગનો આ મહારથી તર્કવિતર્કો કરી પોતાની નિષ્ફળતાને ઢાંકવા ફાંફાં મારી રહ્યો છે. 

છટ્ઠી મેના રોજ એકસાથે નવ ટેલીવિઝન (દૂરદર્શન અને સ્ટાર ગ્રૂપની) ચેનલો પર શરૂ થયેલા આ કાર્યક્રમને ચારનું રેટિંગ મળ્યું છે. ટેમ મીડિયા રિસર્ચના અહેવાલ મુજબ, આમિર ખાનના કાર્યક્રમનો  ફિયાસ્કો થઈ ગયો છે અને તેને અમિતાભ બચ્ચનના 'કૌન બનેલા કરોડપતિ' અને સલમાન ખાનના 'બિગ બોસ' કરતાં અત્યંત ઓછા દર્શકો મળ્યાં છે.પણ આમિર મિયા આ વાતનો સ્વીકાર કરવા તૈયાર જ નથી. મિયા પડ્યાં પણ તંગડી ઊંચી! તેમનું કહેવું છે કે હું આ પ્રકારના રેટિંગમાં માનતો જ નથી. બહુ સરસ! તમારામાં રેસમાં દોડી ન શકવાની તાકાત ન હોય ત્યારે રેસમાં માનતા જ ન હોવાની ગુલબાંગો પોકારો. હકીકતમાં આ કાર્યક્રમે આમિરના વ્યક્તિત્વના નવાં પાસાંનો તેના પ્રશંસકોને પરિચય કરાવ્યો છે.આ શો શરૂ થયો એ અગાઉ તેનું માર્કેટિંગ કરવા અને મહત્તમ દર્શકો મેળવવા આમિર ખાને કેવા ધમપછાડા કર્યા તેના પર એક નજર નાંખીએઃ

- સામાન્ય રીતે ટેલીવિઝન પર રાતના આઠથી દસ વાગ્યા સુધીનો સમય પ્રાઇમટાઇમ ગણાય છે. દરેક મનોરંજન ચેનલો પર આ સમય દરમિયાન સારામાં સારાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. આમિર ખાને આ કાર્યક્રમો સાથે સ્પર્ધા ટાળવા રવિવારે સવારનો 11 વાગ્યાનો સમય પસંદ કર્યો. આ સમયે દરેક ચેનલો પર વિવિધ કાર્યક્રમોનું પુનરાવર્તન થતું હોય છે. આમિરે એવું વિચાર્યું હતું કે લોકો રીપિટ કાર્યક્રમો જોવાને બદલે તેનો શો જોવાનું વધુ પસંદ કરશે અને તેનો શો બિનહરિફ રીતે નંબર વન બની જશે. 

- છઠ્ઠી જૂને પ્રથમ એપિસોડ પૂર્ણ થયા પછી સ્ત્રી ભ્રૂણહત્યાને મુદ્દે ચર્ચા કરવા આમિરે 230 રેડિયો સ્ટેશનો પર ચર્ચા કરી, જેમાંથી 164 સ્ટેશનો ઓલ ઇન્ડિયા રેડિયોના હતા. 

- ભ્રૂણહત્યાના મુદ્દે વિવિધ ભાષાના અખબારોમાં આમિરે પોતાના લેખ પ્રકાશિત કરાવ્યા. આ રીતે દરેક ભાષામાં સત્યમેવ જયતેનો પ્રચાર કરવામાં પાછી પાની કરી નહીં.

- આમિર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યો અને ભ્રૂણહત્યાના કેસોનું ઝડપથી નિરાકરણ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની વિનંતી કરીને પ્રચારમાં રહેવાનો સતત પ્રયાસ કર્યો.

- દેશભરમાં મોબાઇલ ફોન્સ પર આમિર ખાને પોતાના કાર્યક્રમ વિશે માહિતી આપી. 

- દરેક એપિસોડમાં કયો મુદ્દો ઉઠાવવામાં આવે છે તેના પર અખબારોમાં સમાચારોનો મારો ચલાવવામાં આવ્યો.

- અંગ્રેજી મેગેઝિનોમાં આમિર ખાનના કાર્યક્રમ કવરસ્ટોરી પણ પ્રકાશિત કરાવવામાં આવી.

આ રીતે આમિરે તેના શોમાં મહત્તમ દર્શકો મેળવવા માર્કેટિંગનું એક પણ માધ્યમ બાકી રાખ્યું નહોતું. તેના શોને હિટ કરાવવા તેના મિત્રો પણ ગોબલ્સ પ્રચાર કરવામાં લાગી ગયા હતા. છઠ્ઠી મેના રોજ તેના કાર્યક્રમનો પ્રથમ એપિસોડ પૂર્ણ થાય એ અગાઉ જ ટ્વિટર પર તેના મિત્રોએ શોને સુપરહિટ ગણાવવાની શરૂઆત કરી દીધી હતી. ફેસબુક પર તો કેટલાંક ગાંડાઘેલા અને મૂર્ખશિરોમણીઓ આ કાર્યક્રમને જોવાની અપીલ કરીને પોતે પણ સમાજ પ્રત્યે કેટલાં જવાબદાર છે તેવું દેખાડવાની સ્પર્ધા શરૂ કરી દીધી હતી. સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના કામમાં દેખાવી જોઈએ, ફેસબુક કે ટિવટર પર નહીં. આમિરે દર્શકોને ઉલ્લું બનાવવાનો એક પણ પ્રયાસ બાકી રાખ્યો નહોતો. પણ ટેલીવિઝનના દર્શકોએ આમિરને તેની કક્ષા દેખાડી દીધી છે અને થોડો લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય, પણ બધાને કાયમ માટે મૂર્ખ ન બનાવી શકાય તેવો સંદેશ આપી દીધો છે. પણ આમિર અને તેના ચમચાઓ એક નવો પેંતરો શરૂ કર્યો છે. 

હવે આમિર ખાન અને તેની ચમચામંડળીનું કહેવું છે કે આમિર તો સામાજિક જવાબદારીની ભાવના સાથે આ કાર્યક્રમ કરે છે, નહીં કે રૂપિયા-પૈસા માટે કે દર્શકો મેળવવા. આ પણ એક મોટું જૂઠ્ઠાણું છે. હકીકતમાં આમિર દરેક એપિસોડના સાડા ચાર કરોડ રૂપિયા લે છે. આ કાર્યક્રમના 13 એપિસોડ પ્રસારિત થવાના છે અને આ હિસાબે તેને રૂ.45 કરોડ મળવાના છે. આમિર ખાન અને આ કાર્યક્રમની સ્પોન્સર કંપનીઓ સામાજિક જવાબદારીની ભાવનાનો દેખાડો કરીને લોકોની લાગણીઓ સાથે રમીને પોતપોતાના રોટલાં શેકી રહ્યાં છે, પણ આ દેશની પ્રજા આમિર ખાન સમજે એટલી મૂર્ખ નથી. પ્રજામાં એટલી સામાન્ય સમજ છે છે કે ભ્રૂણહત્યા ગરીબોમાં થતી નથી. ગરીબો પાસે તો બાળકના જાતિપરિક્ષણ કરાવવાના અને ભ્રૂણહત્યા કરાવવાના રૂપિયા જ હોતા નથી. અને ગરીબો શા માટે ભ્રૂણહત્યા કરાવે? તેમના માટે તો બાળકો એક પ્રકારનું મૂડી રોકાણ છે. જેટલી સંખ્યા વધારે તેટલી આવક વધારે. આ પ્રકારની હત્યા મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ધનિક પરિવારોમાં થાય છે અને એ લોકો આમિર ખાનની સલાહ માનવાના નથી એ હકીકત છે. 

ચલતે-ચલતેઃ ટેલીવિઝન પર વર્ષે એકાદ વખત દર્શકોને પ્રેમ મેળવવો સહેલો છે, પણ દર અઠવાડિયે દર્શકોનો પ્રેમ જાળવી રાખવા મજબૂત વ્યક્તિત્વ જોઈએ, તકલાદી નહીં. 



Sunday, May 13, 2012

આંબેડકરનું કાર્ટૂન અને સંસદીય લોકશાહીના અવમૂલ્યનનો નગ્ન ચિતાર...


'આપણા દેશનું રાજકારણ એટલું ગંદુ અને હલકી કક્ષાનું છે કે હું કાર્ટૂનિસ્ટ ન હોત તો મેં આત્મહત્યા કરી હોત.' આ શબ્દો છે દેશના પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણના.જૂન, 1998માં દેશની આઝાદીના સુવર્ણજયંતિ વર્ષે લક્ષ્મણનું પુસ્તક પ્રકાશતિ થયું હતું. તેમાં તેમણે આઝાદી પછી પાંચ દાયકામાં ભારત વિશે લખ્યું છે. પુસ્તકના વિમોચન પછી પ્રીતિશ નાંદીએ રેડિફ વેબસાઇટ માટે લક્ષ્મણની મુલાકાત લીધી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, 'ભારતની રાજકીય વ્યવસ્થાને ઓટોક્રેસી, પ્લુટોક્રેસી કહી શકાય, પણ લોકશાહી બિલકુલ નહીં.' ઓટોક્રેસી એટલે જિસકી લાઠી ઉસકી ભેંસ જ્યારે પ્લુટોક્રેસી એટલે ધનિકશાહી, ધનિકવર્ગનું શાસન અને ધનિક વ્યક્તિઓને બનેલો શાસકવર્ગ (ગુજરાતી લેક્સિકોન પ્રમાણે). આ મુલાકાતમાં તેમણે અત્યંત દુઃખ સાથે કહ્યું હતું કે, 'આ દેશમાં તમે જાતિ, ધર્મ, જ્ઞાતિ, મંદિર, મસ્જિદના નામે કંઈ પણ કરી શકો છો. તમે કોઈ પણ વ્યક્તિની હત્યા કરી શકો છો પણ તમારી પાસે ટોળું હોવાથી તમારું કોઈ બગાડી શકતું નથી' આ વાત અત્યારે 14 વર્ષ પછી પણ એટલી જ સચોટ છે.

શુ્ક્રવારે ટોળવાદી સાંસદોએ ભીમરાવ આંબેડકરના એક કાર્ટૂનને મુદ્દે સંસદમાં તેમની બુદ્ધિક્ષમતાનું પ્રદર્શન કર્યું અને તેમાં આપણી સંસદીય લોકશાહીના અવમૂલ્યનોનો નગ્ન ચિતાર આપ્યો. તેમણે માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલ પાસેથી રાજીનામું માંગ્યું. કોંગ્રેસના જ એક નેતા પી એલ પુનિયાનું કહેવું છે કે સિબ્બલ રાજીનામું આપે અથવા દેશની માફી માંગે. પ્રભા ઠાકુરનું કહેવું છે કે કાર્ટૂનને મંજૂરી આપનાર તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. ભાજપ, બીએસપી સહિત વિરોધ પક્ષના તમામ તકવાદી નેતાઓએ પણ દલિતોને રીઝવવાની તક ઝડપી લીધી છે. પણ આ તમામ મતમતલબીઓમાંથી કેટલાંક એ પણ જાણતા નથી કે આ કાર્ટૂન કોણે બનાવ્યું હતું? આ કાર્ટૂન કોણે બનાવ્યું હતું? ક્યારે બનાવ્યું હતું? અને આ વિવાદને ત્રણ દિવસ પસાર થયા પછી પણ પોતાને રાજકીય બાબતોમાં નબર વન ગણતાં 'ગદર્ભરાજ' પત્રકારો અખબારો અને સામયિકોમાં આંબેડકરનું કાર્ટૂન શોધી રહ્યાં છે.

હકીકતમાં જે કાર્ટૂનને લઈને વિવાદ ઊભો થયો છે તેની રચના ભારતીય સંસદની પ્રથમ બેઠક શરૂ થઈ એના ત્રણ વર્ષ અગાઉ એટલે કે 1949માં બનાવવામાં આવ્યું હતું. 28 ઓગસ્ટ, 1949ના રોજ આ કાર્ટૂન દેશના મહાન કાર્ટૂનિસ્ટોમાંના એક શંકર પિલ્લઈએ બનાવ્યું હતું. કાર્ટૂનમાં કટાક્ષ કરવામાં આવ્યો છે કે બંધારણની રચનાની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. તેમાં તેના સંચાલકો તરીકે જવાહરલાલ નહેરુ અને આંબેડકરને દેખાડવામાં આવ્યાં છે. આપણા બંધારણનું નિર્માણ કરવામાં બંધારણીય સભાને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા અને કાર્ટૂનિસ્ટે તેના પર કટાક્ષ કર્યો હતો. આ કાર્ટૂન પ્રકાશિત થયું ત્યારે નેહરુ અને આંબેડકર-બેમાંથી એક પણ નેતાએ તેનો વિરોધ કર્યો નહોતો. તેમણે શંકર સામે દ્વૈષભાવ પણ રાખ્યો નહોતો. એ પછી તો શંકરને પહ્મશ્રી, પહ્મભૂષણ અને પહ્મવિભૂષણથી બિરદાવવામાં આવ્યાં હતા. તેમાં આંબેડકરના અપમાન જેવું કશું નહોતું. પછી એ કાર્ટૂનને બધા પક્ષો ભૂલી ગયા હતા, પણ છ વર્ષ અગાઉ આ કાર્ટૂનને એનસીઇઆરટીના એક પાઠ્યુપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યું. છ વર્ષ સુધી દલિતોની મતબેન્કો પર તાતાથૈયા કરતાં અને પોતાને 'દલિતોના મસીહા' ગણાવતા સાંસદોની નજર આ કાર્ટૂન પર ગઈ નહોતી. પણ આશરે 2,000 દિવસો પછી 'આંબેડકરના આ સ્વયંભૂ માનસપુત્રો'એ એનસીઇઆરટીની પુસ્તકોમાથી કાર્ટૂનને હટાવવાની માંગણી કરી છે.

આ બુદ્ધિહીન સાંસદોની માંગણીના વિરોધમાં શુક્રવાર સાંજ સુધીમાં આ પુસ્તકની રચના કરનાર સમિતિના મુખ્ય સલાહકાર યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્સીકરે રાજીનામું આપી દીધું. આ પુસ્તકને મંજૂરી આપવામાં યોગેન્દ્ર યાદવ અને સુહાસ પલ્સીકર જ સામેલ નહોતા, પણ તેના પર નિરીક્ષણ સમિતિએ પણ મંજૂરીની મહોર મારી હતી. આ સમિતિના સહઅધ્યક્ષ પ્રોફેસર મૃણાલ મિરી અને જી પી દેશપાંડે જેવા વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ હતા. જી પી દેશપાંડેએ તો દલિત સુધારક જ્યોતિબા ફુલે પર ઉત્તમ દરજ્જાનું નાટક પણ લખ્યું છે. આ સમિતિએ મંજૂર કર્યા પછી પુસ્તકને રાષ્ટ્રીય નિરીક્ષણ સમિતિ સમક્ષ મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોફેસર ગોપાલ ગુરુ અને જોયા હસન જેવા દિગ્ગજો સામેલ છે. આ લોકો દલિતોના અધિકારો માટે લડે છે અને તેમણે પણ આંબેડકરના કાર્ટૂન સાથે પુસ્તકને મંજૂરી આપી હતી. તેમને કાર્ટૂનમાં દલિતો કે આંબેડકરના અપમાન જેવું કશું લાગ્યું નહોતું. પણ આ વિવાદ સૂચવે છે કે ભારતીય સંસદમાં છ દાયકામાં કેવી માનસિકતા ધરાવતા લોકો પ્રવેશી ગયા છે? આપણી સંસદની ગરિમાનું અવમૂલ્યન કેટલી હદે થયું છે? શંકરના આંબેડકર પરના કાર્ટૂનને છ દાયકા થઈ ગયા છે અને આ કાર્ટૂને આપણા સંસદોનું બૌદ્ધિક સ્તર કેટલું કથળી ગયું છે તે દર્શાવ્યું છે, આપણી લોકશાહીની પોકળતા ખુલ્લી કરી છે...

ચલત-ચલતેઃ સ્વતંત્ર્તાનો ખોટો ઉપયોગ થવાનું જોખમ છે, તેમ છતાં હું સ્વતંત્ર પ્રેસનો હિમાયતી છું - જવાહરલાલ નેહરુ (શંકરનું કાર્ટૂન પ્રકાશિત થયાના એક વર્ષ પછીનું નિવેદન)

Saturday, April 28, 2012

અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં કોણે સંડોવ્યા?


તમને સૌથી વધુ નફરત કોણ કરે છે? 
તમને સૌથી વધુ કોણ ધિક્કારે છે? 
તમારી સૌથી વધુ અવગણના કોણ કરે છે?
તમારા સારા કામની પ્રશંસા થતી હોય ત્યાંથી ચૂપચાપ સરકી કોણ જાય છે?
તમારું કામ સારું ન દેખાય પણ ભૂલો ઊડીને આંખે વળગે એવી તક તરત જ કોણ ઝડપી લે છે?

આ પાંચેય પ્રશ્રોનો જવાબ એક જ છેઃતમારા પ્રતિભાથી અસુરક્ષિતતા અનુભવતી વ્યક્તિ, તમારા કરતાં ઊંચો હોદ્દો ધરાવતી, પણ ઓછી કાબેલિયત ધરાવતી વ્યક્તિ. અમિતાભ બચ્ચનને બોફોર્સ કૌભાંડમાં કોણે સંડોવ્યા? અમિતાભના સંદર્ભમાં ઉપરોક્ત પ્રશ્રોનો વિચાર કરીએ. 1990ના દાયકામાં અમિતાભ બચ્ચને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની અસીમ લોકપ્રિયતાથી કોણ ડરતું હતું? તેમને સૌથી વધુ નફરત કોણ કરતું હતું? તેમની કાર્યનિષ્ઠાની ઇર્ષા કોને હતી? તેમની રાજીવ ગાંધી સાથેની નિકટતા કોની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી? તેમના સારાં કામ કોણ સાંખી શકતું નહોતું? તેમની અવગણના કોણ કરતું હતું? આ તમામ જવાબો પણ તમને એક જ વ્યક્તિ તરફ દોરી જાય છે અને એ વ્યક્તિથી છેઃવી પી સિંહ.

1990નો એ દાયકાના એ અંતિમ વર્ષો હતાં. એ વખતે હું પાંચમા ધોરણમાં ભણતો હતો અને પહેલી વખત 'કાળો અંગ્રેજ'  શબ્દ કાને પડ્યો હતો. દિવ્યાની ટીચર ગુજરાતી વિષયનો પીરિયડ લેતાં હતાં અને અચાનક એક પત્થર અમારા ક્લાસમાં પડ્યો.  તેના પર કાગળ વીંટાળેલું હતું અને વિદ્યાર્થીઓને છોડી દેવાની ધમકી આપી હતી. સવારે સાડાઆઠ વાગે જ સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા અને બહાર આવીને જોયું તો કોલેજિયનો વી પી સિંહની નનામી બાળતાં હતાં. તેઓ વી પી સિંહને કાળો અંગ્રેજ કહેતા હતા. તેમની  આંખોમાં આક્રોશ હતો. અનામત આંદોલનની આગ આખા દેશમાં ભભૂકી ઉઠી હતી. દેશને અનામતની આગમાં હોમી દેનાર આ જ વી પી સિંહે અમિતાભ બચ્ચનનું નામ જાણીજોઈને બોફોર્સ પ્રકરણમાં સંડોવ્યું હતું. અમિતાભ બચ્ચને જે રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો એ જોઈને જ વી પી સિંહ ધ્રુજી ગયા હતા. અમિતાભને 1982માં 'કૂલી' ફિલ્મના શૂટિંગ દરમિયાન પેટમાં ઇજા થઈ ત્યારે અમિતાભની લોકપ્રિયતા વિશે વી પી સિંહે સાંભળ્યું હતું. પણ અમિતાભે અલ્હાબાદમાં લોકસભાની ચૂંટણીમાં જે રીતે વિજય મેળવ્યો તેને જોઈને વી પી સિંહની આંખો ફાટી ગઈ હતી.

ઇન્દિરા ગાંધીની હત્યા થઈ પછી રાજીવ ગાંધી વડાપ્રધાન થયા હતા અને તે તેમના જિગરજાન મિત્ર અમિતાભ બચ્ચનને પણ રાજકારણમાં ખેંચી લાવ્યા હતા. 1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે રાજીવ ગાંધીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની જવાબદારી સંભાળતા વી પી સિંહને અલ્હાબાદની બેઠક પરથી ટિકિટ આપવા આદેશ કર્યો હતો. પણ વી પી સિંહ કોઈ પણ સંજોગોમાં અમિતાભને ટિકિટ આપવા તૈયાર નહોતા. વાત એમ હતી કે અલ્હાબાદમાં એ બેઠક પરથી ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારતીય લોકદળના ઉમેદવાર હેમવંતી નંદન બહુગુણાએ ઉમેદવારી નોંધાવી હતી. વી પીએ કમને અમિતાભને ટિકિટ આપી, પણ તેમને એમ હતું કે બહુગુણા સામે અમિતાભ હારી જશે. પણ પરિણામ આવ્યું તો તેઓ ચકિત થઈ ગયા. હેમવંતી નંદન બહુગુણાની ડીપોઝિટ જપ્ત થઈ ગઈ હતી. ઉત્તરપ્રદેશના રાજકારણમાં સોપો પડી ગયો હતો. બહુગુણા ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને તેમની સામે અમિતાભને 68 ટકા મત મળ્યાં હતાં. ઉત્તરપ્રદેશમા રાજા તરીકે જાણીતા વી પીને પણ આટલી જંગી સરસાઈ સાથે વિજય મળ્યો નહોતો. અમિતાભના વિજયની ઉજવણી આખા ઉત્તરપ્રદેશે કરી હતી. અલ્હાબાદમાં અમિતાભનું વિજય સરઘર જોઈને અને રાજીવ ગાંધીના અમિતાભ પ્રત્યેના પ્રેમને જોઈને વી પી સમસમી ગયા હતા. તેમણે રાજીવને અમિતાભથી દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. તેનું એક ઉદાહરણ જોઈએ.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ પછી રાજીવ ગાંધી દેશમાં વિવિધ સ્થળે જતાં હતાં અને સભાઓ સંબોધતા હતા. આવી જ એક સભામાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ હતા. સભામાં મંચ પર રાજીવ ગાંધી બોલવા ઊભા થયા ત્યારે જનતાએ તેમને બોલવા ન દીધા અને અમિતાભને સાંભળવાનો આગ્રહ કર્યો. રાજીવ ગાંધીએ પ્રેમથી માઇક અમિતાભના હાથમાં આપી દીધું અને રેલી પૂર્ણ થયા પછી અમિતાભને કહ્યું હતું કે, તને તારી લોકપ્રિયતાનો અંદાજ નથી, મને છે! રાજીવ ગાંધી અને અમિતાભના સંબંધોમાં અહંકાર ક્યારેય આડખીલીરૂપ બન્યો નહોતો, વી પી સિંહે પ્રયાસો કર્યા હોવા છતાં. એ રેલીની જાણકારી મળ્યાં પછી વી પી સિંહે તેમના ચમચાઓ વતી રાજીવ ગાંધીની કાનભંભેરણી કરી હતી. તેમણે રાજીવ ગાંધીને પરોક્ષ રીતે ચેતવ્યા હતાં કે, તેઓ આ રીતે અમિતાભને આગળ વધારશે તો ભવિષ્યમાં રાજીવને હાંસિયામાં ધકેલીને અમિતાભ દેશના વડાપ્રધાન બની જશે. આ વાત સાંભળીને રાજીવ ગાંધી હસી પડ્યાં હતાં અને કહ્યું હતું કે, તો વી પી સિંહ રાજકારણ છોડી દેશે! વી પી સિંહ સહિત કોંગ્રેસના કેટલાંક નેતાઓને અમિતાભ પ્રત્યે ખુન્નસ છે તે રાજીવ જાણતા હતા.

રાજીવ ગાંધીના વડાપ્રધાન પદના કાર્યકાળ હેઠળ વી પી સિંહ નાણાં પ્રધાન હતા અને તેમણે તેમના મંત્રાલયનો દૂરપયોગ રાજીવ ગાંધીના જ મિત્રો પર દરોડા પડાવવા કર્યો હતો. તેમાં ધીરુભાઈ અંબાણી પણ હડફેટે ચડી ગયા હતા. હકીકતમાં વી પી સિંહ અંદરખાને રાજીવ ગાંધીને વડાપ્રધાન પદને લાયક ગણતા જ નહોતા (વી પી સિંહ એવું માનતા હતા કે તેઓ એકમાત્ર દેશના વડાપ્રધાન બનવાને લાયક છે, બાકી બધા નાલાયક!)  તેઓ રાજીવ ગાંધીને ધિક્કારતાં હતાં, પણ સત્તામાં રહેવા રાજીવ ગાંધીના હાથ નીચે કામ કરવા કમને તૈયાર થયા હતા. આ દરમિયાન અલ્હાબાદ, ઉત્તરપ્રદેશ અને કોંગ્રેસમાં અમિતાભની લોકપ્રિયતા વધી રહી હતી. રાજીવ ગાંધી પણ અમિતાભથી ખુશ હતા. અમિતાભ અલ્હાબાદના સાંસદ તરીકે સારું કામ કરતાં હતાં એટલે વી પી અને ઉત્તરપ્રદેશમાં તેમના માણસોના પેટમાં તેલ રેડાયું હતું. વી પી અઠંગ રાજકારણી હતા. તેઓ જાણતા હતા કે ઉગતા રાજકારણીને નાથવો હોય તો એ જ્યાંથી ચૂંટણી લડ્યો હોય એ જ વિસ્તારમાં તેને ધૂળ ચટાડવી. તેમણે અલ્હાબાદમાં જ અમિતાભની સાંસદ તરીકેની છબી ખરડાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા હતા અને સાંસદ તરીકે અમિતાભને મળતું ભંડોળ લગભગ સ્થગિત કરાવી દીધું હતું. અલ્હાબાદમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન સુપરસ્ટારે હોસ્પિટલો, શાળા, કોલેજે વગેરે લોકોપયોગી સંસ્થાઓ સ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. પણ કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર પાસેથી ભંડોળ ન મળતાં અમિતાભ બચ્ચન અલ્હાબાદમાં જનોપયોગી કાર્યો આગળ ધપાવી શકતા નહોતા. બીજી તરફ વી પીના જ માણસોએ અમિતાભ વિરૂદ્ધ અલ્હાબાદમાં પ્રચાર શરૂ કરી દીધો હતો. તેઓ અમિતાભની રાજકીય યાત્રાને અલ્હાબાદમાં જ અટકાવી દેવા ઇચ્છતા હતા.

અમિતાભને આ વાતની જાણકારી મળી હતી તેમ છતાં તેમણે રાજીવ ગાંધીને વી પી સિંહ વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરી નહોતી. પણ રાજીવ ગાંધીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વી પીને આકરી ભાષામાં તેમની ઔકાત દેખાડી દીધી હતી. એ વખતે વી પી સમસમી ગયા હતા, પણ ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું હતું. આ ગાળામાં હોવિત્ઝર તોપ ખરીદવા માટે ભારત સરકારે બોફોર્સ એબી કંપની સાથે સોદો કર્યો હતો. તેમાં રાજીવ ગાંધી સહિત બીજા કેટલાંકે રૂ.64 કરોડની કટકી કરી હોવાના આરોપ મૂકાયા. એ સમયે રાજીવ ગાંધી સંરક્ષણ પ્રધાન હતા અને વી પી સિંહને તેમની મહત્વાકાંક્ષા સંતોષવાની તક મળી ગઈ. તેમણે દેશની જનતા સામે સારું દેખાડવા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને રાજીવ ગાંધીને બદનામ કરવાની એક પણ તક ન છોડી. બોફોર્સ મામલો આખા દેશમાં ગજાવ્યો અને 1984માં વિક્રમી બહુમતી સાથે ચૂંટાઈ આવેલી કોંગ્રેસને 1989માં વિરોધ પક્ષની પાટલી પર બેસવાની ફરજ પડી. અત્યારે બોફોર્સ મામલે અમિતાભ બચ્ચનને કોણે સંડોવ્યા તેવો પ્રશ્ન પૂછી સંસદમાં ધમલ મચાવે છે એ જ ભાજપે વી પી સિંહને બહારથી ટેકો આપીને વડાપ્રધાન બનાવ્યા.

વડાપ્રધાન આવ્યા પછી તેમણે પહેલું કામ રાજીવ ગાંધી અને તેમના સાથીદારોને હેરાન-પરેશાન કરવાનું કર્યું. તેઓ જાણતા હતા કે તેમના મજબૂત હરિફ રાજીવ ગાંધી જ છે. તેમણે અમિતાભ બચ્ચનું નામ જાણીજોઈને આ મામલમાં સામેલ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. તેઓ એક તીર વડે બે નિશાન તાકવા માગતા હતા. એક, આખો મામલો અખબારો છવાયેલો રહે અને બે, અમિતાભ ફરી અલ્હાબાદથી સાંસદની ચૂંટણી લડે તો તેમને હરાવવા એક મજબૂત બહાનું મળી જાય. પણ અમિતાભ તેમની આ રાજરમત સમજી ગયા હતા. તેમણે સાંસદ તરીકે રાજીનામું આપી દીધું...


ચલતે-ચલતેઃ હું રાજકારણમાં ઝીરો છું - અમિતાભ બચ્ચન

બાબા રામદેવઃ ગુરુ નહીં ગુરુઘંટાલ...


કાળાં નાણું કેવી રીતે બને છે? સામાન્ય રીતે કરવેરામાં ચોરી કરીને ઊભી કરવામાં આવેલી રકમ અને ટ્રસ્ટને દાનપેટે મળેલા રૂપિયામાંથી કાળું નાણું બને છે. આ ધનનું રોકાણ ઉદ્યોગોમાં કરવામાં આવે છે અને તેમાંથી ઊભી થનારી રકમને દેશની જમીન અને હીરા-ઝવેરાતમાં રોકવામાં આવે છે. તેમ છતાં કાળું નાણું વધે તો તેને ચોરીછૂપી વિદેશોમાં મોકલી દેવામાં આવે છે. બાબા રામદેવે તેમના કાળાં નાણાંમાંથી મોટા પાયે જમીનની ખરીદી કરી છે. હકીકતમાં બાબા રામદેવ ભગવા વસ્ત્રોની આડમાં જમીનદાર જ છે, જેમણે પોતાના આડતિયાઓ, ટ્રસ્ટો અને સંસ્થાઓના નામે અબજો રૂપિયાની જમીન પર કબજો કરી લીધો છે.

રામદેવે આચાર્ય બાલકૃષ્ણ, દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટના નામે દિલ્હી-માણા નેશનલ હાઈવે પર હરિદ્વાર અને રુડકી વચ્ચે શાંતરશાહ નગર, બઢેડી, રાજપૂતાના અને બોંગલામાં મોટા પાયે જમીન ખરીદી છે. અહીં 23.798 હેક્ટર જમીન પર પતંજિલ ફેઝ-1, ફેઝ-2 અને પતંજલિ વિશ્વવિદ્યાલય બની છે.

શાંતરશાહ નગર અને તેની આસપાસ રામદેવની 1000 વીઘાથી વધારે જમીન છે. પણ આ ગુરુઘંટાલ રામદેવના આડતિયાઓ અને ટ્રસ્ટોના નામે ફક્ત 30 વીઘા જમીન નોંધાયેલી છે. આ જમીનની ખરીદી કાળાં નાણામાંથી જ થઈ છે. બાબાના ચાટુકરશિરોમણી આચાર્ય બાલકૃષ્ણના પીએનું નામ ગગનકુમાર છે. તેમનો પગાર મહિને રૂ.8,000 છે અને તેમણે 15 જાન્યુઆરી, 2011ના રોજ શાંતરશાહ નગરમાં 1.446 હેક્ટર જમીન ખરીદી છે. આ જમીનની ખરીદી રૂ.35 લાખમાં કરવામાં આવી છે જ્યારે તેનો બજારભાવ ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા છે. આ અગાઉ ગગને રુડકી તાલુકાના બાબલી-કલન્જરી ગામમાં રૂ.1.37 કરોડની જમીન ખરીદી હતી જ્યારે તેના સાચા બજારભાવ રૂ.15 કરોડથી વધારે છે. આ રીતે રામદેવે હરિદ્વારની આસપાસ અબજો રૂપિયાની જમીન ખરીદી છે. મહિને રૂ.8,000નો પગાર ધરાવતા ગગન પાસે જમીન ખરીદવા કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા?

શાંતરશાહ નગર, બઢેડી, રાજપૂતાના અને બોંગલામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યા પછી રામદેવની નજર હરિદ્વારની ઔરંગાબાદ ન્યાય પંચાયત પર પડી. આ પંચાયતમાં રાજાજી રાષ્ટ્રીય પાર્કની સરહદ પર સ્થિત ઔરંગાબાદ અને શિવદાસપુર ઉર્ફે તેલીવાલા ગામ સામેલ છે. ઉત્તરાખંડના જમીન સંબંધિત કાયદા અનુસાર રાજ્યની બહારનો કોઈ પણ વ્યક્તિ કે ટ્રસ્ટ રાજ્યમાં 250 ચોરસ મીટરથી વધારે કૃષિલક્ષી જમીન ખરીદી ન શકે. જ્યારે જુલાઈ, 2008માં ઉત્તરાખંડની ભાજપ સરકારે રામદેવે નિયમોમાં તમામ છીંડાનો ઉપયોગ કરીને ઔરંગાબાદ, શિવદાસપુર વગેરે ગામમાં રામદેવને 75 હેક્ટર જમીન ખરીદવાની મંજૂરી આપી હતી. એ પછી તો એકલા ઔરંગાબાદ ગામમાં જ બાબાના ટ્રસ્ટ અને તેમની ચમચામંડળીએ સામ,દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને 2,000 વીઘા જમીન પર કબ્જો કરી લીધો છે. એ જ રીતે શિવદાસપુર ગામમાં રામદેવના પતંજલિ યોગ પીઠ ટ્રસ્ટે 2,325 વીઘા જમીન પર કબ્જો કરી લીધો છે.

હરિદ્વારમાં રામદેવના સામ્રાજ્યનું ત્રીજું કેન્દ્ર પદાર્થા-ઘનપુરા ગ્રામસભાની આસપાસ છે. અહીં રામદેવે મુસ્તફાબાદ, ઘનપુર, ઘિસ્સુપુરા, રાનીમાજરા અને ફેરુપુરા મૌજામાં જમીનોની મોટા પાયે ખરીદી કરી છે. આ જમીન પતંજલિ આયુર્વેદ લિમિટેડના નામે ખરીદવામાં આવી છે. સરકારે આ જમીન પર ઔષધિ નિર્માણ અને આયુર્વેદિક સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવાના આશય સાથે મંજૂરી આપી હતી. પણ પાછળથી અહીં ફૂડ પાર્ક લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. આ પાર્ક 700 વીઘા જમીન પર કાર્યરત છે. ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના રાજ્યોમાં રામદેવની છાપ સંત કે યોગગુરુ જેવી છે જ નહીં. તેને ઉત્તર ભારતીયો ગુરુઘંટાલ, દલાલ કે જમીનદાર તરીકે જ કહે છે. કેટલાંક લોકો તો તેને રાજકારણીઓના કાળાં નાણાંને સાચવનાર એજન્ટ તરીકે પણ ઓળખાવે છે. એટલે જ તેમને ભ્રષ્ટાચાર સામેની લડતમાં જોઈએ તેવું સમર્થન મળતું નથી અને નહીં જ મળે.

Monday, April 23, 2012

કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા ઊપજે


સંતાનવૃદ્ધિને મર્યાદામાં મૂકવાની જરૂર છે એ બાબતમાં તો બે અભિપ્રાય હોઈ જ ન શકે. પણ તેનો એકમાત્ર માર્ગ જમાનાઓ થયા આપણને વારસામાં અપાયેલો સંયમ - બ્રહ્મચર્ચ - છે. એ એક રામબાણ ઉપાય છે અને તેના પાલન કરનારનું તે કલ્યાણ કરે છે. દાક્તરી વિદ્યાવાળા જનનમર્યાદા માટે કૃત્રિમ સાધનોની શોધો કરવાને બદલે જો બ્રહ્મચર્યના પાલનના ઉપાયો યોજશે તો સદાના માટે મનુષ્યજાતિના સદા માટે આશીર્વાદ મેળવશે.

કૃત્રિમ સાધનો એ દુરાચારને ઉત્તેજન આપવા જેવું છે. પુરુષને તેમ જ સ્ત્રીને તે આંધળાંભીંત કરી મૂકે છે. અને આ ઉપાયોને જે પ્રતિષ્ઠા અપાઈ રહી છે તેથી સામાજિક માન્યતાઓને જે કંઈ દાબ માણસ ઉપર રહે છે તેને પણ ઊડતાં વાર નથી લાગવાની. કૃત્રિમ સાધનોના પ્રયોગથી નપુંસકતા અને નિર્વીર્યતા જ ઊપજે. રોગ કરતાં ઇલાજ જ વધુ ઘાતક નીવડવાનો.

પોતાના કર્મના ફળમાંથી બચી જવાની કોશિશ કરવી એ ખોટું છે, અનીતિમય છે. જે અકરાંતિયો થઈ વધુ ખાઈ લે તેને પેટમાં ચૂંક આવે અને પછી ઉપવાસ કરવો પડે એ જ સારું છે. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકી દઈ ભૂખ ઉપરાંત ઠાંસીને ખાઈ લીધા પછી તેના કુદરતી પરિણામમાંથી બચવા ખાતર પાચક ઓસડ લેવાં એ ખોટું છે. પણ માણસ પોતાની પાશવિક ભોગવૃત્તિને સંતોષીને તેના પરિણામમાંથી બચી જાય એ તેથીયે જુદું છે. કુદરત કોઈની દયા ખાતી નથી અને પોતાના નિયમોના ઉલ્લંઘનનું પૂરેપૂરું ભાડું લે છે. સાત્વિક અને શુભ પરિણામ તો વાસનાઓના નિગ્રહથી જ મેળવી શકાય. બીજા બધા ઉપાયોનાં પરિણામ વિષમ જ આવે.

ગાંધીગંગાઃ કૂતરાંબિલાડાંની પેઠે થતી પ્રજાવૃદ્ધિ બેશક અટકાવવી જોઈએ

Saturday, April 21, 2012

બાબા રામદેવઃ કરચોર નંબર વન...


ગુરુ અને ગુરુ ઘંટાલમાં ફરક છે, પણ બાબા રામદેવના ચેલાઓ અને ચેલીઓ તેમજ તેમના આંદોલનને સમર્થન આપતી આ દેશની 'ઇમોશનલ ફૂલ' જનતા આ ભેદને સમજતી નથી. આપણો દેશ લાગણીપ્રધાન છે. ભારતીયોને લાગણીના પ્રવાહમાં વહીને છેતરાઈ જવાની અને તેના પર પાછો ગર્વ અનુભવવાની ટેવ પડી ગઈ છે. રાજકીય આંદોલનોમાં સક્રિય થવા માટેની પહેલી શરત એ છે કે તમારી પાસે રાજકારણ સંબંધિત માહિતી અને સમજણ હોવા જોઈએ. તેમાં લાગણીને કોઈ અવકાશ નથી. પણ ભારતમાં આ બાબતે ઊલટી ગંગા વહે છે. અહીં માહિતી મેળવવા અને સતત માહિતગાર રહેવાની કોઈને દરકાર નથી તેમજ સમજણ મેળવવાની ક્ષમતા નથી. રાજકીય મૂર્ખતા ભારતીયોનો આનુવંશિક ગુણ છે. આ સંજોગોમાં બાબા રામદેવ જેવા ગુરુ ઘંટાલ રામલીલા મેદાનમાં તાયફો કરી શકે છે, ભીંસમાં આવે તો મંચ પરથી માંકડછાપ ઠેકડો મારી શકે છે, પોલીસના ડંડાથી બચવા પોતાની અનુયાયી મહિલાનો ડ્રેસ મેદાનના એક ખૂણામાં ઉતરાવી શકે છે અને સ્ત્રીના લિબાસમાં ઊભી પૂછડીએ નાસી શકે છે. આ કળિયુગના રણ-છોડે ફરી દિલ્હીમાં ધામા નાંખ્યા છે અને કેન્દ્ર સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંદોલન કરવાની જાહેરાત કરી છે. તેમણે શુક્રવારે કહ્યું કે, ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓનો પર્દાફાશ થયા પછી સરકાર સત્તાસ્થાને રહે એવું ફક્ત ભારતમાં જ શક્ય છે. પણ આ દેશમાં કાળાં નાણાંના ઢગલાં ખડકીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરનાર બાબાઓ, કાબાઓ અને ગુરુ ઘંટાલો સરકાર સામે આંદોલન કરી શકે એ પણ શક્ય નથી? 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ભ્રષ્ટાચારી જ છે. આ દેશમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો છે. પણ સવાલ નૈતિકતાનો છે. આપણા પોતાના ઘર કાચના બનેલા હોય ત્યારે બીજાના ઘર પર પત્થર ફેંકવાનું કેટલું યોગ્ય છે? બીજા લોકોને પ્રામાણિકતાના પાઠ ભણાવતા પહેલા આપણે પોતે ઇમાનદાર હોવા જોઈએ અને બાબા રામદેવ ભ્રષ્ટાચારનો ઘુઘવાતો દરિયો છે. તેમના અબજો રૂપિયાના સામ્રાજ્યના પાયામાં કાળું નાણું છે. તેમને સરકાર સામે આંદોલન કરવાનો અધિકાર જ નથી. તેઓ પોતે કાણાં નાણાંનો અસ્ખલિત સ્રોત છે. ચાલો, તેમની કેટલીક કરતૂતો વિશે જાણકારી મેળવીએ. 

યોગગુરુ નહીં કરચોર નંબર વન

સરકારને ભ્રષ્ટાચારી કહેનાર રામદેવ દેશના સૌથી મોટા કરચોરોમાં સામેલ છે. ડેવિડ ધવન કરચોર નંબર વન ફિલ્મ બનાવવાનું વિચારતાં હોય તો તેમાં મુખ્ય અભિનેતા તરીકે સૌથી ઉપયુક્ત નટ બાબા રામદેવ જ છે. રામદેવની કરચોરીનો પર્દાફાશ ઉત્તરાખંડના હરિદ્વારા વેચાણવેરા વિભાગે વર્ષ 2004માં કર્યો હતો. એ સમયે બાબા રામદેવે યોગગુરુ સ્વરૂપે પ્રસિદ્ધ થઈ રહ્યાં હતા. ચારે તરફ તેમની ચર્ચા હતી. ટીવી ચેનલો તેમની પાસેથી રૂપિયા લઈને તેમની આરતી ઉતારતી હતી. દેશના અલગ-અલગ શહેરોમાં તેમની યોગ શિબિરોમાં પગ મૂકવાની જગ્યા મળતી નહોતી. તેમના ઉદ્યોગસાહસ દિવ્ય ફાર્મસીની દવાઓ પર લોકો તૂટી પડ્યા હતા. જેને જરૂર હતી એ તો ખરીદતા જ હતા, પણ કેટલાંક દોઢ ડાહ્યાંઓએ સાવેચતીના ભાગરૂપે તેનું સેવન કરવાની શરૂઆત કરી દીધી હતી. પણ તમને ખબર છે કે નાણાકીય વર્ષ 2004-05માં રામદેવની આ કંપનીએ કેટલા રૂપિયાનું વેચાણ દેખાડ્યું હતું? 

ફક્ત રૂ.6,73,000. એ સમયે રામદેવના હરિદ્વાર આશ્રમમાં રોગીઓના ટોળાં જામતાં હતાં. પોસ્ટઓફિસ મારફતે પણ લાખો રૂપિયાની દવાઓ દેશવિદેશમાં મોકલવામાં આવતી હતી. રામદેવની લીલાઓ જોઈને ઉત્તરાખંડના વેચાણવેરા વિભાગને આ આંકડો ખોટો હોવાની શંકા ગઈ એટલે હરિદ્વારની પોસ્ટઓફિસ પાસેથી માહિતી માંગવામાં આવી. તેમાંથી જે આંકડા મળ્યાં તેને જોઈને વેચાણવેરા અધિકારીઓને તો પાક્કી ખાતરી થઈ ગઈ કે બાબા રામદેવ ન તો સાધુ છે, ન સંત છે, પણ પાક્કો વેપારી છે. એ ગુરુ નથી, ગુરુ ઘંટાલ છે. પોસ્ટઓફિસના આંકડા મુજબ, એ વર્ષે રામદેવની દિવ્ય ફાર્મસીએ 3,353 પાર્સલો મારફતે 2,509.256 કિલોગ્રામ માલ બહાર મોકલ્યો હતો. આ ઉપરાંત રૂ.13,13,000 મૂલ્યના વીપીપી પાર્સલ રવાના થયા હતા. એ જ વર્ષે ફાર્મસીને રૂ.17,50,000ના મની ઓર્ડર પણ મળ્યા હતા.તમામ આંકડાઓનો આધારે વેચાણવેરા વિભાગના સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન સેલ (એસઆઇટી)એ દિવ્ય ફાર્મસીની વિવિધ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. તેમાં વેચાણવેરાની ચોરી મોટા પાયે પકડાઈ. આ દરોડા પાડવામાં મુખ્ય ભૂમિકા જગદીશ રાણા નામના વેચાણવેરા અધિકારીએ ભજવી હતી. તેઓ એ સમયે હરિદ્વારના વેચાણવેરા વિભાગમાં ડેપ્યુટી કમિશનર હતા. તેમના કહેવા મુજબ, એ વર્ષે ગુરુ ઘંટાલ રામદેવે રૂ.પાંચ કરોડના વેચાણવેરાની ચોરી કરી હતી. તેઓ આ કરચોરી કેવી રીતે કરે છે? 

સામાન્ય રીતે કંપનીઓ કરચોરી કરવા માટે પોતાના પરિવારના સભ્યોના નામે ટ્રસ્ટ બનાવતાં હોય છે. રામદેવે પણ અનેક ટ્રસ્ટોની માયાજાળ રચી છે. તેમની દવાઓનું ઉત્પાદન કરતી કંપની દિવ્ય્ ફાર્મસી વેચાણવેરો ન ભરવો પડે એટલે દવાઓના સ્ટોકને ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દે છે. વર્ષ 2004માં દિવ્ય ફા્ર્મસીએ વેચાણવેરા વિભાગને જેટલી રકમનું વેચાણ દેખાડ્યું હતું, તેના કરતાં પાંચ ગણા મૂલ્યની એટલે કે રૂ.30,17,000ની દવાઓ 'દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ'ને ટ્રાન્સફર કરી હતી. આ ટ્રસ્ટનું સંચાલન બાબા રામદેવના લાલિયા, બાલિયા અને પાલિયા જ કરે છે. આવકવેરાના રિટર્નમાં બાબા રામદેવે જણાવ્યું કે આ દવાઓ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વહેંચવામાં આવે છે. હકીકતમાં આ દવાઓનું વેચાણ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ દ્વારા થતું હતું અને એ પણ તગડા ભાવે. રામદેવ ગરીબોના નામ આ પ્રકારના જુદાં જુદાં ટ્રસ્ટ ચલાવે છે અને દિવ્ય ફાર્મસી આ ટ્રસ્ટોને દવાઓનો મોટો સ્ટોક ટ્રાન્સફર કરે છે, જેથી વેચાણવેરો ભરવો ન પડો. તમને જાણીને નવાઈ લાગશે કે ઉત્તરાખંડના વેચાણવેરા વિભાગમાં દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ અને પતંજલી યોગપીઠ ટ્રસ્ટનું હજુ સુધી રજિસ્ટ્રેશન પણ થયું નથી. નિયમ પ્રમાણે, રજિસ્ટ્રેશન કરાવ્યા વિના કોઈ પણ ટ્રસ્ટ કોઈ ચીજવસ્તુનું વેચાણ કરી ન શકે. પણ આ ટ્રસ્ટોમાંથી દરરોજ લાખો રૂપિયાની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લાં થોડા વર્ષ દરમિયાન દિવ્ય ફાર્મસીએ દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ, પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ અને અન્ય સ્થાનોમાં અબજો રૂપિયાની દવાઓનો સ્ટોક ટ્રાન્સફર કર્યો છે, જેના વેચાણ પર વેચાણવેરો ભરવો જરૂરી છે. અહીં સવાલ એ થાય છે કે, બાબા રામદેવ આ કાળાં નાણાંનું કરે છે શું? બાબા રામદેવે આ નાણાંમાંથી ઉત્તરાખંડના હરિદ્વારમાં જમીનનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે. (ક્રમશઃ)

Wednesday, April 18, 2012

ચમચાગીરી, ચાટુકારિતા અને ઓમ નરેન્દ્રાય નમઃ...



વફાદારી અને ચમચાગીરીમાં ફરક છે, પણ ગુજરાતીઓ અને હિંદુસ્તાનીઓ જાણીજોઈને ચમચાગીરીને વફાદારી ગણાવે છે. વફાદારી સાથે મર્યાદા જોડાયેલી હોય છે જ્યારે ચમચાગીરી અમર્યાદ અને હાસ્યાસ્પદ હોય છે. આપણા દેશમાં ગાંધી-નહેરુ પરિવારના ચમચાઓની જમાત જાણીતી છે અને આ જમાત શાશ્વત છે. ચમચાઓની એક પેઢી પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં ચમચાઓના ચિંધ્યા માર્ગે હજૂરિયાઓની યુવા પેઢી તૈયાર થઈ જાય છે. ભાજપના રાજકારણીઓ અવારનવાર આ ચમચા સંસ્કૃતિ પર પ્રહાર કરે છે, પણ હવે કોંગ્રેસી ચમચાઓને પણ શરમાવે તેવા હજૂરિયાઓ ભાજપમાં તૈયાર થઈ ગયા છે અને તેનું નેતૃત્વ પણ ગુજરાતે જ પૂરું પાડ્યું છે! આ સિદ્ધિને બિરદાવવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અખબારોમાં આખાં પાનાંની જાહેરાત ન આપવી જોઈએ?

ધારો કે આ પ્રકારની જાહેરાત આવે તો તેમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે આ પ્રકારનો સંદેશ હોવો જોઈએઃ દેશની ચમચા સંસ્કૃતિને નવું નેતૃત્વ પૂરું પાડવામાં અને નવી દિશા આપવામાં ગુજરાત સરકાર (એટલે નરેન્દ્ર મોદી) ગૌરવ અનુભવે છે! દેશના હાલના તમામ મુખ્યમંત્રીઓમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ છે તેમાં ના નહીં, પણ તેમના સાથીદારો પણ ઓછા વાઇબ્રન્ટ નથી અને તેમની વાઇબ્રન્સીથી કદાચ મોદી પણ ધ્રુજારી અનુભવી રહ્યાં છે. થોડા સમય અગાઉ સુરતમાં પણ એક હજૂરિયાએ નરેન્દ્ર મોદીના કાર્યોને કૃષ્ણની લીલા સમાન ગણાવ્યાં હતાં. નરેન્દ્ર મોદી દિલ્હી જઈ રહ્યાં છે એ નક્કી થઈ ગયા પછી તેમના ચમચાઓ વચ્ચે સ્પર્ધા જામી છે. તેઓ બધા ટપાકાં પાડી રહ્યાં છે, મોદીને કૃષ્ણાવતાર ગણાવી રહ્યાં છે અને એકસૂરે મંત્રોચ્ચાર કરી રહ્યાં છે, ઓમ નરેન્દ્રાય નમ!

કોંગ્રેસના કેટલાંક હાડોહાડ વિરોધીઓ ચાટુકારિતા સંસ્કૃતિના મૂળિયાં નહેરયુગમાં હોવાની ડંફાસો મારે છે, પણ ખરેખર તે સાચું નથી. ભારતની મહાન ધરતીમાં ચાટુકારિતાનો ઇતિહાસ છે. અઢારમી સદીમાં અંગ્રેજ રૉબર્ટ ક્લાઇવે કહ્યું હતું કે, હિંદુસ્તાનમાં દરેક માણસની એક કિંમત છે, તેને ફેંકીને એને ખરીદી શકાય છે. અંગ્રેજીમાં હજુરિયાઓ માટે, ચમચાઓ માટે, ચાટુકરો માટે 'કુરિયર્સ' શબ્દ છે. પશ્ચિમના દેશોમાં ચમચાગીરીને જઘન્ય આદત ગણવામાં આવે છે, પણ ગુજરાત સહિત હિંદુસ્તાનમાં સફળતા મેળવવાનો સૌથી સરળ માર્ગ ચાટુકારિતા છે. તમે જે ક્ષેત્રમાં કામ કરતાં હોવ તેના વિશે માહિતી અને સમજણ ઓછી હશે તો ચાલશે, પણ તમારા ઉપરી અધિકારીને પુચકારવામાં કુશળ હશો તો તમામ પ્રતિભાશાળી અને કુશળ સાથીદારોને પાછળ મૂકી દેશો. દેશમાં બહુ ઓછા ક્ષેત્રો છે જે ચાટુકારિતાથી મુક્ત છે. ચાટુકારો ચારે દિશામાં ફેલાયેલા છે અને મોટા ભાગના જાહેર ક્ષેત્રો પ્રતિભાથી વંચિત થતાં જાય છે. જોકે આ દેશને ચમચાઓની જેટલી જરૂર છે તેટલી પ્રતિભાશાળી વ્યક્તિની જરૂર નથી એ પણ હકીકત છે...

ચલતે-ચલતેઃ નેતાને તેના હરિફો કરતાં પણ વધારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા તેના હજૂરિયાઓમાં છે

Saturday, April 14, 2012

મોમતાઃ હસવા માટે નામ જ કાફી છે


ફ્રાંસના મહાન લેખન અને દાર્શનિક વોલ્તેયરે કહ્યું છે કે, હું ઈશ્વર પાસે ક્યારેય કશુંય માગતો નથી, પણ તેને મારી એક અરજ છે. હે ઈશ્વર, તું મારા દુશ્મનોને હાસ્યાસ્પદ અને મૂર્ખ બનાવજે અને એ મારી અરજ હંમેશા કબૂલ કરે છે.

માર્ક્સવાદીઓ એટલે ડાબેરીઓને ઈશ્વરમાં શ્રદ્ધા નથી. તેઓ ઈશ્વરનું અસ્તિત્વ જ ન હોવાનું માને છે. પણ બંગાળની ધૂરા મમતાએ સંભાળ્યા પછી તેઓ ઈશ્વરને પ્રાર્થના કરતા હશે કે, જો ખરેખર તારું અસ્તિત્વ હોય તો મારા દુશ્મન (મમતા સમજવું)ને હાંસીપાત્ર બનાવજે. અને ઈશ્વરે પણ વોલ્તેયરની જેમ ડાબેરીઓની પ્રાર્થના કબૂલ કરી હોય તેવું લાગે છે. અત્યારે મમતા દેશભરમાં હાંસીપાત્ર બની ગયા છે. બંગાળમાં પ્રચંડ બહુમતીથી ચૂંટાયા પછી તેમણે તેમની સમજણશક્તિ પર પ્રશ્ન થાય તેવા નિર્ણયો લીધા છે. જાધવપુર યુનિવર્સિટીના પ્રોફેસર અંબિકેશ મહાપાત્રની કાર્ટૂન પ્રકરણમાં ધરપકડ થયા પછી મમતાને સમર્થન આપનાર બૌદ્ધિકો તો અવાક થઈ ગયા છે. બંગાળમાં મમતારાજ સ્થાપિત થયા પછી દીદીએ તેમની વાસ્તિવક બૌદ્ધિક ક્ષમતાના દર્શન બંગાળીઓને કરાવ્યાં છે. મમતાએ લીધેલા નિર્ણયો પર કોલકાતામાં હસગુલ્લાઓ પ્રચલિત થયા છે અને હવે ઠઠ્ઠાચિત્રો બનવાનું પણ શરૂ થઈ ગયા છે.

સત્તામાં આવ્યા પછી તરત જ મમતા પર વિજયનો નશો એ હદે સવાર થયો હતો તેમણે કોલકાતાની તમામ સરકારી બિલ્ડિંગોને વાદળી રંગથી રંગવાનું તઘલખી ફરમાન જાહેર કર્યું હતું. વાદળી રંગ મમતાના તૃણમૂલ કોંગ્રેસ પક્ષનો છે. અત્યારે કોલકાતાની અડધોઅડધ બિલ્ડિંગ વાદળી રંગને રંગ રંગાઈ ગઈ છે અને બાકીની બિલ્ડિંગનું રંગરોગાણ ચાલુ છે. તેના થોડા દિવસ પછી મોમતા દીદી પર રવિન્દ્રસંગીતનો ભૂત સવાર થયું હતું. એટલે તેમણે કોલકાતાના દરેક ટ્રાફિક સિગ્નલ પર રવિન્દ્ર સંગીત સતત વાગતું રહે તેવો આદેશ જાહેર કર્યો હતો. ટ્રાફિક કમિશનર ચકરી ખાઈ ગયા હતા. મમતાનું ગાંડપણ જોઈને પ્રસિદ્ધ લેખિકા મહાસ્વેતા દેવી હતપ્રભ થઈ ગયા છે. તેમણે બંગાળમાં ડાબેરીઓ વિરૂદ્ધ જંગ છેડનાર મમતાને મા, માટી અને માનુષના પ્રતિક ગણાવ્યા હતા. પણ સત્તામાં આવ્યા પછી મમતાના રંગ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ છે.

મહાસ્વેતા દેવીને આશા હતી કે મમતા ડાબેરીઓના ગુંડારાજમાંથી બંગાળને મુક્ત કરશે. પણ મમતા સત્તામાં આવ્યા પછી ગુંડાઓએ પાર્ટી બદલી છે. અગાઉ ડાબેરીઓ તરફથી ગુંડાગર્દી કરતાં માથાભારે અને અસામાજિક તત્વો હવે તૃણમૂલ કોંગ્રેસમાં ભળી ગયા છે. મમતાના કાર્ટૂનનો ઇન્ટરનેટ પર પ્રસાર કરનાર પ્રોફેસર મહાપાત્ર આ ગુંડાઓથી જ ડરે છે. તેમણે પોતાને અને પોતાના પરિવારજનોને મમતાના ગુંડાઓથી જીવનું જોખમ હોવાની ફરિયાદ કરી છે. આ સંપૂર્ણ પ્રકરણથી મમતાની જગહસાઈ થઈ છે અને તેમની છબી ખરડાઈ છે એ વાત નક્કી છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં મમતાનું નામ સાંભળતા જ હાસ્યાની છોળો ઉડે છે. હજુ થોડા દિવસ અગાઉ તેમણે બે ગાંડાઘેલા નિર્ણયો જાહેર કર્યા હતા. સૌપ્રથમ તેમણે બંગાળની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇતિહાસના પુસ્તકોમાં માર્ક્સ અને એન્જલ્સ સંબંધિત પ્રકરણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. એ પછી તેમણે રાજ્ય સરકાર સંચાલિત પુસ્તકાલયોમાં અંગ્રેજી અખબારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમનું આ સ્વરૂપ જોઈને બંગાળવાસીઓનો અને ખાસ કરીને ત્યાંના બૌદ્ધિકોનો મોહભંગ થઈ ગયો છે. તેમને હવે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની કિંમત સમજાય છે, જેમણે બંગાળના યુવાનોને રોજગારી મળે એ માટે રાજ્યમાં ફરી ઉદ્યોગધંધા સ્થાપિત થાય એ માટે પ્રયાસ કર્યા હતા.

ચલતે-ચલતેઃ મનુષ્ય પાસે અધિકાર હોય છે ત્યારે જ તેની બુદ્ધિની કસોટી થાય છે

Saturday, April 7, 2012

`સરદાર' અને 'મૂર્ખના સરદાર' વચ્ચે ફરક છે...


ઉન્માદ અને આવેશ અસામાન્ય મનોસ્થિતિ છે. સમાજ આવી અસાધારણ મનોસ્થિતિમાં આવી જાય ત્યારે પ્રજા ગાંડીઘેલી થઈ જાય છે. આવી પ્રજાને ભરમાવવી બહુ સહેલી છે. ક્યારેક ધર્મના નામે તો ક્યારેક જાતિના નામે પ્રજા ભરમાઈ જાય છે અને તેમને દ્રષ્ટિભ્રમમાં નાંખતા રાજકારણીઓ લાંબો સમય શાસન કરવામાં સફળ નિવડે છે. આ સંજોગોમાં પ્રજા રાજકારણ અને રાજનીતિ વચ્ચેનો ભેદ ભૂલી જાય છે. જનતા સરદાર અને મૂર્ખના સરદાર વચ્ચેનો ફરક ભૂલી જાય છે. પણ રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે ફરક છે. રાજકારણ લોકપ્રિય શબ્દ છે જ્યારે રાજનીતિજ્ઞ સન્માનજનક શબ્દ છે. રાજકારણી લોકપ્રિય હોય છે, પણ રાજનીતિજ્ઞ તો સન્માનિય હોય છે.

અત્યારે રાજકારણ અને રાજકારણી શબ્દ અત્યંત લોકપ્રિય અને પ્રચલિત છે. સામાન્ય રીતે આપણે રાજકારણીને રાજનીતિજ્ઞ માનીએ છીએ અને રાજનીતિજ્ઞને રાજકારણી માનીએ છીએ. ઓક્સફર્ડ ડિક્શનરીમાં રાજકારણી (Politician) અને રાજનીતિજ્ઞ (Statesman)નો સ્પષ્ટ અર્થ સમજાવવામાં આવ્યો છે. આ શબ્દકોશ મુજબ, રાજકારણી એટલે એવી વ્યક્તિ જે પોતાના ફાયદા માટે કે સત્તા મેળવવા સંગઠનમાં જુદી જુદી સ્થિતિનો ઉપયોગ કરવામાં માહેર હોય (Politician = a person who is good at using different situations in an organization to try to get power or advantage for himself or herself). આ વ્યાખ્યા સ્પષ્ટપણે રાજકારણીનો અર્થ સ્પષ્ટ કરે છે. તેમાં રાજકારણીનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે તેમનો હેતુ સત્તા મેળવવાનો કે પોતાનો હિત સાધવાનો હોય છે. આ પ્રકારના વ્યક્તિઓ સ્વકેન્દ્રી હોય છે. તેઓ પોતાને પક્ષ કે સંગઠનથી પર સમજતા હોય છે. વ્યક્તિગત સ્વાર્થ સાધવા આ પ્રકારની વ્યક્તિઓ દેશ અને દેશની જનતાના હિતનું બલિદાન આપવા માટે જરાય ખચકાટ અનુભવતા નથી. જ્યારે રાજનીતિજ્ઞ માટે દેશનું હિત સર્વોપરી હોય છે.

ઓક્સફર્ડ ડિક્શનરીમાં રાજનીતિજ્ઞનો અર્થ જણાવતા કહેવામાં આવ્યું છે કે, રાજનીતિજ્ઞ એવી વ્યક્તિ છે જે શાણી, અનુભવી અને સન્માનિત રાજકીય નેતા છે (Statesman = a wise, experienced and respected political leader). અહીં રાજનીતિજ્ઞના ત્રણ ગુણો સ્પષ્ટપણે જણાવવામાં આવ્યાં છે. આ પ્રકારની વ્યક્તિ શાણી, અનુભવી અને સન્માનને પાત્ર હોય છે. તમને શાણી વ્યક્તિ અને સ્વાર્થી વ્યક્તિ વચ્ચેનો ભેદ ખબર હોય તો રાજકારણી અને રાજનીતિજ્ઞને સરળતાથી સમજી શકો. સ્વાર્થી વ્યક્તિ સફળ હોઈ શકે છે, પણ તેને શાણી વ્યક્તિ ન કહી શકાય. સ્વાર્થી રાજકારણી પોતાનો સ્વાર્થ સાધવા કાવાદાવા કરીને આગળ વધી શકે છે. એ દેશની જનતાને ભરમાવીને લાંબો સમય સુધી શાસન પણ કરી શકે છે. તમે તેને સફળ કહી શકો પણ શાણો નહીં. શાણો રાજકારણી એ છે કે જે કોઈ પણ પગલું ભરતા અગાઉ પોતાના દેશ અને સમાજનો વિચાર કરે છે. માત્ર પોતાના સ્વાર્થ ખાતર કે સત્તા મેળવવા એ ક્યારેય કોઈ કદમ ઉઠાવતો નથી. સરદાર પટેલ શાણાં રાજકારણી હતા. તેઓ રાજનીતિજ્ઞ હતા. તેમના રાજકારણમાં દેશહિત સર્વોપરી હતું. તેઓ સત્તાપિપાસુ નહોતા. ગાંધીજીએ નેહરુને વડાપ્રધાન બનાવ્યા ત્યારે તેમણે ધાર્યું હોત તો બળવો કરીને વડાપ્રધાન બની શક્યા હોત. પણ તેમણે સત્તા કરતાં દેશહિત મહત્વનું છે એવો સંદેશ આપ્યો.

રાજનીતિજ્ઞનો સૌથી મહત્વનો ગુણ છે કે દેશની જનતામાં તેના પ્રત્યે સન્માન હોવું. સન્માનિત વ્યક્તિ લોકપ્રિય હોય છે, પણ લોકપ્રિય વ્યક્તિ હંમેશા સન્માનિત હોતી નથી. ગાંધી, સરદાર અને જયપ્રકાશ લોકપ્રિય હોવાની સાથે સન્માનિત પણ હતા. તેમનું જીવન અનેક દેશવાસીઓ માટે આદર્શ સમાન છે. તેમના ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. તેમના સિદ્ધાંતો દિવાદાંડી સમાન છે. તેની સામે દેશમાં અત્યારે અનેક રાજકારણીઓ લોકપ્રિય છે, પણ તેમાંથી એક પણ સન્માનને પાત્ર નથી. તેમનું જીવન પ્રંપચોથી ખદબદે છે. ખુશામતિયાઓથી ઘેરાયેલા આ રાજકારણીઓએ પ્રત્યે જનતામાં ધૃણા છે. તેઓ પોતાની સત્તા જાળવવા પોતાના જ પક્ષ અને દેશના હિતની બલી ચડાવી રહ્યાં છે. તેઓ પોતાનું હિત જાળવવા દેશના વિવિધ વર્ગોને એકબીજા સાથે લડાવી રહ્યાં છે....પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના સબકો સન્મિત દે ભગવાન....

Wednesday, April 4, 2012

સોનેરી તક


એક આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાયું હતું. ત્યાં અનેક ચિત્રો કળારસિકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. પણ એક ચિત્ર પાસે અત્યંત ભીડ હતી. આ ચિત્રમાં એક એવી આકૃતિ હતી, જેનો ચહેરો વાળથી ઢંકાયેલો હતો અને માથાના પાછળનો ભાગ સપાટ એટલે કે મુંડેલો હતો. તેના પગમાં પાંખો લાગેલી હતી. આ ચિત્ર જોઈને કળારસિકો ચકિત થઈ ગયા હતા. તેમણે સમજણ પડતી નહોતી કે ચિત્રકાર આ ચિત્ર દ્વારા કહેવા શું માંગે છે. તેમણે ચિત્રકારને આ વિશે પૂછ્યું.

દર્શકોનો પ્રશ્ર સાંભળીને ચિત્રકારો બોલ્યો, ‘‘આ મનુષ્યને તેના જીવનમાં વિકાસ સાધવા માટે મળતી સોનેરી તકનું ચિત્ર છે.’’ એક દર્શક તરત જ બોલ્યો, ‘‘તકનું સ્વરૂપ આવું હોય છે તેની તમને કેવી રીતે ખબર?’’ ચિત્રકાર બોલ્યો, ‘‘તકનું આ સ્વરૂપ હું નહીં અનેક લોકો જાણે છે.’’ બીજા દર્શકની ઉત્સુકતા વધી ગઈ હતી. તેણે તરત જ પૂછ્યું, ‘‘તકનો ચહેરો ઢંકાયેલો કેમ છે?’’ ચિત્રકારે કહ્યું, ‘‘મોટા ભાગના લોકો યોગ્ય સમયે તેમને મળતી તકને ઓળખી શકતા નથી. તકને ઓળખવા અંતર્દષ્ટિ જોઈએ’’ બીજા એક દર્શકે પૂછ્યું, ‘‘તેના પગમાં પાંખો કેમ છે?’’ ચિત્રકારે જવાબ આપ્યો, ‘‘તક અત્યંત ઝડપથી આવે છે. તમારા દ્વારે ટકોરા મારે છે અને ઝડપથી સરકી જાય છે. તમે તેને ઝડપી ન લો તો એ તમારા હાથમાંથી સરકી જાય છે.’’

ચિત્રકારના જવાબ દાર્શનિક હતા. કળારસિકોને તેમના જવાબ સાંભળી અત્યંત આનંદ થયો. બીજા એક દર્શકે ઉત્સુકતા સાથે પૂછ્યું, ‘‘આ આકૃતિના માથામાં પાછળના ભાગે મુંડન કેમ કરેલું છે?’’ ચિત્રકારે સસ્મિત જવાબ આપ્યો, ‘‘તમે સરકી જતી તકને પાછળથી પકડી શકતા નથી. ચહેરો વાળથી ઢંકાયેલો છે, પણ વાળ આગળ છે. તમે વાળને પકડીને તકને ઝડપી શકો છે, તેને કાબૂમાં કરી શકો છે.પણ તક તમારા હાથમાંથી ચાલી જાય પછી તેને ઝડપવાનો પ્રયાસ કરો તો એ સરકી જાય છે.’’ તેના જવાબ સાંભળી કળારસિકો સંતુષ્ટ થયા. તેમને એક ચિત્રના બહાને જીવનના એક મોટા સત્યને સમજવાની તક મળી.

Tuesday, April 3, 2012

સેવા કરવા કોઈ કામ નાનું કે મોટું નથી


યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કર્યો. તેમણે અનેક રાજામહારાજને યજ્ઞમાં ભાગ લેવા નિમંત્રણ આપ્યું. ભારતવર્ષના અનેક રાજામહારાજ પાંડવોના યજમાન બન્યા. આટલા લોકોની દેખભાળ કરવા પાંડવો સહિત અનેક વ્યક્તિ સેવાકાર્યમાં મગ્ન થઈ ગયા. પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પણ યજ્ઞમાં આવ્યા. તેમણે જોયું કે અનેક લોકોની ભારે ભીડ યજ્ઞમાં સામેલ થવા આતુર છે. તેઓ યુધિષ્ઠિર પાસે ગયા. શ્રીકૃષ્ણને જોઈને તુરત જ યુધિષ્ઠિર ઊભા થઈ ગયા અને તેમનું સ્વાગત કર્યું. પછી તેમણે મુરલીધરને સર્વશ્રેષ્ઠ આસન પર બિરાજવા કહ્યું.

યુધિષ્ઠિરનું આમંત્રણ સ્વીકારી શ્રીકૃષ્ણ બોલ્યા, ''તમે રાજસૂર્ય યજ્ઞ કર્યો અને તેમાં મને સેવા કરવાનો અવસર મળ્યો છે. બધા પોતપોતાની ક્ષમતા અનુસાર કાર્ય કરી રહ્યાં છે. એટલે મારે પણ કંઈક કરવું જોઈએ.'' યુધિષ્ઠર બોલ્યા, ''ભગવાન! કામ કરવા અનેક લોકો છે. તમારે કષ્ટ ન ઉઠાવો. આમ પણ તમારે લાયક અહીં કોઈ કામ નથી.''

આ સાંભળી શ્રીકૃષ્ણ બોલ્યા, ''સેવા કરવા સ્તર ન જોવાનું હોય? સેવા તો હૃદયપૂર્વક કરવી જોઈએ. સેવા કરવા પ્રેરણાનું ઝરણું હ્રદયમાંથી વહેવું જોઈએ. હું જાણું છે કે તમે મને કોઈ કામ નહીં બતાવો, પણ હું મને અનુરૂપ હોય તેવું કામ શોધી લઈશ.'' પછી તેઓ આજુબાજુ જોવા લાગ્યા. તેમણે જોયું કે લોકો ભોજન કરી રહ્યાં છે. તેઓ તરત જ પતરાળાં ઉપાડવા લાગ્યા. લોકો ભોજન કરીને પતરાળાં મૂકીને જતાં અને શ્રીકૃષ્ણ તેને ઉઠાવી લેતા. યુધિષ્ઠિર તેમનો સેવાભાવ જોઈને દંગ થઈ ગયા ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે, ''સેવા કરવા કોઈ કામ નાનું-મોટું નથી''

Monday, April 2, 2012

જમીન પર ચાલતા શીખો...


શ્રી રામકૃષ્ણ પરમહંસ કાલી માતાના દક્ષિણેશ્વર મંદિરમાં પોતાના શિષ્યો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરતા હતા. એ સમયે એક ભગવા વસ્ત્રધારી સાધુ આવ્યા. તેમણે પરમહંસને સીધો પ્રશ્ન કર્યો - ‘‘તમે જીવનમાં કોઈ ચમત્કાર કર્યો છે?’’ પરમહંસ કશું બોલ્યા નહીં. તેઓ ચૂપ રહ્યાં એટલે પેલા સાધુમહારાજ થોડા ગેલમાં આવ્યાં. તેમણે કહ્યું, ‘‘મેં વીસ વર્ષ કઠોર તપ કર્યું છે અને તેના પ્રતાપથી અત્યારે હું પાણી પર ચાલી શકું છું. તમારે ચમત્કાર જોવો છે?’’

પરમહંસે કહ્યું, ‘‘જેવી તમારી ઇચ્છા. ચમત્કાર દેખાડવો હોય તો દેખાડો.’’

મહાત્મા સામેથી વહેતી ગંગાની ધારા પર ચાલવા લાગ્યા. પરમહંસના શિષ્યો ચકિત થઈ ગયા. સાધુમહાત્મા ધારાને પાર કરીને પરમહંસ પાસે આવી ગયા. પછી ગુમાન સાથે કહ્યું, ‘‘સિદ્ધિ આને કહેવાય.’’

પરમહંસ મંદમંદ હસતા હતા. તેમણે કશું કહ્યું. એવામાં તેમને ત્યાં દૂધવાળો આવ્યો. પરમહંસે પૂછ્યું, ‘‘ભાઈ, તું દૂધ આપવા ક્યાંથી આવે છે?’’

‘‘હું ગંગાની સામે પારના ગામમાંથી આવું છું,’’ દૂધવાળાએ જવાબ આપ્યો.

‘‘તું ગંગાને કેવી રીતે પાર કરે છે?’’ પરમહંસે તેને પૂછ્યું.

‘‘હોડીમાં બેસીને. કેવટ એક પૈસામાં ગંગાને પાર કરાવી દે છે.’’

દૂધવાળાનો જવાબ સાંભળી પરમહંસે સિદ્ધપુરુષ મહાત્મા સામે જોઈને કહ્યું, ‘‘મહાત્મા, જે કામ માત્ર એક પૈસામાં થઈ શકે છે, તેના માટે તમે જીવનના અમૂલ્ય વીસ વર્ષ વેડફી નાંખ્યા! પાણી પર ચાલીને શું મળે? તમે જમીન પર બરોબર ચાલવાનું શીખીએ તો વધારે ફાયદો થાય. તેના બદલે માણસ અને માનવતા સમજવામાં આટલું તપ કર્યુ હોત તો બેડો પાર થઈ જાત અને ઇશ્વર સામે ચાલીને તમને ભેટી પડત. માણસોને ચમત્કાર દેખાડવાને બદલે પ્રેમ કરો અને તેમના દુઃખદર્ઢ્ઢોને સમજો.’’

સાધુમહાત્મા શરમાઈ ગયા અને તરત જ ચાલતી પકડી.

શેર, સાધારણ શેર અને પ્રેફરન્સ શેર


કોઈ કંપનીની કુલ મૂડીને નાના-નાના અનેક ભાગમાં વહેંચવામાં ત્યારે દરેક ભાગને શેર કહેવામાં આવે છે અને આ શેર જેના નામે હોય કે જેની માલિકીનો હોય તેને શેરધારક કહેવાય છે. શેરધારક કંપનીમાં હિસ્સેદાર ગણાય છે. અત્યારે ૧૦ અને ૧૦૦ રૂપિયાના શેર પ્રચલિત છે. એક ઉદાહરણ જોઈએ. ધારો કે, કોઈ કંપનીની કુલ મૂડી રૂ. ૪૦ કરોડ છે અને તેને રૂ.૧૦ના હિસ્સામાં વિભાજીત કરવામાં આવે તો એ કંપની પાસે ચાર કરોડ શેર હશે.
સામાન્ય રીતે શેર કે સ્ટોક મુખ્યત્ત્વે બે પ્રકારના હોય છેઃ

(૧) સાધારણ શેર
(૨) પ્રેફરન્સ શેર

સૌપ્રથમ સાધારણ શેર વિશે જાણકારી મેળવી. કોઈ કંપનીના ઇક્વિટી શેરને સાધારણ શેર કહેવાય છે. આ પ્રકારના શેરધારકો કંપનીની માલિકીમાં હિસ્સો ધરાવે છે, જે તેમના પાસેના શેરના હિસ્સાને અનુરૂપ હોય છે. તેઓ પરોક્ષ રીતે મેનેજમેન્ટમાં ભાગ પણ લે છે. તેઓ કંપનીની સાધારણ ર્વાિષક સભામાં ભાગ લઈ શકે છે અને કંપનીના ર્આિથક વ્યવહારોની જાણકારી મેળવી શકે છે. તેઓ કંપનીના બોર્ડમાં ડાયરેક્ટર્સની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર પણ ધરાવે છે. આ મતાધિકાર તેમના શેરના હિસ્સાને અનુરૂપ હોય છે. તેઓ કંપની પાસેથી ડિવિડન્ડ મેળવે છે. કંપની તમામ પ્રકારના ખર્ચની ચૂકવણી કર્યા પછી બાકી રહેતા નફામાંથી શેરધારકોને ડિવિડન્ડની વહેંચણી કરે છે. આવો, હવે પ્રેફરન્સ શેર વિશે જાણીએ.

પ્રેફરન્સ શેર એવા શેર છે જે જાહેર જનતાને મળતાં નથી. સામાન્ય રીતે કોઈ પણ કંપની આ પ્રકારના શેર તેના પ્રમોટર્સ કે પ્રમોટર્સના સગાસંબંધીઓ કે મિત્રોને આપે છે. આ પ્રકારના શેરની ખરીદીનો ફાયદો એ છે પ્રેફરન્સ શેરધારકોને સાધારણ શેરધારકો અગાઉ ડિવિડન્ડ મળી જાય છે. બીજું, કોઈ કંપની દેવાળું ફૂંકે ત્યારે તેની સ્થાવર અને જંગમ સંપત્તિનું વેચાણ કરીને સૌપ્રથમ ચૂકવણી તેના લેણદારોને કરવામાં આવે છે. આ ચૂકવણી પછી રકમ બાકી રહે તો પછીની ચૂકવણી પ્રેફરન્સ શેરધારકોને કરવામાં આવે છે અને તેમની મૂડી પરત કરવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિમાં સૌથી છેલ્લી ચૂકવણી સાધારણ શેરધારકોને કરવામાં આવે છે. એટલે કંપની નાદારી નોંધવે તો સૌથી છેલ્લે સાધારણ શેરધારકોને તેમની મૂડી પરત કરવામાં આવે છે. પણ સાધારણ શેરધારકોની જેમ પ્રેફરન્સ શેરધારકોને મતાધિકાર મળતો નથી.

Sunday, April 1, 2012

આઝાદી અગાઉ અને આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને જ વિકાસ થયો છે


સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ની બીજી ઇનિંગ્સ શરૂ થઈ પછી એક પછી એક કૌભાંડો પરથી પર્દાફાશ થઈ રહ્યો છે. ટુજી સ્પેકટ્રમ કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ, અંતરિક્ષ-દેવાસ કૌભાંડ, કોલસા કૌભાંડ અને હવે અનાજ કૌભાંડ...ગુજરાત સરકારના ગોટાળા પણ કેગના અહેવાલમાં બહાર આવી રહ્યાં છે. પણ ભારતીયોને ભ્રષ્ટાચારની નવાઈ ન લાગવી જોઈએ. આ દેશનો ઇતિહાસ જુઓ તો તમને ખ્યાલ આવશે કે રાજકારણીઓએ સૌથી વધુ કામગીરી કરી હોય તો એ ભ્રષ્ટાચાર કરવાની છે. આપણા મોટા ભાગના શાસકો ભ્રષ્ટાચારી જ હતા અને આ દેશનો એક પણ રાજકીય પક્ષ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. સર્વસામાન્ય માન્યતા એવી છે (સામાન્ય રીતે આ પ્રકારની માન્યતાઓ ખોટી જ હોય છે) કે આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહી છે. કહેવાનો અર્થ એ છે કે આઝાદી અગાઉ દેશમાં ભ્રષ્ટાચાર નહોતો. હકીકતમાં આ એક ભ્રમ છે. આપણે અત્યારે જેટલાં ભ્રષ્ટ છીએ એટલા જ ભ્રષ્ટાચારી આઝાદી અગાઉ પણ હતા. ખરેખર તો આઝાદી અગાઉ અને આઝાદી પછી દેશમાં ભ્રષ્ટાચારીઓ અને કાળાં બજારિયાઓનો જ વિકાસ થયો છે.

1937માં છ રાજ્યોમાં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં મદ્રાસ, સંયુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, બિહાર અને ઓરિસ્સામાં સંપૂર્ણ બહુમતી મળી હતી અને તેનું મંત્રીમંડળ રચાયું હતું. અન્ય બે રાજ્યો બોમ્બે અને ઉત્તર-પશ્ચિમી પ્રાંતમાં કોંગ્રેસે ગઠબંધન સરકાર રચી હતી. ત્યારે કોંગ્રેસના પ્રધાનોએ ગાંધીજીના તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દીધા હતા. તેઓ કોંગ્રેસના પ્રધાનોના આચરણો અને ગોટાળથી વ્યથિત થઈ ગયા હતા. તેમણે 1939માં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભયંકર ભ્રષ્ટાચાર સાથે સમજૂતી કરવાને બદલે સંપૂર્ણ કોંગ્રેસને દફન કરવા હું કોઈ પણ હદે જઈશ.જવાહરલાલ નેહરુ પણ દુઃખી થઈ ગયા હતા.તેમણે બળાપો કાઢતાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓને અને કાળા બજારિયાઓને જાહેરમાં ફાંસના માંચડે લટકાવી દેવા જોઈએ. જોકે દેશ આઝાદ થયો પછી તેમના શાસનકાળમાં તેમણે કોઈ ભ્રષ્ટાચારીને ઊની આંચ આવવા દીધી નહોતી એ સત્ય હકીકત છે.

ચાચાજી નહેરુના શાસનકાળની શરૂઆતમાં જ એ ડી ગૌરવાલાએ યોજના પંચના રિપોર્ટમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, નહેરુના મંત્રીમંડળમાં કેટલાંક પ્રધાન ભ્રષ્ટ છે. આ વાતની પુષ્ટિ સંથાનમ સમિતિએ વર્ષ 1964માં કરી હતી. તેમાં સંથાનમે લખ્યું હતું કે, છેલ્લાં 16 વર્ષ દરમિયાન (1948થી 1964 દરમિયાન) કેટલાંક પ્રધાન ગોટાળા કરીને જ ધનિક થઈ ગયા છે. નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ જ જીપ કૌભાંડનો પર્દાફાશ સંસદમાં કર્યો હતો અને નેહરુ મહોદયને તેમના જમાઈ બહુ પસંદ નહોતા એ જગજાહેર વાત છે. તેમના પછી તેમના દિકરી ઇન્દિરા ગાંધી સત્તા પર આવ્યા અને મોરારજી દેસાઈએ તેમને ભ્રષ્ટાચારના ગંગોત્રી ગણાવ્યા. ગાંધી પરિવારનો વારસો રાજીવ ગાંધી અને નરસિંહ રાવે આગળ વધાર્યો. તેમની સરકારે ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી દીધી અને વર્ષ 1995 સુધીમાં ભ્રષ્ટાચારે શિષ્ટાચારનું સ્વરૂપ ગ્રહણ કરી લીધું હતું. નરસિંહરાવની ગોડમેન ચંદ્રાસ્વામી અને શસ્ત્રોનો સોદાગાર અદનાન ખગોશી સાથેની મૈત્રી બહુ જાણીતી છે. (રાવે દેશના અર્થતંત્રને સમાજવાદની બેડીઓમાંથી મુક્ત કરાવવાનું સાહસિક કદમ ઉઠાવ્યું હતું અને આ બાબતે દેશ તેમનો કૃતજ્ઞ રહેશે). આ લોકો સરકારની નીતિમાં પણ હસ્તક્ષેપ કરતા હતા. ભૂતપૂર્વ ગૃહ સચિવ એન એન વોહરાએ 1995માં લખ્યું હતું કે માફિયાઓ સમાંતર સરકાર ચલાવી રહ્યાં છે.

એ પછી ભાજપ સત્તામાં આવ્યું. એણે દેશની રાજનીતિની ચાલ, ચારિત્ર્ય અને ચહેરો બદલવાનો દાવો કર્યો હતો. પણ તેમણે કોંગ્રેસને પણ શરમાવે તેવા પરાક્રમો કર્યા. એનું એક ઉદાહરણ જોઈએ. તહેલકા નામના જાણીતા અંગ્રેજી સાપ્તાહિકે વાજપેયી સરકારમાં શસ્ત્રોની દલાલીનો ભાંડો ફોડ્યો ત્યારે આ સરકારે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહીઓ કરવાને બદલે પત્રકારોને જ જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં તહેલકાને ફાઇનાન્સ કરતી કંપની ફર્સ્ટ ગ્લોબલ પર ભાજપની સરકારે એટલા બધા દરોડા પડાવ્યાં કે એણે દેવાળું ફૂંક્યું. એ સમયે ભાજપના પ્રમુખ બંગારુ લક્ષ્મણને લાંચ લેતાં ટીવીના પર્દે બધાએ જોયા. પણ તેઓ અત્યારે પણ છૂટથી ફરે છે. એ જ રીતે આ ભ્રષ્ટાચારી જનતા પક્ષ અર્થાત્ ભાજપનો બીજો ચહેરો દિલીપસિંહ જુદેવ છે. તેઓ પણ સરેઆમ લાંચ લેતા ઝડપાઈ ગયા અને પૈસા ખુદા તો નહીં પર ખુદાસે કમ ભી નહીં એવો તેમનો સંવાદ એક અંગ્રેજી અખબારની હેડલાઇન પણ બન્યો હતો. પણ ભ્રષ્ટાચારી જનતા પક્ષે તેમને શિરપાવ આપી સાંસદ બનાવ્યાં.

હકીકતમાં કોંગ્રેસ હોય કે ભાજપ, આ બધા ચોરના ભાઈ ઘંટીચોર છે. ખરેખર આપણો દેશ દંભીઓનો છે. આપણે એક મોંએ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને ગાળો ભાંડીએ છીએ, પણ સાથેસાથે કામ કઢાવવા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપીએ છીએ. સૌપ્રથમ આપણે આપણું ચારિત્ર્ય બદલું જોઈએ. હકીકતમાં આ ભ્રષ્ટાચારીઓ આપણું જ પ્રતિનિધિત્વ કરે છે....

મારો રામ


જ્યારે કોઈ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઈ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઈશ્વર એક જ છે. તેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.

મારો રામ-જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી અને તેના જેવો બીજો કોઈ નથી. સર્વ દર્દના સર્વોપરી ઇલાજ તરીકે જેનું નામ લેવાનું હું સૂચવું છું તે જગન્નિયંતા પરમેશ્વર છે, જેના નામનો જપ કરીને ભક્તો પોતાના હ્રદયનો મેલ સાફ કરે છે અને શાંતિ મેળવે છે. વળી મારો એવો દાવો છે કે એ જ પરમેશ્વરના નામનું રટણ મનની, આત્માની કે તનની સર્વ આધિ, વ્યાધિ કે ઉપાધિનો સચોટ ઈલાજ છે. દાક્તર કે વૈદ્યની મદદથી શરીરના વ્યાધિ અલબત્ત મટાડી શકાય. પણ રામનું નામ લેવાથી માણસ પોતાનો વૈદ્ય અથવા દાક્તર બની પોતાની જાતમાંથી જ સર્વ વ્યાધિનું નિવારણ કરનારું ઔષધ મેળવવાને સમર્થ થાય છે. અને શારીરિક દ્રષ્ટિથી અસાધ્ય હોવાના કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસ તેને મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે.

હું એક તેને જ ભજું છું, એક તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો અધિકાર છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઈએ શા સારું વાંધો ઉઠાવવો જોઈએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે.

જનરલ વી કે સિંહઃ સિદ્ધાંતો સાથે સમાધાન કરીને આબરૂના લીરા ઉડાવ્યાં


તમે તમારો સ્વાર્થ સિદ્ધ કરવા સિદ્ધાંતો સાથે સમાધાન કરો પછી મૂલ્યો અને નિષ્ઠાની વાત કરી શકો? તમે જે મૂલ્ય સાથે સમાધાન કર્યું હોય એ જ મૂલ્યનું રક્ષણ કરવા માટે કોઈને પડકાર ન ફેંકી શકો. અને ફેંકો તો? તો તમારી આબરૂના લીરા ઉડી જાય અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા ખરડાય. કોઈને મોં ગંધાય છે એવું કહેતાં અગાઉ આપણું મોં ચોખ્ખું હોવું જરૂરી છે. પણ લોભ અને મહત્વાકાંક્ષા ભલભલાને ભાન ભૂલાવે છે. સેનાના વડા વી કે સિંહ આનું તાજું ઉદાહરણ છે.

હરિયાણાના ભિવાની જિલ્લાના બપોરા ગામના રાજપૂત પરિવારમાંથી આવતા વિજય કુમાર સિંહના પિતા કર્નલ હતા અને દાદા જુનિયર કમિશન ઓફિસર હતા. દાદા અને પિતાના વારસાને આગળ વધારતા વિજયકુમારે 29 જુલાઈ, 1965ના રોજ રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી (એનડીએ)માં પ્રવેશ મેળવવા માટેની પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું અને તેમની જન્મતારીખ સંબંધિત વિવાદના મૂળિયા આ ફોર્મમાં જ રહેલા છે. એ સમયે તેઓ રાજસ્થાનમાં પિલાનીની જાણીતી બિરલા પબ્લિક સ્કૂલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતા અને એનડીએની પરિક્ષામાં બેસવા માટે તેમનું ફોર્મ તેમની સ્કૂલના ક્લાર્કે ભર્યું હતું. આ વિવાદ વિશે વિજયકુમારનું કહેવું છે કે, ''એનડીએની પરિક્ષામાં બેસવા માટે મારું ફોર્મ સ્કૂલના કારકૂને ભર્યું હતું અને મેં તેના પર માત્ર સહી કરી હતી. તેમાં કારકૂને મારી જન્મતારીખ 10 મે સાચી લખી હતી, પણ જન્મનું વર્ષ ખોટું એટલે કે 1950 લખ્યું હતું. હકીકતમાં મારો જન્મ 1951માં થયો છે. આ ગોટાળા અંગે મને કોઈ જાણકારી નહોતી. પણ હું પરિક્ષામાં પાસ થયો અને એનડીએ માટે પસંદ થયા પછી યુપીએસસી પાસેથી મને જાણકારી મળી.'' 1966ના મે મહિનામાં તેઓ એનડીએની પરિક્ષામાં પાસ થયા અને 11 જૂન, 1966ના રોજ સેનાના ડોક્ટરો દ્વારા તેમનું મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું. તેના ફોર્મમાં વિજયકુમારે જન્મતારીખ 10 મે, 1951 હોવાની જાણકારી આપી હતી. પણ મેડિકલ એક્ઝામિનેશન થયું ત્યારે તેમણે જે ફોર્મ ભર્યું તેની સરખામણી પ્રવેશપરિક્ષા માટે ભરેલા ફોર્મ સાથે કરાઈ નહોતી અને તે સમયે આ પ્રકારની સરખામણી કરવામાં આવતી પણ નહોતી. પણ જન્મતારીખનો આ ગોટાળો તેમને એનડીએમાં જોડાવવાનો ઓર્ડર ઇશ્યૂ કરતી વખતે બહાર આવ્યો.

એ સમયે યુપીએસસી (એનડીએની પરિક્ષા યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લે છે)ના તત્કાલિન અંડર સેક્રેટરી શ્રી ક્રિષ્નન હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે વિજયકુમાર સિંહના યુપીએસસીના ફોર્મ અને મેડિકલ એક્ઝામિનેશનના ફોર્મમાં જન્મતારીખ એકસરખી નથી. તેમણે તરત જ 18 જૂન, 1966ના રોજ પત્ર લખીને સિંહને જણાવ્યું કે યુપીએસના ફોર્મમાં જન્મનું વર્ષ 1950 છે જ્યારે મેડિકલ એક્ઝામિનેશન ફોર્મમાં 1951 છે તો તાત્કાલિક ધોરણે સ્પષ્ટતા કરવા વિનંતી. આ જાણકારી મળ્યાં પછી તરત જ વિજયકુમારે ધોરણ 10ની માર્કશીટ રજૂ કરીને તેમના જન્મનું વર્ષ 1951 ગણવા વિનંતી કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી. પછી તેઓ એનડીએમાં જોડાયા અને જૂન, 1970માં તેમને ઇન્ડિયન મિલિટરી એકેડમીનું આઇડેન્ટિટી કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યું. તેમાં તેમની જન્મતારીખ 10 જૂન, 1951 હતી. વર્ષ 1971માં રાજસ્થાન શિક્ષણ બોર્ડે સિંહને મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ આપ્યું, જેમાં પણ જન્મનું વર્ષ 1951 હતું. તેમણે આ સર્ટિફેકટ સેનાની એડ્જુટન્ટ જનરલ (એજી) શાખાને સુપરત કર્યું. આ શાખા સૈન્ય કર્મચારીઓના દસ્તાવેજોનો રેકોર્ડ રાખે છે અને દરેક સૈન્ય અધિકારીઓએ નોકરી દરમિયાન તેમના સર્ટિફિકેટ આ શાખાને સુપરત કરવા પડે છે. સિંહે આ સર્ટિફિકેટ એજીને સુપરત કર્યા પછી ત્યાં તેમના જન્મનું વર્ષ સુધારી લેવાયું હતું અને 1951 કરવામાં આવ્યું હતું. પણ એજી પાસેના દસ્તાવેજોમાં જન્મનું જે વર્ષ હોય એ જ વર્ષ સેનાના જ અન્ય એક વિભાગ મિલિટરી સેક્રેટરી (એમએસ) પાસેના દસ્તાવેજમાં હોવું જોઈએ.

મિલિટરી સેક્રેટરી સૈન્ય અધિકારીઓને પ્રમોશન અને પોસ્ટિંગ આપવાની જવાબદારી નિભાવે છે. સૈન્ય અધિકારી નિવૃત્ત ક્યારે થશે તેનો નિર્ણય પણ એમએસ જ લે છે. આ કારણે એજી પાસે જે પ્રમાણપત્રો હોય તેની નકલો એમએસ પાસે પણ હોય છે એટલે સ્વાભાવિક રીતે કોઈ સૈન્ય અધિકારી તેમના એજી શાખામાં પ્રમાણપત્રોમાં સુધારાવધારા કરાવે તો સાથેસાથે એમએસ શાખામાં પણ એવા જ ફેરફાર કરાવવા પડે. પણ આ ફેરફાર કરાવવાની તસ્દી સિંહે ન લીધી. એ પછી સિંહે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પેન કાર્ડ પણ મેળવ્યું અને તેમાં પણ જન્મનું વર્ષ 1951 જ હતું. વર્ષ 2006 સુધી એટલે કે નોકરીમાં 35 વર્ષ પસાર થયા સુધી કોઈ વાંધો ન આવ્યો. પણ 2006માં તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન મળ્યું ત્યારે જન્મતારીખનું ભૂત ફરી ધુળવા માંડ્યું. મિલિટરી સેક્રેટરીના તત્કાલિન લેફટનન્ટ જનરલ રિચાર્ડ ખરેએ જન્મતારીખની વિસંગતતાની જાણકારી આપી ત્યારે સિંહે એજીનો રેકોર્ડ સાચો હોવાનું જણાવ્યું. સૈન્યના કેટલાંક અધિકારીઓના કહેવા મુજબ, આ પ્રમોશન સાથે જ સિંહને નિવૃત્તિ વર્ષ 2012માં લેવી પડશે એ નક્કી થઈ ગયું. સેનાના નિયમ મુજબ, કોઈ પણ સૈન્ય અધિકારી 62 વર્ષ સુધી જ સેનામાં સેવા આપી શકે.

મિલિટરી સેક્રેટરીએ સિંહને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન આપ્યું પણ તેમાં જન્મનું વર્ષ 1950 જ ગણ્યું અને સિંહની જન્મનું વર્ષ 1951 ગણવાની સૂચનાની ધ્યાનમાં ન લીધી. હકીકતમાં એજી અને એમએસ વચ્ચે દસ્તાવેજોમાં વિસંગતતા હોય ત્યારે નિયમ મુજબ એજીના દસ્તાવેજોને સાચા માનવામાં આવે છે. આ કારણે સિંહ બેફિકર હતા. તેમને એમ હતું કે ભવિષ્યમાં નિવૃત્તિ કે અન્ય કોઈ બાબતમાં જન્મનું કયું વર્ષ સાચ ગણવું તે પ્રશ્ન ઊભો થશે ત્યારે સ્વાભાવિક રીતે એજીનો રેકોર્ડ જ સાચો માનવામાં આવશે. પણ તેમની આ બેફિકરાઈ જ તેમના માટે મોટી મુશ્કેલી પુરવાર થવાની છે તેની કલ્પના તેમને નહોતી. આ સમયે તેમની મહત્વાકાંક્ષા પણ વધી ગઈ હતી. વર્ષ 2008માં તેમને આર્મી કમાન્ડર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ વખતે પણ મિલિટરી સેક્રટેરી પી ગંગાધરને તેમને જન્મતારીખની વિસંગતતા વિશે જણાવ્યું હતું. એટલું જ નહીં તેમને વર્ષ 1950ને જન્મનું વર્ષ ગણવામાં આવશે તેવું સ્પષ્ટપણે કહ્યું હતું અને સિંહને આ બાબત માન્ય ન હોય તો તેમણે કાયદાકીય રીતે લડી લેવાનું કહ્યું હતું. ગંગાધરનની દલીલ એવી હતી કે અગાઉ તેમને લેફટનન્ટ જનરલ તરીકે પ્રમોશન વર્ષ 1950ના આધારે આપવામાં આવ્યું છે ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો નહોતો. હકીકતમાં અહીં સિંહે અટકવાની જરૂર હતી અને જન્મના વર્ષ અંગે સુધારો કરવા કાયદકીય લડત આપવાની જરૂર હતી. પણ એ વખતે સિંહ સરસેનાપતિ બનવાની નજીક હતા. તેઓ આર્મી કમાન્ડરનો હોદ્દો સ્વીકાર લે તો તેના બે વર્ષ પછી તેઓ સરસેનાપતિ બનશે એ નક્કી હતું. તેઓ કાયદાકીય લડત શરૂ કરે તો આર્મી કમાન્ડરનું પ્રમોશન થોડો સમય અટકી જાય અને તેમને સરસેનાપતિ બનવાનો મોકો ન પણ મળે તેવી શક્યતા હતી. તેઓ વર્ષ 2006થી જ સરસેનાપતિ બનવા આતુર હતા એટલે તેમણે ગંગાધરનને જણાવ્યું કે મિલિટરી સેક્રેટરી વિભાગ જન્મનું વર્ષ જે કહેશે તે જ લખશે. સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહ અહીં મોટું ગોથું ખાઈ ગયા. ત્યાર મિલિટરી સેક્રેટરીએ તેમની ફાઇલ સંરક્ષણ મંત્રાલયને મોકલી દીધી હતી, જેમાં જન્મનું વર્ષ 1950 હતું.

સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ તેમને 31 માર્ચ, 2010ના રોજ સરસેનાપતિ બનાવ્યા ત્યારે પણ તેમને જન્મનું વર્ષ 1950 જ ગણ્યું હતું. આ હિસાબે સિંહને માર્ચ, 2012ના રોજ નિવૃત્ત થવું પડે. સેનાનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ સેનામાં 62 વર્ષની ઉંમર સુધી જ સેવા આપી શકે. સરસેનાપતિની મુદ્દત ત્રણ વર્ષની હોય છે, પણ આ મુદ્દત પૂર્ણ થાય એ અગાઉ તેમની ઉંમર 62 વર્ષ થઈ જાય તો તેમને અધવચ્ચે જ નિવૃત્તિ લેવી પડે. સિંહ સરસેનાપતિ બન્યા પછી તરત જ આ હકીકત જાણી ગયા હતા એટલે તેમણે તેમણે એજીના રેકોર્ડનો હવાલો આપીને તેમની જન્મતારીખનું વર્ષ સુધારવાની સૂચના આપી અને મિલિટરી સેક્રટેરીએ મને-કમને તેને સુધારી પણ લીધી. પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

સિંહ જે માર્ગે સરસેનાપતિ બન્યાં હતાં એ જ માર્ગે સરકારે તેમને નિવૃત્તિના દ્વારા દેખાડ્યાં. સિંહે તેમની જન્મતારીખ અંગે સુધારાની જાણકારી એન્ટોનીને આપી હતી. પણ તેમણે તેમના જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવશે તેવું સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું. સિંહ તેમના કહેવાનો અર્થ સમજી ગયા હતા કે તેમને માર્ચ, 2012માં વિદાય લેવી પડશે. એટલે સિંહે કોર્ટમાં અરજી કરી. કાયદા મંત્રાલયે અને એટોર્ની જનરલે પણ સરકારને નિયમ મુજબ, સિંહના જન્મનું વર્ષ 1951 ગણવું જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. પણ સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં દલીલ કરી હતી કે, સિંહે પોતે સરસેનાપતિ બનતી વખતે જન્મનું વર્ષ 1950 ગણવાનું માન્ય રાખ્યું હતું અને અગાઉ તેમને તમામ પ્રમોશનમાં જન્મનું વર્ષ 1950 જ ગણવામાં આવ્યાં હતાં. સિંહે અગાઉ જે સમાધાન કર્યા એ તેમને સુપ્રીમમાં આડા આવ્યા. તેમનો કેસ નબળો પડી ગયો. સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધિશ આર એમ લોઢા અને એચ એલ ગોખલે સમજી ગયા હતા કે સરસેનાપતિ બનવાની લ્હાયમાં સિંહે સમાધાન કર્યું છે અને સરકાર તેનો જ ઉપયોગ કરી રહી છે. પછી આ બંને ન્યાયાધિશોએ જે ચુકાદો આપ્યો તે સલામી આપવાને લાયક છે.

તેમણે ધાર્યું હોત તો સિંહની અરજી ફગાવી શક્યા હોત. પણ તેઓ જાણતા હતા કે સિંહ મહત્વાકાંક્ષી છે, પણ તેઓ દેશ માટે લડ્યાં છે અને આદર્શ કૌભાંડ અને સુકના જમીન કૌભાંડમાં સૈન્ય અધિકારીઓ સામે કડક હાથે કામ લીધું છે. તેમની સામે નાણાકીય ગોટાળાના કોઈ આક્ષેપ નથી. તેઓ સમજી ગયા હતા કે સિંહને પૈસા કરતાં પદ વધારે વહાલું છે. તેમણે સિંહને અરજી પાછી ખેંચી લેવા કહ્યું. એટલું જ નહીં આ બંને ન્યાયાધિશોએ સિંહની સેવાની પ્રશંસા કરીને ટકોર કરી કે તમારી સેવા કાબિલેદાદ છે, પણ તમે જે વર્તણૂંક કરી રહ્યાં છો એ સરસેનાપતિના પદને લાયક નથી. સુપ્રીમ કોર્ટની ટકોર સિંહ સમજી ગયા હતા અને તેમને પીછેહટ કરવાની ફરજ પડી. આ રીતે હકીકતમાં સિંહ જન્મતારીખના વિવાદમાં સાચા હોવા છતાં તેમણે પ્રમોશન મેળવવા જન્મના વર્ષ સાથે જે સમાધાન કર્યું તેના જ ફળ તેઓ ભોગવી રહ્યાં છે. તેઓ ચાલુ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થશે એ વાત લગભગ પાક્કી થઈ ગઈ છે. પણ તેમના જીવનમાંથી એક સંદેશ જરૂર મળે છે કે સિદ્ધાંતો માટે લડવું હોય તો પદની ખેવના છોડવી ન રાખવી.

Wednesday, February 22, 2012

હૃદયપૂર્વક અને ખંતથી કાર્ય કરવું એ જ જીવનનો સાચો આનંદ

જે આર ડી ટાટા (૧૯૦૪-૧૯૯૩)
૧૫ ઓક્ટોબર, ૧૯૩૨ના રોજ ભારતની પહેલી એરલાઇન કંપનીના વિમાને ઉડાન ભરી હતી. આ કંપની હતી ટાટા એરલાઇન જેનું વર્ષ ૧૯૫૩માં એર ઇન્ડિયા સ્વરૂપે રાષ્ટ્રીયકરણ થયું હતું અને તેના પાયલોટ હતા મહાન અને દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ જે આર ડી ટાટા ‘પુશ મોથ’ નામનું એ સિંગલ એન્જિન ધરાવતા વિમાન કરાંચીથી એર મેઇલ લઈને રવાના થયું હતું અને વાયા અમદાવાદ થઈને મુંબઈ પહોંચ્યું હતું. કરાંચીમાં વિમાને ઉડાન ભરી ત્યારે જે આર ડીએ કહ્યું હતું કે, ‘‘આ સાથે ભારતની પ્રથમ એરલાઇન-ટાટા એરલાઇન-નો જન્મ થઈ ગયો છે અને મારું સ્વપ્ન સાકાર થયું છે.’’ જે આર ડીએ ઓક્ટોબર, ૧૯૬૨માં કરાંચી અને મુંબઈ વચ્ચે ફરી ઉડાન ખેડી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૮૨માં કરાંચીથી મુંબઈ ઉડાનની સુવર્ણજયંતિ ઉજવવામાં આવી અને તેના ભાગરૂપે જે આર ડીએ એ જ ‘પુશ મોથ’ વિમાનમાં ૭૮ વર્ષની ઉંમરે પણ કરાંચીથી મુંબઈ વચ્ચે ઉડાન ભરીને યુવાનોને આત્મવિશ્વાસ કેળવવાનો સંદેશો આપ્યો હતો. તેમનું વિમાન મુંબઈના જુહૂ એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમનું સ્વાગત કરવા અનેક લોકો એકત્ર થયા હતા. તેમની સામે ટાટાએ એક ભાષણ આપ્યું હતું અને યુવાનોને પડકારો ઝીલવાની અને કાર્ય પ્રત્યે નિષ્ઠા દાખવવાની સલાહ આપી હતી.

આજે સાંજે ભાષણ સાંભળીને હું જેટલી શરમ અનુભવુ છું તેટલી ક્યારેય અનુભવી નથી. હું વિનમ્ર વ્યક્તિ છું તેવું કહીને મહામહિમ રાજયપાલે તેમની સજજનતા દાખવી છે. સામાન્ય રીતે મેં અનુભવ્યું છે કે મારી પાસે ઘણું બધું છે, જેના પગલે મારી નમ્રતા જળવાઈ રહી છે. આજે પણ કરાંચી સુધી ઉડાન ભરવાની અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પાછું લઈને આવવામાં મેં કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય કે મહાન કામ કર્યું હોય તેવું હું માનતો નથી. આ માટે વિશેષ કૌશલ્ય, સાહસ કે યોગ્યતાની જરૂર પણ નથી. મારે આ ઉડાનમાં ઊંચા પર્વતોને પાર કરવાની કપરી કામગીરી કરવી પડી નહોતી, ન બરફીલા તોફાનો કે ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો.
ખરેખર ૫૦ વર્ષ અગાઉ વિમાનનું ઉડ્ડયન પ્રમાણમાં સરળ હતું. તેમાં હવામાં સંતુલન જાળવી રાખવા અને સરેરાશ ચોકસાઈ સાથે વિમાન ઉડાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. તે વખતે વિમાનના ઉડ્ડયન માટે મારી પાસે એક જ સાધન હતું-નકશા. મેં નકશાની મદદ લીધી હતી અને કમ્પાસની સહાયથી વિમાનની નીચે પસાર થતી જમીન પર નજર રાખી હતી. પછી મારા ગંતવ્ય સુધી પહોંચી જવાય તેવી આશા સાથે ઉડાન ભરી હતી. હકીકતમાં મારી કામગીરીની વધારે પડતી પ્રશંસા થઈ રહી છે અને મને વધુ પડતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે તેવું મારું માનવું છે, પરંતુ તેને સાંભળીને મને જરૂર આનંદ થયો છે એનો હું નિખાલસપણે સ્વીકાર કરું છું.
મને બાળપણથી વિમાન પ્રત્યે આકર્ષણ હતું. વિમાનને જોઈને હું રોમાંચિત થઈ જતો હતો. વિમાન ઉડાવવાનું સ્વપ્ન સેવતો હતો. મને ક્યારે વિમાન ઉડાવવાની તક મળશે તેની હું આતુરતાપૂર્વક રાહ જોતો હતો. ઉડ્ડયન શરૂ કર્યું તે અગાઉ મેં મારા જમાનના જાણીતા પાયલોટ વિશે માહિતી મેળવી હતી અને તેના કારનામા પર મુગ્ધ થતો હતો. વર્ષ ૧૯૨૭માં લિન્ડબર્ગે સિંગલ એન્જિન વિમાન વડે ૩૩ કલાકમાં એટલાન્ટિક પાર કર્યો હતો, જે ખરેખર એક સિદ્ધિ હતી અને આજે પણ એ પ્રશંસાની હકદાર છે.
મેં અનુભવ્યું હતું કે વર્ષ ૧૯૩૨ની પ્રથમ ઉડાનના સ્મરણોત્સવ (સુવર્ણજયંતિ) માટે મારે કંઈક કરવું જોઈએ. હું એકમાત્ર કાર્ય જાણતો હતો અને એ વિમાનની ઉડાન ભરવાનું મેં કર્યું. આ માટે મારી પાસે અન્ય બે કારણો પણ હતાં. પ્રથમ કારણ તો એ છે કે ૪૬ વર્ષના આ ગાળામાં એર ઇન્ડિયા અને ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને પગભર કરવામાં મારી સહાયતા કરનાર હજારો સાથીદારોને હું સંદેશ આપવા ઇચ્છતો હતો. હું તેમનો આભાર માનવા માંગું છું અને ભેટ સ્વરૂપે તેમને કશું આપવા ઇચ્છતો હતો. આ ઉડાનને પ્રાયોજિત કરનાર એર ઇન્ડિયા અને મારાં જૂનાં વિમાનનું સમારકામ કરીને ફરી ઉડાન ભરવાને લાયક બનાવવનાર અને છેલ્લાં ૫૦ વર્ષમાં મારી સાથે ઘણી વખત ખુશી અને કેટલીક વખત દુઃખ વહેંચનાર મારા સાથીદારોનો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું.
મને પ્રેરિત કરવા માટે જવાબદાર બીજું કારણ એ છે કે હું મારા જીવનમાં પસાર થયેલી એ અવિસ્મરણીય ક્ષણો ફરી જીવવા ઇચ્છતો હતો. આપણે બધા આપણા જીવનની યાદગાર ક્ષણોને ફરી જીવવા માંગીએ છીએ એ સ્વાભાવિક છે. અનેક વ્યક્તિઓ પોતાની સગાઈ કે વિવાહની યાદને તાજી કરવા ઇચ્છે છે. આ માટે ઘણાં બીજી વખત પરણે છે. જોકે અત્યારે કરવેરાઓનો બોજ એટલો બધો છે કે બહુ ઓછા લોકો એકથી વધુ પત્નીઓનો ભાર ઉઠાવી શકે છે. ખૈર, આ ઉડાન ભરવાનું મારી પાસે અન્ય એક કારણ પણ હતું.
જેમ જેમ મારી ઉંમર વધી તેમ તેમ મેં અનુભવ્યંુ છે કે અત્યારે દેશવાસીઓના મનમાં મોહભંગની ભાવના પેસી ગઈ છે. જે આશા, આકાંક્ષા, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આપણે સ્વતંત્ર્તાનું સ્વાગત કર્યું હતું એ બધી ધૂંધળી પડી ગઈ છે. આપણું મનોબળ નબળું પડ્યું છે અને આત્મવિશ્વાસ ચાલ્યો ગયો છે.
અત્યારના યુવાનોને મુખ્ય ચિંતા નોકરી અને રોજગારીની હોય છે. હું તેમને દોષ પણ દેતો નથી. રોજગારીની ચિંતા થવી સ્વાભાવિક છે અને બેરોજગારી વાસ્તવિકતા છે. પણ આપણે બીજા લોકોની સરખામણીમાં સારી કામગીરી કરી શકીએ છીએ કે બીજા કોઈએ ન મેળવી હોય તેવી સિદ્ધિ મેળવી શકીએ છીએ તેવી ભાવના દેખાતી નથી. એટલે મેં વિચાર્યું કે આ ઉડાન તેમનામાં ઉત્સાહની નવી ચિંગારી જન્માવશે, દેશના અને પોતાના સમ્માન માટે કંઈક કરવાનો જુસ્સો પેદા કરશે અને અત્યારે પણ કંઈક કરી દેખાડવાનો સમય વીતી ગયો નથી તેવું દર્શાવશે. અન્ય અનેક કાર્ય છે, જે કરી શકાય છે. આ દેશ માટે યુવાનો અનેક કાર્યો કરી શકે છે અને આ માટે તેમણે કમર કસવી જોઈએ. કાર્ય ગમે તેટલું મુશ્કેલ કેમ ન હોય અને પરિસ્થિતિઓ ગમે તેટલી વિકટ કેમ ન હોય, મજબૂત મનોબળ અને સખત પરિશ્રમ વડે તેને પાર પાડી શકાય છે.
મારી આજની ઉડાન આપણા દેશના યુવાનોમાં આશા અને ઉત્સાહ જન્માવવાનો પ્રયાસ હતો. હું ઇચ્છું છું કે આજના યુવાનો ૭૮ વર્ષના થશે ત્યારે મારી જેવો જ આત્મવિશ્વાસ ધરાવતા હશે. મારી જેમ ૭૮ વર્ષની ઉંમરે તેઓ પણ અનુભવી શકશે કે તમામ મુશ્કેલીઓ અને વિકટ સંજોગો વચ્ચે પણ તમે તમારા ધ્યેય તરફ નિરંતર આગળ વધતા રહો તો લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. તમે તમારા કાર્યને વફાદાર હોવ તો બીજા લોકોની સરખામણીમાં વધુ સારું કામ કરી શકો છો. ખરેખર હૃદયપૂર્વક અને ખંતથી કાર્ય કરવું એ જ જીવનનો સાચો આનંદ છે.