Wednesday, December 31, 2008

CATCHY POLITICAL SLOGANS


ભારતમાં લોકશાહી એટલે શું? છેલ્લાં કેટલાંક વર્ષોથી તે માત્ર બહુમતી મેળવવાની અને યેન-કેન પ્રકારે સત્તા મેળવવાની રમત છે। અબ્રાહમ લિંકને લોકશાહીને લોકોની, લોકો માટે અને લોકો દ્વ્રારા ચાલતી શાસનવ્યવસ્થા ગણાવી હતી, પણ અફસોસ ભારતમાં તે શાસકોની, શાસકોના વંશજો માટેની અને પ્રજાને માથે પડેલા શાસકોના ફરજંદો દ્વારા ચાલતી રાજ્ય વ્યવસ્થા થઈ ગઈ છે. અહીં અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા રાજકીય પક્ષોનું એકમાત્ર ધ્યેય સત્તા છે અને સત્તા મેળવવાનો પાયાનો એકમ સામાન્ય નાગરિકનો મત છે. આ મત મેળવવા રાજકીય નેતાઓ દરરોજ નીતનવું તરકટ રચે છે અને નવો સ્વાંગ સજે છે.

મત મેળવવા માટે રાજકીય પક્ષોનું સૌથી અસરકારક હથિયાર કયું? રાજકીય સૂત્રો. લોકોની રાજકીય માન્યતાઓને મજબૂત કરવામાં આકર્ષક રાજકીય સૂત્રો (catchy political slogans) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં પણ ફિલ્મરસિક ભારતીય પ્રજા પર તો આ પ્રકારના સૂત્રો જાદુઈ અસર કરે છે. જેમ હિન્દી ફિલ્મ ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ 'શોલે'નો એક ડાયલોગ 'અરે ઓ કાલિયા, કિતને આદમી થે?' લોકજીભે ચડી ગયો છે તેમ રાજકીય પક્ષોએ પોતાનો સ્વાર્થ સાધવા સમયે-સમયે વહેતા મૂકેલા સૂત્રોએ પ્રજામાં અત્યંત લોકપ્રિય બન્યાં હતા. દેશના જાણીતા મેગેઝિન 'ઇન્ડિયા ટુડે'એ પોતાના '33rd ANNIVERSARY SPECIAL ISSUE'માં સ્વતંત્ર ભારતમાં સૌથી વધારે જાણીતા થયેલાં દસ રાજકીય સૂત્રો આપ્યાં છે. તેમાંથી કોઈ જનતા જનાર્દનનું મન જીતવા સફળ રહ્યાં તો કોઈને પોતાનું ધ્યેય પાર પાડવામાં ધોબીપછાડ મળી હતી.

''ઓછું બોલો ને કામ વધુ કરો''
ઇન્દિરા ગાંધી પહેલી વખત 1966માં વડાપ્રધાન બન્યાં ત્યારે તેમણે આ સૂત્ર વહેતું મૂક્યું હતું। તે સમયે તેઓ કોંગ્રેસના વડીલ નેતાઓમાં ગૂંગી ગુડિયા તરીકે જાણીતા હતા, પરંતુ તેમણે કોંગ્રેસના વડીલ નેતાઓને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા. મોરારજી દેસાઈ, કામરાજ, જયપ્રકાશ નારાયણ જેવા વડીલ નેતાઓ તેમના રાજકીય કાવાદાવા જોઈ મોંમા આંગળા નાંખી ગયા હતા. ઓછું બોલો અને કામ વધુ કરો હકીકતમાં તેમનો જીવનમંત્ર હતો. જ્યાં એક શબ્દથી કામ પતી જતું હોય ત્યાં વધારે શબ્દોનો ઉપયોગ ન કરવાની કળા તેમની પાસેથી દરેકે શીખવા જેવી છે.

''ઇન્દિરા હટાવો દેશ બચાવો''
ઇન્દિરા ગાંધીએ કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરી ત્યારે 1977માં જયપ્રકાશ નારાયણે આ સૂત્ર આપ્યું હતું અને કટોકટી પછી કોંગ્રેસવિરોધી રાજકારણીઓએ મીઠું-મરચું ભભરાવી કટોકટીની અસર વિશે જે સાચી-ખોટી માહિતીનો ધોધ વરસાવ્યો હતો તેનાથી ભરમાયેલી પ્રજાના ભ્રમમાં આ સૂત્રે વધારો કર્યો હતો અને ઇન્દિરા ગાંધીને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

''એક શેરની, સો લંગૂર, ચિકમગલુર, ચિકમગલુર''
1978માં યોજાયેલી પેટાચૂંટણીમાં ઇન્દિરા ગાંધી દેવરાજ ઉર્સે ચિકમગલુરના લોકોને આ સૂત્ર આપ્યું હતું જેમાં મોરારજી દેસાઈના નેતૃત્વમાં એકત્ર થયેલા શંભુમેળામાં ભેગા થયેલા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને તેમણે લંગૂર કહ્યાં હતા અને ઇન્દિરા ગાંધીને સિંહણ ગણાવ્યાં હતા.

''દલિત-મુસ્લિમ ભાઈ ભાઈ''
મંડલ પંચે 1981માં આ સૂત્ર આપ્યું હતું, જેનો ઉપયોગ કેસરિયા બ્રિગેડ આજે પણ કરે છે.

''જબ તક સુરજ ચાંદ રહેગા, ઇન્દિરા તેરા નામ રહેગા''
ઇન્દિરા ગાંધીની 1984માં હત્યા થયા પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે આ નારો આપ્યો હતો જેના કારણે ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે લોકોમાં રાજીવ ગાંધી પ્રત્યે ઊભી થયેલી લાગણીમાં ઊભરો આવ્યો હતો અને કોંગ્રેસનો લોકસભાની 400 કરતાં વધારે બેઠકો પર વિજય થયો હતો.

''હમ સૌગંધ રામ કી ખાતે હૈ, મંદિર વહીં બનાયેંગે
રામના નામે જનતાની છેતરપિંડી કરી સત્તાના સૂત્રો હસ્તગત કરવા ભાજપે આ પ્રતિજ્ઞા 1989માં લીધી હતી। તે પછી ભાજપ દેશનો બીજો મોટો રાજકીય પક્ષ બની ગયો અને રામભક્તો રામમંદિર બનવાની રાહ જોતાં રહ્યાં. રામમંદિર માટે રથયાત્રા કાઢી નાયબ વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી જનાર અડવાણી હવે બાબરી ઢાંચાનું પતન થયું તે દિવસને પોતાના જીવનનો સૌથી કમનસીબ દિવસ ગણાવે છે. બિચારા રામભક્તો!

''બારી, બારી, સબ કી બારી, અબ કી બારી, અટલ બિહારી''
ભાજપે 1996ની સામાન્ય ચૂંટણીઓમાં લખનૌની રેલીમાં આ નારો આપ્યો હતો અને અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન બનવાની એક તક આપવા જનતા જનાર્દનને અપીલ કરી હતી। તે ચૂંટણીઓમાં તો ભાજપને દિલ્હીની ગાદી સર કરવાનો મેળ ન પડ્યો, પણ 1998 અને 1999ની સામાન્ય ચૂંટણીઓ પછી બે વખત વાજપેયી વડાપ્રધાન થયા. ત્યારબાદ સામાન્ય જનતાને સમજાયું કે આ તો મોટી ભૂલ થઈ ગઈ. જનતાની આ લાગણી લોકસભામાં રજૂ કરતાં લાલૂપ્રસાદ યાદવે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ''જવાહરલાલ નહેરુએ એક વખત કહ્યું હતું કે, અટલ એક વખત ભારતના વડાપ્રધાન જરૂર બનશે. હવે તો તે બે-બે વખત વડાપ્રધાન બની ગયા છે, મહેરબાની કરીને હવે તો આ દેશની જનતાને છૂટકારો આપે.'' અને 2004માં જનતાએ જ છૂટકારો મેળવી લીધો.

''જાત પર ના પાત પર, મોહર લગેગી હાથ પર''
આ સૂત્ર પી વી નરસિંહરાવે 1996ની સામાન્ય ચૂંટણીઓમાં આપ્યો હતો, પણ બિગબુલ હર્ષદ મહેતાનું શેરબજારનું કૌભાંડ, ઝારમુખ મુક્તિ મોરચાનું કૌભાંડ, સુખરામનું ટેલીકોમ કૌભાંડ જેવા ગોટાળામાં કોંગ્રેસનું કોકડું વળી ગયું હતું.

''ઇન્ડિયા શાઇનિંગ''
વર્ષ 2003ના અંતે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભામાં વિજય થતાં ભાજપના નેતાઓ વધુ પડતા છકી ગયા હતા અને હવે તો આખું ભારત અમારી મુઠ્ઠીમાં જ છે તેવા વહેમમાં આવી ગયા હતા. આ કારણે તેમણે વર્ષ 2004માં સામાન્ય ચૂંટણીઓ વહેલી કરાવી અને પ્રમોદ મહાજને આ સૂત્ર વહેતું કર્યું હતું. પણ જનતા સમજી ગઈ હતી કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારત કરતાં ભાજપના નેતાઓની આર્થિક સ્થિતિમાં સુધારો વધારે થયો છે. સંપૂર્ણપણે બહુમતી મેળવવાનો દાવો કરતાં ભાજપને ધોબીપછાડ મળી હતી.

Sunday, December 28, 2008

'Byte-hungry' Media

છેલ્લાં કેટલાંક વખતથી પ્રસાર માધ્યમો (મીડિયા) હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનની ટીકાનું કેન્દ્ર બની રહ્યાં છે પણ હવે બચ્ચન બ્રિગેડમાં મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એક પોલીસ અધિકારીના વિધવા પણ સામેલ થયા છે। અને તેમની વેદના મિ. સીનિયર બચ્ચનની પીડા જેટલી જ વાજબી છે. મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મહારાષ્ટ્ર આતંકવાદવિરોધી ટુકડી (એટીએસ)ના વડા હેમંત કરકરેના પત્ની કવિતા કરકરેએ પ્રસાર માધ્યમોની સંવદેનશીલતા પર પ્રશ્ન ઊભો કરી દીધો છે.

ગંગાસ્વરૂપ કવિતા કરકરેએ પ્રસાર માધ્યમોને 'byte-hungry' ગણાવ્યાં છે। તેમણે ડીએનએ સન્ડેમાં રીપોર્ટર શ્રદ્ધા જહાગિરદાર-સક્સેનાને આપેલી મુલાકાતમાં પોતાની પીડા વ્યક્ત કરતાં કહ્યું છે કે, ''It is extremely sad that while he was giving the last agni to his father, Akash (Akash-Hemant and kavita's son), who has not even completed 18 years, was being asked questions by 'byte-hungry' media about how he felt!'' એક 18 વર્ષથી ઓછી ઉંમરનું સંતાન પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરતું હોય ત્યારે તે કેવી પીડા અનુભવી રહ્યો છે તેવો પ્રશ્ન, માય ફૂટ! આ દુનિયા કેટલી સ્વાર્થી અને કઠોર છે તેનો ખ્યાલ આકાશ કરકરેને કદાચ તેના પિતાના અંતિમ સંસ્કાર સમયે જ આવી ગયો હશે.

સત્ય ખરેખર કડવું છે, પણ આપણે સ્વીકારવું જ પડશે। ન્યૂસ ચેનલ્સ વચ્ચેની ગળાકાપ સ્પર્ધાએ પ્રસાર માધ્યમોને હાંસીપાત્ર બનાવવામાં કંઈ બાકી રાખ્યું નથી. સારી-નરસી કોઈ પણ બાબત હોય ત્યારે તેની સાથે જોડાયેલા ચહેરાઓને ન્યૂસ ચેનલ્સના પત્રકારો અને પત્રકારિણીઓ હરીફરીને એક જ વાત પૂછે છે, 'તમને કેવું લાગે છે? કે તમને અત્યારે કેવી લાગણી અનુભવી રહ્યાં છો?'

ત્રણેક વર્ષ પહેલાં અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં ભાઈકાકા હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર 'સાધના'નો એક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથી તરીકે 'ગુજરાતની ઘેલી જનતાના નાથ' શ્રીમાન નરેન્દ્ર મોદી હતા. તેમણે અહીં ન્યૂઝચેનલ્સના પત્રકારોની 'byte-hungry' માનસિકતાને ઉઘાડી કરતી એક સરસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ''આઇસી-814ના અપહરણમાં માર્યા ગયેલા યુવાન રૂપેન કત્યાલનો મૃતદેહ તેમના ઘેર પહોંચ્યો ત્યારે ન્યૂસ ચેનલ્સના પત્રકારો અને પત્રકારિણીઓએ રૂપેનની દાદીમાને 'તમે કેવી લાગણી અનુભવી રહ્યાં છો?' તેવો પ્રશ્ન પૂછતાં હતા. હજુ જેની પૌત્રવધુના હાથમાં લગ્નની મહેંદીનો રંગ જરાં પણ ઝાંખો પડ્યો નથી તે દાદીના કાળજા પર જવાનજોધ પૌત્રના મૃત્યુનો કેવો ઘા થશે તેની પીડા દરેક સામાન્ય માણસ અનુભવી શકતો હોય ત્યારે આ ડંડાધારીઓ (ન્યૂસ ચેનલ્સના પત્રકારો) તેમને કેવું લાગે છે તેવું પૂછતાં હતા...''

જોકે કાયમ કોંગ્રેસ, યુપીએ સરકાર અને પત્રકારોને નિશાન બનાવતા મોદીકાકા પોતે કવિતા કરકરેના નિશાન બન્યાં છે। માલેગાંવ વિસ્ફોટમાં હેમંત કરકરેની આકરી ટીકા કરનાર ભાજપ પર અપ્રત્યક્ષ રીતે નિશાન સાધતા તેમણે કહ્યું છે કે, ''He was criticised a lot for that. But the very peple who villified him them are the one who are praising him now.'' કરકરે શહીદ થયા પછી દેશના બીજા કોઈ પણ રાજકારણી પોતાની પહેલાં પહોંચી પબ્લિસિટી મેળવી ન લે તેની લ્હાયમાં આતંકવાદીઓને પાર પાડવાનું ઓપરેશન ચાલતું હતું તે દરમિયાન જ નરેન્દ્ર મોદીએ મુંબઈ ભણી દોટ મૂકી હતી.

રાજકારણીઓની આવી જ દોટને કારણે પ્રજા અત્યારે હાંફી ગઈ છે, નિરાશ થઈ ગઈ છે, નિરાધાર થઈ ગઈ છે. અને આ કારણે જ કવિતા કરકરે નિઃસહાયમાં હાલતમાં પૂછે છે કે, ''Who is taking responsibility for Hemant's death?'

Friday, December 26, 2008

સંપૂર્ણ જન ગણ મન... રાષ્ટ્રગાન અને તેનો વિવાદ


97 વર્ષ પહેલાં એટલે કે 27 ડીસેમ્બર, 1911ના રોજ કલકત્તા ખાતે યોજાયેલા કોંગ્રેસ મહાસભાના વાર્ષિક અધિવેશનમાં પહેલી વખત હિંદુસ્તાનના રાષ્ટ્રગાન જન ગણ મન॥નું ગાન થયું હતું। ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે મૂળ બંગાળમાં રચેલું આ રાષ્ટ્રગાન સામાન્ય રીતે સંક્ષિપ્તમાં ગવાય છે અને મોટેભાગે આપણે તેને જ અનુસરીએ છીએ। આપણે જે પદનો ગાન કરીએ છીએ તે નીચે મુજબ છેઃ

જન ગણ મન અધિનાયક જય હે
ભારત ભાગ્ય વિધાતા
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ બંગ,
વિન્ધ્ય, હિમાચલ, યમુના, ગંગા,
ઉચ્છલ જલધિ તરંગ,
તવ શુભ નામે જાગે
તવ શુભ આશિષ માગે
ગાહે તવ જય ગાથા
જન ગણ મંગલ દાયક જય હે
ભારતભાગ્ય વિધાતા
જય હે, જય હે, જય હે
જય જય જય જય હે.

હવે તેના બાકીના પદ જાણીએઃ

પતન-અભ્યુદય-વન્ધુર-પંથા,
યુગયુગ ધાવિત યાત્રી,
હે ચિર-સારથી,
તવ રથ ચક્રેમુખરિત પથ દિન-રાત્રિ,
દારુણ વિપ્લવ-માઝે
તવ શંખધ્વનિ બાઝે,
સંકટ-દુઃખ-શ્રાતા,
જન-ગણ-પથ-પરિચાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે।

ઘોર-તિમિર-ઘન-નિવિડ-નિશીથ,
પીડિત-મૂર્ચ્છિત-દેશે,
જાગ્રત દિલ તવ અવિચલ મંગલ,
નત નત-નયને અનિમેષે,
દુઃસ્વપ્ન આતંકે,
રક્ષા કરિજે અંકે,
સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે।

રાત્રિ પ્રભાતિલ ઉદિલ રવિચ્છવિ.
પૂરબ-ઉદય-ગિરિ-ભાલે, સાહે વિહન્ગમ, પૂણ્ય સમીરણ
નવ-જીવન-રસ ઢાલે,
તવ કરુણારુણ-રાગે
નિદ્રિત ભારત જાગે
તવ ચરણે નત માથા,
જય જય જય રાજેશ્વર જય હો,
ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે।

સ્વતંત્ર ભારતના રાષ્ટ્રગાન તરીકે જન ગણ મન...શું યોગ્ય છે? આ પ્રશ્નને લઇને આજે પણ દેશના બૌદ્ધિકો એકમત નથી। જ્યારે આ ગીતની રચના થઈ ત્યારે બ્રિટનના શહેનશાહ જ્યોર્જ પંચમ ભારતના પ્રવાસે આવ્યા હતા અને ગુરુદેવે આ ગાન તેમની સ્તુતિમાં લખ્યું હોવાનું મનાય છે. કોંગ્રેસ મહાસભાએ સન 1911માં કલકત્તામાં યોજાયેલા છવ્વીસમા અધિવેશનમાં તેનું પહેલી વખત ગાન કર્યું. આ જ અધિવેશનમાં મહાસભાએ શહેનશાહને આવકાર આપતા અને તેમનો આભાર માનતા ઠરાવ પણ પસાર કર્યા હતા જેના લીધે ઉપરોક્ત માન્યતા વધુ દ્રઢ બની હતી.

આ ઠરાવો શું કહે છે તે જાણીએઃ

''શહેનશાહને આવકાર-નામદાર શહેનશાહની રાજગાદીને તથા વ્યક્તિ તરીકે તેમને અને મહારાણીને આ મહાસભા પોતાની નમ્ર ફરજ તરીકે માનપૂર્વક આવકાર આપે છે અને આશા રાખે છે કે, હિંદની તેમની મુલાકાતથી આ દેશને કાયમનો લાભ થશે।''

''બંગભગ-નામદાર શહેનશાહે કૃપાવંત થઈને બંગાળના ભાગલામાં સુધારો જાહેર કર્યો છે તે માટે મહાસભા તેમનો ખૂબ ભાવ અને નમ્રતાપૂર્વક આભાર માને છે. હિંદી સરકારે તેની ભલામણ કરી અને હિંદી વજીરે તે મંજર રાખી તે માટે મહાસભા તેમનો પણ આભાર માને છે. આ પગલાથી દેશમાં શાંતિ સ્થાપવાના કામમાં ખૂબ મદદ થશે અને નામદાર લોર્ડ હાર્ડિંજ અને લોર્ડ ક્રૂનાં નામો, આ સમાધાનભરી નીતિ માટે, હિંદી પ્રજા સદા યાદ કરશે.''
(સ્રોતઃ ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશિત વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી સંપાદિત 'મહાસભાના ઠરાવો')

કોંગ્રેસ મહાસભાના આ ઠરાવોને કારણે જન ગણ મન..ની રચના શહેનશાહના ગુણગાન ગાવા માટે ગુરુદેવે કરી હશે તે વાતને તત્કાલિન વર્તમાનપત્રોએ પણ પુષ્ટિ આપી હતી. 28મી ડીસેમ્બર, 1911ના અંકમાં 'સ્ટેટ્સમેન'એ લખ્યું હતું કે,
''The Bengali poet Babu Rabindranath Tagore sang a song composed by him specially to welcome the Emperor.''

'ઇંગ્લીશમેન'એ પણ આવો જ સૂર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,
''The proceedings began with the singing by Babu Rabindranath Tagore of a song specially composed by him in honour of the Emperor।''

તો 'ઇન્ડિયન'એ તો કોંગ્રેસ મહાસભાએ આ ગાન શહેનશાહને આવકારવા જ ગાયું હતું તેવું સ્પષ્ટ જણાવતાં લખ્યું હતું કે,
''When the proceedings of the Indian National Congress began on Wednesday 27th December 1911, a Bengali song in welcome of the Emperor was sung. A resolution welcoming the Emperor and Empress was also adopted unanimously.''

જોકે રવીન્દ્રનાથ ટાગારે આ રાષ્ટ્રગાન પરમ કૃપાળુ પરમાત્માને સમર્પતિ કર્યું હોવાનું કહ્યું હતું। આ રાષ્ટ્રગાનના ગાયનની અવધિ લગભગ 52 સેકન્ડ છે. અમુક પ્રસંગે રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિઓ સાથે સંક્ષિપ્ત સ્વરૂપે ગાવામાં આવે છે જેમાં લગભગ 20 સેકન્ડ થાય છે. બંધારણસભાએ જન ગણ મન॥ને ભારતના રાષ્ટ્રગાન સ્વરૂપે 24 જાન્યુઆરી, 1950ના રોજ સ્વીકાર્યું હતું. તેને સર્વપ્રથમ 27 ડીસેમ્બર, 1911ના રોજ કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ ગાનમાં પાંચ પદ છે.

એક આડ વાત કરી લઇએ. રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એકમાત્ર વ્યક્તિ છે જેમની રચનાને એકથી વધુ દેશોમાં રાષ્ટ્રગાનનો દરજ્જો પ્રાપ્ત છે. તેમની એક બીજી કવિતા 'અમારા શોનાર બાંગ્લા' બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન છે. તેને ગુરુદેવે બંગભંગની ચળવળ દરમિયાન સન 1906માં લખ્યું હતું. અંગ્રેજોએ ધર્મને આધારે બંગાળના ભાગલા પાડ્યા ત્યારે આ ગીતે બંગાળમાં એકતાનું વાતાવરણ ઊભું કર્યું હતું. પાકિસ્તાનના રાક્ષસી પંજામાંથી સન 1972માં છૂટકારો મેળવ્યા પછી બાંગ્લાદેશે આ ગીતની પ્રથમ દસ પંક્તિઓનો રાષ્ટ્રગાન સ્વરૂપે સ્વીકાર કર્યો હતો.

Thursday, December 25, 2008

અમેરિકાનો બિગબુલ બર્નાર્ડ મૈડોફ


'ભરતી ઓસરે પછી જ ખબર પડે કે દરિયામાં કેટલા નિર્વસ્ત્ર લોકો તરતા હતા?' આ વાક્ય અમેરિકાના જાણીતા ઇન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટનું છે. શેરબજાર વિશે કરેલી આ ટીપ્પણીનો અર્થ એ છે કે, શેરબજારમાં જેટલી તેજી વધારે તેટલું જ નાણાકીય ગોટાળાનું જોખમ વધારે. આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ એક કહેવત છે કે, 'નાગાને નહાવાનું શું અને નિચોવવાનું શું!' આ કહેવત શેરબજારોમાં કામ કરતાં અનેક શેરદલાલનો લાગૂ પડે છે.
શેરબજારોમાં શેરદલાલો સ્વરૂપે અનેક નાગા લોકો છે જે લોકોના પૈસે તાગડધિન્ના કરે છે અને મંદી આવતાં હાથ ઊંચા કરી લોકોની રાતાપાણીની કમાણી ડૂબાડી દે છે. ચાલુ મંદીમાં અમેરિકાના લાખો રોકાણકારોને રાતા પાણીએ રડાવનારા આવો જ એક શેરદલાલ બર્નાર્ડ મૈડોફ છે, જે તાજેતરમાં જ ટૂંકી જેલ યાત્રાની મજા માણી આવ્યાં પછી એક કરોડના જામીન પર છૂટી ગયો છે. તેણે કેવી રીતે 50 અબજ ડોલરનો ગોટાળો કર્યો છે તે વાત જાણવા જેવી છે.
આ મૈડોફ અમેરિકાના સાત શેરબજારોમાં સૌથી પ્રતિષ્ઠિત નાસ્ડેકના પૂર્વ ચેરમેન હતો. મૈડોફનો ગોટાળો 50 અબજ ડોલર એટલે લગભગ અઢી લાખ કરોડ રૂપિયાનો હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવે છે, પણ તેનાથી વધારે હોય તો નવાઈ નહીં.
અમેરિકાની પોલીસે મૈડોફ મહાશયને ઝડપી લીધા ત્યારે તેમણે જે વાત કરી તે સાંભળીને લાખો રોકાણકારોના પગતળેથી જમીન સરકી ગઈ છે. ''શેરોની લે-વેચનો મારો ધંધો તો એકાદ દાયકા પહેલાં જ ડૂબી ગયો હતો.'' મૈડોફની આ કબૂલાત સાંભળી અમેરિકાની તપાસ એજન્સીઓને પહેલાં તો તેની વાતમાં કોઈ સચ્ચાઈ લાગી નહોતી. જો ધંધો ડૂબી ગયો હતો તો પછી મૈડોફે આટલા મોટાપાયે શેરોની લે-વેચ ચાલુ કેવી રીતે રાખી? આ પ્રશ્નના જવાબ પરથી જ તમને અંદાજ આવી જશે કે સામાન્ય માણસે રાત-દિવસ એક કરી ભેગા કરેલા નાણા કેવી રીતે ડૂબી ગયા? મૈડોફે કહ્યું હતું કે, ''મારો પોતાનો ધંધો ડૂબી ગયો પછી હું મારા જૂનાં ગ્રાહકોને તેમના રોકાણ પર રીટર્નની ચૂકવણી નવા ગ્રાહકોના રોકાણમાંથી કરતો હતો.'' પણ થયું એવું કે ચાલુ મંદીમાં શેરબજારમાં નવા ગ્રાહકોનું આગમન બંધ થઈ ગયું અને જૂનાં ગ્રાહકોએ રીટર્નથી સંતુષ્ટ રહેવાને બદલે પોતાનું મૂળ રોકાણ પરત મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સંજોગામાં મૈડોફ પાસે હાથ ઊંચા કરી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
અર્થશાસ્ત્રમાં આ પ્રકારના ગોરખધંધા 'પોજી સ્કીમ' નામે ઓળખાય છે. 1929થી શરૂ થયેલી મહામંદી પહેલાં અમેરિકામાં ચાર્લ્સ પોજી નામનો એક ઇટાલિયન બિગબુલ પકડાઈ ગયો હતો. તે લોકોને એક જ વર્ષમાં તેમની રકમ 20થી 30 ટકા વધારી દેવાની લાલચ આપતો હતો. તેનો ધંધો થોડા વર્ષ તો આરામથી ચાલ્યો અને લોકો પણ પોતાના નાણા પર બેંકો કરતાં ચારગણું વ્યાજ મેળવી ખુશ હતા. આટલું સારું વ્યાજ મેળવીને પોતાની મુદ્દલ પરત મેળવવાનું કોણ વિચારે! પણ પોજીની ભવ્ય ઇમારતનો પાયો નવા ગ્રાહકોની સતત આવક પર નિર્ભર હતો. તેને ત્યાં નાણાં મૂકવા નવા ગ્રાહકોની લાઇન લાગતી હતી અને તેમની જમા રકમમાંથી તે જૂનાં ગ્રાહકોને વ્યાજની ચૂકવણી કરતો હતો. પણ 1929ની મંદીમાં પોજીના સ્વપ્નમહેલનો કડડભૂસ થઈને તૂટી પડ્યો. નવા ગ્રાહકો આવતાં બંધ થઈ ગયા અને જૂનાં ગ્રાહકોએ પોતાની મુદ્દલ માંગવાનું શરૂ કરતાં પોંજીનો પિરામીડ જમીનદોસ્ત થઈ ગયો. પોજી જેવી રમત જ મૈડોફે અમેરિકાના રોકાણકારો સાથે રમી હતી.
1960ના દાયકામાં પાર્કમાં ફુવારા લગાવવાનો ધંધો કરતા બર્નાર્ડ મૈડોફે 5,000 ડોલરનું રોકાણ કરી શેરદલાલીનું કામ શરૂ કર્યું. 1990માં પહેલી વખત તેણે સાઇડ બિઝનેસ સ્વરૂપે લોકોના નાણાનું રોકાણ કરવાનું કામ શરૂ કર્યું અને 2005માં મૈનહટનમાં એક ભવ્ય ઓફિસ સાથે હેજ ફંડની શરૂઆત કરી. જે રીતે પોજીએ ઇટાલિયન હોવાનો ફાયદો ઉઠાવ્યો હતો તે જ રીતે મૈડોફે પોતાને યહૂદી હોવાનો લાભ અમેરિકાની આર્થિક તાકાતની કરોડરજ્જુ ગણાતા યહૂદીઓને વિશ્વાસ જીતીને ઉઠાવ્યો. 1990 પછી મૈડોફની કંપનીએ લોકોને તેમના રોકાણ પર દર વર્ષે 11 ટકા રીટર્ન આપ્યું હતું. અમેરિકામાં એક સમયે એવી પરિસ્થિતિ હતી કે મૈડોફને ત્યાં નાણા જમા કરાવવા માટે મોટા-મોટા લોકો ભિખારીઓની જેમ આજીજી કરતા હતા, પણ દસ લાખ ડોલરથી ઓછી રકમનો તેને ત્યાં સ્વીકારવામાં આવતો નહોતો.
અમેરિકા અને યુરોપના દેશોમાં મંદીએ લોકોને ધોળા દિવસે તારા દેખાડી દીધા છે ત્યારે તેમાં હવે મૈડોફ સ્વરૂપે એક નવું પરિમાણ જોડાઈ ગયું છે. અસલી ચિંતા એ છે કે અમેરિકા અને યુરોપમાં એક નહીં અનેક મૈડોફ પોતાના ગોરખધંધા ચલાવતા હોવાની શક્યતા છે. સામાન્ય માણસોને મોંઘવારી અને બેરોજગારીની સાથે હવે આ પ્રકારના ગોટાળાની એક નવી આફતનો પણ સામનો કરવો પડશે.

'ભારતીય ન્યૂટન' શ્રીનિવાસ રામાનુજન


એટીએમ મશીનોમાં ચલણી નોટો નંબરોને અનેક રીતે વિભાજીત કરતા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સિદ્ધાંતની ભેટ એક મહાન ભારતીય વૈજ્ઞાનિકે આપી છે. શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન જેવા ફુલ્લી ફાલતું લોકોને પોતાના હીરો માનતી વર્તમાન ભારતીય પેઢી તો તેમના નામથી પણ કદાચ અજાણ હશે.
ભારતમાં લગભગ ભૂલાઈ ગયેલા વૈજ્ઞાનિકનું નામ છે શ્રીનિવાસ રામાનુજન. તેમને અત્યારે આખી દુનિયા સલામ કરે છે. પ્રતિભામાં મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની સમકક્ષ ગણાતી આ વિશ્વવિભૂતિનો જન્મ 22 ડિસેમ્બર, 1887ના રોજ તમિળનાડુના ઇરોડ શહેરમાં થયો હતો. ઇતિહાસને લગતાં ભારતીય પુસ્તકોમાં તેમના જીવનકવન વિશે થોડીઘણી માહિતી મળે છે. તેમનુ જીવન કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના ક્રિકેટપ્રેમી ગણિતશાસ્ત્રી જી એચ હાર્ડી સાથે અભિન્ન સ્વરૂપે જોડાયેલું રહ્યું. ગણિતને સંગીત અને ચિત્રકામ કરતાં પણ મોટી કળા માનતા હાર્ડીએ જ રામાનુજનની પ્રતિભાને ઓળખી હતી અને તેને વિકસવા જરૂરી ફલક પૂરું પાડ્યું હતું. હાર્ડીના પ્રયાસોને કારણે જ રામાનુજન કેમ્બ્રિજ પહોંચી ગયા અને ત્યાંની ફેલોશિપ મેળવી.
યુનિવર્સિટી ઓફ માનચેસ્ટરના પ્રોફેસર જ્યોર્જ બી. જોસેફ કહે છે કે, ''રામાનુજનને થ્યોરિટિકલ ફિઝિક્સના ક્ષેત્રમાં સૌથી ક્રાંતિકારી સિદ્ધાંતોમાંના એકની રજૂઆત કરવાનો શ્રેય આપી શકાય છે. આ સિદ્ધાંત એટલે 'ધ સુપરસ્ટ્રિંગ ઓફ કોસ્મોલોજી.' વ્યવહારિક સ્વરૂપે કહીએ તો આ નંબરોને અનેક રીતે વિભાજીત કરવાનો સિદ્ધાંત છે જેનો અત્યારે એટીએમ મશીનોમાં પણ ઉપયોગ થાય છે. આ સિદ્ધાંતની મદદથી જ તેમાં ચલણી નોટોને વિભાજીત કરીને વ્યવસ્થિત કરવામાં આવે છે.''
ભારતની આ વિશ્વવિભૂતી પર 'તહલકા' હિંદી પાક્ષિક પર લંડનમાં રહેતા સ્વતંત્ર પત્રકાર અને લેખક સલિલ ત્રિપાઠીનો એક સરસ લેખ પ્રસિદ્ધ થયો છે, જેની લિંક મૂકી છે. http://www.tehelka.com/story_main34.asp?filename=hub271007ACLERK.asp

Monday, December 15, 2008

ગુજરાતી પત્રકારો અને સાહિત્યકારોઃ એક ચહેરે પે કંઈ ચહેરે લગા લેતે હૈ લોગ..

જ્યારે માણસ શક્તિશાળી દેખાતો હોય ત્યારે તેના નામના ગરબા ગાવાં અને તે નબળો પડે ત્યારે તેના પર માછલાં ધોવા તે દુનિયાનો નિયમ છે. આપણા પત્રકાર મિત્રો અને સાહિત્યકારો પણ છેવટે આ જ દુનિયાના માણસો છે ને! તેમાં પણ ગુજરાતી પત્રકારો અને સાહિત્યકારોની વાત જ શું કરવી! છેવટે આપણે ગણતરીબાજ અને વેપારી પૂર્વજોના સંતોનો છીએ ને. છેલ્લાં થોડા દિવસોથી 'સંદેશ'માં જગપ્રસિદ્ધ કટારલેખક, માનનીય મુરબ્બી, વિદ્વાનશિરોમણી શ્રીમાન સૌરભ શાહની કોલમ 'મારા જેલના સંભારણા' (ખરેખર તો આ કોલમનું નામ 'મારી પાછળ પડેલા ડંડાના સંભારણા' હોવું જોઇએ) શરૂ થઈ છે. આજે જ્યારે આ વાત લખી રહ્યો છું ત્યારે મને ખબર નથી કે તેનો બીજો હપ્તો પ્રસિદ્ધ થયો છે કે નહીં, કારણ કે હું 'સંસ્કાર' નામની પૂર્તિથી દૂર જ રહું છું. અસંસ્કારી છું ને! પણ આ વાતને લઇને આપણા વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી કટારલેખકોમાં ચર્ચા જરૂર જામી છે.
તેઓ અત્યારે સૌરભ શાહનાં ઐતિહાસિક પરાક્રમોની વાતો કરીને સમાજના પ્રહરી હોવાની સાથેસાથે અત્યંત નીડર અને નિર્ભીક પત્રકાર-લેખક તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેઓ સૌરભ શાહે ગુજરાતી વાચકોની લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની છડી પોકારી રહ્યાં છે. વાહ વાહ! જ્યારે માણસ છેતરપિંડી કરતો હોય અને સત્તાના કેન્દ્ર સમાન 'મૂર્ખના સરદારો'ની નજીક હોવાનો ડોળ કરતો હોય ત્યારે જરા પણ જોખમ ન લઇને તેના પર પ્રશંસાના પુષ્પો વરસાવવા આપણા મોટાભાગના જાણીતા કટારલેખકો અને પોતાને સાહિત્યશિરોમણી સમાન ગણતા સાહિત્યકારોની આદત છે. મને યાદ છે જ્યારે સૌરભ શાહ 'વિચારધારા'ના લવાજમ ઉઘરાવવા ગુજરાતના જાણીતા શહેરોમાં પોતાના કાર્યક્રમો યોજતા હતા ત્યારે મંચની શોભા અનેક પત્રકારો અને લેખકોએ વધારી હતી. તેમણે 'હિંદુત્વના હાર્દ' હોવાનો દેખાડો કરતાં શ્રીમાન શાહના બે પગ વચ્ચે ઝૂલાં ઝૂલવામાં બાકી રાખ્યું નહોતું. મુખ્યમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી અને લોકોમાં રામનામરૂપી સત્યનો દીપ પ્રગટાવનાર 'પપૂ' મોરારિ બાપૂના નામે હજારો ગ્રાહકોની છેતરપિંડી થઈ રહી હતી ત્યારે આ જ કલમના સિપાહીઓ સૌરભ શાહના 'અતિથી દેવો ભવઃ'ની ભાવનાની મજા લૂંટતા હતા.
અને હવે?
અત્યારે સૌરભ શાહ જેલની લટાર મારી આવ્યા અને તેઓ ખરેખર પોતાનું સાપ્તાહિક કોઈ સંજોગોમાં શરૂ નહીં કરે તેવા સંજોગો જણાય છે ત્યારે તેમની વિરૂદ્ધ કલમના સિપાહીઓ સફાળા જાગ્યાં છે. તેઓ હવે ગુજરાતની સાહિત્યરસિક પ્રજા છેતરાઈ ગઈ હોવાની શાણપણભરી વાતો કરી તેમના હિતેચ્છુ બનવા દોડી રહ્યાં છે. મને ખબર છે કે તેઓ હવે એમ કહેશે કે તમે સૌરભ શાહની સાથે શું કરતાં હતાં?
ચોક્કસ, હું વિચારધારામાં પત્રકાર તરીકે જોડાયો હતો, પણ મેં જાગતા સૂ સૂ કર્યું નથી. હું સૌરભ શાહના ઇતિહાસ વિશે વાકેફ નહોતો નહીં તો ક્યારેય તેમની સાથે જોડાવાની ભૂલ ન કરી હોત. મને પ્રામાણિક ઇરાદા ધરાવતા અને ખોટ સહન કરતાં માણસો પસંદ છે, પણ બદઇરાદા ધરાવતા સ્વાર્થી 'બિગબુલ' પસંદ નથી. મને કઇંક ખોટું થઈ રહ્યાં હોવાની ગંધ 'વિચારાધારા છેતરપિંડી અભિયાન' શરૂ થયું તેના ત્રણથી ચાર મહિનામાં જ આવી ગઈ હતી. તે સમયે મેં, જિતેન્દ્ર પટેલ (જેમને તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે) અને કિશોર મકવાણાએ તરત જ લવાજમની ઉઘરાણી પર બ્રેક મારી દીધી હતી. જો કોઈ લવાજમ ભરવા આવે તો તેને ઘસીને ના પાડી દેતાં હતા અને જ્યારે અંક પ્રસિદ્ધ થાય ત્યારે તેને સ્ટોલ પરથી લેવાની સલાહ આપતાં હતા. સુરેન્દ્રનગરમાં વિચારધારાના કાર્યક્રમ પછી મને મારા મિત્રો અને સંબંધીઓ તરફથી લવાજમ પેટે અડધો લાખ રૂપિયા મળ્યાં હતા, પણ મેં તે જમા જ કરાવ્યા નહોતા. મને તો ખ્યાલ આવી ગયો હતો કે, નિયમિત અંક બહાર પડવાના જ નથી. પહેલો અંક આવ્યો તે પછી તરત જ વિચારધારા પખવાડિક થઈ ગયું અને પછી સીધું માસિક. પછી તો મને જ યાદ નથી કે તેના અંક આવ્યા કે નહીં. પણ સૌથી વધુ દુઃખની વાત એ છે કે, નિયમિત સાપ્તાહિક બહાર પડતું નહોતું તે પછી પણ ગુજરાતના જાણીતા કટારલેખકોએ સૌરભા શાહે યોજેલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વાહ, સમાજના ગણતરીબાજ પ્રહરીઓ, વાહ! સૌરભ શાહના દુઃસાહસના સાક્ષી રહેલા અને અત્યારે તેમની હાંસી ઉડાવતા લોકો તે સમયે વિચારાધારામાં જોડાવા તેમને મળવા આવતા હતા. 'પપૂ' મોરારિ બાપૂએ પણ આ સાપ્તાહિક નિયમિતપણે બહાર પડતું નહોતું તેમ છતાં તેનું બીજી વખત કર્ણાવતી ક્લબમાં વિમોચન કર્યું હતું અને જાણે-અજાણે તે છેતરપિંડી અભિયાનને આગળ વધાર્યું હતું.
ખરેખર તો અત્યારે શ્રીમાન સૌરભ શાહની ટીકા કરવાનો કોઈ મતલબ નથી. જ્યારે ચોર ખાતર પાડવા આવવાનો હોય તેની જાણ હોય છતાં તમે આંખ આડા કાન કરો (એટલું જ નહીં ચોરના બે પગ વચ્ચે ધૂપદીવા કરો) અને ચોર પકડાઈ જાય પછી તેના પર ટપલીદાવ કરો તેનો કોઈ અર્થ નથી. ખરેખર તો ચોર કરતાં પણ તેને છાવરનારા વધુ ગુનેહગાર છે.

Thursday, December 4, 2008

મિત્રતા એક મહેંકતું ફૂલ છે જે ક્યારેય સાચા મિત્રો વચ્ચે કરમાતું નથી



મિત્રતા એક એવું પુષ્પ છે જેની સુગંધ સાચા મિત્રો વચ્ચે સદાય પ્રસરતી રહે છે. સાચી મિત્રતાની ગાંઠ અનેક કસોટીમાંથી જેમ જેમ પસાર થાય છે તેમ તેમ તે વધુને વધુ મજબૂત થાય છે. ઘણી વખત અનેક ગેરસમજણ મૈત્રીનું પારખું કરવા આવે છે. પણ જો મિત્રો સાચા હ્રદયથી મૈત્રી ઝંખતા હોય તો એક દિવસ જરૂર ગેરસમજણરૂપી દિવાલ ધસી પડે છે.
સચિન દેસાઈ. મેં અભ્યાસ કરવા અને કારકિર્દી બનાવવા અમદાવાદમાં પગ મૂક્યો ત્યારે મારી સૌપ્રથમ મિત્રતા સચિન સાથે થઈ હતી. તે અત્યંત અંતર્મુખી અને છોકરીઓ કરતાં પણ વધારે શરમાળ. દોઢેક વર્ષ પહેલાં કેનેડા ચાલ્યો ગયો. મને મળ્યો પણ નહીં અને ભારતની કદાચ કાયમ માટે વિદાય લઉં છું તેવો એક ફોન પણ કર્યો નહીં. અમે બંને એકબીજાથી નારાજ હતા. આઠેક વર્ષની અમારી ગાઢ મિત્રતા પર ગેરસમજણોનાં પડ જામી ગયાં હતાં. તેને એમ કે હું તેને વિદાય આપવા જઇશ અને મને વિશ્વાસ હતો કે તે કેનેડા જતાં પહેલાં ફોન કરશે. તેની માન્યતા ખોટી પડી અને મારો વિશ્વાસ ઉઠી ગયો.
મને બરોબર ગુસ્સો આવ્યો. હવે હદ થઈ ગઈની લાગણી અનુભવતો હતો. હવે જ્યારે તે ભારત આવશે તો પણ તેને નહીં બોલાવું એવું નક્કી કરી લીધું. જ્યારે અભ્યાસ કરવા અને કારકિર્દી બનાવવા અમદાવાદમાં પગ મૂક્યો તે દિવસથી અમારી વચ્ચે મિત્રતા હતી. દરરોજ ઓછામાં ઓછા છથી આઠ કલાક સાથેને સાથે જ હોઇએ. અનેક ફિલ્મો સાથે જોઈ છે.
મને બરોબર યાદ છે કે અમે 'કભી ખુશી કભી ગમ' જોવા શિવ થિયેટરમાં ગયા હતા.કરણ જોહરની આ ફિલ્મ પણ 'કુછ કુછ હોતા હૈ' જેવી સુંદર ફિલ્મ હશે તેવી ધારણા સાથે ગયેલા પણ અમે ખૂબ કંટાળી ગયેલા. લાંબી અને કંટાળાજનક પારિવારીક ફિલ્મમાં ફસાઈ ગયાની લાગણી અનુભવતા હતા. જોકે મારો કંટાળો સચિનની અકળામણે દૂર કરી દીધેલો. ફિલ્મના ક્લાઇમેક્સમાં રૂક રૂક ખાન તરીકે જાણીતો શાહરૂખ ખાન બોલીવૂડના સાચા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની માફી માંગે છે તેવું દશ્ય હતું. સચિન ખુરશીમાં ઊંચોનીચો થતો મને કહેતો કે જલદી જલદી બચ્ચન આ તોતડાને માફ કરી દે તો સારું. આ લખ્યું ત્યારે પણ મને તેની તે અકળામણ યાદ આવતા હસવું આવે છે. તે જ રીતે અમે 'કહોના પ્યાર હૈ' જોવા ગયેલા. બરોબર ઇન્ટરવલની પહેલાં પહેલાં મને બાથરૂમ લાગી. પાછો આવ્યો ત્યારે આખા થિયેટરમાં અંધારું હતું અને હું અમે જ્યાં બેઠાં હતા તે લાઇન ચૂકી આગળ વધી ગયો. અચાનક તે ઊભો થયો અને જોરથી બોલ્યો, 'ઓયે, ક્યાં જાય છે?' તેનું આ વિધાન સાંભળી હું તો હસી પડ્યો પણ સાથેસાથે અમારી આજુબાજુ બેઠેલા બીજા દર્શકો પણ ખડખડાટ હસી પડ્યાં હતા.
તે કેનેડા પહોંચ્યો પછી એક જ મહિનાની અંદર મને ફોન કર્યો. તે સમયે તેને બરોબર ગાળો ભાંડવાની ઇચ્છા થઈ ગઈ. પણ સાચી મિત્રતાની ગાંઠ તમામ ગુસ્સો ઓગાળી નાંખે છે. હું કંઈ બોલી શક્યો નહીં. મારી આંખો ભીની થઈ ગઈ અને કેનેડા જતાં પહેલાં કહ્યું પણ નહીં તેની ફરિયાદ કરી. એક ફોન તો મને કરવો હતો તેવી ફરિયાદ અમે બંનેએ એકબીજાએ કરી. થોડી વાતચીત કરી અને ફરી આઠેક મહિના અમારી મિત્રતા વચ્ચે ઇન્ટરવલ આવી ગયો.
નારાજગી દૂર થવાની શરૂઆત થઈ હતી પણ સંપૂર્ણપણે ગુસ્સો ઓગળતા છથી આઠ મહિના થયા. ફરી અમે બંનેએ ઓર્કુટ પર એકબીજાને ખોળી કાઢ્યાં. ધીમેધીમે વાદ-સંવાદ શરૂ થયો અને છેલ્લાં છથી આઠ મહિનામાં મૈત્રી ફરી પૂરબહારમાં ખીલી ગઈ.

Tuesday, December 2, 2008

પ્રસૂન જોશીની વેદનાઃ ઇસ બાર નહીં


મુંબઈમાં થયેલા આંતકવાદી હુમલામાં લોહીની હોળી જોઇને સમગ્ર દેશવાસીઓનું હ્રદય હચમચી ગયું છે. આતંકવાદીઓના નાપાક ઇરાદાઓને નેસ્તોનાબૂદ કરવા શહીદ થયેલા બેંગ્લોર મૂળના એનએસજી કમાન્ડો સંદીપ ઉન્નિક્રિષ્નનના મૃતદેહની પાસે તેની માતાની વેદના જોઈને કોની આંખમાં આંસૂ નહીં આવ્યા હોય? બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને દેશની સુરક્ષા વ્યવસ્થાની કથળેલી હાલત પર નારાજગી વ્યક્ત કરી તો હી-મેન ધર્મેન્દ્રએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને મારી નાંખવાની ઇચ્છા થાય છે તેવું લાલચોળ વિધાન આપીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો. આ કટોકટીમાં 'તારે જમીન પર' ફિલ્મમાં હ્રદયસ્પર્શી ગીતો લખનાર કવિ પ્રસૂન જોશીએ પોતાની વેદના કવિતા લખીને વ્યક્ત કરી છે.
જ્યારે આજે બપોરે હું 'નવભારત ટાઇમ્સ'ની વેબસાઇટ પર વિવિધ સમાચારનું વાંચન કરતો હતો ત્યારે આ દર્દસભર કવિતા મારી નજરે પડી હતી। આ કવિતા વારંવાર આતંકવાદી હુમલાનો ભોગ બનેલા સામાન્ય નાગરિકની વેદના અને આક્રોશનો પડઘો પાડે છે.

ઇસ બાર નહીં

ઇસ બાર જબ વહ છોટી સી બચ્ચી
મેરે પાસ અપની ખરોંચ લેકર આયેગી
મૈં ઉસે ફૂ-ફૂ કરકે નહીં બહલાઉંગા
પનપને દૂંગા ઉસ કી ટીસ કો
ઇસ બાર નહીં

ઇસ બાર જબ મૈં ચહેરો પર દર્દ લિખૂંગા
નહીં ગાઉંગા ગીત પીડા ભૂલા દેને વાલે
દર્દ કો રિસને દૂંગા
ઉતરને દૂંગા ગહેરે

ઇસ બાર મૈં ના મરહમ લગાઉંગા
ના હી ઉઠાંઉગા રુઇ કે ફાહે
ઔર ના હી કહુંગા કિ તુમ આંખે બંદ કર લો,
ગર્દન ઉધર કર લો મૈં દવા લગાતા હું
દેખને દૂંગા સબકો
હમ સબકો
ખુલે નંગે ઘાવ
ઇસ બાર નહીં

ઇસ બાર કર્મ કા હવાલા દેકર નહીં ઉઠાઉંગા ઔજાર
નહીં કરુંગા ફિર સે એક નઈ શુરુઆત
નહીં બનૂંગા મિસાલ એક કર્મયોગી કી
નહીં આને દૂંગા જિંદગી કો આસાની સે પટરી પર
ઉતરને દૂંગા ઉસે કિચડ મેં, ટેઢે-મેઢે રાસ્તો પે
નહીં સૂખને દૂંગા દીવારોં પર લગા ખૂન
હલકા નહીં પડને દૂંગા ઉસકા રંગ
ઇસ બાર નહીં બનને દૂંગા ઉસકો ઇતના લાચાર
કી પાન કી પિક ઔર ખૂન કા ફર્ક હી ખતમ હો જાયે
ઇસ બાર નહીં

ઇસ બાર ઘાવોં કો દેખના હૈ
ગૌર સે
થોડે લંબે વક્ત તક
કુછ ફૈસલે
ઔર ઉસકે બાદ હૌસલે
કહીં તો શુરુઆત કરની હી હોગી
ઇસ બાર યહી તય કીયા હૈ

Monday, December 1, 2008

શિવરાજ પાટિલઃ ચકૂર કા રાજા પર ગાંધી-નહેરુ પરિવાર કા સેવક


ભારતના સૌથી જૂનાં રાજકીય પક્ષ કોંગ્રેસમાં અત્યારે તમામ પગલાં ગાંધી-નહેરુ પરિવારના સર્વેસર્વા મેડમ સોનિયા અર્થાત સોનિયા એન્ટોનિયો માઇનો પ્રત્યેની વફાદારીને આધારે જ લેવાય છે. તેનું સૌથી ગંદુ અને તાજું ઉદાહરણ ચીપી ચીપીને બોલતાં અને હિંદી ફિલ્મનો હીરો એક જ ગીતમાં ત્રણથી ચાર વખત વસ્ત્રો બદલે તેમ આતંકવાદી હુમલા વચ્ચે પણ વારંવાર વસ્ત્રો બદલતાં શિવરાજ પાટિલ છે. દેશના કદાચ સૌથી નબળાં ગૃહમંત્રી પુરવાર થયેલા પાટિલ સાહેબની રાજકીય સફર જાણવા જેવી છે. તેના પરથી ગાંધી-નહેરુ પરિવાર પોતાના વફાદારોને કેવી રીતે સાચવે છે તેનો પરિચય મળશે.
શિવરાજ કાકા સૌપ્રથમ વર્ષ 1980માં સાતમી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતા. તે સમયે જનતા સરકારની આંતરિક ફાટફૂટના કારણે જનતા જનાર્દનમાં 'ઇન્દિરા પાછાં આવે છે'ની લહેર દેશભરમાં ફરી વળી હતી. આ લહેરમાં પાટિલ મહોદયે લોકસભામાં પ્રવેશ કરી લીધો. ઇન્દિરા સરકારમાં તેમને 1980થી 1982 સુધી રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં. તે પછી એક વર્ષ તેમને વાણિજ્ય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. આ બંને મંત્રાલયમાં શ્રીમાન પાટિલ બહુ ખાસ ઉકાળી શક્યાં નહીં એટલે તેમને સાયન્સ એન્ડ ટેક્નોલોજી, એટોમિક એનર્જીની જવાબદારી સોંપવામાં આવી. હકીકતમાં તેમને આ જવાબદારી તેમની પૃષ્ઠભૂમિને આધારે સોંપવામાં આવી હતી. તેઓ વિજ્ઞાન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી.
પરંતુ અફસોસ 'ચકૂરના રાજા' (તેમનો જન્મ મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના ચકૂરમાં થયો છે) તે લડાઈ પણ હારી ગયા. તે દરમિયાન ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને ભાવનાત્મક વાતાવરણમાં યોજાયેલી ચૂંટણીમાં તેમના પુત્ર અને ભોળા સજ્જન રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. હવે શિવરાજ પાટિલની જવાબદારી તેમના માથે આવી ગઈ. ઇન્દિરાજીના અવસાન પછી શિવરાજ પાટિલે બહુ દોડાદોડી કરી હતી. તેનો બદલો રાજીવ ગાંધીએ આપ્યો, પણ મંત્રીપદ ન આપ્યું. તેમણે શિવરાજને સીએસઆઇઆર (કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ)ના પ્રમુખ બનાવી દીધા. બોફોર્સ કૌભાંડમાં રાજીવ સરકારનું પતન થયું અને પછી અનામત આંદોલનના જનક સ્વ. વી પી સિંહની સરકાર બની. અગિયાર મહિનાના શાસન પછી સિંહ સરકારનું પતન થયું અને રામમનોહર લોહિયાના પટ્ટશિષ્ય ચંદ્રશેખર અલ્પકાળ માટે વડાપ્રધાન થયા. આ દરમિયાન પાટિલ સાહેબ ગાંધી-નહેરુ પરિવારની સેવા કરતાં રહ્યાં.
મે, 1991માં રાજીવ ગાંધીની હત્યા થઈ અને અગિયારમી લોકસભામાં પી વી નરસિંહરાવની સરકાર બની. મૌનીબાબા તરીકે જાણીતા નરસિંહરાવ બહુ કાબેલ વહીવટકર્તા હતા. તેઓ પાટિલ સાહેબની હોંશિયારીથી સારી રીતે વાકેફ હતા. તેઓ જાણતા હતા કે શિવરાજબાબુ 10, જનપથની સેવા કરવા અને સૂટબૂટમાં રહેવા સિવાય કંઈ કરી શકે તેમ નથી. પણ ગાંધી-નહેરુ પરિવારના વફાદારને સરકારમાં ન લઇને તેઓ સોનિયા ગાંધીને નારાજ કરવા માંગતા નહોતા. એટલે તેમણે વચલો રસ્તો કાઢી પાટિલ સાહેબને લોકસભાના અધ્યક્ષ બનાવી ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને સાંસદોનો શાંતિ રાખવાની આજીજી કરવાનું કામ સોંપી દીધું. 1991થી 1996 સુધી તેમણે સાંસદોનો ભઇસાબબાપા કર્યાં હતા.
તે પછી કોંગ્રેસની સરકાર છેક વર્ષ 2004માં બની. આ લોકસભાની ચૂંટણીમાં પાટિલ મહોદય હારી ગયા હતા. પણ સોનિયા માઇનોની મહેરબાનીથી તેમને ગૃહ મંત્રાલયની મહત્વપૂર્ણ જવાબદારી મળી. પણ તેના માઠાં ફળ આખા દેશને ચાખવાં પડ્યાં.

Friday, November 28, 2008

હોંશે હોંશે અનુસ્વાર મૂકીએ


અનુસ્વાર મૂકવાની પગદંડી નીચે દર્શાવવામાં આવી છે જેને મારા જેવા ઠોઠિયા-ઠોબારા અને ભૂલથી પત્રકાર થઈ ગયેલાં તમામ મિત્રોએ અનુસરવીઃ

સૌપ્રથમ ભાષામાં અનુસ્વાર જેવું કંઈ છે તેને સંપૂર્ણપણે ભૂલી જાઓ

હવે તમારા પ્રૂફ રીડર જે હોય તેનું નામ પાંચ વખત લો

આ નામ લેવાની એક ચોક્કસ રીત છે। જેમ કે, ઓમ અને નમઃ વચ્ચે તમારા પ્રૂફ રીડરનું નામ કે તેની અટક મૂકીને સંપૂર્ણ શ્લોકનું ઉચ્ચારણ પાંચ વખત કરો

ત્યારબાદ આખી મેટર લખી નાંખો।

જો જો ભૂલથી પણ કોઈ શબ્દને માથે ટપકું મૂકી તેને સૌભાગ્યવાન ન બનાવી દેતા

ત્યારબાદ અનુસ્વારરૂપી ટપકાં હાથમાં લો

ફરી તમારા પ્રૂફ રીડરનું નામ પાંચ વખત લો

આ વખતે તમારા પ્રૂફ રીડરનું નામ લેવાનો શ્લોક અલગ છે

તેમાં તમારે હર હર મહાદેવની જગ્યાએ હર હર પછી તમારા પ્રૂફ રીડરનું લાડકું નામ કે તેની અટક બોલવાની છે

પછી ટપકાંની મુઠ્ઠીવાળો હાથ પાછળ લઈ જાઓ

ફરી 'હર હર પ્રૂફ રીડર' હર કરીને તમારી મુઠ્ઠીમાં રહેલા ટપકાંનો હર્ષભેર મેટર પર છંટકાવ કરી દો

હવે જુઓ તમારા જે શબ્દોના નસીબમાં સૌભાગ્યવાન થવાનું લખ્યું હશે તેના પર અનુસ્વાર સવાર થઈ ગયો હશે

ખાસ સૂચનાઃ આ નિયમોનો ઉપયોગ માત્ર ને માત્ર મારા જેવા કક્કા-બારખડીનો ક,ખ,ગ,ઘ,ચ,છ,જ,ઝ,ત,થ,દ,ધ,પ,ફ,બ,ભ,ય,ર,લ,વ,ન,મ...ન જાણતા હોય તેવા પત્રકારો અને લેખકોએ કરવો.

Monday, November 24, 2008

અલ્લાહ મહેરબાન તો ધોની પહેલવાન


કહેવાય છે કે, જબ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. આજકાલ ખુદા ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર વારી ગયા હોય તેવું લાગે છે. તેનો પુરાવો ક્રિકેટપ્રેમીઓને ફરી એક વખત બેંગ્લોરમાં મળી ગયો. ગઇકાલે ત્યાં ભારત અને પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ચોથી એકદિવસીય મેચ રમાઈ હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં નસીબની દેવીએ ધોનીને સાથ આપ્યો.
ભારતે પહેલાં દાવમાં 22 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ અંગ્રેજોને એટલી જ ઓવરમાં 198 રન કરવાનો લક્ષ્યાંક મળ્યો. તેમણે આ લક્ષ્યાંક પાર પાડવાનો પ્રયાસ પણ કર્યો અને 22 ઓવરમાં 178 રન બનાવ્યા પણ છેવટે જીત તો ભારતની જ થઈ. તેનો કેપ્ટન પીટરસન વિચારતો હશે કે ભારત જેટલી જ ઓવરમાં અમે વધુ રન બનાવ્યાં તો પણ આબરૂના પાળિયા જ થઈ ગયા.
ધોનીનો નસીબ અત્યારે સોળે કળાએ ખીલ્યું છે. તે ટીમમાં આવ્યો અને નસીબજોગે ગાંગુલીના વળતાં પાણી શરૂ થયા. તે પછી તેના પ્રતિસ્પર્ધી યુવરાજે ગાંગુલી પ્રત્યે વફાદારી દાખવી અને કિમ શર્મા તથા દીપિકા પાદુકોણે જેવી અભિનેત્રીઓ સાથે તેના પ્રેમપ્રકરણો ચગતાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેને કેપ્ટન જેવી જવાબદારી નહીં સોંપવાનો નિર્ણય કર્યો.
ધોનીને નસીબ કેવું સાથે આપે છે તેનો વધુ એક દાખલો આપણને ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં મળી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા ક્રિકેટના મહાકુંભ સમાન વિશ્વકપમાં રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ ભૂંડા હાલે ભારતીય ટીમનો પરાજય થયો હતો. તે પછી સચિન, ગાંગુલી અને દ્રવિડ વિનાની ભારતીય ટીમ ધોનીની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ રમવા ગઈ. ત્યારે ભારતીય ક્રિકેટપ્રેમીઓ સહિત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને ધોની મંડળી પાસેથી કોઈ મોટી અપેક્ષા નહોતી. પણ ધોનીની મંડળી યેન-કેન પ્રકારે ફાઇનલમાં પહોંચી ગઈ જ્યાં તેનો મુકાબલો આપણા પારંપરિક હરિફ પાકિસ્તાનની ટીમ સામે હતો. તેમાં પાકિસ્તાન જીતવાની અણી ઉપર હતું ત્યારે મિસ્બાહની વિકેટની પાછળ ફટકો મારવાની લાલચે ભારતને વિજયની ભેટ ધરી દીધી. તે પછી આ ખોટા ફટકાનો અફસોસ મિસ્બાહના ચહેરા પર જોવા જેવો હતો. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, ''મેં સામેથી વિજયનો કોળિયો ભારતની ટીમના મોંમાં મૂકી દીધો હતો.''
એક આડ વાત કરી લઇએ. બેંગ્લોરમાં જે ઇંગ્લેન્ડને ડકવર્થ-લૂઇસનો નિયમ વાહિયાત લાગ્યો હશે તે જ નિયમના કારણે વર્ષ 1992માં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં રમાયેલા પાંચમા વિશ્વકપની સેમી-ફાઇનલમાં ઇંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે વિજય થયો હતો.
22 માર્ચ, 1992ના રોજ સીડનીમાં રમાયેલી આ સેમી-ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે પહેલો દાવ લઈ 45 ઓવરમાં છ વિકેટના ભોગે 252 રન બનાવ્યાં હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વકપ જીતવા માટે ડાર્ક હોર્સ ગણાતી હતી અને ઇંગ્લેન્ડને પછાડી દેશે તેવી પૂરેપૂરી શક્યતા હતા. આફ્રિકાના બેટ્સમેનોએ 42.5 ઓવરમાં છ વિકેટના ભોગે 231 રન બનાવી લીધા હતા. બરોબર તે સમયે જ મેઘરાજાની સવારી આવી પહોંચી અને આફ્રિકાના નસીબ પર પાણી ફરી વળ્યું. વરસાદના કારણે 12 મિનિટ રમત બંધ રહી પણ આ સમય આફ્રિકા માટે કમનસીબ પુરવાર થયો. મેચ ફરી શરૂ થઈ ત્યારે ડકવર્થ-લૂઇસના નિયમ મુજબ આફ્રિકાને જીતવા એક બોલમાં 22 રનનો અશક્ય લક્ષ્યાંક ધરી દેવામાં આવ્યો.
ભલભલી સારી ટીમની મહેનત પર પાણી ફેરવી દેનારો ડકવર્થ-લૂઇસ નિયમ ફ્રેન્ક ડકવર્થ અને ટોની લૂઇસની જોડીએ બનાવ્યો હતો. તેમાંથી ફ્રેન્ક ડકવર્થ કન્સલ્ટન્ટ સ્ટેટેસ્ટિશ્યિન હતો અને રોયલ સ્ટેટેસ્ટિકલ સોસાયટીના માસિક ન્યૂઝ મેગેઝિન આરએસએસ ન્યૂઝના એડિટર હતા તો ટોની લૂઇસ બ્રિસ્ટલની વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ખાતે કમ્પ્યુટર સ્ટડીઝ અને મેથેમેટિક્સ વિભાગના મેથેમેટિક્સના લેકચરર હતા તેમજ ઓપરેશનલ રીસર્ચ સોસાયટીના પશ્ચિમ શાખાના ચેરમેન હતા.

Friday, November 21, 2008

ઉફ્! અભિપ્રાય, અભિપ્રાય અને અભિપ્રાય!


તે તો હિંદુવાદી છે.
તે ભાજપનો ચેલો છે.
તે તો કોંગ્રેસી છે.
તે તો છહ્મ-ધર્મનિરપેક્ષ છે.
તેનો સ્વભાવ બહુ ખરાબ છે.
તે ઇર્ષાળુ છે.
તેનું કેરેક્ટર જરાં નબળું છે.
તે તો નરેન્દ્ર મોદીનો ભગત છે.
તે તો આપણા બોસ્સનો ચમચો છે.
તેને હંમેશા તંત્રીઓની આજુબાજુ જ રહેવાનું પસંદ છે।


ઉફ્! અભિપ્રાય, અભિપ્રાય અને અભિપ્રાય! દરરોજ કેટકેટલા લોકો વિશે કેટકેટલા અભિપ્રાય અજાણતા અને કમને સાંભળવા મળે છે. માણસને અભિપ્રાય વિના જીવતાં જ નથી આવડતું તેવું લાગે છે. કોઈ વ્યક્તિની સાથે બે-પાંચ દિવસનો સંગ શું થઈ જાય કે તેને આખેઆખો જાણી લેવાનો વહેમ માણસના મનમાં ઘર કરી જાય છે. વહેમનું કોઈ ઓસડ નથી. ખરેખર માણસના મનમાં એક વખત વહેમ ઘર કરી જાય પછી તેને કોઈ દૂર કરી શકતું નથી.
હકીકતમાં આપણે કોઈ વ્યક્તિને કોઈ વિષય પર પૂરેપૂરો જાણી શકીએ નહીં. હા તેની સાથેના થોડા સંગથી તેની વિચારધારા વિશે બહુ આછો ખ્યાલ આવે. પણ આ ખ્યાલમાં તટસ્થતા કેટલી? આપણા ખ્યાલ આપણી સામાજિક-માનસિક પૃષ્ઠભૂમિ પર રચાય છે. આ પૃષ્ઠભૂમિથી દૂર રહીને જ તટસ્થ અભિપ્રાય રજૂ કરવાની ક્ષમતા બહુ ઓછા લોકો પાસે હોય છે.
આપણા અભિપ્રાય માત્ર આપણા અનુભવને આધારે રચાયા હોય છે. જો આપણને કોઈ વ્યક્તિથી સારો અનુભવ(હકીકતમાં આપણને અનુકૂળ) થાય તો આપણે તેના નામના રાસડા લેવાં મંડીએ અને તેનો આપણને ખરાબ (આપણને પ્રતિકૂળ) અનુભવ થાય તો કૂતરો બિલાડીની પાછળ પડે તેમ તેની પાછળ પડી જઈએ છીએ.
ખરેખર તો આપણે જ્યાં સુધી કોઈ વ્યક્તિને સારી રીતે જાણતા ન હોય કે ત્યાં સુધી તેના વિશે કોઈ પણ વ્યક્તિ વિશે અભિપ્રાય આપવાનો અધિકાર જ નથી. જ્યાં સુધી આપણી પાસે કોઈ બાબત વિશે પૂરેપૂરી માહિતી ન હોય ત્યાં સુધી તેના વિશે ચુકાદા ગમે તેના માથા પર મારવાનો આપણને કોઈ અધિકાર નથી. આ પ્રકારના ઠેરઠેર અભિપ્રાયનો વરસાદ કરતાં અભિપ્રાયોના સ્વામીઓને જ્યારે હું મળું છું ત્યારે મને વિદ્યાપીઠના મારા પ્રાધ્યાપક અશ્વિન ચૌહાણ યાદ આવી જાય છે. હું જ્યારે વિદ્યાપીઠમાં પત્રકારત્વનો અભ્યાસ કરતો ત્યારે અમારા પ્રાધ્યાપક અશ્વિન ચૌહાણ લેક્ચરમાં કહેતાં કે, ''આપણે બધાં અભિપ્રાયશૂરા છીએ.''

Wednesday, November 19, 2008

શું હું તને પ્રેમ કરું છું?



સૂરજના કિરણોમાં તું,
ચંદ્રની ચાંદનીમાં તું.
વાદળોનાં મહાસાગરમાં તું,
મહાસાગરની લહેરોમાં તું.
લીલાછમ વૃક્ષોનાં પર્ણોમાં તું,
બાગમાં ખીલતાં પુષ્પોમાં તું.
પુષ્પોની કળીઓમાં તું,
કળીઓની મહેંકમાં તું.
મારા નયનોમાં તું,
તેમાંથી વહેતાં અશ્રુઓમાં તું.
મારી યાદોમાં તું,
મારી વાતોમાં તું.
બસ તું, તું અને તું,
શું હું તને પ્રેમ કરું છું?

કાશ્મીરનું જોડાણ અને લોહિયાળ સંઘર્ષનું બીજારોપણ


મુઘલ બાદશાહ જહાંગીરે કહ્યું હતું કે, ''પૃથ્વી પર જો કોઈ સ્વર્ગ હોય તો તે કાશ્મીર જ છે, કાશ્મીર જ છે અને કાશ્મીર જ છે.'' આ સ્વર્ગ સમાન કાશ્મીરને ભારત પાસેથી પચાવી પાડવા પાકિસ્તાન છેલ્લાં 60 કરતાં વધારે વર્ષથી નાપાક જંગ લડી રહ્યું છે. તેમાં લાખો નિર્દોષ હિંદુ-મુસ્લિમો હોમાઈ ગયા છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદના કેન્દ્ર સમાન કાશ્મીર 27મી ઓક્ટોબર, 1947ના રોજ ભારત સાથે જોડાયું હતું. ભારત સરકાર દ્વારા હસ્તાક્ષર થયા હોય તેવા કોઈ બીજા કાનૂની દસ્તાવેજથી ભારતીય ઉપખંડમાં આટલો લોહિયાળ વિવાદ નહીં ઊભા થયો હોય જેટલો કાશ્મીરના મહારાજા હરિ સિંહ અને ભારતના તત્કાલિન ગર્વનર જનરલ લોર્ડ માઉન્ટબેટન વચ્ચે 27મી ઓક્ટોબરના રોજ હસ્તાક્ષરિત જોડાણના દસ્તાવેજથી થયો છે. તેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધ છેડાઈ ચુક્યાં છે અને મુઝાહિદ્દીનોએ છેડેલા આતંકવાદમાં 70,000થી વધારે લોકો માર્યા ગયા છે.
ભારતની સ્વતંત્ર્તા સમયે જમ્મુ-કાશ્મીરના શાસક રાજા હરિ સિંહ હતા જે પોતાના રળિયામણા રાજ્યનું ભારત કે પાકિસ્તાન એક પણ રાષ્ટ્ર સાથે જોડાણ કરવા ઇચ્છતા નહોતા. તે સમયે કાશ્મીરમાં મુખ્ય રાજકીય પક્ષ મુસ્લિમ કોન્ફરસ (પાછળથી નેશનલ કોન્ફરન્સ) હતો જેનું નેતૃત્વ શેખ અબ્દુલ્લા કરતાં હતા. કાશ્મીરી પંડિતો, શેખ અબ્દુલ્લા અને ત્યાંના મોટાભાગના મુસ્લિમો કાશ્મીર ભારત સાથે જોડાય તેવું ઇચ્છતાં હતા. પણ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને આધારે રચાયેલા પાકિસ્તાનને આ મંજૂર નહોતું. તે સમયે કાશ્મીરની વસતીમાં 77 ટકા મુસ્લિમો હતો. કોઈ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર ભારત સાથે જોડાય તે પાકિસ્તાનના શાસકોથી સહન ન થયું અને ત્યાંથી શરૂ થયો લોહિયાળ જંગ જે આજે પણ ચાલુ છે.
ભારત 15મી ઓગસ્ટે આઝાદ થયું. તે પછી કાશ્મીર બાબતે 'જે સે થે' સ્થિતિ જાળવી રાખવાની શરતનું ભારતે પાલન કર્યું, પાકિસ્તાન બહુ સમય પોતાના બદઇરાદાને છૂપો રાખી શક્યું નહીં. તેના સૈનિકોએ 20મી ઓક્ટોબરે કાશ્મીર પર આક્રમણ કરી દીધું. શરૂઆતમાં તો હરિ સિંહે ભારત પાસેથી મદદ માંગી નહીં, પણ પાકિસ્તાની સૈન્યના વધતા જોરને જોઇને તેમણે 27મી ઓક્ટોબરે ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનને સહાય કરવાની વિનંતી કરી. માઉન્ટબેટને સહાય કરવાની તૈયારી તો બતાવી પણ ભારત સાથે કાશ્મીરના જોડાણની શરતે. હરિ સિંહે તે જ દિવસે ભારત સાથેના જોડાણ માટે હસ્તાક્ષર કરી દીધા.

Tuesday, November 18, 2008

ભારતનું લોહિયાળ વિભાજન




અંગ્રેજો આવ્યા. તેમણે ભારતનાં અનેક રાજા-રજવાડાંને એક કરી હિંદુસ્તાનનો નકશો તૈયાર કર્યો. પરંતુ જ્યારે અંગ્રેજો ભારત છોડીને જશે ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે સાંસ્કૃતિક રીતે અખંડ હિંદુસ્તાનનાં લોહિયાળ ભાગલા પડી જશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વર્ષ 1942માં જ્યારે અંગ્રેજોને ભારત છોડવાનું આહ્વવાન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, ''હિંદુસ્તાનને ઇશ્વરના ભરોસે છોડી દો..કાં અરાજકતાને હવાલે કરી દો.'' ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે અંગ્રેજો ભારતને અલવિદા કહેશે ત્યારે હિંદુસ્તાન ખરેખર તેના ઇતિહાસની સૌથી મોટી અરાજકતાનું સાક્ષી બનશે. અંગ્રેજો લાલ કિલ્લો છોડીને ચાલ્યાં ગયા અને હિંદુસ્તાનમાંથી ભારત અને પાકિસ્તાન નામનાં બે રાષ્ટ્રોનું સર્જન થયું. ભારતમાતા આઝાદ તો થઈ ગઈ પણ તેનું એક અંગ છૂટું પડી ગયું હતું.
14મી ઓગસ્ટ, 1947ની મધરાતે સમગ્ર દુનિયા સૂતી હતી ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરએ બંધારણ સભામાં ઊભા થઈને કાવ્યાત્મક શૈલીમાં ભારતની આઝાદીનો શંખનાદ ફૂંક્યો હતો. ઐતિહાસક ઘોષણા કરતાં તેમણે કહ્યું હતું કે, ''વર્ષો પહેલાં આપણે પ્રારબ્ધને એક વચન આપ્યું હતું, આજે તે વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે...એવી ક્ષણ આવે છે..જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રની આત્માને વાણી મળે છે...''
ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું પણ લોહીલુહાણ અને હ્રદયમાં નફરત સાથે. વિભાજન સાથે લોકોના મન અને હ્રદય પણ જુદાં પડી ગયા. તે ઇતિહાસની સૌથી ભયાનક વિકૃત ઘટના હતી. આ લોહિયાળ વિભાજનમાં 13 લાખ લોકો માર્યા ગયા હતા, દોઢ કરોડ લોકો વિસ્થાપિત થયા હતા, 12.5 લાખ શરણાર્થીઓ ભારતમાં આવ્યા હતા, 90 લાખ શરણાર્થીઓ પંજાબમાંથી પાકિસ્તાન ગયા હતા અને એક લાખ મહિલાઓ પર બળાત્કાર થયો હતો.
આ લોહિયાળ વિભાજન જોઇને પાકિસ્તાનના ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝે પોતાની વેદના આ શબ્દોમાં વ્યક્ત કરી હતીઃ
યે દાગ દાગ ઉજાલા યે શબગુજીદા સહર,
યે વો સહર તો નહીં જિસકી આરઝૂ લેકર,
ચલે થે યાર કિ મિલ જાયેગી કહીં ન કહીં..

Friday, November 14, 2008

કેવા ખોટા ખ્યાલોમાં રાચો છો...


કેવા ખોટા ખ્યાલોમાં રાચો છો,
હા, તમે ભરમમાં રાચો છો।

એક અમથા હાસ્યને પ્રેમ સમજો છો,
પ્રેમને સમજ્યાં વિના પ્રેમને ઝંખો છો।

પ્રેમીઓનો પંથ ખડો કર્યો હોવાના ગુમાનમાં ગરજો છો,
વેરાન રણમાં ગુલાબના ગોટા ખીલે તેવું સમજો છો।

બહુ સમજદાર હોવાના વહેમમાં ફરો છો,
આંખનું કાજળ ગાલે ઘસો છો।

આવા જ વહેમોમાં જવાની વીતી ગઈ,
છતાં પોતાને લજામણીનો છોડ સમજો છો.

Tuesday, November 11, 2008

પ્રેમને કેવું બંધન?



ખબર નથી
તારી અને મારી ને
મારી અને તારી વચ્ચે
શો સંબંધ છે?
પણ
હું જાણું છું કે
તારી અને મારી ને
મારી અને તારી
આંખો સતત
એકબીજાને ઝંખે છે.
આંખોથી આંખો ચોરાવી
તું મને જુએ છે
અને
ચૂપકીદીથી
હું તને જોઈ લઉં છું.
હું જાણું છું કે
તારી અને મારી ને
મારી અને તારી પર
ચોકીપહેરો છે
દુનિયા અને દુનિયાદારીનો.
પણ
પ્રેમને કેવું બંધન?
આવ
મારી અને તારી ને
તારી અને મારી વચ્ચે
ઊભી કરેલી દિવાલને
નેસ્તોનાબૂદ કરી નાંખીએ
અને
જતાં રહીએ પેલે પાર
જ્યાં મારા અને તારા ને
તારા અને મારા સિવાય
બીજું કોઈ ન હોય.

મને દંભીઓ બિલકુલ પસંદ નથી



મોટાભાગના લોકો અન્ય વ્યક્તિઓનાં-ખાસ કરીને પોતાની જ આસપાસના સગાસંબંધીઓ અને મિત્રોનાં-સારો ગુણોનું દર્શન કરીને કે તેમની પ્રશંસા સાંભળીને ઇર્ષાની આગમાં બળી ઊઠે છે. આ સત્ય હકીકત છે અને તેનો સ્વીકાર કરવો જ રહ્યો. ઇર્ષાનો જન્મ સ્પર્ધામાંથી થાય છે અને આપણને સ્પર્ધાત્મક બનવાનો ગુણ તો બાળપણથી જ મળે છે.
બાળપણથી જ મોટાભાગના માતાપિતા તેમના બાળકોને શિક્ષણસહિત દરેક ક્ષેત્રમાં અન્ય બાળકો કરતાં આગળ રહેવાની સલાહ આપતાં હોય છે. તમે જોયું હશે કે, મોટાભાગના માતાપિતા તેમના બાળકો પાસે દરેક ક્ષેત્રમાં નંબર-વન રહેવાની અપેક્ષા સેવે છે. આ રીતે તેઓ પોતાના જ બાળકોને તેમના મિત્રોના પ્રતિસ્પર્ધી બનાવી દે છે. બાળક પર સ્પર્ધાનું મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય છે. તે પોતાના જ સાથીદારની પ્રશંસા સાંભળી શકતું નથી. બાળપણથી જન્મેલી આ માનસિકતા કાયમ માટે ઘર કરી જાય છે. આ જ માનસિકતા પરોક્ષ રીતે અન્ય વ્યક્તિના દોષદર્શન માટે જવાબદાર હોય છે.
આ કારણે જ જ્યારે પોતાના સાથીદારની પ્રગતિ થાય છે ત્યારે મોટાભાગનાં લોકો તેને ઉપર-ઉપરથી અભિનંદન આપતા હોય છે, પણ પાછળથી ધુમાડા કાઢતાં હોય છે. આ એક પ્રકારનો દંભ છે અને મને દંભી લોકો બિલકુલ પસંદ નથી. પરંતુ અમુક લોકો એવા હોય છે કે તેમને દંભી જીવન જીવવાની ટેવ હોય છે અને દંભ તેમના જીવનનો અભિન્ન હિસ્સો બની જાય છે. આ પ્રકારની વ્યક્તિઓ પોતાનાં જ મિત્રોની પ્રગતિ સમયે બે ચહેરા ધારણ કરે છે. એક, ફૂલગુલાબી ચહેરો અને બીજો, કાળા ડિબાંગ વાદળ જેવો ચહેરો. તેઓ પોતાના મિત્રો સામે તો ફૂલગુલાબી ચહેરો રાખીને ફરતાં હોય છે, પણ તે એક નકાબ હોય છે અને તેની પાછળ વાસ્તવિક ચહેરો હોય છે અને તે કાળોમેશ હોય છે. ઇર્ષાની આગમાં સળગી-સળગીને તેનો ચહેરા પર કાલિમા છવાઈ જાય છે.

Wednesday, November 5, 2008

હવે મુસલમાનોએ એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છેઃ સૈયદ અહમદ બુખારી


દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ દેશના મુસલમાનોને એક અલગ રાજકીય પક્ષ બનાવવવાનું આહ્વાન કર્યું છે। એટલું જ નહીં તેમણે મુસલમાનોને એક થઈ દિલ્હીના લાલ કિલ્લા પર ઇસ્લામિક સલ્તનતની સ્થાપના ફરીથી કરવાની પણ આડકતરી રીતે હાકલ કરી છે।
બુખારીએ હિંદી પખવાડિક સાપ્તાહિક 'તહેલકા'ને આપેલી મુલાકાતમાં ભારતમાં મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું કહેતાં જણાવ્યું હતું કે, ''દેશમાં મુસલમાનોને જીવતા સળગાવી દેવામાં આવે છે, તેમના કામધંધા બરબાદ કરી દેવામાં આવે છે અને તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. હું હંમેશા કહું છું કે ભારતના મુસલમાનોએ રાજકીય તાકાત બનવું પડશે..આ દેશમાં માત્ર તે જ લોકોને માન-સન્માન મળે છે જેમની પાસે રાજકીય તાકાત હોય છે...એક વખત મુસલમાનો પાસે તે રાજકીય તાકાત આવી જશે પછી આપણે અધિકારો છીનવી પણ શકીશું..હવે અમે એક થઇને સત્તા મેળવવાનો નિર્ણય કર્યો છે.''
તેમણે મુસલમાનો માટે અલગ રાજકીય પક્ષની જરૂર શા માટે છે તેનું કારણ સમજાવતા કહ્યું હતું કે, ''દલિતો પાસે બસપા છે, હિંદુઓ પાસે ભાજપ છે. કોંગ્રેસ પણ એક હિંદુ પક્ષ જ છે. તે ધર્મનિરપેક્ષ નથી. છેલ્લાં 60 વર્ષથી અમે હિંદુ નેતાઓ અને તેમના પક્ષોને સમર્થન આપ્યું છે. પણ તેમણે અમારા હિતો માટે કશું જ કર્યુ ન હોવાથી અમારી પાસે અમારી હિતો સાધવા કયો રસ્તો બચ્યો છે?''

Friday, October 24, 2008

જવાહરલાલ નહેરુને ઝોકું આવ્યું અને પાકિસ્તાન ફાવી ગયું



અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જોન ફોસ્ટર ડલેસ વર્ષ 1953માં ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નવી દિલ્હી મળવા આવ્યા હતા. તે સમયે અમેરિકા અને ભારત વચ્ચે થોડા મતભેદ હતા અને તેને દૂર કરવા ડલાસ જવાહરલાલ સાથે ચર્ચા-વિચારણા કરવા ભારત આવ્યા હતા. જ્યારે તેમની વાતચીત ચાલતી હતા તે દરમિયાન જવાહરલાલને ઝોકું આવી ગયું અને તેઓ ઊંઘી ગયા. ડલાસને થોડી ક્ષણ પછી ખબર પડી કે જવાહરલાલ સૂઈ ગયા છે. તેમને લાગ્યું કે, ભારતના વડાપ્રધાનને ચર્ચા-વિચારણામાં કોઈ રસ નથી. તેમને માઠું લાગ્યું અને તેઓ ઊઠીને ચાલ્યા ગયા. ત્યારપછી થોડા જ સમયમાં અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રસંરજામની મદદ કરવાનું વચન આપ્યું અને તે માટેની ગોઠવણ પણ કરી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીનો જવાહરલાલે ઘણો વિરોધ કર્યો પણ તેનાથી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.
તે પછી વર્ષ 1958માં મોરારાજી દેસાઈ જ્યારે પહેલી વખત અમેરિકા ગયા ત્યારે તેઓ ડલેસને મળ્યા. ત્યારે તેમને જાણવા મળ્યું કે જો જવાહરલાલજીએ ડલેસ સાથે સારી રીતે વાતચીત કરી હોત તો પરિસ્થિતિ કાંઈક જુદી હોત.

Thursday, October 9, 2008

અને લિંકનનું ખતરનાક સ્વપ્ન સાચું પુરવાર થયું




અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા હતા. અમેરિકનોએ અબ્રાહમ લિંકનને બીજી વખત દેશનું સુકાન સોંપ્યું હતું. પક્ષના કેન્દ્રીય કાર્યાલયમાં હંસી-ખુશી સાથે દિવસ પસાર કર્યા પછી અબ્રાહમ લિંકને વિજયી સ્મિત સાથે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કર્યો. તેઓ આરામ કરવા સોફા પર આડા પડ્યાં કે તેમની આંખો સામેની દિવાલ પર લાગેલા મોટા અરીસા પર સ્થિર થઈ ગઈ. તેમને અરીસામાં પોતાના બે ચહેરા દેખાયા. તેમાં એક ચહેરો અત્યંત પ્રફુલ્લિત હતો તો બીજો ચહેરો પીળો પડી ગયો હતો અને નિષ્પ્રાણ લાગતો હતો. આ જોઇને તેઓ ગભરાઈ ગયા. તેમણે ફરી વખત અરીસામાં જોયું તો બંને પ્રતિબિંબ ગાયબ થઈ ગયા હતા. તેમણે પોતાના ચહેરાના તેવા પ્રતિબિંબ પહેલા ઘણી વખત જોયા હતા અને જાણે કોઈ કહી રહ્યું હોય કે, 'રાષ્ટ્રપ્રમુખ પદના બીજો સમયગાળામાં તારી હત્યા થશે' તેવું અનુભવ્યું હતું.
આ વિશે માર્શલ હિલમેને જણાવ્યું હતું કે, જ્યારે પક્ષે લિંકનને રાષ્ટ્રપ્રમુખના પદ માટે ફરી પસંદ કર્યા ત્યારે તેમને તેમની હત્યા થશે તે વાતનો વિશ્વાસ થઈ ગયો હતો. તેમણે તેમની પસંદગીના સમાચારને ચૂપચાપ સાંભળ્યા હતા. તેમણે કોઈ આનંદ વ્યક્ત કર્યો નહોતો.
લિંકનને તેનાથી વધારે સ્પષ્ટ સંકત તો પોતાની હત્યાના એક મહિના પહેલાં જોયેલા સ્વપ્નમાં મળ્યો હતો. તેમણે આ સ્વપ્ન વિશે પોતાના અંગત મિત્રોના વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'થોડા દિવસ પહેલાંની વાત છે. મેં સ્વપ્નમાં જોયું કે હું મારા કાર્યાલયમાં એકલો બેઠો હતો અને અચાનક રડવાનો અવાજ આવ્યો. તે ક્યાંથી આવે છે તે જાણવા હું બહાર નીકળ્યો અને વ્હાઇટ હાઉસના જુદાં જુદાં ઓરડામાં જોયું, પણ ક્યાંય કોઈ પણ નહોતું તેમ છતાં ધ્રૂસકેને ધ્રૂસકે રડવાનો અવાજ સતત આવતો હતો. ઓરડાઓની લાઇટ ચાલુ હતી. મારા મનમાં વિવિધ પ્રકારના વિચારો આવ્યા. છેવટે ફરતો ફરતો પૂર્વ દિશામાં સ્થિત ઓરડામાં ગયો તો મારી નજર ઓરડાની વચ્ચોવચ્ચ પડેલા એક મૃતદેહ પર પડી. તેની ચારે તરફ સશસ્ત્ર સૈનિકો ઊભા હતા. મૃતદેહનો ચહેરો સફેદ કપડાંથી ઢાંકી દેવાયો હતો. ચારેબાજુ લોકોની ભીડ જામી હતી. મેં એક સૈનિકને પૂછ્યું કે, 'કોનું મૃત્યુ થયું છે?' ત્યારે સૈનિકે જવા આપ્યો, 'આ આદરણીય રાષ્ટ્રપ્રમુખ લિંકનનો મૃતદેહ છે.' તે પછી લોકોમાં રોકકળ થવા લાગી અને મારી આંખો ખુલી ગઈ.'
14 એપ્રિલ, 1864ની સાંજે સાત વાગે લિંકનના વિશિષ્ટ સંરક્ષક ક્રંકે તેમની પાસેથી વિદાય લેતાં કહ્યું, 'આદરણીય રાષ્ટ્રપ્રમુખ! ગુડ નાઇટ!'
લિંકને જવાબ આપ્યો, 'ગુડ બાય!'
ક્રેંક ઘરે જતી વખતે વિચારતો હતો કે આજે પ્રમુખે 'ગુડ નાઇટ'ને બદલે 'ગુડ બાય' કેમ કહ્યું?
તેના પછી બરોબર ત્રણ કલાક પછી ક્રંકને જવાબ મળી ગયો હતો. લિંકનની બે ગાળી મારી હત્યા કરી દેવાઈ હતી.

Wednesday, October 8, 2008

મથુરા બળાત્કાર કેસ



ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં તે સૌથી અપમાનજનક કેસ પૈકીનો એક હતો. વાત મથુરા એક સોળ વર્ષની કિશોરીની હતી. તેની પર 26 માર્ચ, 1972ના રોજ મહારાષ્ટ્રના દેસાઈગંજ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ કર્મચારીઓએ બળાત્કાર કર્યો હતો. ભારે વિરોધ પ્રદર્શન કર્યા પછી બે આરોપી કોન્સ્ટેબલ્સ-ગણપત અને તુકારામ-વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. સેશન્સ કોર્ટે આરોપીઓની તરફેણમાં ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું હતું કે, પીડિતા સંભોગક્રિયાથી સારી પરિચિત હોવાથી તેણે શારીરિક સંબંધો બાંધવાની મંજૂરી આપી હતી. પણ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે તે ચુકાદાને નામંજૂરી કરી ફેરવી તોળ્યો હતો.
ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, 'ઘાતક પરિણામ ભોગવવાની ધમકીને વશ થઈ સમર્પણ કરવાનો અર્થ સંભોગ માટે સહમતિ આપી હોય તેવો થતો નથી.' પણ પીડિતાના નસીબમાં ન્યાય નહોતો. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજ કરી તો તેને ખરેખર ન્યાયની દેવીએ આંખા પાટાં બાંધ્યા હોય તેવો અનુભવ થયો હતો. સુપ્રીમ કોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે, 'મથુરાએ પોલીસ સ્ટેશનમાં મદદ માટે કોઈને વિનંતી કરી નહોતી અને તેના શરીર પર કોઈ પણ પ્રકારના ઇજાના નિશાન પણ નહોતા.'
આ ચુકાદામાં સહમતિ અને દબાણને વશ થઈ સમર્પણ વચ્ચે શું ફરક છે તેના પર એક શબ્દ પણ કહેવાયો નહીં. આ કારણે ચુકાદાથી લોકોને મોટો આંચકો લાગ્યો હતો, પણ તેણે દેશના બળાત્કારને લગતા કાયદા-કાનૂનમાં વ્યાપક પરિવર્તનનો માર્ગ મોકળો કરી દીધો. જોકે બદલાયેલા કાયદામાં પણ મૂળભૂત સ્તરે બહુ મોટો સુધારો થયો તેવું દેખાતું નથી. બળાત્કારના અપરાધીઓને સજા કડક કરવાની જોગાવાઈ થઈ ગઈ પણ આટલાં વર્ષોમાં સજાના દરમાં મહત્વપૂર્ણ ઘટાડો થયો છે.

Monday, October 6, 2008

પ્રસારભારતી સરકારી સંસ્થા છે કે સ્વાયત્ત સંસ્થા?


હિંદુસ્તાન બ્યુરો
નવી દિલ્હી


દૂરદર્શન અને આકાશવાણી હકીકતમાં સરકારી સંસ્થાઓ છે અને તેમની સ્વાયતત્તા માત્ર કાગળ પર જ છે. આ વાત પ્રસારભારતીના ભવિષ્યનો ફેંસલો કરવા માટે રચાયેલા મંત્રીઓના સમૂહ (જીઓએમ)ની બેઠકમાં ચર્ચાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પંચાયતરાજ મંત્રી મણિશંકર ઐય્યરે પ્રસારભારતીની સ્વાયતત્તાને માત્ર કાગળ પર જ અને હકીકતમાં વ્યાવહારિક દૃષ્ટિએ તેને ક્યારેય સ્વાયતત્તા મળી જ નથી તેવું કહ્યું હતું.
ઐય્યરે કહ્યું હતું કે, પ્રસારભારતીએ તેની સ્થાપનાથી લઇને અત્યાર સુધી ક્યારેય સ્વાયત્ત સંસ્થાની જેમ કામ કર્યું નથી, પણ તેની કામગીરી એક સરકારી સંસ્થા જેવી જ રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રસારભારતની સ્થાપના 23 નવેમ્બર, 1997ના રોજ થઈ હતી.
આ બેઠક પ્રસારભારતીના કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. તેના કર્મચારીઓની માંગણી છે કે તેમને સરકારી કર્મચારી ગણવામાં આવે જેનો સૂચના અને પ્રસારણ મંત્રાલય વિરોધ કરી રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમને સરકારી કર્મચારી ગણવાને બદલે સરકારી કર્મચારીઓની સમકક્ષ તરીકે જ ચાલુ રાખવા માગે છે. પરંતુ આ ચર્ચા-વિચારણા દરમિયાન બેઠક જેના માટે બોલાવવામાં આવી હતી તે મુદ્દો જ ભૂલાઈ ગયો અને પ્રસારભારતી સરકારી સંસ્થા છે કે સ્વાયત્ત સંસ્થા છે તેના પર ચર્ચા થઈ હતી.
સૈદ્ધાંતિક રીતે પ્રસારભારતીને સ્વાયત્ત સંસ્થા ગણવામાં આવે છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અંબિકા સોની પણ હાજર હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રસારભારતીમાં ભારતીય સૂચના સેવાના અધિકારીઓની નિમણૂંક કરી શું સરકાર પ્રસારભારતીને સરકારી સંસ્થા બનાવી દેવા માગે છે? ત્યારે આ બાબતની ગંભીરતા સમજી ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યું હતું કે, સરકારને સમર્થન કરતાં મીડિયા તરીકે પ્રસારભારતીની જરૂર છે.

Friday, October 3, 2008

પ્રચાર-પ્રસાર માધ્યમોની સંવેદનશીલતા અને ગુસ્સો ક્યાં છે?




ગ્રામીણ ભારતની સમસ્યાઓ સાથે જોડાયેલા પત્રકારત્વ માટે મૈગ્સેસે પુરસ્કારથી સમ્માનિત વરિષ્ઠ પત્રકાર પી. સાઇનાથે એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજેન્દ્ર માથુર સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલતા પ્રચાર-પ્રસાર માધ્યમોની વર્તમાન માનસિકતા પર અમુક પાયાના સવાલો ઉઠાવ્યાં છે
ભારત અત્યારે જ કૃષિ-સંકટનો સામનો કરી રહ્યું છે તેવા સંકટનો સામનો દેશને હરિત ક્રાંતિ પછી કરવો પડ્યો નહોતો. લાખો લોકો ગામડાં છોડી શહેરો અને મહાનગરોમાં રોજગારી માટે ભટકી રહ્યાં છે. વર્ષ 1991થી વર્ષ 2001 દરમિયાન 80 લાખ લોકોએ ખેતીવાડી છોડી દીધી છે.
શું આ સમસ્યા વિશે ભારતના પ્રચાર-પ્રસાર માધ્યમોમાં તમને કંઈ જાણવા મળ્યું? આ સંદર્ભમાં પ્રચાર-પ્રચાર માધ્યમો અને કૃષિ-સંકટ વચ્ચેના સંબંધોને સમજવા પડશે. એક, અત્યારે જનસંચાર માધ્યમો અને સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ વચ્ચે અંતર વધતું જાય છે. બે, પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ગરીબો અને તેમની સમસ્યાઓ માટે દરવાજા બંધ છે. ત્રણ, પ્રચાર-પ્રસાર માધ્યમના ઉદ્દશો કોર્પોરેટ જગતે છીનવી લીધા છે. અને છેલ્લે લોકશાહીના ચાર સ્તંભોમાં પ્રચાર-પ્રસાર માધ્યમો પ્રભાવશાળી વર્ગના હાથમાં આવી ગયા છે અને વાસ્તવિક સમાજથી અળગા થઈ ગયા છે.
પ્રચાર-પ્રસાર માધ્યમોની નૈતિકતા બદલાઈ ગઈ છે. તેમની દુનિયામાં બહુ મોટું પરિવર્તન આવી ગયું છે. ન તેમાં ગુસ્સો છે કે ન કરુણા. તેમાં ઘણાં મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થાય છે પણ એવા કોઈ મુદ્દાને સ્થાન મળતું નથી જે પાછલી પેઢીના પત્રકારોનો વિચલિત કરતાં હતા. વર્તમાનપત્રોમાં જે રીતે પત્રકારોને કામની વહેંચણી થઈ રહી છે તેમાં ગરીબોની સ્પષ્ટ અવગણના થઈ રહી છે. અત્યારે આપણા વર્તમાનપત્રોમાં ફેશન, ડીઝાઇન અને ગ્લેમર દુનિયાનું રીપોર્ટિંગ કરવા વિશેષ પ્રતિનિધિઓ રાખવમાં આવે છે. શું આ દુઃખદ આશ્ચર્ય નથી કે ગ્રામીણ ગરીબોની સૌથી વધુ સંખ્યા ધરાવતા દેશમાં ગ્રામીણ કે શહેરી ગરીબી સાથે જોડાયેલી માહિતીઓ એકત્ર કરવા એક પણ પૂર્ણ કક્ષાના પ્રતિનિધિ નથી?
બેરોજગારીની ભયાવહ સંખ્યા ધરાવતા દેશમાં મજૂરોની સમસ્યાઓને વાચા આપતા પ્રતિનિધિઓ હવે દેખાતા નથી. વર્ષ 2006માં સૌથી વધુ ખેડૂતો આત્મહત્યાઓ કરી હતી. આ દષ્ટિએ તે સૌથી વધુ ખરાબ વર્ષ હતું. વિદર્ભના કૃષિ-સંકટ વિશે સમાચારો મેળવવા રાષ્ટ્રીય સમાચારપત્રો કે સમાચાર ચેનલોના કેટલા પત્રકારો ગયા હતા ? બધા મળીને છ. પણ મુંબઈમાં યોજાયેલા લેકમે વીકના સમાચારો મેળવવા 512 પત્રકારો પહોંચી ગયા હતા.
ફેશન વીકમાં યુવતીઓ શું દેખાડતી હતી ? કદાચ યુવતીઓ વસ્ત્રો કરતાં અંગ-પ્રદર્શન વધુ કરતી હતી. જ્યારે મુંબઈથી જ માત્ર એક કલાકની હવાઈ મુસાફરી કરી જ્યાં પહોંચી શકાય છે તેવા કૃષિ ઉત્પાદન આધારિત વિસ્તાર વિદર્ભમાં કપાસનું ઉત્પાદન કરતાં ખેડૂતો આત્મહત્યા કરતાં હતા. દરરોજ છ ખેડૂતો આત્મહત્યા કરતાં હતા. શું આ સમાચાર નથી ? પત્રકારત્વ અને સ્ટેનોગ્રાફી બે અલગ-અલગ બાબતો છે. અત્યારે જ પત્રકારત્વ તમે જોઈ રહ્યાં છો કે વાંચી રહ્યાં છો તેમાંથી 80 ટકા સ્ટેનોગ્રાફી છે. ખેડૂતોનું ઋણ માફ કરવા બદલ બેંક ચર્ચામાં છે. સરકાર ઋણ માફી યોજનાનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે. પણ કેટલા વર્તમાનપત્રો કે સમાચાર ચેનલોએ આ સમાચાર આપવા જરૂરી સમજ્યાં કે ઋણ સુવિધાની વૃદ્ધિ કરવાનો દાવો કરનારાઓએ છેલ્લાં 15 વર્ષમાં વિવિધ બેન્કોની 4,750 શાખાઓ બંધ કરાવી દીધી છે ?
વસતિ ગણતરી અને રાષ્ટ્રીય સેમ્પલ સર્વેક્ષણ શહેરીકરણ સુધી મર્યાદિત છે. પણ 1990ના દાયકા પછી શહેરીકરણ વધુ જટિલ થઈ ગયું છે. ગ્રામીણ લોકોનું સ્થળાંતર ગામડાંમાંથી ગામડાંમાં અને ગામડાંમાંથી શહેરોમાં થઈ રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરી રહ્યાં છે. સાથેસાથે લોકો શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ પલાયન કરી રહ્યાં છે, કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં મજરી ઓછી છે અને નાના વ્યાપારીઓ સસ્તી મજૂરીના ચક્કરમાં ગ્રામીણ વિસ્તારોમાં જઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના ગોંદિયામાં સેંકડો શહેરી મહિલાઓ રોજીરોટી માટે વિદર્ભના ગ્રામીણ વિસ્તારોમાં દરરોજ સવારે પહોંચી જાય છે.
દરેક બજેટ સત્રમાં પહેલાં નાણાપ્રધાન સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે. તેના સમાચાર રજૂ કરવામાં પ્રચાર-પ્રચાસ માધ્યમોને કોણ રોકી રહ્યું છે ? વર્ષ 1991માં ખાદ્ય પદાર્થોની પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધતા 510 ગ્રામ હતી જે વર્ષ 2005માં ઘટીને 422 ગ્રામ થઈ ગઈ છે. એક અબજ લોકોને દરરોજ 88 ગ્રામ ઓછું અનાજ મળે છે. તેનો મતલબ એ છે કે દેશનો સરેરાશ પરિવાર દસ વર્ષ પહેલાંની સરખામણીમાં અત્યારે 100 કિલોગ્રામ અનાજ ઓછું ખાય છે. તમારો ગુસ્સો ક્યાં છે ?
કિંમતો વધી રહી છે અને સમાજના જુદાં જુદાં વર્ગ પર તેની જુદી જુદી અસર થઈ રહી છે. પણ આપણે ત્યાં કયાં પ્રકારના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં છે ? થોડા સમાચાર પહેલાં એક રાષ્ટ્રીય દૈનિકમાં એવા સમાચાર પ્રકાશિત થયા હતા કે વધતી મોંઘવારીના કારણે એક મધ્યમ વર્ગના પરિવારનો દિકરો ક્રિકેટની કોચિંગ મેળવી શકતો નથી.
આજે આપણે સમાચાર આપવાના બદલે ઉત્પાદનોનું વેંચાણ કરવામાં લાગી ગયા છીએ. આપણે સવાલો ઉઠાવવાની જરૂર હતી, સમાજની વાસ્તવિક પરિસ્થિતિને લગતા ઉજાગરા કરતાં પ્રશ્રોને વાચા આપવાની જરૂર હતી, પણ તેને બદલે આપણે ખુશામત કરવામાં લાગ્યા છીએ. જરૂર શ્રેષ્ઠ પત્રકારત્વની છે, પણ આપણે ખરાબમાં ખરાબ સ્ટેનોગ્રાફી રજૂ કરી રહ્યાં છીએ. આપણે ભદ્ર સમાજની સુરક્ષામાં લાગ્યા છીએ અને નિરાશાનો સામનો કરતાં લાખો લોકો આપણને દેખાતા નથી. આપણે દુઃખીઓને સાંત્વન આપવાના અને એશ-આરામમાં રહેતાં લોકોને દર્દથી પરિચિત કરાવવાના મહાન સિદ્ધાંતને બિલકુલ ઉલટાવી દીધો છે.