Monday, June 8, 2009

વલ્લભવિદ્યાનગરના સર્જક ભાઈકાકા


કાશ્મીરમાં વર્ષ 1929માં ગિલગિટ આગમ સાયેક બંધ તૂટી ગયો અને સિંધુ નદીમાં પૂર આવ્યું. નદીના ધસમસતા પાણી સિંધમાં ફરી વળ્યાં. લારખાના ડૂબી જવાની તૈયારીમાં હતું ત્યારે એક કુશળ ઇજનેરે સમયસૂચક કૌશલ્ય દેખાડી લારખાનાને બચાવી લીધું. આ લારખાનાની નજીક પ્રાચીન સિંધુ સંસ્કૃતિના જગપ્રસિદ્ધ સ્થળ મોહેંજોદડોના અવશેષો છે. આ ઇજનેરની કામગીરીના કદરરૂપે અંગ્રેજ સરકાર તેમનો પગાર વધારી રૂ. 1,700 કરવાનું વિચારતી હતી ત્યારે સરદાર પટેલનો પડતો બોલ ઝીલી તેણે અમદાવાદ મ્યુનિસિપાલટીમાં ચીફ એન્જિનિયર તરીકે માતૃભૂમિની સેવા કરવાનું પસંદ કર્યું. આ ઇજનેર કોણ હતા?

ગુજરાતનું શૈક્ષણિક ધામ ગણાતા વલ્લભવિદ્યાનગર વિશ્વવિદ્યાલયના સર્જક ભાઈકાકા એટલે કે ભાઈલાલભાઈ દ્યોભાઈ પટેલ। તેમનો જન્મ આઠમી જૂન, 1888માં ખેડા જિલ્લાના સોજિત્રા ગામે થયો હતો. બાળપણથી ગણિત વિષયમાં હોંશિયાર એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવી એન્જિનિયર થયા. વડોદરા રાજ્યમાં આવતા મહેસાણામાં માસિક રૂ. 80ના પગારતી સુપરવાઇઝર તરીકે જોડાયા. પછી બ્રિટિશ સરકારની નોકરી લીધી અને મહારાષ્ટ્રના ધૂળિયા શહેરમાં તેમની નિમણૂંક થઈ.

મુંબઈ ધારાસભાએ વર્ષ 1923માં સક્કર બરાજનું કામ શરૂ કરવાનું બિલ પસાર કર્યું અને આ ભગીરથ કામ ભાઈલાલને સોંપવામાં આવ્યું। તેમણે આ કામ આઠ વર્ષમાં પૂર્ણ કર્યું અને આ દરમિયાન 'સક્કર બરાજમાં મારાં આઠ વર્ષ' નામે પુસ્તક લખ્યું. તે પછી કાશ્મીરમાં ગિલગિટ બંધ પર કુશળતાપૂર્વક ફરજ બજાવી અમદાવાદ આવ્યાં.

અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ભાઇલાલે ત્રણ વર્ષ કામ કર્યું। આ દરમિયાન ગાંધી પુલ, રિલીફ રોડ, કાંકરિયા વિસ્તારનો વિકાસ જેવાં અનેક વિકાસકાર્યો હાથ ધર્યા. પરંતુ તેમનું સ્વપ્ન ગ્રામ્ય વિસ્તારમાં મહાશૈક્ષણિક કેન્દ્ર સ્થાપવાનું હતું. તેની જાણ થતાં ઘનશ્યામદાસ બિરલાએ આણંદમાં એન્જિનિયરિંગ કોલેજ સ્થાપવાનો વિચાર જણાવી ત્રીસ લાખ રૂપિયા આપવાની તૈયારી દેખાડી. બીજી તરફ ઉદ્યોગપતિ શેઠ કસ્તૂરભાઈ પચીસ લાખ રૂપિયાનું દાન આપી અમદાવામાં ઇજનેરી કોલેજ શરૂ કરવાના હતા. કેટલાંક લોકોને તે સમયે અમદાવાદ પહેલાં આણંદ કે વલ્લભવિદ્યાનગરમાં ઇજનેરી કોલેજ શરૂ થાય તે ગમતું ન હતું. એટલે તેમણે ગાંધીજીને હાથો બનાવ્યો અને સમજાવ્યાં કે, ગુજરાતમાં બે ઇજનેરી કોલેજની જરૂર નથી. બાપુ ભોળવાઈ ગયા અને તેમણે બિરલાને વલ્લભવિદ્યાનગર માટે જે રકમ આપવાના હોય તે મુંબઈમાં બીજા કોઈ કામ માટે વાપરે તેવી સલાહ આપી. આ વાતની જાણ સરદાર પટેલને થઈ અને તેમણે બાપુને સાચી હકીકતથી વાકેફ કરાવ્યાં. છેવટે વલ્લભવિદ્યાનગરમાં કોલેજ થઈને જ રહી.

આઝાદી પહેલાં ચોથી એપ્રિલ, 1947ના રોજ અહીં સરદાર પટેલના હાથે વિઠ્ઠલભાઈ પટેલ (સરદાર પટેલના મોટા ભાઈ) મહાવિદ્યાલયના મકાનનું ઉદઘાટન થયું। 13 ફેબ્રુઆરી, 1949ના રોજ જવાહરલાલ નેહરુએ વિદ્યાનગરનો પાયો નાંખ્યો. તે સમયે તેમણે કહ્યું હતું કે, ''દેશમાં અત્યારે દરેક સ્થળે અધિકારીઓ લોખંડ, સિમેન્ટ અને લાકડાની ખેંચની બૂમો પાડે છે. અમારા દિલ્હીમાં પણ આવી જ બૂમો સંભળાય છે. જ્યારે અહીં દરવાજો ના હોય તો પરવા નહીં, છત ના હોય તો તેની પણ પરવા નહીં, છતાં કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાના કામ ચાલી રહ્યાં છે. આ સંસ્થા સરકારી મદદની પરવા કર્યા વિના પોતાનું કામ આગળ ધપાવ્યે જાય છે. હું ઇચ્છું છું કે દેશમાં બધે અહીંના કામનું અનુકરણ થાય.''

ભાઈકાકાએ પાછલી ઉંમરે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. સ્થાપિત હિતોથી ખદબદતી કોંગ્રેસની સામે તેમણે સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સત્તા મેળવવાની એકદમ નજીક પહોંચી ગયેલા. તેમના પક્ષને 65 બેઠક મળી હતી. તે સમયે તેઓ ઉંમરના આઠમાં દાયકમાં હતા. વલ્લભવિદ્યાનગર એ ભાઇકાકાની શક્તિ, નિષ્ઠા, પરિશ્રમ, સંકલ્પશકિતનું પ્રતીક છે.

No comments: