Friday, June 19, 2009

જીવનમાં સંઘર્ષ ન હોય તો તે ફિક્કું લાગે

આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ ઉત્તમ વિચારો જ સાંભળો અને સતત તેનું ચિંતન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. તેના વિના જીવનમાં શું મજા? જીવનમાં સંઘર્ષ ન હોય તો તે ફિક્કું લાગે. તેના સિવાય જીવન કાવ્યમય ક્યાંથી થાય?

ભૂલ થાય તો પરવા નહીં। નિષ્ફળતાના પ્રસંગો સાંપડે તો મૂંઝાવું નહીં. તમારો આદર્શો હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળતા મળે તોય ફરી એકવાર પ્રયાસ કરો. સંપૂર્ણ રીતે ખરાબ હોય એવું કશું જ ન હોય. ઇશ્વરની જેમ શયતાનને પણ સ્થાન છે. એમ ન હોય તો અનિષ્ટ ક્યાંથી સંભવે? તે જ રીતે આપણી ભૂલોને પણ સ્થાન છે.

તમને એમ જણાય કે તમારી કાંઈ ભૂલ થઈ છે, તો પાછું વાળીને જુઓ નહીં, આગળ વધો! શું તમને નથી લાગતું કે તમે આજે જે કાંઈ છો તે પાછળની ભૂલોના અનુભવ વગર બની શક્યા હોત? તો પછી તમારી ભૂલોને વધાવી લો। એ તો તમારા માટે જાણે દૈવી માર્ગદર્શક હતી. દુઃખ પણ વધાવી લો, સુખ પણ ભલે પધારે. તમારી શી પરિસ્થિતિ થાય છે તેની પરવા ન કરો. આદર્શને પકડી રાખો. આગે કદમ!

નાની નાની બાબતો, નિષ્ફળતાઓને, ભૂલોને ગણકારો નહીં। આપણા જીવનરૂપી યુદ્ધના મેદાનમાં ભૂલોની ડમરી ઊડવાની જ. જે લોકો આટલા બધા નાજુક કે કાયર હોય તો તેમને આપણી હરોળમાંથી તગડી મૂકો.

સેન્ટર પોઇન્ટઃ જગતનો ઇતિહાસ બહુ ઓછા મનુષ્યોએ રચ્યો છે

No comments: