Monday, June 8, 2009

આત્મસંયમની શક્તિ


ચાર ઘોડાની ગાડી હોય તો કાં તો ઘડઘડાટ કરતી કરતી બેકાબૂ બની ઢાળમાં ઊતરે અથવા તો કોચવાન ઘોડાઓને કાબૂમાં રાખી ગાડી સંભાળીને ઉતારે. તેમાં શક્તિ ક્યાં વધારે દેખાય છે? ઘોડાઓને બેકાબૂ દોડવા દેવામાં કે તેમને કાબૂમાં રાખવામાં? તોપમાંથી ગોળો છૂટે તે ક્યાંય દૂર જઈ પટકાય છે. પણ વચ્ચે દિવાલ આવે તો તેની સાથે અથડાય છે. પરિણામે ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે. સ્વાર્થભાવે છોડેલો શક્તિપ્રવાહ નકામો વેડફાઈ જાય છે. તેમાંથી કશી જ શક્તિ પાછી નહીં મળે. પણ એ શક્તિને કાબૂમાં રાખીએ તો તેમાંથી શક્તિ પેદા થાય. આ જ વાત આપણી લાગણીઓ અને ક્રોધને લાગૂ પડે છે.

આપણે આપણી લાગણીઓને બેફામ રીતે છૂટી મૂકીએ છીએ, ત્યારે આપણે કેટલી બધી શક્તિ વેડફી નાખીએ છીએ। મનમાં શાંતિનો ભંગ થાય છે અને પરિણામે કાંઈ જ કરી શકતા નથી. જો શક્તિ કોઈ કાર્ય કરવામાં વાપરવાને બદલે લાગણીઓમાં જ વેડફાઈ જાય છે તો તેનાથી પરિણામ શૂન્ય આવે છે. આપણું મન ખૂબ સ્વસ્થ અને શાંત હોય, ત્યારે સમગ્ર શક્તિ સારું કાર્ય કરવામાં વાપરી શકાય.

દુનિયામાં જે મહાન માણસો થઈ ગયા તેમનું જીવન જોશો તો જણાશે કે તેઓનાં મન ગજબ શાંત અને સ્વસ્થ હતાં। કોઈપણ બાબત એવી ન હતી જે તેમનું સમતોલપણું ડગાવી શકે. જે કોઈ માણસ બહુ ક્રોધ કરે તે કોઈ દિવસ મહાન કાર્ય ન કરી શકે. જે માણસ કોઈ દિવસ માનસિક સંતુલન ગુમાવે નહીં તે ઘણું કાર્ય કરી શકે છે. જે માણસ ગુસ્સો કે ધૃણા કે વાસનાને વશ થઈ જાય તે કામ કરી શકતો નથી. તે પોતે કાંઈ પણ મેળવી શકતો નથી અને ઊલટો ભાંગીને ભુક્કો થઈ જાય છે. પણ જે માણસ શાંત, ક્ષમાશીલ, સમતાવાળો હોય તે જ માણસ વધારેમાં વધારે કાર્ય કરી શકે. આને આત્મસંયમ કહેવાય. તેનાથી મનુષ્ય અદભૂત શક્તિ પ્રાપ્ત કરે છે.

સેન્ટર પોઇન્ટઃ આદર્શ માનવી એ છે જે સંપૂર્ણ નીરવતા અને શાંતિમાં ખૂબ જ કાર્યરત હોય છે અને ખૂબ જ કામની ધમાલમાં પણ રણપ્રદેશમાં હોય તેવી નીરવ શાંતિ અનુભવી શકે

No comments: