Monday, April 13, 2009

તમે જીવનમાં એક દિવસ કાંઈક ગુમાવ્યાની લાગણી ન અનુભવો તે માટે લખાયેલું એક પ્રેરણાદાયી પુસ્તક



પુસ્તકઃ ખભે કોથળો ને દેશ મોકળો
લેખકઃ રશ્મિ બંસલ
ભાવાનુવાદઃ સોનલ મોદી
પ્રકાશકઃ આઇઆઇએમ-અમદાવાદ
કિંમતઃ રૂ. 150

જીવનની ઘણી વણઉકેલી મૂંઝવણો, જવાબ વગરના સવાલો, આપણા દિલના દ્વાર વારંવાર ખટખટાવ્યા જ કરે છે। તેમાંનો એક સવાલ છે....'જો મેં આમ કર્યું હોત તો?'

મારા કોલેજકાળના પ્રથમ પ્રેમી સાથે પરણી હોતો તો?

હું થોડાં વર્ષ મોડી જન્મ હોત તો? સારી નોકરી તો મળત.

મેં જીવનમાં થોડું ઓછું પ્લાનિંગ કર્યું હોત તો?

અરે! થોડું વધારે જીવી શકાય તો?
હિંમત કરીને નાનપણમાં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો હોત તો?

આ બધા 'જો' અને 'તો' કાલ્પનિક નથી હોતા। દરેક કલ્પનાની પાછળ એક આશા, એક અરમાન, એક સ્વપ્ન હોય છે. પણ આ અરમાનોમાં બીકરૂપી ડામરની ગોળીઓ મૂકીને આપણે એ સ્વપ્નાનું પોટલું વાળી દઈએ છીએ. મનોમન વિચારીએ છીએ કે કે ક્યારેક એ અરમાનોનું પોટલું ખોલીશું. જોકે, એ ખોલવાનો વખત અને આવે છે ત્યારે આપણે ખૂબ થાકી ગયા હોઈએ છીએ. ક્યાં તો આળસી જઈએ છીએ અગર વૃદ્ધાવસ્થાને આરે પહોંચી જઈએ છીએ.

તમે જીવનમાં એક દિવસ કાંઈક ગુમાવ્યાની લાગણી ન અનુભવો તે આશયથી એક પ્રેરણાદાયી પુસ્તક લખાયું છે। રશ્મિ બંસલ લિખિત આ બેસ્ટસેલર પુસ્તક 'STAY HUNGRY STAY FOOLISH'નો સરળ અને રસાળ ભાવાનુવાદ 'ખભે કોથળો ને દેશ મોકળો' શીર્ષક સાથે જાણીતા ગુજરાતી અનુવાદક સોનલ મોદીએ કર્યો છે. તેમણે સુધા મૂર્તિના જીવનલક્ષી પુસ્તકોનો સરસ અનુવાદ કર્યાં છે જે ગુજરાતીમાં બેસ્ટસેલર પુરવાર થયા છે.

આ પુસ્તક દેશની જાણીતી મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)-અમદાવાદમાંથી સ્નાતક થઈને સફળ ઉદ્યોગ સાહસિક બનેલા 25 યુવાનોની પ્રેરણાત્મક સંઘર્ષની વાત રજૂ કરે છે. આઇઆઇએમના વિદ્યાર્થીઓ સારા મેનેજર બની શકે છે, પણ ઉદ્યોગપતિ નહીં. જો તમે આ પ્રકારની માન્યતા ધરાવતા હશો આ પુસ્તક તેનું ખંડન કરે છે. તેમાં ભારતના સૌથી સફળ ઇન્ટરનેટ સાઇટ નોકરી ડોટ કોમના ઉદ્યોગપતિ સંજીવ બિખચંદાની, એજ્યુકોમ્પના માલિક શાંતનુ પ્રકાશ, દેશની જાણીતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ કંપની ફિડબેક વેન્ચર્સના સ્થાપક વિનાયક ચેટર્જી, દેશની સૌથી મોટી રીટેલ કંપની સુભિક્ષાના સ્થાપક આર સુબ્રમન્યન સહિત 25 ઉદ્યોગસાહસિકોના સંઘર્ષની દાસ્તાન રજૂ કરે છે.
અહીં જેમની વાતો રજૂ કરવામાં આવી છે તેમણે બજારમાં તક જોઈ હતી, ધંધા માટેની શક્યતા જોઈ હતી, પરંતુ સાથેસાથે તેમણે પોતાની ક્ષમતાનું વાસ્તિવક મૂલ્યાંકન પણ કર્યુ હતું। તેમણે પોતાના અંતરાત્માના અવાજને સાંભળ્યો હતો....કે સાબુ વેચવામાં કદાચ વધારે રૂપિયા મળશે॥પણ તેનો કોઈ અર્થ ખરો? તગડી કંપનીના પગારદાર નોકર બની જવાનું તો બહુ સહેલું છે, પણ તારે જિંદગીભર એ જ કરવું છે? તારી શક્તિઓ તારે કાંઇક વધુ મેળવવામાં વાપરવી છે કે નહીં?

અને તેથી જ બીજાની નજરમાં મૂર્ખામી ઠરે તેવા કામો આ વીરલાઓએ કર્યાં। દરેક ઉદ્યોગ સાહસિકની વાત જુદી છે, પણ દરેકે વિશ્વાસથી ડગ માંડ્યાં છે, ખૂબ ખંત અને ધીરજપૂર્વક ઝઝૂમ્યા છે અને આજે સફળ કહી શકાય તેવી મોટી કંપનીઓના માલિક બન્યા છે.

તમારામાં જ્ઞાનની ભૂખ અને નવું કરવાની ઇચ્છા છે ખરી?

1 comment:

Anonymous said...

અચાનક જ આવી ચડ્યો ! આ બુક મારી પાસે છે , કંઈક નવા વિષય સાથેની બુક , કેટલાય સમયે જોવા મળી .
કૃપયા આપના બ્લોગમાં ઇ મેઈલ સબસ્ક્રાઇબર ની સેવા શરુ કરશો કે જેથી નવી પોસ્ટની માહિતી મળી શકે .