Wednesday, April 1, 2009

સુમન આપી શકો જો ના, પણ કોઇને કંટક દેશો ના


સંશય તો ભલભલાને થાય। પણ પૂછ્યું ક્યાં? એનો વિવેક હોવો જોઇએ. સંશય થાય, આપણે માણસ છીએ. પણ પૂછશો ક્યાં?

એક રંગાને ઊજળાં જેને ભીતર બીજી ન ભાત,
એને વહાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા.

અમુક જગ્યાએ જ વાત કહેવાય। જ્યાંત્યાં ન કહેવાય. બહુ થઈ જાય તો ઘરના એક ખૂણામાં ઠાકોરજી પાસે બેસીને બે આંસુડાં પાડી લેજો, બાકી જ્યાંત્યાં વાતો ન કરાય.

બહુ થઈ જાય તો થોડું રડી લેજો
પણ તમારી દુર્દશાઓ જગતમાં જાહેર કરશો મા.
મળ્યો છે દેહ માનવનો
તો કોઈ કાળો કેર કરશો મા.
અને જગતમાં માનવીને કદી
ત્રાંબિયાના તેર કરશો મા.
સહારો દઈ નથી શકતા
તો ઠુકરાવશોય ના.

કોઇનો હાથ ન પકડી શકીએ તો કાંઈ નહીં। પણ કવિ કહે કોઈને ધક્કો તો ન મારીએ. આધાર ન આપીએ તો કોઈ ચિંતા નહીં, બધા થોડા સુવિધાવાળા હોય છે જે બીજાની મદદ કરી શકે? પણ કોઈને ધક્કો તો ન મારીએ કમ સે કમ.

સુમન આપી શકો જો ના
પણ કોઇને કંટક દેશો ના.

ફૂલ ન આપી શકો તો કોઈ ચિંતા નહીં. પણ કોઇને કાંટા પધરાવો નહીં. માટે કોઈ એવા સંતની આગળ સંશય રજૂ કરો જે સંત તમારા ઉપર કોઈ વસ્તુ લાદે નહીં પણ તમારામાં પડેલું ખોલે. સમર્થ ગુરુ મળે તો આપણામાં પડેલું ખોલી નાખે. એનું નામ જ મહાપુરુષ જે ઉપરથી લાદવાની કોશિશ ન કરે, પણ અંદર પડ્યું હોય તેને બહાર લાવે.

No comments: