Sunday, April 12, 2009

'ખભે કોથળો ને દેશ મોકળો'ના વાંચનથી ગુજરાતી યુવાનોને લાભ થશેઃ સોનલ મોદી


ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)માંથી મોટે ભાગે કુશળ મેનેજરો મળે છે અને તમારે ઉદ્યોગપતિ બનવું હોય તો આઇઆઇએમમાં અભ્યાસ કરવો જરૂરી નથી। બેથી ત્રણ વર્ષ પહેલાં જાણીતા ઉદ્યોગપતિ કિશોર બિયાનીએ આઇઆઇએમના કેમ્પસમાં જ આ વાત કહી ત્યારે ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો, કારણ કે બિયાની પરોક્ષ રીતે એવું કહેવા માગતા હતા કે આઇઆઇએમમાંથી કુશળ મેનેજરો જ તૈયાર થાય છે, નહીં કે ઉદ્યોગ સાહસિકો. તેઓ જાણતા નહોતા કે થોડા જ વર્ષોમાં તેમને તેમના રીટેલ સ્ટોર્સમાં એવા પુસ્તકનું વેચાણ કરવું પડશે જેમાં આઇઆઇએમમાંથી અભ્યાસ કરીને સફળ ઉદ્યોગપતિ બનેલા લોકોના સંઘર્ષની વાત રજૂ થઈ હશે.

આ પુસ્તકનું નામ છે 'STAY HUNGRY, STAY FOOLISH'. આઇઆઇએમ-અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂકેલા રશ્મિ બંસલ લિખિત આ પુસ્તક અંગ્રેજીમાં બેસ્ટસેલર પુરવાર થયું છે. તેનો ગુજરાતી ભાવાનુવાદ જાણીતા અનુવાદક સોનલ મોદીએ કર્યો છે. ગુજરાતીમાં 'ખભે કોથળો ને દેશ મોકળો' નામે પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનું વિમોચન શનિવારે સાંજે પાંચ કલાકે આઇઆઇએમના કેમ્પસમાં થયું હતું. આ પ્રસંગે મેં અને મિત્ર વિજય પરમારે અનુવાદક સોનલ મોદી સાથે કરેલી વાતચીતઃ

અંગ્રેજી બેસ્ટસેલર 'STAY HUNGRY, STAY FOOLISH'નો અનુવાદ કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
હું અંગ્રેજી પુસ્તક 'STAY HUNGRY, STAY FOOLISH' વાંચતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગઈ હતી। ગુજરાતના યુવાન-યુવતીઓ મૂળે ઉદ્યોગ સાહસિકતાની વૃત્તિ ધરાવતા હોય છે. નાના-મોટા ધંધા કરવાનું આપણે ગળથૂથીમાં જ મળે છે. વળી, મારા પતિના ધંધાની સંઘર્ષયાત્રાની છેલ્લાં છવ્વીસ વર્ષથી હું સાક્ષી છું. આવું પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત થાય તો નવી પેઢીને અને અનેક ધંધાર્થીઓને ફાયદો થાય તેવા શુભ આશયથી મેં અનુવાદ કર્યો છે.

તમે સુધા મૂર્તિના પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેમના પુસ્તકો સામાન્ય રીતે જીવનલક્ષી હોય છે જ્યારે આ પુસ્તકમાં ઉદ્યોગ અને વ્યવસાયની વાતો હતી. શું તમને આ પુસ્તકના અનુવાદ કરવામાં કોઈ મુશ્કેલી પડી?
સુધાબહેનના પુસ્તકો જીવનલક્ષી અભિગમ કેળવવા પર કેન્દ્રીત હોય છે। તેમાં ટેકનિકલ શબ્દો ના હોય, પણ આ પુસ્તકમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સંબંધિત ટેકનિકલ શબ્દો આવતા હતા. તેમાંથી કેટલાંક શબ્દોને સમજવામાં મને મુશ્કેલી પડતી હતી ત્યારે હું જે તે ક્ષેત્રમાં કાર્યરત સંબંધીઓને ફોન કરીને પૂછ લેતી હતી અને તેની સમજણ મેળવતી હતી.

આ પુસ્તક ભાષાની દ્રષ્ટિએ સરળ છે..
ચોક્કસ। આ પુસ્તકનો અનુવાદ ગુજરાતના યુવાનો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ પુસ્તકનો આશય ગુજરાતમાં અંગ્રેજી વાંચનનો ઓછો મહાવરો ધરાવતા ગુજરાતી યુવાનો અને વ્યવાસાયિકોને 25 ઉદ્યોગ સાહસિકોના સંઘર્ષની વાત જણાવવાનો છે. ઉદ્યોગ સાહસિક બનવા માગતા લોકોને પ્રેરણા આપવાનો છે. જો પુસ્તકની ભાષા સરળ નહીં હોય તો વાચકને કંટાળો આવશે અને આ પુસ્તક પ્રકાશિત કરવાનો પ્રકાશકનો આશય સરશે નહીં. યુવાનો એક મલ્ટીપ્લેક્સમાં એક ફિલ્મ જોવા જેટલો ખર્ચ કરે છે કદાચ તેના કરતાં પણ ઓછી કિંમત આ પુસ્તકની રાખવામાં આવી છે જેથી વધુ ને વધુ યુવાનો તેનો લાભ લઈ શકે.

આઇઆઇએમએ અત્યાર સુધી કુશળ મેનેજરો જ આપ્યાં છે, પણ તેમાંથી અભ્યાસ કરીને કોઈ ઉદ્યોગપતિ થયા નથી તેવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે અને એક જાણીતા ઉદ્યોગપતિએ બેથી ત્રણ વર્ષ પહેલાં આ પ્રકારની ટીપ્પણી પણ કરી હતી...
આ પુસ્તકમાં રશ્મિ બંસલે આઇઆઇએમમાંથી સ્નાતક થયેલા અને પછી પોતાનો ઉદ્યોગ-ધંધો શરૂ કરનાર 25 યુવાનોની પ્રેરણાત્મક સંઘર્ષની વાત રજૂ કરી છે। આ લોકો અત્યારે સફળ ઉદ્યોગપતિ ગણાય છે.

ભાવાનુવાદ એટલે...
કોઈ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો એક કળા છે. પરફ્યુમને એક બોટલમાંથી બીજી બોટલમાં ભરવા જેવી બાબત છે. કોઈ પણ કૃતિની મૂળ ભાષામાં સર્જકનો જે ભાવ હોય છે, જે સુગંધ હોય છે તે અનુવાદ કરતી વખતે જળવાઈ રહેવો જોઇએ.

1 comment:

Unknown said...

ખરેખર અચૂક વાંચવા જેવી બુક... અમારી વેબસાઇટ પરથી આ પુસ્તક ઘેર બેઠા મેળવી શકો છો..... http://dhoomkharidi.com/books/khabhe-kothalo-ne-desh-mokalo-detail ક્લિક કરી ને વધારે માહિતી મળશે