Thursday, July 30, 2009

રાજકારણી એટલે શું? રાજનીતિજ્ઞ એટલે શું?

'બાલ ઠાકરે મુસ્લિમોનું મોં જોવાનું પણ પસંદ ન કરે', 'નરેન્દ્ર મોદીને દેશના પીએમ બનાવી દેવાય તો મુસ્લિમોને આ દેશમાં કેવી રીતે જીવવું તે શીખવાડી દે', 'રાહુલ ગાંધી વડાપ્રધાન થાય તો દેશનું ચિત્ર જ બદલાઈ જાય.' આ પ્રકારના વિધાન સાંભળીએ ત્યારે ખરેખર હસવું આવે. પણ આવી માનસિકતા ધરાવતા અનેક ગગાજી ડોટ કોમનો આપણા અમદાવાદમાં અને દેશમાં ટૂટો નથી. આ પ્રકારના ગગાજી ડોટ કોમની પિપૂડી વાગતી હોય છે ત્યારે તેના જેવા એકસોને એક ગગા-કમ-લલવા ટપાકાં પાડતાં જોવા મળશે.

રાજકારણી અને રાજનીતિજ્ઞ વચ્ચે મૂળભૂત ફરક શું છે? હાથીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ-અલગ હોય છે. રાજકારણીઓ હાથી જેવા હોય છે. બહુજન સમાજ પક્ષ તો એટલો પ્રામાણિક છે કે તેનું નિશાન જ હાથી રાખી દીધું છે. કાશીરામ દીર્ઘદ્રષ્ટા હતા. તે સારી રીતે જાણતા હતા તેમના પક્ષની લગામ ભવિષ્યમાં કોને સોંપવાની છે...રાજકારણીઓ જેવું બોલે છે તેવું આચરણ ધરાવતા નથી અને જેવું આચરણ ધરાવે છે તેને જાહેર કરવાની હિમ્મત તેમનામાં હોતી નથી. તેઓ શરાબ પીને પણ જૂઠ્ઠું બોલી શકે છે. પ્રજાની માનસિકતા જાણીને તેને અનુરૂપ સ્વાંગ તેઓ સજે છે. રાજકારણ એટલે શું? રાજકારણી એટલે શું? અને રાજનીતિજ્ઞ એટલે શું?

રાજકારણ એટલે રાજ કરવા માટેનું કારણ અને રાજકારણીઓ એટલે રાજ કરવા માટે યોગ્ય કે અયોગ્ય-કોઈ પણ માર્ગે શાસન કરવા માગતા સ્વાર્થી અને મહત્વાકાંક્ષી લોકો. માયાવતી, નરેન્દ્ર મોદી, શરદ પવાર, મુલાયમ સિંહ, એલ કે અડવાણી, ઉમા ભારતી, અમરસિંહ જેવા આજના બધા 99.99 ટકા નેતાઓ રાજકારણીઓ છે. જવાહરલાલ નહેરુ રાજનીતિજ્ઞ હતા. તમે તેમની નીતિ સાથે અસહમત થઈ શકો છો, પણ રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિષ્ઠા પર આંગળી ન ઉઠાવી શકો. તેમના દિકરી ઇન્દિરા પ્રિયદર્શિની મહાન રાજકારણી હતા. રાજીવ ગાંધી ન રાજનીતિજ્ઞ હતા, ન રાજકારણી. મનમોહન સિંઘ દેશભક્ત સરકારી અધિકારી હતા, પણ રાજકારણીઓ તેમને રાજકારણી બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. રાજનીતિજ્ઞ અને રાજકારણીઓ વચ્ચે હાથી-ઘોડાનો ફરક છે.

રાજનીતિજ્ઞ એટલે સ્ટેટ્સમેન. તેમના માટે દેશનું હિત સર્વોપરી હોય છે, સત્તા નહીં. તેઓ સત્તા મેળવવા કે જાળવવા દેશનું હિત જોખમાય તેવો વિચાર સુદ્ધાં કરતાં નથી. દેશની જનતાના ચરણોમાં તેમણે તેમનું જીવન સમર્પિત કરી દીધું હોય છે. તેમના શાસનનો આશય દેશ અને જનતાની સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધારવાનો હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડો. રાજેન્દ્રપ્રસાદ, લાલબહાદુર શાસ્ત્રી રાજનીતિજ્ઞ હતા.

રાજનીતિજ્ઞ ભવિષ્યની પેઢીઓ માટે આદર્શરૂપ હોય છે, પ્રેરણારૂપ હોય છે જ્યારે રાજકારણીઓ પર તેમનું પોતાનું લોહી પણ થૂંક ઉડાવે છે. લાચાર અને નિઃસહાય જનતાનું શોષણ કરતા આ સત્તાસમ્રાટો જીવે છે ત્યારે ધિક્કારને પાત્ર હોય છે અને મરી જાય છે પછી તેમની તકતી પર ભવિષ્યની પેઢીઓ લઘુશંકા કરી તેમના પૂર્વજોની પીડાનો બદલો વાળતી હોય છે...

No comments: