Tuesday, March 30, 2010

ચાટુકર, ચાટુકારિતા અને અશોક ચવ્વાણ...


સત્તા મેળવવી મુશ્કેલ છે અને સત્તા મળી જાય પછી? તેને પચાવવી. સત્તા મળી જાય પછી બહુ ઓછા લોકો પચાવી શકે છે. સત્તાને અપચો શાસકના મનમસ્તિષ્ક પર સવાર થઈ જાય છે. તે પોતાને સર્વશક્તિમાન અને અજેય સમજવા લાગે છે. મનમસ્તિષ્ક પર નિયંત્રણ ગુમાવી દે છે. તેની કથની-કરણીમાંથી મદ છલકાય છે અને ચમચા-ચમચીઓ ઘેરી લે છે.

વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા પાસે કોઈ યોગ્ય વિકલ્પ ન હોવાના કારણે કોંગ્રેસસંચાલિત ગઠબંધન સરકાર ફરી પ્રજાના માથે મરાઈ. સત્તાની સંપૂર્ણ બાગડોર સોનિયા આન્ટી પાસે છે. વચ્ચે-વચ્ચે ક્યારેક મનમોહન સિંઘ દેશના વડાપ્રધાન હોવાનું જનતા જનાર્દનને યાદ કરાવી જાય છે. બાકી બધો ખેલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના 'ચાટુકર' ખેલી રહ્યાં છે. 'ચાટુકર' અને 'ચાટુકારિતા' મજાનો હિંદી શબ્દ છે. ગુજરાતમાં તેના માટે ચમચાગિરી શબ્દ છે અને કોંગ્રેસમાં એક નહીં ચાટુકરો કે ચમચાઓની એક આખી ફૌજ છે. મેડમ એક ચપટી વગાડે અને પચાસ ચાટુકર ટપાકાં પાડતાં હાજર થઈ જાય છે. યસ મેડમ, હા જી મેડમ, બોલો મેડમ, વાહ મેડમ અને આહ્ મેડમ! ચાટુકર બહુ તેજ અને ટકોરાબંધ હોય છે. તે તેમના અધ્યક્ષ કે અધ્યક્ષાને ઓર્ડર આપવાની તક પણ આપતા નથી. ચાટુકરોના મન-મસ્તિષ્કમાં સમજદારીનો સમંદર હિલોળા લેતો હોય છે.

ચાટુકરોની એક ખાસિયત હોય છે. તેઓ કોઈને કોઈ બહાને ચાટુકારિતાની તક શોધી લે છે. એક ચાટુકરચાટુકારિતાના દર્શન કરાવે એટલે બીજા બધા ચાટુકરો પોતે રહી નથી ગયા તેવું દેખાડવા સારામાં સારી ચાટુકારિતા દેખાડવા પ્રયાસ કરે. કોંગ્રેસમાં ચાટુકારિતાની સીઝન બારમાસી છે પણ અત્યારે તોફાની થઈ છે. તેમાં માર્ગદર્શક બન્યાં છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક શંકરરાવ ચવ્વાણ. ચવ્વાણ પરિવાર ચાટુકારિતા પર હથોટી ધરાવે છે. બાપ એવા બેટા! સ્વ. શંકરરાવ ચવ્વાણે સંજય ગાંધીના જૂતાં ઉઠાવી લીધા હતા તો અશોક ચવ્વાણે કોંગ્રેસના 'મુસ્લિમ ચહેરા' શાહરૂખ ખાનની એક ફુલ્લીફાલતુ ફિલ્મની સુરક્ષિત રીલીઝ માટે રાજ્યના થિયેટરોમાં પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દીધો હતો અને પ્રજાને રામભરોસે છોડી દીધી હતી. આ ફિલ્મની રીલીઝ થઈ અને બીજા જ દિવસે પૂણેની જર્મન બેકરીમાં આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યો. પણ ચાટુકરોની એક ખાસિયત હોય છે-તે નિર્લજ્જ અને વહીવટયા હોય છે. તેમને બધું મેનેજ કરતાં આવડે છે.

પૂણે વિસ્ફોટની કોઈ કડી હજુ સુધી મળી નથી ત્યાં ચવ્વાણે ફરી તેમની મુખ્ય પારિવારિક આવડતના દર્શન કરાવ્યાં. મેડમ સોનિયા માઇનોને બોલીવૂડના સાચા સુપરસ્ટાર અને હિંદી ફિલ્મ ઉદ્યોગના એકમાત્ર મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર આંખમાં કણાની માફક ખૂંચે છે. ગાંધી પરિવારનો બચ્ચનદ્વૈષ જગજાહેર છે અને અશોક ચવ્વાણ આ વાત સારી રીતે જાણી ગયા છે. તેમણે પૂણેમાં મરાઠી સાહિત્ય સંમેલનમાં અમિતાભ સાથે હાજરી ન આપી ગાંધી પરિવારની સેવામાં ખડેપગે હાજર હોવાનો સંકેત આપી દીધો. પણ મહારાષ્ટ્રના જ કોંગ્રેસી નેતાઓમાં એક મજાકે જોર પકડ્યું છે કે અમિતાભ બચ્ચનો વિરોધ કરી અશોક ચવ્વાણે સાબિત કરી દીધું કે તે શંકરરાવ ચવ્વાણના જ પુત્ર છે. કોઈ શક?

No comments: