Monday, October 6, 2008

પ્રસારભારતી સરકારી સંસ્થા છે કે સ્વાયત્ત સંસ્થા?


હિંદુસ્તાન બ્યુરો
નવી દિલ્હી


દૂરદર્શન અને આકાશવાણી હકીકતમાં સરકારી સંસ્થાઓ છે અને તેમની સ્વાયતત્તા માત્ર કાગળ પર જ છે. આ વાત પ્રસારભારતીના ભવિષ્યનો ફેંસલો કરવા માટે રચાયેલા મંત્રીઓના સમૂહ (જીઓએમ)ની બેઠકમાં ચર્ચાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પંચાયતરાજ મંત્રી મણિશંકર ઐય્યરે પ્રસારભારતીની સ્વાયતત્તાને માત્ર કાગળ પર જ અને હકીકતમાં વ્યાવહારિક દૃષ્ટિએ તેને ક્યારેય સ્વાયતત્તા મળી જ નથી તેવું કહ્યું હતું.
ઐય્યરે કહ્યું હતું કે, પ્રસારભારતીએ તેની સ્થાપનાથી લઇને અત્યાર સુધી ક્યારેય સ્વાયત્ત સંસ્થાની જેમ કામ કર્યું નથી, પણ તેની કામગીરી એક સરકારી સંસ્થા જેવી જ રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રસારભારતની સ્થાપના 23 નવેમ્બર, 1997ના રોજ થઈ હતી.
આ બેઠક પ્રસારભારતીના કર્મચારીઓનું ભવિષ્ય નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. તેના કર્મચારીઓની માંગણી છે કે તેમને સરકારી કર્મચારી ગણવામાં આવે જેનો સૂચના અને પ્રસારણ મંત્રાલય વિરોધ કરી રહ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તેમને સરકારી કર્મચારી ગણવાને બદલે સરકારી કર્મચારીઓની સમકક્ષ તરીકે જ ચાલુ રાખવા માગે છે. પરંતુ આ ચર્ચા-વિચારણા દરમિયાન બેઠક જેના માટે બોલાવવામાં આવી હતી તે મુદ્દો જ ભૂલાઈ ગયો અને પ્રસારભારતી સરકારી સંસ્થા છે કે સ્વાયત્ત સંસ્થા છે તેના પર ચર્ચા થઈ હતી.
સૈદ્ધાંતિક રીતે પ્રસારભારતીને સ્વાયત્ત સંસ્થા ગણવામાં આવે છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અંબિકા સોની પણ હાજર હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે પ્રસારભારતીમાં ભારતીય સૂચના સેવાના અધિકારીઓની નિમણૂંક કરી શું સરકાર પ્રસારભારતીને સરકારી સંસ્થા બનાવી દેવા માગે છે? ત્યારે આ બાબતની ગંભીરતા સમજી ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યું હતું કે, સરકારને સમર્થન કરતાં મીડિયા તરીકે પ્રસારભારતીની જરૂર છે.

No comments: