Sunday, May 20, 2012

આમિર ખાનઃ મિયાં પડ્યાં પણ તંગડી ઊંચી!


નિષ્ફળતા બહુ ક્રૂર છે. એને પચાવવી બહુ અઘરી છે. માણસ ખરેખર મજબૂત છે કે તકલાદી છે તેનું બેરોમીટર છે. નિષ્ફળતા માણસના ચહેરાને બેનકાબ કરી દે છે, મનુષ્યના વ્યક્તિત્વનો નગ્ન ચિતાર આપી દે છે. મજબૂત માણસ નિખાલસતા સાથે નિષ્ફળતાનો સ્વીકાર કરે છે જ્યારે તકલાદી માણસો નિષ્ફળતાનો સ્વીકાર કરવાને બદલે ખોટા તર્કો આપીને પોતાની નિષ્ફળતાને ઢાંકવા ધમપછાડા કરે છે. આવા જ ધમપછાડા અત્યારે આમિર ખાન કરી રહ્યાં છે. તેના અત્યંત ગાજેલા 'સત્યમેવ જયતે'ને કાર્યક્રમને ધોબીપછાડ મળી છે. પણ 'પર્ફેકશનિસ્ટ' તરીકે પંકાયેલો માર્કેટિંગનો આ મહારથી તર્કવિતર્કો કરી પોતાની નિષ્ફળતાને ઢાંકવા ફાંફાં મારી રહ્યો છે. 

છટ્ઠી મેના રોજ એકસાથે નવ ટેલીવિઝન (દૂરદર્શન અને સ્ટાર ગ્રૂપની) ચેનલો પર શરૂ થયેલા આ કાર્યક્રમને ચારનું રેટિંગ મળ્યું છે. ટેમ મીડિયા રિસર્ચના અહેવાલ મુજબ, આમિર ખાનના કાર્યક્રમનો  ફિયાસ્કો થઈ ગયો છે અને તેને અમિતાભ બચ્ચનના 'કૌન બનેલા કરોડપતિ' અને સલમાન ખાનના 'બિગ બોસ' કરતાં અત્યંત ઓછા દર્શકો મળ્યાં છે.પણ આમિર મિયા આ વાતનો સ્વીકાર કરવા તૈયાર જ નથી. મિયા પડ્યાં પણ તંગડી ઊંચી! તેમનું કહેવું છે કે હું આ પ્રકારના રેટિંગમાં માનતો જ નથી. બહુ સરસ! તમારામાં રેસમાં દોડી ન શકવાની તાકાત ન હોય ત્યારે રેસમાં માનતા જ ન હોવાની ગુલબાંગો પોકારો. હકીકતમાં આ કાર્યક્રમે આમિરના વ્યક્તિત્વના નવાં પાસાંનો તેના પ્રશંસકોને પરિચય કરાવ્યો છે.આ શો શરૂ થયો એ અગાઉ તેનું માર્કેટિંગ કરવા અને મહત્તમ દર્શકો મેળવવા આમિર ખાને કેવા ધમપછાડા કર્યા તેના પર એક નજર નાંખીએઃ

- સામાન્ય રીતે ટેલીવિઝન પર રાતના આઠથી દસ વાગ્યા સુધીનો સમય પ્રાઇમટાઇમ ગણાય છે. દરેક મનોરંજન ચેનલો પર આ સમય દરમિયાન સારામાં સારાં કાર્યક્રમો પ્રસારિત થાય છે. આમિર ખાને આ કાર્યક્રમો સાથે સ્પર્ધા ટાળવા રવિવારે સવારનો 11 વાગ્યાનો સમય પસંદ કર્યો. આ સમયે દરેક ચેનલો પર વિવિધ કાર્યક્રમોનું પુનરાવર્તન થતું હોય છે. આમિરે એવું વિચાર્યું હતું કે લોકો રીપિટ કાર્યક્રમો જોવાને બદલે તેનો શો જોવાનું વધુ પસંદ કરશે અને તેનો શો બિનહરિફ રીતે નંબર વન બની જશે. 

- છઠ્ઠી જૂને પ્રથમ એપિસોડ પૂર્ણ થયા પછી સ્ત્રી ભ્રૂણહત્યાને મુદ્દે ચર્ચા કરવા આમિરે 230 રેડિયો સ્ટેશનો પર ચર્ચા કરી, જેમાંથી 164 સ્ટેશનો ઓલ ઇન્ડિયા રેડિયોના હતા. 

- ભ્રૂણહત્યાના મુદ્દે વિવિધ ભાષાના અખબારોમાં આમિરે પોતાના લેખ પ્રકાશિત કરાવ્યા. આ રીતે દરેક ભાષામાં સત્યમેવ જયતેનો પ્રચાર કરવામાં પાછી પાની કરી નહીં.

- આમિર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યો અને ભ્રૂણહત્યાના કેસોનું ઝડપથી નિરાકરણ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપિત કરવાની વિનંતી કરીને પ્રચારમાં રહેવાનો સતત પ્રયાસ કર્યો.

- દેશભરમાં મોબાઇલ ફોન્સ પર આમિર ખાને પોતાના કાર્યક્રમ વિશે માહિતી આપી. 

- દરેક એપિસોડમાં કયો મુદ્દો ઉઠાવવામાં આવે છે તેના પર અખબારોમાં સમાચારોનો મારો ચલાવવામાં આવ્યો.

- અંગ્રેજી મેગેઝિનોમાં આમિર ખાનના કાર્યક્રમ કવરસ્ટોરી પણ પ્રકાશિત કરાવવામાં આવી.

આ રીતે આમિરે તેના શોમાં મહત્તમ દર્શકો મેળવવા માર્કેટિંગનું એક પણ માધ્યમ બાકી રાખ્યું નહોતું. તેના શોને હિટ કરાવવા તેના મિત્રો પણ ગોબલ્સ પ્રચાર કરવામાં લાગી ગયા હતા. છઠ્ઠી મેના રોજ તેના કાર્યક્રમનો પ્રથમ એપિસોડ પૂર્ણ થાય એ અગાઉ જ ટ્વિટર પર તેના મિત્રોએ શોને સુપરહિટ ગણાવવાની શરૂઆત કરી દીધી હતી. ફેસબુક પર તો કેટલાંક ગાંડાઘેલા અને મૂર્ખશિરોમણીઓ આ કાર્યક્રમને જોવાની અપીલ કરીને પોતે પણ સમાજ પ્રત્યે કેટલાં જવાબદાર છે તેવું દેખાડવાની સ્પર્ધા શરૂ કરી દીધી હતી. સમાજ પ્રત્યે જવાબદારીની ભાવના કામમાં દેખાવી જોઈએ, ફેસબુક કે ટિવટર પર નહીં. આમિરે દર્શકોને ઉલ્લું બનાવવાનો એક પણ પ્રયાસ બાકી રાખ્યો નહોતો. પણ ટેલીવિઝનના દર્શકોએ આમિરને તેની કક્ષા દેખાડી દીધી છે અને થોડો લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકાય, પણ બધાને કાયમ માટે મૂર્ખ ન બનાવી શકાય તેવો સંદેશ આપી દીધો છે. પણ આમિર અને તેના ચમચાઓ એક નવો પેંતરો શરૂ કર્યો છે. 

હવે આમિર ખાન અને તેની ચમચામંડળીનું કહેવું છે કે આમિર તો સામાજિક જવાબદારીની ભાવના સાથે આ કાર્યક્રમ કરે છે, નહીં કે રૂપિયા-પૈસા માટે કે દર્શકો મેળવવા. આ પણ એક મોટું જૂઠ્ઠાણું છે. હકીકતમાં આમિર દરેક એપિસોડના સાડા ચાર કરોડ રૂપિયા લે છે. આ કાર્યક્રમના 13 એપિસોડ પ્રસારિત થવાના છે અને આ હિસાબે તેને રૂ.45 કરોડ મળવાના છે. આમિર ખાન અને આ કાર્યક્રમની સ્પોન્સર કંપનીઓ સામાજિક જવાબદારીની ભાવનાનો દેખાડો કરીને લોકોની લાગણીઓ સાથે રમીને પોતપોતાના રોટલાં શેકી રહ્યાં છે, પણ આ દેશની પ્રજા આમિર ખાન સમજે એટલી મૂર્ખ નથી. પ્રજામાં એટલી સામાન્ય સમજ છે છે કે ભ્રૂણહત્યા ગરીબોમાં થતી નથી. ગરીબો પાસે તો બાળકના જાતિપરિક્ષણ કરાવવાના અને ભ્રૂણહત્યા કરાવવાના રૂપિયા જ હોતા નથી. અને ગરીબો શા માટે ભ્રૂણહત્યા કરાવે? તેમના માટે તો બાળકો એક પ્રકારનું મૂડી રોકાણ છે. જેટલી સંખ્યા વધારે તેટલી આવક વધારે. આ પ્રકારની હત્યા મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને ધનિક પરિવારોમાં થાય છે અને એ લોકો આમિર ખાનની સલાહ માનવાના નથી એ હકીકત છે. 

ચલતે-ચલતેઃ ટેલીવિઝન પર વર્ષે એકાદ વખત દર્શકોને પ્રેમ મેળવવો સહેલો છે, પણ દર અઠવાડિયે દર્શકોનો પ્રેમ જાળવી રાખવા મજબૂત વ્યક્તિત્વ જોઈએ, તકલાદી નહીં. 



1 comment:

myhuonglequyen said...

Thanks for sharing, nice post! Post really provice useful information!

Giaonhan247 chuyên dịch vụ vận chuyển hàng đi mỹ cũng như dịch vụ ship hàng mỹ từ dịch vụ nhận mua hộ hàng mỹ từ trang ebay vn cùng với dịch vụ mua hàng amazon về VN uy tín, giá rẻ.