Wednesday, April 18, 2012

ચમચાગીરી, ચાટુકારિતા અને ઓમ નરેન્દ્રાય નમઃ...



વફાદારી અને ચમચાગીરીમાં ફરક છે, પણ ગુજરાતીઓ અને હિંદુસ્તાનીઓ જાણીજોઈને ચમચાગીરીને વફાદારી ગણાવે છે. વફાદારી સાથે મર્યાદા જોડાયેલી હોય છે જ્યારે ચમચાગીરી અમર્યાદ અને હાસ્યાસ્પદ હોય છે. આપણા દેશમાં ગાંધી-નહેરુ પરિવારના ચમચાઓની જમાત જાણીતી છે અને આ જમાત શાશ્વત છે. ચમચાઓની એક પેઢી પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં ચમચાઓના ચિંધ્યા માર્ગે હજૂરિયાઓની યુવા પેઢી તૈયાર થઈ જાય છે. ભાજપના રાજકારણીઓ અવારનવાર આ ચમચા સંસ્કૃતિ પર પ્રહાર કરે છે, પણ હવે કોંગ્રેસી ચમચાઓને પણ શરમાવે તેવા હજૂરિયાઓ ભાજપમાં તૈયાર થઈ ગયા છે અને તેનું નેતૃત્વ પણ ગુજરાતે જ પૂરું પાડ્યું છે! આ સિદ્ધિને બિરદાવવા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અખબારોમાં આખાં પાનાંની જાહેરાત ન આપવી જોઈએ?

ધારો કે આ પ્રકારની જાહેરાત આવે તો તેમાં નરેન્દ્ર મોદીના ફોટા સાથે આ પ્રકારનો સંદેશ હોવો જોઈએઃ દેશની ચમચા સંસ્કૃતિને નવું નેતૃત્વ પૂરું પાડવામાં અને નવી દિશા આપવામાં ગુજરાત સરકાર (એટલે નરેન્દ્ર મોદી) ગૌરવ અનુભવે છે! દેશના હાલના તમામ મુખ્યમંત્રીઓમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ છે તેમાં ના નહીં, પણ તેમના સાથીદારો પણ ઓછા વાઇબ્રન્ટ નથી અને તેમની વાઇબ્રન્સીથી કદાચ મોદી પણ ધ્રુજારી અનુભવી રહ્યાં છે. થોડા સમય અગાઉ સુરતમાં પણ એક હજૂરિયાએ નરેન્દ્ર મોદીના કાર્યોને કૃષ્ણની લીલા સમાન ગણાવ્યાં હતાં. નરેન્દ્ર મોદી દિલ્હી જઈ રહ્યાં છે એ નક્કી થઈ ગયા પછી તેમના ચમચાઓ વચ્ચે સ્પર્ધા જામી છે. તેઓ બધા ટપાકાં પાડી રહ્યાં છે, મોદીને કૃષ્ણાવતાર ગણાવી રહ્યાં છે અને એકસૂરે મંત્રોચ્ચાર કરી રહ્યાં છે, ઓમ નરેન્દ્રાય નમ!

કોંગ્રેસના કેટલાંક હાડોહાડ વિરોધીઓ ચાટુકારિતા સંસ્કૃતિના મૂળિયાં નહેરયુગમાં હોવાની ડંફાસો મારે છે, પણ ખરેખર તે સાચું નથી. ભારતની મહાન ધરતીમાં ચાટુકારિતાનો ઇતિહાસ છે. અઢારમી સદીમાં અંગ્રેજ રૉબર્ટ ક્લાઇવે કહ્યું હતું કે, હિંદુસ્તાનમાં દરેક માણસની એક કિંમત છે, તેને ફેંકીને એને ખરીદી શકાય છે. અંગ્રેજીમાં હજુરિયાઓ માટે, ચમચાઓ માટે, ચાટુકરો માટે 'કુરિયર્સ' શબ્દ છે. પશ્ચિમના દેશોમાં ચમચાગીરીને જઘન્ય આદત ગણવામાં આવે છે, પણ ગુજરાત સહિત હિંદુસ્તાનમાં સફળતા મેળવવાનો સૌથી સરળ માર્ગ ચાટુકારિતા છે. તમે જે ક્ષેત્રમાં કામ કરતાં હોવ તેના વિશે માહિતી અને સમજણ ઓછી હશે તો ચાલશે, પણ તમારા ઉપરી અધિકારીને પુચકારવામાં કુશળ હશો તો તમામ પ્રતિભાશાળી અને કુશળ સાથીદારોને પાછળ મૂકી દેશો. દેશમાં બહુ ઓછા ક્ષેત્રો છે જે ચાટુકારિતાથી મુક્ત છે. ચાટુકારો ચારે દિશામાં ફેલાયેલા છે અને મોટા ભાગના જાહેર ક્ષેત્રો પ્રતિભાથી વંચિત થતાં જાય છે. જોકે આ દેશને ચમચાઓની જેટલી જરૂર છે તેટલી પ્રતિભાશાળી વ્યક્તિની જરૂર નથી એ પણ હકીકત છે...

ચલતે-ચલતેઃ નેતાને તેના હરિફો કરતાં પણ વધારે નુકસાન પહોંચાડવાની ક્ષમતા તેના હજૂરિયાઓમાં છે

No comments: