Sunday, February 28, 2010

આશાવલ્લી, કર્ણાવતી, અહમદાબાદ અને અમદાવાદ.....

(અમદાવાદના પ્રસિદ્ધ ત્રણ દરવાજા)

આશા ભીલના ટીંબો આશાવલ્લી, સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવ સોલંકીનું કર્ણાવતી, ગુજરાતના પહેલા મુસ્લિમ સુલતાન મુઝફ્ફરશાહના પૌત્ર અહમદશાહનું અહમદાબાદ અને નરેન્દ્ર મોદીના રબર સ્ટેમ્પ કાનજી ઠાકોરનું અમદાવાદ....ભીલરાજાઓનું આશાવલ્લી, રાજપૂત કે સોલંકી યુગનું કર્ણાવતી, નગરશેઠો અને મહાજન યુગનું અહમદાબાદ, ગાંધીયુગનું માન્ચેસ્ટર અને આઝાદી પછી વિક્રમ સારાભાઈનું અમદાવાદ....બે કિલ્લા, પાંચ રાંગ, 12 દરવાજા, 143 પરાં, 13 ગામ, 300થી વધુ પોળ, 148 ખાંચા, 200 ખડકી, નવ બારી, છ ઢાળ, 1,500થી વધુ ચાલી, 15 કૂવા, 61 વાવ, 13 હવેલી, 44 વાડી, 30 ચકલાં, 171 ડહેલાં, ચાર નાળાં, છ પીઠ અને 24 ટેકરાનું અતૂટ બંધન એટલે વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કર્ણાવતી, કોંગ્રેસનું અહમદઆબાદ અને નરેન્દ્ર મોદી અને સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું આપણું અમદાવાદ.....

ઉમાશંકર જોશીએ કહ્યું છે કે ''માણસની પેઠે નગરને પણ વ્યક્તિત્વ હોય છે. જુદા જુદા મહાપુરુષોનાં નામ ઉચ્ચારતાની સાથે એમના નોખાનોખા પ્રભાવનો ખ્યાલ મનમાં જાગે છે, તેમ મુંબઈ, કલકત્તા, દિલ્હી, મદ્રાસ એવાં મહાનગરોના નામોચ્ચારથી પણ શહેરની તસવીર મનમાં ખડી થાય છે. અમદાવાદ બોલતાં પણ એવી એક ભાવનામૂર્તિ આપણી આગળ પ્રત્યક્ષ થાય છે.'' માણસ સતત બદલાતું પ્રાણી છે, તેના વ્યક્તિત્વમાં સતત પરિવર્તન આવતું હોય છે. સમય, સંજોગો અને અનુભવના આધારે તેના વ્યક્તિત્વનો ઘાટ ઘડાય છે. તે જ રીતે બદલાય યુગ સાથે શહેર, નગર કે મહાનગરની તાસીર અને તસવીર પરિવર્તનનો પવન અનુભવે છે.

એકાદ હજાર વર્ષ પહેલાં અમદાવાદ આશાવલ્લી હતું, ખાંટ રાજા આશા ભીલનો ટીંબો હતું, તેની જાગીર હતું. ખાંટ એ રજપૂત અને કોળી એ કોમની વચલી જ્ઞાતિ છે તેવું ભગવદ્ગોમંડલમાંથી જાણવા મળે છે. આશાવલ્લી કે આશાવલ સોંલકી રાજા કર્ણદેવના સમયમાં કર્ણાવતી બન્યું. હાલના જમાલપુરના દરવાજાની બહાર કેલિકો મિલની આસપાસના વિસ્તારમાં કર્ણાવતી વસ્યું-વિકસ્યું હશે તેવા ઐતિહાસિક પુરાવાં મળ્યાં છે. સિદ્ધરાજ સોલંકીના સમયમાં કર્ણાવતીના નગરપાળ તરીકે ઉદયન એટલે ઉદા મહેતાની નિમણૂંક થઈ. તેણે કર્ણાવતીને દિલ દઈને વિકસાવ્યું. કર્ણાવતીને વિકસાવવામાં જૈન અને બ્રાહ્મણોનું પણ બહુ મોટું પ્રદાન. સોલંકી યુગમાં આજના અમદાવાદનો વિકાસનો પાયો નંખાયો, ધાર્મિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિના બીજ રોપાયાં. અહીંના અરિષ્ટનેમિપ્રાસાદ નામના મંદિરમાં જ સુપ્રસિદ્ધ સાધુ અને વિદ્વાન મુનિ દેવચંદ્રસૂરિનો નિવાસ હતો. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પણ અહીં જ અભ્યાસ કરેલો. ઉદા મહેતા અને જૈન અગ્રણી શાંતુ મંત્રીએ 72 જિનાલયવાળું ઉદયવિહાર નામનું મંદિર બંધાવેલું. ધર્મપરાયણ અને વેપારી મથક તરીકે વિકસેલું કર્ણાવતી નગર 14મી સદીની શરૂઆતમાં અહમદ અહમદાબાદ થયું. રજપૂત સત્તાનો અંત આવ્યો અને મુસ્લિમ સલ્તનતની સ્થાપના થઈ...

ગુજરાતનો પહેલો મુસ્લિમ સુલતાન મુઝફ્ફરશાહ....તેના પૌત્ર અહમદશાહે રાજધાની પાટણથી કર્ણાવતી નજીક સ્થળાંતરિત કરી. કર્ણાવતીને અડીને સાબરમતીને કિનારે સપાટ ભૂમિ પર નગર વસાવવાની યોજના ઘડી. તેણે સરખેજના સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષની મારફત પયગંબર અલખીઝર ખ્વાજાની પરવાનગી માગી. ખુદાઈ સત્તાની શરત મુજબ, જે જીવનમાં દરરોજ પાંચ નમાઝમાંથી એક પણ ચૂક્યા ન હોય અને પવિત્ર જીવન ગાળતાં હોય તેવી ચાર અહમદ નામની વ્યક્તિઓ ખાતમુહૂર્ત વખતે દોરીના ચાર છેડો પકડે તો શહેર વસે અને આબાદ થાય. બાદશાહ અહમદશાહ, સંત શેખ અહમદ ખટ્ટ ગંજબક્ષ, મલિક અહમદ જેમની કબર કાલુપુરના પઠાણવાડા છે અને પાટણના કાજી અહમદ એમ ચાર અહમદે પાયો નાંખ્યો. કાજી અહમદની કબર પાટણમાં છે.

આ ચાર પવિત્ર પુરુષોએ પાયાની પ્રથમ ઇંટ મૂકી અહમદાબાદ શહેરનું નિર્માણ શરૂ કર્યું. સૌ પ્રથમ ભદ્રનો કિલ્લાની શરૂઆત થઈ. આ કિલ્લાને 14 બુરજ છે. 43 એકરનો તેનો વિસ્તાર છે. આ કિલ્લો કાબુલ અને કંદહારના કિલ્લા પછી સૌથી વધુ મજબૂત ગણાતો હતો. તેના રક્ષણ માટે 18 તોપ રહેતી. ભદ્રના કિલ્લાની દક્ષિણે ગુજરાત ક્લબના મકાનની સામે અહમદશાહની મસ્જિદ છે, જે અમદાવાદમાં બંધાયેલી પ્રથમ મસ્જિદ છે. અહમદશાહના શહેરનો વિસ્તાર મહંમદ બેગડાએ કર્યો અને નગર ફરતો કોટ ચણાવ્યો. તેના બાદ દરવાજા આજે પણ અડીખમ છે. 16મી સદીમાં દિલ્હીમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ પાદશાહના સૂબાનું શાસન ગુજરાત પર સ્થાપિત થયું. જહાંગીરે અમદાવાદને 'ગર્દાબાદ' કહ્યું. અહીં જ સર ટોમસ રોને મુલાકાત આપી અને બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના માટેના દ્વાર ખોલી આપ્યાં. ઔરંગઝેબ પછી મુઘલ સત્તા નબળી પડી અને મરાઠાઓએ અમદાવાદ પર 63 વર્ષ રાજ કર્યુ પણ અમદાવાદ ખેદાનમેદાન કરી નાંખ્યું...

મરાઠાઓએ ભદ્રકાળીનું મંદિર અને સાબરમતી પર શાહીબાગનું, ભીમનાથનું દેરું થયું. મરાઠાઓએ લોકો પર અત્યાર કર્યો અને વસતી આઠ લાખમાંથી 80,000 થઈ ગઈ. એક જીવતું, ધબકતું શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું. પછી અંગ્રેજોએ 1818માં યુનિયન જેક ફરકાવ્યો. 1849માં ભદ્ર પર મોટું ઘડિયાળ મુકાયું. 1859માં રણછોડલાલ છોટાલાલે કાપડની પહેલી મિલ સ્થાપી. 1864માં કાળુપુર દરવાજા બહાર બી બી એન્ડ સી આઈનું રેલવે સ્ટેશન બન્યું. 1870માં શહેરના પ્રથમ પુલ એલિસબ્રીજનું નિર્માણ થયું. 1872માં શહેરનો પહેલો રસ્તો બન્યો જે અત્યારે ગાંધીરોડ તરીકે ઓળખાય છે. 1877માં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે રથયાત્રાનો આરંભ કરાવ્યો. 1879માં ગુજરાત કોલેજની સ્થાપના થઈ. 1885માં મ્યુનિસિપાલિટીની પહેલી વખત ચૂંટણી થઈ અને રણછોડલાલ છોટાલાલની પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ. 1894માં અમદાવાદમાં શેરબજાર શરૂ થયું. 1897માં 34 ગ્રાહકો સાથે ટેલીફોન સેવા શરૂ થઈ. 1909માં બહેરા મૂંગા શાળાની સ્થાપના થઈ. 1915માં કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ. 1920 ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. 1928માં શહેરની પહેલી હાઉસિંગ સોસાયટી પ્રીતમનગર અસ્તિત્વમાં આવી. 1950માં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ફેરવાઈ. 1952માં પહેલી એર કન્ડિશન્ડ થિયેટર રિલીફની સ્થાપના થઈ. 1956માં મહાગુજરાત આંદોલન શરૂ થયું અને પહેલી મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના સાથે અમદાવાદ પાટનગર બન્યું. 1974માં નવનિર્માણ આંદોલન શરૂ થયું. 1991માં અમદાવાદને કર્ણાવતી નામ આપવાનો ઠરાવ મ્યુનિસિપલ કોર્પોરેશને પસાર કર્યો જેને આજ સુધી મંજૂરી મળી નથી અને 2002 ગોધરકાંડ પછી હિંદુત્વની લહેર પર સવાર થઈને ગુજરાતના નાથ બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની 600મી વર્ષગાંઠ ઉજવે છે....

આશા ભીલથી નરેન્દ્ર મોદીના રબર સ્ટેમ્પ કાનાજી ઠાકોર સુધી આ નગર સતત પરિવર્તન પામતું રહ્યું છે. લોકોને આકર્ષતું રહ્યું છે. ભીલોનું આશાવલ, જૈનો અને બ્રાહ્મણોનું કર્ણાવતી, નગરશેઠોનું અહમદાબાદ, વેપારીઓનું માંચેસ્ટર અને જીવરાજ મહેતાથી લઈને નરેન્દ્ર મોદીનું અમદાવાદ દરેક વિકાસવાંછુઓ માટે મોટી શાળા સમાન છે............

ચલતે-ચલતેઃ ગામડું ફુલીફાલીને મોટું થયું હોય એવું આ શહેર છે - ઉમાશંકર જોશી

2 comments:

Manan said...

કેયુરભાઈ ખુબ જ માહિતીસભર લેખ આપ બદલ ધન્યવાદ...આગળ ભવિષ્યમાં પણ આવા જ લેખ ની અપેક્ષા છે....

किरण said...

Very informative and interesting. Thank you, so much.