Thursday, March 4, 2010

અરબી ઘોડો અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે....


મેં એક રાજકુમાર વિશે સાંભળ્યું છે. તે ઠીંગણો અને કદરૂપો હતો. તેના ભાઈઓ ઊંચા અને સુંદર હતા. એક દિવસ બાદશાહે તે કદરૂપ પુત્ર તરફ નફરત ભરેલી નજર સાથે જોયું.

રાજકુમાર બહુ સમજુ હતો. તે તરત જ સમજી ગયો કે પિતાના મનમાં કેવા ભાવ જાગ્યા છે. તેણે બાદશાહને કહ્યું, ''નાના કદ ધરાવતા બુદ્ધિશાળી લોકો ઊંચા અને સુંદર મૂર્ખાઓ કરતાં વધુ સારા. જે ચીજવસ્તુ નાની હોય છે, તેનું મૂલ્ય વધારે નથી હોતું? બકરી હલાલ (ભોજનને યોગ્ય) છે અને હાથી મુરદાર (અખાદ્ય).

''તૂર (તે પર્વત જ્યાં ખુદાના દર્શન કરીને હઝરત મૂસા બેભાન થઈ ગયા હતા) પર્વત બહુ નાનો છે, પરંતુ બધા પર્વતમાં શ્રેષ્ઠ ગણાય છે.

''તમે તે વાત સાંભળી નથી, જે એક દુબળા-પાતળા વિદ્વાને એક હટ્ટાકટ્ટા-તંદુરસ્ત મૂર્ખને કહી હતી? તેણે કહ્યું હતું, 'અરબી ઘોડો ગમે તેટલો દુબળો કેમ ન હોય, પણ તે અનેક ગધેડા કરતાં વધારે ઉપયોગી હોય છે.' ''

રાજકુમારની વાતો સાંભળીને બાદશાહ પ્રસન્ન થયો. દરબારીઓને પણ તેની વાત પસંદ પડી, પણ તેના ભાઈઓને આ વાત ખૂંચી.

જ્યાં સુધી મનુષ્ય બોલે નહીં, ત્યાં સુધી તેના ગુણ અને અવગુણ પ્રગટ થતા નથી.

આ ઘટનાના થોડા સમય પછી બાદશાહને એક શક્તિશાળી શત્રુનો સામનો કરવો પડ્યો. બંને તરફની સેના આમનેસામને આવી ગઈ તો રણભૂમિમાં સૌથી પહેલો ઘોડો કદરૂપા અને ઠીંગણા રાજકુમારે દોડાવ્યો. તેણે શત્રુને લલકારતાં કહ્યું, ''આજે તું ભલે મારો શિરચ્છેદ કરે, પણ મારી પીઠ જોઈ નહીં શકે.''

જે સિપાહી લડવા જાય છે તે વિજયપતાકા લહેરાવવા પોતાનું લોહી રેડી દે છે, પણ જે કાયર રણભૂમિમાં પીઠ દેખાડે છે તે આખા સૈન્યનો વિનાશ નોતરે છે.

કદરૂપો રાજકુમાર દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યો અને જોતજોતામાં અનેક સૈનિકોનો કચ્ચરઘાણ બોલાવી દીધો. પછી તે બાદશાહ સમક્ષ હાજર થયો અને તેની ચરણરજ મસ્તકે ચડાવી બોલ્યો, ''તમે મારા કદને જોઈને નબળો સમજી લીધો હતો. લડાઈના દિવસે તો પાતળી કમરવાળો ઘોડો જ કામ આવે છે, તાજોમાજો આખલો નહીં.''

કહેવાય છે કે દુશ્મન પાસે મોટું સૈન્ય હતું અને આ તરફ બહુ ઓછા સિપાહીઓ હતા. તેમાંથી થોડા સિપાહીઓ તો યુદ્ધ કરવા માગતા નહોતા. રાજકુમારે તેમને પાનો ચડાવતાં કહ્યું, ''જવાનો, યા હોમ કરીને પડો, ફતહે છે આગે. તમે મર્દ છો, ડર તમારા લોહીમાં નથી.''

સિપાહીઓ જોશમાં આવી ગયા અને દુશ્મન સૈન્ય પર તૂટી પડ્યાં. તે જ દિવસે બાદશાહને વિજય મળી ગયો. તે પછી કદરૂપા રાજકુમારની પ્રગતિ શરૂ થવા લાગી. બાદશાહે તેને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો. આ જોઈને તેના ભાઈઓના મનમાં ઇર્ષાનો કીડો સળવળ્યો. તેમણે કદરૂપા ભાઈની હત્યા કરી નાંખવાનું ષડયંત્ર રચ્યું.

એક દિવસ તક મળતાં તેમણે ભોજનમાં ઝેર ભેળવી દીધું. રાજકુમાર ભોજન કરવા બેઠો ત્યાં તેની બહેને તેને ઇશારો કરી દીધો. રાજકુમાર બહુ ચતુર હતો. તે સમજી ગયો કે દાળમાં કંઈક કાળું છે. તેણે ભોજન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું, ''બુદ્ધિશાળી મરી જાય અને મૂર્ખા તેમનું સ્થાન લે તે વાત શક્ય નથી.''

આ વાતની જાણ બાદશાહને થતાં તેણે બીજા રાજકુમારોનો બોલાવીને યોગ્ય સજા કરી. પછી તેમણે દરેક રાજકુમારને તેમનો હિસ્સો આપી દૂર મોકલી દીધા, જેથી લડાઈ હંમેશા માટે ખતમ થઈ ગઈ.

દસ ફકીર એક ધાબળામાં ભેગા સૂઈ શકે છે, પણ બે બાદશાહ એક મુલ્કમાં સાથે હળીમળીને ન રહી શકે.

ખુદાના નેક બંદા અડધો રોટલો પોતે ખાય તો બાકીનો અડધો રોટલો ફકીરો માટે રાખે છે. પણ એક બાદશાહ સમગ્ર દેશનો સ્વામી થઈ જાય તો પણ તે બીજા મુલ્કોને હડપવાનું વિચારે છે.

No comments: