Sunday, February 21, 2010

જનહિતની અરજીનો પહેલો કિસ્સોઃ હુસૈન આરા ખાતૂનનો ઐતિહાસિક કેસ


વાત વર્ષ 1979ની છે. તે વર્ષે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં બિહારની જેલોમાં બંદ કાચા કામના કેદીઓ એટલે કે જેમની સામે કેસ ચાલી રહ્યો હોય તેવા કેદીઓના સમાચારો પ્રકાશિત થઈ રહ્યાં હતાં. આ કેદીઓ ઘણાં વર્ષોથી અમાનવીય પરિસ્થિતિઓમાં જેલના સળિયા ગણી રહ્યાં હતાં. તેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતાં. આ કેદીઓ પર જે આરોપો હતા તે અનુસાર કાયદેસર તેમને જે સજા મળે તેના કરતાં પણ વધારે સમય તે લોકોએ જેલમાં પસાર કર્યો હતો. આ જાણકારી પ્રાપ્ત થતાં એક અનુભવી વકીલ પુષ્પા કમલ હિંગોરાનીનું લોહી ઊકળી ઊઠ્યું.

તેમણે એક સ્ત્રી હુસૈન આરા ખાતૂન વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમણે દલીલ કરી કે કેદી પર લગાવવામાં આવેલો આરોપ પુરવાર થયો નથી છતાં તેણે તે અપરાધની મહત્તમ સજા ભોગવી લીધી છે. પણ આ ગરીબ કેદી વકીલને ફી ચૂકવી શકે તેમ ન હોવાથી તેના વતી કોઈ રજૂઆત થઈ શકી નથી અને હજુ તે જેલના સળિયા પાછળ સડી રહી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ પી એન ભગવતીની ખંડપીઠ આ કિસ્સો સાંભળી ચોંકી ઊઠી. તેણે આ મામલો ગંભીરતાથી લીધો અને પુરાવાની ચકાસણી કર્યાં પછી બિહારની હુસૈન આરા સહિત વર્ષોથી જેલમાં બંધ કાચા કામના કેદીઓને છોડી દેવાનો આદેશ આપ્યો.

આ ચુકાદો માત્ર બિહાર રાજ્ય પૂરતો મર્યાદિત નહોતો, પણ તેના પગલે સમગ્ર ભારતમાં વર્ષોથી બંધ અંદાજે 40,000 કેદીઓને છૂટકારો મળ્યો. આ આદેશ દેશના ન્યાયિક ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયો અને ભારતમાં જનહિત અરજી એટલે કે પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ની સફર શરૂ થઈ. હિંગોરાની દ્વારા દાખલ થયેલા આ અરજી દેશમાં પહેલી જનહિતની અરજી હતી. જનહિતની અરજીની જોગવાઈ ભારતીય બંધારણ કે કાયદામાં સામેલ નથી, પણ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યાખ્યાયિત બંધારણીય વ્યાખ્યાનું પરિણામ છે. જનહિતની અરજીમાં જરૂરી નથી કે પીડિત પક્ષ પોતે ફરિયાદ કરે. આ અરજી સામાન્ય નાગરિક કે અદાલત પોતે પણ પીડિત પક્ષને ન્યાય મળે તે માટે દાખલ કરી શકે છે.

હુસૈન આરા કેસ બીજા કારણસર પણ ઐતિહાસિક છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતી વેળાએ જણાવ્યું છે કે તમામ કદીઓને કાયદાકીય સહાયતા પૂરી પાડવી સરકારની ફરજ છે (તેનું પ્રસિદ્ધ ઉદાહરણ આતંકવાદી કસાબનો કેસ છે, જેમાં ભારત સરકારે તેને વકીલ પૂરો પાડ્યો છે) અને અપરાધિક કેસોમાં કેદી પોતાના કેસની તરત જ સુનાવણી કરવાની અપીલ કરી શકે છે. આ કેસ પછી જનહિત અરજીઓનું મહત્વ સમજી સુપ્રીમ કોર્ટે 1980માં તેની સાથે સંબંધિત એક અલગ વિભાગ બનાવ્યો....

No comments: