Thursday, December 31, 2009

પાર્લમેન્ટ વેશ્યા છે...


પાર્લમેન્ટને વેશ્યાનું નામ આપ્યું છે એ પણ બરોબર છે. તમારાથી મારા વિચાર એકદમ ન મનાય એ વાત બરોબર છે. તે વિશે તમારે જે વાંચવું ઘટે છે તે વાંચશો તો તમને કંઈક ખ્યાલ આવશે.

પાર્લમેન્ટનો કોઈ ધણી નથી. તેનો ધણી એક હોઈ ન શકે. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો જ નથી. જ્યારે તેનો ધણી કોઈ બને છે- જેમ કે મુખ્ય પ્રધાન- ત્યારે પણ તેની ચાલ એકસરખી રહેતી નથી. જેવા બેહાલ વેશ્યાના હોય છે તેવા જ પાર્લમેન્ટના સદાય રહે છે. મુખ્ય પ્રધાનને પાર્લમેન્ટની દાઝ થોડી જ રહે છે. તે તેની સત્તાના તોરમાં ગુલતાન રહે છે. તેનો પક્ષ કેમ જીતે એ જ તેને લગની રહે છે. પાર્લમેન્ટ કેમ ખરું કરે તે વિચાર તેને થોડો જ રહે છે. પોતાના પક્ષને જોર આપવા પાર્લમેન્ટની પાસે કંઈ કામો મુખ્ય પ્રધાન કરાવે છે એવો દાખલા જોઈએ તેટલા મળી આવે છે. આ બધું વિચારવા લાયક છે.

મારે કંઈ મુખ્ય પ્રધાનોનો દ્વેષ નથી. પણ અનુભવે મેં જોયું છે કે તેઓ ખરા દેશાભિમાની ન ગણાય. તેઓ જાહેરમાં જેને લાંચ કહીએ છીએ તે લેતા દેતા નથી. તેથી ભલે પ્રામાણિક ગણાય, પણ તેઓની પાસે વગ પહોંચી શકે છે. તેઓ બીજાની પાસેથી કામ લેવાને સારું ઇલકાબો વગેરેની લાંચ પુષ્કળ આપે છે. શુદ્ધ ભાવ અને શુદ્ધ પ્રામાણિકતાપણું તેઓમાં નથી એમ હું હિંમતથી કહી શકું છું.
(સ્રોતઃ હિંદ સ્વરાજ)
(ગાંધીજીએ આ વિચાર બ્રિટિશ પાર્લમેન્ટ વિશે રજૂ કર્યા હતા. પણ આ હાલ શું અત્યારે ભારતીય પાર્લમેન્ટ અને રાજકારણીઓના નથી?)

No comments: