Wednesday, December 30, 2009

ન ગુલે નગમા હૂં, ન પરદા-એ-સાઝ, મૈં હૂ અપની શિકસ્ત કી આવાઝ....


દિલ્હીમાં દર વર્ષે 27મી ડીસેમ્બરે ટાઉનહોલથી કાસિમ જાન ગલી સુધી એક જુલૂસ નીકળે છે. ગલીમાં એક મકબરા પાસે પહોંચી જુલૂસમાં ભાગ લેનારા લોકો શરાબ, શબાબ અને રેશમી કબાબ સમી ગઝલોનું પઠન-પાઠન કરે છે....તેમના પ્રિય શાયરને યાદ કરે છે. આ વર્ષે તે શાયરનો 200મો જન્મદિવસ હતો અને તેના પ્રેમીઓએ 'મશાલ જુલૂસ' કાઢ્યું હતું....ટાઉનહોલથી મશાલ લઇને તેના પ્રેમીઓએ કાસિમ જાન ગલી સુધી પદયાત્રા કરી હતી...તેમાં આ શાયરના આશિક ગુલઝાર જોડાયા હતાં...તેમણે આ શાયર વિશે કહ્યું કે 'જો તે ન હોત તો હું પણ ન હોત..' આ તે એટલે ઉર્દૂ ગઝલના શહેનશાહ મિર્ઝા ગાલિબ...

તવારીખે ગાલિબ...જન્મ 1797માં 27 ડીસેમ્બરે આગ્રામાં...પૂરું નામ દબિર-ઉલ-મુલ્ક, નઝ્મ-ઉદ-દૌલાહ મિર્ઝા અસદુલ્લાહ બૈગ ખાન નૌશા....કિશોરવયે અસદુલ્લાખાનના ટૂંકા રૂપ 'અસદ' નામે શાયરી લખતાં...તે નામ બીજો સામાન્ય કવિ પણ ગઝલો લખતો એટલે ઉપનામ 'મિર્ઝા ગાલિબ' રાખ્યું...'ગાલિબ' એટલે વિજેતા....માત્ર પાંચ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી.........13 વર્ષની વયે મામા ઇલાહીબક્ષીખાનની દિકરી ઉમરાવબેગમ સાથે નિકાહ..ઇલાહીબક્ષીખાન પણ ઉર્દૂના ઉચ્ચ કક્ષાના શાયર અને 'મારૂફ' ઉપનામથી ગઝલો લખતા...લગ્ન પછી તરત આગ્રાને કાયમ માટે અલવિદા અને મુકામપોસ્ટ દિલ્હી ..........सात रज्जब 1225 हिजरी (9 अगस्त 1810) को मेरे वास्ते हूकमें-दबामें-हब्स हाजिर हुआ..एक बेडी मेरे पांवमे डाल दी और दिल्ही शहर को जिन्दान मुकरर्र किया और मुझे उस जिन्दान में डाल दिया...અર્થાત્ સાત રજ્જબ 1225 હિજરીના રોજ મારા માટે આજીવન કેદનું ફરમાન જારી કરવામાં આવ્યું..મારા પગમાં બેડી નાંખી દેવામાં આવી (નિકાહ કરવામાં આવ્યાં) અને દિલ્હીનગરને કારાગૃહ નક્કી કરીને મને પૂરી દેવામાં આવ્યો. ત્યાં સ્થાયી થયો.

ગાલિબે દિલ્હીમાં અનેક તડકી-છાંયડી જોઈ. નસીબની દેવીએ અનેક ખેલ ખેલ્યાં. આગ્રામાં રહેતાં ત્યાં સુધી માતા પાલનપોષણ કરતાં. માતા અને કાકાના અવસાન પછી અંગ્રેજો તરફથી વર્ષાસન મળતું બંધ થઈ ગયું અને દુઃખના દિવસો શરૂ થયા. બાદશાહી રહેણીકરણી, શરાબના આશિક, જુગાર રમવાની ટેવ અને રંગીલો સ્વભાવ. આમદની અઠન્ની ઔર ખર્ચ રૂપૈયા..મિર્ઝા ગાલિબ દિલ્હીમાં હંમેશા પાલખીમાં બેસીને ફરતાં. ઉછીના પૈસે મોજશોખ કરવા લાગ્યાં..ऋणं कृत्वा धृतम् पीबेत...દેવું કરીને જલસા કરો..તેમણે એક શેરમાં કહ્યું છે કે,

कर्ज की पीते थे मय, और समझते थे कि हॉं
रंग लायेगी हमारी फांकामस्ती एक दिन

બહાદુરશાહ ઝફર તખ્તનશીન થયા પછી નસીબની દેવી મહેરબાન થવાની આશા ગાલિબને જાગી. બહાદુરશાહ ઉર્દૂનો વિદ્વાન હતો અને સાહિત્યપ્રેમી હતો. પરંતુ ત્યારે પણ તેમને બહાદુરશાહ તરફથી રાજ્યાશ્રય મળવાની તક મળી ન હતી. બાદશાહે તે સમયે ઉર્દૂ ગઝલોના ખ્યાતનામ શાયર ઝૌકની ઉસ્તાદ તરીકે નિમણૂંક કરી. ઝૌક અને તેમના મિત્રો ગાલિબના વિરોધી હતા. તેમણે ગાલિબની ગઝલો અને ભાષાની ખૂબ ટીકા કરવા માંડી. ઝૌક કરતાં ગાલિબ વધુ પ્રતિભાશાળી હતાં..પરંતુ ઝૌકનું પીઆર બહુ સારું હતું..પીઆર એટલે પબ્લિક રીલેશન...ગુજરાતી ભાષામાં જનસંપર્ક..કથિત ગુજરાતી લેખકો અને ચમચામંડળીઓથી ઘેરાયેલા રહેવાનો વિકૃત શોખ ધરાવતા સાહિત્યકારોની પાદુકાઓનું પૂજન કરી સાહિત્યકાર હોવાના વહેમમાં ફરતાં શનિચરો માટે તેનો અર્થ એકબીજાને છાવરી આગળ વધારવાની કળા અને ગમતાનો ગુલાલ કરવાનો કારસો...ગાલિબે ઝૌક પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે,

हुआ है शाह का मुसाहिब फिरे है इतराता
बगरः शहेर में गालिब की आबरु क्यां है

1841માં ગાલિબના ઉર્દૂ દીવાનની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી અને 1847માં બીજી આવૃત્તિ. બાદશાહના ધર્મગુરુ મૌલાના નાસીરુદ્દીન અને મંત્રી અસન્નુલાહખાન ગાલિબની પ્રતિભાથી પરિચિત હતા. તેમણે બહાદુરશાહને ભલામણ કરી અને મુઘલોની તવારીખ લખવા તેમની વાર્ષિક રૂ. 600થી નિમણૂંક થઈ. 1854માં 'મીહર-ઈ-નીમરૂ' શીર્ષકથી તૈમૂરલંગથી હુમાયુ સુધીના ઇતિહાસનો પ્રથમ ભાગ લખ્યો. બીજા ભાગની રચના દરમિયાન 1857માં અંગ્રેજો સામે પહેલી ક્રાંતિ થઈ અને મુઘલ શાસનનો અંત આવ્યો. બહાદુરશાહના દુઃખના દિવસો ફરી શરૂ થયા. પ્રકૃતિથી વિરૂદ્ધ જઈ અંગ્રેજો સાથે પીઆર કર્યું. તેમણે આ ક્રાંતિની તવારીખ ફારસી ભાષામાં લખી, જેનું કાવ્યમય આપ્યું 'દસ્તાંબૂ.' દસ્તાંબૂ એટલે વિવિધ પ્રકારના અત્તરોમાંથી બનાવેલો ફાયો. પણ અંગ્રેજ સરકારે કોઈ પ્રત્યાઘાત ન આપ્યાં. ફરી ફાંકામસ્તીના દિવસો..પણ રામપુરના નવાબે તેમને સહાય. કરી. રામપુરના નવાબે 1857ની ક્રાંતિમાં અંગ્રેજોને સહાય કરી હતી. તેણે અંગ્રેજોને ભલામણ કરી ગાલિબનું જૂનું પેન્શન બંધાવી આપ્યું અને 1860માં એરિયર્સ સાથે પેન્શન મળ્યું. 1862માં ફારસી શબ્દકોશ 'કુટી બુરહાન'નું સંપાદન કર્યું.

રામપુરના નવાબના પુત્ર યુસુફઅલીખાનનું મૃત્યુ થયું ત્યારે તેને શાહજાદના આશ્વાસન આપવા ગાલિબ રામપુર ગયા. પાછાં ફરતાં રસ્તામાં અકસ્માત થયો અને વરસાદમાં ભીંજાવાથી બીમાર પડી ગયા. માંદગી વધતી ગઈ. આખા શરીરમાં ગૂમડાં અને ફોલ્લાં થયાં. મધુપ્રમેહનો રોગ તો હતો અને સારણગાંઠની વ્યાધિ થઈ. 1869ની 15મી ફેબ્રુઆરીએ સૂર્ય તપતો હતો ત્યારે ઉર્દૂ કવિતાનો આ સૂર્ય આથમી ગયો...લાહોરૂ વંશના કુટુંબનું કબ્રસ્તાન નિઝામુદ્દીન ગામમાં છે ત્યાં ગાલિબને દફનાવવામાં આવ્યાં...

ભારતમાં વર્ષ 1954માં 'મિર્ઝા ગાલિબ' ફિલ્મ બની હતી. તેમાં મિર્ઝા ગાલિબની ભૂમિકા ભારતભૂષણે અને તેમની પ્રેમિકા ચૌદવીનની ભૂમિકા (ગાલિબે તેમના પત્રમાં દોમની નામનો ઉલ્લેખ કર્યો છે) સુરૈયાએ ભજવી હતી. પાકિસ્તાનમાં પણ આ જ નામે એક 1961માં એક ફિલ્મ બની હતી, જેમાં મિર્ઝા ગાલિબની ભૂમિકા સુધીરે અને ચૌદવીનની ભૂમિકા સુરૈયાએ ભજવી હતી. 1988માં દૂરદર્શન પર મિર્ઝા ગાલિબ ધારાવાહિક પ્રસારિત થતી હતી. તેનું નિર્માણ ગુલઝારે કર્યું હતું અને તેમાં ગાલિબની ભૂમિકા નસીરુદ્દીન શાહે ભજવી હતી...

ચલતે-ચલતેઃ ન ગુલે નગમા હૂં, ન પરદા-એ-સાઝ,
મૈં હૂ અપની શિકસ્ત કી આવાઝ - ગાલિબ

1 comment:

Rajni Agravat said...

તેરા તુજકો અર્પન .... >>પીઆર એટલે પબ્લિક રીલેશન...ગુજરાતી ભાષામાં જનસંપર્ક..કથિત ગુજરાતી લેખકો અને ચમચામંડળીઓથી ઘેરાયેલા રહેવાનો વિકૃત શોખ ધરાવતા સાહિત્યકારોની પાદુકાઓનું પૂજન કરી સાહિત્યકાર હોવાના વહેમમાં ફરતાં શનિચરો માટે તેનો અર્થ એકબીજાને છાવરી આગળ વધારવાની કળા અને ગમતાનો ગુલાલ કરવાનો કારસો...<< આઇ મીન તમે જ એટલુ પરફેક્ટ લખ્યું છે કે એમાં કંઇ એડ કરીને મજા મારી નાંખવાનો મતલબ નથી.