Thursday, January 7, 2010

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી.....

'તમે નરેન્દ્ર મોદીને પોલિટિક્સના મહાનાયક ગણો છો?' એક પત્રકારે અમદાવાદના મહેમાન બનેલા હિંદી ફિલ્મ ઉદ્યોગના સાચા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આ પ્રશ્ન પૂછ્યો હતો. (આજકાલ નકલી સુપરસ્ટારોની એક આખી ફોજ ઊભી થઈ ગઈ છે) આ પ્રશ્નનો જવાબ અમિતજીએ નમ્રતા સાથે શું આપ્યો હતો તે આપણે બધા જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે, નેતાને સફળ થવા માટે થોડાઘણે અંશે અભિનેતા થવું જરૂરી છે અને તેને કેટલાંક પ્રસંગે અભિયન કરવો પડતો હોય છે. તે જ રીતે અભિનેતા પરોક્ષ રીતે તેના સમયનું નેતૃત્વ કરે છે. તે પડદા પર લોકોની ઇચ્છા-આકાંક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે સ્વાભાવિક રીતે અહીં પોતપોતાના ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરેલ આ મોદી અને અમિતાભ બચ્ચનની સરખામણી કરવાનું મન થાય.

મોદીએ રાજકારણમાં તેમનો સિક્કો જમાવી દીધો છે અને બચ્ચન હિંદી ફિલ્મ ઉદ્યોગની જીવંત દંતકથા સમાન અભિનેતા છે. હું, તમે કે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ મોદી અત્યારે ગુજરાતના મહાનાયક છે તેમાં કોઈ બેમત નથી તો અમિતાભ બચ્ચન નિર્વિવાદપણે હિંદી ફિલ્મ ઉદ્યોગના મહાનાયક છે, સરકાર છે. બંને વચ્ચે ઊડીને આંખે વળગે તેવી પહેલી સમાનતા છે-તેમનું પ્રભાવશાળી અને ચુંબકીય વ્યક્તિત્વ. તેમની હાજરી તમામ પેઢીના લોકોનું ધ્યાન ખેંચે છે. તમામ વયના લોકોમાં તેઓ લોકપ્રિય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 60થી વધુ વર્ષની વયે પણ તેઓ યુવાનોમાં અને મહિલાઓમાં લોકપ્રિય છે.

બીજી સમાનતા, તેમના પહાડી અવાજમાં છે. નેતા અને અભિનેતા થવા તમારી પાસે સારો, પહાડી અવાજ હોવો જરૂરી છે અને મોદી અને બચ્ચનને તેની કુદરતી ભેટ મળી છે. તેમનો અવાજ તેમના વ્યક્તિત્વનો એક ભાગ બની ગયો છે, તેમની ઓળખ બની ગયો છે. સામેની વ્યક્તિને કે વ્યક્તિઓના સમૂહને સરળતાથી સમજાય તેવું સ્પષ્ટ અને અસરકારક રીતે બોલવું એક કળા છે. થોડા વર્ષ અગાઉ સમાચારમાં વાંચ્યું હતું કે કોલકાતામાં એક છોકરી બચ્ચનને અવાજ સાંભળીને જાગે છે અને બચ્ચનનો અવાજ બંધ થતાં જ કોમા જેવી સ્થિતિમાં સરી જાય છે.

અવાજની જેમ ડ્રેસિંગ સેન્સ પણ તમારા વ્યક્તિત્વનો એક ભાગ છે. તમારી ડ્રેસિંગ સેન્સ તમારા વ્યક્તિત્વની ઓળખ છે. વ્યક્તિ કેવા વસ્ત્રો ધારણ કરે છે તેના પરથી તેના સ્વભાવ અને તેની માનસિકતાનો આછો-પાતળો પરિચય મળી જાય છે. મોદી અને બચ્ચન બંનેની ડ્રેસિંગ સેન્સ આકર્ષક છે અને તેમના વ્યક્તિત્વનો પરિચય આપે છે. તેમને તેમના કામમાં કોઈ કચાશ ગમતી નથી તે તેમના વસ્ત્રો પરથી જણાઈ આવે છે. તમે ક્યારેય મોદીને કે બચ્ચનને પ્રસંગને અનુરૂપ ન હોય તેવી કઢંગી વસ્ત્રોમાં નહીં જુઓ. મોદીની ડ્રેસિંગ સેન્સની ચર્ચા અખબારોમાં અવારનવાર થઈ છે. અત્યારે બુદ્ધુ ગાંધીવાદીઓ પણ મોદી સ્ટાઇલના કૂર્તા પહેરીને મોદીની જ કૂથલી (ટીકા અને કૂથલીમાં બહુ ફરક છે) કરીને પોતાને બુદ્ધિશાળી ગણાવે છે.

બચ્ચન અને મોદીના વ્યક્તિત્વનું સૌથી મજબૂત અને શક્તિશાળી પાસું તેમનું મનોબળ છે. ગમે તેવા વિપરીત સંજોગોને વશ નહીં થવાની અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં હાર નહીં માનવાની વૃત્તિ તેમની સફળતાનું મોટું કારણ છે. નિષ્ફળતા મળવાથી ક્યારેય તેઓ હતાશ થયા નથી. બંનેને પોતપોતાના ક્ષેત્રમાં ટોચ પર રહેવાનું ઝનૂન છે અને આ ઝનૂન જ તેમની તાકાત છે. આજે બંને વાનપ્રસ્થાશ્રમમાં પણ ગૃહસ્થાશ્રમીઓને શરમાવે તેટલી હદે સક્રિય છે. બીજા શું કરે છે તેની ફિકર કર્યા વિના બંને પોતપોતના લક્ષ્યાંક પ્રત્યે કટિબદ્ધ છે. તેઓ ક્યારેય તેમના હરિફોથી ગભરાયા નથી અને કોઈએ તેમને પડકાર ફેંકયો હોય તો બમણી તાકાત પોતાની ક્ષમતા સફળતાપૂર્વક દેખાડી દીધી છે.

યાદ કરો, શાહરૂખ ખાને ફ્લોપ પુરવાર થયેલી કેબીસનું સંચાલન સંભાળ્યું ત્યારે અભિમાન સાથે અમિતાભ બચ્ચનનો સમય પૂરો થઈ ગયો છે તેવી જાહેરાત કરી હતી. શું પરિણામ આવ્યું? શાહરૂખની કેબીસી અને પાઠશાળા બંનેનું કોકડું વળી ગયું અને સ્ટાર પ્લસ ફેંકાઈ ગઈ જ્યારે 'સરકાર રાજ' હજુ પણ પ્રવર્તે છે. તે જ રીતે વર્ષ 2002 અને વર્ષ 2007માં દેશના બધા કહેવાતાં ધર્મનિરપેક્ષ નેતા મોદી પર આક્રમણ કરવા ગુજરાતમાં દોડી આવ્યાં હતાં. તેનું પરિણામ આપણે બધા જાણીએ છીએ. અમિતાભ બચ્ચન અને મોદીમાં એક ફરક છે.

બચ્ચન સમગ્ર દેશના મહાનાયક છે જ્યારે મોદી હજુ ગુજરાતના મહાનાયક છે. તેમને ભારતના મહાનાયક થવા માટે ઘણું બધું પુરવાર કરવાનું બાકી છે. ગુજરાતમાં લોકપ્રિયતાના સર કરનાર મોદીને વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં અડવાણીના ઉત્તરાધિકારી જાહેર કરવા છતાં ભાજપને કોઈ ફાયદો થયો નથી તેનો સ્વીકાર આપણે કરવો જ પડે. મોદીનું ભાવિ ગુજરાતની વર્ષ 2012ની ચૂંટણી કરશે તે નક્કી વાત છે અને તેમાં કોઈ ચમત્કાર થશે તો જ કોંગ્રેસ જીતશે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તો મોદી દિલ્હી પ્રસ્થાન કરશે અને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી તેઓ મહાનાયક છે કે નહીં તે નક્કી કરશે....

ચલતે-ચલતેઃ વ્યક્તિનો નહીં, તેની નીતિનો તાર્કિક વિરોધ કરવાનો આપણને અધિકાર છે. વ્યક્તિવિરોધી નહીં, નીતિવિરોધી બનો. તમારાથી અલગ માનસિકતા ધરાવતા વ્યક્તિના પણ સારા ગુણોની પ્રશંસા કરવી તેનું નામ ખેલદિલી અને ખેલદિલી મરદ માણસ જ હોય, સ્ત્રૈણ પુરુષોમાં નહીં....

2 comments:

Rajni Agravat said...

અમુક (કહેવાતા)બુધ્ધિશાળી લેખકોના (આર્ટીકલ કરતા)બ્લોગની થોડીક નોંધ લેવાનું શરૂ થાય તો ચાલવાને બદલે ઊડવા માંડે છે એમને "ચલતે ચલતે" માંથી ધડો લેવા જેવું છે.

સો ટકાની વાત છે કે મોદી હોય કે બચ્ચન એમાં ભૂલ તો હોવાની જ,પણ એમની પ્રસિધ્ધિની લ્હાયમાં ખોટે ખોટી (ન હોય ત્યાં પણ )ભૂલ જ ગોતવી એ ક્યાંની ઇન્ટેલીજન્સી?

અને એ જ વાત (આંધળા)ચાહકોએ પણ સમજવા જેવી ખરી કે મોદી/બચ્ચન ખોટા હોય જ નહીં, કે એ જે કરે તે લીલા જ હોય એવું પણ નથી... અરે? હું પણ શું મંડી પડ્યો છું? આ તો તમે બહું જ ઓછા શબ્દોમાં અસરકારક રીતે ઑલરેડી સમજાવી જ દિધું છે! (LoL)

Anonymous said...

સરસ લેખ.
અમે બહુ વખત પહેલાં આ બંને એક મંચ પર આવે એવી ગમ્મતભરી કલ્પના કરી હતી. http://wp.me/phscX-3W
http://asaryc.wordpress.com/2008/10/16/%E0%AA%A8%E0%AA%B0%E0%AB%87%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%85%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%AD/