Monday, January 18, 2010

જ્યોતિકિરણ બસુઃ દિલથી સામ્યવાદી, દિમાગથી મૂડીવાદી...

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગને સામ્યવાદી અને સામ્યવાદવિરોધી વિચારસરણી માટે કરેલો કટાક્ષ બહુ જાણીતો છે. તેમણે કહ્યું હતું કે, ''તમે સામ્યવાદી કોને કહેશો? જેઓ માર્ક્સ અને લેનિને વાંચે છે તેઓ સામ્યવાદી છે. સામ્યવાદવિરોધી કોને કહેશો? જેઓ માર્ક્સ અને લેનિનને સારી રીતે સમજે છે.'' રીગનની આ કટાક્ષયુક્ત વ્યાખ્યામાં જ્યોતિ બસુ એકદમ ફિટ છે. જ્યોતિ બસુ એટલે બંગાળીઓના જ્યોતિર્દા, સામ્યવાદીઓના કામરેડ અને મૂડીવાદીઓના કેડિલેક કોમ્યુનિસ્ટ. બંગાળના રાજકારણના અઝીમ-ઓ-શાન શહેનશાહ બસુ દિલથી કટ્ટર સામ્યવાદી હતા અને દિમાગથી સામ્યવાદ વિરોધી! દિલ અને દિમાગ વચ્ચે ચાલતી આ કાયમી કશ્મકશ સાથે રોઈટર્સ બિલ્ડિંગમાં 23 વર્ષ બેસવાનો વિક્રમ સ્થાપિત કરનાર બસુના અંત સાથે ભારતીય સામ્યવાદી ઇતિહાસનું એક પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

કોંગ્રેસીઓ અટલબિહારી વાજપેયી માટે કહેતા કે 'ખોટા પક્ષમાં એક સાચો માણસ ફસાઈ ગયો છે.' જ્યોતિકિરણ નિશિકાન્ત બસુ માટે પણ તમે કહી શકો કે 'સામ્યવાદીઓ વચ્ચે એક વ્યવહારુ સામ્યવાદી ફસાઈ ગયો હતો.' જ્યોતિ બસુ સામ્યવાદને ચાહતા હતા, પણ તેમના પ્રેમની મર્યાદાથી પણ સારી રીતે વાકેફ હતા. 1946માં ટ્રેડ યુનિયન લીડર તરીકે અંગ્રેજોના રાજમાં બંગાળની વિધાનસભામાં પ્રવેશ કરનાર બસુએ મૂડીવાદી બનવાનો હંમેશા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

મૂડીવાદી પિતા ડૉક્ટર નિશિકાન્ત બસુના ધનિક નબીરા બસુએ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટરની પદવી મેળવી, પણ તે જમાનામાં સામ્યવાદ અને લાલ ઝંડાનું ઝનૂન યુવાનો પર સવાર હતું. તે સમયે મૂડીવાદનું કેન્દ્ર બની ગયેલા લંડનમાં બસુ માર્ક્સવાદના રંગે રંગાઈ ગયા. પણ સફેદ વાસ્તવિકતા સામે સામ્યવાદી લાલ રંગની લાલિમા ઓસરી ગઈ. 1967 અને 1969માં પશ્ચિમ બંગાળની સંયુક્ત મોરચાની સરકારમાં ઉપમુખ્યમંત્રી બન્યાં અને તે ગાળામાં જ સામ્યવાદની મર્યાદા તેમને સમજાઈ ગઈ. જૂન, 1977માં ઇન્દિરાવિરોધી લહેરમાં બંગાળના મુખ્યમંત્રી બન્યાં અને પછી શહેનશાહ-એ-સોનાર બાંગલા....

મુખ્યમંત્રી બન્યાં પછી તેમના મૂડીવાદી સંસ્કારો જાગૃત થયા. તેઓ વાયા મૂડીવાદ, સામ્યવાદ અને સમાનતા સ્થાપવા માગતા હતા. 1984માં પક્ષના કેન્દ્રીય સમિતિ સમક્ષ પશ્ચિમ બંગાળનું ઔદ્યોગિકરણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ માટે તેમણે ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારી કરવાનો વિચાર રજૂ કર્યો હતો. તેઓ બંગાળ સરકારની નાદાર લિલિ બિસ્કિટ્સ કંપની બહુરાષ્ટ્રીય કંપની બ્રિટાનિયાને આપી દેવા માગતા હતા. બંગાળની જાહેર ક્ષેત્રની ઇલેક્ટ્રોનિક્સ કંપનીનું જોડાણ અન્ય બહુરાષ્ટ્રીય કંપની ફિલિપ્સ સાથે કરવા માગતા હતા. દેશના અન્ય રાજ્યોમાં ઉદારીકરણ પછી આ પ્રકારની ભાગીદારીનો યુગ શરૂ થયો તેના લગભગ એક દાયકા અગાઉ બસુએ મૂડીવાદવિરોધી સામ્યવાદીઓ સમક્ષ આ પ્રકારનો પ્રસ્તાવ મૂકતાં ખળભળાટ મચી ગયો. બસુને તેમની પક્ષના સિદ્ધાંતની લક્ષ્મણરેખા ન ઓળંગવાની સૂચના આપી દેવાઈ.
બસુ શિસ્તબદ્ધ, સુસંસ્કૃત, ભદ્ર કામરેડ હતા. તેઓ પહેલાં કામરેડ હતા, દિલથી સામ્યવાદી હતા. તેમના મૂડીવાદે દિમાગે હંમેશા સામ્યવાદી દિલ સામે હાર માની હતી. દિલ અને દિમાગની આ કશ્મકશનો ભોગ કોણ બન્યું?

બંગાળનો સામાન્ય માણસ. બંગાળના કોમન મેનની સ્થિતિ પર એક નજર કરીએ. બંગાળમાં ગરીબી અને ભૂખમરાનું સામ્રાજ્ય છે. અહીં ગરીબીનું સ્તર બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ જેવા રાજ્ય કરતાં થોડું સારું છે. એક સમયે દેશની ઔદ્યોગિક રાજધાની ગણાતા બંગાળમાં જ્યોતિયુગમાં અંધકાર પથરાઈ ગયો છે. બંગાળમાં અત્યારે 60 લાખ કરતાં વધારે રજિસ્ટર્ડ બેરોજગારો છે. રાજ્યના 18 જિલ્લામાં 50 ટકાં કરતાં વધારે લોકો ગરીબી રેખા નીચે જીવે છે. એકમાત્ર પુરલિયાનું ઉદાહરણ લો. તેમાં 78 ટકા લોકો ગરીબ છે. બંગાળ કરતાં હિમાચલપ્રદેશમાં પ્રતિ લાખ વિદ્યાર્થી શિક્ષકોની સંખ્યા વધારે છે. રાજ્યમાં જેટલા બાળકો અભ્યાસ પૂર્ણ કરે છે તેના કરતાં વધારે લોકો અભ્યાસ અધૂરો છોડી મજૂરી કરવામાં લાગી જાય છે. એક સમયે બસુના નજીક ગણાતા અને જમીન સુધારણાની ઐતિહાસિક પહેલના પ્રણેતા બિનોય ચૌધરી બંગાળની દુર્દશા જોઈ ઉકળી ઉઠ્યાં હતાં. તેમણે બસુની સરકારને ''જમીન કોન્ટ્રાક્ટરો માટેની, કોન્ટ્રાક્ટરોની અને કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતી સરકાર'' ગણાવી હતી.

બસુ તેમના સામ્યવાદી પક્ષના પરિણામોથી વાકેફ હતાં. પણ તેમનામાં પક્ષથી ઉપર ઉઠવાનું સાહસ તેમનામાં નહોતું. તેમણે વર્ષ 2000માં સ્વેચ્છાએ રાજકીય સંન્યાસ લીધો, પણ શાસનની ધુરા સોંપી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને. ભટ્ટાચાર્ય પણ દિલથી સામ્યવાદી છે, પણ દિમાગથી મૂડીવાદી છે. તેઓ જાણે છે કે સામ્યવાદની મંઝિલ મૂડીવાદના માર્ગે જ મળશે. બસુથી વિપરીત ભટ્ટાચાર્યમાં પક્ષના સિદ્ધાંતો સાથે વ્યવહારિકતા દાખવવાનું સાહસ છે. તેમણે બંગાળના કોમન મેન માટે રાજ્યમાં ઔદ્યોગિકરણની શરૂઆત કરી છે, પણ હવે મમતા બેનરજીએ રોઇટર્સ બિલ્ડિંગ પર કબજો જમાવવા સામ્યવાદીનું મહોરું ધારણ કર્યું છે..

No comments: