Wednesday, May 27, 2009

મીડિયામાં સ્પેસસેલિંગઃ ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ


તાજેતરમાં વૉલસ્ટ્રીટ જર્નલમાં ભારતીય મીડિયાના કથળતાં જતાં મૂલ્યો વિશે એક રીપોર્ટ પ્રકાશિત થયો છે. તેમાં આપણા દેશના વિવિધ મીડિયા ગ્રૂપ રૂપિયાની લહાયમાં સમચારો સાથે કેવી ક્રૂર મજાક કરી રહ્યાં છે તે વિશે જણાવવામાં આવ્યું છે. દેશમાં થોડા દિવસ પહેલાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો પાસેથી લાખો-કરોડો રૂપિયા લઈને વર્તમાનપત્રો તેમના સમાચાર પ્રકાશિત કરી રહ્યાં છે તેવો દાવો આ રીપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ વિશે હિન્દી મેગેઝિન 'द संडे इंडियन'માં દેશના જાણીતા બિનસરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સના નેશનલ કોઑર્ડિનેટર અનિલ બેરવાલની વિકાસ કુમાર સાથેની વાતચીત એક લેખ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે। મીડિયાકર્મીઓ માટે આ વાતચીત અત્યંત ઉપયોગી પુરવાર થશે.

શરમજનક બાબત...
આ વાત સાચી હોય ખરેખર શરમજનક બાબત છે। લોકશાહીના વ્યવસ્થિત સંચાલનમાં સ્વતંત્ર અને તટસ્થ મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હું વિચારું છું કે, કોઈ પણ ભારતીય મીડિયા ગ્રૂપે આ બાબતે રીપોર્ટ પ્રકાશિત કરવાની હિમ્મત કેમ ન દેખાડી?

..તો વર્તમાનપત્રો પર વિશ્વાસ કોણ કરશે?
ચૂંટણીનો મુખ્ય હેતુ લોકપ્રતિનિધિઓની પસંદગી કરવાનો છે। પણ ચૂંટણીમાં રૂપિયાના વધતા જતાં વર્ચસ્વને જોઇને લોકશાહીનું ભવિષ્ય અંધકારમય લાગે છે. નેતા નોટ દઇને વોટ ખરીદે છે. હવે તેઓ રૂપિયા આપી સમાચાર પણ ખરીદવા લાગશે તો વર્તમાનપત્રો પર વિશ્વાસ કોણ કરશે?

બધા વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે...
દેશમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે, પણ રીપોર્ટર, એડિટર, ફોટોગ્રાફર અને મીડિયા મેનેજમેન્ટ ભ્રષ્ટ થઈ જશે તો સ્વસ્થ લોકશાહી માટે તે ખતરનાક સંકેત છે। બધા વહેતી ગંગામાં હાથ ધોઈ રહ્યાં છે તેવું લાગે છે.

મીડિયા એક ખાસ વર્ગની પિપૂડી વગાડે છે...
મીડિયા સમાજનું દર્પણ છે। તે શાસકપક્ષ અને સરકારની ખામીઓને જનતા જનાર્દન સમક્ષ રજૂ કરી તેમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વિશ્વસનિયતા જ મીડિયાની સૌથી મોટી મૂડી છે, પણ હકીકત એ છે કે મીડિયા લોકોની આકાંક્ષાઓ અને આશાઓને પ્રતિબિંબિત કરવાને બદલે એક ખાસ વર્ગની પિપૂડી વગાડે છે. વૈશ્વિકરણના કારણે તેના પર નફો રળવાનું દબાણ વધી રહ્યું છે અને ચૂંટણીમાં વર્તમાનપત્રો દ્વારા 'સ્પેસ સેલિંગ' તેના કથળતાં જતાં મૂલ્યોનો સંકેત છે.

મીડિયામાં સ્પેસનું ત્રણ રીતે વેચાણ થાય છે...
આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ અમે લોકોએ એક પરિષદનું આયોજન કર્યું હતું। તેનો વિષય હતો-National Conference On Electoral and Political Issues. તેમાં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ગોપાલસ્વામી પણ આવ્યાં હતા. તેમણે એક ઘટસ્ફોટ કર્યો હતો કે મીડિયામાં સ્પેસનું વેંચાણ ત્રણ રીતે થાય છે. પહેલી રીત-રૂપિયા ફેંકો અને મન ફાવે તેવા સમાચારો પ્રકાશિત કરાવો. બીજી રીત-ખાસ ઉમેદવારો કે વ્યક્તિ વિશે સારું લખાશે અને તેના હરિફોની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવા જ સમાચારો પ્રકાશિત થશે. ત્રીજી રીત સૌથી વધુ આંચકાજનક છે. તેમાં વર્તમાનપત્ર લુખ્ખીગીરી પર ઉતરી આવે છે અને ચોખ્ખું કહી દે છે કે, અમે તમારા વિશે કાં તો કંઈ નહીં લખીએ કાં પછી ખરાબ જ લખીશું. ત્રીજી રીતે તો ખરેખર ગભરાવી દે તેવી છે. પત્રકારત્વની ભાષામાં તેને 'પીળું પત્રકારત્વ' (Yellow Journalism) કહેવાય છે, કારણ કે તે એક પ્રકારનું બ્લેકમેલિંગ જ છે. તેનું સ્ટિંગ ઓપરેશન થવું જોઇએ. પણ મીડિયાનું જ સ્ટિંગ ઓપરેશન કોણ કરશે?

કોઈ વાંચક કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિન શા માટે ખરીદે છે?
પ્રેસને આત્મમંથન કરવાની જરૂર છે। મીડિયાકર્મીઓએ પોતાને જ પ્રશ્ન પૂછવો જોઇએ કે, શું તેઓ યોગ્ય કરી રહ્યાં છે? શું આગામી સમયમાં તેની ખરાબ તેમના પોતાના હિતો પર નહીં પડે? કોઈ વાંચક કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિન શા માટે ખરીદે છે? કારણ કે, તે કોઈ ખાસ વર્તમાનપત્ર કે મેગેઝિનને અન્ય પ્રકાશનોની સરખામણીમાં વધારે વિશ્વસનિય ગણે છે.

અંગ્રેજી વર્તમાનપત્રોમાં પણ સ્પેસ સેલિંગ થઈ રહ્યું છે...
પ્રેસ કાઉન્સિલ પાસે બહુ અધિકાર નથી। ઇલેક્ટ્રોનિક મીડિયાનું એસોસિએશન તો છે, પણ તે નિયમન કરવામાં અસમર્થ છે. તો પછી શું કરી શકાય? એક સ્વતંત્ર એજન્સીની રચના કરી શકાય, જે આ પ્રકારના બાબતોની તપાસ કરી શકે. સમસ્યા ગંભીર છે અને તેનો ઉકેલ નજીકના ભવિષ્યમાં આવે તેવું લાગતું નથી. અંગ્રેજી વર્તમાનપત્રોમાં પણ સ્પેસ સેલિંગ થઈ રહ્યું છે, પણ હિંદી અખબારો જેટલું નહીં.

રૂપિયા ફેંકી કોઈના પણ ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાશે...
દેશમાં ચૂંટણી ખર્ચાળ થતી જાય છે। નેતાઓ માટે ચૂંટણીનો ખર્ચ રોકાણ સમાન છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીના ખર્ચની રૂ. 25 લાખની મર્યાદાને ગંભીરતાથી લેતો નથી. દરેક વહેતી ગંગામાં ડૂબકી મારી લે છે. તો પછી મીડિયા કેમ પાછળ રહે? પણ તેનું એક નુકસાનકારક પરિણામ એ આવશે કે કોઈ પ્રામાણિક અને યોગ્ય ઉમેદવારને પ્રેસનું કવરેજ મળશે જ નહીં અને રૂપિયા ફેંકી કોઈના પણ ચારિત્ર્ય પર કાદવ ઉછાળી શકાશે. આ કુરિવાજ એક વખત જોર પકડશે પછી સ્વસ્થ લોકશાહીની થોડીઘણી આશા પર પણ પાણી ફરી વળશે. ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.

ઝાંખી થતી આશા...
મીડિયા અત્યારે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ માટે ચર્ચા-વિચારણાનું પ્લેટફોર્મ બનતું નથી। લોકશાહીમાં ન્યાયતંત્ર પછી સામાન્ય લોકોના હાથમાં મીડિયા જ એક એવું શસ્ત્ર છે, જે લોકપ્રતિનિધિઓના ખોટા આચરણ પર અંકુશ લગાવી શકે છે. પણ હવે તો તે આશા પણ ઝાંખી થતી જાય છે.

ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ...
વૈશ્વિકરણ પછી મીડિયામાં કોર્પોરેટ જગતનું રોકાણ આવ્યું છે. એક પછી એક નવા અખબારો અને ચેનલ શરૂ થઈ છે, પણ વર્તમાનપત્રના ફ્રન્ટ પેજ અને ન્યૂઝ ચેનલના પ્રાઇમ ટાઇમમાંથી સામાન્ય લોકો અને તેમના પ્રશ્નો ગાયબ થઈ ગયા છે. આ ખતરનાક અને ચિંતાજનક સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિમાં રાજકીય વર્ગને જ ફાયદો થાય છે.

No comments: