Sunday, January 4, 2009

''જનસત્તાને નરેન્દ્ર મોદી સામે વાંધો નહોતો, મોદી સરકારની નીતિ સામે હતો''


''પત્રકારત્વની લડાઈ સૈદ્ધાંતિક હોવી જોઇએ, વ્યક્તિગત નહીં, અખબારો અંગત હિસાબ સરભર કરવાનું માધ્યમ ન બનવા જોઇએ।'' પત્રકારત્વના આત્મા સમાન આ શબ્દો છે છેલ્લાં 30 કરતાં વધારે વર્ષનો અનુભવ ધરાવતા જાણીતા સંપાદક વિવેક દવેના. તેમણે જનસત્તામાં બહુ લાંબી ઇનિંગ્સ રમી છે અને અનુવાદકથી લઇને રેસિડેન્ટ એડિટર સુધીના તમામ હોદ્દા ભોગવી ચૂક્યાં છે. તેઓ 2006માં 'સંદેશ'ના સંપાદક બન્યાં હતા. એવું કહેવાય છે કે, 'સંદેશ'ની ઓફિસ વસ્ત્રાપુરમાં ખસેડાઈ પછી ત્યાં એડિટર તરીકે સૌથી વધારે કામ વિવક દવેએ કર્યું છે, બાકી કોઈ પણ એડિટર માટે ત્રણથી ચાર મહિના તો બહુ થઈ ગયા. વિવેકભાઈ સાથે તેમની પત્રકારત્વની કારકિર્દી, જનસત્તામાં થયેલી ઊથલપાથલો અને ગુજરાતી પત્રકારત્વમાં ભાસ્કરના આગમનના પગલે થયેલા પરિવર્તન વિશે બીજી જાન્યુઆરીને શનિવારે થયેલી વાતચીત રજૂ કરી છે.

પૃષ્ઠભૂમિ...
હું મૂળે વતની દાહોદનો. પિતા વિનયચંદ્ર ચંદ્ર ઉર્ફે વી જે દવે. તેમની ગણતરી દાહોદના ગણિતના ઉત્તમ શિક્ષક તરીકે થતી. તેમનું કામ આંકડાઓ સાથે પણ હ્રદય સાહિત્યમાં. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યના ઉમદા જાણકાર. તે સમયે તેમના મિત્રો એવું કહેતા કે, અમદાવાદની એમ જે લાઇબ્રેરીના મોટાભાગના પુસ્તકો 'વીજે'ની આંખ નીચેથી પસાર થયા છે.

શિક્ષણ...
કોલેજ સુધીનું પ્રાથમિક શિક્ષણ દાહોદમાં લીધુ। સાયન્સ વિષય સાથે ઓલ્ડ એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત સાથે બી. એસસી કર્યું.

પિતાજીના સંસ્કારો જાગૃત થયા...
બી. એસસીમાં અભ્યાસ દરમિયાન બી.એ કરતાં વિદ્યાર્થીઓ મારા રૂમપાર્ટનર હતા. જેવો સંગ તેવો રંગ અને પિતાજીના સંસ્કારો કદાચ જાગૃત થયા હશે. સાહિત્યમાં રસ જાગ્યો. અંગ્રેજી સાથે બી. એ કરતાં વિદ્યાર્થીઓને અંગ્રેજીનું ગુજરાતી કરી આપતો. સરવાળે બંનેને ફાયદો થતો. તેને તેના વિષયની જાણકારી ઝડપથી અને સહેલાઈથી મળી જતી ને મારો રસ સંતોષાતો. અખબારમાં ડેસ્ક પર કામ કરવાનો પાયો આ રીતે કોલેજકાળ દરમિયાન જ નંખાયો હતો.

પત્રકારત્વમાં પા પા પગલી...
ગ્રેજ્યુએટ થયાં પછી પોસ્ટલ અભ્યાસક્રમોની તપાસ કરવા અને નોકરીની શોધમાં મુંબઈ ગયો। ત્યારે 1976માં સૌપ્રથમ 'યુવદર્શન' સામાયિકમાં (વર્તમાન પ્રવાહોને વાચા આપતું આ સામાયિકનું અત્યારે પ્રકાશન થતું નથી) સબ એડિટર તરીકે જોડાયો. તે સમયે તેના તંત્રી સુરેશ સોમપુરા હતા. તેમના હાથ નીચે મેં એકથી દોઢ વર્ષ કામ કર્યું. તેમની પાસેથી મને પત્રકારત્વને લગતું ઉત્તમ માર્ગદર્શન મળ્યું. મને જો કોઈ ગુજરાતના ટોચના ચાર પત્રકારોના નામ લેવાના કોઈ કહે તો હું તેમાં સુરેશ સોમપુરાનું નામ લઉં.

યુવદર્શન પછી...
તે સમયે જનસત્તામાં કામ કરવું મોટાભાગના ગુજરાતી પત્રકારોનું સ્વપ્ન હતું. જનસત્તા ઉપર તે વખતે ગોએન્કા ગ્રૂપ એટલે 'ઇન્ડિયન એક્સપ્રેસ'ની માલિકી હતી. તેનું સંચાલન પત્રકારોની સ્વતંત્ર્તાના પ્રખર હિમાયતી રામનાથ ગોએન્કા કરતાં. જનસત્તા તે સમયે ખરા દિલથી પત્રકારત્વને ચાહતાં હોય તેવા ગુજરાતી પત્રકારોનો અડ્ડો ગણાતું. યુવદર્શનમાં કામ કરતો તે દરમિયાન મારે તેના તત્કાલિન તંત્રી વાસુદેવ મહેતા સાથે વાતચીત થઈ અને તેમણે મને જોઇન્ટ થવાનું કહી દીધું. પણ નસીબ એવા વાંકા કે હું જોઇન્ટ થવા આવ્યો તે જ દિવસે વાસુદેવ મહેતાએ રાજીનામું આપી દીધું. ઓ તારી! હું તો લબડી પડ્યો.
તે સમયે કિર્તી ખત્રીએ મદદ કરી। (કિર્તી ખત્રી અત્યારે જન્મભૂમિ ગ્રૂપના અખબાર 'કચ્છમિત્ર'માં સંપાદક છે) તેમણે મારી ઓળખાણ શિવ પંડયા સાથે કરાવી. શિવ પંડ્યા એટલે ગુજરાતના ઉત્તમ કાર્ટૂનિસ્ટોમાંના એક. વાસુદેવ મહેતા, શ્રીકાંત ત્રિવેદી (બંગાળી નવલકથાઓના ઉત્તમ અનુવાદક) અને શિવ પંડ્યાએ સાથે મળીને 'ઇમેજ' નામનું સામાયિક ચાલું કર્યું હતું. પછી તેમાં જોડાયો. તેમાં વાસુદેવ મહેતાના હાથ નીચે કામ કરવાનો લાભ મળ્યો. તે ઉત્તમ રાજકીય વિશ્લેષક હતા.

છેવટે જનસત્તામાં...
આ રીતે ગાડી આગળ વધતી હતી। તે દરમિયાન 1979માં જનસત્તામાંથી ઓફર થતાં હું જોડાઈ ગયો. ત્યાંથી લઇને ડીસેમ્બર, 2006 સુધી એડિટોરિયલ ડીપાર્ટમેન્ટના તમામ હોદ્દા મેળવ્યો. છૂટો થયો ત્યારે રેસિડેન્ટ એડિટર હતો.

જનસત્તા એટલે...
જનસત્તા ખરેખર ઉત્તમ માહિતી અને વૈચારિક દ્રષ્ટિકોણ રજૂ કરતું સારામાં સારું ગુજરાતી અખબાર હતું। કોઈ પણ અખબારની ગુણવત્તા શું લખવું અને શું ન લખવું, ક્યારે લખવું અને ક્યારે ન લખવું તેની વિવેકબુદ્ધિ પરથી નક્કી થાય છે. જનસત્તામાં આ વિવેકબુદ્ધિ હતી. કઈ બાબતને ક્યારે કેટલું મહત્વ આપવું તેની સમજણ પત્રકારમાં હોવી જોઇએ અને જનસત્તામાં કામ કરતાં પત્રકારને તેમાં કહેવું જ ન પડે.

જનસત્તાના વળતા પાણી...
જનસત્તા નેવુંના દાયકાના અંતિમ વર્ષો સુધી ગુજરાતમાં અત્યંત લોકપ્રિય અને સૌથી વધુ વંચાતું અખબાર હતું. પણ અનામત આંદોલન પછી ગુજરાતના શહેરોમાં 'ગુજરાત સમાચાર'ની પકડ વધતી ગઈ. આ પડકારને પહોંચી વળવા જરૂરી ફેરફાર એક્સપ્રેસનું મેનેજમેન્ટ કરી શક્યું નહીં. મને એવું લાગે છે કે, ગોએન્કા ગ્રૂપને કદાચ પ્રાદેશિક અખબારોમાં બહુ રસ રહ્યો નહોતો. તેણે કદાચ પ્રાદેશિક અખબારોમાંથી નીકળી જવાનો નિર્ણય લઈ લીધો હતો. આ કારણે મેનેજમેન્ટે નકલો ઘટાડી વધુમાં વધુ નફો રળવાનો નિર્ણય લીધો હતો. લોકો કહે છે કે જનસત્તાના સર્કયુલેશનમાં ઘટાડો થયો હતો તે વાત બહુ સાચી નથી. હકીકતમાં તેની નકલો ઘટાડવામાં આવી હતી.
શરૂઆતમાં નકલ ઓછી કરી એટલે ઉત્પાદન ખર્ચમાં બચત થઈ અને જાહેરાતમાંથી થતી આવકનો પ્રવાહ જળવાઈ રહેતા નફો વધ્યો। તેને તમે ઓછા વેચાણે વધુ નફો રળવાની વ્યૂહરચના કહી શકો. નકલો ધીમેધીમે ઘટાડવામાં આવી પણ નફો વધતો ગયો. પણ પછી જેમ જેમ બજારમાંથી જનસત્તાનો હિસ્સો ઓછો થતો ગયો તેમ તેમ જાહેરાતમાંથી આવકનો પ્રવાહ પણ ઘટતો ગયો. છેવટે ઇન્ડિયન એક્સપ્રેસે 1999-2000માં જનસત્તા સમભાવ ગ્રૂપને સોંપી દીધું.

જનસત્તાને બેઠું કરવાના પ્રયાસ...
સમભાવ ગ્રૂપે તેને બેઠું કરવાના પ્રયાસ કર્યા। રૂ. 45માં એક મહિનામાં લવાજમવાળી યોજના શરૂ કરી હતી. મને યાદ છે ત્યાં સુધી 2002-03માં. પણ ત્યાં તો ભાસ્કર ('દિવ્ય ભાસ્કર')ની સવારી આવી ગઈ. અબજો રૂપિયાની માર્કેટિંગ વ્યૂહરચના સાથે ભાસ્કર આવ્યું એટલે જનસત્તાને બેઠું કરવાના પ્રયાસને મરણતોલ ફટકો પડ્યો.

ભાસ્કરના આગમનનો ફાયદો...
સૌથી મોટો ફાયદો ગુજરાતને થયો છે। ભાસ્કરે માર્કેટિંગ પાછળ જે ખર્ચ કર્યો તેના કારણે લોકોમાં અખબાર પ્રત્યે જાગૃતિ વધી છે. લોકોને અખબારોમાં રસ વધ્યો છે અને વાચકોની સંખ્યા (રીડરશિપ)માં વધારો થયો છે. સાથેસાથે પત્રકારત્વમાં રોજગારી વધી છે અને પત્રકારોના પગારધોરણ સારા થયાં છે.

અખબાર નહીં વાચક નંબર વન...
દરેક ક્ષેત્રમાં અત્યારે નંબર વનનાં દાવેદારો વધી રહ્યાં છે। આજકાલ નંબર વન હોવાનો દાવો કોણ નથી કરતું? ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર વચ્ચે સ્પર્ધા વધી છે પણ હકીકત એ છે કે આ ત્રણેય અખબારોનું સર્કયુલેશન વધી રહ્યું છે. છાપાની રીડરશિપ વધી રહી છે તેનો ફાયદો સરવાળે ત્રણેયને મળી રહ્યો છે. એટલે નંબર વન તો વાચક જ છે.

દરેક ક્ષેત્રમાં જગ્યા હોય છે, તમને તેમાં સ્થાન મેળવતાં આવડવું જોઇએ...
ભાસ્કરના આગમનને પાંચથી વધારે વર્ષ થઈ ગયા છે। તેના આગમન પછી પત્રકારો દરરોજ કોઈ ને કોઈ અંગ્રેજી કે હિન્દી અખબારમાં ગુજરાતીમાં શરૂ થઈ રહ્યું છે તેવી વાતો જોરશોરથી કરતાં હતા. તે વાતો હવામાં જ રહી ગઈ પણ તેનો મતલબ એ નથી કે હવે કોઈ નવું અખબાર ગુજરાતમાં શરૂ નહીં થાય. દરેક ક્ષેત્રમાં જગ્યા હોય છે, તમને તેમાં સ્થાન મેળવતાં આવડવું જોઇએ. ભાસ્કર આવ્યું તે પહેલાં આપણે બે મોટા અખબાર સિવાય ત્રીજા કોઈ અખબારની કલ્પના જ કરી શકતાં નહોતા. પણ ભાસ્કરે બતાવી દીધું છે કે હકીકતમાં આપણે ત્યાં લોકોને એક નવા અખબારની જરૂર હતી. તેણે કોઇનો વાચકવર્ગ તોડ્યાં વિના પોતાનો નવો વાચકવર્ગ ઊભો કર્યો છે તે સૌથી સારામાં સારી બાબત છે.

મનપસંદ એડિટર...
પત્રકારત્વ ક્ષેત્રમાં આટલી લાંબી કારકિર્દી દરમિયાન મને એડિટર તરીકે સૌથી વધુ ઇશ્વરભાઈ પંચોલી ગમે। જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપે 1971-72માં રમણલાલ શેઠ પાસેથી જનસત્તા ખરીદી લીધું ત્યારે ઇશ્વરભાઈ પંચોલી તેના એડિટર હતા. એક્સપ્રેસ ગ્રૂપે તેમને એડિટર તરીકે ચાલુ રાખ્યાં હતા. પંચોલીસાહેબની સૌથી મોટી ખાસિયત હતી લીડરશિપ ક્વોલિટી. ગજબની નેતૃત્વક્ષમતા. સ્ટાફને સાથે લઇને ચાલવાની જબરદસ્ત ક્ષમતા. સમાચાર ક્યારે, કેવી રીતે લખાય અને ક્યારે, કેમ ન લખાય તેની ગજબની સેન્સ.

દિલોદિમાગ પર છવાઈ જાય તેવા બનાવો...
અનેક બનાવો એવા છે જેમાં તમારું લોહી ઉકળી ઉઠે. પણ દિલોદિમાગ પર સવાર થઈ લાંબો સમય સુધી સવાર થઈ જાય તેવી ઘટનાઓમાં બે-પાંચ છે. જેમ કે, 1985માં ગુજરાતમાં અનામત આંદોલન થયું હતું. તે સમયે અમારા એડિટર જયંતિ શુક્લ હતા અને અમારું હેડક્વાર્ટર મુંબઈ હતું. આંદોલનમાંથી તોફાન ફાટી નીકળ્યું અને તોફાનના પહેલાં જ બનાવમાં ડબગરવાડમાં પાંચ લોકોને જીવતાં સળગાવી દીધા. જનસત્તાએ આ સમાચાર નામ સાથે છાપ્યાં. તેનો આશય તોફાનો વધુ ભડકાવવાનો બિલકુલ નહોતો. પણ માધવસિંહ સોલંકી સરકારે જનસત્તાની નકલો જપ્ત કરી. આ બાબતની જાણ રામનાથ ગોએન્કાને થઈ. તેમણે તો કટોકટી વખતે ઇન્દિરા ગાંધી સામે પણ મોરચો માંડ્યો હતો. રામનાથજીએ બીજા દિવસે જનસત્તામાં તંત્રીલેખ લખ્યો અને તેમાં મૃતકોના નામ ફરીથી પ્રકાશિત કર્યા. સાથેસાથે પત્રકારત્વ પર થયેલા હુમલા વિશે લખ્યું.
તે પછી સોમનાથથી બાબરી મસ્જિદના પતન અને ત્યાંથી મુંબઇના શેરબજારમાં થયેલા બોમ્બવિસ્ફોટો સુધી જનસત્તાએ સંપૂર્ણ કવરેજ આપ્યું હતું। તેણે તમામ પ્રકારની માહિતી આપી હતી પણ તેમાં સમાજનું પોત નબળું પડ્યું નહોતું. સમાજનું હિત સચવાય તે રીતે સાચી વાત કહેવી એ અખબારની સૌથી મોટી કળા છે. ત્યારબાદ સુરતમાં પ્લેગ અને ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા તોફાનો જેવી ઘટનાઓ લાંબો સમય સુધી મનમસ્તિષ્ક પર છવાયેલી રહી.

પત્રકારત્વની લડાઈ...
પત્રકાત્વની લડાઈ સૈદ્ધાંતિક હોવી જોઇએ, વ્યક્તિગત નહીં. આપણે ત્યાં તો મોટેભાગે તંત્રીને જે તે વ્યક્તિ સાથે કેવા સંબંધ છે તેના આધારે તે વ્યક્તિ વિશે કેવું લખાશે તે નક્કી થાય છે. જનસત્તામાં અમને સૈદ્ધાંતિક લડાઈ લડવાની તાલીમ મળી હતી, વ્યક્તિગત દ્વૈષને કોઈ સ્થાન જ નહોતું. ગોધરાકાંડ અને તે પછી ફાટી નીકળેલા તોફાનમાં જનસત્તાનો વિરોધ ગુજરાત સરકારની નીતિ સામે હતો નહીં કે નરેન્દ્ર મોદી સામે. તે જ રીતે અનામત આંદોલન દરમિયાન પણ જનસત્તા સરકારની નીતિ સામે લડતું હતું, નહીં કે માધવસિંહ સોલંકી સામે. વ્યક્તિગત લડાઈથી પત્રકારત્વને ક્યારેય કોઈ ફાયદો થતો નથી. અખબાર અંગત હિસાબ સરભર કરવાનું માધ્યમ ન બનવું જોઇએ.



''જનસત્તાને નરેન્દ્ર મોદી સામે વાંધો નહોતો, મોદી સરકારની નીતિ સામે હતો''

6 comments:

bhargav said...

Nice interview. Thanks Keyur. Pl. continue with such activity. I really liked this. Thanks again. One advice. Try to give one good interview of Gujarati Journalist.. Fortnightly...

Bhargav

divyesh nagar said...

journalism and Jehad has many similarities except some principle differences. Journalist fight for society Jehadi fight for their own goal that may be against society. Journalists and Jehadis can never enjoy luxury. They fight for a cause and die for it.

jayendra upadhyay said...

K k you have done great work. Vivekbhai Dave is great person,II have seen ever. when and Where did u take this interview of such a gentleman with expertise in our field. yes, yes, definately this is commendable work on part of K K

Nimesh Khakhariya said...

Keyur
You have taken a good interview of Vivekbhai. It was interesting to read. I hope one day will make this blog most readable and this popularity will help you to start a magazine. A nice job.

its own business said...

everyone say good i m giving better. i like this

hiren antani said...

આભાર,
વિવેકભાઇનાં હાથ નીચે કામ કરવાનો મોકો બે વર્ષ મળ્યો. તેમણે મને જનસત્તામાં દિલ ફાડીને લખવાની મોકળાશ આપી હતી. એક સબએડિટર તરીકે અને ફીચર રાઇટર તરીકે મારાં ઘડતરમાં તેમણે ઘણું યોગદાન આપ્યું . હું જયારે સમભાવમાં પત્રકારત્વની બારાખડી શિખતો હતો ત્યારે અમારા તંત્રી દિવ્યેશભાઇએ મને વિવેકભાઇને મળવાની ભલામણ કરી હતી. બહુ ઠંડા દિમાગથી અને સરળતાથી જટિલમાં જટિલ એસાઇનમેન્ટ કેવી રીતે હેન્ડલ કરવા તે વિવેકભાઇ પાસેથી જાણવા મળે.