Friday, January 30, 2009

ગાંધીજીને વિવિધ મહાનુભાવોએ આપેલી શ્રદ્ધાંજલી

આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે. ચારે તરફ અંધકાર છવાયો છે. આપણા પ્યારા બાપુ, આપણા રાષ્ટ્રપિતા હવે આ જગતમાં રહ્યાં નથી. હું કહું છું કે, પ્રકાશ ચાલ્યો ગયો છે છતાં હું ખોટો છું, કારણ કે જે પ્રકાશ આ દેશમાં પ્રજ્જવલિત હતો, તે કોઈ સામાન્ય જ્યોતિ ન હતો. સદીઓ સુધી આ પ્રકાશ દુનિયાને સત્ય અને અહિંસાની રાહ ચીંધતો રહેશે. દુનિયાએ પૂંજપ્રકાશના દર્શન કરતી રહેશે; અગણિત હૈયાંને તે સાંત્વન આપતો રહેશે, કારણ કે તે પ્રકાશમાં તત્કાલીન વર્તમાનથી કંઈક અનેરું તેજસ હતું...જીવંત અને પરાપૂર્વના સત્યોનું ઓજસ હતું. સત્ય તરફનો માર્ગ દેખાડીને ભૂલો તરફથી આપણે પાછાં વાળતી તે દિવ્ય જ્યોતી હતી..આ દેશનો મુક્તિ ભણી દોરનારો એ પ્રકાશ હતો.
જવાહરલાલ નહેરુ

ઈશ્વરને ગમ્યું એ ખરું. આખું જગત તેમની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યું છે. મુસલમાનોએ પણ મરતી વખતે તેમને ઓળખ્યા અને તેમને ખાતર પ્રાણ આપ્યા એ કબૂલ કર્યું. એટલે તેમનું મરણ તો શોભ્યું. તેમના જવા માટે આ સમય તો ઉત્તમ જ હતો. સંભવે છે કે લોકો હવે તેમને વધારે સારી રીતે ઓળખે. આપણે માથે તો વીજળી પડી છે. આપણે માથેથી છત્ર ઊડી ગયું. તેમનું કામ પૂરું થયું. હવે જે રહ્યું તે પાછળ રહેલાઓને ઉપાડવું રહ્યું. એમણે તો જીવી જાણ્યું અને મરી પણ જાણ્યું. મરવાનો સમય પણ સરસ ગણાય. આપણે તો જેટલું બને તેટલું એમને પગલે ચાલવા પ્રયત્ન કરી છૂટવું જોઇએ.
સરદાર વલ્લભભાઈ પટેલ
(સંદર્ભઃ સરદારશ્રીના પત્રો-4, બાપુ, સરદાર અને મહાદેવભાઈ, જન્મશતાબ્દી ગ્રંથ-4)

ગાંધી હિંદુ કોમે પેદા કરેલા મહાન માણસોમાંના એક હતા. તે મહાન હિંદુ હતા
મહંમદઅલી ઝીણા

મહાત્મા ગાંધીનું નામ ઈતિહાસમાં બુદ્ધ અને જિસસ ક્રાઇસ્ટની હરોળમાં મૂકાશે
લોર્ડ માઉન્ટબેટન

ગાંધીજીની હત્યા તે બતાવે છે કે દુનિયામાં સારા બનવું કેટલું ખતરનાક છે
જ્યોર્જ બર્નાડ શો

માનવતા અને બંધુત્વમાં માનતા સૌ લોકો માટે ગાંધીજીનું મૃત્યુ એક વિલાબ બની રહેશે
જયોર્જ દ્વિદોલ, ફ્રાંસના તત્કાલીન વડાપ્રધાન

ભારતની સાથે સાથે આજે સમગ્ર દુનિયા શોકના સાગરમાં ડૂબી ગઈ છે
ટ્રુમેન, અમેરિકાના તત્કાલીન વડાપ્રધાન

જેમની મુક્તિ માટે ગાંધી જીવ્યા હતા તે જ લોકોએ તેમની હત્યા કરી છે. દુનિયાના ઇતિહાસમાં આ બીજો ઇસુ-વધ છે. આવા જ એક શુક્રવારે એક હજાર નવસો અને પંદર વર્ષ પહેલાં જિસસને વધસ્તંભ પર લટકાવી દેવાયા હતા. ઓહ, વિશ્વપિતા અમને માફ કરો.
હિંદુસ્તાન સ્ટાન્ડર્ડ (તેનું તંત્રીલેખવાળું પાનું કોરું રખાયું હતું. કાળી પટ્ટીથી શોક દર્શાવતા પાનાની વચ્ચે આ ઉપરોક્ત વાક્યા લખેલાં હતા)

No comments: