Wednesday, January 28, 2009

મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે



પુસ્તકઃ સ્ત્રી-પુરુષ સહજીવન
લેખકઃ દાદા ધર્માધિકારી
કિંમતઃ રૂ. 30
પ્રકાશકઃ યજ્ઞ પ્રકાશન સમિતિ, વડોદરા


સ્ત્રી-પુરુષનું સહજીવન ઉપભોગ સારું નહીં, પણ આનંદ સારુ હોય એ એક સાધના છે. બંને એકમેકની સાથે રહે અને એકમેકના જીવનને પવિત્ર અને સુંદર માને, એકમેકના જીવનને અધિક સુંદર બનાવવાની કોશિશ કરે, તેઓ બંને અથવા જેટલા સાથે રહેતા હોય તેઓ એકમેકના જીવનને સંપન્ન કરે. बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च - એકમેકને મારો બોધ આપે છે, મારું વર્ણન કરે છે અને તેમાં સંતોષ પામે છે, આનંદ આપે છે, परस्परं भावयन्तः श्रेयः परं अवाप्यस्थ - એકમેકના રક્ષણની, સંવર્ધનની, વિકાસની, કલ્યાણની ભાવના રાખીને પરમ શ્રેય પ્રાપ્ત કરે છે. એકમેકને સંભાળીશું, એકમેકને શીખવીશું, એકમેકને પ્રકાશ આપીશું.
તેથી મેં કહ્યું કે સહજીવન સારું ભૂમિકા સમાન હોવી જોઇએ. જ્યાં બરાબરીની ભૂમિકા નહીં હોય ત્યાં સહજીવન નહીં સંભવે. એટલે સૌ પ્રથમ સ્ત્રી-પુરુષની ભૂમિકા સમાન જોઇએ. તેમાં મુશ્કેલી ક્યાં નડે છે?
સૌથી પહેલી મુશ્કેલી એ છે કે સ્ત્રી અને પુરુષ એકમેકના સંપર્કથી ડરે છે અને તેમાંયે પુરુષના સંપર્કથી સ્ત્રી વધુ ડરે છે. પોતાની નૈસર્ગિક શરીરરચનાના કારણે સ્ત્રી પુરુષના સંપર્કથી વધારે ડરે છે. સ્ત્રીને માટે પુરુષ આક્રમણકારી હોય છે અને પુરુષ માટે સ્ત્રી કામિની છે, કામવાસનાનું પ્રતિક છે!
ફ્રોઈડ નામે એક માનસશાસ્ત્રી યુરોપમાં થઈ ગયો, સ્વપ્નમીમાંસા એ એનો મુખ્ય સિદ્ધાંત છે. આપણે જે સ્વપ્ન જોઇએ છીએ તે ક્યાંથી આવે છે? તેનું કહેવું છે કે કેટલીક અતૃપ્ત વાસનાઓ, કલ્પનાઓ, આકાંક્ષાઓ આપણા મનની અંદર છુપાયેલી પડી હોય છે. જેમ ચોરો છુપાઈ જાય છે; કે આંદોલનના નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા જાય છે તેવી રીતે કેટલીક ચીજો આપણા અંદરના મનમાં છુપાયેલી હોય છે. અસલમાં મન તો એક જ છે. પરંતુ જેમ ઉનાળામાં ગંગાજીમાં નહાવા જાઓ તો ઉપરનું પાણી સહેજ ગરમ હોય છે અને નીચેનું પાણી ઠંડું હોય છે, એવી રીતે આ અંદરનું મન કહેવાય છે. તે મનમાં કેટલીક વાસનાઓ છુપાયેલી રહે છે. તે બધી આપણાં સ્વપ્નોમાં દેખા દે છે. તેમાં મુખ્ય વાસના કઈ છે? ફ્રોઈડે કહે છે કે કામવાસના મુખ્ય છે. તે સૌથી વધુ પ્રબળ છે અને તેનો રંગ બીજા પર ચઢે છે.
પણ તમે જોયું હશે કે સ્ત્રી-પુરુષ આખી જિંદગી સાથે રહે છે, તેઓ કેવળ શરીરનિષ્ઠ નથી રહી શકતાં. કેવળ શરીરનિષ્ઠ રહેશે તો તેમનું સહજીવન અસંભવ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં શારીરિકતા જેટલી ઓછી હશે અને પ્રેમ-સંબંધ અને હાર્દિકતા જેટલી વધારે હશે એટલો એમનો સંબંધ સ્થાયી અને પાકો થશે, પવિત્ર થશે. તે ખરું છે કે એ બંને કાંઈ અશરીર તો નથી. માત્ર એમના આત્મા સાથે સાથે નથી રહેતા પણ એમનાં શરીર એકમેકની સાથે રહેતાં હોય છે. પરંતુ એટલું ખ્યાલમાં રહેવું જોઇએ કે કેવળ શારીરિકતા હોય તો એ શબની સાથે રહેવા જેવું થઈ જાય છે. ત્યાં પછી એ જીવન નથી, એ તો મૃત્યુ છે. એટલે શરીરની સાથેસાથે મન અને હ્રદય પણ સાથે રહેવાં જોઇએ. એમ થશે તો શારીરિકતા ક્ષીણ થતી જશે.
મતલબ અને મહોબત એ બે અલગ ચીજ છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં સ્વાર્થ કે મતલબનું પ્રમાણ જેટલું વધારે તેટલું તેમનું સહજીવન મુશ્કેલ બને છે.

No comments: