Tuesday, November 10, 2009

વંદેમાતરમ્ ખરેખર ઇસ્લામવિરોધી ગીત છે?


વર્ષ 1923. કોંગ્રેસના અધિવેશનનો શુભારંભ પરંપરાગત રીતે આઝાદીની લડાઈના બ્રહ્માસ્ત્ર 'વંદેમાતરમ્' ગીતથી થયો. પણ હિંદુસ્તાનીઓને આઝાદીની લડાઈની પ્રેરણા આપનાર આ ગીતની શરૂઆત થતાં જ કોંગ્રેસના અધ્યક્ષ મૌલાના મોહમ્મદ અલી જૌહરે ઊભા થઈને તેનો વિરોધ કર્યો. મહાન સ્વતંત્રતાસેનાની પંડિત વિષ્ણુ દિગમ્બર પલુસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, 'મૌલાના આ કોંગ્રેસનું અધિવેશન છે, કોઈ મસ્જિદ નહીં.' તેના થોડા વર્ષ પછી મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમ લીગના એક અધિવેશનમાં મુસ્લિમોને 'વંદેમાતરમ્'નો બહિષ્કાર કરવાની અપીલ કરી. મુસ્લિમ લીગ અને મુસ્લિમો પર ઝીણોના પ્રભાવ જોઇને કોંગ્રેસે એક સમિતિની રચના કરી, જેણે 'વંદેમાતરમ્'ના બે અંતરાને રાષ્ટ્રગીત સ્વરૂપે સ્વીકાર કરવાની ભલામણ કરી અને ત્યારથી 'વંદેમાતરમ્' ના બે જ અંતરા ગવાય છે. કોંગ્રેસનું આ સમાધાનવાદી વલણ આજે પણ ચાલુ છે.

થોડા દિવસ પહેલાં જમીયત-ઉલેમા-એ-હિંદે 'વંદેમાતરમ્'ને ઇસ્લામ વિરોધી ગીત જાહેર કર્યું, મુસ્લિમોને તેના ગાનથી દૂર રહેવાનો ફતવો જાહેર કર્યો અને આ સંમેલનમાં હાજર આપણા માનનીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ચૂપકીદી સેવી લીધી. તેમણે ખુલાસો પણ કેવો હાસ્યાસ્પદ આપ્યોઃ આ ફતવો જાહેર થયો ત્યારે હું મંચ પર હાજર નહોતો...કોંગ્રેસ મુસ્લિમોને 'વંદેમાતરમ્' ગાવાનું કહેશે તેવી આશા રાખી શકાય? પ્રશ્ન એ થાય છે કે વંદમાતરમ્ ખરેખર ઇસ્લામવિરોધી ગીત છે?

મુસ્લિમોના પવિત્ર ગ્રંથ કુરાનમાં મૂર્તિપૂજા કે વ્યક્તિપૂજાનો વિરોધ કરવામાં આવ્યો છે. કેટલાંક મુસ્લિમો જાણી જોઇને કે અજાણપણે 'વંદેમાતરમ્'નો અર્થ મૂર્તિપૂજા સ્વરૂપે કરે છે. હકીકતમાં 'વંદેમાતરમ્'નો અર્થ છે 'મા તને સલામ, માતૃભૂમિ તને શત્ શત્ વંદન.' તેમાં માતૃભૂમિને નમસ્કારનો ભાવ છે, વંદનનો ભાવ છે અને જે રાષ્ટ્રમાં રહેતાં હોય તે રાષ્ટ્રને પ્રણામ કરવાની કોઈ પણ ધર્મમાં માનતી વ્યક્તિની ફરજ છે. સમગ્ર દેશને ભારતમાતા સ્વરૂપે વંદના કરતાં બંકિમચંદ્ર ચેટર્જીને કલ્પના પણ નહીં હોય કે આઝાદીની લડતમાં વેદ મંત્ર બની ગયેલા આ ગીતનો નાપાક મુસ્લિમો વિરોધ કરશે અને તેને ઇસ્લામવિરોધી ગણાવશે. ચોક્કસ, મુસ્લિમો એક અલ્લાહ સિવાય બીજા કોઈની બંદગી ન કરી શકે, પણ કુરાનમાં રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવાની મનાઈ નથી અને વંદમાતરમ્ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવાનું એક પવિત્ર માધ્યમ છે.

'વંદેમાતરમ્'નો વિરોધ કરતાં ફતવાઉત્પાદક મુલ્લા-મૌલવીઓ કદાચ એ વાત જાણતા નથી કે વર્ષ 1992થી સંસદના સત્રની શરૂઆત 'જન ગણ મન'થી અને 'વંદેમાતરમ્'ના ગાનથી તે પૂર્ણ થાય છે. શું તેઓ હવે મુસ્લિમ સાંસદોને 'વંદેમાતરમ્'ના ગાનથી દૂર રહેવાનું ફરમાન જાહેર કરશે? આ મુલ્લા-મૌલવીઓને જાણ હોવી જોઇએ કે આ પુણ્ય-પવિત્ર રાષ્ટ્રગાનની રચનાનો આશય ધાર્મિક નહોતો, પણ અંગ્રેજોની બેડીઓમાં જકડાયેલા ભારતીયોમાં રાષ્ટ્રપ્રેમનો દીપ પ્રગટાવવાનો હતો. અંગ્રેજોએ 1870માં ભારતીયોના માથા પર 'ગોડ સેવ ધ ક્વીન'ને રાષ્ટ્રગીત સ્વરૂપે મારવાનો પ્રયાસ કર્યો ત્યારે બંકિમચંદ્રે હિંદુસ્તાનને ભારતમાતા સ્વરૂપે જોઈ આ પ્રાર્થનાગીતની રચના કરી હતી.

વર્ષ 2002માં બીબીસીએ વિશ્વના ટોચના દસ લોકપ્રિય ગીતો વિશે 155 દેશોમાં એક સર્વે કરાવ્યો હતો, જેમાં દુનિયાના સૌથી લોકપ્રિય ગીત તરીકે બીજું સ્થાન 'વંદેમાતરમ્'ને મળ્યું હતું. પહેલું સ્થાન આયરલેન્ડના રાષ્ટ્રગીત 'એ નેશન વન્સ અગેન'ને મળ્યું હતું. 25 ઓગસ્ટ, 1948ના રોજ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નેહરુએ 'વંદેમાતરમ્'નું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે ''વંદમાતરમ્ સ્પષ્ટપણે ભારતનું મુખ્ય રાષ્ટ્રીય ગીત છે. તેની મહાન ઐતિહાસિક પરંપરા છે અને તે આઝાદાની લડાઈનું અભિન્ન અંગ છે. તેનું સ્થાન બીજું કોઈ ગીત ન લઈ શકે.'' પંડિતજીની આ વાત હાલના કોંગ્રેસીઓ જાણતા હશે?

ચલતે-ચલતેઃ ''હું કદાચ આ ગીતની લોકપ્રિયતા જોવા જીવતો રહું કે ન રહું, પણ દરેક ભારતીય આ ગીતને વેદમંત્રની જેમ ગાશે તે વાત નક્કી છે''- બંકિમચંદ્ર ચેટર્જી

2 comments:

Rajni Agravat said...

કેયુરભાઈ

રિએક્શન બોક્સમાં હજુ EXCELLENT ને એવા બધા બે-એક ઑપ્શન આપો યાર.

thesisbinding said...

દીવાના કૌન હૈ ?...
યહાં હોશિયાર કૌન હૈ ?...

અપને વતન પે મિટને કો તૈયાર કૌન હૈ ?...

યે મસ'અલા ભી આયેગા,
એક દિન..દેખના....

તવારીખ બતાયેગા કી...
ગદ્દાર કૌન હૈ ?...

- "કફીલ" અહમદઆબાદી

બે ટકા ના નકલી દેશભક્ત ચોખલિયાઓ આગળ મારી વતનપરસ્તી સાબિત કરવા હું વન્દેમાતરમ ગાવા બંધાયેલો નથી , પરંતુ જો સંગીતકાર એ.આર. રેહમાન વાળું "વન્દેમાતરમ " વાગતું હશે તો હું એ એક હજાર વાર ગાવા તૈયાર છું. એનો અનુભવ લેવો હોય તો સાયન્સ સિટીના આઈ મેક્સ થીયેટરમાં એ.આર. રેહમાન વાળું "વન્દેમાતરમ "સંભાળજો , ભલભલાના પગ એના તાલે થરકી ના ઉઠે તો કેહ્જો ..
- મઝહર કંસારા