Wednesday, August 5, 2009

બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકો....

ગુજરાતીઓ અત્યારે શું વાંચે છે? અત્યારે બેસ્ટ સેલર લેખક કોણ? તેનો જવાબ આપવો લેખકો કે પત્રકારો માટે મુશ્કેલ છે. તેનો સાચો ઉત્તર માત્ર પ્રકાશકો જ આપી શકે. ગુજરાતમાં અડધી સદી કરતાં પણ વધારે અનુભવ ધરાવતા ચાર પ્રકાશકો છે. તેમાંથી ત્રણ અમદાવાદમાં અને એક રાજકોટમાં કેન્દ્રીત છે. નવભારત, ગુર્જર અને આર આર શેઠની કંપની અમદાવાદ અને મુંબઈમાં પોતાના શો-રૂમ ધરાવે છે અને પ્રવીણ પ્રકાશન રાજકોટમાં બસ-સ્ટેન્ડની સામે જ બે માળનું વેચાણકેન્દ્ર ધરાવે છે. મેં આ ચાર મુખ્ય પ્રકાશનગૃહોને બે પ્રશ્નો પૂછ્યાઃ (1) 2008માં તમારે ત્યાં સૌથી વધુ વેચાયેલા પાંચ પુસ્તકો ક્યાં હતાં? (2) 2008માં સર્જનાત્મક દ્રષ્ટિએ પાંચ શ્રેષ્ઠ પુસ્તકો ક્યાં હતાં?

પ્રથમ 2008માં સૌથી વધારે વેચાયેલાં પુસ્તકો, લેખકો અને પ્રકાશનનોનાં નામ સાથે નીચે આપ્યાં છે.

નવભારત સાહિત્ય મંદિરઃ (1) સફળતાનો મંત્ર..કિશોર મકવાણા (2) ધ બિલીયન ડોલર બુક...સંકલનઃ યોગેશ ચાલેરા(3) બિલિપત્ર....સુરેશ ભટ્ટ (4) વહાલી આસ્થા......કાજલ ઓઝા વૈદ્ય (5) ચતુરનો ચોતરો....ભરત ગરીવાલ

ગુર્જર પ્રકાશનઃ (1) દિકરી મારી દોસ્ત....નીલમબહેન દોશી (2) કથા કોર્નર...વિકાસ ઘનશ્યામ (3) હેલ્થ હાઇવે....ડૉ. મુકુંદ મહેતા (4) આંસૂ ભીના અક્ષર....ડૉ. શરદ ઠાકર (5) ઇંતઝાર હુસૈનની વાર્તાઓ....અનુવાદઃશરીફા વીજળીવાળા

આર આર શેઠની કંપનીઃ (1) સફળતાના સાત આધ્યાત્મિક નિયમો...દીપક ચોપરા (2) સંપૂર્ણ ચાણક્ય નીતિ (3) વિચારો અને ધનવાન બનો....નેપોલિયન હિલ (4) થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ...ચેતન ભગત (5) આલ્કેમિસ્ટ...પોલો કોએલો

પ્રવીણ પ્રકાશનઃ (1) જ્યોતિર્પુંજ....નરેન્દ્ર મોદી (2) પ્રેમતીર્થ...નરેન્દ્ર મોદી (3) ચક્રથી ચરખા સુધી...દિનકર જોશી (4) માનદ્ ગાથા....પુરુષોત્તમ રૂપાલા....મોદી અને રૂપાલા રાજકારણી હોવાની સાથેસાથે સારા લેખકો પણ છે, છતાં કહેવાતા મોટા સાહિત્યકારો, લેખકો અને તેમના થર્ડ ક્લાસ ચેલાઓના સ્ત્રૈણ રાજકારણથી દૂર...

(પ્રવીણ પ્રકાશન વતી પાંચમું બેસ્ટ સેલર પુસ્તક પ્રભાતના પુષ્પો છે તેમ જણાવવામાં આવ્યું હતું.)

આ ચાર પ્રકાશન સંસ્થાઓની દ્રષ્ટિએ એમનાં શ્રેષ્ઠ પાંચ પ્રકાશનો આ પ્રમાણે છેઃ

નવભારત સાહિત્ય મંદિરઃ (1) એક સાંજના સરનામે....કાજલ ઓઝા વૈદ્ય (2) દરિયો એક તરસનો....કાજલ ઓઝા વૈદ્ય (3) તારા વિનાના શહેરમાં....કાજલ ઓઝા વૈદ્ય (4) લીલું સગપણ લોહીનું....કાજલ ઓઝા વૈદ્ય (5) પાણીમાં પડછાયાં...વર્ષા પાઠક

આર આર શેઠની કંપનીઃ (1) મને ખબર નથી, નીરુ...વીનેશ અંતાણી (2) જીવતી જણસ...અશોકપુરી ગોસ્વામી (3) ભીની હવા ભીના શ્વાસ.....ચંદ્રકાંત શેઠ (4) વૃક્ષમંદિરની છાયામાં...ગુણવંત શાહ (5) આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ? રઇશ મણિયાર

ગુર્જર પ્રકાશનના અમરભાઈનું કહેવું છે કે, સાહિત્યની દ્રષ્ટિએ અને સમાજને ઉપયોગી પુરવાર થાય તેવા પુસ્તકોનું પ્રકાશન જ ગુર્જર કરે છે. એટલે તેમના સૌથી વધુ વેચાયેલા પુસ્તકોના પ્રકાશનથી સંતુષ્ટ છે. મજાની વાત એ છે કે, આજની પેઢીને આજના સારામાં સારામાં 'બેસ્ટ સેલર' ગણાતાં પ્લમ્બરો, ફિટરો અને તત્વચિંતકો કરતાં મુનશી, દુલા કાગ અને મેઘાણીમાં વધુ રસ છે. ગુર્જર પ્રકાશને તેમના પાંચ સર્વકાલીન શ્રેષ્ઠ પાંચ પુસ્તકોના નામ આપ્યા જે આ પ્રમાણે છેઃ (1) પાટણની પ્રભુતા...કનૈયાલાલ મુનશી (2) કાગવાણી...દુલા કાગ (3) સૌરાષ્ટ્રની રસધાર....ઝવેરચંદ મેઘાણી (4) દરિયાલાલ...ગુણવંતરાય આચાર્ય (5) મારા અનુભવો...સ્વામી સચ્ચિદાનંદ..આ પુસ્તકોની માંગ આજે પણ યથાવત્ છે.

પ્રવીણ પ્રકાશન અને ગુર્જર પ્રકાશનનો અભિગમ સમાન હોય તેવું જણાય છે. તેના મેનેજિંગ ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ કહે છે કે, તેઓ સાહિત્યની દ્રષ્ટિએ સારા લાગે તેવા પુસ્તકોનું જ પ્રકાશન કરે છે. એટલે તેઓ ઓછા, પણ ઉત્તમ પુસ્તકોનું જ પ્રકાશન કરે છે. તેમની પાસે હરકિશન મહેતા, દિનકર જોશી અને ભાણદેવ જેવા લગડી લેખકો છે. તેમના પુસ્તકોની માંગ આજના નવા લેખકોના પુસ્તકો કરતાં વધારે છે. તેમના કહેવા મુજબ, સાહિત્યિક દ્રષ્ટિએ પ્રવીણ પ્રકાશનના શ્રેષ્ઠ પાંચ પુસ્તકોઃ (1) પ્રતિનાયક....દિનકર જોશી (2) મારો વહાલો હિંદુ ધર્મ....ભાણદેવ (3) પ્રભાતના પુષ્પો....વજુ કોટક (4) ચક્રથી ચરખા સુધી...દિનકર જોશી (5) પ્રકાશનો પડછાયો...દિનકર જોશી

ભગવદ્વોમંડલ ગુજરાતી મહાન જ્ઞાનકોશ છે. તેનો ઓનલાઇન કરવાનું શ્રેય પણ પ્રવીણ પ્રકાશનને જાય છે.

ગુજરાતી ભાષામાં સૌથી વધારે વેચાતા પુસ્તકો સૌથી શ્રેષ્ઠ હોવાં જરૂરી નથી. આ પ્રકાશકોનાં પુસ્તકો સિવાય પણ પુસ્તકો પ્રકટ થયાં છે જેનું પુષ્કળ વેચાણ થયું છે અને તે ઉત્તમ છે. આ માત્ર યાદી છે, જે ગુજરાતી પ્રજાના વાંચનની તાસીર રજૂ કરે છે. ગુજરાતી સામાયિકો 'નવનીત સમર્પણ', 'અખંડ આનંદ', 'પરબ', 'શબ્દસૃષ્ટિ', 'કુમાર' વગેરેએ દર વર્ષે બેસ્ટ સેલર ગુજરાતી પુસ્તકોની યાદી બહાર પાડવી જોઇએ. પુસ્તક સાહિત્યિક દ્રષ્ટિએ સારું છે કે ખરાબ તે કામ તો બુદ્ધિધન વિવેચકોનું અને આજે વિવેચનના બદલે માત્ર ને માત્ર ભાઈબંધી જ ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે, ગુજરાતી સાહિત્યકારોને જે નગ્ન ભાઈબંધીનો નશો ચડ્યો હતો તેવી જ બદમાશી હવે પત્રકારો પણ શીખી ગયા છે....

2 comments:

Pinki said...

nice to read ur blog .. !!

Rachana said...

hi keyur,
i think in your blog you have covered all the types of gujrati books, except i feel one, that is translated books some great authors like zaverchand meghani has contributed in this area and one of his very famous books is " pratimao"
Some very good russian books and stories have also been translated in gujrati.