Saturday, September 11, 2010

વ્હોટ એન આઇડિયા સરજી!


'ગુરુ' અભિષેક બચ્ચનની એક અત્યંત જાણીતી જાહેરાતની પંચલાઇન યાદ આવી ગઈ-વ્હોટ એન આઇડિયા સરજી! વાત એમ છે કે રશિયાના નાણા પ્રધાન એલેક્સેઈ કુદ્રીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા દેશવાસીઓને એક ઝકાસ સૂચન કર્યું છે. તેને વાંચીને આ પંચલાઇન યાદ આવી ગઈ. કુદ્રીન સાહેબે રશિયનોને કહ્યું છે કે-વ્હાલા રશિયનો, તમે દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માગતા હોવ તો વધારે ને વધારે સિગારેટ પીવો અને મદિરાપાન કરો!

ચોંકી ગયા ને? હું પણ ચમકી ગયો હતો. આપણા દેશના રાજકારણીઓ જાહેરમાં વ્યસ્નવિરોધી આંદોલન ચલાવે છે. ત્યારે રશિયાનો આ રાજકારણી ખુલ્લેઆમ લોકોને ધુંઆપ્રેમી અને મધુપ્રેમી બનાવવાની વકીલાત કરે છે. પણ તેના તેમનો કોઈ વાંક નથી. રશિયાનું અર્થતંત્ર ખાટલે ગયું છે અને તેને પાટે ચડાવવા કુદ્રીનજી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

તેમનું કહેવું છે કે-કોઈ વ્યક્તિ સિગારેટનું એક પેકેટ પીવે તો તે સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે યોગદાન આપી રહ્યો છે. આ સૂચન કરતી વખતે કુદ્રીન જરા પણ નશામાં નહોતા. તેમનો તર્ક બિલકુલ સ્પષ્ટ છે-ધુમ્રપાનથી કેન્સર થાય છે અને ધુમ્રપાનપ્રેમી વહેલાસર આ ફાનિ દુનિયામાંથી મુક્તિ મેળવી લે છે. બીડી તો સ્વર્ગની સીડી. કોઈ મૃત્યુ પામેલો માણસ ક્યારેય પેન્શન માટે દાવો કરતો નથી, જે સરકાર માટે ફાયદાકારક બાબત છે. તેનાથી અન્ય એક ફાયદો પણ છે. સિગારેટ કે મદિરાપાન કરવા સારો એવો કર ચુકવવો પડે છે અને આ કરવેરો સીધો સરકારી ખજાનામાં જ જાય છે.....દોસ્તો, અફસોસ ન કરશો કે શરદ પવાર જેવા રાજકારણીઓ બીજો દેશોમાં પણ છે જ....

No comments: