ગુજરાતનું જાણીતું પખવાડિક વિચારપત્ર 'નિરીક્ષક' હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે. (http:// www.nireekshak.com) પહેલી જુલાઈ, 2009થી પોસ્ટેજ સમસ્યાને કારણે 'નિરીક્ષક' તેના ગ્રાહકો સુધી પહોંચી શક્યું નથી. પરંતુ હવે ઇન્ટરનેટ પર તેની પીડીએફ આવૃત્તિ ઉપલબ્ધ છે. છેલ્લાં કેટલાંયે વર્ષોથી ગુજરાતને એક સારા વિચારપત્રની-વિવેચનયુક્ત સમાચારો, નિર્ભય વિચારચર્ચાઓ અને નિષ્પક્ષ નિરાકરણો પૂરા પાડનારા સાપ્તાહિક પત્રની-ખોટ રહેલી છે.
એના પ્રથમ અંકમાં પ્રગટ થયેલ અભિલાષ અને અભીપ્સા આ પ્રમાણે છે:
મહાત્મા ગાંધીના તપોબળે અને ભાવનાશીલોના સ્વાર્પણે મેળવી આપેલું સ્વરાજ્ય, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ જેવા સપૂતોના પુરુષાર્થથી આપણી પરંપરામાં ઊંડાં મૂળ નાંખે ન નાંખે ત્યાં તો દેશમાં છિન્નતાની પરંપરાઓ સર્જાઈ છે અને રાજસત્તા લોકસત્તાને ગ્રસી જાય તેવી પરિસ્થિતિ નીપજી છે. તેવે, લોકજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નવું નેતૃત્વ પેદા કરીને લોક-શાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી ગુજરાતની પ્રજાને અમે વિનમ્રભાવે એક નવા સાપ્તાહિક ‘નિરીક્ષક’ની નવાજેશ કરી રહ્યા છીએ.
આપણા બંધારણે જે ઉત્તમ લોકશાહી માળખાની દેશને ભેટ ધરેલી છે તે છિન્નભિન્ન થઈ જાય તેવી કટોકટીઓ આપણા દેશમાં સર્જાઈ રહી હોય ત્યારે બંધારણને અને લોકશાહી સંસ્થાઓને ટકાવવા માટે પણ નિર્ભય અને નિષ્પક્ષ સાપ્તાહિક પત્રની જરૂર સમજાય છે. દેશનો બુદ્ધિશાળી વર્ગ ઉત્તમ વિચારમાંથી પ્રગટેલા ઉત્તમ કાર્યની ભૂમિકા ઉપર સંગઠિત થઈ શકતો નથી એનું એક કારણ આવાં વિચારપત્રો નથી તે પણ છે. હકીકતને પવિત્ર ગણવી અને ટીકાને મુક્ત રાખવી એ જેનો ધ્યાનમંત્ર હોય એવાં પત્રો જ સબળ લોકશાહીનું જતન કરી શકશે.
‘નિરીક્ષક’ કોઈ પણ રાજકીય પક્ષનું વાજિંત્ર નથી. ‘નિરીક્ષક’ પ્રત્યેક પ્રશ્નનો સૂક્ષ્મ અને તટસ્થ અભ્યાસ કરી રહ્યું છે. એ વસ્તુસ્થિતિનાં તથ્યોને અને લોકશાહી જીવનમૂલ્યોને વળગી રહ્યું છે. લોકજીવનનાં સ્વાસ્થ્ય અને સંસ્કારને સમૃદ્ધ કરવા એ સતત પ્રયાસરત છે. ‘નિરીક્ષક’ની નિષ્ઠા લોકનિષ્ઠા છે અને લોકલાગણી તથા સત્ય વચ્ચે સમન્વયના સેતુ બાંધવાની તેની આકાંક્ષા છે. ‘નિરીક્ષક’ ગુજરાતના, ભારતના અને વિશ્વના વિવિધ વિચારોને મુક્ત મને આવકારી રહ્યું છે અને ગુજરાતના લોકજીવનના તાણાવાણામાં તેને વણી લેવા મથી રહ્યું છે. છતાં એની લોકનિષ્ઠા અચળ છે. ગાંધીજી કહેતા કે મારાં બારીબારણાં ખુલ્લાં છે, ચારે દિશાના વાયરા ભલે વાતા, પણ તેથી હું મારો પગ ભોંયથી ચળવા નહીં દઉં. ‘નિરીક્ષક’નો પણ આ જ શિવસંકલ્પ છે.
આ કામ અઘરું છે અને તેનાં મૂળ ઊંડાં ઊતરે ત્યાં સુધી ધીરજની કસોટી કરે તેવું છે. તેમ છતાં ગુજરાતમાં સહિષ્ણુતા, વિવેક અને વિચારનાં પ્રગતિશીલ મૂલ્યોએ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેને કારણે ગુજરાતમાં આવા મુક્ત અને ઉદાર વિચાર-વાહનની ખરેખરી ભૂખ જાગી છે. એટલે અમને શ્રદ્ધા છે કે આ સાહસને ગુજરાતના લોકહિતચિંતકોનું ઉત્તમ સમર્થન સાંપડશે અને એ લોકસહકારથી પોતાનું કામ ગોઠવશે.
4 comments:
કેયુરભાઈ, આ સાઈટને તાળા વાગી ગયા છે કે પછી કોઈ ટેકનીકલ મુદ્દે બંધ પડી છે? કઈ ખબર?
અલ્પેશભાઈ,
પ્રકાશભાઈના કહેવા પ્રમાણે, સાઇટ બંધ થઈ ગઈ છે, પણ નીચે આપેલા એડ્રેસ પર તેને બ્લોગ પર મૂકવામાં આવે છે. જોકે મેં પ્રયાસ કરવા છતાં આ લિંક પર મેગેઝિન જોવા મળ્યું નથી..
http://nirikshakgujaratipakshik.wordpress.com/2012/04/30/
12-5-2012 sanje 5-30 vagye gujarati sahitya parishad bhavan ma nirikshak na 1968 thi 2010 na tamam ankona dvd nu lokarpan che. 5+1 dvd ni price Rs.600/-, vimochan na divase Rs.500/- ma malse
કેયુરભાઈ, ફરી કોશિશ કરો.આ બ્લોગ સક્રિય છે
Post a Comment