
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ જોન ફોસ્ટર ડલેસ વર્ષ 1953માં ભારતના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને નવી દિલ્હી મળવા આવ્યા હતા. તે સમયે અમેરિકા અને ભારત વચ્ચે થોડા મતભેદ હતા અને તેને દૂર કરવા ડલાસ જવાહરલાલ સાથે ચર્ચા-વિચારણા કરવા ભારત આવ્યા હતા. જ્યારે તેમની વાતચીત ચાલતી હતા તે દરમિયાન જવાહરલાલને ઝોકું આવી ગયું અને તેઓ ઊંઘી ગયા. ડલાસને થોડી ક્ષણ પછી ખબર પડી કે જવાહરલાલ સૂઈ ગયા છે. તેમને લાગ્યું કે, ભારતના વડાપ્રધાનને ચર્ચા-વિચારણામાં કોઈ રસ નથી. તેમને માઠું લાગ્યું અને તેઓ ઊઠીને ચાલ્યા ગયા. ત્યારપછી થોડા જ સમયમાં અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રસંરજામની મદદ કરવાનું વચન આપ્યું અને તે માટેની ગોઠવણ પણ કરી. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે થયેલી સમજૂતીનો જવાહરલાલે ઘણો વિરોધ કર્યો પણ તેનાથી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.
તે પછી વર્ષ 1958માં મોરારાજી દેસાઈ જ્યારે પહેલી વખત અમેરિકા ગયા ત્યારે તેઓ ડલેસને મળ્યા. ત્યારે તેમને જાણવા મળ્યું કે જો જવાહરલાલજીએ ડલેસ સાથે સારી રીતે વાતચીત કરી હોત તો પરિસ્થિતિ કાંઈક જુદી હોત.